Home Blog Page 1497

અમદાવાદમાં વિવિધ થીમ સાથે ગણેશોત્સવની ઉજવણી

અમદાવાદ: ગણપતિ મહોત્સવની સમગ્ર રાજ્યમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. અમદાવાદ સહિત ગુજરાતના નાના-મોટાં ગામડાંઓ અને શહેરોમાં સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણીનું મહત્વ વધ્યું છે.ગુજરાતમાં ઘરે-ઘરે ગણેશજીનું સ્થાપન કરવાનું મહત્વ વધ્યું છે.અમદાવાદ શહેરના ઈદગાહ ચાર રસ્તા પાસે કૃષ્ણ જન્મોત્સવ સાથે જેલની થીમ ઉભી કરી, ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે.દરિયાપુરના લુણસાવાડમાં ભગવાન દત્તાત્રેયના સ્વરૂપે ભગવાન ગણેશ બિરાજમાન છે.જ્યારે નાડિયાવાડમાં શેષનાગ પર સંકટમોચન બિરાજમાન થયા છે.માધુપુરામાં શ્રીજી સ્વરૂપે ગણેશ સાથે નરસિંહ અને મીરાં ભક્ત સ્વરૂપે ભક્તિ કરતા જોઈ શકાય છે.દેવમ ગોદરેજ ગાર્ડન સિટી( ગ્રીન થીમ), વંદેમાતરમ રોડ( ગણેશ સાથે રામ, કૃષ્ણ,હનુમાન), ભીમજીપુરા, ઘાટલોડિયામાં મિત્ર મંડળ સોસાયટીઓ દ્વારા ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે.

સૌથી જૂના સાર્વજનિક ગણેશોત્સવની વાત કરીએ તો શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ‘લાલદરવાજા ચા લંબોધર’ની વિશાળ મૂર્તિના દર્શન માટે લાંબી કતારો લાગે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

દીપિકા-રણવીરને હોસ્પિટલ મળવા પહોંચ્યા મુકેશ અંબાણી

મુંબઈ: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ દીકરીના માતા-પિતા બન્યા છે. 8 સપ્ટેમ્બરે દીપિકા પાદુકોણે દીકરીને જન્મ આપ્યો છે. બંનેએ આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેના પછી તેમને સતત અભિનંદન મળી રહ્યા છે. બંનેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. તેમની ખુશીમાં ઈન્ડસ્ટ્રીના લોકો પણ જોડાઈ રહ્યા છે. હવે મુકેશ અંબાણી પણ આ પ્રસંગે તેમને અભિનંદન આપવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જી હા, દીપિકા પાદુકોણ હાલમાં તેની બાળકી સાથે હોસ્પિટલમાં છે. આવી સ્થિતિમાં મુકેશ અંબાણી તેમને મળવા અને અભિનંદન આપવા હોસ્પિટલ જતા જોવા મળ્યા હતા. જ્યારથી આ વીડિયો સામે આવ્યો છે ત્યારથી એવું કહેવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણી બંનેની ખબર પૂછવા માટે તેને મળવા માટે પહોંચ્યા છે.

રણવીર-દીપિકા અંબાણી પરિવારની ખૂબ જ નજીક છે

જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે મુકેશ અંબાણીને કારમાં બેસીને તેમના કર્મચારીઓ સાથે હોસ્પિટલમાં દાખલ થતા જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બંને અંબાણી પરિવારના ખૂબ જ નજીક છે. આ બંને અંબાણી પરિવારના દરેક ફંકશનમાં ભાગ લે છે. એટલું જ નહીં, રણવીર સિંહ અને અનંત અંબાણી વચ્ચેની ગાઢ મિત્રતા તેમના લગ્નમાં પણ જોવા મળી હતી.રણવીર સિંહ અનંતના લગ્નમાં ધૂમ મચાવતો જોવા મળ્યો હતો. દીપિકાએ પણ પોતાના બેબી બમ્પ સાથે લગ્નમાં હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રણવીરે પ્રી-વેડિંગમાં પણ ધૂમ મચાવી હતી

તમને જણાવી દઈએ કે, રણવીર સિંહ અને દીપિકા પણ પ્રી-વેડિંગ ફંક્શનનો ભાગ બન્યા હતા. દીપિકા પાદુકોણે જામનગરમાં પ્રથમ પ્રી-વેડિંગ દરમિયાન તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી અને તે પ્રેગ્નન્સી પછી દીપિકાની પહેલી જાહેરમાં જોવા મળી હતી. આ પછી ફ્રાન્સમાં આયોજિત બીજા પ્રી-વેડિંગ ફંક્શનમાં દીપિકા હાજર રહી શકી ન હતી, રણવીર એ ફંક્શનમાં એકલા જ હાજરી આપી હતી.

આ ફિલ્મમાં દીપિકા-રણવીર સાથે જોવા મળશે

નોંધનીય છે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જલ્દી જ ‘સિંઘમ અગેન’માં સાથે જોવા મળશે. આ કોપ યુનિવર્સ ફિલ્મમાં બંને પોલીસ અવતારમાં જોવા મળશે. દીપિકા પાદુકોણ પહેલીવાર આવા પાત્રમાં જોવા મળશે. જો તેમના લગ્નની વાત કરીએ તો તેઓએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને હવે લગ્નના 6 વર્ષ બાદ બંને એક બાળકીના માતા-પિતા બન્યા છે.

શું મંકીપોક્સ કોરોનાની જેમ તબાહી મચાવશે ?

લોકો હજી સુધી કોરોના રોગચાળામાંથી યોગ્ય રીતે સાજા થયા નથી. ફરી એકવાર એક ખાસ પ્રકારનો વાયરસ ઝડપથી ફેલાવા લાગ્યો છે. ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ અનુસાર, વિશ્વના 78 હજાર દેશોમાં 18 હજારથી વધુ કેસ નોંધાયા છે. મંકીપોક્સના કારણે પાંચ લોકોના મોત પણ થયા છે. મંકીપોક્સ અને કોરોનાના લક્ષણો લગભગ સમાન દેખાય છે. પરંતુ કોરોનાના લક્ષણો શરીર પર વધુ ગંભીર રીતે દેખાય છે.

મંકીપોક્સથી મૃત્યુઆંક

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, વિશ્વના 78 દેશોમાં 18 હજારથી વધુ મંકીપોક્સના કેસ નોંધાયા છે. તેમાંથી 70 ટકા કેસ યુરોપમાંથી અને 25 ટકા અમેરિકામાંથી આવ્યા છે. મંકીપોક્સના કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. આવા માત્ર 10 ટકા દર્દીઓ છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. ભારતમાં મંકીપોક્સના અત્યાર સુધીમાં 4 કેસ નોંધાયા છે. કેરળમાં ત્રણ અને દિલ્હીમાં એક દર્દી મળી આવ્યો છે. આ રોગને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે તેની સામે રસી બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે.

શું કોરોનાવાયરસ અને મંકીપોક્સ એકબીજાથી અલગ છે?

કોરોના વાયરસથી બચવા માટે જે રીતે સાવચેતી રાખવામાં આવી રહી હતી. તેવી જ રીતે મંકીપોક્સથી બચવા માટે, સરકાર દ્વારા ઘણી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. લોકો આ વાતને લઈને ભ્રમિત થઈ શકે છે કે બંને બીમારીઓ સમાન છે, પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ બંને વાયરસ અલગ-અલગ છે.

coronavirus.

મંકીપોક્સ અને કોરોના વાયરસ વચ્ચેનો તફાવત

બંને રોગોના વાયરસ એકબીજાથી ખૂબ જ અલગ છે. કોરોના વાયરસ SARS-COV-2 દ્વારા થાય છે, જ્યારે મંકીપોક્સ વાયરસ પોક્સવીરીડે પરિવારનો ઓર્થોપોક્સ વાયરસ છે. વેરિઓલા વાયરસ પણ આ પરિવારનો છે. જેમાં શીતળા છે. SARS-COV-2 સંપૂર્ણપણે નવો વાયરસ છે. જે 2019 ના છેલ્લા વર્ષોથી ફેલાવાનું શરૂ થયું હતું. જ્યારે મંકીપોક્સ દાયકાઓથી આપણી વચ્ચે હાજર છે. તે અમુક સમયે આના વધુ કે ઓછા કિસ્સાઓ જોતો રહે છે.

કોરોના વિ મંકીપોક્સના લક્ષણો

શરૂઆતમાં મંકીપોક્સ અને કોરોનાના લક્ષણો સામાન્ય દેખાઈ શકે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ બંને એકબીજાથી એકદમ અલગ છે.

મંકીપોક્સના લક્ષણો

  • ખૂબ તાવ, ત્વચા પર ફોલ્લીઓ, ચહેરાથી શરૂ કરીને હાથ સુધી ફેલાય છે, હથેળીઓ અને તળિયા પર દેખાય છે.
  • શરીરમાં સોજો લસિકા ગાંઠો અને ગઠ્ઠો
  • માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને થાક
  • ગળામાં દુખાવો અને વારંવાર ઉધરસ

કોરોનાના લક્ષણો

  • કોરોના રોગમાં પણ તાવની સાથે ઠંડી લાગે છે.
  • ગળામાં ખરાશ અને ઉધરસની સમસ્યા શરૂ થાય છે
  • શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય સમસ્યાઓ શરૂ થાય છે
  • માથાનો દુખાવો, થાક અને તીવ્ર સ્નાયુઓમાં દુખાવો
  • સ્વાદ અથવા ગંધની ખોટ
  • વહેતું નાક, ઉલટી અને ઝાડા

મંકીપોક્સ કોરોનાની જેમ વિનાશ નહીં સર્જે

એવું કહેવામાં આવી રહ્યું છે કે મંકીપોક્સ કોરોનાની જેમ પાયમાલ નહીં કરે કારણ કે મંકીપોક્સ પ્રાણીઓથી માણસોમાં ફેલાય છે. તે ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સીધા સંપર્ક દ્વારા ફેલાય છે. ઉદાહરણ તરીકે, આ રોગ જાતીય સંભોગ દ્વારા ફેલાય છે. તે તેના કપડાં અને વસ્તુઓનો ઉપયોગ કરીને ફેલાય છે. કોરોના સપાટી અને હવા દ્વારા પણ એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. સપાટી પર પણ કોરોના વાયરસ ઘણા દિવસો સુધી જીવિત રહી શકે છે. તે છીંક અને ઉધરસ દ્વારા પણ ફેલાય છે. જો તમે કોરોનાથી સંક્રમિત વ્યક્તિની સામે ઉભા હોવ તો પણ તમને કોરોના થઈ શકે છે, પરંતુ જો તમે માસ્ક પહેરીને મંકીપોક્સથી પીડિત વ્યક્તિની સામે ઉભા છો, તો તમને આ રોગ થશે નહીં.

તહેવારોની સિઝનમાં ફૂલની સુવાસ ફીકી પડશે!

રાજ્યમાં તહેવારની સિઝન શરૂ થઈ ચૂકી છે, ત્યારે ભગવાની પૂજામાં સૌથી મહત્વની વસ્તુ ફૂલ છે. ઘરમાં કે ઓફિસમાં પુજા હોય કે શુભ પ્રસંગ હોય કે અન્ય કોઈ ઉજવણી હોય ફુલનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. વધતા ફૂલનો ઉપયોગ પર પણ હવે મોંઘવારીનો માર લાગતો જોવા મળી રહ્યો છે. હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવમાં ભગવાનને ફૂલ ચડાવવા પણ મોંઘા પડશે. કારણ કે, છેલ્લા ચાર-પાંચ દિવસથી ફૂલના ભાવના ધરખમ વધારો થયો છે. ગણેશ મહોત્સવ બાદ નવરાત્રિનો પણ તહેવાર આવશે, તેથી ફૂલના ભાવમાં સતત તેજી રહે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત હોલસેલ બજારના ભાવ કંઈક અલગ અને રિટેલ માર્કેટના ભાવ કંઈક અલગ જોવા મળી રહ્યા છે. હોલસેલ બજારમાં ફૂલનો જે ભાવ હોય છે, તેના કરતાં બમણો ભાવ રિટેલ બજારમાં ચાલી રહ્યો છે.

હાલમાં હોલસેલ ફૂલ બજારમાં ફૂલના ભાવમાં ચારથી પાંચ ગણો વધારો થયો છે. તેમાં પણ ગુલાબ, ગલગોટા, મોગરો, સેવંતી જેવા દેશી ફૂલના ભાવ આસમાને પહોંચ્યા છે. આ ઉપરાંત ઇંગલિશ ફૂલના ભાવ પણ ઉચકાયા છે. કારણ કે, હવે શહેરીજનો ડેકોરેશન માટે ઇંગલિશ ફૂલનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે. વિદેશી ફૂલમાં ઓર્કિડની જે એક સ્ટીક 30થી 40 રૂપિયામાં મળી રહેતી હતી, તે હવે 100થી 120 રૂપિયા સુધીની મળે છે.

આ ઉપરાંત દેશી ફૂલના ભાવમાં પણ વધારો થયો છે. મળતી માહિતી અનુસાર, હાલ ફૂલ બજારમાં ગુલાબના ભાવ રૂ.120થી 150 હતા, જે ભાવ વધી રિટેલ બજારમાં રૂ.800થી રૂ.1000 થયા છે. ગોલગોટાનો ભાવ રૂ.50થી 80 હતા, જે હાલ વધીને રૂપિયા 300થી 400 થયા છે. આ જો ફૂલનો ભાવ હોલસેલ બજારમાં તેના કરતાં અડધી કિંમતે વેચાઈ રહ્યા છે. એટલે કે, હોલસેલ બજારમાં દેશી ગુલાબનો ભાવ રૂપિયા 500થી 600 સુધી ચાલી રહ્યા છે. જ્યારે ગલગોટાનો ભાવ રૂ. 120થી 160 સુધીનો ચાલી રહ્યો છે. એટલે કે, હોલસેલ બજાર કરતા રિટેલમાં બમણો ભાવ લેવાઈ રહ્યો છે.

ના, એમાં મહિલાઓનો વાંક નથી…

મમ્મી..મમ્મી… એમ બૂમો પાડતી ભાવના ઘરમાં પ્રવેશી, કોકિલાબહેને ઘરમાં એકલા જ હતા. એમને ગભરાતા સ્વરે પુત્રવધૂને પૂછ્યું, શું થયું બેટા? કેમ આમ બૂમો પાડે છે? જવાબમાં કાંઇ બોલ્યા વિના ભાવના સાસુમાના ખોળામાં માથું નાખીને ધ્રુસકે..ધ્રુસકે રડવા લાગી. કોકિલાબહેન પણ સામે કશું બોલ્યા વિના પુત્રવધુના માથે હાથ ફેરવતા રહ્યા. આ પ્રથમ વખત નથી બન્યું. આ પહેલા પણ ભાવના આ જ રીતે આવીને સાસુમાના ખોળામાં લપાઈને કલાકો રડી છે. લગ્નના પાંચ વર્ષમાં ભાવનાને ત્રીજી વખત મિસકેરેજ (કસુવાવડ) થયું. ભાવનાનો અવાજ સાંભળી બાજુના ઘરમાંથી કોકિલાબહેનના જેઠાણી એટલે કે ભાવનાના કાકીસાસુ પણ આવી પહોંચ્યા. ભાવનાને રડતી જોઈને એ તરત બોલ્યા, ફરી છોકરું પડી ગયું! કોકીલા, તારી વહુને તો છોકરા જણતા જ નથી આવડતા!

કોકિલાબહેને ગુસ્સો તો ઘણો આવ્યો પરંતુ જેઠાણીને સીધું કેમ કહેવું? છતાં એટલું તો બોલ્યા જ કે મોટીબેન આમાં ભાવનાનો જરાય વાંક નથી, ભગવાનની ઈચ્છા હશે તારે બધુ સારુ થશે. અત્યારે એને આપણી લાગણીની જરૂર છે. એને મહેણાં મારવાથી એનું દુઃખ વધશે ઓછું નહીં થાય. કારણ કે સંતાન ગુમાવવાની જે પીડા માતાને થાય એની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ.

સવાલ એ થાય કે ગર્ભવતી મહિલાને કસુવાવડ થઈ જાય ત્યારે એમાં એ સ્ત્રીનો કેટલો વાંક? કેમ સમાજ, પરિવાર કે સગા સબંધી મહિલાને જ ખરી-ખોટી સંભળાવે છે? હકીકતમાં મિસકેરેજ થયા પછી મહિલાને માનસિક, શારિરીક, ભાવનાત્મક અને સામાજિક અનેક પ્રકારની સમસ્યા અને સવાલોનો સામનો કરવો પડે છે. ભાવનાને એની સાસુનો સપોર્ટ મળ્યો એવો સહકાર કસુવાવડ પછી બહુ ઓછી મહિલાઓને મળતો હોય છે. કારણ કે આપણા ત્યાં મિસકેરેજ માટે પણ માતાને જ જવાબદાર માનવામાં આવે છે, પરિસ્થિતિને નહીં.

મહિલા પર મિસકેરેજનું આળ નાંખવાની જરૂર નથી

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા વલસાડના જાણીતા MD, DGO IVF નિષ્ણાત ડો. કુરેશા એમ. કુરેશી કહે છે, “કુદરતી પ્રેગ્નન્સી રહે એમાંથી 10 ટકા ગર્ભાવસ્થા જ કસુવાવડમાં પરિણમે છે. આ ખુબ નોર્મલ છે. મિસકેરેજ થઈ જાય પછી જ્યારે પણ પ્રેગ્નન્સી રહે એ સમયે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જે મહિલાને એક વખત મિસકેરેજ થઈ ગયું હોય એવી મહિલાને બીજી વખત સારી જ પ્રેગનેન્સી રહેવાના 75 ટકા ચાન્સ છે. એજ રીતે કોઈને બે વખત એબોર્શન થયું હોય તો પણ એ મહિલાને 60 ટકા ચાન્સ છે સારી પ્રેગ્નન્સી રહેવાનો. પરંતુ સમસ્યા એ છે કે એક વખત ગર્ભપાત થઈ જાય પછી મહિલા માનસિક રીતે ખૂબ તણાવમાં રહે છે. પણ આ રીતે ગભરાવાની કે મેન્ટલ સ્ટ્રેસ લેવાની જરૂર નથી, આ નોર્મલ જીનેટિક અથવા નોર્મલ ફિઝિયોલોજી ડેવલોપમેન્ટના કારણે જ થાય. આવા સમયે પરિવારે સહકાર આપવો જોઈએ.”

 

મિસકેરેજ પછી મહિલાઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે

શારીરિક સમસ્યાઓ

થાક અને નબળાઇ: મિસકેરેજ પછી શારીરિક રીતે થાક અનુભવાય છે, ખાસ કરીને રક્તસ્રાવ થવા કે સર્જરી પછી સમસ્યા વધે છે.

હોર્મોનલ પરિવર્તન: ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓના હોર્મોનમાં મોટા ફેરફાર થાય છે, અને મિસકેરેજ પછી હોર્મોનલ સંતુલન ફરીથી સામાન્ય પરિબળ પર આવે છે. આ ફેરફારો મૂડ સ્વિંગ્સ, તાણ અને અન્ય માનસિક પરેશાનીઓનું કારણ બની શકે છે.

અન્ય આરોગ્ય સમસ્યાઓ: મિસકેરેજ પછી મહિલાઓને ઈન્ફેક્શન અથવા અન્ય આરોગ્યની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો સર્જરી થઈ હોય તો એનાથી પીડા તથા અન્ય જટિલ મુશ્કેલીઓ આવે છે.

માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ

દુઃખ અને શોક: ઘણી વખત ગર્ભપાત થવાથી જીવનસાથી સાથે પણ થોડા સમય માટે સંબંધમાં અણગમો આવી જાય છે જે ગાઢ દુઃખનું કારણ બને છે.

અપેક્ષાઓનો તણાવ: પરિવારમાં, સમાજમાં, અથવા નજીકના સંબંધોમાં નવા બાળકના આવવાની અપેક્ષાઓ સાથે મિસકેરેજને લીધે લાગણીઓ અને સંબંધોમાં તણાવ અનુભવાય છે.

સ્વ-દોષ અને ડિપ્રેશન: ઘણી વખત મહિલાઓ મિસકેરેજ માટે પોતાને જ જવાબદાર માને છે, ભલે એ બિનજરૂરી હોય. આ પ્રકારની ભાવનાઓ વ્યક્તિને વધુ તણાવમાં મૂકી શકે છે. ખાસ કરીને જો એ પ્રથમ ગર્ભાવસ્થા હોય અથવા લગ્નના લાંબા સમય પછી પ્રેગેન્સી રહી હોય એવા સમયમાં મહિલાને જાત પ્રત્યે નફરત થઈ જાય છે. જે સ્વને દોષિત માનવા લાગે છે.

ભય: એક કે બે વખત મિસકેરેજ થયું હોય તો ઘણી વખત મહિલાઓ ફરીથી પ્રેગ્નેન્ટ રહે ત્યારે ભય અને ચિંતા અનુભવતી હોય છે કે ફરીથી મિસકેરેજ ન થાય.

સામાજિક સંબંધિત તણાવ

સામાજિક દબાણ: મિસકેરેજ પછી સમાજમાંથી ઘણું દબાણ આવતું હોય છે. કુટુંબ અને મિત્રો સાથેની ચર્ચા અથવા સહાનુભૂતિને કારણે પણ મહિલાઓને વધુ તણાવ થાય છે.

લગ્નજીવનમાં તણાવ: મિસકેરેજના દુઃખના કારણે દંપતિઓ વચ્ચેના સંબંધમાં તણાવ આવી શકે છે, ખાસ કરીને જો દુઃખની પ્રક્રિયા બંને માટે જુદી હોય.

 

સુવાવડની પીડા કરતા પણ વધુ મિસકેરેજનું દર્દ

‘જે લોકો ગર્ભપાત માટે મહિલાને જ જવાબદાર માને છે, એ મારી દ્રષ્ટિએ તો પાપ કરે છે.’ આ શબ્દો છે અમદાવાદના દક્ષાબહેન દવેના. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એ કહે છે, વિશ્વની કોઈ માતા એમ ન ઈચ્છે કે એને ગર્ભપાત થઈ જાય. સુવાવડની પીડા કરતા પણ વધુ મિસકેરેજનું દર્દ હોય છે. પરંતુ આવા સમયે સમાજ, પરિવાર કે ઘણીવાર પોતાના જ કહેવાતા લોકો સમજી નથી શકતા. જે મહિલા પહેલેથી જ પોતાના બાળકને ગુમાવવાનું દુઃખ સહન કરી રહી હોઈ એને એમ કહેવામાં આવે છે કે તે બરાબર ધ્યાન ન રાખ્યું માટે જ તારે મિસકેરેજ થયું. આ યોગ્ય નથી. જ્યારે સ્ત્રીને એવી ખબર પડે છે કે એ માતા બનવાની છે ત્યારે એને સ્વર્ગ કરતા પણ વધારે સુખનો અહેસાસ થાય છે અને જ્યારે એનો ગર્ભપાત થાય ત્યારે એની પર આભ ફાટે છે. આવા સમયે પરિવાર, પતિ અને આસપાસના લોકોની લાગણીની જરૂર હોય છે. અફસોસ કે આજે પણ લોકોને આ વાત સમજાતી નથી.’

ગર્ભાવસ્થા જીવનનો સુંદર તબક્કો છે તો કસુવાવડ સ્ત્રીના જીવનનો સૌથી કપરો સમય છે. એક અંદાજ પ્રમાણે આપણા દેશમાં વીસ ટકા ગર્ભાવસ્થા કસુવાવડમાં પરિણમે છે. મિસકેરેજનાં ત્રણ કારણો હોઈ શકે છે. પહેલાં ત્રણ મહિનાની અંદર બ્લીડિંગ શરૂ થઈ જવું, ઓટોઇમ્યુન ડિસઓર્ડરના લીધે જન્મતાં પહેલાં જ બાળકનું મૃત્યુ અને ત્રીજું પ્રોજેસ્ટરોન હોર્મોન અથવા યુટ્રસને લગતી સમસ્યા.

પહેલા ત્રિમાસિકમાં કસુવાવડ થવાનું જોખમ વધુ છે. ઓટોઇમ્યુન ડિસઓર્ડરમાં માતાનું શરીર બાળકને સ્વીકારતું નથી. માતાના શરીરમાં એબ્નોર્મલ ઍન્ટિબોડીઝ તૈયાર થવા લાગે છે. આ કન્ડિશનમાં વારંવાર એબોર્શનની શક્યતા વધી જાય છે. ગર્ભધારણ કરવા માતાના શરીરમાં પ્રોજેસ્ટરોન હોર્મોનનો સપોર્ટ અત્યંત જરૂરી છે. આ હોર્મોનની માત્રા ઓછી હોય ત્યારે કસુવાવડ થઈ જાય છે. આ ઉપરાંત યુટરસને લગતી કોઈ સમસ્યામાં પણ વારંવાર કસુવાવડ થવાનું જોખમ રહેલું છે. એક વાર કસુવાવડની પીડામાંથી પસાર થઈ ગઈ હોય એવી માતાએ બીજી વાર ગર્ભધારણ કરતાં પહેલાં ડોક્ટર પાસે કેટલાંક પરીક્ષણ કરાવી લેવાં જરૂરી છે. પ્રોજેસ્ટરોન હોર્મોનની સમસ્યા હોય તો ટેબ્લેટ્સ અથવા ઇન્જેક્શન લેવાની સલાહ આપવામાં આવે છે. હોર્મોનના પાવરથી બેબી ડેવલપ થાય છે. વારંવાર કસુવાવડમાં માત્ર માતાની જ નહીં પિતાની સારવાર પણ કરવી પડે છે.

જો કે એક વાત અહીં સમજવી અત્યંત જરૂરી છે કે કસુવાવડ થવી એમાં મહિલાનો વાંક નથી. સમય અને સંજોગ કામ કરે છે માટે જે સ્ત્રી આ કપરી સ્થિતિમાંથી પસાર થતી હોય એમને લાગણીની જરૂર હોય છે. જો એ ન આપી શકીએ તો કમસેકમ એમના પર પોતાના જ બાળકનું ધ્યાન ન રાખવાના ખોટા આક્ષેપો તો ન જ કરી શકાય.

ભાજપે હરિયાણામાં 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 21 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. બે મુસ્લિમ ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી છે. બીજી યાદી સાથે, ભાજપે હરિયાણાની 90માંથી 88 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા. પ્રથમ યાદીમાં 67 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. હજુ બે બેઠકો પર જાહેરાત થવાની બાકી છે.

વિનેશ ફોગટને કોણ આપશે ટક્કર ?

પાર્ટીએ ફિરોઝપુર ઝિરકા સીટથી નસીમ અહેમદ અને પુનાના સીટથી એઝાઝ ખાનને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે જુલાના સીટ પર કેપ્ટન યોગેશ બૈરાગીને મેદાનમાં ઉતાર્યા છે. રેસલર વિનેશ ફોગાટ અહીંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે.

 

BJP રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ કરશે

શીખો અંગે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે ભારે નારાજગી વ્યક્ત કરી છે. પાર્ટીએ કહ્યું છે કે રાહુલ ગાંધી તેમના વિદેશ પ્રવાસ દરમિયાન ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટીએ કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે શીખો માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે અને શીખ સમુદાય દેશમાં સંપૂર્ણ સન્માન સાથે જીવી રહ્યો છે અને દેશને આગળ લઈ જવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. કરતારપુર કોરિડોર ખોલવાની સાથે, કેન્દ્ર સરકારે શીખોનું સન્માન વધારવા માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે. પાર્ટી અનુસાર, રાહુલ ગાંધીએ વિદેશમાં કોઈપણ પ્રકારની ખોટી રજૂઆત કરવાથી બચવું જોઈએ. પાર્ટીના નેતા સરદાર આરપી સિંહે કહ્યું છે કે તેઓ રાહુલ ગાંધીના નિવેદન સામે કોર્ટમાં જશે.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 1984માં એક સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે શીખોનો નરસંહાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ આમાં સામેલ હતા અને આ હુમલાઓમાં 3000 થી વધુ શીખો માર્યા ગયા હતા. આના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાની ભૂલ સ્વીકારવાને બદલે બીજા પર સવાલો ઉઠાવી રહ્યા છે. પુરીએ કહ્યું કે વિપક્ષના નેતા હોવાના કારણે તેઓ બંધારણીય પદ ધરાવે છે. આ પછી પણ રાહુલ ગાંધી વિદેશમાં ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ આવી ક્રિયાઓ ટાળવી જોઈએ.

MSME સેક્ટર માટે સારા સમાચાર, 100ની જગ્યા પર 150 કિલોવોટ સુધી મળશે ફ્રી વીજળી

MSME સેક્ટરને બુસ્ટર આપવા માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ અગાઉ MSME સેક્ટરને બુસ્ટર આપવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી નીતિ હેઠળ 100 કિલોવોટ સુધીની એલટી કનેક્શન ધારકોની મર્યાદા હતી. જે હવે વધારી 150 કિલોવોટ સુધી કરવામાં આવી છે. જેનો અમલ સૌથી પહેલાં ગુજરાત રાજ્યથી કરવામાં આવશે. એલટી કનેક્શનધારકોને આપવામાં આવેલી રાહતથી નાના એકમોને મોટો આર્થિક ફાયદા સ્વરૂપ બનશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા ભાગરૂપે નાના અને મધ્યમ કદના એકમોને બુસ્ટ આપવો જરૂરી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટકલી યોજના પણ અમલમાં મુકવામાં આવી છે. આ ઉપરાંત એમએસએમઈ સેક્ટરના ઉદ્યોગો મોટાભાગે એલટી (લો ટેન્શન) કનેક્શન જ ધરાવતા હોય છે. જેની મર્યાદા 100 કિલોવોટ (કેવીએ)ના કારણે ઘણાં એકમો તેમની ઉત્પાદન ક્ષમતા વધારી શકતા નથી. જેના કારણે એકમોને એચટી (હાઈ ટેન્શન) કનેક્શન લેવું ફરજિયાત બની જાય છે.

એચટી કનેક્શનના કારણે જે-તે એકમોએ પોતાનું ટ્રાન્સફોર્મર લેવું અનિવાર્ય બની જાય છે. તેમજ ઈલેક્ટ્રિકલ ઈન્સ્પેક્શન કરાવવું, સીટીપીટી જંક્શન બોક્સ લગાવવું, ટ્રાન્સફોર્મર માટે જગ્યા ફાળવવા સહિતના અનેક કામોના કારણે એલટી કનેક્શન ધારકોને આર્થિક બોજ પડતો હતો. જેના માટે 100 કેવીએ પાવરની મર્યાદા વધારવા વર્ષોથી ઔદ્યોગિક સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી. કેન્દ્ર સરકારની નીતિ અંતર્ગત સૌપ્રથમ ગુજરાતમાં એલટી કનેક્શન ધારકોને 100 કેવીએ પાવરની મર્યાદી વધારી 150 કેવીએ કરવામાં આવી છે. જે અંગેનું સૈદ્ધાંતિક જાહેરનામું બહાર પાડી દેવાયું છે. જોકે, જર્કની મંજૂરી મળતાં જ એલટી કનેક્શન ધારકો કોઈપણ જાતના વધારાના ખર્ચ વિના 150 કેવીએ સુધીનો વપરાશ કરી શકશે.

કાનપુર, અજમેર પછી સોલાપુરમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં કાલિન્દી એક્સપ્રેસને ઉડાવવાના કાવતરા પછી  રાજસ્થાનના અજમેર અને  મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ માલગાડી ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર  જિલ્લાના કુર્ડુવાડી સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર સિમેન્ટનો મોટો પથ્થર મળ્યો છે. લોકો પાઇલટની સાવધાનીથી દુર્ઘટના ટળી ગઈ. આ મામલે રેલવેના સિનિયર સેક્શન એન્જિનિયરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અત્યાર સુધી 30 લોકોની પોલીસે ધરપકડ કરી છે.

સોલાપુર જિલ્લાના કુર્ડુવાડી રેલવે સ્ટેશનથી લગભગ 700 મીટર પૂર્વ દિશામાં એક સિગ્નલ પોઇન્ટની પાસે રેલવે ટ્રેક પર દુર્ઘટનાના ઇરાદે સિમેન્ટનો એક મોટો પથ્થર મૂકવામાં આવ્યો હતો. આ મામલે સિનિયર સેક્શન એન્જિનિયર કુંદન કુમારે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ દરમિયાન લોકો પાયલટ રિયાઝ શેખ અને જેઈ ઉમેશ બ્રધર ઇલેક્ટ્રિક રેલવેના ઓવરહેડ વાયરની સારસંભાળ માટે ટાવર વેગનને સોલાપુરથી કુર્ડુવાડી લાવી રહ્યા હતા. તેમણે ટ્રેક પર એક પથ્થર જોયો તો ટ્રેનને લગભગ 200 મીટરના અંતરે જ રોકી દીધી અને સંબંધિત રેલવે અધિકારીઓને તેની માહિતી આપી. આ મામલે પોલીસે કેસ નોંધી લીધો છે અને આગળની તપાસ કરી રહી છે.

આ પહેલા રાજસ્થાનના અજમેરમાં પણ ટ્રેનને ઉથલાવવાનું કાવતરું ઘડવાનો મામલો સામે આવ્યો છે. અજમેરના સરધનામાં રવિવાર રાત્ર રેલવે ટ્રેક પર 70 કિલોના સિમેન્ટના બે બ્લોક મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. રાહતની વાત એ રહી કે ટ્રેન સિમેન્ટ બ્લોકને તોડતી આગળ નીકળી ગઈ અને કોઈ મોટી દુર્ઘટના થઈ નહીં. આ અંગે કર્મચારીઓએ માંગલિયાવાસ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. આ મામલે પણ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

ચાઈનીઝ લસણ વિવાદ વકર્યો, માર્કેટ યાર્ડમાં લસણના સોદા બંધ થયા

રાજકોટ: ઉપલેટાના ચાઈનીઝ લસણથી ગત સપ્તાહે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં વિવાદના વંટોળ ઊભા થયા હતા. જે વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં લસણનું કામકાજ બંધ છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઉપલેટાથી ચાઈનીઝ લસણ ઘુસાડવામાં આવ્યું હતુ. ચાઈનીઝ લસણ મામલે વિરોધ થતાં રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે લસણના સોદા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

એક બાજું માર્કેટિંગ યાર્ડમાં લસણ મુદ્દે કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ ચાઈનીઝ લસણ મુદ્દે ખેડૂતોમાં પણ ભારોભાર નારાજગી અને રોષ છે. તેમજ ગોંડલમાં ચાઈનીઝ લસણની આવકના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજકોટ સહિતના માર્કેટયાર્ડમાં લસણનો વેપાર બંધ છે. માર્કેટયાર્ડમાં લસણની હરાજી કરવામાં આવશે નહિ. ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા અપીલ કરાઇ છે. વાત એમ છે કે ગત સપ્તાહે ઉપલેટાના ખેડૂત ચાઈનીઝ લસણ વેચવા લાવ્યા હતા. ગોંડલમાં આવેલા ચાઇનીઝ લસણને લઈ રાજકોટમાં પણ લસણની હરાજી બંધ રહેશે.

ભારતમાં ચાઈનીઝ લસણની આયાત ઉપર દાયકાથી પ્રતિબંધ છે, તેમ છતાં ગોંડલમાં ચાઈનીઝ લસણની ચાર-પાંચ ગુણી ઠલવાઈ જતા જ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોમાં રોષ જાગ્યો છે. રાજકોટ યાર્ડના વેપારી એસોસિએશને ગોંડલમાં મળી આવ્યું તે લસણ મોટા કન્ટેનર ચીનથી ઠલવાઈ ગયા હોય તે પૈકીનું હોવાની શક્યતા છે. સરકાર આ અંગે ઉંડી તપાસ કરીને આયાત અટકાવે તેવી માંગ સાથે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં લસણની હરાજી બંધ રાખીને વિરોધ કરવાનું એલાન અપાયું છે. ગોંડલ યાર્ડમાં 750 કિલો ચીનનું લસણ કોણ લાવ્યું અને યાર્ડના સત્તાધીશોએ કેમ લાવવા દીધું તે અંગે પણ સવાલ ઉઠયો છે.