Home Blog Page 1546

બોર્ડર 2માં વરુણ ધવનની એન્ટ્રી, સની દેઓલે વીડિયો કર્યો શેર

મુંબઈ: ‘બોર્ડર 2’ની ટીમે શુક્રવારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે વરુણ ધવન પણ ફિલ્મમાં જોવા મળશે. 1997ની હિટ ફિલ્મની સિક્વલ સની દેઓલના નિર્દેશનમાં બની રહી છે. સનીએ સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા જાહેરાત કરી છે, જેમાં બ્રેકગ્રાઉન્ડમાં વરુણ ધવનનો અવાજ સંભળાઈ રહ્યો છે. વીડિયોમાં તે કહે છે,’મારે જય હિંદ કહીને દુશ્મનની દરેક ગોળી સામે લડવું પડશે, જ્યારે પૃથ્વી માતા બોલાવે છે ત્યારે હું બધું છોડીને પાછો આવું છું.’ પોસ્ટમાં વધુમાં જણાવાયું છે કે આ ફિલ્મ 23 જાન્યુઆરી, 2026 ના રોજ પ્રજાસત્તાક દિવસ દરમિયાન રિલીઝ થવાની છે.

વરુણ ધવને તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો અને એક લાંબી પોસ્ટ લખી, જેમાં લખ્યું હતું કે,’હું ચોથા ધોરણમાં હતો ત્યારે હું ચંદન સિનેમા ગયો અને બોર્ડર જોઈ હતી. એ દરમિયાન આપણે બધાએ અનુભવેલી રાષ્ટ્રીય ગૌરવની લાગણી મને હજુ પણ યાદ છે. મેં આપણા સશસ્ત્ર દળોને જોવાનું શરૂ કર્યું અને હું સલામ કરું છું કે તેઓ કેવી રીતે આપણું રક્ષણ કરે છે અને આપણને સુરક્ષિત રાખે છે, પછી તે આપણી સરહદો પર હોય કે કુદરતી આફતો દરમિયાન જે.પી. દત્તા સરની યુદ્ધ હજી પણ મારી પ્રિય ફિલ્મોમાંની એક છે. જેપી સર અને ભૂષણ કુમારની બોર્ડર 2 માં કામ કરવું એ મારી કારકિર્દીની ખૂબ જ ખાસ ક્ષણ છે. મને મારા હીરો સની પાજી સાથે કામ કરવાનો મોકો મળ્યો, જેણે તેને વધુ ખાસ બનાવ્યો.’

બોર્ડર 2 માં વરુણ ધવન
‘બોર્ડર 2’ એ ભારતની સૌથી ભવ્ય યુદ્ધ ફિલ્મ બનવાનું વચન આપે છે, જે એક શક્તિશાળી વાર્તા અને સ્ટાર-સ્ટડેડ કાસ્ટ સાથે તેનો વારસો ચાલુ રાખે છે. આ ફિલ્મમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં હતો. તે આ ફિલ્મનું નિર્દેશન કરશે અને વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

‘બોર્ડર 2’ ક્યારે રિલીઝ થશે?
ફિલ્મ પ્રજાસત્તાક દિવસના સમયે રિલીઝ થાય એ રીતે’બોર્ડર 2′ ભારતીય સિનેમામાં એક મોટી ફિલ્મ બનવાની તૈયારીમાં છે, જે એક મનોરંજક વાર્તા અને હાઇ-ઓક્ટેન એક્શન દ્વારા દેશના બહાદુરી અને ઇતિહાસની ઉજવણી કરે છે. ચાહકો ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે એક શાનદાર કલાકારો સાથે બનાવવામાં આવી રહી છે અને ભારતના લશ્કરી વારસાનું સન્માન કરે છે.

અનુરાગ સિંહની ફિલ્મો
આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે અગાઉ ‘કેસરી’,’પંજાબ 1984′, ‘જટ્ટ એન્ડ જુલિયટ’ અને ‘દિલ બોલે હડિપ્પા!’ જેવી ફિલ્મો બનાવી છે.

ભારતે લોન્ચ કર્યો પહેલો રિયુઝેબલ હાઇબ્રિડ રોકેટ RHUMI 1

નવી દિલ્હીઃ ભારતે તામિલનાડુ સ્થિત સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત પહેલો હાઇબ્રિડ રોકેટ RHUMI 1 લોન્ચ કરી દીધો છે. ત્રણ ક્યુબ સેટેલાઇટ અને 50 PICO સેટેલાઇટને લઈ નારા RHUMI રોકેટનું પ્રક્ષેપણ શનિવારે ECR પર ચેંગલપેટના થિરુવિડંઘઈ તટીય ગામમાંથી થયું. આ હાઇબ્રિડ રોક્ટ ભારતની અંતરિક્ષ યાત્રામાં એક ઉલ્લેખનીય ઉપલબ્ધિ છે.

RHUMI-1ને તામિલનાડુ સ્થિત સ્ટાર્ટ-અપ સ્પેસ ઝોન ઇન્ડિયા દ્વારા માર્ટિન ગ્રુપના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. આ રોકેટ અવકાશમાં જઈને સંશોધન કરશે. RHUMI-1માં ત્રણ ક્યુબ સેટેલાઇટ અને 50  PICO સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા છે. જે સબ-ઓર્બિટલ ટ્રેજેક્ટરીમાં છોડવામાં આવે છે. આ સેટેલાઇટ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જનો અભ્યાસ કરશે અને ડેટા મોકલશે. RHUMI-1માં સામાન્ય-ઇંધણ આધારિત હાઇબ્રિડ મોટર અને ઈલેક્ટ્રિકલી ટ્રિગર પેરાશૂટ ડિપ્લોયરથી સજ્જ છે.

સેટેલાઇટ છોડ્યા બાદ પેરાશૂટની મદદથી રોકેટ પાછું નીચે આવશે. RHUMI-1માં પાયરોટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આનંદ મેગાલિંગમે RHUMI-1 રોકેટ મિશન પૂર્ણ કર્યું છે. આનંદ સ્પેસ ઝોન કંપનીના સ્થાપક છે. તેમણે આ રોકેટ અને સમગ્ર મિશન બનાવવા માટે ISRO સેટેલાઈટ સેન્ટરના પૂર્વ ડિરેક્ટર ડો. એમ. અન્નાદુરાઈનું માર્ગદર્શન લીધું છે.

RHUMI-1 રોકેટમાં લિક્વિડ અને સોલિડ ફ્યુઅલ પ્રોપેલન્ટ સિસ્ટમ છે. જેથી ઓપરેશનલ ખર્ચ ઘટે અને ક્ષમતા વધે. સ્પેસ ઝોન ઇન્ડિયા એ એરો-ટેક્નોલોજી કંપની છે. તે સ્પેસ ઈન્ડસ્ટ્રીને ઓછા ખર્ચે યોગ્ય ટેક્નોલોજી અને સુવિધાઓ આપવા માંગે છે. RHUMI-1 રોકેટનું કુલ વજન 80 કિલો છે. તેમાંથી 70 ટકાનો ફરીથી ઉપયોગ કરી શકાય છે.

શું એની ખાસિયત?

RHUMI-1ને બનાવવા માટે કેટલીક અત્યાધુનિક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એની ફ્લેક્સિબિલિટી અને રિયુજેબિલિટી પર ભાર આપવામાં આવ્યો છે. એની મુખ્ય ક્ષમતાઓમાં એક એડજેસ્ટેબલ લોન્ચ એન્ગલ છે, જેને 0 અને 120 ડિગ્રીની વચ્ચે ક્યાંક સેટ કરવામાં આવે છે, જેની ટ્રેજેક્ટરી પર સટિક કન્ટ્રોલ કરી શકાય છે.

 

અમદાવાદમાં ભારે બફારા બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં સતત ત્રીજા દિવસે નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સતત બફારા બાદ અમદાવાદમાં મેઘ મહેરથી શહેરમાં ઠંડક પ્રસરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. શુક્રવારે મેમ્કો-નરોડા વિસ્તારમાં બે ઈંચ ઉપરાંત વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ભરાયા હતા. જ્યારે આજે વહેલી સવારથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થઇ ગયું છે. તો બીજી તરફ મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે.

શહેરમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે સવારે 6 વાગ્યાથી લઇને 10 વાગ્યા સુધીમાં સરેરાશ પોણો ઇંચથી લઇને બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરના નરોડા વિસ્તારમાં 4 કલાકમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે કોતરપુર અને મેમ્કો અને ચાંદખેડામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ સાયન્સ સીટી અને ગોતામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સરખેજ, મકરબા, પ્રહ્લલાદ નગર, વેજલપુર, જીવરાજ પાર્ક, ગોતા, શ્યામલ, સાયન્સ સિટી, થલતેજ, બોપલ, ઘુમા, શિલજ, સેટેલાઇટ, ચાંદખેડા, રાણીપ, વાડજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાણક્યપુરી, નરોડા, કુબેરનગર, એરપોર્ટ, કોતરપુર, મેમ્કો, સૈજપુર સહિત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસસ્યો છે.

ગુજરાત અમદાવાદ સહિત 154 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યાં સુરતમાં પણ ફરી મેઘરાજાનું આગમન થયું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તો બીજી બાજુ વડોદરા શહેરમાં ગતરોજ વરસેલા છુટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી જ શહેરમાં વરસાદી પડી રહ્યો છે. દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 4.40 ઈંચ વરસાદ નોંધાયો છે. નડીયાદ અને મેધરાજમાં 4 ઈંચ, બગસરામાં 3.81 ઈંચ, મહુધામાં 3.62 ઈંચ, દેહગામમાં 3.54 ઈંચ, અમીરગઢમાં 3.50 ઈંચ અને ગોધરમાં 3.26 ઈંચ જોટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ પ્રમાણે આજે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 25મી ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતના બાકી વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ નોંધવાની શક્યતા છે.

આદ્ય કવિ નર્મદની જન્મજયંતિ નિમિત્તે આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

અમદાવાદ: ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી એવા નર્મદા લાભશંકર દવે ‘નર્મદ’ની યાદમાં 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ‘જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત…’ જેવા લોકપ્રિય કાવ્ય ગુજરાતી ભાષાને આપનાર અર્વાચીન ગુજરાતી કવિતાના આદ્ય કવિ એવા નર્મદાશંકર લાલશંકર દવેની આજે 191મી જન્મજયંતી છે. ભારતમાં ગુજરાતી ભાષા 6ઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે, જે દેશની કુલ વસ્તીના 4.5 ટકા થાય છે. 6 કરોડ લોકો દ્વારા બોલાતી ભાષા ગુજરાતી આજે વિશ્વ ફલક પર છે.વધતા જતા વૈશ્વિકરણ અને શિક્ષણના વધેલા વ્યાપને કારણે ગુજરાતમાં પણ અંગ્રેજીનું મહત્વ વધ્યું છે ત્યારે ગુજરાતી ભાષાના સમૃદ્ધ વારસાના જતન સાથે તેનો વ્યાપ વધારવા આજે વિશ્વ ગુજરાતી ભાષા દિને સૌ ગુજરાતીઓએ ભાષાની જાળવણી અને સંવર્ધન માટેનો સંકલ્પ લેવો અત્યંત આવશ્યક છે. ગુજરાતી ભાષા આ દિવસની ઉજવણીનો હેતુ કવિ નર્મદના અમૂલ્ય યોગદાનનું સ્મરણ કરવા ઉપરાંત ગુજરાતી ભાષાની સુંદરતાને વિશ્વફલકમાં ફેલાવવાનો પણ છે. સુરતમાં જન્મેલા કવિ નર્મદનું આયુષ્ય ભલે માત્ર 53 વર્ષનું રહ્યું, પરંતુ તેમણે ગુજરાતી ભાષાના સાહિત્યને નવી દિશા આપી હતી. 24 ઓગસ્ટ 1833માં જન્મેલા આ કવિએ ગુજરાતી ભાષાના લેખનનો પાયો નાખ્યો છે. નર્મદે લખેલી આત્મકથા ‘મારી હકીકત’ એ ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા માનવામાં આવે છે.રાજ્યમાં પણ ગુજરાતી ભાષાનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નવતર આયામો હાથ ધરીને આપણી ભાષાના સમૃદ્ધ વારસાના જતન માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સૌ ગુજરાતીઓ પણ પોતાનું યોગદાન આપે તો જ આ દિવસની ઉજવણી સાર્થક થશે તેમજ ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં વધારો થશે.ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021માં શરૂ કરવામાં આવેલી “ગુજરાતી ભાષા પ્રચાર યોજના” જેવી પહેલ થકી ગુજરાતી ભાષા અને તેના જાજરમાન વારસાને સક્રિયપણે આગળ વધારવાનું કાર્ય કર્યું છે. આ સર્વગ્રાહી પહેલનો મુખ્ય હેતુ ગુજરાતી ભાષાના વર્ગો, સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત સાહિત્યિક કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ભાષા શિક્ષણને સમૃદ્ધ બનાવવાનો છે. જે ભાષાના વિકાસ માટે રાજ્યનું સમર્પણ ચરિતાર્થ કરે છે. ગુજરાતી ભાષા સરળ રીતે શીખવવા માટે અને તેને સુસંગત બનાવવા માટે આ યોજના મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

તસવીરોમાં જુઓ ભગવાન શ્રી કૃષ્ણની નગરી બેટ દ્વારકાની કેવી થશે કાયાપલટ?

જામનગર: બેટ દ્વારકાને ભવ્ય ‘સુદર્શન સેતુ’ના નિર્માણ બાદ જમીન માર્ગે જોડ્યા બાદ આ તીર્થ સ્થળ તેમજ આસ્થાની સાથે પૌરાણિક માહાત્મ્ય ધરાવતી ભગવાન શ્રી કૃષ્ણની પ્રસિદ્ધ નગરીની વૈશ્વિક સ્તરે કાયાપલટ કરવા રાજય સરકારના પ્રવાસન નિગમે આયોજન હાથ ધર્યુ છે.‘સુદર્શન સેતુ’ના નિર્માણ બાદ યાત્રાળુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાના કહેવા મુજબ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ત્રણ તબક્કાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં મંદિર પરિસર, બીચ અને તેની આસપાસના વિસ્તારોને ડેવલપ કરવામાં આવશે. આ આયોજનના પ્રથમ તબક્કામાં વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૫૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે. હાલ, ટેન્ડરિંગની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.
બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં દ્વારકાધીશજી મંદિર ડેવલપમેન્ટ, સ્ટ્રીટ બ્યુટિફિકેશન, હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ, શંખનારાયણ મંદિર અને તળાવ ડેવલપમેન્ટ, નોર્થ બીચ ડેવલપમેન્ટ-પબ્લિક બીચ, ટૂરિસ્ટ વિઝિટર સેન્ટર અને હાટ બજાર અને હિલ્લોક પાર્ક વીથ વ્યૂઈંગ ડેક બનાવવામાં આવશે.મંદિર પરિસર અને તેની આજુબાજુના પ્રાંગણનો વિકાસ કરી મંદિર પરિસરમાં યાત્રાળુઓ સરળતાથી પ્રવેશી શકે એ માટે ચાર દિશાઓમાં ભવ્ય પ્રવેશ દ્વાર બનાવાશે. મુખ્યત્વે સુદામા સેતુથી બેટ દ્વારકા ગામ તરફ આવતા રસ્તાને એટલે કે દરિયાઈ માર્ગેથી મુખ્ય પ્રવેશ સુધીનો રસ્તો અને જાજરમાન દ્વાર બનશે.અહીં યાત્રાળુઓ માટે મંદિર સામગ્રીની ચીજ વસ્તુઓ, ખાણી-પીણીના સ્ટોલ, લોકલ આર્ટ અને ક્રાફ્ટને પ્રમોટ કરતી દુકાનો તથા જીવનજરૂરિયાત વસ્તુઓને લગતી દુકાનો પણ બનાવામાં આવશે. અન્ય સુવિધાઓમાં મોબાઈલ અને પગરખાં મૂકવાની લોકર સુવિધા, પ્રસાદ વિતરણ કેન્દ્ર તથા કોમન ટોઈલેટ્સની સુવિધા ઊભી કરાશે. આ સાથે અત્યાધુનિક ફેસેલિટીવાળી ભોજનશાળા અને સભા, ભજન-કીર્તન કરવા માટે બે મલ્ટીપર્પઝ હોલ પણ બનાવાશે.ત્યારબાદ, બીજા તબક્કામાં અતિ પ્રસિદ્ધ દાંડી હનુમાન મંદિરના વિકાસનું આયોજન હાથ ધરાશે. મંદિરની સુવિધામાં વધારો કરાશે. તેમજ પાસેના બીચ ડેવલપમેન્ટ, અભય માતા મંદિર અને સનસેટ પાર્ક, નેચર એન્ડ મરીન ઇન્ટરપ્રેશન સેન્ટર, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, કમ્યુનિટી લેક ડેવલપમેન્ટ બનાવવામાં આવશે. છેલ્લા અને ત્રીજા તબક્કામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અને લેક અરાઈવલ પ્લાઝા તૈયાર કરવામાં આવશે.બેટ દ્વારકા આવતા યાત્રિકો માટે ભવિષ્યમાં બીચથી મંદિર સુધી શટલ સર્વિસ, ઈવ્હીકલ, ડોલ્ફિન વ્યૂઈંગ માટે ફેરી સર્વિસ, ઓડિયો વિઝુઅલ પ્રદર્શન, સ્કિલ ડેવલપમેન્ટ અને ગાઈડ ટ્રેનિંગ વગરે ડેવલપ કરવામાં આવશે.બેટ દ્વારકામાં આવેલ નોર્થ બીચ શિયાળાની ઋતુમાં ‘ડોલ્ફિન’ નિહાળવા માટે જાણીતો છે. અહીં અનોખો ‘પદમ’ નામનો શંખ મળે છે જેથી આ બીચને ‘પદમ બીચ’ પણ કહેવામાં છે. માસ્ટર પ્લાન મુજબ આ બીચ પર પાર્કિંગ, ખાણી-પીણીના સ્ટોલ, બાળકો માટે રમત-ગમતના સાધનો, બેસવાની સુવિધા અને બાથરૂમ-ટોઈલેટ જેવી પાયાની સુવિધાઓ ઊભી કરાશે. આ નોર્થ બીચ પર ટૂરિસ્ટો માટે મનોરંજનની અને સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો માણી શકશે તે માટે સુવિધાઓ ઉભી કરાશે.બેટ દ્વારકાના પ્રખ્યાત હિલ્લોક પાર્કને પણ યાત્રાળુઓ ‘સૂર્યોદય અને સૂર્યાસ્ત’નો નયનરમ્ય નજારો જોઈ શકે તે માટે ‘પબ્લિક પાર્ક’ તરીકે વિકસાવાશે. અહીંથી સુદામા સેતુનો નયનરમ્ય વ્યૂ જોવા મળશે. આ પાર્કમાં પણ ખાણીપીણીના સ્ટોલ, સ્પેશિયલ લેન્ડસ્કેપ, બોર્ડવોક, વોકવે અને કોમન ટોઈલેટ્સ જેવી સુવિધા ઊભી કરાશે.

(પાર્થ સુખપરિયા – જામનગર)

મને ફિલ્મ કરવામાં કે કમબેક કરવામાં કોઈ રસ નથી, આયેશાનો ટ્રોલર્સને વળતો જવાબ

મુંબઈ: બોલિવૂડની ‘ટાર્ઝન ગર્લ’ અને ‘વોન્ટેડ’ ફેમ આયેશા ટાકિયા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. જો કે, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેની પોસ્ટ્સ માટે સતત સમાચારમાં રહે છે, ખાસ કરીને તેના ટ્રાન્સફોર્મેશનને લઈને. છેલ્લા કેટલાક વર્ષોમાં આયેશા ટાકિયાના દેખાવમાં ઘણો બદલાવ આવ્યો છે. અભિનેત્રીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેના બે રીલ વીડિયો શેર કર્યા છે, જેમાં તે કાંજીવરમ સાડીમાં જોવા મળી રહી છે. આયેશાના ગળામાં હાર પણ છે. એક તરફ, ચાહકો તેના લુકના વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષોમાં તેના પરિવર્તન પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે. જો કે, ચાહકો હજી પણ આયેશાની ક્યુટનેસ પર ફિદા છે અને તેને ‘ઇન્ડિયન બાર્બી ડોલ’ કહીને બોલાવે છે.

આયેશા ટાકિયા 38 વર્ષના છે. 2009 માં તેણીએ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતાં. આયેશાની છેલ્લી ફિલ્મ ‘મોડ’ 2011માં રિલીઝ થઈ હતી. ખેર હાલ તે પોતાના કામને લઈને નહીં પણ લુકને લઈ ચર્ચામાં છે. આયેશાએ ઈન્સ્ટાગ્રામ પર કાંજીવરમ સાડીમાં બે પોસ્ટ શેર કરી છે. હવે આના પર ચાહકો ભરપૂર કોમેન્ટ્સ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું છે,’તમે સારા દેખાઈ રહ્યા છો. પરંતુ કુદરતી સૌંદર્ય હંમેશા પર્ફેક્ચ હોય છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘તે સુંદર છોકરી હવે ના મળી શકે.. આમ પણ ,.. ભગવાન તમારું ભલું કરે અને હસતા રહો.’

આયેશા ટાકિયાનો ટ્રાન્સફોર્મેશન લુક ગયા વર્ષે પણ ચર્ચામાં રહ્યો હતો. ત્યારબાદ ઘણા યુઝર્સે લખ્યું કે અભિનેત્રીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. આ વખતે પણ એવું જ થયું છે. અન્ય એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, ‘વોન્ટેડના સમયથી અમે તમારા પ્રશંસક છીએ. પરંતુ તમે પ્લાસ્ટિક સર્જરી દ્વારા તમારો દેખાવ ઘણો બગાડ્યો છે. જો કે, આયેશાની ક્યૂટનેસના વખાણ કરતી પણ કેટલીક કમેન્ટ છે. એક ચાહકે લખ્યું છે કે,’તમે એક સમયે બોલિવૂડની ક્વીન હતા. તને મારા બાળપણનો પ્રેમ હતા. તમે ભારતીય બાર્બી છો.’

આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આયેશા ટાકિયા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ત્યારબાદ તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા. તેના બદલાયેલા લુક પર કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કર્યા હતા. જોકે, તેના એક દિવસ બાદ જ આયેશાએ આવા ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી નોટ લખી છે. આમાં તેણે કહ્યું, ‘એવું લાગે છે કે દેશમાં કોઈની પાસે મારા લૂકને લઈને ટ્રોલ થવા સિવાય અન્ય કોઈ મહત્વનો મુદ્દો નથી… લોકો ચિંતિત છે કે મારે કેવું દેખાવું જોઈએ અને કેવું નહીં!’

આયેશાએ પોસ્ટમાં આગળ લખ્યું, ‘મારા વિશે ભૂલી જાવ. લોકો કહે છે તેમ મને કોઈ ફિલ્મ કરવામાં કે કમબેક કરવામાં રસ નથી. હું મારું જીવન ખુશીથી જીવી રહી છું.ક્યારેય લાઈમલાઈટમાં આવવા માંગતી નથી, મને કોઈ પ્રસિદ્ધિમાં રસ નથી, કોઈ ફિલ્મમાં દેખાવા માંગતી નથી. મહેરબાની કરીને નિઃસંકોચ, મારા વિશે બિલકુલ ચિંતા કરશો નહીં.’

શું 370 બહાલ કરીને આતંકવાદ લાવવા ઇચ્છે છે રાહુલ ગાંધી?: CM યોગી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (NC)ના ગઠબંધન પર તીખો હુમલો કર્યો છે. એ ગઠબંધન રાષ્ટ્રીય સુરક્ષાના ગંભીર સવાલ ઊભા કરતાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સવાલ કર્યો હતો કે શું તેમની પાર્ટી જમ્મુ-કાશ્મીર માટે અલગ ઝંડાની ઘોષણાનું સમર્થન કરશે? તેમણે સવાલ કર્યો હતો કે શું કોંગ્રેસ આર્ટિકલ 370 અને આર્ટિકલ 35Aની બહાલી દ્વારા જમ્મુ-કાશ્મીરને ફરીથી અશાંતિ અને આંતકવાદના દોરમાં ધકેલવા માટે NCના પ્રસ્તાવનું સમર્થન કરશે?

આ ગઠબંધનથી કોંગ્રેસનો અનામતવિરોધી ચહેરો ઉજાગર થયો છે. શું કોંગ્રેસ દલિતો, ગુર્જરો, બકરવાલ અને પહાડી સમુદાયોને અનામતને ખતમ કરવા માટે NCના નિર્ણયને સમર્થન કરશે?  કોંગ્રેસે એ સ્પષ્ટતા કરવી જોઈએ કે શું એ પાકિસ્તાનની સાથે LOC ટ્રેડ ફરીથી શરૂ કરવાની તરફેણમાં છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું ક ભારતના મુકુટ જમ્મુ-કાશ્મીરથી કલમ 370 અને 35Aનું કલંક દૂર કર્યા પછી ભાજપે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીને લઈને પ્રતિબદ્ધતા બતાવી હતી અને હવે ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયું છે. આ ચૂંટણી પર વિશ્વની નજર છે. કોંગ્રેસ ફરી એક વાર દેશવિરોધી ઇરાદા બતાવ્યા છે. નેશનલ કોન્ફરન્સે ઘોષણાપત્ર જારી કર્યો છે. જેમા ભારતની એકતા, અખંડતા અને રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડી શકે છે, એમ તેમણે કહ્યું હતું.

હું રાહુલ ગાંધીને પૂછવા માગું છું કે શું કોંગ્રેસ જમ્મુ-કાશ્મીર માટે અલગ ઝંડો રાખવાની ઘોષણાનું સમર્થન કરે છે. શું કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી નેશનલ કોંન્ફરન્સની સરકારથી વેપાર શરૂ કરવા અને સીમા પારથી આતંકવાદ અને તંત્રને સમર્થન આપીને નિર્ણયને ટેકો આપે છે? કોંગ્રેસે એનો જવાબ આપવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

 

UPI યુઝર્સ સાવધાન! છેતરપિંડીનો નવો પ્રકાર Autopay શું છે?

અમદાવાદ: ડિજિટલાઇઝેશનના આ યુગમાં, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું પહેલાં કરતા વધુ સરળ બની ગયું છે. તેમાં પણ વળી UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ)એ તો સરળતાને વધું સરળ કરી દીધી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCA)ના લેટેસ્ટ ડેટા અનુસાર, જુલાઈ 2024માં ભારતમાં UPI દ્વારા 1,443 કરોડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યાં હતાં. આ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 20.64 લાખ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.જે શેરી વિક્રેતાઓથી લઈને રિક્ષાચાલકો સુધી દરેક જણ UPI દ્વારા ચુકવણી કરી રહ્યા છે. UPIની સફળતાએ દુનિયાને પણ આશ્ચર્યચકિત કરી દીધી છે. જેના કારણે હવે તમે ઘણા દેશોમાં UPI દ્વારા પેમેન્ટ કરી શકો છો. ભારતમાં કરોડો લોકો UPI દ્વારા દૈનિક વ્યવહારો કરે છે. આ સંખ્યા દરરોજ વધી રહી છે. જો કે તેનાથી ખતરો પણ વધી ગયો છે. છેતરપિંડી કરનારાઓ હવે UPI યુઝર્સને નિશાન બનાવીને છેતરપિંડી કરી રહ્યા છે. આ શ્રેણીમાં નવું સ્કેમ છે – ‘UPI ઓટો-પે રિકવેસ્ટ ​​​​​​સ્કેમ.’ આ સ્કેમમાં, UPI ઓટો-પે વિનંતી મંજૂર થતાં જ ખાતામાંથી નાણાં સ્કેમર્સના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે.UPI Autopay છેતરપિંડી એક સરળ સિદ્ધાંત પર કામ કરે છે. આમાં છેતરપિંડી કરનારાઓ વપરાશકર્તાઓને સસ્તો માલ ખરીદવા માટે લલચાવે છે અથવા અમુક સેવા માટે ચુકવણી માટે વિનંતીઓ મોકલે છે. તમે અજાણતામાં UPI કલેક્ટ મની અથવા ઑટોપેની વિનંતીને મંજૂર કરો છો. ઉદાહરણ તરીકે, તમે Netflix જેવાં કોઈપણ OTTનું સબ્સ્ક્રિપ્શન લઈ રહ્યાં છો. એક દિવસ તમને Netflix માટે ચુકવણી કરવાની વિનંતી મળશે. તમે સમજો છો કે આ તમે લીધેલ સબ્સ્ક્રિપ્શન માટે ચુકવણી માટેની વિનંતી છે. તમે ચુકવણી કરો છો પરંતુ તે વાસ્તવિક નથી. આ છેતરપિંડી કરનાર દ્વારા તેના Netflix એકાઉન્ટમાંથી શરૂ કરવામાં આવેલ અસલી UPI ઑટોપે વિનંતી છે. તેથી, જો તમે ભૂલથી આ વિનંતીને એ વિચારીને મંજૂર કરો છો કે તે તમારા પોતાના Netflix સબ્સ્ક્રિપ્શન માટે છે, તો તમે કપટપૂર્ણ Netflix સબ્સ્ક્રિપ્શન માટે પૈસા ચૂકવશો. આ રીતે છેતરપિંડી કરનારાઓ તમારી પાસેથી પૈસા લૂંટવાનો પ્રયાસ કરી શકે છે જો તેઓને તમારું UPI ID ખબર હોય.UPI ID સામાન્ય રીતે મોબાઇલ નંબર અને UPI પ્રદાતાનું વિસ્તરણ છે. સ્કેમર્સ આનો ફાયદો ઉઠાવે છે. મોબાઇલ નંબર અને અન્ય વિગતો એ સરળ લક્ષ્ય છે કારણ કે ફોન નંબરો ઘણીવાર ઇ-શોપિંગ, રેસ્ટોરન્ટ્સ, મોલ્સ, પાર્કિંગ લોટ વગેરે જેવા સ્થળોએ શેર કરવામાં આવે છે. આ કારણે, છેતરપિંડી કરનારાઓ માટે UPI ID ક્રેક કરીને છેતરપિંડી કરવાનું સરળ બની જાય છે.

તમારા બેંક એકાઉન્ટને સીધા UPI ID સાથે લિંક કરવાનું ટાળો. વૉલેટનો ઉપયોગ કરવો વધુ સારું છે. આનાથી મોટી છેતરપિંડી ટાળવામાં મદદ મળશે. છેતરપિંડી કરનારાઓ ઘણીવાર ભાવનાત્મક યુક્તિઓનો ઉપયોગ કરે છે, જેમ કે કટોકટીમાં કુટુંબના સભ્ય હોવાનો ડોળ કરવો. આ યુક્તિઓથી સાવચેત રહો અને આવી વિનંતીઓને નકારી કાઢો.

શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ઘરેલુ ક્રિકેટમાંથી સંન્યાસનું એલાન કર્યું છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એક વિડિયો પોસ્ટ કરીને તેણે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે છેલ્લી મેચ વનડે ફોર્મેટમાં  ડિસેમ્બર, 2022માં રમી હતી. આ મેચ પછી તે સતત ટીમમાંતી બહાર રહ્યો છે. જોકે ધવન IPLમાં રમે એવી શક્યતા છે.

તેણે તેના માર્ગદર્શકો, સાથી ખેલાડીઓ, ચાહકો, દિલ્હી અને ભારતીય ક્રિકેટ બોર્ડનો આભાર માનીને નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી નિવૃત્તિની જાહેરાત કરતી વખતે તેણે કહ્યું હતું કે મારા મનમાં હંમેશાં એક જ ધ્યેય હતું કે મારે ભારત માટે રમવું જોઈએ અને મેં આ પદ હાંસલ કર્યું એના માટે ઘણા લોકોનો આભાર માનું છું. મારા પરિવારમાં સૌપ્રથમ, મારા બાળપણના કોચ તારક સિંહા અને મદન શર્મા… તેમના માર્ગદર્શન હેઠળ મેં ક્રિકેટ રમતા શીખ્યું. પછી મારી આખી ટીમ કે જેની સાથે હું વર્ષો સુધી રમ્યો… આ દરમિયાન મને ફેમ અને દરેકનો પ્રેમ અને સપોર્ટ મળ્યો. હું આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું.

તેણે વધુમાં કહ્યું હતું કે હવે જ્યારે હું મારી ક્રિકેટ સફરને અલવિદા કહી રહ્યો છું ત્યારે મને સંતોષ છે કે મેં મારા દેશ માટે ઘણું રમ્યું છે. મને આ તક આપવા બદલ હું BCCI (બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા) અને DDCA (દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિયેશન)નો અને મારા તમામ ચાહકોનો પ્રેમ અને સમર્થન માટે ખરેખર આભારી છું. હું મારી જાતને એટલું જ કહું છું કે તમે તમારા દેશ માટે ફરી નહીં રમી શકો એ માટે દુખી ન થાઓ, પરંતુ હંમેશા ખુશ રહો કે તમે તમારા દેશ માટે રમ્યા છો. આ મારા માટે સૌથી મોટી સિદ્ધિ છે.

 

Monsoon Update: 24 કલાકમાં 154 તાલુકામાં નોંધાય મેઘ મહેર

ગુજરાતમાં પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા, રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદ થાવાની શક્યાતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભાગોમાં ક્યાંક હળવાથી મધ્યમ તો ક્યાંક ભારેથી ભારે વરસાદની સંભાવના છે. એટલે કે, રાજકોટમાં સૌથી પ્રખ્યાત અને ધામધૂમથી ઉજવાતા સાતમ-આઠમના તહેવારમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે. આજે પણ રાજ્યના 154થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (24મી ઑગસ્ટ) ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલવશે. જેમાં દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.    

 

ગાંધીનગરના ભાઈજીપુરા રોડ પર મેટ્રોની કામગીરીના કારણે પતરાની દિવાલો ઉભી કરાઈ હોવાથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાતા પાણી ભરાયા. જેનાં કારણે અનેક વાહનો પાણીમાં ફસાઈ જતા ઈન્ફોસિટી પોલીસ મથકના પીએસઆઇ વી.જી. પરમાર સહિતની ટીમ જેસીબી સાથે રોડ પર ઉતરી ગયા હતા અને બસ, કાર, રીક્ષા સહીતના વાહનોને પાણીની બહાર કાઢ્યા હતા. તો બીજી બાજું ઉપરવાસમાં વધુ વરસાદના કારણે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કંજેટા ગામથી પસાર થતી પાનમ નદીમાં પુર આવ્યું છે. અચાનક આવેલા પુરમા ત્રણ જેટલા લોકો ફસાયા હતા. વહીવટી તંત્ર સહિત પોલીસ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી તમામ લોકોને રેસ્ક્યૂ કરી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે.