Home Blog Page 1562

૧૮ ઓગસ્ટ, ૨૦૨૪

એ ખજાનો દિશા પોતાનાથી અલગ કેવી રીતે કરી શકે?

“અરે દિશા, આ બધું જ ફર્નિચર નવું કરાવીએ છીએ તો તારી અલમારીની જગ્યાએ પણ એક વોર્ડરોબ કરાવી દઇએ?”

દિશાએ આમ તો આ વાત પર ખુશ થવું જોઇતું હતું, કારણ કે ઘરમાં દરેક જૂના સામાન અને ફર્નિચરની જગ્યાએ નવું લેટેસ્ટ ફર્નિચર કરાવવાનું સૂચન તો તેનું જ હતું.‌ છેલ્લા ત્રણેક વર્ષથી તે આ વાત એ આગ્રહ કરતી હતી.‌ પણ આજે આ અલમારી કાઢવાની વાત આવી તો તેણે ના પાડી દીધી! એ કાંઈ એમ કાઢી થોડી નખાય?

એ અને કુશલ અહીં પાંચેક વર્ષથી રહેતા હતા. લગ્ન પછીનું નવજીવન પણ અહીં જ તો શરૂ કરેલું. દિશા ખૂબ જ સમજુ અને બોલ્ડ વિચારોવાળી યુવતી. કુશલ પણ તેના આ સ્વભાવને ખૂબ વખાણતો. પણ આજે જ્યારે અલમારી કાઢવાની વાતે દિશા ગુસ્સે થઇ ત્યારે કુશલ પણ ચોંકી ગયો. તેને નવાઈ લાગી, પણ હશે.. પછી મનાવી લઇશ એમ વિચારીને તેણે વાત પડતી મૂકી.

એ પછી પણ જ્યારે તેણે સીધી કે આડકતરી રીતે આ વાત કાઢી‌ ત્યારે દિશા અચાનક ગુસ્સે થઇ ગઈ. આ અચરજની વાત હતી. એ કાટ ખાઇ ગયેલી, હેન્ડલ તૂટેલી વર્ષો જૂની લોખંડની અલમારીનો શું મોહ હશે દિશાને? એ કેમ માનતી નથી? ના પાડે એ તો ઠીક પણ ગુસ્સે કેમ થઈ જાય છે? કેમ કશું કહેતીયે નથી?

પણ એક દિવસ કુશલ અચાનક‌ રૂમમાં આવ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઇને આશ્ચર્ય પામી ગયો. દિશા સ્ક્રૂડ્રાઇવર લઇને અલમારીની ડાબી બાજુના દરવાજાની અંદરની તરફ આવેલું પતરાનુ ઢાંકણું ખોલવા મથી રહી હતી. કાટ ખાઈ ગયેલો સ્ક્રુ ન ખુલવાથી પરેશાન દિશા રડી પણ રહી હતી.

આ શું છે દિશા? કુશલ એ પૂછ્યું ત્યારે દિશાએ દરવાજાની અંદર આવેલા એક ઢાંકણા તરફ ઈશારો કર્યો. બંધ ઢાંકણામાં ઉપરથી એક બે કે પાંચ રૂપિયાના સિક્કા સેરવી શકાય એટલી જગ્યા હતી. એમ કહો કે આ એક પ્રકારનો ચોરગલ્લો હતો! આખો ગલ્લો ભરાઈ જાય ત્યારે સ્ક્રુ ડ્રાઇવર થી ઢાંકણું ખોલી અંદર નાખેલા સિક્કા અને નોટો કાઢી લેવાની!

વાહ! કુશલ હસી પડ્યો અને બોલ્યો,”અરે ગજબ છે તારો ગલ્લો તો ભાઇ! કોઇને ખબર ય ન પડે હોં!”

કુશલ એ વાતથી અજાણ હતો કે આ અલમારી અને ખાસ કરીને જૂના જમાનાની આ પિગીબેન્ક સાથે દિશાની લાગણીઓ જોડાયેલી હતી. આ એ જ અલમારી હતી જ્યારે દિશાના પપ્પા રોજ સવારે ઓફિસ જાય ત્યારે તેને જે એક સિક્કો આપતા તે આ અલમારીના પિગીબેન્કમાં સરકતો. દિશા ખુશીથી નાચતી. પપ્પાને ખૂબ વહાલી આ દીકરી નાનપણમાં એવું વિચારતી કે, આ બધા પૈસા હું ભેગા કરીશ. પછી મોટી થઇશ ત્યારે એમાંથી પપ્પા માટે એક મોટી ગાડી લઇશ જેથી એમને ચાલતાં ઓફિસ ન જવું પડે!

દિશા માટે આ ખજાનો ખૂબ વ્હાલો અને ખૂબ મહામૂલો. પછી તો દિશા મોટી થઇ. લગ્ન કરીને તે સાસરે આવી ને પેલી તિજોરીય સાથે લાવી. તેના પપ્પાનું તો થોડા સમય પહેલાં જ અકસ્માતમાં મૃત્યુ થયું પણ એમની યાદગીરીમાં દિશાએ હજુ પણ એ પિગી બેન્કમાં પરચુરણ અને નાની નોટો નાખવાનું ચાલુ રાખેલું! પપ્પા તો હવે હતાં નહીં, પણ તેમની અનમોલ યાદગીરી સમી અલમારી અને તેનો ખજાનો તો હતો ને!

હવે એ ખજાનો દિશા પોતાનાથી અલગ કેવી રીતે કરી શકે?

(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)

રાશિ ભવિષ્ય 18/08/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.


આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.


આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.


આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.


આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.


આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.


આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

જાણો ચંદ્રયાન-4, વિનસ મિશન અને લ્યુપેક્ષ મિશનમાં PRLનો શું છે રોલ?

ભારત સરકારે 23મી ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. 23મી ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાન-3 મિશનના વિક્રમ લેન્ડરના સફળ સોફ્ટ લેન્ડિંગ અને ચંદ્ર પર પ્રજ્ઞાન રોવરના ઉતરાણના માનમાં આ દિવસ ઉજવવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું. આ સિદ્ધિ સાથે, ભારત સ્પેસ-ફેરિંગ રાષ્ટ્રોના મહત્વના જૂથમાં જોડાયું છે. ભારત ચંદ્રની સપાટી પર ઉતરનાર ચોથો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરનાર પ્રથમ દેશ બન્યો છે. ઈસરોની આ સફળતામાં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL)નો ફાળો પણ ખુબ જ મહત્વનો છે. ત્યારે અમે અમારા ‘છોટી સી મુલાકાત’ વિભાગમાં આ અઠવાડિયે PRLના નિદેશક પ્રૉ અનિલ ભારદ્વાજ સાથે વાતચીત કરી.

પ્રો. અનિલ ભારદ્વાજ વિશે થોડી વાત કરીએ તો તેમણે 1987માં M.Sc. લખનૌ યુનિવર્સિટીમાંથી અને 1992માં Ph.D.નો અભ્યાસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માંથી કર્યો છે. તેઓ 1993માં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)માં જોડાયા હતા. ત્રિવેન્દ્રમ સ્થિત વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર (VSSC)ની સ્પેસ ફિઝિક્સ લેબોરેટરી (SPL)માં વૈજ્ઞાનિક તરીકે જોડાયા. ઓગસ્ટ 2007માં SPLની નવી રચાયેલી પ્લેનેટરી સાયન્સ બ્રાન્ચના વડા બન્યા અને ફેબ્રુઆરી 2014થી ફેબ્રુઆરી 2017 દરમિયાન SPLના ડિરેક્ટર હતા. વર્ષ 2017થી, તેઓ PRLના ડિરેક્ટર છે. તેમણે લગભગ 2 વર્ષ સુધી નાસા માર્શલ સ્પેસ ફ્લાઇટ સેન્ટર, USAમાં કામ કર્યું છે. 2004-2005 દરમિયાન નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસમાં સિનિયર રિસર્ચ એસોસિયેટ તરીકે કાર્યરત હતા.

ચિત્રલેખા: ભારત સરકારે 23મી ઓગષ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. તેના વિશે શું કહેવું છે? ક્યા પ્રકારની ઉજવણી કરવામાં આવશે?

ડૉ. અનિલ ભારદ્વાજ: 23મી ઓગષ્ટ, 2023ના રોજ સાંજે 06:04 મિનિટે ભારતના ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું. ભારત વિશ્વનો એવો પ્રથમ દેશ બની ગયો કે જેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૌપ્રથમ વખત સફળ લેન્ડિંગ કર્યું હોય. લગભગ 69.3 ડિગ્રી સાઉથમાં પ્રથમ વખત લેન્ડિંગ કરવામાં આવ્યું. આ માટે સમગ્ર વિશ્વમાં ભારતના સ્પેસ કાર્યોના વખાણ થયા. આથી ભારત સરકારે પણ આ દિવસની ઉજવણી નેશનલ સ્પેસ દિવસ તરીકે કરવાનું નક્કી કર્યું. આ વર્ષે પ્રથમ વખત તેની ઉજવણી થવાની છે. ઈસરોએ નક્કી કર્યું છે કે અમે એક દિવસની જગ્યાએ એક મહિના સુધી આ ઉજવણી કરીશું. આ ઉજવણીના ભાગરૂપે જ PRLએ ડૉ. વિક્રમ સારાભાઈની જન્મજયંતિ નિમિત્તે ઓપન હાઉસ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. PRLના ચાર કેમ્પસમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 4,000 વિદ્યાર્થીઓ, સામાન્ય લોકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો.

23મી ઓગષ્ટના રોજ કોઈ સ્પેશિયલ કાર્યક્મનું આયોજન કરવામાં આવ્યું છે?

કેન્દ્ર સરકારે નેશનલ સ્પેસ દિવસના રોજ નવા પુરસ્કારોના વિતરણ સમારોહનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ નવી દિલ્હી ખાતે યોજવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ઈસરોએ નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં ઈસરો, In-SPACE, NSIL, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ભારત સરકારે સાથે મળીને આયોજન કર્યું છે. અહીં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ અલગ-અલગ મંત્રાલય અને ડિપાર્ટમેન્ટસનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે. કેટલીક ચર્ચાઓ અને પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એક વિશેષ કાર્યક્રમમાં ચંદ્રયાન-3ના કેટલાંક મહત્વના ડેટાને પણ લોકો સમક્ષ મૂકવામાં આવશે.

તાજેતરમાં જ આપને COSPAR એવોર્ડ મળ્યો છે એ વિશે જણાવશો.

આ એવોર્ડ મળ્યો એમાં સૌથી વધારે ખુશી એ વાતની હતી કે વિક્રમ સારાભાઈ મેડલ  જેમના નામ પર આપવામાં આવ્યો તે ડૉ. વિક્રમ સારાભાઈ PRLના સંસ્થાપક છે. આ એક ઈન્ટરનેશનલ એવોર્ડ છે, જે કમિટી ઓન સ્પેસ રિસર્ચ દ્વારા આપવામાં આવે છે. વિક્રમ સારાભાઈએ તેમના સમયમાં COSPARને પ્રમોટ કરવા માટે ભારતમાં INCOSPAR ની રચના કરી હતી. જે સંસ્થા બાદમાં ISROમાં પરિવર્તિત થઈ ગઈ. આ એવોર્ડ મળવો એટલે મહત્વનો બની ગયો કે એક તો તે ઈન્ટરનેશનલ એવોર્ડ છે, બીજું તે COSPAR દ્વારા આપવામાં આવ્યો છે અને ત્રીજું કે તેની સાથે ડૉ. વિક્રમ સારાભાઈનું નામ જોડાયેલું છે. આથી આ ક્ષણ ભારત માટે, ઈસરો માટે અને PRL માટે ખુબ જ મહત્વની છે.

ચંદ્રયાન-3 મિશનમાં PRLનો મહત્વનો રોલ રહ્યો છે. તો આ મિશનમાંથી કોઈ મહત્વના ડેટા મળ્યા છે?

ચંદ્રયાન-3માં PRLમાંથી ત્રણ એક્સપેરિમેન્ટ હતા એક લેન્ડર ઉપર અને બે એક્સપેરિમેન્ટ રોવર પર હતા. લેન્ડર જેનું નામ વિક્રમ લેન્ડર છે તેમાં એક ચાસ્તે (ChaSTE- Chandra’s Surface Thermophysical Experiment) નામનો એક્સપેરિમેન્ટ હતો, જે એક થર્મો ફિઝિકલ એક્સપેરિમેન્ટ હતો. જેણે ડિપ્લોયમેન્ટ બાદ ચંદ્રની સપાટીમાં દસ સેન્ટિમીટર અંદર જઈને ત્યાંનું તાપમાન સ્કેન કર્યું. જ્યારે રોવર પર એક એક્સપેરિમેન્ટ આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (Alpha Particle X-ray Spectrometer) નો હતો. જેના કારણે રોવરે ચંદ્રની સપાટી પર ફરીને 23 જગ્યાઓ પરના એલિમેન્ટલ કમ્પોઝિશન વિશેની જાણકારી આપી છે. કેમ કે ચંદ્રયાન-3 મિશન પહેલું એવું મિશન હતું કે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યું હતું, આથી ત્યાંથી એલિમેન્ટલ કમ્પોઝિશન (સપાટી કેવાં પ્રકારના તત્વોથી બનેલી છે) વિશે જાણકારી જે મળી તે પ્રથમ વખત પ્રાપ્ત થઈ હતી. આથી સમગ્ર વિશ્વ માટે આ જાણકારી ખુબ જ મહત્વની છે. કારણ કે હવે આપણને ખબર છે કે ચંદ્રના દક્ષિણ ભાગની સપાટી પર કેવાં પ્રકારના તત્વો છે અને શું તે વિષુવવૃત્તિય રિજન્સ કે જ્યાં અપોલો કે લુનાની લેન્ડિંગ થઈ હતી તેના કરતાં અલગ છે કે નહીં?

ભવિષ્યમાં ચંદ્ર પરથી મળેલા નમૂના પાછાં લાવવાનું પણ કોઈ મિશન અમલમાં મૂકવાનું છે? તો તેમાં PRLનો રોલ શું રહેશે?

હા, એટલે હવે સોફ્ટ લેન્ડિંગ ટેક્નોલોજી ભારતે વિકસાવી લીધી છે. તો હવે અમે લોકો સેમ્પલ કલેક્શન ટેક્નોલોજી વિકસિત કરવાનું વિચારી રહ્યા છીએ. ચંદ્ર પરથી નમૂના ભેગા કરીને તેને પાછા પૃથ્વી પર લાવીશું અને તેનો અભ્યાસ કરીશું. આ પણ એક મહત્વનું કાર્ય છે. કારણ કે ચંદ્રનો અભ્યાસ કરવા માટે આપણે દરેક એક્સપેરિમેન્ટને ચંદ્ર પર ના મોકલી શકીએ. પરંતુ ત્યાંથી જો કોઈ ચોક્કસ પ્રકારના નમૂના આપણે લાવી શકીએ તો તેનો લેબમાં ખુબ જ વિસ્તારપૂર્વક અભ્યાસ કરી શકાય છે. PRL પાસે તો આ પ્રકારના અભ્યાસ કરવાનો એક બહોળો અનુભવ રહ્યો છે. અમે લોકોએ અપોલો, લુનામાં જે નમૂના લાવવામાં આવ્યા હતા, તેનો અહીં લેબમાં વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો છે. આથી અમે ઈચ્છીએ કે અમે પોતે જ સેમ્પલ રિટર્ન મિશન દ્વારા જે નમૂના લાવવામાં આવે તેનો અમારી લેબમાં વિસ્તૃત અભ્યાસ કરીએ.

ભવિષ્યમાં લુનર મિશન લ્યુપેક્ષ શું હશે અને તેમાં PRLનો રોલ શું રહેશે?

લુનર મિશન એ ભારતનું ઈસરો-જેક્સા મિશન અથવા તો કહીએ તો ભારત અને જાપાનનું સંયુક્ત મિશન છે. આ મિશનમાં રોકેટ લોન્ચર જાપાનનું હશે અને લેન્ડર ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યું છે. જ્યારે રોવર પણ જાપાન દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યું છે. પરંતુ તે રોવરમાં જે એક્સપેરિમેન્ટ્સ લગાવવામાં આવશે તે ભારત અને જાપાન દ્વારા વિકસિત કરવામાં આવશે. લ્યુપેક્ષ મિશનમાં PRLનો રોલ એ છે કે રોવર પર લગાવવામાં આવેલ એક્સપેરિમેન્ટ્સ કે જેનું નામ પ્રતિમા છે તે PRL દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ એક્સપેરિમેન્ટ પોલર રિજિયન માં ખાસ કરીને પરમેનેન્ટલી શેડો રિજિયન જે છે કે જ્યાં ક્યારેય લાઈટ કે સન લાઈટ આવતી જ નથી, હંમેશા અંધારું હોય છે એવાં વિસ્તારોમાં જઈને રોવર ત્યાં પાણી કેટલી માત્રામાં છે, કેટલી ઉંડાઈએ પાણી છે અને ભવિષ્યમાં આપણે તે જગ્યાઓનો કે પાણીનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ તેનો અભ્યાસ કરવાનું છે.

PRL હાલમાં ક્યા-ક્યા ક્ષેત્રોમાં કાર્યરત છે?

PRLના કાર્યક્ષેત્રની જો વાત કરવામાં આવે તો તે પૃથ્વીના કોરથી લઈને અનંત સુધી કાર્યરત છે. PRLમાં ખગોળશાસ્ત્ર અને ખગોળભૌતીકી, સૌર ભૌતીકી, ગ્રહીય અને અંતરીક્ષ વિજ્ઞાન અને એસ્ટ્રોકેમેસ્ટ્રીના ક્ષેત્રમાં પણ કાર્યો થાય છે. આ ઉપરાંત ભૂ-વિજ્ઞાન, એટોમિક, મોલીક્યુલર ઍન્ડ ઓપટિકલ ફિઝિક્સ અને સૈદ્ધાંતિક ભૌતીકી ક્ષેત્રમાં પણ કાર્ય થાય છે. આથી કહી શકાય કે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ અને સોલર સિસ્ટમનું કેવી રીતે નિર્માણ થયું અને તેની સાથે-સાથે પૃથ્વીનાં નિર્માણ સમયે કેવાં ફેરફાર થયા તે બધાં જ પ્રકારના અભ્યાસના ક્ષેત્રોમાં PRL કાર્યરત છે. આને પેલ્યુ ક્લાયમેન્ટ(paleoclimate) સાયન્સ કહેવાય. જેમાં ભવિષ્યમાં કેવાં પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે તેનો આધાર ભૂતકાળમાં રહેલો છે. તેનો અભ્યાસ અહીં કરવામાં આવે છે. વાતાવરણની સાથે-સાથે અવકાશ અને દરિયાના પેટાળનો પણ અહીં અભ્યાસ કરવામાં આવે છે. અમે લોકો સ્પેસના વાતાવરણ ઉપર કામ કરીએ છીએ, બાયો જીયો સાયન્સિસમાં કામ કરીએ છીએ. અમે બંગાળની ખાડી, ઈન્ડિયન ઓસન, અરેબિયન ઓસનમાં જઈને ત્યાની પરિસ્થિતિનો અભ્યાસ કરીએ છીએ. આ સિવાય આર્ટિક, એન્ટાર્ટિક અને હિમાલયનો પણ અભ્યાસ કરીએ છીએ. આ બધી જ જગ્યાઓ પર અમે અલગ-અલગ પ્રકારના પરીક્ષણો કરીએ છીએ. આ બધાંનો ભેગો અભ્યાસ અહીં PRLમાં થાય છે.

PRLના ચાર કેમ્પસ છે. મુખ્ય કેમ્પસ નવરંગપુરા છે. આ સિવાય અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં બીજું કેમ્પસ આવેલું છે. એક ઉદેપુરમાં સોલર ઓબઝર્વેટરી કેમ્પસ છે. આ સિવાય એક કેમ્પસ માઉન્ટ આબુમાં પણ છે. ઉદેપુર સોલર ઓબઝર્વેટરીમાં મુખ્યત્વે સૂર્યને લગતા અભ્યાસો કરવામાં આવે છે. ત્યાં 50 સેન્ટિમીટરનું એક ટેલિસ્કોપ લગાવવામાં આવ્યું છે. જે ભારતનું સૌથી મોટું સોલર ટેલિસ્કોપ છે. માઉન્ટ આબુ કેમ્પસમાં ચાર ટેલિસ્કોપ કાર્યરત છે. તેમાંથી એક ટેલિસ્કોપ 1.2 મીટરનો છે જે છેલ્લાં ચાર દશકથી કાર્યરત છે. આ જ 1.2 મીટર ટેલિસ્કોપ દ્વારા PRLના વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત ભારતમાંથી એક્ઝો પ્લેનેટની શોધ કરી હતી. તેનાં માટે અમે એક ઈન્સ્ટ્રુમેન્ટ વિકસાવ્યું હતું તેને પારસ નામ આપવામાં આવ્યું હતું. જ્યારે છેલ્લાં એક વર્ષથી ત્યાં 2.5 મીટરનું ટેલિસ્કોપ પણ લગાવવામાં આવ્યું છે. જ્યારે 2.5 ટેલિસ્કોપ માટે પારસ-2 નામનું ઈન્સ્ટ્રુમેન્ટ વિકસાવવામાં આવ્યું છે. આ 2.5 મીટર ટેલિસ્કોપ દ્વારા પણ એક નવા એક્ઝો પ્લેનેટની શોધ કરવામાં આવી છે. PRL ભારતની એકમાત્ર એવી સંસ્થા જે છે જેણે એક્ઝો પ્લેનેટની શોધ કરી છે. અત્યાર સુધીમાં ભારતમાંથી 4 એક્ઝો પ્લેનેટની શોધ કરવામાં આવી છે અને તે ચારેય PRL દ્વારા શોધવામાં આવ્યા છે.

PRL હાલમાં ક્યા પ્રકારના પ્રોજેક્ટસ પર કામ કરી રહ્યું છે?

PRLના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-4 પર કામ કરી રહ્યા છે. આ મિશન સેમ્પલ રિટર્ન મિશન હશે કે જે ભારતનું પ્રથમ સેમ્પલ રિટર્ન મિશન પણ હશે. તેમાં PRLનું યોગદાન એ રહેશે કે સેમ્પલ ક્યાંથી લેવાં તે લેન્ડિંગ સાઈટ નક્કી કરશે. કારણ કે આપણે કોઈ એક જગ્યાએથી જ સેમ્પલ લઈને પાછા આવી શકીશું. તો શું તે શિવશક્તિ પોઈન્ટ હશે કે જ્યાં ચંદ્રયાન-3 લેન્ડ થયું હતું તે કે પછી બીજી કોઈ વધારે સાયન્ટિફિકલી એનરિચિંગ સાઈટ પરથી નમૂના લેવાં તે નક્કી કરવાનું કામ PRL દ્વારા કરવામાં આવશે.

આ સિવાય અત્યારે PRL એક દિશા મિશન પર કામ કરી રહ્યું છે. જે એક એરોનોમી મિશન છે. આ મિશનમાં પૃથ્વીની આસપાસ લગભગ 450 મીટરની હાઈટ પર વિષુવવૃત્તિય અને પોલર ઓર્બિટ્સમાં બે સેટેલાઈટ મૂકવામાં આવશે. આ બે સેટેલાઈટ અભ્યાસ કરશે કે આટલી ઉંચાઈ પર કેવાં પ્રકારની ઘનતા છે અને કેવાં પ્રકારનું તાપમાન છે. જેનાથી આપણને ખબર પડે કે પૃથ્વીની ચારેય તરફ જે વાતાવરણ છે તેનાં પર સૂર્યની કેવાં પ્રકારની અસરો થઈ રહી છે.

આની સાથે જ અમે લોકો PRLમાં અનેક નવા-નવા એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે. જેમ કે વિનસ મિશન, માર્શ મિશન માટેની તૈયારીઓ કરી રહ્યા છે. જો માર્સ મિશનની વાત કરવામાં આવે તો લેન્ડિંગ વિશેના પ્રોગ્રામ ઈસરોમાં ચાલી રહ્યાં છે. કેમ કે અમે લોકોએ ઓર્બાઈટર મિશન માર્સ પર મંગલયાન 2013માં કરી લીધું છે. હવે આગળ નવું શુ કરી શકાય તો અમે માર્સ પર લેન્ડિંગ કરવાનું મિશન અને આસપાસના વિસ્તારમાં મુવ કરવાના મિશન પર કામ કરી રહ્યા છીએ.

વિનસ(શુક્ર) મિશનમાં અમે લોકો પ્રથમ વખત શુક્ર ગ્રહ પર જવાની તૈયારી કરી રહ્યા છીએ. શુક્ર એક એવો ગ્રહ છે કે જે બીજા બધાં ગ્રહો કરતાં અલગ છે. કારણ કે ત્યાં કાર્બન ડાયોક્સાઈડનું વાતારણ છે, જેવું કે મંગળ ઉપર પણ છે. પરંતુ તેની સપાટીનું વાતાવરણ લગભગ 800 કેલ્વિન છે એટલે કે 450 ડિગ્રી સેન્ટિગ્રેટેડ. એટલે કે ત્યાં પાણી પણ ઉડી શકે છે. ત્યાં જીવન શક્ય નથી. ત્યાં જે પ્રેશર છે તે ધરતીના પ્રેશર કરતાં સો ગણું વધારે છે. એટલે કહી શકાય કે પૃથ્વી કરતાં ત્યાંની પરિસ્થિતિમાં ખુબ જ મોટું અંતર છે. જેના કારણે શુક્ર ગ્રહનો અભ્યાસ કરીને અમે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ કે શું પૃથ્વી ઉપર પણ આ પ્રકારની પ્રક્રિયાઓ થઈ ગઈ છે કે થઈ શકે છે?

આ ઉપરાંત ભારતીય અંતરિક્ષ સ્ટેશન અંગેનું મિશન પણ કાર્યરત છે. ગગનયાન મિશન પણ ચાલી રહ્યું છે. ભારત સરકારનો એવો પ્લાન છે કે 2040 સુધીમાં ભારતીય એસ્ટ્રોનોટ્સને ચંદ્રની ધરતી પર ઉતારીયે. તેનાં માટે જે પ્રકારની ટેક્નોલોજીને વિકસાવવી પડે તેનાં પર પણ કામ ચાલી જ રહ્યું છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

(તસવીરો – પ્રજ્ઞેશ વ્યાસ)

IMAએ PM મોદીને કોલકાતાની ઘટનામાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ડોક્ટરોની સુરક્ષા સહિત અનેક માંગણીઓ રજૂ કરી છે. પત્રમાં IMAએ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટોળા દ્વારા કરવામાં આવેલી તોડફોડનો પણ ઉલ્લેખ કર્યો છે. ડોકટરોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરતા IMAએ કહ્યું કે ડોકટરો, ખાસ કરીને મહિલાઓ તેમના વ્યવસાયની પ્રકૃતિને કારણે હિંસાનો શિકાર બને છે.

IMA દ્વારા કરવામાં આવેલી પાંચ માંગણીઓ શું છે?

પ્રથમ માંગ- આરોગ્ય સેવા કર્મચારી અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (હિંસા અને સંપત્તિના નુકસાન પર પ્રતિબંધ, 2019)ના ડ્રાફ્ટમાં રોગચાળાના રોગો અધિનિયમ 1897માં 2020ના સુધારાનો સમાવેશ કરીને કેન્દ્રીય કાયદો બનાવવો જોઈએ. તેનાથી હાલના 25 રાજ્યોના કાયદા મજબૂત થશે.

બીજી માંગ- તમામ હોસ્પિટલોને સુરક્ષા અધિકારો સાથે સુરક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવે. હોસ્પિટલોના સુરક્ષા પ્રોટોકોલ એરપોર્ટ જેવા હોવા જોઈએ. તમામ હોસ્પિટલોમાં સીસીટીવી અને સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવા જોઈએ.

ત્રીજી માંગ: પીડિત દ્વારા હાથ ધરવામાં આવતી 36-કલાકની ડ્યુટી શિફ્ટ અને સલામત જગ્યાઓ અને પર્યાપ્ત આરામ રૂમનો અભાવ સહિત રેસિડેન્ટ ડોકટરોના કામકાજ અને રહેવાની સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા થવી જોઈએ.

ચોથી માંગ: ગુનાની કાળજીપૂર્વક અને વ્યાવસાયિક તપાસ સમય મર્યાદામાં સુનિશ્ચિત કરવી જોઈએ, જેથી ન્યાય મળી શકે.

પાંચમી માંગ – પીડિત પરિવારને ગુનાની જઘન્યતા અનુસાર યોગ્ય અને સન્માનજનક વળતર આપવામાં આવે.

IMAએ PMના સ્વતંત્રતા દિવસના સંબોધનની પ્રશંસા કરી

IMAએ પત્રમાં વડાપ્રધાનને કહ્યું છે કે સ્વતંત્રતા દિવસના અવસર પર તમારા સંબોધનમાં મહિલાઓની સુરક્ષાને લઈને તમારી ટિપ્પણીઓની અમે પ્રશંસા કરીએ છીએ. અમે તમને આ સમયે આ મામલે દરમિયાનગીરી કરવા અપીલ કરીએ છીએ. આનાથી માત્ર મહિલા ડોકટરોને જ નહીં પરંતુ કાર્યસ્થળ પર કામ કરતી દરેક મહિલાને આત્મવિશ્વાસ મળશે. 60 ટકા ભારતીય ડોક્ટરો મહિલાઓ છે. તમામ આરોગ્ય કર્મચારીઓને કાર્યસ્થળ પર શાંતિપૂર્ણ વાતાવરણ, સલામતી અને સુરક્ષા હોવી જોઈએ. અમારી માંગણીઓને પહોંચી વળવા યોગ્ય પગલાં લેવામાં આવે તેની ખાતરી કરવા અમે તમારા હસ્તક્ષેપની અપીલ કરીએ છીએ.

બાંગ્લાદેશ હિંસામાં કેટલા લોકોના મોત થયા?

બાંગ્લાદેશમાં હિંસા અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય (UNHCR)નો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અનામતને કારણે દેશમાં શરૂ થયેલી હિંસામાં 650 લોકોના મોત થયા છે. આમાં 16 જુલાઈથી 4 ઓગસ્ટની વચ્ચે લગભગ 400 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 5-6 ઓગસ્ટ વચ્ચે હિંસક વિરોધ પ્રદર્શનમાં 250 લોકોના મોત થયા હતા.

અહેવાલ મુજબ, યુએનના અહેવાલમાં દેશમાં બિન ઉશ્કેરણીજનક હત્યાઓ, મનસ્વી ધરપકડ અને અટકાયતની સંપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક તપાસનું પણ સૂચન કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મૃતકોમાં પ્રદર્શનકારીઓ, રાહદારીઓ, પત્રકારો અને સુરક્ષા દળોના ઘણા કર્મચારીઓ પણ સામેલ છે. આ ઉપરાંત હિંસક વિરોધને કારણે હજારો પ્રદર્શનકારીઓ અને રાહદારીઓ પણ ઘાયલ થયા હતા. અહેવાલમાં બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ સામેની હિંસા સહિત માનવાધિકાર ઉલ્લંઘન અને હિંસા માટે જવાબદાર તમામ લોકોની જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

બદલામાં થયેલી હત્યાના આંકડા સામેલ નથી

જિનીવામાં શુક્રવારે જારી કરાયેલા યુએનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હિંસા દરમિયાન બદલામાં થયેલી હત્યાઓની સંખ્યા હજુ નક્કી કરવામાં આવી નથી. 7 થી 11 ઓગસ્ટની વચ્ચે, આવા ઘણા મૃત્યુ એવા લોકોમાં જોવા મળ્યા છે જેઓ અગાઉ ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં દાખલ થયા હતા, પરંતુ બચી શક્યા ન હતા.

કોલકાતા રેપ કેસ: મમતા બેકફૂટ પર!

કોલકાતાની RG કોલેજ અને હોસ્પિટલમાં એક યુવાન મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા માટે ન્યાયની માગણી સાથે દેશભરમાં આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. બંગાળમાં ડૉક્ટરો હડતાળ પર છે. દરમિયાન, પશ્ચિમ બંગાળ સરકારે 42 ડોકટરોની બદલી કરી હતી. મમતા બેનર્જી સરકાર દ્વારા ડોકટરોની બદલીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનના કારણે મમતા બેનર્જીની સરકારે 24 કલાકમાં પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો.

આરજી ટેક્સ કૌભાંડ સામે ડોક્ટરો સતત વિરોધ કરી રહ્યા છે. જેના કારણે આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે. આ પછી આરોગ્ય વિભાગે તાત્કાલિક 42 ડોકટરોના ટ્રાન્સફર ઓર્ડર રદ કર્યા છે. રાજ્યના આરોગ્ય સચિવ નારાયણસ્વરૂપ નિગમે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે આ ટ્રાન્સફર પાછળ અન્ય કોઈ કારણ નથી. તે નિયમિત હતું. આ ટ્રાન્સફરનો નિર્ણય બે મહિના પહેલા લેવામાં આવ્યો હતો.

પ્રેસ કોન્ફરન્સમાં, આરોગ્ય સચિવે કહ્યું, “જે ટ્રાન્સફરની વાત કરવામાં આવી રહી છે તે આરજી કારની 9 ઓગસ્ટની ઘટનાના લગભગ બે મહિના પહેલા શરૂ થઈ હતી. સંબંધિત અધિકારીઓએ પણ આ ટ્રાન્સફર માટે ઘણા સમય પહેલા મંજૂરી આપી દીધી હતી. પરંતુ નામના સ્પેલિંગથી માંડીને અનેક મહત્વના મુદ્દાઓ સુધાર્યા બાદ ટ્રાન્સફર ઓર્ડર જારી કરવામાં વિલંબ થયો હતો. પરંતુ અમે તે આદેશ પણ પાછો ખેંચી રહ્યા છીએ.”

42 તબીબોની બદલી કરવામાં આવી હતી

આ ઓર્ડર કેમ રદ કરવામાં આવ્યો તે સમજાવતા, આરોગ્ય સચિવે કહ્યું કે ડોકટરો હવે વિવિધ સ્થળોએ સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. તેમને બદલવાથી સેવામાં વિક્ષેપ થઈ શકે છે. તેથી ટ્રાન્સફરનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. આમાં કોઈ વિવાદ નથી. ટ્રાન્સફર ઓર્ડર તાત્કાલિક રદ કરવામાં આવે છે. નારાયણસ્વરુપે કહ્યું કે આ અંગે આગામી નિર્ણય થોડા દિવસોમાં જાહેર કરવામાં આવશે.

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન

મુંબઈ: વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી નિમિત્તે મહારાષ્ટ્ર શાસન સાંસ્કૃતિક કાર્ય વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. દેશપાંડે મહારાષ્ટ્ર કલા અકાદમી, રવીન્દ્ર નાટ્યમંદિર પરિસર, પ્રભાદેવી-દાદર ખાતે 24 ઓગસ્ટના રોજ સમારોહ યોજાશે. અકાદમી દ્વારા વર્ષ 2023-24નાં વિવિધ પારિતોષિકો જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાતી અને મરાઠી સાહિત્યકારને અપાતું કવિ નર્મદ પારિતોષિક માટે ઈશ્વર પરમાર તથા બાબા ભાંડના નામની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રસ્થિત પ્રતિભાને વિવિધ શ્રેણીમાં અપાતા જીવનગૌરવ પારિતોષિક અંતર્ગત સાહિત્ય ક્ષેત્રે તારિણીબહેન દેસાઈ, કલા ક્ષેત્રે લીલી પટેલ, પત્રકારત્વ ક્ષેત્રે અક્ષય અંતાણી તથા સંસ્થાઓમાં સોરાષ્ટ્ર ટ્રસ્ટ – કવિતા દ્વિમાસિકની પસંદગી કરવામાં આવી છે.

સર્વોત્તમ પુસ્તકોને પુરસ્કાર પ્રદાન કરવાની અકાદમીની યોજના અન્વયે કવિતા, નવલકથા, નિબંધ, અનુવાદ તથા નવોદિત લેખક વિભાગમાં વાઙમય પારિતોષિક એનાયત કરવામાં આવશે. કવિતા વિભાગમાં ઉદયન ઠક્કરના `રાવણહથ્થો’ કાવ્યસંગ્રહને પ્રથમ તથા પ્રદીપ સંઘવીના `કારવી’ કાવ્યસંગ્રહને દ્વિતીય ઈનામ મળશે. નવલકથા વિભાગમાં દ્વિતીય ઈનામ નિરંજન જી. મહેતાની `અતિથિ દેવો ભવ’ નવલકથાને અપાશે. લલિત નિબંધમાં નીલા સંઘવીના `નવા જમાનાની નવી વાતો’ પુસ્તકને પ્રથમ ઈનામ મળશે. અનુવાદમાં વૈશાલી ત્રિવેદી અનુવાદિત `નટસમ્રાટ’ નાટકની પસંદગી થઈ છે ( મૂળ લેખક: વિ.વા.શિરવાડકર ).

નવોદિત લેખક વિભાગમાં પ્રથમ ઈનામ `ઝાકળ ભીની વાતો’ પુસ્તક માટે મિતા ગોર મેવાડાને તથા દ્વિતીય ઈનામ `આત્મમંથન’ પુસ્તક માટે મમતા પટેલને એનાયત કરવામાં આવશે. તમામ એવૉર્ડ વિજેતાઓને સાંસ્કૃતિક બાબતો વિભાગના મંત્રી તથા અકાદમીના પ્રમુખ મા. સુધીર મુનગંટીવાર તથા અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે.

જીવનગૌરવ તથા નર્મદ પારિતોષિકમાં રૂ. 51000ની રાશિ જ્યારે વાઙમય પારિતોષિક અંતર્ગત પ્રથમ ઈનામમાં રૂ. 15000ની અને દ્વિતીય ઈનામમાં રૂ. 10,000ની રાશિ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્નનો સમાવેશ થાય છે. પારિતોષકની પસંદગીમાં અકાદમીનાં વરિષ્ઠ સભ્યો દિનકર જોષી, દીપક મહેતા અને વર્ષા અડાલજાના માર્ગદર્શનમાં અકાદમી સભ્યોની સમિતિએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.

 

શ્રદ્ધા કે રાજકુમાર નહીં, કંગનાએ આ કલાકારને ગણાવ્યો સ્ત્રી 2 નો અસલી હિરો

મુંબઈ: કંગના રનૌત આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ દરમિયાન કંગનાએ શ્રદ્ધા કપૂર-રાજકુમાર રાવ સ્ટારર હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ 15 ઓગસ્ટના રોજ રીલિઝ થવા પર પ્રતિક્રિયા આપી છે. કંગના રનૌત શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ સ્ત્રી 2ના પ્રથમ દિવસના કલેક્શનથી ખૂબ જ ખુશ છે. તેણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી છે, જેમાં અભિનેત્રીએ ફિલ્મના અસલી હીરો વિશે વાત કરી છે.

કંગના સ્ત્રી 2 ની ફેન બની ગઈ

કંગના રનૌતે ફિલ્મ ‘સ્ત્રી 2’ના પ્રથમ દિવસના આંકડાઓને લઈને એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે ફિલ્મની સફળતા પર પ્રતિક્રિયા આપી છે. શુક્રવારે દરેક જગ્યાએ સ્ટ્રી 2ની ચર્ચા થઈ હતી. આવી સ્થિતિમાં ‘ઇમરજન્સી’ના પ્રમોશનમાં વ્યસ્ત કંગનાએ પણ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મની બોક્સ ઓફિસ પર મળેલી સફળતા પર પ્રતિક્રિયા આપી હતી.

કંગના રનૌતની પોસ્ટ

કંગના રનૌતે સ્ત્રી 2ની સફળતા પર એક લાંબી પોસ્ટ લખી, જેમાં તેણે આખી ટીમને અભિનંદન પાઠવ્યા. કંગનાએ તેની પોસ્ટમાં લખ્યું,’મૂવી સ્ત્રી 2 એ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મની આખી ટીમને અભિનંદન,પરંતુ ફિલ્મનો અસલી હીરો તેના દિગ્દર્શક હોય છે. ભારતમાં આપણે નિર્દેશકોના એટલા વખાણ કરતા નથી કે જ્યારે ફિલ્મ હિટ થઈ જાય ત્યારે તેમને બહુ ક્રેડિટ આપવામાં આવતી નથી. આ જ કારણ છે કે ઘણા યુવાનો લેખક કે દિગ્દર્શક નહીં પણ અભિનેતા બનવા માંગે છે. હું આજ સુધી જેટલા પણ લોકોને મળી છું જેઓ ફિલ્મોમાં કારકિર્દી બનાવવા માંગે છે, કાં તો અભિનેતા અથવા સુપરસ્ટાર બનવા માંગે છે. તો દરેક જણ અભિનેતા બની જશે તો ફિલ્મો કોણ કરશે? વિચારો!’

સ્ત્રી 2 ના નિર્દેશક અમર કૌશિકની પ્રશંસા કરી

કંગના રનૌતે પોતાની પોસ્ટમાં ‘સ્ત્રી 2’ના ડિરેક્ટર અમર કૌશિકની પણ પ્રશંસા કરી છે. કંગનાએ પોસ્ટમાં આગળ લખ્યું- ‘તો વાંચો અને એવા સારા નિર્દેશકો વિશે જાણો જેઓ તમારું મનોરંજન કરવા માટે ખૂબ મહેનત કરે છે. તેમને અનુસરો અને તેમના જીવન વિશે જાણવાનો પ્રયાસ કરો. તેમની પ્રશંસા કરો… પ્રિય અમર કૌશિક સર, સૌથી વધુ રાહ જોવાતી તમામ સમયની બ્લોકબસ્ટર ફિલ્મ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

હંસલ મહેતાએ પણ અભિનંદન પાઠવ્યા હતા

માત્ર કંગના રનૌત જ નહીં, ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ પણ ‘સ્ત્રી 2’ની જબરદસ્ત ઓપનિંગ પર ખુશી વ્યક્ત કરી છે. હંસલ મહેતાએ પણ સ્ત્રી 2ની ટીમને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું,’આ પ્રતિભાની જીત છે. આ રાજકુમાર રાવની જીત છે જે ખૂબ સારા અભિનેતા છે. અમર કૌશિક માટે પણ આ જીત છે, કારણ કે તેની પાસે સ્ક્રિપ્ટને સારી ફિલ્મમાં ફેરવવાની કળા છે. આ નીરેન ભટ્ટ જેવા લેખકની જીત છે, જેણે ‘તારક મહેતા’થી ડેબ્યૂ કર્યું, પછી ‘ભેડિયા’ અને ‘મુંજ્યા’ જેવી ફિલ્મો લખી.

ચોમાસુ સત્રઃ સરકાર અંધશ્રદ્ધા વિરોધી કાયદો લાવશે

ગાંધીનગરઃ રાજ્ય વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર 21થી 23 ઓગસ્ટમાં યોજાવાનું છે. આ સત્રમાં સરકાર પાંચ મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરવાની છે, જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અંધશ્રદ્ધાવિરોધી કાયદો છે. ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક 2024″ નામના આ વિધેયકમાં અંધશ્રદ્ધા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની જોગવાઈ છે. આ કાયદા હેઠળ, કહેવાતા ચમત્કારોનો પ્રચાર, ભૂત પ્રેત ભગાડવાના નામે શારીરિક પીડા આપવી, અનિષ્ટ શક્તિઓનો દાવો કરવો, અને અલૌકિક શક્તિના નામે જાતીય શોષણ જેવી પ્રવૃત્તિઓ ગુનો ગણાશે.

આ કાયદા હેઠળ દોષિતોને 6 મહિનાથી 7 વર્ષ સુધીની જેલની સજા અને રૂ. 5 હજારથી 50 હજાર સુધીનો દંડ થઈ શકે છે. જોકે, ધાર્મિક વિધિઓ અને પરંપરાઓને આ કાયદાથી મુક્તિ આપવામાં આવી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

વિધાનસભાના આ સત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 20 ઓગસ્ટે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે, જેમાં સત્રનું વિસ્તૃત આયોજન નક્કી કરવામાં આવશે. આ વિધેયક ઉપરાંત અન્ય ચાર મહત્વપૂર્ણ વિધેયકો પણ આ સત્રમાં રજૂ થવાની શક્યતા છે. રાજ્ય સરકારે આ તમામ વિધેયકોને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દીધી છે.

રાજ્યમાં  જેથી હવે કહેવાતા ચમત્કારો અને તેના પ્રચાર-પસાર કરવો ગુનો ગણાશે તેમ જ ભૂત કે ડાકણ ભગાડવાને નામે શારીરિક પીડા આપવી અને અપાવવી ગુનો ગણાશે.