Home Blog Page 1568

ટાઈમ મૅનેજમેન્ટની ગોલ્ડન ફોર્મ્યુલા

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ચિત્રલેખાના વાચકોમાંથી ઘણાએ જાતજાતના વ્રત-એકટાણાં રાખ્યાં હશે. સરસ, પણ, શ્રાવણ માસ જ નહીં, પણ વરસ દરમિયાન કરવા જેવું એક પવિત્ર કાર્ય છેઃ મનોમંથન, વાચર. તમે ક્યારેય વિચાર્યું છે કે જેના માટે મારો જન્મ થયો છે એ હું કરી રહ્યો છું?

એક માણસ એના જીવનમાં ચોવીસ કલાકમાંથી આઠ કલાક ઊંઘે છે. આનો અર્થ ત્રીજા ભાગનો સમય ઊંઘવામાં જાય છે. સરેરાશ સિત્તેર વર્ષનું માનવઆયુ ગણો તો આશરે 23 વર્ષ ઊંઘવામાં ગયાં. આ ઉપરાંત રોજ સવારે ઊઠીને તમે દોઢેક મિનિટ બ્રશ અને એવી બધી ક્રિયા કરો છો, તો 80-90 દિવસ આવી નાની નાની ક્રિયા પાછળ ગયા… આ અને આવી બધી ક્રિયા પાછળ કેટલો સમય જતો હશે?

જો તમે એમ માનતા હો કે હું તો હજી ત્રીસનો જ છું, મારી પાસે હજી ઘણો સમય છે તો તમે રોંગ છો. કાર્યક્ષમતાની અને ટાઈમ મૅનેજમેન્ટની વાત આવે ત્યારે હંમેશાં એક વાત યાદ રાખવી કે ટાઈમ આપણી પાસે બહુ જ ઓછો છે. ત્રીસ-ચાલીસ-પચાસ વર્ષ ક્યાં વીતી જશે એની ખબર પણ નહીં પડે. ફાસ્ટ સ્પીડે ભાગતા કટ્ટર સ્પર્ધાના યુગમાં 70, 80 વર્ષ કંઈ જ નથી.

ધારો કે આપણે જીવનને ત્રણ ભાગમાં વહેંચીએ તો પહેલા ભાગમાં આવે આપણી સાંસારિક જવાબદારીઓ. બીજા ભાગમાં આવે છે નિઃસ્વાર્થભાવે કરેલી સેવાપ્રવૃત્તિઓ અને ત્રીજા ભાગમાં છેઃ ચારિત્ર્યઘડતર. જ્યારે અંતિમ સમય આવે ત્યારે તમને સંતોષ હોવો જોઈએ કે જીવનની આ ત્રણેય ભૂમિકા મેં પ્રામાણિકતાપૂર્વક શ્રેષ્ઠ રીતે નિભાવી. જીવનમાં પુરુષાર્થ કરીને હું સફળ વ્યવસાયી બન્યો કે નોકરીમાં ઉચ્ચ સ્થાને પહોંચ્યો, બધી જ સાંસારિક જવાબદારીઓ નિભાવી, પરિવારને સુખી રાખ્યો, જરૂરિયાતમંદોને મારાથી બનતી સહાય કરી, અને જીવન એવું જીવી ગયો કે બીજા માટે પ્રેરણા રૂપ બન્યો.

એક વાત યાદ રાખજો, કઠિન પરિશ્રમથી ક્યારેય ડરવું નહીં. એનો કોઈ વિકલ્પ જ નથી. જીવનમાં ટોચ પર પહોંચવા કોઈ લિફ્ટ નથી. તમારે દાદરા જ ચડવા પડશે. પુરુષાર્થ કરવો એ આ સૃષ્ટિનો નિયમ છે. પશુ-પક્ષી પણ પુરુષાર્થ કરે છે.

આપણે માનવીની વાત કરીએ. આપણને ખાવાપીવાની ઝાઝી ચિંતા નથી. એ તો વરસભર મળી રહે છે. આપણી દૌડ છે પ્રસિદ્ધિની, પૈસાની, સ્ટેટસની. ગરીબ હો કે તવંગર, એક યા બીજા કારણસર બધાએ દોડવું જ પડે છે. પરિશ્રમ સંસારનો નિયમ છે. યથાર્થ પુરુષાર્થ નહીં કરો તો તમને જીવન જીવ્યાનો સંતોષ નહીં મળે. ઈશ્વરે આપણને સૌને ઊર્જા આપી છે. તો એ ઊર્જાનો યોગ્ય વપરાશ આપણે ન કરી શકીએ?

-અને કઠિન પરિશ્રમની સાથે જરૂરી છે કાર્યક્ષમતા, વર્ક એફિશિયન્સી. સમયનું સુસંચાલન. કેમ કે એફિશિયન્સી વિનાના પરિશ્રમનો કોઈ અર્થ નથી. ટાઈમ મૅનેજમેન્ટની વાત આવે ત્યારે આ એક સોનેરી નિયમ યાદ રાખજોઃ

દરરોજ સવારે ઊઠીને વૉટ્સએપ ચેક કરતાં પહેલાં, એક કાગળ પર અથવા ડાયરીમાં એ દિવસ દરમિયાન કરવાનાં કામનું લિસ્ટ બનાવોઃ ગમે તે થાય, આજે મારે આટલાં કામ કરવાં જ છે. લિસ્ટ બનાવ્યા પછી કયું કામ કેટલું મહત્વનું છે એ પ્રમાણે એક ટાઈમટેબલ બનાવો. સવારે અમુક ફોનકૉલ્સ કરીશ, પછી બૅન્કમાં જઈશ, ફલાણાને રૂબરૂ મળવા જઈશ, કોઈની ખબર કાઢવા જઈશ, વગેરે.

યાદ રાખજો, લખવાના ફાયદા છે. દેશ-દુનિયાના મૅનેજમેન્ટ ગુરુઓ કહે છે કે સવારના પહોરમાં આવું લિસ્ટ લખવાથી વર્ક એફિશિયન્સી આવે છે. એફિશિયન્સી નહીં હોય તો સતર્કતા નહીં આવે. મનમાં વિચાર્યા કરશો તો પ્રોકાર્સ્ટિનેશનના રવાડે ચઢી જતાં વાર નહીં લાગે. કોઈ કામને ટાળ્યા કરવું એનું નામ પ્રોકાર્સ્ટિનેશન.

સમયના સુસંચાલનની એક સુવર્ણ સમીકરણ છેઃ ‘એઈટ પ્લસ એઈટ પ્લસ એઈટ.’ દિવસના 24 કલાકને આઠ-આઠ-આઠ કલાકમાં વહેંચી નાખો. આઠ કલાક નિષ્ઠાવાન પુરુષાર્થને આપો. તમે જે નોકરી-વ્યવસાય કરતા હો એ નિષ્ઠાપૂર્વક કરવાં. બીજા આઠ કલાક સારી ઊંઘને, આરામને આપો: નેવર એવર કૉમ્પ્રોમાઈઝ ઑન સ્લીપ. અને ત્રીજા મહત્વના આઠ કલાક એટલે ત્રણ F, ત્રણ H અને ત્રણ S.

શું છે આ ત્રણ F, ત્રણ H અને ત્રણ S?

ફૅમિલી-ફ્રેન્ડ્સ-ફેઈથ. હેલ્થ-હાઈજિન-હોબી. સૉલ-સર્વિસ-સ્માઈલઃ પરિવારને, મિત્રોને પૂરતો સમય તથા ઈશ્વરમાં શ્રદ્ધા. તંદુરસ્તી તથા જે ગમે એ શોખને પોષવા. અને, આત્મસંતોષ માટે કોઈ સેવાકાર્ય કરવાં, સદા મોજમાં રહેવું. જો તમે આ 8+8+8ની ફૉર્મ્યુલા અપનાવી એનો અર્થ તમે સુખી, સંતોષકારી, સમતોલ જીવન જીવો છો.

યાદ રહે, બીજીબધી ચીજો તમે ખોઈ નાખશો તો કદાચ પૈસા આપીને એ પાછી મેળવી શકશો, ખરીદી શકશો, પણ સમય નહીં મળે. વીતેલો સમય ક્યારેય પાછો નહીં આવે. અત્યારે જે ક્ષણે, જે સમયે તમે આ વાંચી રહ્યા છો એ ક્ષણ, એ સમય ક્યારેય પાછાં નહીં આવે. એટલે તમે તમારો સમય બહુ સમજીવિચારીને ખર્ચજો.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

૧૫ ઓગસ્ટ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 15/08/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.

કબીરના મતે કળિયુગનું પ્રમાણ શું?

યહ કલિયુગ આયો અબૈ, સાધુ ન માને કોય,

કામી, ક્રોધી, મસખરા, તીન કી પૂજા હોય.

 

સાંપ્રત સમયની વિટંબણા કહો કે વિષમતા કહો – સાચાને સહન કરવાનું અને જૂઠાની બોલબાલા. કબીરજી આને કળિયુગનું પ્રમાણ માને છે. સમાજમાં ધર્મની ધૂરા સંભાળતા મહાનુભાવોમાં કામ, ક્રોધ, લોભ, મદ અને મોહ પ્રચુર માત્રામાં હોય છે તેવા અનુભવ વારંવાર થાય છે.

કબીરના વચનમાં કટાક્ષ અને કરુણાનું અજબ સંમિશ્રણ હોય છે. કબીરજી વ્યક્તિ કરતાં સમયનો દોષ જુએ છે. સાથે સાથે સહાનુભૂતિ પણ દર્શાવે છે. સાધુની પૂજાને બદલે ઉપેક્ષા થાય પણ ઢોંગીને આદર મળે. અંધશ્રદ્ધા દ્વારા કામી – ક્રોધી અને કુમાર્ગીને દેવ સમાન માની લેવાની વૃત્તિ સામે કબીરજી સમાજને લાલ ઝંડી બતાવી રૂક જાવ એમ કહે છે.

ધર્મને ધંધો બનાવવાની કળા વિકસે તે સમય કળિયુગ, જેમનામાં જોઈ શકાય તેવા અનેક દોષો હોય તેમના માટે પૂજ્ય ભાવ સેવવો તે ઈશ્વરનું અપમાન છે. ગાંધીજીએ વ્યક્તિ કે મૂર્તિમાં નહીં પણ સત્યમાં જ ઈશ્વરદર્શન કર્યું તે યથાર્થ છે, અનુકરણીય છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

પંચાંગ 15/08/2024

આ ટેણિયો ફુલ સ્પીડે બોલી શકે છે ગાડીઓના નામ!

એક મિનિટમાં તમે કેટલી ગાડીની બ્રાન્ડના નામ બોલી શકો? દસ? વીસ કે પચીસ? પણ જો કોઈ એમ કહે કે એક ત્રણ વર્ષનો ટેણિયો એક મિનિટમાં પચાસ નેશનલ અને ઇન્ટરનેશનલ કારના સિમ્બોલ ઓળખી એના નામ બોલે છે તો? કેમ નવાઈ લાગીને ? પરંતુ આ બિલકુલ સાચી વાત છે.

અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતો‌ ત્રણ વર્ષનો સ્વયં વિશાલ ભુવાએ એક મિનિટમાં પચાસ નેશનલ અને ઇન્ટરનેશનલ કાર લોગો ઓળખીને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાનો ખિતાબ મેળવ્યો છે.

આ ગોડ ગીફ્ટ છે

સ્વયંના પિતા વિશાલભાઈ ભુવા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, “એ જ્યારે બે વર્ષનો હતો ત્યારથી એની કાલીઘેલી ભાષામાં ગાડીનો લોગો જોઈને એનું નામ બોલવાનો પ્રયત્ન કરતો. આ અંગે અમે એને પહેલા કોઈ પણ પ્રકારની તૈયારી નથી કરાવી. એમ કહી શકાય કે આ ગોડ ગીફ્ટ છે.”

વધુમાં એ કહે છે, “જ્યારે પણ અમે ઘરની બહાર જઈએ તો એ કોઈ પણ કારનો લોગો જોઈને એનું નામ બોલે. રોજિંદા જીવનમાં પણ વસ્તુ સાથે તાલમેલ કરીને કારના લોગોને ઓળખી બતાવે. ફરતો પંખો હોય તો મર્સિડીઝ અને આમ તેમ ફરતી ગરોળી હોય તો ગાડીની વાઈસમેન બ્રાન્ડ સાથે એ સરખાવે.”

અમને ખબર ન હોય એ નામ પણ સ્વયંને આવડે

 

પહેલા તો સ્વયંના માતા-પિતાને વિશ્વાસ ન થતો કે અમારું બાળક આટલી નાની ઉંમરે આટલી સારી રીતે કારના લોગો ઓળખીને એના નામ બોલે છે. સ્વયંના માતા ભાવિકાબહેન ગૃહિણી છે. એ કહે છે કે જે કારના નામ અમને પણ ખબર ન હોય એના લોગો ઓળખીને સ્વયં નામ બોલતો. એના કારણ હવે અમે પણ કાર ઓળખતા થઈ ગયા.

નાની વયે બે રેકોર્ડ

સ્વયં એ બે રેકોર્ડ બનાવ્યા છે પ્રથમ રેકોર્ડ એક મિનિટમાં પચાસ સિમ્બોલ ઓળખીને ગાડીના નામ બોલવાનો. અને બીજો રેકોર્ડ બે મિનિટ બે સેકન્ડમાં એકસો કારના લોગો ઓળખી એના નામ બોલવાનો. આ બંને વર્લ્ડ રેકોર્ડ છે. જેમાં Fastest to identify 100 car logos by a Pre-schooler by international book of Records અને Fastest to identify and recite Car brand logo by World Records India નો સમાવેશ થાય છે. એટલું જ નહીં સ્વયં એ 115 ગાડીના સિમ્બોલ ઓળખી એના નામ બોલ્યો છે એ વીડિયોની એપ્લીકેશન પણ વિશાલભાઈ આગામી સમયમાં કરશે.

લક્ઝરી કારના જોવે છે વીડિયો

સામાન્ય રીતે નાના છોકરા મોબાઈલમાં ગેમ રમે, પોએમ જોવે કે પછી કાર્ટુન જોતા હોય છે. ત્યારે સ્વયં અત્યારથી જ ફરારી, બુગાટી જેવી લક્ઝરી કાર કેવી રીતે બને છે એના વિડિયો જૂએ છે. વિશાલભાઈ કહે છે આમ તો અમે એને વધારે મોબાઈલ નથી આપતા પરંતુ થોડા સમય મોબાઈલ આપીએ ત્યારે એ એના પર માત્રને માત્ર કાર વિશેની માહિતી જ જોતો હોય છે.

સ્વયં માત્ર ત્રણ વર્ષનો છે પરંતુ રોજ સવારે દસ વાગે એની 100 જેટલી ટોય કારના કલેક્શન સાથે પોતાનો શોરૂમ ઓપન કરે છે અને રાત્રે દસ વાગ્યા સુધી એ કારની વચ્ચે રહીને એની જુદી-જુદી માહિતી મેળવે છે. આ ટેણીયા ને જોઇને કોઈ પણ વ્યક્તિ બે મિનિટ માટે વિચારમાં પડી જાય કે એસા ભી કભી હોતા હૈ!

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

 

ભારતની પડોશી દેશોની સાથે સ્થાનિક કરન્સીમાં વેપાર કરવાની તૈયારી

નવી દિલ્હીઃ બંગલાદેશ સહિત છ પડોશી દેશોની સાથે સ્થાનિક કરન્સીમાં ટ્રેડ કરવાની તૈયારી ભારતે કરી લીધી છે. ભારતના આ પ્રસ્તાવ પર શ્રીલંકા અને બંગલાદેશ પહેલાં જ હા કહી ચૂક્યા છે. સરકારના આ પગલાનો હેતુ ટ્રેડ કોસ્ટમાં બચત અને આંતરરાષ્ટ્રીય ટ્રેડમાં ડોલર પરની નિર્ભરતા ઓછી કરવાનો છે.

છેલ્લાં બે વર્ષથી ભારત રશિયાની સાથે મોટા પાયે વેપાર સ્થાનિક કરન્સી એટલે કે રૂપી-રૂબલમાં સફળતાપૂર્વક થઈ રહ્યો છે, પણ હવે ભારત એક નવી યોજના પર કામ કરી રહ્યું છે, જેમાં BIMTEC- એટલે કે છ પડોશી દેશો- બંગલાદેશ, ભૂતાન, નેપાળ, ઇન્ડિયા, શ્રીલંકા, મ્યાનમાર અને થાઇલેન્ડની વચ્ચે આપસી વેપાર સ્થાનિક કરન્સીને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી અમેરિકી ડોલર પરની નિર્ભરતા ઓછી થઈ શકે. નિષ્ણાતોનું માનવું છે કે સ્થાનિક કરન્સીમાં સેટલમેન્ટથી ટ્રેડ ખર્ચમાં 5-6 ટકાની બચત થઈ શકે છે.

વાસ્તવમાં વૈશ્વિક વેપારમાં આશરે 40 ટકા લેવડદેવડ હજી અમેરિકી ડોલર દ્વારા થાય છે. જિયો પોલિટિકલ ટેન્શન, આર્થિક પ્રતિબંધો, વેપારની અનિયમિતતાના દોરમાં બહુબધા દેશો કોઈ એક કરન્સી ઉપર નિર્ભર રહેવા નથી ઇચ્છતા અને તેઓ ડોલરનો વિકલ્પ શોધી રહ્યા છે. આવામાં ઇન્ડિયન રૂપી ઇન્ટરનેશનલ કરન્સીની ભૂમિકા નિર્ણાયક રીતે નિભાવી શકે છે.

રશિયા અને મધ્ય-પૂર્વ સહિત 20 દેશોની સાથે ભારત ઇન્ડિયન રૂપીમાં દ્વિપક્ષી વેપાર માટે સમજૂતી કરી ચૂક્યો છે, પણ હવે આ ચળવળમાં હવે પડોશી દેશોને પણ જોડવાની તૈયારી છે, જેથી વૈશ્વિક અનિશ્ચિતતાના દોરમાં વિદેશી એક્સચેંજના સંકટમાં બધા દેશો સક્ષમતાથી મુકાબલો કરી શકે. એ સાથે આયાત-નિકાસ ખર્ચમાં ઘટાડો કરી શકે.

 

કોર્ટના આદેશ પર આ દેશના વડાપ્રધાનને એક જ ઝાટકે હટાવાયા

જો આપણે થાઈલેન્ડમાં કોર્ટના આદેશનું પાલન જોવું હોય, તો તેના કરતાં વધુ સારું ઉદાહરણ હોઈ શકે નહીં કે એક ઝટકામાં વડા પ્રધાન શ્રેથા થવિસિનને તેમની ખુરશી ગુમાવવી પડી. નૈતિક મૂલ્યોનું પાલન ન કરવા બદલ કોર્ટે આજે વડા પ્રધાન શ્રેથા થવિસિનને પદ પરથી હટાવ્યા છે. જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. તમને જણાવી દઈએ કે આના એક સપ્તાહ પહેલા જ કોર્ટે મુખ્ય વિપક્ષી પાર્ટીને વિસર્જન કરી દીધુ હતું. કોર્ટના આ ઝડપી આદેશોએ થાઈલેન્ડના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

બંધારણીય અદાલતે શ્રેથાને કેબિનેટ સભ્યની નિમણૂક માટે દોષિત ઠેરવ્યા હતા, જેઓ કોર્ટના અધિકારીને લાંચ આપવા બદલ જેલમાં હતા. કોર્ટે 5:4ની બહુમતીથી શ્રેથા વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. જ્યાં સુધી સંસદ નવા વડાપ્રધાનની નિમણૂક ન કરે ત્યાં સુધી કેબિનેટ કેરટેકર ધોરણે રહેશે. આ પદ પર નિમણૂક માટે સંસદને કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી. શ્રેથાએ એપ્રિલમાં કેબિનેટમાં ફેરબદલ કરીને પીચિત ચુએનબનને વડાપ્રધાન કાર્યાલયમાં મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા.

શું હતો મામલો?

પિચિતને 2008 માં કોર્ટની અવમાનના માટે છ મહિનાની જેલ કરવામાં આવી હતી જ્યારે તેણે ભૂતપૂર્વ વડા પ્રધાન થાક્સિન શિનાવાત્રાને સંડોવતા કેસમાં 2 મિલિયન બાહ્ટ (US$55,000) સાથે કથિત રીતે લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ ઘટનાને લઈને ફરી વિવાદ ઉભો થયો, ત્યારે પિચિટે તેમની નિમણૂકના થોડા અઠવાડિયા પછી પદ પરથી રાજીનામું આપી દીધું. કોર્ટે કહ્યું કે જો કે પિચિત પહેલાથી જ જેલની સજા ભોગવી ચૂક્યો છે, પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ તેનું વર્તન અપ્રમાણિક હતું.

કોર્ટે ચુકાદો આપ્યો કે વડા પ્રધાન તરીકે શ્રેષ્ઠાને તેમના કેબિનેટ સાથીદારોની લાયકાતની ચકાસણી કરવાની જવાબદારી હતી. કોર્ટે કહ્યું કે શ્રેથા પિચિતના ભૂતકાળથી વાકેફ હતા પરંતુ તેમ છતાં તેમને કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કર્યા અને આમ નૈતિક સંહિતાનું ઉલ્લંઘન કર્યું.

આફ્રિકન ખેલાડી મોર્ને મોર્કેલ બન્યા ભારતના બોલિંગ કોચ

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કેલને ભારતીય ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મોર્કેલનો કોન્ટ્રાક્ટ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. બોર્ડે ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ સપોર્ટ સ્ટાફની જાહેરાત કરી ન હતી. રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન પારસ મ્હામ્બરે ટીમના બોલિંગ કોચ હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને ટાંકીને કહ્યું કે મોર્કેલને નવો બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે.

મોર્કેલ ગંભીરની પહેલી પસંદ હતો

શાહે ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, ‘હા, મોર્ને મોર્કેલને વરિષ્ઠ ભારતીય પુરૂષ ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.’ દક્ષિણ આફ્રિકાના 39 વર્ષીય મોર્કેલ નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરની પ્રથમ પસંદગી હતા. બંનેએ આઈપીએલની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સમાં સાથે કામ કર્યું છે. અગાઉ, ગંભીર અને મોર્કેલે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમમાં ત્રણ સીઝન માટે એકબીજા સાથે કામ કર્યું હતું. મોર્કેલ દક્ષિણ આફ્રિકા માટે 86 ટેસ્ટ, 117 ODI અને 44 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે જેમાં તેણે કુલ 544 આંતરરાષ્ટ્રીય વિકેટો લીધી છે.

બાંગ્લાદેશ સામેની શ્રેણીથી કામ શરૂ કરશે

ભારતીય ટીમ સાથે બોલિંગ કોચ તરીકે મોર્કેલનું પ્રથમ કાર્ય બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી હશે. બંને ટીમો વચ્ચેની આ શ્રેણી 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. એક મહિનાથી મોર્કેલના નામની ચર્ચા થઈ રહી હતી, પરંતુ હવે તેણે સત્તાવાર રીતે મેમ્બ્રેનું સ્થાન લીધું છે. આ સાથે બીસીસીઆઈએ લગભગ એક દાયકા પછી વિદેશી કોચની નિમણૂક ન કરવાની તેની પ્રથા બદલી છે. ભૂતપૂર્વ મુખ્ય કોચ ડંકન ફ્લેચર પછી પ્રથમ વખત કોઈ વિદેશી ભારતીય કોચિંગ ટીમનો ભાગ બનશે.

PRLના ઓપન હાઉસ કાર્યક્રમને સાંપડ્યો બોહળો પ્રતિસાદ!

અમદાવાદ: ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)એ 12મી ઓગસ્ટ, 2024ના રોજ તેના ચારેય કેમ્પસમાં નેશનલ સ્પેસ ડે અને ડૉ. વિક્રમ સારાભાઈની 105મી જન્મ જયંતિની ઉજવણી કરી.

તાજેતરમાં જ ભારત સરકારે 23મી ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. 23મી ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાન-3 મિશનના વિક્રમ લેન્ડરના સફળ સોફ્ટ લેન્ડિંગ અને ચંદ્ર પર પ્રજ્ઞાન રોવરની તૈનાતીની યાદમાં આ દિવસ ઉજવવાનું નક્કી થયું છે. આ સિદ્ધિ સાથે, ભારત સ્પેસ-ફેરિંગ રાષ્ટ્રોના મહત્વના જૂથમાં જોડાયું છે. ભારત ચંદ્રની સપાટી પર ઉતરનાર ચોથો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરનાર પ્રથમ દેશ બન્યો છે.ઉજવણીની શરૂઆત સવારે 8.30 કલાકે નવરંગુપરા સ્થિત PRLના મુખ્ય કેમ્પસમાં ડૉ. વિક્રમ સારાભાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને થઈ હતી. આ પ્રસંગે ડૉ. મલ્લિકા સારાભાઈ, ડૉ. કાર્તિકેય સારાભાઈ, ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કમિશનર ઑફ ઈન્કમટેક્સ યશવંત ચૌહાણ, એલ. જે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર ડૉ. દિનેશ અવસ્થી તેમજ અન્ય આમંત્રિત મહાનુભાવોએ હાજરી આપી હતી. બાદમાં વૃક્ષારોપણ તેમજ PRLમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચિત્રલેખા.કોમએ PRLના ડિરેક્ટર ડૉ. અનિલ ભારદ્વાજ સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે, “અમારી ઓપન હાઉસ ઈવેન્ટમાં આવેલા વિદ્યાર્થીઓએ અહીં લગભગ ત્રણથી ચાર કલાકનો સમય વિતાવ્યો. જેમાં તેમણે વિવિધ મોડલ્સનું નિરીક્ષણ કર્યુ. આ ઉપરાંત વીડિયો, મુવી જેવાં માધ્યમોથી ભૌતિક વિજ્ઞાન અને સ્પેસ વિજ્ઞાનને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. જે ખરેખર તેમના માટે એક સુખદ અને અલગ જ અનુભવ રહ્યો છે. વિદ્યાર્થીઓએ અને સામાન્ય લોકોએ પણ PRLની મુલાકાત લઈને અનેક પ્રકારની નવી જાણકારી મેળવી છે.” અમદાવાદમાં નવરંગપુરા અને થલતેજ કેમ્પસ, ઉદયપુરમાં ઉદયપુર સોલાર ઓબ્ઝર્વેટરી અને માઉન્ટ આબુ ખાતે PRLની માઉન્ટ આબુ વેધશાળામાં ઓપન હાઉસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઓપન હાઉસના કારણે વિજ્ઞાનમાં અને એમાં પણ ખાસ કરીન સ્પેસ સાયન્સમાં રસ ધરાવતા લોકોને PRLના નિષ્ણાંત વૈજ્ઞાનિકો સાથે રૂબરૂમાં વાર્તાલાપ કરવાની તક મળી. ઓપન હાઉસમાં પ્રદર્શિત સાયન્ટિફિક મોડલ્સની મુલાકાત લેવાની અને PRL કેમ્પસમાં અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળી. આ કાર્યક્રમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. લગભગ 3,000થી વધુ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોએ અમદાવાદમાં PRLના બે કેમ્પસની મુલાકાત લીધી. 340થી વધુ વિદ્યાર્થીઓએ ઉદયપુર સોલાર ઓબ્ઝર્વેટરીની મુલાકાત લીધી. મુલાકાતીઓમાં ધોરણ 8 થી 12 સુધીના શાળાના વિદ્યાર્થીઓ, તમામ વિદ્યાશાખાના UG અને PG વિદ્યાર્થીઓ, કોલેજ, યુનિવર્સિટી અને શાળાના શિક્ષકો તેમજ વિજ્ઞાન કમ્યુનિકેશન સાથે જોડાયેલાં લોકો અને વાલીઓનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટ દ્વારા PRLએ યુવાનોને વિજ્ઞાનમાં કારકિર્દીના વિકલ્પો વિશે માહિતગાર કર્યા. આ જ યુવાનો ભવિષ્યમાં રાષ્ટ્ર નિર્માણ માટે તેમની પ્રતિભાનું યોગદાન આપવા માટે આગળ આવે તે માટેનો PRLનો આ એક પ્રયાસ હતો.