Home Blog Page 1584

શિક્ષણ સંસ્થાઓમાં થતા શોષણ મુદ્દે મહિલા કોંગ્રેસની રજૂઆત

અમદાવાદ: ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થિનીઓના શોષણ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે કહ્યું કે “રાજકોટ જિલ્લાનાં આટકોટ ખાતે પાટીદાર સમાજની શૈક્ષિણક સંસ્થામાં દીકરીઓ ઉપર તેમની મજબુરીનો લાભ ઉઠાવવામાં આવ્યો. આ પ્રકારની સંસ્થાઓમાં રાજકીય પદાધિકારીઓ દ્વારા સામાન્ય અને ગ્રામ્ય ગરીબ દીકરીઓનું શોષણ કરે છે. આવા બનાવો અનેક સંકુલોમાં બનતા હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળે છે. આવી દીકરીઓ પોતાનું ભવિષ્ય અને આબરૂં જવાનાં ડરથી પોતાના ચારિત્ર્ય પર લાગેલો ડાગ છુપાવવાનાં પ્રયાસ કરે છે. ”કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે વધુમાં જણાવ્યું, “મજબૂત માનસ ધરાવતી દીકરી પોતાના કુટુંબની અને ભવિષ્યની ચિંતા કર્યા વગર ભાગ્યેજ બહાર આવતી હોય છે અને જે બહાર આવે છે તેને રાજકીય સંડોવણીના ભાગરપે કોઇના કોઇ રીતે દબાવવા માટેનો પ્રયાસ થાય છે. ‘બેટી બચાવ’ માટે નારા લગાવતી સરકારમાં આ ખુબજ ચિંતાનો વિષય બનતો જાય છે. ડ્રગ્સ, દારૂ, અસામાજીક પ્રવૃત્તિ, અભ્યાસ કરતી દીકરીઓ તેમજ મહિલાઓની અસલામતી તે આપણી સંસ્કૃતિની વિરૂદ્ધનું કૃત્ય છે. સરકારની આ મુદ્દે કેમ આંખ ઉઘડતી નથી તે એક મોટો પ્રશ્ન છે?”

રેસલર અમન સેહરાવતનો વિજય, સેમીફાઇનલમાં એન્ટ્રી

ભારતના કુસ્તીબાજે પેરિસમાં ચમત્કાર કરી બતાવ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ અમન સેહરાવતની જેણે 57 કિગ્રા કુસ્તી કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સેમિફાઇનલમાં જગ્યા બનાવી. અમન સેહરાવતે અલ્બેનિયન રેસલરને 12-0થી હરાવ્યો હતો. આ જીત સાથે અમન હવે મેડલથી એક પગલું દૂર છે. જો અમન સેહરાવત સેમિફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચશે તો તેનો સિલ્વર મેડલ કન્ફર્મ થઈ જશે અને જો તે ત્યાં પણ જીતશે તો ગોલ્ડ મેડલ તેના નામે થઈ જશે.

અમન સેહરાવતને જીતવાની આદત

અમન સેહરાવતની કારકિર્દી શાનદાર રહી છે. 21 વર્ષનો આ રેસલર ઘણી મોટી સ્પર્ધાઓમાં ગોલ્ડ જીતી ચૂક્યો છે. ગયા વર્ષે તેણે એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. તે જ વર્ષે તેણે ઝાગ્રેબમાં પણ ગોલ્ડ જીત્યો હતો. તેણે બુડાપેસ્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2022માં અમને 61 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. જો કે આ ખેલાડી હવે 57 કિગ્રા વર્ગમાં રમે છે.

 

વરસાદનું જોર ઘટ્યું, 24 કલાકમાં 64 તાલુકામાં મેઘ મહેર

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદનું જોર ઘટ્યું હોય એવુ લાગી રહ્યું છે. ત્યારે આજે સાવરે મળેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 24 કલાકમાં 64 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અત્રો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સિઝનનો એવરેજ 68.52 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં 82.67 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં કુલ 86.70 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82.67 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 51.32 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 49.40 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 64 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં માતર, ચિખલી, ધરમપુર, ફતેપુરા, આહવામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. છોટાઉદેપુર ખાતે ગત મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. લગભગ 20 મિનિટ સુધી વરસાદ વરસ્યો હતો. જેથી કામ ધંધા પરથી ઘરે જતા લોકો અટવાયા હતા.

હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે આવતી કાલથી વરસાદનું જોર ફરી વધવાની આશંકા વ્યક્ત કરી છે. ત્યારે નવમી ઑગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ શાંત છે, ત્યારે આગામી 14 ઑગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

શું છે અદાણી ગ્રુપની ભાવિ યોજનાઓ?

અમદાવાદઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણીએ અદાણી ગ્રુપનો ફ્યુચર પ્લાન જણાવ્યો છે. વર્ષ 2030 સુધીમાં અદાણી જૂથે ઓછામાં ઓછા એક અબજ ટન વોલ્યુમની કંપની બનવાનું લક્ષ્ય નિર્ધાર્યું છે, કારણ કે ભારતનો વેપાર ઝડપથી વિકાસ પામી રહ્યો છે. અમે પણ આ વિકાસયાત્રાનો ભાગ બનવા માગીએ છીએ. અમે ભારતમાં વિશ્વસનીય સપ્લાય ચેઇન સોલ્યુશન્સ જાળવવા કામ કરી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું.

તેઓ જણાવે છે કે અલબત્ત, અમુક પોઝિશન્સને કારણે તે અમારા માટે વ્યૂહરચના જરૂરી બની જાય છે. અમે ભારતના મુખ્ય વેપાર માર્ગોને ઓળખીએને ત્યાં પોઝિશન લઈએ છીએ, તે માર્ગો વચ્ચે વેપાર કરીએ છીએ. જોકે તેનો અર્થ એ નથી કે દેશની જિયો પોલિટિકલ પ્રાથમિકતાઓ ગ્રુપની પણ પ્રાથમિકતા હોય. આખરે અમે જોખમ કેટલું છે તેને પારખીએ છીએ. ઘણી વાર જોખમ લેવાથી ફાયદો થતો હોય છે. નુકસાન પણ થાય છે, જોકે આ બધું ચાલતું રહે છે.

અમારો પરિવાર અદાણી ગ્રુપમાં સૌથી મોટો શેરધારક છે. છેવટે અમારા રોકાણકારોને વળતર આપવું જરૂરી હોય છે, તેથી સંતુલન પણ જરૂરી છે. રોકાણકારોના દ્રષ્ટિકોણથી જુઓ તો, એક જૂથ તરીકે અમે 2007-2008માં સંક્રમણમાંથી પસાર થયા છીએ. 2007-2008માં અમારી પાસે હોલ્ડિંગ માળખું હતું. પહેલા અમારી પાસે અદાણી એન્ટરપ્રાઇઝીસ હતી. ત્યાર બાદ બાકીની સબસિડિયરી કંપનીઓએ કંપનીઓને અલગ કરવાનું શરૂ કર્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું.

પિતા ગૌતમ અદાણી વિશે વાત કરતાં તેઓ જણાવે છે મને લાગે છે કે મારા પિતાએ જે કામ કર્યું તેવું કદાચ હું કરી શકીશ નહીં. મારી નબળી બાજુ અને મજબૂત બાજુઓથી અમે વાકેફ છીએ. અમે મજબૂત બાજુને વધારી રહ્યા છીએ. મારા પિતા તરફથી હું જે શીખ્યો છું તેનો મારા રોજિંદા કામમાં ઉપયોગ કરવાનો પ્રયાસ કરું છું.

અદાણી ગ્રુપને આગળ લઈ જવાની જવાબદારી તેમના પુત્રો કરણ અદાણી અને જીત અદાણી અને ભત્રીજા પ્રણવ અદાણીના અને સાગર અદાણી ખભા પર રહેશે.

કોર્ટે CM કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવી

એક્સાઇઝ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 20 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. સીબીઆઈએ કેજરીવાલને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કર્યા હતા.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ફરી આંચકો લાગ્યો છે. કોર્ટે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 20 ઓગસ્ટ સુધી લંબાવી છે. સીએમ અરવિંદ કેજરીવાલ ઘણા મહિનાઓથી તિહાર જેલમાં બંધ છે.

વક્ફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલ JPCને મોકલવાની માંગ

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આજે પણ ભારે હોબાળો થવાની સંભાવના છે. વક્ફ બોર્ડને અપાયેલી અમર્યાદિત સત્તાઓ પર અંકુશ લાવવા અને વધુ સારા સંચાલન અને પારદર્શિતા માટે સરકારે ગુરુવારે લોકસભામાં એક બિલ રજૂ કર્યું હતું. સાથે જ વિનેશ કેસને લઈને વિપક્ષ પણ સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. લગભગ એક કલાક સુધી બોલ્યા બાદ કિરેન રિજિજુએ આ બિલ JPCને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું કે તેમની સરકારે આ બિલને જેપીસીને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે તેઓ આ મામલે કમિટી બનાવવા પર કામ કરશે.

સચ્ચર સમિતિના અહેવાલ પર આધારિત બિલઃ રિજિજુ

કિરેન રિજિજુએ કહ્યું, આજે લાવવામાં આવેલ બિલ સચ્ચર કમિટીના રિપોર્ટ પર આધારિત છે, જે તમે (કોંગ્રેસ) દ્વારા બનાવવામાં આવ્યું હતું. કિરેન રિજિજુએ વકફ સુધારા બિલ પર કહ્યું કે આ બિલ દ્વારા બંધારણનું ઉલ્લંઘન નથી થઈ રહ્યું. જેમને નથી મળ્યા તેમને અધિકાર આપવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. કોઈપણ ધર્મમાં દખલગીરી નથી. વિપક્ષની તમામ આશંકાઓ દૂર કરવામાં આવશે. આ બિલનું સમર્થન કરો, તમને કરોડો લોકોના આશીર્વાદ મળશે.

અધ્યક્ષ ધનખરે ગૃહના નેતાઓની બેઠક બોલાવી હતી

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે ગૃહના નેતાઓની બેઠક બોલાવી હતી. તેમણે કહ્યું કે ગૃહમાં જે દ્રશ્ય સર્જાયું તે અભૂતપૂર્વ હતું અને સહન કરી શકાય તેવું નથી. કઠિન નિર્ણયો લેવા એ આપણી ફરજ છે.

નાગા ચૈતન્યએ શોભિતા ધુલીપાલા સાથે કરી સગાઈ, પિતાએ તસવીર કરી શેર

મુંબઈ: નાગા ચૈતન્યએ શોભિતા ધૂલીપાલા સાથેના સંબંધને નવું નામ આપ્યું છે. તાજેતરમાં નાગા ચૈતન્યએ શોભિતા ધુલીપાલા સાથે સગાઈ કરી અને તેણીને પોતાની જીવનસાથીના રૂપમાં સ્વીકારી છે. હા, ફરી એકવાર નાગા ચૈતન્ય લગ્નસંબંધ તરફ આગળ વધવા તૈયાર છે.

સામંથાથી છૂટાછેડા પછી નાગા ચૈતન્ય લાંબા સમયથી શોભિતા ધુલીપાલાને ડેટ કરી રહ્યા હતા. હવે બંને સગાઈના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેની સગાઈ તાજેતરમાં નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં થઈ હતી, જેની તસવીરો ચૈતન્યના પિતા અને સુપરસ્ટાર નાગાર્જુને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

નાગાર્જુને સગાઈની તસવીરો શેર કરી છે

નાગાર્જુને તેના પુત્ર અને ભાવિ પુત્રવધૂની બે તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીરમાં અભિનેતા તેના પુત્ર અને ભાવિ પુત્રવધૂ સાથે પોઝ આપતા જોવા મળે છે. તો બીજી તસવીરમાં શોભિતા નાગા ચૈતન્યના ખભા પર માથું રાખીને પોઝ આપતી જોવા મળે છે.

કપલની સગાઈની તસવીરો શેર કરતી વખતે, નાગાર્જુને લખ્યું, ‘અમે અમારા પુત્ર નાગા ચૈતન્યની સગાઈ શોભિતા ધૂલીપાલા સાથે જાહેર કરતાં ખુશ છીએ, જે આજે સવારે 9:42 વાગ્યે થઈ હતી!! અમે તેને અમારા પરિવારમાં આવકારતા ખૂબ જ ખુશ છીએ. સુખી યુગલને અભિનંદન. તેને જીવનભર પ્રેમ અને ખુશીની શુભેચ્છા. આશિર્વાદ.’

જાપાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપ, સુનામીની ચેતવણી

જાપાન ફરી એકવાર ભૂકંપનો શિકાર બન્યું છે. દક્ષિણ જાપાનના ક્યુશી વિસ્તારમાં ગુરુવારે 7.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. પ્રારંભિક અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નિચિનાનથી 20 કિમી ઉત્તર-પૂર્વમાં 25 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપ બાદ અધિકારીઓએ સુનામીની ચેતવણી જારી કરી છે.

ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે શોપિંગ મોલનો સામાન, ખુરશીઓ, પંખા અને ટેબલ બેગની જેમ ધ્રૂજવા લાગ્યા. સુનામીની ચેતવણી બાદ સમગ્ર જાપાનમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટૂંકા ગાળામાં 2 મોટા ભૂકંપ આવ્યા છે. જેમાં દરિયાકાંઠે 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને દક્ષિણ જાપાનના દરિયાકાંઠે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપ અને સુનામી ફરી આવી શકે

જાપાનના હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ભૂકંપના વધુ એક મોજા આવી શકે છે. ભૂકંપ બાદ અધિકારીઓએ સુનામીની ચેતવણી જારી કરી છે. અધિકારીઓએ નાગરિકોને સલામત સ્થળે રહેવા જણાવ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલીવાર એક સાથે બે મોટા ભૂકંપ આવ્યા છે.

જાપાનના મિયાસાકી નજીક ક્યુશુના દક્ષિણી ટાપુમાં 7.1ની તીવ્રતાના ભૂકંપને કારણે અનેક નુકસાન થયાના અહેવાલો છે. ભૂકંપ પછીની તસવીરો હ્રદયસ્પર્શી છે. તસવીરોમાં શહેરની ગલીઓમાં ચીસો અને બૂમો સ્પષ્ટ જોઈ શકાય છે. રસ્તાઓ પર દોડતા વાહનો રમકડાંની જેમ ફરતા જોવા મળે છે.

વકફ બોર્ડ સંશોધન બિલ લોકસભામાં રજૂઃ અનેક પાર્ટીઓએ કર્યો વિરોધ

નવી દિલ્હીઃ લોકસભામાં અલ્પસંખ્યક મામલાના મંત્રી કિરણ રિજિજુએ વકફ બોર્ડ અધિનિયમમાં સંશોધનથી જોડાયેલું બિલ રજૂ કર્યું હતું. આ બિલ દ્વારા વકફ એક્ટમાં અનેક ફેરફારો થશે. વકફ કાનૂન 1995નું નામ બદલીને એકીકૃત વકફ પ્રબંધન, સખતીકરણ, દક્ષતા અને વિકાસ અધિનિયમ, 1995 હશે. લોકસભામાં કોંગ્રેસે કહ્યું હતું કે આ બંધારણ પર હુમલો છે.

કિરણ રિજિજુએ કહ્યું હતું કે વિપક્ષે જે તર્ક આપ્યો છે એ બરાબર નથી. આ બિલમાં બંધારણની કોઈ પણ જોગવાઈનું ઉલ્લંઘન નથી કરવામાં આવ્યું. આ કોઈ પણ ધર્મમાં દખલ નથી. કોઈનો પણ હક છીનવવા માટે નથી, પણ જેને દબાવીને રાખવામાં આવ્યા હતા, તેમને જગ્યા આપવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. મુઠ્ઠીભર લોકોએ વકફ બોર્ડ પર કબજો કરી રાખ્યો છે.

આ બિલનો કોંગ્રેસ, SP સહિત ઇન્ડિયા ગઠબંધનના પક્ષોએ જોરદાર વિરોધ કર્યો છે. આ બિલને લઈને લોકસભામાં ભારે હંગામો થયો છે. કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે લોકસભામાં વકફ બિલનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ બિલ બંધારણ પર એક મૌલિક હુમલો છે. આ બિલમાં એ જોગવાઈ છે કે બિન મુસ્લિમ પણ વકફ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય હશે. એ ધર્મની સ્વતંત્રતા પર સીધો હુમલો છે. ત્યાર બાદ ખ્રિસ્તીઓ અને જૈનોને નંબર આવશે.

SPએ લોકસભામાં વકફ બોર્ડ સંશોધન બિલનો વિરોધ કર્યો હતો. પક્ષના સાંસદ મોહિબુલ્લાબે કહ્યું હતું કે મારા ધર્મમાં આ દખલઅંદાજી, એનાથી દેશની શાખને નુકસાન પહોંચશે, જ્યારે DMK સાંસદ કનિમોઝીએ કહ્યું હતું કે એ બિલ આર્ટિકલ 30નું સીધું ઉલ્લંઘન છે. આ બિલ એક વિશેષ ધાર્મિક સમૂહને ટાર્ગેટ કરે છે, એમ તેમણે કહ્યું હતું.

જોકે MP વકફ બોર્ડના અધ્યક્ષે સનવર પટેલે આ બિલનું સ્વાગત કરતાં કહ્યું હતું કે નવા પડકારોની સાથે નવા કાયદાની જરૂર હોય છે. જે લોકો સંપત્તિઓ પર ગેરકાયદે કબજો કરી લે છે, એના પર લગામ લાગશે. અમે મોદીજીનો આ બિલ માટે આભાર વ્યક્ત કરીએ છીએ.

 

હવે વિનેશ ફોગાટ પર નીતા અંબાણીએ આપી આવી પ્રતિક્રિયા

વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024 માટે ગેરલાયક ઠેરવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટ 50 કિલો રેસલિંગ કેટેગરીમાં ફાઇનલમાં પહોંચી હતી. બુધવારે તે ફાઇનલ મેચ રમવાની હતી. જો કે, વિનેશ ફોગાટનું વજન 50 કિલોથી વધુ હોવાને કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી. આ ઘટના બાદ આખું ભારત દુઃખી અને આઘાતમાં છે. હવે IOC સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ આ સમગ્ર ઘટના અને વિનેશ ફોગાટને લઈ નિવેદન આપ્યું છે.

વિનેશ મજબૂત વાપસી કરશે – નીતા અંબાણી

વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માંથી અયોગ્ય ઠેરવવાના મુદ્દે નીતા અંબાણીએ કહ્યું કે આજે આખો દેશ વિનેશ ફોગાટનું દર્દ અને દુ:ખ વહેંચી રહ્યો છે. નીતા અંબાણીએ કહ્યું કે વિનેશ એક ચેમ્પિયન ફાઈટર છે અને મને કોઈ શંકા નથી કે તે વધુ મજબૂત રીતે વાપસી કરશે.

વિનેશ આવનારી પેઢીઓ માટે પ્રેરણા છે – નીતા અંબાણી

નીતા અંબાણીએ વધુમાં કહ્યું કે વિનેશે વારંવાર બતાવ્યું છે કે તેની તાકાત માત્ર જીતમાં જ નથી પરંતુ પ્રતિકૂળ સંજોગોને પાર કરવાની ક્ષમતામાં પણ રહેલી છે. નીતા અંબાણીએ કહ્યું કે વિનેશ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે. ખાસ કરીને યુવાન છોકરીઓ અને તેમના માતાપિતા માટે જે તેમને સપના અને દ્રઢતાની શક્તિ દર્શાવે છે. નીતા અંબાણીએ કહ્યું કે વિનેશ, તારી ઈચ્છાશક્તિ કોઈપણ મેડલ કરતા સારી છે. અમે બધા તમારી સાથે છીએ.

સિલ્વર મેડલ પણ નહીં મળે

વિનેશનું વજન 50 કિલો કરતાં 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશે 50 કિલો ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. વિનેશ તેની ફાઇનલ મેચ રમવાની હતી પરંતુ હવે તેને અયોગ્ય ઠેરવવામાં આવી. તેને સિલ્વર મેડલ પણ નહીં મળે.