Home Blog Page 1585

વિનેશ ફોગાટની નિવૃત્તિને મુદ્દે રાજ્યસભામાં હંગામો

નવી દિલ્હીઃ વિનેશ ફોગાટ ઓલિમિપિકમાંથી બહાર થવાથી રાજ્યસભામાં જબરદસ્ત હંગામો થયો છે. વિપક્ષના નેતાએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવવાના પ્રયાસ કર્યા હતા, જેને સભાપતિએ એની મંજૂરી નહોતી આપી. TMC સાંસદ ડેરેક ઓબ્રાયનએ પણ એ મુદ્દે અવાજ ઉઠાવવા પ્રયાસ કર્યા હતા, પણ સભાપતિએ તેમને પણ ચેતવણી આપી હતી. ત્યાર બાદ વિપક્ષ- કોંગ્રેસ-TMC અને અન્યોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો હતો.

ત્યાર બાદ સભાપતિ ધનખડે નારાજ થયા હતા. તેમણે વિપક્ષને કહ્યું હતું કે અમર્યાદિત આચરણ નહીં કરો. સંસદની ગરિમા ઓછી નહીં કરો. કેટલાક સાંસદ ખોટી ટિપ્પણી કરી રહ્યા છે.

રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે વિપક્ષના સૂત્રોચ્ચારથી ખાસ્સા નારાજ થયા હતા. તેમણે કહ્યું હતું કે મારી પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. મારી વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરવામાં આવી રહી છે. તેમણે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે હું અહીં તમારી સમક્ષ બેઠવા માટે સક્ષમ નથી અનુભવી રહ્યો, જેથી થોડા સમય માટે હું અહીંથી જઈ રહ્યો છું.

આ પહેલાં વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુશ્તીની ફાઇનલમાં અયોગ્ય ઘોષિત થયા પછી કુશ્તીમાંથી સંન્યાસની ઘોષણા કરી છે. વિનેશે એલાન કરતાં લખ્યું હતું કે તે હારી ચૂકી છે અને હવે તાકાત નથી બચી.

વિનેશ ફોગાટે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એક ભાવુક પોસ્ટ કરી છે. તેણે પોતાનું દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે મા, કુશ્તી મારાથી જીતી ગઈ અને હું હારી ગઈ. માફ કરજો તમારું સપનું અને મારી  હિંમત –બંને તૂટી ગયા છે. અલવિદા કુશ્તી 2001-2024.

વિનેશ ફોગાટ બુધવારે પેરિસ ઓલમ્પિક 2024 માં 50 કિલો ફ્રીસ્ટાઈલ ફાઈનલમાંથી ડિસ્ક્વોલિફાય થઈ ગઈ હતી. ફક્ત 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે વિનેશ ફોગાટને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી તેને લઈને ભારતીય અધિકારીઓએ પણ નિયમ ને લઈને અનેક પ્રયત્નો કર્યા, પરંતુ આ નિયમમાં ફેરફાર થયો નહીં અને ઓલમ્પિકમાં ગોલ્ડ જીતવાનો ગોલ્ડન ચાન્સ વિનેશ ફોગાટના હાથમાંથી નીકળી ગયો.

 

બાંગ્લાદેશમાં ખાલિદા ઝિયાનો હુંકાર, શું કહ્યું પહેલા ભાષણમાં?

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે વચગાળાની સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન નજરકેદમાંથી મુક્ત થયાના એક દિવસ પછી બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાએ “અશક્યને શક્ય બનાવવા માટેના સંઘર્ષ” માટે દેશવાસીઓનો આભાર માન્યો. ઝિયાએ કહ્યું કે દેશનું પુનર્નિર્માણ “ક્રોધ” અથવા “બદલો” દ્વારા નહીં પરંતુ “પ્રેમ અને શાંતિ” દ્વારા કરવામાં આવશે. નયાપલટનમાં BNPની રેલીમાં વિડિયો લિંક દ્વારા આપવામાં આવેલા તેમના ભાષણમાં 79 વર્ષીય ઝિયાએ શાંતિ માટે અપીલ કરી હતી. 2018 પછી ઝિયાનું આ પ્રથમ જાહેર ભાષણ છે.

જિયાએ કોનો આભાર માન્યો?
‘ડેઇલી સ્ટાર’ અખબારના અહેવાલ મુજબ, જિયાએ તેના માટે લડનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો અને જેલમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરી હતી.જિયાએ કહ્યું,”હવે મને મુક્ત કરવામાં આવી છે. હું તે બહાદુર લોકોનો આભાર માનવા માંગુ છું જેઓએ અશક્યને શક્ય બનાવવા માટે ‘કરો યા મરો’ની લડત કરી.આ વિજય આપણને લૂંટ, ભ્રષ્ટાચાર અને કુશાસનના કાટમાળમાંથી બહાર આવવાની નવી સંભાવના આપે છે. આપણે આ દેશને સમૃદ્ધ બનાવવાની જરૂર છે.”

‘પ્રેમ અને શાંતિ જરૂરી છે’
દરેકને યુવાનોના હાથ મજબૂત કરવા વિનંતી કરતાં ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું, “યુવાનો આપણું ભવિષ્ય છે. તેમના સપનાને સાકાર કરવા માટે આપણે લોકતાંત્રિક બાંગ્લાદેશનું નિર્માણ કરવાની જરૂર છે, જેના માટે તેણે પોતાનું લોહી વહાવ્યું છે, કોઈ વિનાશ નહીં, કોઈ ગુસ્સો અને કોઈ બદલો નહીં, આપણા દેશના પુનઃનિર્માણ માટે આપણને પ્રેમ અને શાંતિની જરૂર છે.”

જેલની સજા ફટકારવામાં આવી હતી
તત્કાલિન વડા પ્રધાન શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન 2018માં ભ્રષ્ટાચાર માટે ઝિયાને 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 76 વર્ષીય હસીનાએ સોમવારે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેમની સરકાર સામે ભારે વિરોધ વચ્ચે ભારત ઉડાન ભરી હતી. જીયા હાલમાં વિવિધ રોગોની સારવાર લઈ રહી છે. હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ સરકારની હકાલપટ્ટી બાદ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનના કાર્યકારી આદેશ પર ઝિયાને મંગળવારે મુક્ત કરવામાં આવ્યા હતાં.જિયા બે વર્ષથી વધુ સમયથી જેલમાં હતા. ઝિયા અને હસીના બાંગ્લાદેશમાં દાયકાઓથી રાજકીય દુશ્મનાવટમાં છે.

Opening Bell: રેપો રેટની જાહેરાત પહેલાં રેડ ઝોનમાં ખુલ્યું શેરબજાર

મુંબઈ: ભારતીય રિઝર્વ બેંકની પોલિસી બેઠક પહેલા ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા હતા. MPC આજે પણ વર્તમાન વ્યાજ દર જાળવી રાખે તેવી અપેક્ષા છે. સવારે 9:20 વાગ્યે, BSE સેન્સેક્સ 320 પોઈન્ટ ઘટીને 79,151 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 67 પોઈન્ટ ઘટીને 24,230 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આજે સૌથી વધુ ઘટાડો આઈટી અને મેટલ શેર્સમાં જોવા મળ્યો હતો, આ સાથે જ ઈન્ફોસિસ, એલટીઆઈ માઇન્ડટ્રી, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠકનો આજે છેલ્લો દિવસ છે અને 12 વાગ્યે RBI ગવર્નર શક્તિકાંત દાસ પ્રેસ કોન્ફરન્સમાં બેઠકમાં જણાવશે કે આરબીઆઈ રેપો રેટ 6.5% પર યથાવત રહેશે કે નહીં.

વિનેશની સિલ્વર મેડલની આશા હજુ જીવંત, CAS આજે કરશે નિર્ણય

પેરિસ: વિનેશ ફોગાટે આજે કુશ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને આ માહિતી આપી હતી. તેના આ નિર્ણય પહેલા આજે મેડલ અંગે પણ સુનાવણી થવાની છે. આવી સ્થિતિમાં ભારત માટે હજુ મેડલની આશા જીવંત છે. આ મુદ્દે CAS (કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ) આજે તેનો ચુકાદો આપશે. ખરેખર પેરિસ ઓલિમ્પિકમાં વિનેશની સિલ્વરની આશા હજુ પણ જીવંત છે.વિનશે પોતાને અયોગ્ય જાહેર કરવાના નિર્ણયને પડકાર્યો છે.

વિનેશ ફોગાટે કહ્યું છે કે મને સંયુક્ત સિલ્વર મેડલ આપવો જોઈએ. આ સાથે વિનેશે ફાઈનલ મેચ રમવાની પરવાનગી પણ માંગી હતી, જે ફગાવી દેવામાં આવી હતી. હવે વિનેશની સિલ્વર મેડલની માંગ પર નિર્ણય લેવાનો બાકી છે. CASએ પોતાનો અંતિમ નિર્ણય આપવા માટે ગુરુવાર સવાર સુધીનો સમય માંગ્યો હતો. સ્પોર્ટ્સ અફેર્સ કોર્ટ લગભગ 11:30 વાગ્યે પોતાનો ચુકાદો આપશે. જો CAS વિનેશની તરફેણમાં ચુકાદો આપે તો IOCએ સંયુક્ત રીતે વિનેશને સિલ્વર મેડલ આપવો પડશે. એટલે કે 50 કિલોગ્રામ મહિલા કુશ્તીની ફાઈનલ મેચમાં હારેલી કુસ્તીબાજની સાથે વિનેશે પણ સંયુક્ત રીતે સિલ્વર મેડલ મળશે.

આવા લોકોને વિઘ્નો કદાપિ અટકાવી નથી શકતાં

હાલ ફ્રાન્સ દેશના પેરિસમાં ખેલકૂદનો મહાકુંભ એટલે કે ઓલિમ્પિક્સ ચાલી રહ્યો છે. ભારતના રમતવીરો ધીમી પણ મક્ક્મ ગતિથી આગેકૂચ કરી રહ્યા છે, વધુ ને વધુ મેડલથી સમ્માનિત થઈ ભારતનું નામ રોશન કરી રહ્યા છે.

હવે, 2024થી 1960ની ઓલિમ્પિકમાં જઈએ. 1960ના રોમ ઓલિમ્પિક્સમાં જોઈએ વિલ્માનો દેખાવ.

અમેરિકાના ટેનિસી શહેરમાં જન્મેલી વિલ્મા રુડોલ્ફને 4 વર્ષની વયે પોલિયો થયો. વિવિધ ડોક્ટરોએ તેનો ચેકઅપ કરીને હાથ ઊંચા કરી દેતાં કહ્યું, ‘આ બાળકી ક્યારેય જમીન પર પગ મૂકી શકશે નહીં.’

સમજણી થઈ તે પછી વિલ્માના મનમાં સતત એક વિચાર સતત ઘૂંટાયા કરતો હતો કે, મારે સૌથી ઝડપથી દોડતી મહિલા બનવું છેઃ આઈ વૉન્ટ ટુ બી ધ ફાસ્ટેસ્ટ વુમન ઑન ધ ટ્રેક ઓન ધિસ અર્થ. પોલિયોગ્રસ્ત વ્યક્તિ ઓલિમ્પિક્સમાં દોડીને ત્રણ-ત્રણ ગોલ્ડમેડલ મેળવે એ વાત માન્યામાં આવે?

અશક્ય જેવી આ વાત વિલ્માના હૃદયનો ધબકાર બની ગઈ હતી. શરૂઆત તેણે ચાલવાના પ્રયાસથી કરી. 9 વર્ષની થઈ ત્યારે તેણે સળિયા વગર ચાલવાનું શરૂ કર્યું. 13માં વર્ષે દૌડની સ્પર્ધામાં ભાગ પણ લીધો, પરંતુ છેલ્લા નંબરે આવી. 1956માં 16 વર્ષની વયે તેણે મેલબોર્ન ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો અને 20મા વર્ષે 1960માં ઈટલીના રોમમાં આયોજિત ઓલિમ્પિક્સમાં, સૌના આશ્ચર્ય વચ્ચે, 100 મીટર, 200 મીટર અને 400 મીટરની દૌડમાં ગોલ્ડમેડલ સાથે વિશ્વવિક્રમી, વિશ્વવિજેતા બની. તે વખતે છાપાંમાં મથાળાં છપાયાં-

દિવ્યાંગ મહિલા બની સૌથી ઝડપી દોડવીર. આ જ મથાળું વિલ્માએ પોલિયોગ્રસ્ત થયા બાદ વિચારી રાખેલું.

પેરિસ ઓલિમ્પિક્સ પર પાછા ફરીએ તો, એમાં ભારત અને દુનિયાભરમાંથી આવેલા તાજા વછેરા જેવા ખેલાડીઓ, એમને તાલીમ-પ્રેરણા દેનારા એમના પ્રશિક્ષકો છે તો બીજી બાજુ નકારાત્મક વિચાર કરનારા, વાંકદેખા પણ છે. નકારાત્મક લોકોની કમી નથી આપણે ત્યાં. નોકરી છોડીને ધંધો કરીશ તો ખુવાર થઈ જઈશ, લૉસ જશે તો. પરીક્ષામાં નપાસ થઈશ તો? જૉબ છૂટી જશે તો? પર્વતારોહણ કરવા ગયો ને પડી જઈશ તો?

-અને આ બધા વચ્ચે વિષ્મા જેવા કેટલાક એવા લોકો છે, જે આપણે જેના પરથી પસાર થઈએ છીએ એવી બલકે તેથી પણ વિકટ કાંટાળી કેડી પરથી પસાર થાય છે, છતાં સફ્ળતાનાં શિખર સર કરે છે. કારણ? ભલે વિઘ્નોની પરંપરા વચ્ચે ઊભી હોય, છતાં એમની નજર હંમેશાં લક્ષ્ય તરફ જ મંડાયેલી રહે છે. આવા લોકોને વિઘ્નો કદાપિ અટકાવી નથી શકતાં.

સંસ્કૃતમાં કહ્યું કે “પ્રારભ્યતે ન ખલુ વિઘ્નભયેન નીચૈઃ પ્રારભ્ય વિઘ્નવિહતા વિરમન્તિ મધ્યાઃ વિઘ્નૈઃ પુનઃરપિ પ્રતિહન્યમાનાઃ પ્રાબ્ધ તૂત્ત્મજના ન પરિત્યજન્તિ” એટલે કેઃ જે નિમ્ન કોટિના માનવી હોય છે તે વિઘ્નના ભયથી કાર્યારંભ જ નથી કરતા. જે મધ્યમ કક્ષાના માનવી છે તે વિઘ્ન આવતાં જ આરંભેલા કાર્યને મૂકી દે છે, પરંતુ જે શ્રેષ્ઠજનો છે તે તો વારંવાર વિઘ્નો આવવા છતાં શરૂ કરેલા કાર્યને ક્યારેય છોડતા નથી.’

કહે છેને કે, કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી… અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસનો આજે શપથ ગ્રહણ સમારોહ

ઢાકા: મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર ગુરુવારે સાંજે શપથ લેશે. દેશના આર્મી ચીફ જનરલ વકાર ઉઝ જમાને કહ્યું કે પ્રો. યુનુસ ગુરુવારે જ પેરિસથી ઢાકા પરત ફરી રહ્યા છે. આ સાથે જ મોહમ્મદ યુનુસે લોકોને શાંતિ જાળવવા અને હિંસાથી દૂર રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, જો આપણે હિંસાનો માર્ગ પસંદ કરીશું તો બધું નાશ થઈ જશે. શાંત રહો અને દેશના પુનઃનિર્માણની તૈયારી કરો.વિદ્યાર્થીઓને અભિનંદન આપતા યુનુસે કહ્યું કે, આ નવી જીતનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. તમારી ભૂલોથી વિજયને સરકી જવા ન દો. જનરલ ઝમાને કહ્યું, મને વિશ્વાસ છે કે યુનુસ આપણને લોકશાહીના માર્ગ પર પાછા લાવશે, જેનો લાભ બધાને મળશે. યુનુસને સેનાનું સંપૂર્ણ સમર્થન છે. જનરલ ઝમાને કહ્યું, વચગાળાની સરકારની સલાહકાર પરિષદમાં 15 સભ્યો હોઈ શકે છે. આર્મી ચીફે આશા વ્યક્ત કરી હતી કે ત્રણથી ચાર દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. ગુનામાં સંડોવાયેલા લોકોને બક્ષવામાં આવશે નહીં. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમને દેશના નૌકાદળ અને વાયુસેનાના વડાઓનું સમર્થન છે.

નજરકેદમાંથી મુક્ત કરાયેલા બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વડા બેગમ ખાલિદા ઝિયાએ બુધવારે ઢાકામાં પાર્ટીની વિશાળ રેલી યોજી હતી. તેમણે અશક્યને શક્ય બનાવવા માટે વિદ્યાર્થીઓ અને જનતાનો આભાર માન્યો હતો. ઝિયાએ કહ્યું કે, દેશનું નિર્માણ ગુસ્સા કે બદલાથી નહીં, પરંતુ પ્રેમ અને શાંતિથી થશે. યુવાનોના જે સપના માટે તેઓએ પોતાનું લોહી વહાવ્યું છે તેને પૂર્ણ કરવા માટે લોકશાહી બાંગ્લાદેશમાં બનાવવાની જરૂર છે.ઢાકામાં ભારતીય હાઈ કમિશનના બિન-જરૂરી કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો વ્યાપારી ફ્લાઈટ્સ દ્વારા સ્વેચ્છાએ ભારત પરત ફર્યા. જો કે, ભારતીય મિશનના તમામ રાજદ્વારીઓ ઢાકાથી કામ કરી રહ્યા છે. ભારતના ચાર આસિસ્ટન્ટ હાઈ કમિશન પણ છે. એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ બુધવારે સ્પેશિયલ ફ્લાઈટ ચલાવી હતી અને ઢાકામાં ફસાયેલા 400 થી વધુ લોકોને ભારત લાવ્યા હતા.

વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી, સોશિયલ મીડિયા પર લખી ભાવુક પોસ્ટ

ફ્રાન્સ: પેરિસ ઓલિમ્પિકમાં કુશ્તીની ફાઈનલ મેચ પહેલાં જ 100 ગ્રામ જેટલું વજન વધુ હોવાને કારણે ડિસ્ક્વૉલિફાઈ થતાં જ વિનેશ ફોગાટની સાથે આખા ભારતનું મેડલનું સપનું રોળાઈ ગયું હતું. તેનાથી વિનેશ એટલી હદે ભાંગી પડી કે તેણે કુશ્તીને જ અલવિદા કરવાની જાહેરાત કરી છે.

સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટમાં વિનેશ ફોગાટે કહ્યું કે, ‘મા કુશ્તી મારાથી જીતી ગઇ અને હું હારી ગઇ, મને માફ કરજે, તારું સપનું મારી હિમ્મત બધુ તૂટી ગયા છે. હવે મારામાં આનાથી વધારે તાકાત રહી નથી. અલવિદા કુશ્તી 2001-2024. વિનેશે માફી માગતા કહ્યું કે હું આપ સૌની હંમેશા આભારી રહીશ.’

વિનેશ અને ભારતીય ટીમે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં પણ અપીલ દાખલ કરી છે, જેમાં વિનેશ ફોગટને સિલ્વર મેડલ આપવાની માંગ કરવામાં આવી છે. રમત-ગમતની સર્વોચ્ચ સંસ્થા ગુરુવારે સવારે પોતાનો નિર્ણય જાહેર કરે તેવી અપેક્ષા છે. ઓલિમ્પિક રમતો દરમિયાન અથવા ઉદઘાટન સમારોહના 10 દિવસમાં ઉદ્ભવતા કોઈપણ વિવાદોના મધ્યસ્થી દ્વારા નિરાકરણ માટે CAS ના એડહોક વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. આ મામલે ગુરુવારે સવારે સુનાવણી થશે.

૦૮ ઓગસ્ટ, ૨૦૨૪

કબીરવાણી: શું ત્યાગે તે સંત?

આશા તજિ માયા તજૈ,  મોહ તજે અરુ માન,

હરષ શોક નિંદા તજૈ, કહે કબીર સંત જાન.

 

શું છોડે તે સંત? કબીરજી આશા, માયા, મોહ, હર્ષ, શોક, માન અને નિંદાનો ત્યાગ કરવા કહે છે. આ વૃત્તિઓ એટલી સ્વભાવગત છે કે છૂટતી નથી. ભગવદ્ ગીતામાં સ્થિતપ્રજ્ઞનાં અને ભક્તનાં જે લક્ષણો વર્ણવ્યાં છે. તેમાં આ જ સંદેશો છે કે આશા અને માયા વચ્ચે સીધો સંબંધ છે. ભગવાન કૃષ્ણ મનની તમામ આશાઓ છોડવા કહે છે, કારણ કે આશાનું બીજ માયાના આવરણમાં ખૂબ ઝડપથી પાંગરે છે. માન – અભિમાન – અહં – ગર્વના કારણે મનુષ્ય અન્ય માટે ત્રાસદાયક બને છે. સાથે સાથે પોતાનો વિનાશ નોંતરે છે.

સુખ-દુઃખ મનમાં ન લાવવાની નરસૈયાની સલાહ સાચી છે. સુખ-દુ:ખનો ઘટનાક્રમ તો ચાલ્યા જ કરે. સાક્ષીભાવે ક્રર્મને કૃષ્ણાપર્ણ કરવાથી વિષાદનું નિવારણ થાય છે. પારકી પંચાત એ કુટેવ છે. તેમાં મળતો આનંદ વિકૃતિની નિશાની છે. સત માટે સૌ સરખા, સૌ સારા. આપ ભલા તો જગ ભલાના ન્યાયે નિજાનંદની મોજ માણવાની અવસ્થા તે જ સચ્ચિદાનંદ સ્વરૂપે જાણવું.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

રાશિ ભવિષ્ય 08/08/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે, વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.