Home Blog Page 159

આંધ્રપ્રદેશમાં ગોઝારો બસ અકસ્માત, 13 લોકો બળીને રાખ

આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાના રાયવરમ નજીક ગુરુવારે એક મોટો રોડ અકસ્માત થયો. સ્લેબ ખાણો પાસે એક ટ્રાવેલ બસ ડમ્પર સાથે અથડાઈ. ટક્કરને કારણે જોરદાર વિસ્ફોટ થયો અને બંને વાહનોમાં આગ લાગી. ઘટનાસ્થળે જ દસ લોકો બળીને ખાખ થઈ ગયા. 20 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એક મોટો અકસ્માત સર્જાયો. રાયવરમ નજીક માર્કપુરમ મંડલમાં એક ખાનગી બસ અને કાંકરી ભરેલો ટ્રક સામસામે અથડાયા, જેમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા. આ ટક્કરને કારણે ભીષણ આગ લાગી હતી અને થોડીવારમાં જ બંને વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. આગમાં 13 મુસાફરોના મોત થયા છે, જ્યારે લગભગ 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

માહિતી મળતાં પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી. અગ્નિશામકોએ આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી અને ઘણી મહેનત પછી પરિસ્થિતિને કાબુમાં લીધી. અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે બસ તેલંગાણાના જગતિયાલથી પ્રકાશમ જિલ્લાના પોડિલી જઈ રહી હતી.

દાઝી ગયેલા લોકો માર્કપુર હોસ્પિટલમાં દાખલ

અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને વિગતવાર તપાસ ચાલી રહી છે. અધિકારીઓ બચાવ અને ઓળખના પ્રયાસો ચાલુ રાખી રહ્યા છે, તેથી વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. ઘાયલોને સારવાર માટે માર્કપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે.

આ અકસ્માત પ્રકાશમ જિલ્લાના રાયવરમ નજીક થયો હતો. માર્કપુરના ડીએસપી હર્ષવર્ધન રાજુએ જણાવ્યું હતું કે બસ જાગિત્યાલાથી કાલીગિરી જઈ રહી હતી. ટક્કર બાદ, જોરદાર અવાજ સંભળાયો અને બસમાં આગ લાગી ગઈ. બંને વાહનોમાં આગ લાગી ગઈ અને તે સંપૂર્ણપણે નાશ પામ્યા.

IDFC પછી હવે કોટક મહિન્દ્રા બેંકમાં મોટી ગેરરીતિઃ 150 કરોડનું કૌભાંડ

નવી દિલ્હીઃ હરિયાણામાં સરકારી નાણાંની સુરક્ષા અંગે ફરી એક વાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. IDFC ફર્સ્ટ બેંકમાં થયેલા કૌભાંડના એક મહિના બાદ હવે કોટક મહિન્દ્રા બેંકમાં પંચકુલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાની ગેરરીતિનો મોટો મામલો સામે આવ્યો છે. બેંક કર્મચારીઓની કથિત મિલીભગતથી પંચકુલા નગર નિગમના અંદાજે 150 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ રસીદો (FDR)માં ગેરરીતિઓ આચરવામાં આવી છે. આ મામલો બહાર આવતા હરિયાણા સરકારે તપાસ હરિયાણા રાજ્ય સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (SW-ACB)ને સોંપી છે.

કોટક મહિન્દ્રા બેંકની એક શાખામાં પંચકુલા નગર નિગમની અંદાજે 150 કરોડ રૂપિયાની FDRમાં થયેલી કથિત અનિયમિતતાઓને લઈને અજાણ્યા બેંક અધિકારીઓ અને અન્ય લોકો સામે છેતરપિંડી, કાવતરા સહિતના આરોપો હેઠળ FIR નોંધાઈ છે. નગર નિગમે પોતાના સત્તાવાર રેકોર્ડ અને બેંકની પંચકુલા શાખા દ્વારા દર્શાવવામાં આવેલા બેલેન્સ વચ્ચે કરોડો રૂપિયાનું અંતર હોવાનું જણાવ્યું છે.

પંચકુલા નગર નિગમના કમિશનર વિનયકુમારે જણાવ્યું હતું કે કુલ લગભગ 150 કરોડ રૂપિયાની FDR સાથે જોડાયેલા દસ્તાવેજોમાં અનિયમિતતાઓ મળી આવી છે. કોટક મહિન્દ્રા બેંકના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું કે નગર નિગમની ફિક્સ્ડ ડિપોઝિટ અને સંબંધિત ખાતાઓનું વિગતવાર મિલાન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી તપાસાયેલા રેકોર્ડ મુજબ ખાતાઓ તથા લેવડદેવડ બેંકિંગ ધોરણો અને નિયમો અનુસાર સંભાળવામાં આવ્યા છે.

કાર્યાલયના દસ્તાવેજો મુજબ નગર નિગમે કોટક મહિન્દ્રા બેંકમાં 145 કરોડ રૂપિયાની 16 ફિક્સ્ડ ડિપોઝિટ રાખેલી છે, જેના પરિપક્વતા મૂલ્યને 158 કરોડ રૂપિયા ગણાવવામાં આવ્યું છે. FIRમાં જણાવાયું છે કે દસ્તાવેજોમાં ગંભીર અસંગતતા છે અને બેંક તરફથી નાણાકીય અનિયમિતતાઓની શક્યતા નકારી શકાય તેવી નથી. નગર નિગમના અધિકારીઓએ જણાવ્યું હતું કે 13 માર્ચ સુધી એક ખાતામાં માત્ર 2.17 કરોડ રૂપિયા બાકી દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે તેમાં 50 કરોડ રૂપિયાથી વધુ રકમ હોવી જોઈએ હતી.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે FDRના પરિપક્વતા મૂલ્ય અને બેંક દ્વારા દર્શાવવામાં આવેલી વાસ્તવિક રકમ વચ્ચે મોટો તફાવત છે. નગર નિગમના રેકોર્ડમાં બે ખાતાંઓ દર્શાવવામાં આવ્યાં હતાં, જ્યારે ચકાસણી દરમિયાન બેંકે બે વધારાનાં ખાતાઓની માહિતી આપી, જે નગર નિગમના સત્તાવાર દસ્તાવેજોમાં નોંધાયેલાં નહોતાં. FIR મુજબ બેંક રેકોર્ડમાં રહેલી વિસંગતતાઓ અને આ અજ્ઞાત ખાતાઓ નાણાકીય દસ્તાવેજોની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

કબીરવાણી: એષણાનો ભાર અને ભવસાગરનો માર્ગ

 

કબીર નાવ તો ઝાંઝરી, ભરી બિરાને ભાર,

 ખેવટ સૌ પરિચે નહીં, કયોંકર ઉતરે પાર.

 

માનવીનું જીવન એષણાથી ભરેલું છે. પરંપરાગત રીતે ત્રણ પ્રકારની એષણા માનવી સહેલાઈથી છોડી શકતો નથી. આ છે : (૧) વૈતેષણા – માનવીને ધન, સાધન, સામગ્રી જોઈએ છે. ભોગવિલાસ અને ઇન્દ્રિયોની વૃત્તિ સંતોષવા માટે તેની કામના રહે છે. (૨) પુત્રેષણા – માનવીને પરિવાર, પુત્ર, પુત્રી, સંબંધીઓ મિત્રોની માયા રહે છે. તેના માટે સંચય કરવાની વૃત્તિ થાય છે. વ્યક્તિનું જીવન મર્યાદિત છે પણ છોકરાનાં છોકરાં ખાય તેટલું એકઠું કરવાની લાલસા છે. (૩) લોકેષણા માણસને પ્રસિદ્ધિ ગમે છે.

સમાજમાં માન-પાન મળે તો અહમ્ સંતોષાય છે. આવી ત્રિવિધ એષણાનો ભાર કાણાવાળી, જર્જરિત નાવમાં ઠાંસી ઠાંસીને ભરીએ છીએ. બુદ્ધિથી સદ્માર્ગ શોધતા નથી. પ્રજ્ઞારૂપી નાવિકને ભવસાગરની આંટીઘૂંટી સમજવાનો અવસર આપ્યો નથી.

રામાયણનો કેવટનો પ્રસંગ લોકગીતમાં ગાતા કવિ કાગ કેવટના મુખમાં શબ્દો મૂકે છે – “ખારવો ખારવાની ન લે ઉતરાઈ, આપણે બે ધંધા ભાઈજી રે!” એક નાવિક ગંગા પાર કરાવે છે તો પ્રભુ તો ભવસાગર પાર ઉતારે છે. આ દેશમાં સાચો ભક્ત ભગવાનને સ્વજન માને છે તે આપણી સંસ્કૃતિની અનુપમ દેન છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

ભારત, રશિયા-ચીનનાં જહાજોને હોર્મુઝ જળમાર્ગે પસાર થવાની ઈરાનની મંજૂરી

નવી દિલ્હીઃ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારત સહિત મિત્ર દેશોનાં જહાજોને હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. મુંબઈ સ્થિત ઈરાનના દૂતાવાસે એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે અમે ચીન, રશિયા, ભારત, ઇરાક અને પાકિસ્તાન સહિત મિત્ર દેશોને હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવાની મંજૂરી આપી છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો રાખવા અપીલ કરી હતી. X પરની એક પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે હોર્મુઝ જળમાર્ગ લાંબા સમય સુધી બંધ રહેતાં વૈશ્વિક વાવણીના મહત્વપૂર્ણ સીઝનમાં તેલ, ગેસ અને ખાતરની આવન-જાવન અસરગ્રસ્ત થઈ રહી છે. સમગ્ર પ્રદેશ અને તેની બહારના નાગરિકો ગંભીર નુકસાન ભોગવી રહ્યા છે અને ભારે અસુરક્ષાના વાતાવરણમાં જીવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર યુદ્ધનાં પરિણામોને ઓછા કરવા માટે કાર્ય કરી રહ્યું છે. આ પરિણામોને ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ સ્પષ્ટ છે — યુદ્ધ તાત્કાલિક સમાપ્ત કરવું.

આ પહેલાં 25 માર્ચે ન્યુ યોર્ક સ્થિત ઈરાની દૂતાવાસે જણાવ્યું હતું કે તેઓ હોર્મુઝ જળમાર્ગમાંથી તેવાં જહાજોને પસાર થવાની મંજૂરી આપશે, જેને તેઓ “અશત્રુતાપૂર્ણ જહાજ” ગણાવે છે. મિશને X પરની પોસ્ટમાં જાહેરાત કરી હતી કે જે દેશો ઈરાન સામે આક્રમકતા દાખવતા નથી અને જાહેર કરાયેલા સુરક્ષા નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે, તે દેશો સાથે સંબંધિત અથવા જોડાયેલાં જહાજોને સક્ષમ ઈરાની સત્તાધિકારીઓ સાથે સંકલન બાદ હોર્મુઝ જળમાર્ગમાંથી સુરક્ષિત માર્ગ મળી શકે છે.

ઈરાની સુરક્ષા પરિષદે પણ જાહેરાત કરી છે કે વ્યૂહાત્મક હોર્મુઝ જળમાર્ગમાંથી અશત્રુતાપૂર્ણ જહાજોની અવરજવર હવે સંપૂર્ણપણે ઈરાની સત્તાધિકારીઓ સાથે પૂર્વ સંકલન પર આધારિત રહેશે.

પંચાંગ 27/03/2026

૨૬ માર્ચ ૨૦૨૬

Nutshell in 99

tsh

પશ્ચિમ એશિયા સંકટ અંગે આજે સર્વપક્ષી બેઠક

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં વધતા સંકટને લઈને ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ભારત સરકારે સર્વપક્ષી બેઠક બોલાવી છે. સાંજે પાંચ વાગ્યે યોજાનારી આ બેઠકમાં કોંગ્રેસ સહિત તમામ મુખ્ય રાજકીય પક્ષો ભાગ લેશે. આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરશે અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ તેમાં હાજર રહેવાની શક્યતા છે. આ દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ પહેલેથી કેરળમાં નક્કી થયેલા કાર્યક્રમને કારણે સર્વપક્ષી બેઠકમાં હાજર રહી શકશે નહીં.

સંકટ મુદ્દે સરકારને પ્રશ્નો પૂછતો વિરોધ પક્ષ

પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ વિરોધ પક્ષે આ મુદ્દે સર્વપક્ષી બેઠક બોલાવવાની માગ કરી હતી. કોંગ્રેસ અને અન્ય અનેક વિરોધ પક્ષો પશ્ચિમ એશિયાના યુદ્ધ અને તેના ભારત પર પડતા પ્રભાવ અંગે સરકારને સતત પ્રશ્નો પૂછતા રહ્યા છે. રાજ્યસભામાં મંગળવારે વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષથી સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા માટે સત્તાસંપન્ન સાત નવા જૂથોની રચના કરવામાં આવી છે. આ જૂથો એલપીજી, આવશ્યક સેવાઓ અને જરૂરી વસ્તુઓની સપ્લાય સહિત વિવિધ ક્ષેત્રોની નિયમિત સમીક્ષા કરીને સૂચનો આપશે.

યુદ્ધે વિશ્વમાં ગંભીર ઊર્જા સંકટ ઊભું કર્યું — વડા પ્રધાન

વડા પ્રધાન મોદીએ રાજ્યસભામાં પશ્ચિમ એશિયાના સંઘર્ષ અને તેને કારણે ભારત સામે ઊભા થયેલા પડકારો અંગે નિવેદન આપતાં જણાવ્યું કે ત્રણ સપ્તાહથી વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધે વિશ્વમાં ગંભીર ઊર્જા સંકટ ઊભું કર્યું છે.

પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર ચર્ચા

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી ફોન પરની વાતચીત બાદ વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત પશ્ચિમ એશિયામાં શક્ય તેટલી વહેલી તકે તણાવ ઘટાડવા અને શાંતિ સ્થાપિત કરવા માટે સમર્થન આપે છે. આ ચર્ચામાં વૈશ્વિક સમુદ્રી પરિવહન માટે હોર્મુઝ જળસંધિને સુરક્ષિત બનાવવાના મુદ્દા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. હોર્મુઝ જળસંધિ ફરીથી ખોલવા માટે ઈરાનને અમેરિકા તરફથી આપવામાં આવેલી પાંચ દિવસની વધારાની સમયમર્યાદા બાદ ટ્રમ્પે મોદીને ફોન કર્યો હતો.

પંચાંગ 25/03/2026

કુરકુરી સામા ટિક્કી

વ્રત માટેનો આ ફરાળી નાસ્તો ઓછા તેલવાળો તેમજ સ્વાદિષ્ટ બને છે!

સામગ્રીઃ ઘી 1 ટે.સ્પૂન, સામો, જીરૂ ½ ટી.સ્પૂન, સફેદ તલ ½ ટી.સ્પૂન¸ કળીપત્તાના પાન 7-8, લીલા મરચાં 3-4, આદુનો ટુકડો 1 ઈંચ, પાણી 2 કપ, સ્વાદ મુજબ સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું), ધોઈને સમારેલી કોથમીર 1 કપ, રેડ ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન, સામો અથવા સામાનો લોટ 1 કપ, બાફેલા બટેટા 3, તેલ ટિક્કી શેલો ફ્રાય કરવા

રીતઃ એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરૂનો વઘાર કરી, સફેદ તલ ઉમેર્યા બાદ લીલાં મરચાં તેમજ કળી પત્તાના પાન સમારીને ઉમેરી દો અને 2 કપ પાણી મેળવ્યા બાદ તેમાં સ્વાદ મુજબ સિંધવ મીઠું, ચિલી ફ્લેક્સ, સમારેલી કોથમીર પણ મેળવી દો. હવે તેમાં સામાનો લોટ મેળવી દો. જો સામો આખો હોય તો તેને મિક્સીમાં કરકરો દળીને મેળવો.

ગેસની મધ્યમ આંચે આ મિશ્રણ ચમચા વડે હલાવતાં રહો, જ્ચાં સુધી તે લોટ જેવું બંધાય ન જાય. મિશ્રણ ઘટ્ટ લોટ જેવું બંધાય એટલે ગેસ બંધ કરી દો. આ મિશ્રણ એક વાસણમાં ઠાલવીને ચમચા વડે થોડું ફેલાવી દો. તેની ઉપર બાફેલા બટેટાને ખમણીને ચમચા વડે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને એક થાળીમાં તેલ લગાડીને ઠાલવી દો અને ચમચા વડે એકસરખું ફેલાવીને એક વાટકીના તળિયા પર તેલ લગાડીને વાટકી વડે ઉપરથી લીસું કરી લો.

મિશ્રણ ઠંડું થાય એટલે તેના ચપ્પૂ વડે ચોસલા પાડીને એક ડિશમાં મૂકી દો.

પેનમાં તેલ ગરમ કરી, તેમાં સામાની ટિક્કી ગોઠવી દો. ગેસની મધ્યમ આંચે સોનેરી રંગની ટિક્કી શેકી લો. (ટિક્કી ડિપ ફ્રાય કરવી હોય તો કરી શકાય)

ગરમાગરમ ટિક્કી વ્રત માટેની કોથમીરની લીલી ચટણી સાથે પીરસો.