Home Blog Page 1613

ઓનલાઈન એપથી ટેક્સી બુક કરાવવી મોંઘી પડશે..

અમદાવાદ: થોડા સમય પહેલા ઓનલાઈન એપના માધ્યમથી ટેક્સી ચલાવતા ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે પડતર માગોને લઈ ઓલા ઉબેર ઠપ્પ પડી ગઈ હતી. જ્યારે સોમવારે મોડી રાત્રે ઓલા કંપની દ્વારા ડ્રાઇવરોની માંગને સ્વિકારી લેવામાં આવતા હડતાળ પાછી ખેંચી લીધી છે. તો બીજી બાજું ઉબેર કંપની ટ્રેક્સી ડ્રાઈવરોને કંપની દ્વારા 30 ટકાના વધારાની ઓફર સ્વિકાર્ય ન હોવાથી હાલ સુધી ઉબેરના ડ્રાઈવરો હડતાલ પર છે. ઓલા કંપની દ્વારા ડ્રાઇવરોને પ્રતિ કિમી દીઠ 20 રૂપિયા ભાડું ચૂકવવાની શરત મંજૂર કરતાં શાંતિપૂર્ણ રીતે હડતાળનો સુખદ અંત આવ્યો છે, જોકે તેના લીધે હવેથી અમદાવાદીઓની રાઇડ મોંઘી બનશે.

બીજી તરફ ઉબેર કંપની દ્વારા કેટલીક ટેક્સીઓને  10, 12 કે 15 રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ ચૂકવવામાં આવતા હતા તેની સામે હવે 30 ટકા વધારાની ઓફર કરી છે. પરંતુ ઉબેરના ટેક્સીચાલકોએ આ ઓફરને સ્વિકારની ના પાડી દેતાં હજુ 1-2 દિવસ હડતાળ લંબાઇ શકે છે. એગ્રિગેટર તરીકે કામ કરતી પ્રાઇવેટ કંપનીઓ જેમ કે ઓલા, ઉબર, રેપિડો, જૂગનુ વગેરે ઓનલાઇન એપના માધ્યમથી સવારી બુક કરવાની કામગીરી કરે છે. તેમની ટ્રાન્સપોર્ટ સર્વિસમાં વપરાતા વાહનોમાં સફેદ નંબર પ્લેટનો ઉપયોગ કરાતો હોય છે. પરંતુ હવેથી એગ્રિગેટર તરીકે કામ કરતી કંપની અને વાહનો માલિકોએ સફેદ નંબર પ્લેટના બદલે યલો નંબર પ્લેટનો ઉપયોગ કરવાનો રહેશે. જો હવેથી એગ્રિગેટર કંપની આ રીતે સફેદ નંબર પ્લેટનો ઉપયોગ કરશે તો એગ્રિગેટર કંપની તેમજ વાહન સામે પરમિટ ભંગ કરવા બદલ કાર્યવાહી કરાશે. આ માટે રૂ. 10,000 સુધીનો દંડ ફટકારાઈ શકે છે. આ માટે ખાસ ચેકિંગ ડ્રાઇવ અઠવાડિયામાં બે વખત યોજવામાં આવશે.

જમીનના ટુકડા માટે બે જૂથો વચ્ચે અથડામણઃ 49નાં મોત, 200 ઘાયલ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હાલ તોફાનો થઈ રહ્યાં છે. બે આદિવાસી સમાજ એક નાના જમીનના ટુકડા માટે લડી રહ્યા છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં થયેલી અથડામણમાં 49 લોકોનાં મોત થયાં છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. અનેકની સ્થિતિ એટલી ગંભીર છે કે મોતનો આંકડો વધી શકે છે. આ રમખાણોમાં નાની રેન્જની મિસાઇલો, મોર્ટાર, રોકેટ અને ઓટોમેટિક ગન સુધીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  

સ્થાનિક પોલીસે પાંચ દિવસ પહેલાં જમીન વિવાદને લઈને બે જનજાતોની વચ્ચે અથડામણ થઈ હતી. આ તોફાનો પીવર, ટાંગી, બાલિશખેલ, ખાર, કલાય, મકબલ, કુંજ, અલીજઈ, પારા ચમકની અને કરમણ સહિત કેટલાય વિસ્તારો સુધી ફેલાયાં હતાં. બંને જૂથો અનેક ભારે હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે.

ખૈબરના કુર્રમ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી બન્ને જૂથ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું. અહીં એક જમીનના વિવાદને લઇને સામસામે હિંસા ફાટી નીકળી હતી અને હથિયારોથી હુમલા કરવામાં આવ્યા હતા. સુન્ની મુસ્લિમ મદગી અને શિયા માલી ખેલ આદિવાસીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી, વર્ષો જૂના જમીનના વિવાદને લઇને આ બેઠક મળી હતી. બન્ને વચ્ચે મધ્યસ્થી કરાવી રહેલા એક કાઉન્સિલ પર એક શખસે ગોળીબાર કર્યો હતો ત્યારથી બન્ને વચ્ચે હિંસા ફાટી નીકળી છે.

એક પોલીસ અધિકારી મુર્તઝા હુસૈને કહ્યું હતું કે હાલ આ એક સ્થળેથી શરૂ થયેલો વિવાદ આસપાસના તમામ વિસ્તારોમાં ફેલાઈ ચૂક્યો છે અને સ્થિતિ તંગદિલ છે. ગઈ કાલે રાત્રે એકસાથે ચાર મોટા હુમલા થયા હતા. જેમાં સૌથી મોટી જાનહાનિ થઈ હતી.  હાલમાં આ વિસ્તારમાં સુરક્ષા દળો અને પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પાકિસ્તાન સુન્ની બહુમત દેશ છે કે જ્યાં શિયાઓ પર અત્યાચારની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે.

 

કરીના કપૂર કયા ધર્મનું પાલન કરે છે? તૈમુરની આયાએ જણાવ્યાં અનેક સીક્રેટ

મુંબઈ: 43 વર્ષની કરીના કપૂર એક શાનદાર અભિનેત્રી હોવા ઉપરાંત એક અદ્ભુત માતા પણ છે અને તેની સાથે જોડાયેલા લોકો આ માટે તેના વખાણ પણ કરે છે. તે પતિ સૈફ અને પુત્રો સાથે સમય વિતાવવાની કોઈ તક છોડતી નથી. કરીના કપૂર ખાને સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે અને તેને બે પુત્રો તૈમુર અને જેહ છે. હિંદુ પરિવારમાંથી હોવા છતાં જ્યારે કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેની ઘણી ટીકા થઈ હતી. હિન્દુ હોવા છતાં મુસ્લિમ સાથે લગ્ન કર્યા પછી અભિનેત્રીને લઈને ઘણી વાર સવાલો ઉભા થાય છે કે તે કયા ધર્મનું પાલન કરે છે. હવે તેના પુત્રો તૈમુર અલી ખાન અને જેહની આયાએ અભિનેત્રીના આ રહસ્ય વિશે ખુલાસો કર્યો છે.

કરીના કયા ધર્મનું પાલન કરે છે?
હિન્દી રશ સાથે વાત કરતી વખતે તૈમુર-જેહની નાની લલિતા ડી’સિલ્વાએ કરીના સાથે જોડાયેલી ઘણી વાતો કહી. લલિતાએ કરીનાની આસ્થા વિશે પણ વાત કરી અને કહ્યું કે કરીના તેની માતા બબીતા ​​કપૂરની જેમ ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે. કરીનાની આસ્થા વિશે વાત કરતાં લલિતા ડી’સિલ્વાએ કહ્યું,’તે ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે, પરંતુ તે મને ઘણી વાર કહેતી કે જો તું ઈચ્છે તો બાળકોને ભજન સંભળાવી શકે છે. તેથી હું વારંવાર તેમના પુત્રોને ભજનો સંભળાવતી. હા, તેણીએ મને પંજાબી ભજન ‘એક ઓમકાર’ વગાડવાનું પણ ખાસ કહ્યું હતું. તેઓ જાણે છે કે બાળકોની આસપાસનું વાતાવરણ સકારાત્મક હોવું જોઈએ.’

લલિતાએ કરીનાના વખાણ કર્યા
કરીનાના વખાણ કરતા લલિતા ડી’સિલ્વાએ કહ્યું- ‘કરીના તેના બાળકોને ખૂબ પ્રેમ કરે છે. તે અત્યંત શિસ્તબદ્ધ છે અને મને લાગે છે કે તેનું કારણ તેની માતા (બબીતા) છે, તે પણ અત્યંત શિસ્તબદ્ધ છે. મેં કરીનાનું બાળપણ રૂબરૂ જોયું નથી, પરંતુ તેણે જે કહ્યું તેના પરથી હું જાણું છું કે તેની માતા પણ તેની જેમ અત્યંત શિસ્તબદ્ધ હતી. તેણી હંમેશા તેના અભ્યાસ પર ધ્યાન આપતી અને સમયપત્રક જાળવતી અને ખાતરી કરતી કે કરીના તેનું પાલન કરે.

પરિવારના સભ્યો અને સ્ટાફનો ખોરાક એક જ છે

લલિતા ડી’સિલ્વા આગળ કહે છે- ‘તેઓ ખૂબ જ સરળ લોકો છે. સવારની દિનચર્યા એવી છે કે સ્ટાફ, કરીના અને સૈફ, અમે બધા એક સરખો ખોરાક ખાઈએ છીએ. એવી કોઈ વાત નથી કે સ્ટાફ માટે અલગ ભોજન હશે. સમાન ખોરાક અને ખોરાકની સમાન ગુણવત્તા. કેટલી વાર એવું બન્યું હોય કે અમે બધાએ સાથે ખાધું હોય. તમને જણાવી દઈએ કે લલિતા પહેલા અનંત અંબાણીની આયા રહી ચૂકી છે અને તાજેતરમાં જ તે અનંત અંબાણીના લગ્નમાં પણ પહોંચી હતી. ઘણા વર્ષો વીતી ગયા પછી પણ અંબાણી પરિવાર લલિતાને અનંત-રાધિકાના લગ્નમાં આમંત્રણ આપવાનું ભૂલ્યો ન હતો.

ફી કમિટીની રચના બાદ પણ વાલીઓ ભાગે આવશે નુકસાન!

ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન સ્કૂલ ફી રેગ્યુલેશન એક્ટ અંતર્ગત ચાર ઝોનની ફી રેગ્યુલેશન કમિટીની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં ચારેય ઝોનની ફી કમિટીમાં જજ-ચેરમેન અને સભ્યોની જગ્યા ખાલી હતી. ત્યારે સ્કૂલોમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયાના દોઢ મહિને અંતે સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના ચારેય ઝોનની ફી રેગ્યુલેશન કમિટીમાં ચેરમેન-સભ્યોની નિમણૂંક કરી છે. હાલ તો સરકારે ચારેય ઝોનની નવી કમિટીઓ રચી દીધી છે પરંતુ ચારેય ઝોનની કમિટીઓ ઉપર અપીલ માટેની રીવિઝન કમિટીમાં જજ-ચેરમેન અને સભ્યોની જગ્યા હજુ પણ ખાલી છે.

સરકારે મોડે મોડે ફી કમિટીઓ રચી છે પરંતુ સૌથી મોટા અમદાવાદ ઝોનમાં જ 150થી વઘુ સ્કૂલોની નવી ફીના ઓર્ડર હજુ બાકી છે. જે જાહેર થવામાં એક મહિનો લાગે તેમ છે ત્યારે ઘણી સ્કૂલોએ ફી વધારા સાથે ફી ઉઘરાવી પણ લીધી છે અને જેથી અંતે તો વાલીઓને જ નુકસાન થયુ છે. ખાનગી સ્કૂલો માટેના સ્કૂલ ફી રેગ્યુલેશન એક્ટ અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત ચાર ઝોન છે. એક્ટની જોગવાઈ મુજબ દરેક ઝોનમાં ચેરમેન તરીકે રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ છે. આ ઉપરાંત અન્ય ચાર મેમ્બરો છે. જેમાં એક સીએ, એક સિવિલ એન્જિનિયર કે વેલ્યુઅર અને એક મેમ્બર સ્કૂલ સંચાલક મંડળના પ્રતિનિધિ હોય છે. આમ ચેરમેન સહિત કુલ પાંચ સભ્યોની કમિટી હોય છે. દર ત્રણ વર્ષ માટે વિવિધ કમિટીમાં ચેરમેન સહિત અન્ય સભ્યોની નિમણૂક સરકાર દ્વારા કરવામા આવે છે.

આ એક્ટ હેઠળ રાજ્યમાં આવેલી ગુજરાત બોર્ડ, સીબીએસઈ તેમજ અન્ય તમામ બોર્ડની ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવામા આવે છે. એક્ટની જોગવાઈ મુજબ ફી મર્યાદાથી ઓછી ફી ધરાવતી સ્કૂલોએ એફિડેવિટ કરવાની હોય છે અને ફી મર્યાદાથી વઘુ ફી માંગનારી સ્કૂલોએ નાણાકીય હિસાબો-ખર્ચા અને અન્ય દસ્તાવેજો સાથે દરખાસ્ત કરવાની હોય છે.

વાયનાડમાં ભૂસ્ખલનથી 43નાં મોત, 70 ઘાયલ  

વાયનાડઃ કેરળના વાયનાડમાં ભારે વરસાદ પછી ભૂસ્ખલનને 100થી વધુ લોકો ફસાયા છે. અહીં લેન્ડસ્લાઇડ સવારે બે કલાકે થઈ હતી. ત્યાર બાદ સવારે 4.10 વાગ્યે ફરી લેન્ડસ્લાઇડ થઈ હતી. ત્રણ વાર લેન્ડસ્લાઇડને કારણે અનેક લોકો ફસાયા છે. અત્યાર સુધી 43 લોકોનાં મોત થયાં છે. કાટમાળમાં ફસાયેલા લોકો માટે બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. એરફોર્સનાં બે હેલિકોપ્ટર પણ બચાવ કામગીરીમાં લાગેલા છે. કેરળ સરકારે સેનાથી મદદ માગી છે.

વાયનાડની મેપ્પડી પંચાયત હેઠળના મુંડક્કાઈ અને ચુરલમાલા ગામમાં ભૂસ્ખલન થયું હતું. મુખ્ય મંત્રી પી વિજયને કહ્યું હતું કે તમામ સરકારી એજન્સીઓને બચાવ કામગીરીમાં તહેનાત કરવામાં આવી છે. SDRF ટીમ ઉપરાંત NDRF ટીમને પણ માહિતી આપવામાં આવી છે. અકસ્માતમાં ઘાયલ 16 લોકોને મેપ્પાડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

વડા પ્રધાન મોદીએ કેરળના CM પી. વિજયનથી વાત કરી હતી અને કેન્દ્રથી દરેક સંભવિત મદદનું આશ્વાસન આપ્યું છે. પ્રત્યેક મૃતના પરિવારજન માટે PMNRFથી રૂ. બે લાખ અને ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે. PM મોદીએ X પર પોસ્ટ કર્યું હતું કે વાયનાડના કેટલાક ભાગોમાં ભૂસ્ખલનથી વ્યથિત છું. મારી સંવેદનાઓ એ બધા લોકોની સાથે છે, જેમણે તેમના સગાંવહાલાં ગુમાવ્યા છે અને એ ઘાયલો માટે પ્રાર્થના કરું છે. બધા પ્રભાવિત લોકોની મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે.

PM મોદીએ ભાજપાધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ વાત કરી અને તેમને સુનિશ્ચિત કરવા કહ્યું હતું કે ભાજપના કાર્યકરો રાહત પ્રયાસોમાં તમામ શક્ય મદદ પૂરી પાડે.

વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ અકસ્માત બાદ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું કે વાયનાડમાં મેપ્પડી નજીક થયેલા મોટા ભૂસ્ખલનથી હું ખૂબ જ દુઃખી છું. જે પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. હું આશા રાખું છું કે જે લોકો હજુ પણ ફસાયેલા છે તેઓને જલદી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવશે. મેં કેરળના મુખ્ય મંત્રી અને વાયનાડના જિલ્લા કલેક્ટર સાથે વાત કરી છે, જેમણે મને ખાતરી આપી છે કે બચાવ કામગીરી ચાલુ છે.

 

 

 

 

 

રાજકુમાર સાથેની ‘તિરંગા’ માટે ‘નાના’ એ હા પાડી

નિર્દેશક મેહુલકુમારે ફિલ્મ ‘તિરંગા’ (૧૯૮૩) નાના પાટેકરને ઓફર કરી ત્યારે પહેલાં એક કારણથી તો ના પાડી દીધી હતી. અને રાજકુમાર હોવા છતાં હા પાડી ત્યારે એક શરત મૂકી હતી. મેહુલકુમાર પોતાની દરેક ફિલ્મની બાઉન્ડ સ્ક્રિપ્ટ તૈયાર કર્યા પછી જ કલાકારો પસંદ કરતાં હતા. એ કારણે ફિલ્મ ‘તિરંગા’ માટે રાજકુમાર અને નવા ત્રણ યુવાનો પસંદ થઈ ગયા હતા. પરંતુ ‘ઈન્સ્પેકટર શિવાજીરાવ’ ની ભૂમિકા માટે કોઈ અભિનેતા તૈયાર થઈ રહ્યો ન હતો. એટલે એની જાહેરાત કરી હતી એમાં એ પાત્રનો ચહેરો બતાવ્યો ન હતો.

મેહુલકુમારે એ ભૂમિકા માટે પહેલાં રજનીકાંતનો સંપર્ક કર્યો હતો. મદ્રાસ જઈને એમને વાર્તા સંભળાવી એ એમને પસંદ આવી. રજનીકાંતને ઈન્સ્પેકટરનું પાત્ર પસંદ આવ્યું હતું. કેમકે એમનું અસલ નામ રાખ્યું હતું. પણ બીજા અભિનેતા રાજકુમાર હોવાનું જાણી એ ડરી ગયા હતા અને કહ્યું હતું કે મેં એમની સાથે કોઈ ફિલ્મ કરી નથી એટલે આ વખતે માફ કરી દો. ફરી ક્યારેક કામ કરીશું. એ પછી નસીરુદ્દીન શાહનો સંપર્ક કર્યો ત્યારે રાજકુમાર હોવાના કારણે જ એમણે ના પાડી દીધી. ત્યારે મેહુલકુમારને કોઈએ સલાહ આપી કે નાના પાટેકરને લઈ શકો છો. કેમકે એમની પાસે અત્યારે કોઈ નવી ફિલ્મ નથી. જે બની હતી એ રજૂ થઈ ગઈ છે.

મેહુલકુમારે નાનાને ફોન કર્યો ત્યારે સીધું જ કહી દીધું કે હું કમર્શીયલ ફિલ્મો કરતો નથી. મેહુલકુમારે નાનાને સમજાવ્યા કે કમર્શીયલ ફિલ્મ જ તને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ અપાવી શકે છે. આર્ટ ફિલ્મ તો મુંબઇથી બોરીવલી સુધી રજૂ થાય છે. જો હિટ થાય તો બીજે રજૂ થાય છે. નહીંતર રજૂ પણ થતી નથી. નાના એ પછી સ્ક્રિપ્ટ સાંભળવા તૈયાર થઈ ગયા. સ્ક્રિપ્ટ સાંભળીને નાના ખુશ થઈ ગયા. મહારાષ્ટ્રીયન અને સારું પાત્ર હોવાથી નાનાને વધારે ગમ્યું હતું.

નાનાએ ફિલ્મ કરવાની હા પાડી પણ કહ્યું કે મારી એક શરત રહેશે. મેહુલકુમારે શરત પૂછી ત્યારે કહ્યું કે જો ફિલ્મના શુટિંગમાં ક્યારેય પણ રાજકુમારે દખલઅંદાજી કરી તો હું સેટ છોડીને જતો રહીશ અને ફરી પાછો આવીશ નહીં. મેહુલકુમારે વિશ્વાસ આપ્યો કે રાજકુમાર દખલ કરશે નહીં. નાનાએ હા પાડી દીધી અને સાઇનિંગ એમાઉન્ટ આપી નક્કી કરી લીધા. એ રાત્રે જ મેહુલકુમારે રાજકુમારને ફોન કરીને કહ્યું કે ઈન્સ્પેકટરના પાત્ર માટે અભિનેતા સાઇન થઈ ગયો છે. રાજકુમારે નામ પૂછ્યું અને જ્યારે જાણ્યું કે નાના છે ત્યારે એ ચમકી ગયા અને કહ્યું કે નાનાને લીધો છે? એ તો સેટ પર મારપીટ કરે છે અને ગાળો બોલે છે. મેહુલકુમારે કહ્યું કે બધો ખુલાસો થઈ ગયો છે. એણે શરત કરી છે કે સેટ પર રાજકુમાર કોઈ દખલઅંદાજી કરશે નહીં.

રાજકુમારે કહ્યું કે તારી ફિલ્મમાં હું ક્યાં દખલઅંદાજી કરું છું? મેહુલકુમારે કહ્યું કે નથી કરતાં એટલે જ નાનાને હા પાડી છે. પહેલી વખત રાજકુમાર- નાના સાથે કામ કરી રહ્યા હોવાથી મહુરતના દિવસે એક નિર્માતા- નિર્દેશકે શંકા વ્યક્ત કરીને કહ્યું હતું કે ભગવાન કરે તારો આ તિરંગો લહેરાય! મેહુલકુમારે નિર્ધારિત છ માસમાં કોઈ સમસ્યા કે અડચણ વગર ફિલ્મ પૂરી કરી દીધી અને રજૂ થતાં સુપરહિટ પણ થઈ ગઈ.

મેહુલકુમારે એક મુલાકાતમાં ‘તિરંગા’ વિશે વાત કરતાં વધુમાં કહ્યું હતું કે બંને વિચિત્ર કહેવાતા અભિનેતા શરૂઆતમાં એકબીજાથી અલગ બેસતા હતા અને વાત ઓછી કરતા હતા. પણ ‘પી લે પી લે ઓ મોરે રાજા, પી લે પી લે ઓ મોરે જાની’ ગીતના શુટિંગથી બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. એ ગીતમાં મેહુલકુમારે રાજકુમાર માટે ‘જાની’ શબ્દ વાપર્યો હતો. જે આજ સુધી એમના કોઈ ગીતમાં આવ્યો ન હતો. તેથી એ વધારે ખુશ થયા હતા. એ ગીત પછી તો સેટ પર બંને વચ્ચે કોઈ સમસ્યાની ચિંતા જ રહી ન હતી.

લાંબા હાથ હોય તે કાંઈ વાડમાં ખોસાય નહિ

લાંબા હાથ હોય તે કાંઈ વાડમાં ખોસાય નહિ

 

તમારી પાસે ક્ષમતા હોય અથવા પૈસા હોય એનો યોગ્ય રીતે સંચય કરવો જોઈએ. એને ગમે ત્યાં વેડફી નાખવાથી તમારી ક્ષમતા/શક્તિ ઘસાય છે. અને ક્યારેક તો એના વિપરીત પરિણામ પણ મળે છે.

શક્તિ કે પૈસા હોય તે કાંઇ નિરર્થક વેડફી દેવાય નહીં એ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

રાશિ ભવિષ્ય 30/07/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 30/07/2024