Home Blog Page 1647

કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની અફવા પર સરકારની સ્પષ્ટતા

ગાંધીનગર: આજે સવારથી સરકારી નોકરને લઈ એક સમાચાર વહેતા થાય છે. જે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી નોકરી માટે એક મહત્વનો નિર્ણય કર્યા હોવાની વાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને તેના સ્થાને કાયમી નોકરી આપવાની પ્રથા શરૂ કરવા માટે પહેલ કરી છે. વર્ગ 3 અને વર્ગ 4માં અત્યાર સુધી કોન્ટ્રાક્ટ પધ્ધતિથી સરકારી અને અર્ધ સરકારી કચેરીમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હતી. હવેથી આ પ્રકારની ભરતી બંધ કરવા માટે મુખ્ય સચિવ રાજકુમારને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો હોવાના સમાચાર વહેતા થયા છે.

સરકારી નોકરી પર કરેલા નિર્ણયના સમચારને લઈ સંયુક્ત સચિવ દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમણે એક પરિપત્ર જાહેર કરી સરકારી નોકીરીના કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂત થવાની અફવા પર પૂર્ણ વિરામ લગાવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે. કે આજ રોજ કેટલાક સમાચાર માધ્યમોમાં તથા સોશિયલ મીડિયામાં સરકારી દ્વારા વર્ગ-૩ અને વર્ગ-૪ સહિત કોન્ટ્રાક્ટથી થતી ભરતીઓના સ્થાને કાયમી ભરતી કરવાના તથા સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવા અંગે નિર્ણય લેવાયો હોવા બાબતના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે, જે સંપૂર્ણ વેગળા છે. સરકાર દ્વારા આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી કે આ અંગે કોઈ સૂચના આપવામાં આવેલ નથી. આ અંગેની સરકારની હાલની નીતિ યથાવત છે.

અગ્નિવીર પર હરિયાણા સરકારની મોટી જાહેરાત

હરિયાણા સરકારે અગ્નિવીરને લઈને મોટી જાહેરાત કરી છે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું છે કે પોલીસ ભરતી અને માઈનિંગ ગાર્ડની ભરતીમાં ફાયર ફાઈટર્સને 10 ટકા અનામત આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રુપ સી અને સીમાં ઉંમરમાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે. હરિયાણા સરકારે ગ્રુપ Cની જગ્યાઓ પર ભરતીમાં અગ્નિવીર માટે 5 ટકા અનામતની જાહેરાત કરી છે. તે જ સમયે, જો અગ્નવીર ચાર વર્ષ પછી પોતાનું કામ શરૂ કરવા માંગે છે, તો સરકાર તેને પોતાનું કામ શરૂ કરવા માટે 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપશે.

અગ્નિપથ યોજના પર સંસદમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો

હરિયાણા સરકારની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે તાજેતરમાં સંસદમાં અગ્નિપથ યોજનાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજનાને ટાંકીને કહ્યું હતું કે હું અગ્નિવીરના પરિવારને મળ્યો છું. કેન્દ્ર સરકાર અગ્નિવીરને શહીદનો દરજ્જો આપતી નથી. અગ્નવીર એક ઉપયોગ અને ફેંકી મજૂર છે. આ યોજનાને લઈને સૈનિકોના મનમાં ભય છે. મોદીજી આ જવાનોને શહીદ નથી માનતા. આના પર રાજનાથ સિંહે અગ્નિપથ સૈન્ય ભરતી યોજનાના રાહુલના દાવાને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે આ યોજના 158 સંસ્થાઓના સૂચનો લીધા પછી શરૂ કરવામાં આવી હતી.

અગ્નિપથ યોજના શું છે?

સરકાર જૂન 2022માં અગ્નિપથ યોજના લાવી હતી. યુવાનોને સંરક્ષણ સાથે જોડવા માટે આ ટૂંકા ગાળાની યોજના છે. આર્મી, એરફોર્સ અને નેવીની યોજના હેઠળ ભરતી થયેલા સૈનિકોને નામ આપવામાં આવ્યું હતું – અગ્નિવીર. આમાં સૈનિકોની ભરતી ચાર વર્ષ માટે કરવામાં આવે છે અને તેમને આગામી ચાર વર્ષ માટે એક્સટેન્શન પણ મળી શકે છે. સેવા પૂરી થયા પછી, 25 ટકા અગ્નિવીરોને નિયમિત સેનામાં લેવામાં આવશે, જ્યારે બાકીના 75 ટકાને મોટી રકમ સાથે કૌશલ્ય પ્રમાણપત્ર આપવામાં આવશે જેથી તેઓ તેમની ક્ષમતા અનુસાર નવું કામ શોધી શકે.

મુખ્યમંત્રી સાથે જાપાનના ડેલિગેશનની મુલાકાત

જાપાનના શિઝૂઓકા પ્રીફેક્ચરના 18 સભ્યોના ડેલિગેશને ગાંધીનગરમાં  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર એસેમ્બલીના સભ્ય અને ત્યાંની એસેમ્બલીના ઇન્ડીયા-જાપાન ફ્રેન્ડશીપ પાર્લામેન્ટ લીગના સેક્રેટરી જનરલ શ્રીયુત્ત આત્સુયુકી રાચીના નેતૃત્વમાં આ ડેલિગેશન ગુજરાતની  મુલાકાતે આવેલું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકમાં તેમણે ગુજરાત સાથે વાણિજ્યીક સંબંધો ઉપરાંત પીપલ ટુ પીપલ કનેક્ટ, શિક્ષણ અને સંશોધન તથા પ્રવાસન અને સાંસ્કૃતિક ક્ષેત્રે સંબંધોનો સેતુ લાંબા ગાળા સુધી સૌહાર્દપૂર્ણ રીતે આગળ ધપાવવાની ઉત્સુકતા દર્શાવી હતી. શિઝૂઓકા પ્રદેશ જાપાનમાં મેક ઇન જાપાન ઉદ્યોગોમાં ચોથા ક્રમનું અગત્યનુ સ્થાન ધરાવે છે. એટલુ જ નહિ, સૂઝુકી, યામાહા, હોન્ડા અને ટોયોટો જેવા ઓટોમોબાઇલ ઉધોગો શિઝૂઓકા પ્રદેશમાં વિશેષ મહત્વ ધરાવે છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

મુખ્યમંત્રીએ ડેલિગેશનને આવકારતા કહ્યુ કે, પીએમ નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લિડરશીપમાં ભારત-જાપાનના સંબંધો વિશ્વાસુ મિત્રદેશ તરીકે આગળ વધ્યા છે. ગુજરાત આ દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ ધપાવશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. તેમણે ઉમેર્યુ હતું કે, જેમ ‘મેઇડ ઇન જાપાન’ની વિશ્વસનિયતા-ક્રેડીબિલીટી છે તેજ રીતે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ મંત્ર સાથે પણ પર્યાવરણ અનુકૂલન અને વિશ્વકક્ષાના ઉત્પાદનો માટે ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રતિબધ્ધ છે.

તેમણે ગુજરાતમાં કાર્યરત જાપાનીઝ ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ પુરૂ પાડવાની નેમ દર્શાવતાં જણાવ્યુ કે, ઉદ્યોગોને કોઇ સમસ્યા ન રહે અને ઇન્ડો-જાપાન બાય લેટરલ રિલેસન્સ સાતત્યપૂર્ણ રીતે આગળ વધતા રહે તે માટે સરકારનો અભિગમ પ્રોએક્ટીવ છે. તેમણે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જાપાનના મળી રહેલા સહયોગ અને પાર્ટનર કન્ટ્રી તરીકેના યોગદાનની પણ સરાહના કરી હતી.

ડેલિગેશનના વડા શ્રીયુત્ત આત્સુયુકી રાચીએ સીએમને જાપાનની અને તેમના પ્રદેશની મૂલાકાતે આવવાનું ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યુ હતુ. તેમણે ઉમેર્યુ કે, આગામી મહિનાઓમાં તેમના પ્રદેશના ગવર્નર પણ ભારત અને ગુજરાતની મુલાકાતે આવવા ઉત્સુક છે. ગુજરાત-શિઝુઓકા સંબંધોનો સેતુ વધુ ફળદાયી બનાવવા માટે વેપાર, ઉધોગ ક્ષેત્રે MOU કરવાની તત્પરતા પણ તેમણે દર્શાવી હતી.

આ સૌજન્ય મૂલાકાત બેઠકમાં ગુજરાતમાં જાપાનના ઓનરરી કોન્સ્યુલ મુકેશ પટેલ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉધોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર, મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. એ.બી. પંચાલ તેમજ ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. ગૌરાંગ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ડેલિગેશનના હેડ શ્રીયુત્ત આત્સુયુકી રાચીને કચ્છી હસ્તકલા કારીગરીની સ્મૃતિભેટ અર્પણ કરી હતી.

ICC રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ગીલે મોટી છલાંગ લગાવી

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે તાજેતરની T20 રેન્કિંગ જાહેર કરી છે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ ઝિમ્બાબ્વેને 5 મેચની T20 શ્રેણીમાં 4-1થી હરાવ્યું હતું. આ રેન્કિંગમાં આ શાનદાર પ્રદર્શનનો ફાયદો ખેલાડીઓને મળ્યો છે. આ સિરીઝમાં શુભમન ગીલે ટીમની કમાન સંભાળી હતી, તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતો, જેના કારણે તેણે બેટ્સમેનોની રેન્કિંગમાં મોટો છલાંગ લગાવ્યો છે. આ સાથે જ યશસ્વી જયસ્વાલ ટોપ-5ની ખૂબ નજીક પહોંચી ગઈ છે.

ગિલે રેન્કિંગમાં 36 ખેલાડીઓને પાછળ છોડી દીધા

શુભમન ગિલ T20 બેટિંગ રેન્કિંગમાં 36 સ્થાનનો ફાયદો ઉઠાવ્યો છે અને હવે તે 37માં નંબર પર છે. તેણે ઝિમ્બાબ્વે સામે 5 મેચમાં 42.50ની એવરેજ અને 125.92ની સ્ટ્રાઈક રેટથી 170 રન બનાવ્યા હતા. આ દરમિયાન ગિલના બેટમાંથી બે અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી હતી. તે આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ હતો. તેને ICC T20 રેન્કિંગમાં આ શાનદાર પ્રદર્શનનો પુરસ્કાર મળ્યો છે.

જયસ્વાલની કમાલ

યશસ્વી જયસ્વાલે તાજેતરના ભૂતકાળમાં ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. યશસ્વી જયસ્વાલે ઝિમ્બાબ્વે સામે રમાયેલી શ્રેણીમાં માત્ર 3 મેચ રમી હતી. આ દરમિયાન તેણે 70.50ની એવરેજથી 141 રન બનાવ્યા. તે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા સ્થાને હતો. આવી સ્થિતિમાં જયસ્વાલ હવે ICC રેન્કિંગમાં ચાર સ્થાનનો ફાયદો ઉઠાવીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. બીજી તરફ ઋતુરાજ ગાયકવાડે એક સ્થાન ગુમાવ્યું છે અને તે 8મા સ્થાને સરકી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ હજુ પણ નંબર વન પર અને સૂર્યકુમાર યાદવ બીજા નંબર પર યથાવત છે.

આ બોલરોને ભારે નુકસાન થયું હતું

બોલરોની T20 રેન્કિંગમાં કુલદીપ યાદવ અને અક્ષર પટેલને ભારે નુકસાન થયું છે. વાસ્તવમાં, આ બંને ખેલાડીઓ આ શ્રેણીનો ભાગ ન હતા. અક્ષર ચાર સ્થાન સરકીને 13માં અને કુલદીપ યાદવ પણ ચાર સ્થાન સરકીને 16માં સ્થાને આવી ગયો છે. તે જ સમયે, શ્રેણીનો ભાગ રહેલા રવિ બિશ્નોઈને પણ ચાર સ્થાનનું નુકસાન થયું છે. તે હવે 19માં નંબરે પહોંચી ગયો છે.

એર ઇન્ડિયામાં ભરતી સામે ત્રણ ગણા ઉમેદવારો આવતા નાસભાગ સર્જાઈ

એર ઈન્ડિયા એર લાઈન્સે આજે 1800 જેટલી ખાલી જગ્યા માટે વોક-ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું હતું. આ ઈન્ટરવ્યૂ મુંબઈ સ્થિક કાલનિનામાં થવાના હતા. જ્યારે ઈન્ટરવ્યૂ દરમિયાન નોકરીની જગ્યા કરતા વધુ ઉમેદવારો આવી પહ્યા નાસભાગ જેવી પરિસ્થિતી સર્જાય હતી.

દેશમાં ફરી એક વખત બેરોજગારી વધી હોવાની સાબિતી આપતો વીડિયો વાયરલ થયો છે. વાત એમ છે કે, એર ઈન્ડિયા એર લાઈન્સમાં દ્વારા અલગ અલગ લગભગ 1800 જેટલી ખાલી જગ્યા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યુ હતું. આ વખતે મુંબઈના કલિનામાં એર ઈન્ડિયા કંપનીની ઓફિસમાં નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. મળતી માહીતિ અનુસાર લગભગ 1800 જેટલી જગ્યા માટે 25000 ઉમેદવારોની ભીડ ઉમટી હતી. ભારે સંખ્યામાં ઉમેદવારોનો જમાવડો થતા ભીડ બેકાબુ બની હતી. જે બાજ તાત્કાલિકના ધોરણે ઉમેદવારોના સીવી લઈ જવાનું કહેવામાં આવ્યું. આ ઉપરાંત વધુ ભીડના કારણે ઈન્ટરવ્યૂની જગ્યા પર પોલીસે પણ બોલાવવાની ફરજ પડી હતી. જ્યારે સૂત્રોનું માનીયે તો આ લાઈન લગભગ એક કિલો મીટર લાંબી હોવાનું જાણવા મળી રહ્યું છે.

થોડો દિવસો અગાઉ ગુજરાતના ભરૂતનો પણ એક આવો વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક કંપની ઓપન ઈન્ટરવ્યૂમાં 10ની જગ્યા માટે 1000 લોકો ઉમટ્યા હતા. ત્યારે ભારે સંખ્યામાં ઉમેદવારો હોવાથી ભીડ બેકાબૂ બની હતી. અને હોટલની રેલીગ તૂટી પડી હતી.

સરકાર વિ સંગઠનઃ ઉત્તર પ્રદેશમાં CM, ડેપ્યુટી CM બદલાશે?

લખનૌઃ ઉત્તર પ્રદેશ ભાજપમાં બધું સમુંસૂતરું નથી ચાલી રહ્યું. રાજ્યમાં 10 વિધાનસભાની સીટો પર પેટા ચૂંટણી થવાની છે, જેથી CM યોગી આદિત્યનાથે મંત્રીઓની સાથે એક મહત્ત્વની બેઠક કરી છે, જેમાં આગામી પેટા ચૂંટણીની તૈયારીઓ અને લોકસભા ચૂંટણીનાં પરિણામો પર ચર્ચા કરવામાં આવી છે. જોકે આ બેઠકમાં રાજ્યના બંને ઉપ મુખ્ય પ્રધાનો –કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક ગેરહાજર રહ્યા હતા.

આ બેઠક પૂરી થયા પછી સ્વતંત્ર દેવ સિંહે જણાવ્યું હતું કે આ બેઠક સંગઠનની નહીં, પણ સરકારના મંત્રીઓની હતી. તો પછી બંને ઉપ મુખ્ય મંત્રીઓ ગેરહાજર કેમ હતા? આ સિવાય પેટા ચૂંટણી માટે CM યોગીએ 30 મંત્રીઓની એક ટીમ તૈયાર કરી છે. આ ટીમમાં બંને ડેપ્યુટી CM –મૌર્ય અને પાઠકમાંથી કોઈને પણ સ્થાન આપવામાં નથી આવ્યું. આવામાં રાજ્યના રાજકારણમાં સવાલ ઊભા થવા માંડ્યા છે કે શું રાજ્યમાં સરકાર વિરુદ્ધ સંગઠનની લડાઈ શરૂ થઈ છે. શું રાજ્ય સરકારમાં જલદી કોઈ મોટો ફેરબદલ થવાનો છે? શું રાજ્યના નેતૃત્વમાં કોઈ ફેરફાર થવાની શક્યતા છે?

ભાજપાઅધ્યક્ષ જેપી નડ્ડાની સાથે ડેપ્યુટી CMની મુલાકાત આશરે એક કલાક જેટલી લાંબી ચાલી હતી, જે પછી રાજ્યમાં સરકાર વિરુદ્ધ સંગઠનનો વિવાદ ઘેરો બન્યો છે. છેલ્લા 48 કલાકમાં મૌર્યની નડ્ડા સાથે આ બીજી બેઠક હતી. આ પહેલાં ડેપ્યુટી CMએ 14 જુલાઈએ નડ્ડા સાથે મુલાકાત કરી હતી. એ દિવસે પહેલી વાર સરકાર વિરુદ્ધ સંગઠનનો વિવાદ ઊભો થયો હતો.

કેટલાક અહેવાલો મુજબ ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ આ સંકટને નિવારવા માટે રાજ્યમાં પાર્ટીમાં કેટલાક ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યું છે. મૌર્ય RSSના ટેકાથી પાર્ટીનો OBC ચહેરો છે. તેમને આ સંકટને હલ કરવા માટે પાર્ટીમાં કોઈ મોટું પદ પણ અપાય એવી શક્યતા છે. સવાલ અનેક છે, પણ જવાબ માટે હજી થોડી રાહ જોવી પડે એમ છે.

અમદાવાદની યુવતીનો પોલીસ પર આક્ષેપ કરતો વીડિયો વાયરલ

અમદાવાદ: શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતી યુવતી આયેશા ગલેરિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેણે અમદાવાદ પોલીસ પર આક્ષેપ કર્યો છે કે જુહાપુરા પોલીસે તેની ફરિયાદ લીધી નથી. વીડિયોમાં યુવતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશ્નરને સંબોધીને કહે છે કે તેને ન્યાય જોઈએ છે, શહેર પોલીસે તેની સાથે અન્યાય કર્યો છે. બીજી તરફ આ મહિલા વિરુદ્ધ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે. એસ.જી. હાઇવે-2 પોલીસ સ્ટેશનમાં મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે. જે ઘટનામાં મહિલાએ અકસ્માત કરીને બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી.

આયેશા ગલેરિયાનું કહેવું છે કે બે દિવસ પહેલા જ્યારે તે YMCA પાસેથી કાર લઈને પસાર થઈ રહી હતી ત્યારે એક ભાઈએ તેની ગાડીને ટક્કર મારીને આગળ જવા લાગ્યા. તેણે આગળ જઈને તેમને રોક્યા તો એ ભાઈએ તેને ગાળો આપી અને લાફો પણ માર્યો. આ દરમિયાન તેણે પોતાના ભાઈને અને પોલીસને ફોન કર્યો. પછી પોલીસની રાહ જોવા દરમિયાન તે ગાડીમાં જઈને બેઠી અને ગાડીને અંદરથી લોક કરી. કારણ કે તે ભાઈના વ્યવહારથી તેને અનસેફ ફિલ થવા લાગ્યું. ત્યારે એ ભાઈ તેની ગાડી પાસે આવીને તેને બહાર નીકળવાનું કહેવા લાગ્યા અને ગાડીને જોરથી નોક કરવા લાગ્યા. ખરાબ ભાષા વાપરવા લાગ્યા. ત્યારબાદ પોલીસ આવી. આયેશાએ પોલીસને સમગ્ર ઘટના જણાવી. વીડિયોમાં આયેશાનો આરોપ છે કે પોલીસ મારી વાત સાંભળવા તૈયાર ન હતી, મારી ફરિયાદ લેવા તૈયાર ન હતી. આયશાનું કહેવું છે કે, “પોલીસ મારી ફરિયાદ લેવા તૈયાર ન હતી. મને ચાર કલાક સુધી બહાર બેસાડી રાખી. જ્યારે બીજી પાર્ટીને અંદર એસીવાળા રૂમમાં બેસાડીને તેમને ચા-પાણી કરાવવામાં આવ્યા અને તેમની ફરિયાદ લઈને તેમને જવા દેવામાં આવ્યા.”જયારે બીજી તરફ આ મામલે પોલીસે ખુલાસો કર્યો છે કે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે. મહિલાએ અકસ્માત કર્યો હોવાથી ફરિયાદ થઈ હતી. બંને પક્ષ વચ્ચે બોલાચાલીને લઈને પોલીસે NC ફરિયાદ નોંધી છે. પરંતુ મહિલા સહી કર્યા વગર રવાના થઈ ગઈ હતી. મહિલાની ફરિયાદ લેવા માટે પોલીસ તૈયાર છે. પોલીસે જણાવ્યું કે તેઓ નિષ્પક્ષ તપાસ કરવા તૈયાર છે. 14 જુલાઈએ એસ.જી હાઇવે પર સર્વિસ રોડ પર પર સિદ્ધરાજસિંહ મકવાણા નામના વકીલ તેમનાં પત્ની અને દીકરી સાથે બલેનો ગાડીમાં જઈ રહ્યા હતા. તે સમયે આયેશા ગેલેરિયા નામની આ યુવતી પૂરપાટ ઝડપે કાર લઈને આવી રહી હતી અને વકીલની ગાડીને અથડાવી હતી. ત્યારબાદ યુવતીએ ગાડી આગળ લઈ જઈને ઊભી રાખી હતી અને વકીલ સિદ્ધરાજસિંહ મકવાણાની ગાડી પણ ઊભી રખાવી હતી. વકીલે ગાડીમાંથી બહાર આવીને જોતા તેમની ગાડીને નુકસાન થયું હતું. અકસ્માત કરનાર આયેશા ગેલેરિયા વકીલ સિદ્ધરાજસિંહ મકવાણા સાથે બોલાચાલી કરવા લાગી હતી. જેથી વકીલે પોલીસને જાણ કરી હતી. વકીલે યુવતી સામે એસ.જી હાઇવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

World Emoji Day: ઈમોજી માટે પીળો રંગ જ કેમ પસંદ કરવામાં આવ્યો?

મુંબઈ: સમય સાથે લોકોની વાતચીત કરવાની રીત બદલાઈ ગઈ છે. પહેલા લોકો ફોન પર કલાકો સુધી વાત કરતા હતા, પરંતુ હવે લોકો કોલ કરવાને બદલે વોટ્સએપ અથવા ઘણી મેસેજિંગ એપ્સ પર ચેટ કરવાનું પસંદ કરે છે. ચેટમાં પણ ટેક્સ્ટને બદલે ઈમોજી કે સ્માઈલી વડે ચેટ કરવાનો ક્રેઝ યુવાનોમાં ઝડપથી વધી રહ્યો છે. વાસ્તવમાં, હવે ચેટમાં ઇમોજી અથવા સ્માઈલીનો ઉપયોગ ફક્ત હસવા માટે નથી, પરંતુ લોકો તેમની લાગણીઓ અને લાગણીઓને વ્યક્ત કરવા માટે પણ તેનો ઉપયોગ કરવા લાગ્યા છે.

લોકો તેમની વાતચીતને મનોરંજક બનાવવા માટે ઇમોજીનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઇમોજીનો રંગ પીળો જ કેમ હોય છે? આવો, આજે વિશ્વ ઇમોજી દિવસ (World Emoji Day 2024) ના દિવસે ચાલો તમને જણાવીએ કે ઇમોજીનો રંગ પીળો જ કેમ પસંદ કરવામાં આવ્યો? આ પાછળના કારણો શું હતા?

ચેટ્સમાં ઇમોજીનો ક્રેઝ કેમ વધ્યો?

ફોન પર વાત કરવાને બદલે કોને ચેટ કરવાનું સરળ અને વધુ અનુકૂળ લાગ્યું અને તે શરૂ થયું. પરંતુ હવે લોકો ચેટને બદલે ઈમોજી ટોક પસંદ કરે છે. વ્યક્તિ ઇમોજી દ્વારા સરળતાથી પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે. ઉદાહરણ તરીકે જો કોઈ હસતું હોય તો આ છે હસતી સ્માઈલી, જો તમને રડવાનું મન થઈ રહ્યું હોય તો રડતું ઈમોજી છે, જો તમને ગુસ્સો આવી રહ્યો છે તો ગુસ્સાવાળો ઈમોજી છે. આ કારણોને લીધે ઈમોજીનો ક્રેઝ વધ્યો છે.હવે,લોકોએ ઇમોજીસ સાથે કસ્ટમાઇઝ ટી-શર્ટ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે.

આ કારણોસર ઇમોજીને પીળો રંગ મળ્યો

ઇમોજીસ મોટાભાગે પીળા રંગના હોય છે, તેથી તમે વિચારતા હશો કે તેને પીળો રંગ કેમ આપવામાં આવ્યો છે. તેની પાછળના કારણોમાંથી એક કારણ એ છે કે ઇમોજીનો પીળો રંગ આપણી સ્કિન ટોન અને લોકો સાથે મેળ ખાય છે. આ રંગ સાથે ઝડપથી સંપર્ક કરી શકાયછે, તેથી જ ઇમોજીને પીળો રંગ આપવામાં આવ્યો હતો. જ્યારે કોઈ વ્યક્તિ હસે છે અથવા સ્મિત કરે છે, ત્યારે તેનો ચહેરો પીળો દેખાય છે, તેથી ઇમોજીનો રંગ પીળો પંસદ કરવામાં આવ્યો છે.તેમજ ઘણા લોકો માને છે કે પીળો રંગ ખૂબ જ ગતિશીલ છે અને તે ખુશીનું પ્રતીક છે. આ કારણથી ઈમોજીને પીળો રંગ આપવામાં આવ્યો છે.

આ ઇમોજીનો સૌથી વધુ ઉપયોગ થાય છે

સામાન્ય રીતે આપણે વાતચીતને ધ્યાનમાં રાખી ઘણા ઈમોજીનો ઉપયગો કરીએ છીએ. પણ શું તમને ખબર છે કે સૌથી વધુ કયા ઈમોજીનો ઉપયોગ થાય છે?સૌથી વધારે આંનદનાઆંસુ વહાવનાર એટલે કે હસવાનું ઇમોજી વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું અને ગમતું ઇમોજી છે.

સરકારી નોકરીઓમાં અનામતને મુદ્દે બંગલાદેશમાં હિંસાઃ છનાં મોત

ઢાકાઃ બંગલાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત ખતમ કરવાની માગને લઈને દેશભરમાં હિંસા ફેલાઈ છે. આ વિરોધ પ્રદર્શનમાં છ લોકોનાં મોત થયા છે અને 400થી વધુ લોકો ઘાયલ થયા છે. દેશની યુનિવર્સિટીઓમાં સ્ટુડન્ટ્સ પર પોલીસે ટિયર ગેસ છોડ્યા હતા અને લાકડીઓથી માર માર્યો હતો.જેથી બંગલાદેશની સ્કૂલ અને યુનિવર્સિટી આગામી સૂચના સુધી બંધ કરી દેવામાં આવી છે.

1971માં પાકિસ્તાનથી દેશને આઝાદ કરાવવા માટે લડવાવાળા યુદ્ધ નાયકોનાં બાળકોને સરકારી નોકરીઓમાં અનામત આપવાના વિરુદ્ધ યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓ કેટલા દિવસોથી સભાઓ કરી રહી છે. આ સિવાય કેટલીક નોકરીઓ મહિલાઓ, અલ્પસંખ્યકો અને વિકલાંગો માટે પણ આરક્ષિત છે. સરકારી નોકરીઓમાં એક તૃતીયાંશ પદો પર યુદ્ધ નાયકોનાં બાળકોને નોકરીઓ પર રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે આ પ્રણાલી ભેદભાવપૂર્ણ છે. તેઓ યોગ્યતાને આધારે ભરતી ઇચ્છે છે.

આ પહેલાં સુપ્રીમ કોર્ટે નોકરીમાં અનામત પર સ્ટે લગાવી દીધો હતો, પણ વડા પ્રધાન શેખ હસીનાએ એને લાગુ નહોતો કર્યો. હસીના સરકારનું કહેવું છે કે આ નિર્ણય અમારા હાથોમાં છે. બંગલાદેશમાં સરકારી નોકરીઓ સૌથી વધુ પ્રતિષ્ઠિત છે, કેમ કે એમાં સારો પગાર મળે છે.

દેશમાં છેલ્લા ત્રણ દિવસથી હિંસા જારી છે. હસીનાના ટેકેદારોએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. યુનિવર્સિટી સ્ટુડન્ટ નાહિદ ઇસ્લામે જણાવ્યું હતું કે હસીના ટેકેદારો ડન્ડા અને પથ્થરથી હુમલો કર્યો હતો, જેમાં 150 લોકો ઘાયલ થયા હતા, જેમાં 30 મહિલાઓ અને 20 વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે.

 

 

દહેગામથી મળ્યો ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ

રાજ્યમાં એક બાજું પાણી જન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે, ત્યારે બીજી બાજું રાજ્યમાં ચાંદિપુરા વાયરસનો એક સંકાસ્પદ કેસ નોંધાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામના સાત વર્ષના એક બાળકને તાવ, ખેંચ સાથે મગજના તાવની અસર જણાતા ચાંદીપુરા વાયરસની તપાસ અર્થે બાળકનું સેમ્પલ પુણેની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યું છે.

ગાંધીનગરના આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર દેહગામમાં અમરજીના મુવાડા ખાતે રહેતા પરિવારનો સાત વર્ષના બાળકને તારીખ 9 જુલાઈના રોજ તાવ આવ્યો હતો. તાવ સાથે બાળકને ખેંત આવતા દર્દીને દહેગામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાંથી વધુ સારવાર અર્થે બાળકને રીફર કરવામાં આવ્યું હતું, જે બાદ બાળકને અમદાવાદના નરોડાની ખાનગી હોસ્પિટલમાં સીફ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાં બાળકની તબિયતમાં સુધાર ન જણાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્ય હતો. હાલમાં બાળક સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે દાખલ છે.

ઉલ્લેખનીય છે કે અહિં તબીબોને બાળકમાં ચાંદીપુર રોગના વાયરસના લક્ષણો જણાતા જરૂરી સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે પૂણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હાલ ચાંદીપુરા રોગ છે કે નહીં, તેનો ખુલાસો થયો નથી. જ્યા આ ચાંદીપુરા રોગના રિપોર્ટ આવતા 10 દિવસ જેટલો સમય લાગે છે. ત્યારે તબીબો દ્વારા બાળદર્દીની સઘન સારવાર શરૃ કરી દીધી છે.તો બીજીબાજુ દહેગામના અમરાજીના મુવાડા ગામમાં પણ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે.

ચાંદીપુર વાયરસના લક્ષણો

ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીઓને તાવ આવે, ઉલ્ટી થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે તેમજ મગજનો તાવ જેવા લક્ષણો દેખાય છે. પ્રાથમિક તબક્કે આ રોગની ઓળખ કરવી મુશ્કેલ છે. ત્યારે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષથી ઓછી વયના બાળકોમાં જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે. તેમજ આ વાયરસથી સંક્રમિત થયેલ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળવી જરૂરી છે. 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા જિલ્લામાં આ રોગચાળો નોંધાયો હતો. ત્યારબાદ આંધ્ર પ્રદેશ અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ તે દેખાયો હતો.