Home Blog Page 1650

વર્કપ્લેસ પર જરૂર છે ‘નો મીન્સ નો’ ની!

એ મારી સામે જ્યારે પણ જોવે છે ત્યારે મને લાગે છે કે જાણે એ આંખોથી મારો બળાત્કાર કરતો હોય. ઘણી વખત મેં એના તરફ તીક્ષ્ણ નજરે જોયું છે પણ ખરું. એને ખબર પણ છે કે એનું આ રીતે જોવું મને જરાય નથી ગમતું છતાં પણ જાણે ઓફીસના બોસ તરીકે એને કોઈએ અધિકાર આપી દીધો હોય એમ એની ગંદી હરકતમાંથી બહાર નથી આવતો.આ શબ્દો અમદાવાદની એક જાણીતી કંપનીમાં સારા હોદ્દા પર કામ કરતી 40 વર્ષીય જ્યોતિ કાદંબરી (નામ બદલ્યું છે)ના છે.

જ્યોતિ ચિત્રલેખા.કોમને કહે છે, વગર કારણે એ મને એની કેબિનમાં બોલાવે છે, માથાથી લઈને પગ સુધી એ ખૂબ ખરાબ નજરે મને વારંવાર જોવે છે, એટલું જ નહીં ઘણીવાર સામે આવી જાય તો અડકીને નિકળી જાય છે. હું એનાથી એટલી પરેશાન થઈ ગઈ હતી કે કંપનીના મુખ્ય સરને વાત કરી, એમણે મને કહ્યું કે આ તમારા મોઢે પહેલી વખત સાંભળ્યું, એના વિરોધમાં તો કયારેય ફરિયાદ જ નથી આવી. તમે નવા છો, એ તો વર્ષોથી આ કંપનીમાં કામ કરે છે, હા બની શકે, પહેલા મહિલા સ્ટાફ ઓછો હતો, માટે કોઈ ફરિયાદ ન આવી હોય. એક કામ કરો તમે એના મોઢા પર ચોખ્ખું સંભળાવી દો, જરૂર પડે તો હાથ પણ ઉપાડજો. અમે તમારી સાથે છીએ. મારા બોસની આ વાત મને યોગ્ય ન લાગી, કારણ કે પોતે એ નફ્ફટ માણસને કશું જ કહેવા તૈયાર ન હતા. પહેલા તો નોકરી છોડવાનો વિચાર કર્યો પણ પછી સમજાયું કે કાગડા તો બધે કાળા જ હશે. માટે મેં કાયદાકીય કાર્યવાહી કરી.

જ્યોતિએ તો હિંમત કરી અને અવાજ ઉઠાવ્યો, પરંતુ અનેક મહિલાઓ એવી છે જે વર્કપ્લેસ પર થતી જાતીય હેરાનગતિ સામે ચૂપકી સાધે છે. આખરે કેમ ? હરણફાળ ભરતા યુગમાં પણ મહિલાઓએ કામ કરવાના સ્થળે કેમ આવી યાતનાઓ સહન કરવી પડે છે?

ઈન્ડિયન નેશનલ બાર એસોસિએશન (આઈએનબીએ) દ્વારા કરવામાં આવેલા એક સરવે પ્રમાણે વર્કપ્લેસ પર જાતીય શોષણનો ભોગ બનેલી લગભગ 70 ટકા મહિલાઓ પોતાના અધિકારીને ફરિયાદ નથી કરતી. આઈટી કંપનીમાં જાતીય શોષણના સૌથી વધુ કેસ બને છે. કુલ કેસમાંથી 65 ટકા આઇટી અને કમ્પ્યુટર સર્વિસિસ કંપનીના હોય છે. એને બાદ કરતા બેન્ક અને ફાઇનાન્સિયલ કંપનીઓમાં મહિલાઓનું જાતીય શોષણ વધુ થાય છે. જેનું પ્રમાણ લગભગ 12 ટકા જેટલું છે. જોકે અન્ય એક વાત એ પણ સામે આવી છે કે 40 ટકા આઈટી કંપનીઓમાં ફરિયાદ કરવા માટે ઈન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી જ નથી.

મહિલાએ ના કહેવું જ પડશે

મહિલાઓ માટે કામ કરતી સંસ્થા ઇસાર (ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એક્શન એન્ડ રિસર્ચ)નું નેતૃત્વ કરતા ચિન્મયી જોશી (સેજલ) ચિત્રલેખા.કોમને કહે છે, “વર્કપ્લેસ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે એ વાત નવી બાબત નથી. કારણ કે સ્ત્રી અને પુરુષનું ઘડતર જ એ રીતે થયું છે. પુરુષ એવું સમજે છે કે આવું તો હું કરી શકું અને એમાં કોઈ વાંધો ન હોય, સામે મહિલાને એમ છે કે મારી સાથે આવું કઇં થાય તો મારે ચૂપ રહેવાનું, સહન કરવાનું અને કઈ બોલવાનું નહીં. કારણ કે હું કંઈ બોલીશ તો મારી અને મારા કુટુંબની આબરૂ જશે. પરંતુ આ માનસિકતા બદલવી જોઈએ. મહિલાઓએ સમજવું પડશે કે તમને ન ગમે તો ના કહી શકો છો અને કહેવું જ જોઈએ. એની માટે આંખો નીચી કરવાની કોઈ જરૂર નથી. અન્ય એક વાત એ પણ છે કે સ્ત્રીઓ માટે કોઈ નિશ્ચિત સુરક્ષિત જગ્યા નથી. મહિલાએ જાતે જ એ જગ્યા બનાવી પડશે. પરુષોએ સમજવાની જરૂર છે કે તમે ઇચ્છો એની સાથે તમારી ઇચ્છા પ્રમાણેનું વર્તન ન કરી શકો, જો સામેની વ્યક્તિ પોતાની આંખોથી કે પોતાના બિહેવિયરથી ના કહી રહી હોય તો સમજવું પડે. આટલું બંને પક્ષે થશે તો ગંભીર ગુનાહ નહીં થાય. પરિવારે પણ આવા સમયે ઘરની દિકરી કે મહિલાને કશુ કહેવા કરતા એને સપોર્ટ કરવો પડે.”

વર્કપ્લેસ પર યૌન શોષણ કે જાતિય સતામણી માત્ર નૈતિક રીતે જ નહી પરંતુ કાયદાની દ્રષ્ટિએ પણ ગુનો છે. જેને માટે દેશમાં કડક કાયદાનું ઘડતર કરવામાં આવ્યું છે.  1997માં સુપ્રીમ કોર્ટે વિશાખા ગાઇડલાઇન આપી હતી. જે પછી 2013ના ડિસેમ્બર મહિનામાં બદલીને પ્રિવેન્શન ઓફ સેક્સુઅલ હરેસમેન્ટ ઓફ વુમન એટ વર્ક પ્લેસ એક્ટ લાગુ કરાયો હતો. આ સાથે ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ એક્ટ 2013 પણ જાતિય સતામણી વિરૂદ્ધ સખત કાયદો છે. આ કાયદા હેઠળ આવતા ગુનામાં સજાની અલગ-અલગ જોગવાઈ કરવામાં આવી છે.

મહિલાએ સેફ્ટી સાઈડ સમજવી જરૂરી

અમદાવાદની ફેમિલી કોર્ટના વકીલ ઉન્નતી એ.ઠાકર ચિત્રલેખા.કોમને કહે છે, મહિલાઓ પોતાની સેફટી સાઈડ સમજવી જરૂરી છે, સહેજ પણ કઇં લાગે તો પોતાની લાલ આંખ કરીને સામેવાળાને સમજાવું પડે. જરૂર પડે તો કાયદાકીય કાર્યવાહી કરવી જ જોઈએ. પોતાની સુરક્ષા ન લાગે એ જગ્યા છોડી દેવી જોઈએ. મહિલાઓની આ સમસ્યા તો લગભગ દરેક જગ્યાએ રહેવાની જ કામ નાનું હોય કે મોટું કોર્પોરેટ જગત હોય કે પછી રસ્તા પર કામ કરતી મહિલા આ સિચ્યુએશન તો ક્યારેક ને ક્યારેક કોઈને ફેસ કરવી જ પડે છે. માટે પહેલેથી જ એની માટે સજાગ બની જરૂર પોતાનું પ્રોટેક્સન  જાતે જ કરવું જોઈએ.

વર્કપ્લેસ પર મહિલાઓની જાતીય સતામણીનો કાયદો શું છે?

‘POSH ACT 2013’ એટલે કે ઓફિસમાં મહિલાઓને જાતીય સતામણીથી બચાવવા માટે ‘પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ ‘ બનાવવામાં આવ્યો છે. જો કોઈ ઓફિસમાં ખોટું કરે છે તો આ એક્ટ હેઠળ ફરિયાદ કરી શકાય છે. આ કાયદા હેઠળ ફરિયાદની તપાસ 90 દિવસમાં પૂર્ણ કરવી જરૂરી છે. જેની માટે દરેક કંપનીમાં કમિટીની રચના કરવી ફરજીયાત છે. એટલું જ નહીં આ કમિટીમાં ઓછામાં ઓછી ચાર મહિલાઓનો સમાવેશ કરવામાં આવે છે.

પોતાની બાઉન્ડ્રી જાતે નક્કી કરો

 

અમદાવાદના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડો. ઉષ્મા અધ્યારુ ચિત્રલેખા.કોમને કહે છે જયારે પણ ઓફિસમાં કામ કરીએ ત્યારે ઘણી બધી સિચ્યુએશન માંથી પસાર થવું પડે છે. માટે આવા સમયે માત્ર કામ પર ફોક્સ રાખવું જરૂરી છે. ઓફિસમાં બોસ હોય કે પછી કલીગ પોતાની બાઉન્ડ્રી જાતે જ નક્કી કરી લેવાની હોય છે. એક લીમીટથી બહારની છૂટ કોઈને પણ આપવી જોઈએ નહીં. ખાસ કરીને જ્યારે ઓફીસના કામથી ટૂર પર જવાનું થાય ત્યારે સેફ્ટી ટૂલ્સ જેવા કે મીની ફ્લેસ લાઈટ, પેપર સ્પ્રે હોય અવશ્ય સાથે રાખવા. ઓફિસથી ઘરનું અંતર વધારે હોય કે પછી ટૂરમાં હોવ ત્યારે પોતાનું લોકેશન ઓન રાખવું જોઈએ. જેથી પરિવારનું કોઈ પણ સદસ્ય તમારો સંપર્ક કરી શકે અને તમે કોઈ પરિસ્થિતીમાં ફસાયા હોય તો મદદ પણ કરી શકે. મક્કમ તો મહિલાઓએ જ થવાનું છે.

નોંધનીય બાબત છે કે ભારત જેવા દેશમાં આ મામલે કડક કાયદા હોવા છતાં એમની જાણકારીના અભાવે પીડિતા પોતાની સાથે થઇ રહેલા અન્યાયનો વિરોધ કરી શકતી નથી કે એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં અસમર્થ રહે છે.

હેતલ રાવ

સુરતમાં જર્જરિત આવાસને લઈ પોલીસ-સ્થાનિકો વચ્ચે ઘર્ષણ..

સુરતમાં છોડા દિવસો પહેલા પાલી ગામ વિસ્તારમાં એક જર્જરીત ઈમારત ધરાશાયી થવાની ઘટના ઘટી હતી. જે બાદ સુરત વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું, અને શહેરના જર્જરિત આવસો ખાલી કરાવવાના પ્રાયાસો શરૂ કરી દીધા હતા. ત્યારે તંત્ર દ્વારા સચિન વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 2666 જેટલાં આવાસ જર્જરિત સ્થિતિમાં છે.

 સુરતના સચિન વિસ્તારના 2666 આવાસ જર્જરિત હોવાની ખાલી કરાવવાની પ્રિક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ જગ્યા પર લગભગ 10 હજાર જેટલા ગરીબ અને મધ્યમવર્ગના લોકો 30 વર્ષથી રહે છે.  અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા આ આવાસ ખાલી કરવા માટે 7 થી 8 વર્ષ પહેલા જ નોટિસ આપવામાં આવી હતી પરંતું નોટિસને ગણકારવામાં આવી ન હતી. જે બાદ આજે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે મામલો બિચકતાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

સચિન વિસ્તારના ગુજરાત હાઉસિંગ બોર્ડના 2,66 જેટલાં જર્જરિત આવસો ખાલી કરાવતા, લગભગ 10 હજાર જેટલા લોકો ઘર વિહાર બનવા જેવી સ્થિતી ઉત્પન થઈ હતી. જિલ્લા કલેક્ટર, કોર્પોરેશન અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા આવાસમાં રહેતા લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી. આજે સવારે તમામ આવાસોનાં વીજજોડાણ અને નળ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી તેમજ ઘર ખાલી કરી દેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. એને લઈને પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી. પોલીસે લોકોને ધક્કા મારીને ખદેડ્યા હતા. પોલીસના ધાડેધાડાં ઉતારી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. આવાસોના વીજ કનેક્શન અને નળ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે, આ કામગીરી બે દિવસ સુધી ચાલશે, તેમજ આવાસો ખાલી કરવા લોકોને તંત્ર દ્વારા બે દિવસનો સમય આપ્યો છે.

પાકિસ્તાનનું મિશનઃ આતંકવાદીઓ હવે અપનાવે છે ગોરીલા વોર પદ્ધતિ

નવી દિલ્હીઃ  જમ્મુ-કાશ્મીરમાં ફરીથી આતંકવાદી હુમલો થયો છે, જેમાં પાંચ જવાનો શહીદ થયા છે. ડોડામાં થયેલા આ આતંકવાદી હુમલાની સાથે છેલ્લા એક મહિનામાં આ સાતનો આતંકવાદી હુમલો છે, જેમાં અત્યાર સુધી 12 જવાન શહીદ થઈ ચૂક્યા છે. આંકડા અનુસાર 2023માં 43 આતંકવાદી ઘટનાઓ જમ્મુમાં થઈ છે. વિવિધ આતંકવાદી સંગઠનોએ આ હુમલાની જવાબદારી લીધી છે.

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ DGP કુલદીપ હુડ્ડાએ જમ્મુમાં વધતી આતંકવાદી ઘટનાઓ માટે કહ્યું છે કે પાકિસ્તાનનું મિશન ક્લિયર છે. એ હવે જમ્મુમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધારવા ઇચ્છે છે, કેમ કે પાકિસ્તાન કાશ્મીરમાં સફળ નથી થઈ રહ્યું. ઓપરેશન ઓલ આઉટ હેઠળ કાશ્મીરમાં પાકિસ્તાન નો સફાયો થઈ ગયો છે અને એટલા માટે હવે એ નવી જગ્યા શોધી રહ્યું છે, જ્યાં સુરક્ષા દળો ઓછા છે. હવે આતંકવાદીઓ જે ક્ષેત્રોમાં શાંતિ રહી છે, એ વિસ્તારોને લક્ષ્ય બનાવી રહ્યા છે, જેથી સેનાનું ધ્યાન જમ્મુ તરફ વળે, જેનાથી તેઓ કાશ્મીરમાં ફરીથી આતંકવાદી કામગીરી વધારી શકે, એમ તેમણે કહ્યું હતું. ડોડા જમ્મુ વિસ્તારમાં ગાઢ જંગલોવાળા પહાડી વિસ્તારો છે, જેમાં આતંકવાદીઓ ગોરીલ્ યુદ્ધની નીતિ અપનાવી રહ્યા છે.

પાકિસ્તાને વ્યૂહરચનાને નામે હવે જૂનાં આતંકવાદી સંગઠનોનાં નામ બદલ્યાં છે. જૈશ-એ-મોહમ્મદના જ આતંકવાદી મુફ્તી અલ્તાફે હવે નવું સંગઠન ‘કાશ્મીર સંગઠન’ બનાવ્યું છે. આ સાથે હિજબુલ મુજાહિદ્દીને પણ નવા સંગઠનનું નામ ‘ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ’ અને લશ્કરે તૈયબાએ નવા સંગઠનનું નામ ‘પીપલ્સ અગેન્સ્ટ ફાસિસ્ટ ફોર્સીસ’ રાખ્યું છે.

ઉરી હુમલા પછી ભારત તરફથી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જે પછી પાકિસ્તાન થોડો સમય શાંત બેઠું હતું, પણ હવે એણે તેનો એજન્ડા ફરીથી શરૂ કરી દીધો છે, એમ કુલદીપ હુડ્ડાએ કહ્યું હતું.

 

 

 

 

 

શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી

મંગળવારના ટ્રેડિંગ સેશનમાં, સેન્સેક્સ-નિફ્ટી બંને સૂચકાંકો ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યા, જ્યારે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ પણ નવી જીવનકાળની ઊંચી સપાટી બનાવવામાં સફળ રહ્યા. પરંતુ ઉપલા સ્તરેથી બજારમાં પ્રોફિટ બુકિંગ પાછું આવ્યું છે, જેના કારણે સેન્સેક્સ નિફ્ટી મામૂલી વધારા સાથે બંધ થયો છે. દિવસના કારોબારમાં મિડકેપ શેરોમાં વેચવાલીને કારણે નિફ્ટીનો મિડકેપ ઈન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો. બજારમાં ઘટાડા છતાં બજારને મોટો ટેકો આપનાર IT અને FMCG શેરોમાં ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 52 પોઈન્ટના મામૂલી ઉછાળા સાથે 80,716 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 26 પોઈન્ટના ઉછાળા સાથે 24,613 પોઈન્ટ પર બંધ થયો હતો.

માર્કેટ કેપ પણ સપાટ બંધ રહ્યું

બજારના ફ્લેટ ક્લોઝિંગને કારણે, BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ પણ ફ્લેટ બંધ થયું હતું. BSEનું માર્કેટ કેપ આજના કારોબારમાં રૂ. 455.20 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા સત્રમાં રૂ. 455.06 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 14000 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

આજના ટ્રેડિંગમાં HUL 2.49 ટકા, ભારતી એરટેલ 1.76 ટકા, ટેક મહિન્દ્રા 1.17 ટકા, ઇન્ફોસિસ 1.07 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.84 ટકા, ICICI બેન્ક 0.72 ટકા, ITC 0.68 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.6 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે કોટક મહિન્દ્રા બેન્ક 2.07 ટકા, રિલાયન્સ 1.37 ટકા, NTPC 1.34 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.23 ટકા, ટાટા મોટર્સ 0.43 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

આજના કારોબારમાં આઈટી, ઓટો, એફએમસીજી, રિયલ એસ્ટેટ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર સાથે જોડાયેલા શેરોમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, મીડિયા, ફાર્મા અને બેન્કિંગ સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં ચાલુ વધારો અટકી ગયો હતો જ્યારે સ્મોલકેપ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 વધ્યા અને 12 નુકસાન સાથે બંધ થયા.

PM મોદી રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કરી શકે છે. સોમવારે જાહેર કરાયેલી યાદી અનુસાર, ભારતના પીએમ મોદી 26 સપ્ટેમ્બરે બપોરે સભાને સંબોધિત કરી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રની ઉચ્ચ સ્તરીય ચર્ચા 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સોમવારે જારી કરાયેલા વક્તાઓની યાદી અનુસાર, ભારતીય રાજ્યના વડા 26 સપ્ટેમ્બરે સંબોધન કરશે. તમને જણાવી દઈએ કે, ગયા મહિને ઐતિહાસિક ત્રીજી મુદત માટે ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેનારા મોદીએ અગાઉ સપ્ટેમ્બર 2021માં વાર્ષિક ઉચ્ચ સ્તરીય યુએનજીએ સત્રને સંબોધિત કર્યું હતું.

નોંધનીય છે કે આ અંતિમ યાદી નથી. યુનાઈટેડ નેશન્સ નેતાઓ, મંત્રીઓ અને રાજદૂતોની હાજરી, કાર્યસૂચિ અને બોલવાના સમયમાં કોઈપણ ફેરફારોને પ્રતિબિંબિત કરવા માટે ઉચ્ચ-સ્તરના સત્ર સુધીના અઠવાડિયામાં વક્તાઓનું અદ્યતન કામચલાઉ સૂચિ બહાર પાડે છે. સામાન્ય ચર્ચા 24 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. યાદી અનુસાર, બ્રાઝિલના રાષ્ટ્રપતિ પ્રથમ વક્તા હશે. સામાન્ય ચર્ચાના પ્રથમ દિવસે યુએસ પરંપરાગત રીતે બીજા વક્તા છે અને રાષ્ટ્રપતિ જો બિડેન ઓફિસમાં તેમનું અંતિમ સંબોધન કરશે તેવી અપેક્ષા છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ ચર્ચાની શરૂઆત પહેલા પોતાનો રિપોર્ટ રજૂ કરશે, ત્યારબાદ મહાસભાના 79મા સત્રના અધ્યક્ષ એસેમ્બલીને સંબોધિત કરશે.

સમિટ ફોર ફ્યુચર કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે

ગુટેરેસ આ અઠવાડિયે યુએન હેડક્વાર્ટર ખાતે ભવિષ્ય માટે મહત્વાકાંક્ષી સમિટનું પણ આયોજન કરી રહ્યા છે, જેમાં 20-21 સપ્ટેમ્બરના રોજ કાર્યવાહીના દિવસો અને 22-23 સપ્ટેમ્બરના રોજ સમિટ યોજાશે. વૈશ્વિક ડિજિટલ સંધિ અને ભાવિ પેઢીઓ પર ઘોષણા સહિત ભાવિ દેખાતા કરારને અપનાવવા માટે વિશ્વના નેતાઓ સંયુક્ત રાષ્ટ્રમાં ભેગા થશે. યુનાઈટેડ નેશન્સે કહ્યું, આ સમિટ એક ઉચ્ચ-સ્તરીય ઘટના છે જે વિશ્વના નેતાઓને એકસાથે લાવશે જેથી આપણે વર્તમાનને કેવી રીતે સુધારી શકીએ અને ભવિષ્યને સુરક્ષિત કરી શકીએ.

વિદ્યાર્થીઓના વિરોધ સામે સરકાર ઝૂકી, મેડિકલની ફીમાં કર્યો ઘટાડો

ગાંધીનગર: રાજ્યની મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓના  ઉગ્ર રોષ અને રજૂઆતોને ધ્યાનામાં રાખીને GMERS કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ ગવર્નમેન્ટ ક્વોટોમાં ફી 3.75 લાખ રૂપિયા અને મેનેજમેન્ટ ક્વોટોમાં 12 લાખ રૂપિયા ફી રહેશે.

રાજ્યની મેડિકલ કોલેજોમાં લાખો રૂપિયાનો વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી. મેડિકલ કોલેજોમાં ગવર્નમેન્ટ ક્વોટાની ફી જે 3.30 લાખ રૂપિયા હતી તેમાં વધારો કરીને 5.50 લાખ રૂપિયા ફી કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત મેનેજમેન્ટ ક્વોટાની ફી જે 9 લાખ રૂપિયા હતી તે 17 લાખની ફી કરી દેવામાં આવતાં વિદ્યાર્થીઓએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની 13 મેડિકલ કોલેજ છે. જેમાં સરકારી ક્વોટાની 75 ટકા એટલે કે 1500 સીટ  છે. આ સીટો પર 3.40 લાખથી વધારી 5.50 લાખ ફી જાહેર કરી હતી. સરકારી ક્વોટાની સીટો પર 2.10 લાખનો વધારો કર્યો હતો. મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી. તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી 22 હજાર યુ.એસ. ડોલરથી વધારી 25 હજાર ડોલર કરી દેવામાં આવી હતી.

અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ ઉડાવવાની ધમકી મામલે આરોપીની ધરપકડ

મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન સમારોહમાં બોમ્બની ધમકી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ મામલે મુંબઈ પોલીસે મંગળવારે ગુજરાતના 32 વર્ષીય એન્જિનિયરની ધરપકડ કરી હતી. એક અધિકારીએ આ માહિતી આપી.

શું છે મામલો?

અધિકારીએ જણાવ્યું કે આરોપીની ઓળખ વડોદરાના રહેવાસી વિરલ શાહ તરીકે થઈ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, “મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે આજે સવારે તેની ગુજરાતમાં તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી.”

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક યુઝર દ્વારા સંભવિત ખતરા વિશેની પોસ્ટ શેર કરવામાં આવ્યા બાદ મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, ‘હું વિચારી રહ્યો છું કે આવતીકાલે અંબાણીના લગ્નમાં બોમ્બ વિસ્ફોટ બાદ અડધી દુનિયા ઊંધી પડી જશે. એક પિન કોડમાં અબજો ડોલર.’

તેમણે કહ્યું, ‘પોલીસે સંભવિત ખતરા અંગે પણ તપાસ શરૂ કરી હતી.’ અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ‘X’ પર જે એકાઉન્ટ પરથી આ પોસ્ટ શેર કરવામાં આવી હતી તેનો યુઝર વડોદરાનો હતો, ત્યારબાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમને પડોશી રાજ્યમાં શહેરમાં મોકલવામાં આવી હતી. ત્યાર બાદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતાં.

તેમણે જણાવ્યું કે આરોપીને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને ફાર્મા દિગ્ગજ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટે 12 જૂનના રોજ એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહમાં રાજકારણીઓ, હિન્દી અને દક્ષિણ ભારતીય સિનેમા અને હોલીવુડની હસ્તીઓ ઉપરાંત દેશના લગભગ તમામ ટોચના ક્રિકેટરોએ હાજરી આપી હતી.

મહારાષ્ટ્રમાં ફરી એકવાર થશે ખેલા ?

મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય રમત રમાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. એવું માનવામાં આવે છે કે આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી શકે છે. વાસ્તવમાં તેનું કારણ અજિત પવાર જૂથના નેતાઓની શરદ પવાર સાથેની બેઠકો છે. સોમવારે જ્યારે એનસીપી (અજિત જૂથ)ના વરિષ્ઠ નેતા છગન ભુજબળ શરદ પવારને મુંબઈમાં તેમના નિવાસસ્થાન સિલ્વર ઓકમાં મળ્યા હતા, ત્યારે આજે અજિત પવારના પત્ની સુનેત્રા પવાર પણ શરદ પવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

 

અજિત પવારના પત્ની અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવાર આજે પૂણેના મોદી બાગ પહોંચ્યા હતા. સાંસદ સુનેત્રા પવાર મોદી બાગમાં એક કલાકથી વધુ સમય રોકાયા હતા. તે સમયે શરદ પવાર પણ મોદી બાગમાં હાજર હતા. જો કે સુનેત્રા પવાર મોદી બાગમાં કોને મળ્યા હતા અને શું ચર્ચા થઈ હતી તે જાણવા મળ્યું નથી. પરંતુ સુનેત્રા પવાર અને શરદ પવારની કલાકો સુધી એક જ સમયે અને એક જ જગ્યાએ હાજરીએ મહારાષ્ટ્રના રાજકારણને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે.

પરિણામો બાદ પ્રથમ વખત બેઠકની ચર્ચા

મહારાષ્ટ્રના રાજકારણમાં, અજિત પવારની પત્ની સુનેત્રા પવાર બારામતીથી છે, તેમણે આ બેઠક પરથી તેમની ભાભી અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે સામે ચૂંટણી લડી હતી. પરિવારના બે સભ્યો વચ્ચે ચૂંટણી લડાઈને કારણે લોકસભાની ચૂંટણીમાં બારામતી બેઠક સૌથી ગરમ બેઠકો પૈકીની એક હતી. ભાભી અને ભાભી વચ્ચેની ચૂંટણી લડાઈએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું, જોકે સુનેત્રા પવાર આ ચૂંટણી હારી ગયા હતા. સુપ્રિયા સુલેએ તેમને લગભગ 1.5 લાખ મતોથી હરાવ્યા હતા.

જો કે, સુનેત્રા પવારે એનસીપી (અજિત જૂથ)ના નેતા પ્રફુલ પટેલના રાજીનામાને કારણે ખાલી પડેલી રાજ્યસભા બેઠક પર ઉમેદવારી નોંધાવીને તેમની રાજકીય સફર શરૂ કરી હતી. લોકસભા ચૂંટણી પછી આ પહેલીવાર છે જ્યારે સુનેત્રા પવાર અને શરદ પવાર વચ્ચેની મુલાકાતના સમાચાર સામે આવી રહ્યા છે. સુનેત્રા પવાર શરદ પવારના નિવાસસ્થાન મોદી બાગમાં લગભગ એક કલાક રોકાયા હતા, એ જ રીતે અજિત જૂથના નેતા છગન ભુજબળ પણ ગઈ કાલે કલાકો સુધી શરદ પવારના નિવાસસ્થાને રોકાયા હતા, બંને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત થઈ હતી. આવી સ્થિતિમાં સુનેત્રા પવાર પણ શરદ પવારને મળ્યા છે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે.

તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ભડકો..

તહેવારો નજીક આવતાની સાથે સિંગતેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં સિંગતેલની કિંમતોમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મગફળીનું ગુજરાતમાં ગત વર્ષે 49.42 લાખ ટનનું બમ્પર ઉત્પાદન અને તે પહેલાના વર્ષે 2022-23માં પણ 45.31 લાખ ટનનું ઉત્પાદન નોંધાયું હતું. તેમ છતા સૌરાષ્ટ્રના રાજોકટમાં સિંગતેલમાં આજે વધુ 20 રૂપિયાના વધારો કરવામાં આવ્યો છે. પાછલા ત્રણ દિવસની વાત કરીએ, તો ત્રણ દિવસમાં 50 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. સિંગતેલના પ્રતિ 15 કિલો ડબ્બાના ભાવ ગત ગુરુવારે 2560-2610 હતા. તે આજે વધીને 2610-2660એ પહોંચાડી દેવાયા છે.

રાજ્યમાં મગફળીના ઉત્પાદન સાથે સિંગતેલનો વપરાશ પણ નોંધપાત્ર રીતે થાયે છે. અહીં લોકો સિંગતેલના પ્રાધાન્ય વધું આપતા હોય છે. જે બાદ તેલની રેસમાં સનફ્લાવર તેલ આવે છે. વધતા સિંગતેલના ભાવને લઈ લોકો સનફ્લાવર તેલના વપરાશ તરફ વળી રહ્યા છે. આ વર્ષે મગફળીનું પણ સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. પરંતુ ગત વર્ષે ગુલાબી ઈયળ અને કપાસના ભાવ ન મળતા ખેડૂતો ફરી મગફળી તરફ વળ્યા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે.

થોડા જ દિવસો બાદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાત તહેવારોના રંગમાં રંગાઈ જવાનું છે. ત્યારે નજીક આવતા તહેવારો અને પ્રસંગને લઈ તેલના ભાવ ફરી એક વખત ઊંચકાવાની શક્યતા સેવાય રહી છે. ત્યારે હાલના સમયમાં બજારમાં મગફળી સહિતના કાચા માલની આવક ઘટતા ભાવ વધારો થયો છે.

ત્રણ રાજ્યોએ PM-શ્રી યોજનામાં ભાગ લેવાથી કર્યો ઇનકાર

નવી દિલ્હીઃ શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજનામાં ભાગ લેવાની ના પાડવાને કારણે દિલ્હી, પંજાબ અને પશ્ચિમ બંગાળને પ્રમુખ સ્કૂલ શિક્ષણ કાર્યક્રમ સમગ્ર શિક્ષણ અભિયાન (SSA) હેઠળ ભંડોળ અટકાવી દેવામાં આવ્યું છે.

PM-શ્રીનું બજેટ રૂ. 27,000 કરોડથી વધુ છે અને એનુ લક્ષ્ય આગામી પાંચ વર્ષોમાં કમસે કમ 14,500 સરકારી સ્કૂલોને અનુકરણીય સંસ્થાનોમાં અપગ્રેડ કરવાનું છે. એમાં થનારો 60 ટકા નાણાકીય ખર્ચ કેન્દ્ર અને રાજ્યોએ 40 ટકા વહન કરવાનો છે. નેશનલ એજ્યુકેશન પોલિસી (Nep)માં રાજ્યોએ અને શિક્ષણ મંત્રાલયની સાથે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરીને પોતાની ભાગીદારીની પુષ્ટિ કરવાની રહેશે.

પાંચ રાજ્યો- તામિલનાડુ, કેરળ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ બંગાળે હજી સુધી સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાના બાકી છે, જ્યારે તામિલનાડુ અને કેરળે પોતાની ઇચ્છાથી હકારાત્મક સંકેત આપ્યા છે, જ્યારે દિલ્હી, પંજાબ અને પશ્ચિમ બંગાળે ઇનકાર કર્યો છે. એને કારણે SSA ફંડને અટકાવવા માટે કેન્દ્રને મજબૂર થવું પડ્યું.

આ ત્રણ રાજ્યોને પાછલા નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર અને જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક માટે SSA ફંડનો ત્રીજો અને ચોથો હપતો નથી મળ્યો. એ સાથે આ રાજ્યોને ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ત્રિમાસિકનો પહેલો હપતો પણ નથી મળ્યો. જોકે દિલ્હીને ત્રણ ત્રિમાસિક માટે આશરે રૂ. 330 કરોડ, પંજાબને લગભગ રૂ. 515 કરોડ અને પશ્ચિમ બંગાળને રૂ. 1000 કરોડથી વધુની પ્રતીક્ષા છે.

PM-શ્રી યોજનામાં દિલ્હી પંજાબે ભાગ લેવાને ઇનકાર કર્યો હતો, કેમ કે આમ આદમી પાર્ટી દ્વારા શાસિત રાજ્ય પહેલેથી જ સ્કૂલ ઓફ એમિનન્સ નામની અનુકરણીય સ્કૂલો માટે એકસમાન યોજના ચલાવી રહ્યા છે, જ્યારે પશ્ચિમ બંગાળે સ્કૂલોના નામની આગળ PM- શ્રી લગાવવાનો વિરોધ કર્યો હતો, કેમ કે રાજ્ય ખર્ચનો 40 ટકા ભાગ વહન કરે છે.

આ ફંડ અટકાવવાને કારણે નાણાકીય સંકટ દિલ્હી અનુભવી રહ્યું છે. અહીં MCD પ્રાથમિક સ્કૂલોમાં કામ કરતા આશરે 2400 શિક્ષકો અને શિક્ષણ કાર્યક્રમ પર કામ કરતા 700 કર્મચારીઓને પગાલ SSA ફંડમાં આપવામાં આવે છે.