Home Blog Page 168

‘પરવાના’ થી જૂના નવીન સામે નવા અમિતાભને પાંખો મળી!

જ્યોતિ સ્વરૂપ નિર્દેશિત ફિલ્મ ‘પરવાના’ (1971) તે સમયે એક મોટો પ્રયોગ હતી. કારણ કે ત્યારે અમિતાભ બચ્ચન ઉભરતા કલાકાર હતા. તેમને એક સાઈકો લવર અને નકારાત્મક ભૂમિકામાં રજૂ કરવામાં આવ્યા હતા. ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટમાં નવીન નિશ્ચલ અને યોગિતા બાલી હતા. નવીન તે સમયના લોકપ્રિય અને ચોકલેટી ચહેરો ગણાતા હતા. એ સમયે નવીન ‘સાવન ભાદો’ની ભવ્ય સફળતા પછી સુપરસ્ટાર ગણાતા હતા. જ્યારે અમિતાભ હજુ પોતાની ઓળખ બનાવી રહ્યા હતા. શૂટિંગ દરમિયાન એક દ્રશ્યમાં અમિતાભે એટલી તીવ્રતાથી અભિનય કર્યો કે સેટ પર હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. નવીન નિશ્ચલે પાછળથી સ્વીકાર્યું હતું કે અમિતાભની આંખોમાં જે પાવર હતો તે જોઈને તેમને પણ થોડી ક્ષણો માટે ડર લાગ્યો હતો.

આ એ જ ફિલ્મ હતી જેણે સાબિત કર્યું કે અમિતાભ માત્ર હીરો જ નહીં પણ એક ખતરનાક વિલન પણ બની શકે છે. અમિતાભે આ ફિલ્મમાં એક એવા પ્રેમીનું પાત્ર ભજવ્યું હતું જે પાગલપનની હદે પ્રેમ કરે છે. અમિતાભની અભિનય ક્ષમતા અને તેમની ‘એંગ્રી યંગ મેન’ બનવાની પૂર્વતૈયારી આ ફિલ્મમાં દેખાઈ આવતી હતી. સેટ પર લોકો કહેતા કે હીરો (નવીન) કરતાં વિલન (અમિતાભ) વધુ આકર્ષક લાગે છે. જે વાત આગળ જતાં સાચી સાબિત થઈ હતી. અમિતાભ બચ્ચને પોતાની કારકિર્દીમાં જે ગણીગાંઠી ફિલ્મોમાં નેગેટિવ રોલ કર્યા છે તેમાં ‘પરવાના’ સૌથી ટોચ પર છે. કહેવાય છે કે ‘પરવાના’માં અમિતાભનો આ તેવર જોઈને જ નિર્માતા-નિર્દેશકોએ તેમને ‘ઝંજીર’ માટે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું હતું. આ ફિલ્મ એ વાતનું પ્રમાણ છે કે ક્યારેક એક નકારાત્મક ભૂમિકામાં મળેલી સકારાત્મક પ્રશંસા જ કલાકારને સાચા અર્થમાં હીરો બનાવી દેતી હોય છે.

આ ફિલ્મની સૌથી અજાણી અને ચોંકાવનારી વાત એ છે કે તેમાં મોહમ્મદ રફી અને આશા ભોંસલેનું એક અત્યંત મધુર યુગલ ગીત ‘જિસ દિન સે મૈંને તુમકો દેખા હૈ’ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આ ગીત નવીન નિશ્ચલ અને યોગિતા બાલી પર ખૂબ જ સુંદર રીતે ફિલ્માવવામાં પણ આવ્યું હતું. જ્યારે ફિલ્મ અંતિમ એડિટિંગ ટેબલ પર આવી ત્યારે ફિલ્મની લંબાઈ ઘટાડવા અને વાર્તાના પ્રવાહને જાળવી રાખવા માટે આ ગીતને ફિલ્મમાંથી પૂરેપૂરું કાઢી નાખવામાં આવ્યું ત્યારે નવીન નિશ્ચલ થોડા નારાજ થયા હતા. કારણ કે આ ગીતમાં તેમનો લુક ખૂબ જ હેન્ડસમ હતો.

નિર્દેશક જ્યોતિ સ્વરૂપનું માનવું હતું કે જો આ ગીત રાખવામાં આવશે તો પાત્રની જે ગંભીરતા છે તે ઓછી થઈ જશે. આજે પણ ઘણા જુના સંગીત રસિકો આ ગીતને રેડિયો કે યુટ્યુબ પર સાંભળે ત્યારે નવાઈ પામે છે કે આટલું સરસ ગીત પડદા પર કેમ ન આવ્યું. ‘પરવાના’ ફિલ્મ આજે પણ સિનેમાના અભ્યાસુઓ માટે અમિતાભ બચ્ચનની અનોખી ભૂમિકા અને નવીન નિશ્ચલના તે સમયના સ્ટારડમની સાક્ષી પૂરે છે.

 

બ્રેડ છાશ ઈન્સ્ટન્ટ વડા

બ્રેડ અને છાશ વડે બનતા આ ઈન્સ્ટન્ટ વડા દાળિયાની ચટણી સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે!

સામગ્રીઃ દહીં 1 કપ, બ્રેડ 2, બારીક રવો 1 કપ, સ્વાદ મુજબ મીઠું, ચોખાનો લોટ ½-1 કપ, સાંભાર મસાલો 1 ટી.સ્પૂન,  વઘાર માટે તેલ 2 ટે.સ્પૂન, રાઈ 1 ટી.સ્પૂન, લીલા મરચાં 2-3, કળી પત્તાના પાન 8-10, સૂકું લાલ મરચું 1

ચટણી માટેઃ દાળિયા અથવા શેકેલી ચણાની દાળ 2 ટે.સ્પૂન, શેકેલા શીંગદાણા 2 ટે.સ્પૂન, લીંબુનો રસ 1 ટે.સ્પૂન, લીલા મરચાં 2, આદુનો ટુકડો 1 ઈંચ, ચટણીના વઘાર માટેઃ રાઈ 1 ટી.સ્પૂન,, સૂકું લાલ મરચું 1, કળીપત્તાના પાન 7-8

રીતઃ દહીંને ફેંટીને તેમાં એટલા જ માપ પ્રમાણે પાણી મેળવીને મિક્સ કરી દો. હવે તેમાં બ્રેડના ટુકડા કરીને ઉમેરી દો.

મિક્સીમાં લીલા મરચાં તેમજ આદુના ટુકડા કરીને નાખો, ત્યારબાદ તેમાં દાળિયા, શીંગદાણા તેમજ લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું મેળવીને બારીક ચટણી પીસી લો. હવે એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કર્યા બાદ સૂકું લાલ મરચું તેમજ કળી પત્તાના પાન ઉમેરીને 1 મિનિટ રહેવા દીધા બાદ આ વઘાર ચટણીમાં મેળવી દો. ગેસ બંધ કરીને, ચટણી ઢાંકીને એક બાજુએ મૂકી દો.

ભીંજવેલી બ્રેડને મિક્સીમાં નાખીને તેમાં રવો, આદુ તેમજ મરચાંના ટુકડા, સ્વાદ મુજબ મીઠું મેળવીને મિક્સીમાં પીસી લો. આ પેસ્ટને એક બાઉલમાં લઈ, તેમાં સમારેલું સિમલા મરચું, ગાજર તેમજ સમારેલી કોથમીર અને ઈનો પાઉડર મેળવો. હવે તેમાં થોડો થોડો ચોખાનો લોટ મેળવતા જઈને રોટલીના લોટ જેવો પણ થોડો વધુ નરમ લોટ બાંધી લો. હાથને તેલવાળા કરીને આ લોટમાંથી લીંબુના આકારના ચપટા ગોળા વાળી લો.

એક મુઠીયા બાફવાના વાસણમાં પાણી ગરમ કરો. સ્ટીલની ચાળણીમાં તેલ લગાડીને બ્રેડના ગોળા તેમાં ગોઠવી દો. વાસણ ઢાંકીને ગેસની મધ્યમ આંચે 10-15 મિનિટ ગરમ કરીને બ્રેડ વડા બાફી લો.

એક પેનમાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરી લીધા બાદ તેમાં સફેદ તલ, સમારેલાં લીલા મરચાં અને સમારેલાં કળી પત્તાના પાન ઉમેરીને બાફેલા બ્રેડના વડા તેમાં સાંતળી લો એકાદ મિનિટ બાદ ગેસ બંધ કરીને થોડી કોથમીર ભભરાવીને દાળિયાની તૈયાર કરેલી ચટણી સાથે વડા પીરસો.

 

પંચાંગ 21/03/2026

૨૧ માર્ચ ૨૦૨૬

એમેઝોન પ્રાઇમ વીડિયોએ ભવ્ય ઈવેન્ટમાં 30 સીરિઝ અને 19 ફિલ્મોની જાહેરાત કરી

2026ના વર્ષમાં OTT પ્લેટફોર્મ પર ઘણી બધી નવી વેબ સિરીઝ અને ફિલ્મો જોવા મળશે. ઘરે બેઠા મનોરંજન ઈચ્છતા દર્શકો માટે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયોએ 2026 માટે તેનું રિલીઝ કેલેન્ડર બહાર પાડ્યું છે. એમેઝોન પ્રાઇમ વિડિયોએ 30 નવી ઓરિજિનલ વેબ સિરીઝ અને 19ફિલ્મોની સાથે અન્ય શોની જાહેરાત કરી છે.

મુંબઈમાં એક ભવ્ય ઈવેન્ટમાં એમેઝોન પ્રાઇમ વિડિયોએ 2026માં રિલીઝ થનારા પ્રોજેક્ટરની જાહેરાત કરી હતી. જેમાં બૉલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી.  કૂલ 55 સીરિઝ, ફિલ્મો અને શોની આ યાદીમાં ભારતીય ઓરિજિનલ કન્ટેન્ટની સાથે સાથે એમેઝોન MGM સ્ટુડિયો ઇન્ડિયા તરફથી થિયેટરલી રિલીઝ થયેલી ફિલ્મોના ડિજિટલ સ્ટ્રીમિંગ લાઇસન્સ પ્રાપ્ત ફિલ્મો પણ સામેલ છે. આમાં ‘પંચાયત સીઝન 5’, ‘ફર્ઝી સીઝન 2,’ ‘દુપહિયા 2,’ અને ‘ગ્રામ ચિકિત્સાલય 2,’ જેવા મુખ્ય નામો તેમજ ‘મિર્ઝાપુર’, ‘નાગઝિલા’, ‘રાખ’, ‘સિસ્ટમ’, અને ‘સુંદર પૂનમ’ જેવી ઓરિજિનલ OTT ફિલ્મોનો સમાવેશ થાય છે.

2026 ની શ્રેણીમાં ભારતની કેટલીક સૌથી લોકપ્રિય સીરિઝની નવી સીઝન પણ પરત ફરશે, જેમાં શાહિદ કપૂરની “ફર્ઝી સીઝન 2”, જિતેન્દ્ર કુમારની “પંચાયત સીઝન 5”, અનન્યા પાંડેની “કોલ મી બે સીઝન 2”, સ્પર્શ શ્રીવાસ્તવની “ટુ-વ્હીલર સીઝન 2”, સોનાક્ષી સિંહાની “રોર સીઝન 2” અને અમોલ પરાશરની “ગ્રામ ચિકિત્સાલય સીઝન 2″નો સમાવેશ થાય છે.

પ્રાઇમ વિડીયોના સ્લેટમાં હિન્દી, તમિલ અને તેલુગુમાં સ્ક્રિપ્ટેડ અને અનસ્ક્રીપ્ટેડ શો છે. વાર્તાઓ વિવિધ શૈલીઓનો સમાવેશ કરે છે, જેમાં રોમાંસથી લઈને નાટક, થ્રિલરથી લઈને ક્રાઈમ ડ્રામાનો સમાવેશ થાય છે. ઋત્વિક રોશન, આલિયા ભટ્ટ, કુણાલ ખેમુ અને પ્રીતિ ઝિન્ટા જેવા ઉદ્યોગના દિગ્ગજ કલાકારો પણ નિર્માતા તરીકે પદાર્પણ કરી રહ્યા છે.

આ નવી સીરિઝ અને ફિલ્મોમાં નિખિલ અડવાણીની ‘ધ રિવોલ્યુશનરીઝ’નો સમાવેશ થાય છે, જેમાં ભુવન બામ, રોહિત સરાફ, પ્રતિભા રાંતા અને ગુરફતેહ પીરઝાદા અભિનિત છે. વિજય વર્માની ‘મટકા કિંગ’, અલી ફઝલ અને સોનાલી બેન્દ્રેની ‘રાખ’, યામી ગૌતમની ‘નયી નવેલી’ અને સાન્યા મલ્હોત્રાની ‘સુંદર પૂનમ’ છે.

(તમામ તસવીરો: માનસ સોમપુરા)

પંજાબ સરકારે રાજસ્થાન પાસેથી 1.44 લાખ કરોડ રૂપિયા કેમ માગ્યા?

નવી દિલ્હીઃ પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને જણાવ્યું છે કે તેમની સરકાર રાજસ્થાન પાસેથી 1.44 લાખ કરોડ રૂપિયાની માગ કરશે. મુખ્ય મંત્રી માનના જણાવ્યા મુજબ રાજસ્થાને વર્ષ 1960થી અત્યાર સુધી પંજાબમાંથી 18,000 ક્યુસેક પાણી લીધું છે અને તેના બદલામાં કોઈ ચુકવણી કરી નથી. મુખ્ય મંત્રી માનનો દાવો છે કે દેશની આઝાદી પહેલાં એક જૂના કરાર હેઠળ રાજસ્થાન આ પાણી માટે ચુકવણી કરતું હતું. હવે આ કરારની ફરી સમીક્ષા કરવાની માગ કરવામાં આવી છે. તેમના નિવેદન પછી નદીઓના પાણીના વહેંચણી અને ઐતિહાસિક કરારોને લઈને ચાલતો વિવાદ ફરી તેજ બનવાની શક્યતા છે.

 1920નો કરાર શો હતો?

1920માં બિકાનેર રિયાસત અને બ્રિટિશ શાસન હેઠળના અવિભાજિત પંજાબ વચ્ચે એક કરાર થયો હતો. બિકાનેરના મહારાજા ગંગા સિંહે ફિરોઝપુર હેડવર્ક્સમાંથી નીકળતી ગંગા નહેર મારફતે સતલજ નદીનું પાણી મેળવવાનો અધિકાર મેળવ્યો હતો. આ એક પ્રકારનો વ્યાવસાયિક (કોમર્શિયલ) કરાર હતો, જે બિકાનેર રિયાસત અને બ્રિટિશ શાસન વચ્ચે થયો હતો. આ કરાર હેઠળ 1960 સુધી પાણીના ઉપયોગ બદલ ચુકવણી કરવામાં આવતી રહી હતી.

1960માં શું બદલાયું?

1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ થયા બાદ સ્થિતિ બદલાઈ. આ સંધિ મુજબ ભારતને પૂર્વીય નદીઓ — સતલજ, બિયાસ અને રાવી —ના પાણીના ઉપયોગનો સંપૂર્ણ અધિકાર મળ્યો. ત્યાર બાદ ભારતે આંતરિક સ્તરે પાણીના વહેંચણી માટે નવી વ્યવસ્થા બનાવી. પંજાબના પૂર્વ ચીફ એન્જિનિયર (નહેર વિભાગ) અમરજિત સિંહ દુલ્લેતના જણાવ્યા મુજબ આ સમયગાળામાં રોયલ્ટી આધારિત સિસ્ટમ બંધ કરી દેવામાં આવી અને પાણીના વહેંચણીને આંતર-રાજ્યીય વહેંચણી તરીકે માનવામાં આવ્યું. ત્યારથી રાજસ્થાને પાણી માટે ચુકવણી કરવી બંધ કરી દીધી.

ઇન્દિરા ગાંધીના સમયમાં શું બદલાયું?

વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના સમયમાં 1981માં પંજાબ, હરિયાણા અને રાજસ્થાન વચ્ચે ત્રિપક્ષી કરાર થયો. તે સમયે ત્રણેય રાજ્યો અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. આ કરાર મુજબ રાવી-બિયાસ નદીના પાણીની ફરી વહેંચણી કરવામાં આવી, જે 17.17 મિલિયન એકર ફૂટ (MAF) પાણીની ઉપલબ્ધતા આધારે નક્કી થઈ હતી. આમાં રાજસ્થાનને 8.6 MAF જેટલો સૌથી મોટો હિસ્સો મળ્યો. ત્યાર બાદ ઇન્દિરા ગાંધી નહેર પ્રોજેક્ટનો વિસ્તાર થયો, જે પંજાબના તરન તારન જિલ્લાના હરિકે બેરેજથી થાર રણ સુધી પાણી પહોંચાડે છે.

પશ્ચિમ બંગાળમાં અઘોષિત ઇમર્જન્સી અને રાષ્ટ્રપતિ શાસન જેવી સ્થિતિઃ CM મમતા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનર્જીએ SIR  જેવી જ રીતે ચૂંટણી પંચની કામગીરીને એક સુનિયોજિત કાવતરાનો ભાગ ગણાવી છે અને તેને અસ્થિરતા, ગેરસમજ અને અયોગ્યતા તરીકે વર્ણવી છે. તેમના મત મુજબ આ બધાનો હેતુ સંસ્થાઓ મારફતે પશ્ચિમ બંગાળને નિયંત્રિત કરવાનો છે.

તેમનો દાવો છે કે ચૂંટણીના સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવે એ પહેલાં જ મુખ્ય સચિવ, ગૃહ સચિવ, ડીજીપી, એડીજી, આઈજી, ડીઆઈજી, જિલ્લા કલેક્ટર અને એસપી સહિત 50થી વધુ વરિષ્ઠ અધિકારીઓને એકતરફી અને મનસ્વી રીતે હટાવી દેવામાં આવ્યા છે.

તેમણે આરોપ લગાવ્યો છે કે લોકોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ ગયેલો ભાજપ હવે દબાણ, ભય અને સંસ્થાઓના દુરુપયોગ દ્વારા પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

 મમતાએ ચૂંટણી પંચને લખ્યો પત્ર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં ટોચના બ્યુરોક્રેટ્સ અને IPS અધિકારીઓના અચાનક ટ્રાન્સફર મુદ્દે ચૂંટણી પંચની ટીકા કર્યા બાદ મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી પંચ જ્ઞાનેશકુમારને પત્ર લખીને ECIના કાર્ય પ્રત્યે ગંભીર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનરને લખાયેલા પોતાના આઠમા પત્રમાં બેનર્જીએ આરોપ લગાવ્યો કે પંચે શિસ્ત અને બંધારણીય મર્યાદાની તમામ હદો પાર કરી દીધી છે.

મુખ્યમંત્રીએ SIR પ્રક્રિયા શરૂ થયા પછીથી ચૂંટણી આયોગ પર પક્ષપાતપૂર્ણ વલણ અપનાવવાનો અને રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અવગણવાનો આરોપ મૂકતાં. લખ્યું હતું કે ચૂંટણી પંચના કાર્યથી હું સ્તબ્ધ છું. મારા મત મુજબ આ વર્તન શાલિનતા અને બંધારણીય યોગ્યતાની તમામ મર્યાદાઓ પાર કરે છે. પંચે સ્પષ્ટપણે પક્ષપાતપૂર્ણ વલણ અપનાવ્યું છે અને જમીન સ્તરની હકીકતો અથવા જનકલ્યાણની કોઈ ચિંતા દેખાતી નથી.

હવે ચૂંટણીની જાહેરાત પછી એ જ પંચ પશ્ચિમ બંગાળની બ્યુરોક્રસીનું પણ ‘SIR’ કરી રહ્યો છે, એટલે કે કેટલાક અધિકારીઓના બદલી આદેશ આપી રહ્યો છે, જેથી ચૂંટણી નિષ્પક્ષ અને હિંસામુક્ત રીતે યોજી શકાય. મમતા બેનર્જીને પહેલું SIR પણ પસંદ આવ્યું નહોતું અને હવે બીજું પણ પસંદ આવી રહ્યું નથી. વિધાનસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ ચૂંટણી પંચ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ચૂંટણીની જાહેરાત પછી હવે આ લડતનો બીજો અધ્યાય શરૂ થયો છે. અધિકારીઓના બદલી મુદ્દે મમતા બેનર્જીએ ચૂંટણી પંચને નવો પત્ર લખ્યો છે અને આ સ્થિતિને ‘અઘોષિત ઇમર્જન્સી’ તેમ જ ‘રાષ્ટ્રપતિ શાસન જેવી પરિસ્થિતિ’ સાથે સરખાવી છે.

PACL કૌભાંડ કેસઃ EDએ રૂ. 5046 કરોડની સંપત્તિ જપ્ત

નવી દિલ્હીઃ EDએ મોટા આર્થિક કૌભાંડ સાથે જોડાયેલા PACL લિ.. કેસમાં મોટી કાર્યવાહી કરી છે. EDએ રૂ. 5046.91 કરોડની કુલ 126 સંપત્તિઓ જપ્ત કરી છે. આ સંપત્તિઓ દિલ્હી અને પંજાબમાં સ્થિત છે. આ કેસ એક નકલી રોકાણ યોજનાથી સંબંધિત છે, જેમાં કંપનીએ લોકોને જમીન આપવાની લાલચ આપી દેશભરના લાખો રોકાણકારો પાસેથી અંદાજે રૂ. 48,000 કરોડ એકત્ર કર્યા હતા, પરંતુ મોટા ભાગના રોકાણકારોને ના તો જમીન મળી અને ના તેમના પૈસા પરત મળ્યા.

2014માં CBIએ શરૂ કરી હતી તપાસ

આ કૌભાંડની તપાસ 2014માં CBIએ શરૂ કરી હતી. ત્યાર બાદ EDએ મની લોન્ડરિંગ હેઠળ કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કંપનીએ અનેક ફેક કંપનીઓ અને કાગદી લેવડદેવડ દ્વારા પૈસાની હેરફેર કરી હતી.

અત્યાર સુધી રૂ. 22,000 કરોડથી વધુ સંપત્તિ જપ્ત

સુપ્રીમ કોર્ટે 2016માં રોકાણકારોના પૈસા પરત આપવા માટે એક કમિટી પણ રચી હતી. છતાં કંપનીની સંપત્તિઓની ગેરકાયદે વેચાણ અને ગોટાળા ચાલુ રહ્યા હતા. EDના જણાવ્યા મુજબ અત્યાર સુધી આ કેસમાં કુલ રૂ. 22,656 કરોડથી વધુની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. હાલ તપાસ ચાલુ છે.

 PACL કૌભાંડ શું છે?

PACL (Pearls Agrotech Corporation Limited) સ્કેમ ભારતની સૌથી મોટા નાણાકીય છેતરપિંડી અને પોન્ઝી સ્કીમ કેસોમાંની એક માનવામાં આવે છે. આ એક Collective Investment Scheme હતી, જેમાં PACLએ કૃષિ અને રિયલ એસ્ટેટ વિકાસને નામે રોકાણકારોને પૈસા ડબલ કરવાની અથવા જમીન આપવાની લાલચ આપી હતી.

 પોન્ઝી સ્કીમમાં કેવી રીતે થતો હતો કૌભાંડ

પ્રાપ્ત માહિતી મુજબ PACL કંપની પોન્ઝી સ્કીમ તરીકે કાર્યરત હતી, જેમાં નવા રોકાણકારોથી લેવામાં આવેલ પૈસા જૂના રોકાણકારોને ચુકવણી કરવા અને એજન્ટોને ભારે કમિશન આપવા માટે વપરાતા હતા. આ કૌભાંડ પાછળ પર્લ ગ્રુપના સ્થાપક નિર્મલ સિંહ ભંગુનું નામ સામે આવ્યું હતું, જેમનું ઓગસ્ટ, 2024માં નિધન થયું હતું.

ઘટતો આત્મવિશ્વાસ અને વાસ્તુનો પ્રભાવ

જેમ જેમ સુવિધાઓ વધતી જાય છે તેમ તેમ માણસની ધીરજ અને સહનશક્તિ ઘટતી જાય છે. એ ઉપરાંત મન વધુ આળું બનતું જાય છે. કોઈ જરાક કંઈ કહે તો સીધો સામે પ્રહાર કરવાની વૃત્તિ આવી રહી છે. કોઈ વખાણ કરે તો પણ શંકા થાય કે ક્યાંક વ્યંગ તો નથી ને? તેનો અર્થ એ કે માણસનો આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે. આત્મવિશ્વાસ વિના જીવન શક્ય જ નથી. જો સામાન્ય વાતમાં પણ ભૂલો દેખાય કે અન્ય નકારાત્મક અર્થ દેખાય, તો પોતાની જગ્યાનું વાસ્તુ તપાસવું જરૂરી છે, કારણ કે આવી નકારાત્મકતા વ્યક્તિનું પોતાનું જ નુકસાન કરે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો નીચે આપેલા ઈમેઈલ પર પૂછો.

સવાલ: મને ક્યારેક જીવનલક્ષી પ્રયોગો કરવાની ટેવ છે. એક વાર મેં બધાને કારણ વિના “હેપી બર્થડે” લખ્યું, તો છેલ્લા બે વર્ષથી જે લોકો કંઈ જ બોલતા નહોતા, એમના પણ મેસેજ આવ્યા કે “આ શું હતું?” ત્યારબાદ મેં એમ જ એક વખાણ કરતો મેસેજ કર્યો, ત્યારે પણ આવું જ થયું. તો સવાલ ઉદ્ભવે છે કે શું લોકોને આપણી ભૂલોમાં જ રસ છે? આટલા સમયથી જે માહિતી આપતા મેસેજ જાય છે તેનું કંઈ નથી?

જવાબ: સ્વીકારવું એ શ્રેષ્ઠ ઘટના છે. લોકો તમને સ્વીકારી લીધા હોય એટલે એ દરરોજ વખાણ નથી કરતા. એમને વિશ્વાસ હોય છે કે તમે સારું જ બોલશો. એટલે વખાણ ન કરે, પરંતુ જ્યારે તમે કંઈક એવું કરો કે જેની અપેક્ષા ન હોય, ત્યારે તેઓ પૂછે — એ સ્વાભાવિક છે. એક સારી વાત એ છે કે લોકો તમને ધ્યાનથી સાંભળે છે. જો સાંભળતા ન હોય, તો સવાલ જ ન ઉદ્ભવે. તમે ખુશ થવાનું બદલે દુઃખી થાઓ છો. તમે જે કરો છો તે કરતા રહો. બધા જાણે છે કે તમે એમને ટાર્ગેટ કરીને નથી બોલતા — એ અગત્યનું છે.

સવાલ: તમે વાસ્તુના નિષ્ણાત છો, એવું સાંભળ્યું છે. તો મારા એક સવાલનો જવાબ આપો — છોકરો ભણતો ન હોય તો વાસ્તુમાં કયા ફેરફાર કરીએ?

જવાબ: સંતાન અભ્યાસ ન કરે એ માટે અનેક કારણો હોઈ શકે છે. તેના માટે એક આખું પુસ્તક લખાય એટલી વિગત છે.

તમારું બાળક પશ્ચિમના રૂમમાં પશ્ચિમમુખી બેસીને અભ્યાસ કરે છે, જેના કારણે તેને વાંચેલું યાદ નથી રહેતું. ઉપરાંત, તમારી પૂર્વ દિશાની દીવાલ કોમન દીવાલ છે. ગભરાઈને ઘર બદલવાની કે તોડફોડ કરવાની જરૂર નથી, કારણ કે ભારતીય વાસ્તુમાં તોડફોડનો નિષેધ છે.

તમારા ઘરના ઈશાન ખૂણાના રૂમમાં બાળકને પૂર્વમુખી બેસાડી અભ્યાસ કરાવો — ચોક્કસ ફાયદો થશે. ઉપરાંત, પૂર્વની દીવાલ પર લેમન યેલો (લીંબુ જેવો પીળો) રંગ કરાવો. બાળકને વહેલું ઉઠવાની ટેવ પાડો અને સૂતા પહેલા ટીવી જોવાનું બંધ કરાવો. આ બદલાવથી ચોક્કસ લાભ મળશે.

સૂચન: જે કામ પશ્ચિમ તરફ મુખ રાખીને કરવામાં આવે છે તેમાં ઇચ્છિત પરિણામ મળતા નથી અને અટકાવાની લાગણી થાય છે. તેથી આવી વ્યવસ્થા ટાળવી જોઈએ.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

ગાંધીનગરના ‘સ્પેરો મેન’ સમીરભાઈ રામીની પર્યાવરણ જતન માટે અનોખી પહેલ

ગાંધીનગર: તમે સુપરમેન, સ્પાઇડરમેન કે બેટમેન જેવા પાવરફુલ કેરેક્ટર્સને હંમેશા ટેલિવિઝન કે મોબાઈલ સ્ક્રીન પર દુનિયા બચાવતા જોયા હશે. સિનેમાના આ હીરો પાસે તો કાલ્પનિક શક્તિઓ છે, પરંતુ શું તમે જાણો છો આપણા પાટનગરમાં એક એવા ‘રિયલ લાઈફ હીરો’ છે, જેમની પાસે કોઈ સુપરપાવર નથી. છતાં તેઓ એક આખી પ્રજાતિને બચાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે!હા, તમે બરાબર વાંચ્યું! અમે વાત કરી રહ્યા છીએ ગાંધીનગરના “સ્પેરો મેન” તરીકે જાણીતા સમીરભાઈ રામીની.જ્યારે આધુનિક કોંક્રિટના જંગલો અને મોબાઈલ ટાવરોના રેડિયેશનમાં ચકલીઓનો મધુર કલરવ ખોવાઈ રહ્યો છે. ત્યારે સમીરભાઈએ પોતાના ‘હેપ્પી ચકલી ઘર’ અભિયાન દ્વારા આ નાનકડા પક્ષીઓને ફરીથી આપણા આંગણામાં લાવવાનું બીડું ઝડપ્યું છે. ૨૦ માર્ચ ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે, પ્રકૃતિના આ સાચા સંરક્ષકની અનોખી સફર વિશે જાણવું ખરેખર પ્રેરણાદાયી છે.બાળપણની યાદોથી ‘સ્પેરો મેન’ સુધીની સફર

હેપ્પી હેલ્થ ક્લબના પ્રેરક સમીરભાઈ રામીનો પ્રકૃતિ અને અબોલ પક્ષીઓ પ્રત્યેનો આ લગાવ કંઈ આજકાલનો નથી. ગામડાની ધૂળની ડમરીઓ અને ઘરના મોભારે ચકલીઓના માળા જોતાં-જોતાં ઉછરેલા સમીરભાઈને જ્યારે શહેરીકરણ વચ્ચે ચકલીઓની ઘટતી સંખ્યા દેખાઈ, ત્યારે તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. આ જ સંવેદનામાંથી વર્ષ ૨૦૧૬માં જન્મ થયો એક નાનકડી પહેલનો, જે આજે એક વટવૃક્ષ બની ગઈ છે. જ્યારે તેમણે શરૂઆત કરી ત્યારે તેમની સાથે આશરે ૧૫ જેટલાં સ્વયંસેવકો જોડાયેલા હતા અને આજે તેની સંખ્યા ૭૦ એ પહોંચી છે.હેપ્પી ચકલી ઘરની વિશેષતા એ છે કે, સામાન્ય માળા કરતાં અલગ, મજબૂત બનાવટ અને સુરક્ષિત પ્રવેશદ્વાર ધરાવતા ખાસ ડિઝાઇન કરેલા માળા છે.વર્ષ ૨૦૨૪માં ૬,૦૦૦ અને ૨૦૨૫માં ૧૦,૦૦૦થી વધુ ચકલી ઘરોનું વિતરણ કરી પર્યાવરણ જતનનો એક નવતર પ્રયોગ સમીરભાઈ કરી ચૂક્યા છે. જ્યારે આ વર્ષે તેઓએ આશરે ૧૨૦૦૦ ચકલી ઘર તૈયાર કર્યા છે.આ સિવાય નવી પેઢીને પ્રેરણા આપવા તેઓ શાળાઓમાં જઈને બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ, નકામા ખોખામાંથી ચકલી ઘર બનાવવાની તાલીમ પણ આપે છે. સમીરભાઈ કહે છે કે, “ચકલી લુપ્ત નથી થઇ પરંતુ તે માત્ર આપણાંથી દૂર થઇ ગઈ છે. ચકલી આપણી આસપાસ જ છે, ચકલી ઘર યોગ્ય રીતે લગાડીએ અને નજીકમાં તેના માટે ચણ-પાણીની વ્યવસ્થા કરીએ તો ચકલી જરૂર આવે છે.તેઓ માત્ર ચકલી ઘર જ નહીં, પણ વૃક્ષારોપણ, પક્ષી રેસ્ક્યુ, રકતદાન, પક્ષીઓ માટે પાણીના કુંડાની વ્યવસ્થા અને વ્યસનમુક્તિ જેવી સામાજિક પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર છે‌‌.