Chitralekha Gujarati – 15 July, 2024
રાશિ ભવિષ્ય 05/07/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસતા વધુ રહે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમાં જવાના યોગ છે તેમાં જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવું બની શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસિક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ અનુભવના આધારેજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે , જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમભર્યા કામન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવું બની શકે છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, કામમાં ઉત્સાહ સારો રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્યબાબતે થોડું સાચવવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું વધુ સારું.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવું બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે
સ્ત્રી અને ગર્ભસ્થ બાળકનાં સ્વાસ્થ્ય માટે આટલું ધ્યાન રાખો…
પ્રશ્ન: મારી પુત્રીને અત્યારે પ્રેગ્નન્સીનું સેકન્ડ ટ્રાયમેસ્ટર ચાલે છે. આ સમયે ખોરાકમાં ખાસ શું ધ્યાન રાખવું? ખાસ તો
આયર્ન અને હિમોગ્લોબીન વધારવા શું ધ્યાન રાખવું, કયા પ્રકારનો આહાર કેવી રીતે લેવો એ વિશે માર્ગદર્શન આપશો.
– લીના આહ્યા (અમદાવાદ)
ઉત્તર: આમ તો સમગ્ર પ્રેગ્નન્સી દરમિયાન પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર લેવાય એ ખાસ જરૂરી છે. ગર્ભાવસ્થાની શરૂઆતમાં જ ડૉક્ટર તમને આયર્ન-ફોલિક ઍસિડની દવા શરૂ કરે છે. આ દવા ગર્ભાવસ્થાના અંત સુધી એટલે કે પ્રસૂતિ થાય ત્યાં સુધી તો લેવાની જ હોય છે. ત્રીજા મહિનાથી એટલે કે સેકન્ડ ટ્રાયમેસ્ટરમાં આયર્ન-ફોલિક ઍસિડની સાથે સાથે કૅલ્શિયમની દવા પણ શરૂ કરવામાં આવે છે, કારણ કે આ સમયે ભ્રૂણમાંથી બાળક બનવાની શરૂઆત થાય છે.
જેવી રીતે સગર્ભા સ્ત્રી દવા લે એવી જ રીતે પોષક તત્ત્વોથી ભરપૂર આહાર એટલે કે આયર્ન-ફોલિક ઍસિડ તેમ જ કૅલ્શિયમયુક્ત આહાર લેવો જરૂરી છે. આ ઉપરાંત, બાળકના ગર્ભમાં પૂર્ણત: વિકાસ માટે પ્રોટીન પણ પૂરતી માત્રામાં લેવું જરૂરી છે. ગર્ભાવસ્થા દરમિયાન 60થી 70 ગ્રામ જેટલું પ્રોટીન લેવાય એ જરૂરી છે, જે તમારી ટોટલ કૅલરીના વીસથી પચ્ચીસ ટકા થઈ શકે. નૉર્મલ સ્ત્રી કરતાં ગર્ભાવસ્થા દરમિયાન કૅલરીની જરૂરત પણ વધે છે.

આયર્નના સમૃદ્ધ સ્રોત એવાં લીલાં શાકભાજી, ગોળ, દાળિયા, ખજૂર, અંજીર, બાજરો, તલ, પૌંઆ, વગેરેનો આહારમાં નિયમિત ઉપયોગ આયર્ન મેળવવામાં મદદ કરશે. જો કે આયર્ન પચાવવા માટે વિટામિન સી હોય એવો આહાર લેવાય એ જરૂરી છે. નારંગી, લીંબુ, આંબળાં, જામફળ, કેરી, સ્ટ્રોબેરી જેવાં ખટાશવાળાં ફળોમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે. એની મદદથી શરીરમાં આયર્ન બરાબર ભળી શકે છે. ચામાં રહેલું ટેનિન આ પ્રક્રિયાને અટકાવે છે એટલે આયર્નવાળા પદાર્થ ચા સાથે ન લેવાય એ જરૂરી છે.
કૅલ્શિયમ માટે દૂધ તેમ જ મિલ્ક પ્રોડક્ટ્સ ઉપરાંત બદામ, લીલાં શાકભાજી, બ્રોકોલી, વગેરે પૂરતા પ્રમાણમાં લેવાં. કૅલરીની જરૂરત પૂરી પાડવા માટે દર બે-ત્રણ કલાકે કંઈ ને કંઈ પોષણયુક્ત ખાદ્યોનો આહારમાં સમાવેશ કરવો. ફણગાવેલાં કઠોળ, રાજમા, ચણા, ઈંડાં, અમુક નૉનવેજ પ્રોડક્ટ્સ જેવા પ્રોટીનથી સમૃદ્ધ ખાદ્યોનો ઉપયોગ સવારના નાસ્તામાં અથવા બપોરના જમવામાં થાય એ હિતાવહ છે.
——————————————————————————————————
પ્રશ્ન: મેં ક્યાંક વાંચ્યું હતું કે સવારના ખાલી પેટે કેળાં ખાવાથી હૃદયને નુકસાન પહોંચે છે અને રુધિરાભિસરણ પર ખરાબ અસર પડે છે, આ વાત ખરી છે?
– પરેશ અંતાણી (રાજકોટ)
ઉત્તર: કેળાંને એનર્જીનું પાવર હાઉસ કહેવામાં આવે છે. એ ખાવાથી તરત જ એનર્જી મળે છે. આથી જ નિયમિત કસરત કરતી વ્યક્તિ તેમ જ રમતવીરો માટે પણ કેળાંનું ખૂબ મહત્ત્વ છે. પાંચથી ૧૦ મિનિટ વર્કઆઉટ કરતાં પહેલાં કેળાંનો ઉપયોગ શક્તિદાયક છે.
કેળાં પાચનને સુધારવામાં મદદ કરે છે. એમાં રેસાનું પ્રમાણ સારું છે તેમ જ એ પચવામાં હલકાં છે. ખરેખર તો કેળાંમાં અનેક જરૂરી પોષક તત્ત્વો રહેલાં છે, જે હૃદયની તંદુરસ્તી વધારે છે. અલબત્ત, અમુક તારણ સૂચવે છે કે કેળાંમાં રહેલાં પોટેશિયમ, કૅલ્શિયમ, ફાઈબર અને મૅગ્નેશિયમના સમન્વયને કારણે એ ભૂખ્યા પેટે લેવાં ન જોઈએ, કારણ કે મૅગ્નેશિયમ અને કૅલ્શિયમનું બૅલેન્સ જાળવવામાં લોહીનું પરિભ્રમણ થવામાં તકલીફ થાય છે. કેળાંમાં સારા પ્રમાણમાં રહેલા મૅગ્નેશિયમને કારણે હૃદય માટે એ નુકસાનકારક થઈ શકે છે. નિષ્ણાંતોના મત મુજબ કેળાંને ભૂખ્યા પેટે અગર લેવામાં આવે તો એ ડાયાબિટિક માટે બ્લડ સુગર વધારી શકે છે.

ભૂખ્યા પેટે કેળાં ન ખાવાનું પ્રાથમિક કારણ એક એ પણ છે કે એ પેટને લગતી તકલીફ થવાનું કારણ બની શકે છે. એમાં પેક્ટિન તરીકે ઓળખાતું એક પ્રકારનું ફાઈબર છે, જે પેટને ઍસિડિક બનાવે છે અને પાચન મંદ કરે છે, જેને કારણે પેટમાં દુખાવાની તકલીફ પણ ઊભી થઈ શકે છે.
અગર તમને આયર્ન ડેફિસિયન્સી હોય તો પણ તમારે ખાલી પેટે કેળાં ન લેવાં હિતાવહ છે, કારણ કે કેળાંમાં રહેલું પોટેશિયમ આયર્નને શરીરમાં ભળતાં અટકાવે છે. એનિમિક વ્યક્તિએ વહેલી સવારે કેળાં ન લેવાં જોઈએ.
——————————————————————————————————
પ્રશ્ન: ડાયાબિટીસમાં સુગર કન્ટ્રોલ કરવા માટે મેથીના દાણા અસરકારક છે?
– મનીષા ગંગદેવ (અમદાવાદ)
ઉત્તર: મેથી તેમ જ મેથીના દાણાનો ઉપયોગ ઈન્સ્યુલિનના સ્રાવને સુધારવામાં કે વધારવામાં મદદ કરે છે. ઈન્સ્યુલિન એ પેન્ક્રિયાઝમાં ઉત્પ્ન્ન થતો સ્રાવ છે, જેના દ્વારા શરીરમાં શર્કરાનું પાચન થાય છે. ઈન્સ્યુલિનનો સ્રાવ ઘટવાને કારણે અથવા બંધ થવાને કારણે આ ન પચેલી શર્કરા લોહીમાં ભળે છે. એથી જ આપણું બ્લડ સુગર વધે છે.

મેથીના દાણામાં સોલ્યુબલ ફાઈબર્સ રહેલા છે, જે સુગરને વધવામાં વિલંબ કરાવે છે. આ ઉપરાંત, એમાં રહેલાં ફેનુગ્રેસિન અને ટ્રિગોનેલિન નામનાં તત્ત્વો શર્કરાના પાચનમાં મદદ કરે છે. આથી જ મેથીના દાણા એ સુગરને કન્ટ્રોલ કરવા માટે અસરકારક છે.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
અપના હૈ અપના… યે દેસ-પરદેસ!
રાબેતા મુજબ ૨૯ જૂને ફિલ્મ જર્નલિસ્ટ, મિત્ર દિલીપ ઠાકૂરનો મેસેજ આવી ગયોઃ “દેવ આનંદની ‘દેસ પરદેસ’ની
રિલીઝને આજે ૪૬ વર્ષ થયાં.”
વૉટ્સઍપના એ નોટિફિકેશન-રણકારે મસ્તિષ્કમાં કંઈકેટલી સ્મૃતિ રણઝણાવી દીધી. સંયોગથી ૩૦ જૂને દેવ આનંદના પુત્ર સુનીલ આનંદનો ૬૯મો જન્મ દિવસ ગયો. સ્વિત્ઝરલેન્ડના ઝુરીકમાં જન્મેલા સુનીલ પિતા સાથે પંચાવન વર્ષ સાથે રહ્યા, ‘નવકેતન’ની ૧૯ ફિલ્મનાં નિર્માણ સંભાળ્યાં, ‘આનંદ ઔર આનંદ’, ‘કાર થીફ’માં અભિનય કર્યો, ફિલ્મ ડિરેક્ટ પણ કરી. ૨૦૧૧માં દેવ આનંદે લંડનની ‘મેફેર હોટેલ’ના સ્વીટમાં છેલ્લા શ્વાસ લીધા ત્યારે સુનીલ એમની સાથે હતા.
-પણ આપણે વાત કરીએ ‘દેસ પરદેસ’ની. આશરે પોણાત્રણ કલાકની ફિલ્મમાં લગભગ ઈન્ટરવલ વખતે ગામડાંની નિરક્ષર ગૌરી (ટીના મુનિમ)ની એન્ટ્રી થાય છે. નવી વહુનાં લાલચટાક વસ્ત્રમાં સજ્જ લંડન જતી ગભરુ ગૌરીનો પહેલો જ વિમાનપ્રવાસ છે. એની વહારે આવે છે વીર સહાની (દેવ આનંદ). આ હતો ટીના મુનિમ-અંબાણીનો બોલિવૂડપ્રવેશ.

૧૯૭૮માં રિલીઝ થયેલી ‘દેસ પરદેસ’ ઈલ્લિગલ ઈમિગ્રન્ટ્સની કથા-વ્યથા પર બનેલી ફિલ્મ હતી. જાનના જોખમે પરદેશમાં ગેરકાયદે ઘૂસતા વસાહતીઓ વિશેના સમાચાર વાંચીને દેવ આનંદને ફિલ્મ બનાવવાનો આઈડિયા આવ્યો. ૧૯૭૦ના દાયકામાં આ સળગતી સમસ્યા હતીઃ બેરોજગારીથી ત્રસ્ત અને વિદેશની આરામદાયક જિંદગી, હરિયાળા ડૉલર, પાઉન્ડ કમાવાની દેશના યુવાનોની લાલચનો લાભ ભ્રષ્ટ એજન્ટો ઉઠાવતા હતા.
આમ પણ ચકચાર જગાવી ગયેલી ઘટના કે અમુક મુદ્દા દેવ આનંદનું ધ્યાન ખેંચતાં. ઈલ્લિગલ ઈમિગ્રન્ટ્સ વિશેના સમાચાર વાંચ્યા બાદ એમણે રાઈટર સૂરજ સનીમ સાથે મળીને કથા-પટકથા લખીઃ પંજાબના ખેડૂતપરિવારનો સમીર સાહની (પ્રાણ) પાઉન્ડ કમાવા યુ.કે. જાય છે, પણ પછી એના પત્ર-સમાચાર આવતા નથી. મોટા ભાઈની ભાળ મેળવવા વીર સાહની (દેવ આનંદ) લંડન જાય છે, જ્યાં એને ઈસ્ટ ઈન્ડિયાથી ગેરકાયદે યુકેમાં ઘુસાડતા એજન્ટો તથા એના શિકાર બનેલા વસાહતીઓની પીડા વિશે ખબર પડે છે.
તે વખતે દેવ આનંદ ત્રણ ફિલ્મ પર કામ કરી રહ્યા હતા. કોઈ ફિલ્મ-પ્રોડક્શન કંપનીમાં એકસાથે ત્રણ ફિલ્મનું કામકાજ ચાલતું હોય એવી આ વિરલ ઘટના. દરેક ફિલ્મ આનંદભાઈ બનાવી રહ્યા હતાઃ ચેતન આનંદ ‘જાનેમન’ બનાવી રહ્યા હતા, વિજય આનંદ ‘બૂલેટ’ અને દેવ આનંદ ‘દેસ પરદેસ’. આજે પિસ્તાળીસ વર્ષ પછી પણ આ ફિલ્મ એવરગ્રીન લાગે છે, આજે પણ ગેરકાયદે પરદેશ જવાનું ઝનૂન યથાવત્ છે.

દેવ આનંદ, ટીના મુનિમ, પ્રાણ, અજિત, બિંદુ, પ્રેમ ચોપરા, મેહમૂદ, અમજદ ખાન, લંડનના ગોરા સાહેબ મિસ્ટર બાન્સની ભૂમિકામાં ડૉ. શ્રીરામ લાગુ, વગેરે કલાકારોવાળી ‘દેસ પરદેસ’નું જોરદાર જમાપાસું હતું અમીત ખન્નાનાં ગીત ને રાજેશ રોશનનું સંગીત. રાજેશ રોશનની સિનેમાસંગીતની સુરાવલી વહેતી થઈ ૧૯૭૪-૧૯૭૫માં, ‘કુંવારા બાપ’ અને ‘જુલી’થી. ‘નવકેતન’ની ફિલ્મોમાં આમ તો આર.ડી. બર્મનનું મ્યુઝિક હોય, પણ ગીતકાર અમીત ખન્ના નવા આવેલા રાજેશ રોશનને દેવ સાહેબ પાસે લઈ ગયેલા.
‘દેસ પરદેસ’નાં ગીતો એ હદે સુપરડુપર હિટ થયાં કે આજેય સાંભળવાં ગમે છે. રાજેશ રોશને મને એક વાર કહેલું કે “તૂ પી ઔર જી… સોંગનું સ્વરાંકન એમને માટે અઘરું હતું. દેવ સાહેબનો આગ્રહ હતો કે ગીતો સ્ટિરિયોફોનિક સાઉન્ડમાં રેકોર્ડ કરવાં. તૂ પી ઔર જી… પહેલું રેકોર્ડ થયું. મને કંઈ સમજાય નહીં. સદભાગ્યે આર.ડી. બર્મનની ટીમના અનુભવી સ્વરકાર મનોહારીસિંહ અને કેરસી લૉર્ડ રેકોર્ડિંગ રૂમમાં હાજર. એમણે મને સહાય કરી. કિશોરકુમારે પૂરી ઊર્જા કામે લગાડી ગીત રેકોર્ડ કર્યું ને સુપરહિટ થયું. લતા મંગેશકરના સ્વરમાં સંગીતબદ્ધ થયેલું ‘આપ કહે ઔર હમ ન આયે’ પણ ડિફિકલ્ટ કમ્પોઝિશન હતું.”
‘દેસ પરદેસ’ રિલીઝ થઈ ત્યારે એમાં બતાવવામાં આવેલી ‘સૅમ નૅમ પબ’ને પ્રેક્ષકો ઈસ્ટ લંડનની સાચી પબ માની બેઠેલા. એક્ચ્યુઅલી એ પબ આર્ટ ડિરેક્ટર ટી.કે. દેસાઈએ મુંબઈના મેહબૂબ સ્ટુડિયોમાં તૈયાર કરાવડાવેલી. આ માટે એમને બેસ્ટ આર્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળેલો.

‘દેસ પરદેસ’ ૨૯ જૂન, ૧૯૭૮ના રોજ રિલીઝ થઈ એ જ દિવસે રાજ કપૂરની ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ પણ રિલીઝ થવાની હતી. દેવ સાહેબ ઈચ્છતા હતા કે બન્ને સાથે રિલીઝ થાય, પણ રાજ કપૂરે પોતાની ફિલ્મ વહેલી રિલીઝ કરી કાઢી. મજાની વાત એ કે દેવ આનંદે ‘સત્યમ્ શિવમ્ સુંદરમ’ને ‘ગંદી’ ફિલ્મ કહીને ઉતારી પાડેલી. પત્રકાર વીર સંઘવી એમના પુસ્તક ‘અ રુડ લાઈફ’માં નોંધે છેઃ “દેવ આનંદે એવું કહેલું કે કેમેરા સતત ઝીનત અમાનનાં અંગઉપાંગ પર ફોકસ કરે છે… ઈટસ અ ડર્ટી ફિલ્મ”.
રૂહાની આનંદમાં છે ઊંડી શાંતિનો અનુભવ
પરમપિતા પરમાત્મા શિવ કહે છે કે મજામાં રહેવાનો અર્થ એ નથી જે મનમાં આવે તે કર્યું. આ થોડા સમયની સુખની મજા તથા થોડા સમયના સંબંધ – સંપર્કની મજા એ કાયમ માટેની પ્રસન્ન ચિત્ત સ્થિતિ અલગ છે. થોડા સમયના મનમોજી ન બનો, હંમેશ માટે રુહાની મોજમાં રહો. સાથે-સાથે કર્મોની ગુહય ગતિના જાણકાર પણ રહો.

કર્મોની ગુહય ગતિને ભૂલીને, કર્મ સિદ્ધાંતને અવગણીને જે મોજ મનાવવામાં આવે છે તે ખુશીના બદલે ગમની તરફ લઈ જાય છે. પરંતુ રૂહાની મોજ ઇન્દ્રિયોના વિષય ભલે રહે કે ન રહે તેનાથી પ્રભાવિત નથી થતી. જેવી રીતે સમુદ્રમાં બહુ જ હલચલ થાય છે પરંતુ ડુબકી લગાવનાર સમુદ્રના અંદરની ગંભીરતા તથા શાંતિનો અનુભવ કરે છે. તેવી જ રીતે ઇન્દ્રિયોનો આનંદ બહારનો આનંદ છે જ્યારે રુહાની આનંદમાં છે ઊંડી શાંતિનો અનુભવ.
મનુષ્યનું મન ઇન્દ્રિયો તથા દિવ્ય વિવેક વચ્ચે પુલની જેમ છે. જ્યારે તે વિવેકયુક્ત બની જાય તો તથા નેગેટિવ ચિંતનથી દૂર થઈ ઈશ્વરીય મત દ્વારા અલૌકિક માર્ગનો મુસાફર બની જાય છે. તે પોતાની ઈચ્છા છોડી અચ્છાઇને ધારણ કરવા લાગી જાય છે.

દુનિયાના લોકો માને છે કે સ્થુળ ખજાના થી ખાલી વ્યક્તિ શું મોજ મનાવશે? પરંતુ ધનથી ગરીબ વ્યક્તિ પણ જો ઈશ્વરીય જ્ઞાન ખજાનાથી સંપન્ન છે તો સમજના આધારે કર્મમાં આવતા તે તમામ પ્રકારની સિદ્ધિઓની મોજમાં રહી શકે છે. વર્તમાન સમયે જે નામી ગ્રામી છે તે સુરક્ષાના નામે બંદૂક ધારીઓની વચ્ચે રહેતા મોજના બદલે એક લોભામણી ખુલ્લી જેલમાં પોતાને અનુભવ કરે છે. દરેક સમયે બંદૂકની વચ્ચે જીવન જીવવું તે તેની સ્વાભાવિક સ્વતંત્ર પ્રવૃત્તિનો નાશ કરી દે છે. પરંતુ રુહાનીયતના આધારે નિર્ભય તથા નિર્વેર બની આત્મા સાત્વિક ગુણો તથા શક્તિઓની મોજમાં રહીને દરેક સ્થાને નિશ્ચિંત બનીને ફરી શકે છે.
વર્તમાન સમયે ધરતી પર અવતરીત ભગવાન શિવ, પિતાશ્રી બ્રહ્માબાબાના મુખ દ્વારા શ્રીમત આપે છે તેનો અમલ કરવો એજ પરમાત્માની ગોદ લેવા બરાબર છે. તેમની સ્નેહ ભરી યાદ રૂપી આંગળી પકડી તેમની શ્રીમત પર ચાલવું તથા તેમની મહિમા કરી મહિમાવાન બનવું એજ રાજયોગી વિદ્યાર્થીઓ માટે સૌથી શ્રેષ્ઠ મોજ છે.

સંસારમાં સામાન્ય રીતે ભૂત તે આત્માઓને માનવામાં આવે છે કે જે શરીર છોડ્યા બાદ બીજું શરીર પ્રાપ્ત કરવામાં સામાન્ય કરતા વધુ સમય લેવાના કારણે ભટકતી રહે છે. પરંતુ કેટલાક ભૂત એવા પણ હોય છે કે જે મનુષ્ય પોતાની જાતે જ બનાવે છે. મનુષ્યએ પોતાની કમજોરીના કારણે ઉત્પન્ન કરેલ ભૂતોમાં ભયનું ભૂત ભયાનક છે. આ ભૂત હંમેશા મનુષ્યની સાથે જ રહે છે તથા તેના વ્યક્તિત્વનો ભાગ બની જાય છે. આ ભૂત મનુષ્ય દ્વારા ઉલટા ખેલ કરાવે છે તથા નાચ પણ નચાવે છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં ભવ્ય ઉજવણી સાથે ક્રિકેટરોનું સન્માન
મુંબઈ: ગુરુવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ મુંબઈ પહોંચી હતી. ભીડને કાબૂમાં લેવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ ટીમ પહોંચી હતી. જ્યાં વિજય પરેડ યોજાઈ હતી અને અંતે વાનખેડે સ્ટેડિયમ ખાતે ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિરાટ કોહલી અને રોહિત શર્મા ડાન્સ કરતા જોવા મળ્યા હતાં. રોહિત શર્માએ વાનખેડે સ્ટેડિયમમાં મોટું નિવેદન આપ્યું હતુ. રોહિત શર્માએ કહ્યું કે આ ટ્રોફી આખા દેશ માટે છે અને દરેક વર્લ્ડ કપ ટ્રોફી ભારત માટે ખાસ છે. રોહિત શર્માએ હાર્દિક પંડ્યા વિશે કહ્યું કે આ ટ્રોફી જીતવામાં તેની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હતી.








(તમામ તસવીર: દીપક ધુરી)
કેવો હતો સ્વામી વિવેકાનંદનો મહા સમાધિ દિવસ?
4 જુલાઇ એ એક યાદગાર દિવસ છે, કારણ કે આ દિવસે 1902માં, સ્વામી વિવેકાનંદે લગભગ 9:00 વાગ્યે મહા સમાધિ લીધી હતી. તેઓ સારા વિચારક, યુવા નેતા અને આધુનિક ભારતના એક મહાન પ્રબોધક હતા. તેમણે મહા સમાધિ લીધી ત્યારે તેઓ ધ્યાનમાં હતા. આધ્યાત્મિક જગતને ઉજ્જવળ કરનાર તેમના જીવન-દીપની જ્યોત રાતના ગાઢ અંધકારમાં અચાનક જ પ્રજ્વલિત થઈ ગઈ.
તેમનો છેલ્લો દિવસ બીજા સામાન્ય દિવસ જેવો જ હતો. સ્વામી વિવેકાનંદ વહેલા જાગી ગયા અને ધ્યાન માટે મંદિરમાં ગયા. અન્ય દિવસોથી વિપરીત તેમણે ધ્યાન પૂર્ણ કરવામાં વધુ સમય લીધો. સવારે 11:00 વાગ્યે તેમનું ધ્યાન સમાપ્ત કર્યા પછી તેઓ બહાર ગયા અને તેમના શિષ્યોને માતા કાલી માટે પૂજાની વ્યવસ્થા કરવા કહ્યું. બપોરે તેમણે હાર્દિક ભોજનનો આનંદ માણ્યો હતો. બપોરના ભોજન પછી, તેમણે ગણિતના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત વ્યાકરણ પર 3 કલાકનો વર્ગ લીધો. કદાચ, તેઓ જાણતા હતા કે તેમનો શિષ્યો સાથેનો આ છેલ્લો દિવસ છે. સ્વામી વિવેકાનંદે વર્ગને ખૂબ જ રસપ્રદ બનાવ્યો, જાણે કે તે ‘એક’ દિવસમાં તે જે જાણતા હતા તે બધું જ પોતાના વિદ્યાર્થીઓને શીખવવા માંગતા હોય.
સાંજે સ્વામીજી થાકેલા તેમના રૂમમાં પાછા ફર્યા. એકાદ કલાક ધ્યાન કર્યું. ધ્યાન પછી તેમણે એક વિચિત્ર ગૂંગળામણનો અનુભવ થયો – જાણે કે તેમનો શ્વાસ ભારે થઈ રહ્યો હોય. તેમણે એટેન્ડન્ટને બધાં દરવાજા અને બારીઓ ખોલવા કહ્યું. સ્વામીજી તેમના પલંગ પર સૂઈ ગયા અને હાથમાં માળા લઈને તેમના ગુરુના નામનો જપ કરતા હતા. જ્યારે એટેન્ડન્ટ તેમના પગની માલિશ કરી રહ્યો હતો. રાત્રે 9:10 વાગ્યે સ્વામી ગાઢ નિંદ્રામાં પોઢી ગયા. તેનું શરીર સ્થિર અને ઠંડુ થઈ ગયું હતું, નસકોરા અને મોંમાંથી લોહી વહેતું હતું. ‘યોગ શાસ્ત્રો અનુસાર, એક પ્રબુદ્ધ યોગી માથાના ઉપરના ભાગમાંથી જીવનો ત્યાગ કરે છે, જેના કારણે નસકોરા અને મોંમાંથી લોહી બહાર આવે છે.’
“સ્વામીજીનો અંતિમ ફોટોગ્રાફ લેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, પરંતુ સ્વામી બ્રહ્માનંદે તેને મંજૂરી આપી ન હતી. સ્વામી બ્રહ્માનંદનું કહેવું હતું કે, ‘સ્વામીજીના ઘણા સારા ફોટોગ્રાફ્સ છે. આ ઉદાસી ચિત્ર બધાના હૃદયને તોડી નાખશે.’ ત્યારબાદ, સ્વામી બ્રહ્માનંદ, અન્ય સાધુઓ અને બ્રહ્મચારીઓએ સ્વામીજીના ચરણોમાં પુષ્પો અર્પણ કર્યા. અંતે, હરમોહન મિત્ર (સ્વામીજીના સહાધ્યાયી) અને અન્ય ભક્તોએ પુષ્પો અર્પણ કર્યા. પાછળથી, સ્વામીજીના પગને લાલ રંગ (અલ્ટા) વડે રંગવામાં આવ્યા અને કાપડના નાના ટુકડા પર પગના નિશાન બનાવવામાં આવ્યા. બહેન નિવેદિતાએ પણ નવા રૂમાલ પર પગની છાપ લીધી. સ્વામી વિવેકાનંદના શરીર પર સ્વામી બ્રહ્માનંદ બાળકની જેમ રડ્યા. જ્યારે સરદાનંદે તેમને ઊંચક્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું: “એવું લાગે છે કે જાણે આખો હિમાલય પર્વત મારી નજર સામેથી અદૃશ્ય થઈ ગયો છે!”
“જ્યારે જૂન મહિનો પૂરો થયો, ત્યારે તેઓ સારી રીતે જાણતા હતા કે અંત નજીક છે. ‘હું મૃત્યુ માટે તૈયાર છું!’ તેમણે મરતા પહેલાના બુધવારે તેમની સાથે રહેલા એક વ્યક્તિને કહ્યું હતું. “અમે તો સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે તેઓ અમને છોડીને જતા રહેશે.
કેન્સરની પીડા…કીમો પહેલા અભિનેત્રીએ પોતે કાપ્યા માથાનાં વાળ
મુંબઈ: અભિનેત્રી હિના ખાન કેન્સર સામે ઝઝૂમી રહી છે. તેણીએ થોડા દિવસો પહેલા જ તેના ચાહકો સાથે આ સમાચાર શેર કર્યા હતા અને તે આ રોગ સામે લડવા માટે બધાને સાથે લઈને હિંમત ભેગી કરી રહી છે. હવે હિનાએ તેના કીમોથેરાપી સેશન પહેલા તેના વાળ કપાવતો વીડિયો શેર કર્યો છે. હિના પહેલું પગલું ભરતાની સાથે જ સ્મિત કરે છે, પછીથી રડવા લાગે છે. તેણે વીડિયોની સાથે એક નોટ પણ શેર કરી છે.

હિના ખાને તેના વાળ કપાવ્યા
હિના ખાને આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણીએ લખ્યું છે કે,’તમે પૃષ્ઠભૂમિમાં મારી માતાનો કાશ્મીરી ભાષામાં રડતો અવાજ સાંભળી શકો છો કારણ કે તેણીએ પોતાને કંઈક એવું જોવા માટે તૈયાર કર્યું હતું જેની તેણે કલ્પના કરવાની હિંમત પણ કરી ન હતી. આપણે બધા અનુભવીએ છીએ તે હૃદયદ્રાવક લાગણીઓ માટે કોઈ શબ્દો નથી. ‘
મહિલાઓ માટે હૃદય સ્પર્શી પોસ્ટ
તેણીએ આગળ લખ્યું,’અહીંના તમામ સુંદર લોકો માટે ખાસ કરીને જે મહિલાઓ સમાન યુદ્ધ લડી રહી છે, હું જાણું છું કે તે મુશ્કેલ છે, હું જાણું છું કે આપણામાંના મોટાભાગના લોકો માટે આપણા વાળ એ તાજ છે, પરંતુ જો તમે આવી લડાઈનો સામનો કરી રહ્યા હોવ તો તમારે તમારા વાળ ગુમાવવા પડે – તમારું ગૌરવ, તમારો તાજ? જો તમારે જીતવું હોય તો તમારે કેટલાક અઘરા નિર્ણયો લેવા પડશે. હું જીતવાનું પસંદ કરું છું.
View this post on Instagram
હિના ખાને ઈમોશનલ નોટ લખી છે
નોટમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘મેં મારી જાતને આ લડાઈ જીતવા માટે દરેક સંભવિત તક આપવાનું નક્કી કર્યું છે. હું મારા સુંદર વાળ ખરતા પહેલા છોડી દેવા માંગુ છું. હું કેટલાંક અઠવાડિયા સુધી આ માનસિક તણાવ સહન કરવા માંગતો ન હતો. તેથી, મેં મારો તાજ છોડવાનું પસંદ કર્યું કારણ કે મને સમજાયું કે મારો વાસ્તવિક તાજ મારી હિંમત, મારી શક્તિ અને મારા માટેનો મારો પ્રેમ છે. અને હા.. મેં આ તબક્કા માટે સારી વિગ બનાવવા માટે મારા વાળનો ઉપયોગ કરવાનું વિચાર્યું છે. વાળ પાછા ઉગશે, ભમર પાછા વધશે, ઘા ઝાંખા પડશે, પરંતુ આત્મા અકબંધ રહેશે.’
આ રીતે કેન્સરની લડાઈ લડવી
હિનાએ છેલ્લે લખ્યું હતું કે, ‘હું મારી વાર્તા, મારી સફર રેકોર્ડ કરી રહી છું, એ સુનિશ્ચિત કરવા માટે કે મારી જાતને સ્વીકારવાના મારા પ્રયત્નો દરેક સુધી પહોંચે. જો મારી વાર્તા આ પીડાદાયક અનુભવનો એક દિવસ પણ કોઈ માટે વધુ સારી બનાવી શકે છે, તો તે મૂલ્યવાન છે.
કેવી રીતે બન્યો આ માણેક બુરજ?

લોકવાયકા પ્રમાણે જ્યારે દિવસના સમયમાં અમદાવાદ શહેરના કિલ્લાની દિવાલો ચણાતી એની સાથે સાથે માણેકનાથ દિવસ દરમિયાન સાદડી વણતા. રાત્રે તેઓ સાદડીનું વણાટ ખોલી નાખતા. સાદડી ખોલતાંની સાથે જ જાદુઈ રીતે કિલ્લાની દીવાલો પણ તૂટી પડતી. જ્યારે શહેરીજનો અને અહમદશાહ બાદશાહને આ વાતની જાણ થઈ ત્યારે તેની જાદુઈ શક્તિનો પરચો બતાવવા તેમને અહમદશાહ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. બીજા કિસ્સામાં એમણે રાજાને એ સ્થળ શોધવામાં મદદ કરી કે જ્યાંથી કિલ્લાનું નિર્માણ શરૂ કરવામાં આવે. એમની સલાહથી શહેરની સ્થપતિએ શહેરનો નકશો બદલ્યો. જૂના નગરજનો અને જાણકારોના મત પ્રમાણે એમની આ શક્તિઓ બતાવવાનો ઉદ્દેશ ફક્ત બાદશાહ અને સત્તાધિશોને પ્રજા પ્રત્યે વિનમ્રતા અને સહાનુભુતિ રાખવા માટે જ હતો. ૧૪૧૧ માં અહમદશાહને કિલ્લો બનાવવામાં એમણે મદદ કરી હતી.
માણેકનાથે સાબરમતી નદીના ફર્નાન્ડિસ બ્રિજ નીચે જીવતેજીવ જળસમાધી લીધી હતી. અમદાવાદના બજાર માણેક ચોકનું નામ એમના નામે જ પડ્યું છે. એમની યાદમાં એક સ્મારક મંદિર પણ ઉભું કરવામાં આવ્યું છે. એલિસબ્રિજની પૂર્વ દિશામાં સ્થિત કિલ્લાના પ્રથમ બુર્જને માણેક બુરજ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદના સ્થાપના દિવસે શહેરના અગ્રણીઓ અને એમના વંશજો દ્વારા માણેક બુરજ પર ધ્વજારોહણ કરી ઉજવણી કરવામાં આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)




