નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવનો પ્રભાવ હવે દેશનાં ઔદ્યોગિક શહેરો સુધી પહોંચ્યો છે. ગુજરાતના સુરતમાં ગેસ સપ્લાય પ્રભાવિત થતાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના ગામ તરફ પરત જવા મજબૂર બન્યા છે. સ્થાનિક સ્તરે LPG ગેસની અછતને કારણે નાના ઉદ્યોગો અને ફેક્ટરીઓ પર પણ ગંભીર અસર પડી છે. ગેસની અછતને કારણે ઘણી ફેક્ટરીઓ તાત્કાલિક બંધ થવા લાગી છે, જેને કારણે મજૂરો સામે રોજગાર અને રોજી-રોટીનું સંકટ ઊભું થયું છે.
શહેરના પ્રવાસી મજૂર સચિને જણાવ્યું હતું કે અમે ગામ જઈ રહ્યા છીએ કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ગેસ મળી નથી રહ્યો. અમારી કંપનીઓ પણ બંધ થઈ રહી છે. હવે શું કરીએ? ભૂખ્યા મરવાની સ્થિતિ છે, તેથી ગામ પરત જઈ રહ્યા છીએ. અમારી પાસે પૈસા પણ નથી. ગેસ મેળવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ અહીં કોઈ મદદ કરતું નથી. ગેસ સપ્લાય ફરી શરૂ થશે ત્યારે જ પાછા આવીશું. ઘણા લોકો પાછા જઈ રહ્યા છે. સચિને વધુમાં કહ્યું કે છેલ્લા 4-5 દિવસથી મુશ્કેલી વધારે વધી ગઈ છે. ગેસ 500 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યો છે અને એટલા પૈસા પણ નથી, તેથી ગામ જવાનું નક્કી કર્યું છે.
બીજી તરફ પ્રવાસી મજૂર સીમા દેવીએ જણાવ્યું હતું કે ગેસની સમસ્યાને કારણે હું મારા ગામ પરત જઈ રહી છું. અમારા ખાતાં બંધ થઈ રહ્યા છે અને પૈસા પણ નથી. જે મજૂરી કરીએ છીએ અને 500-1000 રૂપિયા કમાઈએ છીએ, તે પણ મળતા નથી અને ગેસ પણ નથી મળી રહ્યો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી ગેસ ઉપલબ્ધ નથી.
ગેસ સંકટને કારણે સુરતમાં મજૂરોના સ્થળાંતરની સ્થિતિ સર્જાઈ છે, જે માત્ર સ્થાનિક ઉદ્યોગો માટે જ નહીં પરંતુ સમગ્ર પરિસ્થિતિ માટે ચિંતાજનક છે. આ ઘટના દર્શાવે છે કે વૈશ્વિક ભૂ-રાજકીય તણાવનો પ્રભાવ હવે સામાન્ય લોકોના જીવન પર પણ ગંભીર રીતે પડી રહ્યો છે.
રાયપુરઃ છત્તીસગઢ સરકારે ગુરુવારે વિધાનસભામાં ‘છત્તીસગઢ ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક, 2026’ પસાર કર્યું હતું. આ વિધેયકમાં જબરદસ્તી, લાલચ, છેતરપિંડી અથવા ખોટી માહિતી આપી ધર્મ પરિવર્તન કરાવવાના તેમ જ સામૂહિક ધર્માંતરણના કેસોમાં આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપમુખ્ય મંત્રી વિજય શર્માએ વિધાનસભામાં આ વિધેયક રજૂ કર્યું હતું.
આ વિધેયક અનુસાર ગેરકાયદે ધર્માંતરણ કરાવનારાઓ માટે આકરી સજાની જોગવાઈ છે. સામૂહિક ધર્માંતરણના કેસોમાં આજીવન કારાવાસ સુધીની સજા થઈ શકે છે, જ્યારે સગીરો, મહિલાઓ, માનસિક રીતે નબળા લોકો તેમ જ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ સાથે જોડાયેલા કેસોમાં 20 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે. કોંગ્રેસના સભ્યોની ગેરહાજરીમાં વિધેયક પર ચર્ચા ચાલુ રહી. ઉપ મુખ્ય મંત્રીએ વિધેયક રજૂ કરવાની મંજૂરી માગતા કોંગ્રેસે તેને પ્રવર સમિતિ પાસે મોકલવાની માગ કરી હતી.
વિધાનસભા અધ્યક્ષે આ માગ નામંજૂર કરતાં કોંગ્રેસ સભ્યોએ વિધાનસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો. પ્રસ્તાવિત કાયદો હાલના ‘છત્તીસગઢ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 1968’ને બદલી દેશે, જે રાજ્ય રચના સમયે મધ્ય પ્રદેશમાંથી અપનાવવામાં આવ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે હાલના કાયદામાં માત્ર ધર્માંતરણ પછી જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવાની જ જોગવાઈ છે અને જબરદસ્તી ધર્માંતરણને જામીનપાત્ર તથા તુલનાત્મક રીતે હળવી સજા ધરાવતો ગુનો માનવામાં આવ્યો છે.
નવા વિધેયકમાં બળજબરી, અયોગ્ય પ્રભાવ, લાલચ, ખોટા નિવેદન, કપટપૂર્ણ રીતો અથવા લગ્ન દ્વારા કરાયેલા ગેરકાયદે ધર્માંતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોશિયલ મિડિયા અને ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા કરાયેલા ધર્માંતરણને પણ કાયદાની અંદર લાવવામાં આવ્યા છે. નવા કાયદા હેઠળ તમામ ગુનાઓ સંજ્ઞેય અને બિનજામીનપાત્ર રહેશે. પોતાના મૂળ ધર્મમાં પરત ફરવું ધર્માંતરણ ગણાશે નહીં.
આ વિધેયક મુજબ ‘લાલચ’માં પૈસા, ભેટ, નોકરી, મફત શિક્ષણ અથવા આરોગ્ય સેવા, સારા જીવનનો વાયદો અથવા લગ્નનો સમાવેશ થાય છે.
30 દિવસમાં વાંધો નોંધાવી શકાશે
પ્રસ્તાવિત ધર્માંતરણની માહિતી સાત દિવસની અંદર જાહેર કરવામાં આવશે અને 30 દિવસની અંદર લોકો આપત્તિ નોંધાવી શકશે. તપાસ બાદ અંતિમ આદેશ આપવામાં આવશે. કાયદાનું ઉલ્લંઘન કરવા માટે ઓછામાં ઓછા 7 વર્ષની સજા (જે 10 વર્ષ સુધી વધી શકે) અને ઓછામાં ઓછા 5 લાખ રૂપિયાનો દંડ રહેશે. ગંભીર કેસોમાં 10થી 20 વર્ષની કેદ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. સામૂહિક ધર્માંતરણના કેસોમાં 10 વર્ષથી આજીવન કેદ તથા 25 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
વિધેયકમાં પીડિતોને 10 લાખ રૂપિયા સુધી વળતર આપવાની અને કેસોની સુનાવણી માટે વિશેષ અદાલતો રચવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
અમદાવાદ: ઇઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચેના વૈશ્વિક સંકટ વચ્ચે રાજ્યમાં ગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે ‘સરકારની પ્રથમ પ્રાથમિકતા રાજ્યના સામાન્ય નાગરિકોના ઘરનો ચૂલો ચાલુ રહે તે જોવાની છે.’ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘રાંધણ ગેસનો પુરવઠો ખોરવાય નહીં તેના માટે સરકાર આયોજન કરી રહી છે. રાજ્ય સરકારની પ્રાયોરીટી ઘરોમાં ગેસની બોટલ પહોંચે તે જોવાની છે. ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50 ટકા કાપ મૂકવામાં આવ્યો છે. ફર્ટિલાઇઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40 ટકાનો કાપ મૂક્યો છે. ગુજરાતમાં એકપણ ચૂલો બંધ ન થાય તેની ચિંતા સરકાર કરી રહી છે. કોમર્શિયલ સિલિન્ડરમાં હજુ સુધી કોઈપણ પ્રકારનો કાપ નથી મૂક્યો. સરકાર ગેસ પુરવઠો ખોરવાય નહીં તેનું આયોજન કરી રહી છે.’
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG) માટે બુકિંગનો સમયગાળો લંબાવ્યો છે. આ સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ઘરેલુ ગેસ, ડીઝલ કે પેટ્રોલની કોઈ અછત નથી.
`છક થઈ ગયાને?’ હવે તમે કહેશો, પાસપોર્ટ એટલે શું વાંચવાનું પુસ્તક છે? જોકે હું મારો પાસપોર્ટ વચ્ચે વચ્ચે વાંચું છું. એકાદ સુવિચારની ડાયરી હોય તે રીતે. હમણાં પણ હું આ લખવા પૂર્વે મારો પાસપોર્ટ વાંચતી હતી અને દોઢ કલાક કઈ રીતે વીતી ગયો તેનો ખ્યાલ જ નહીં રહ્યો. કોઈ પણ પુસ્તક વાંચતી વખતે મારી આદત છે હાથમાં પેન રાખીને જે પણ મહત્ત્વનું જણાય તે અંડરલાઈન કરવાનું. જોકે આ પાસપોર્ટ નામે પુસ્તક થોડું એટિટ્યુડવાળું છે, કાયમ પોતાના રુઆબમાં. તેની પર આપણે ક્યાંય અંડરલાઈન નહીં કરી શકીએ કે તેનાં કોઈ પણ પાનાં પર કોઈ પણ આંચકો અથવા ડાઘ લગાવી નહીં શકીએ કે તેની પર પાણી શાહી દૂધ ચા ધોળાવા નહીં દઈ શકીએ. આથી આપણે અન્ય પુસ્તકો વાંચતી વખતે સૂઈને વાંચીએ તેવું તેનું નથી. એક શાંત ખૂણામાં પદ્માસનમાં બેસીને ધીમેથી હું પાસપોર્ટ નામે પુસ્તકનું વાંચન કરતી હોઉં છું. હમણાં સુધી કેટલા પાસપોર્ટ થયા તે મેં ગણતરી કર્યું નથી, જેથી આ મારો પચ્ચીસમો પાસપોર્ટ છે એવું હું ખાતરીપૂર્વક કહી શકું એમ નથી. જોકે તેનાથી મારા પાસપોર્ટની સંખ્યા વધુ જ હશે. વારુ, તો `પાસપોર્ટ વાંચન’ એકાદ પઠન જેવો મારો કાર્યક્રમ હોય છે. તે પાસપોર્ટ પરના દરેક વિઝા અને ઈમિગ્રેશનના સ્ટેમ્પ મને ટ્રાન્સમાં લઈ જાય છે.
એકાદ મેડિટેશન જેવો અનુભવ. પાસપોર્ટ પરનો તે સિક્કો `ટાઈમ ટ્રાવેલ’ કરાવે છે અને પછી આપણે ખરા અર્થમાં `અરાઉન્ડ ધ વર્લ્ડ’ની તે યાદોમાં પોતાના પ્રવાસની સેર કરી આવીએ છીએ. અહીં આપણને `ચલો ચલો’ કહેનારો ટુર મેનેજર નથી હોતો કે `લેટ્સ ગો’ કહીને આપણી પાછળ ભણભણ કરતા તે દેશનો લોકલ ગાઈડ, તેથી આપણે પોતાના મનગમતા ઠેકાણે ગમે તેટલો સમય વિતાવી શકીએ છીએ. તેની પર અમુક સિક્કા બિલકુલ કોઈ યાદ આવવા દેતા નથી. બુદ્ધિને ગમે તેટલો તાણ અપાય છતાં ઢિમ્મ. કાંઈ એટલે કાંઈ યાદ નથી. જોકે પછી મોડર્ન ટેકનોલોજી શા માટે છે? `તું શેર તો મૈ સવ્વાશેર’ કહીને હું મારો મોબાઈલ કેમેરા ખોલું છું અને તે સ્ટેમ્પ પર ડેટ નાખું છું, પછી મારી તે યાદ ન આવનારી ચેલેન્જને તે દિવસના ફોટોની જોડ મળે છે અને તે ડેસ્ટિનેશનની યાદોમાં હું મન મૂકીને વિહાર કરવા લાગું છું. હાથમાં મોબાઈલ આવે એટલે આપણે બધું જ ભૂલી જઈએ છીએ એ વસ્તુસ્થિતિ છે આજના જમાનાની, પરંતુ તે મોબાઈલને પણ ભુલાવે છે આ પાસપોર્ટ નામે પુસ્તક. તમને પણ જ્યારે થોડો સમય મળે ત્યારે આ વાંચનની શરૂઆત કરો! તમારી સ્મરણશક્તિને થોડી વાચા આપો અને તે યાદોના મહાસાગરમાં ડૂબી જાઓ. અગાઉના જમાનામાં (એટલે હવે તેવું જ કહેવું પડશે) આપણા પ્રવાસનું, પર્યટનનું ફોટો આલબમ રહેતું હતું, જે આપણા ઘરના લિવિંગ રૂમમાં ટીપોય પર, એટલે કે, જેને હવે `કોફી ટેબલ’ કહેવાય છે તેની પર રખાતું હતું અને આવતાજતા આપણે તે જોતાં રહેતાં. તે બેસુમાર ખુશી આપતું. તે જ મજા મને મારો પાસપોર્ટ આપે છે.
પાસપોર્ટ આપણને એવી અનંત ખુશીની પળોની યાદ કરી આપે છે. આપણો પહેલોવહેલો પાસપોર્ટ રજિસ્ટર એડી પોસ્ટથી ઘરે આવ્યો તે દિવસ યાદ આવે છે? હવે બાળકો જન્મતાં જ તેમના પાસપોર્ટ માટે અરજી કરવામાં આવે છે. આથી પાસપોર્ટ તેમને માટે `એક જરૂરી બાબત’ બની ગઈ છે. એટલો જ તે સંબંધ છે, પરંતુ આજે જેમની ઉંમર ચાળીસીની આગળ છે તે દરેકને પહેલો પાસપોર્ટ હાથમાં આવ્યો ત્યારની ખુશીનો અનુભવ હશે અને તેમના મનના ખૂણામાં તે ક્યાંક છુપાયેલી હશે. અગાઉ રેશનકાર્ડ આપણા ભારતીય હોવાનું પ્રમાણપત્ર અથવા પ્રૂફ તરીકે, હવે યુનિક આઈડી નંબર સાથેનું આધારકાર્ડ, ઈલેકશન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ જેવી બાબતોએ પણ આપણા ભારતીયત્વ પર ખાતરીની છાપ છોડી છે. જોકે આ બધાનો સરતાજ હોય તેમ પાસપોર્ટ રાજસિંહાસન પર બિરાજમાન થઈ ગયો છે. તેના વિના આપણે આપણી ભારતની સરહદ પાર કરી જ નહીં શકીએ.
આજે આપણે બધા જ કામ નિમિત્તે, પર્યટન માટે, આપણા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્ઝને મળવા માટે દુનિયાભરમાં સંચાર કરીએ છીએ અને ધારો કે હમણાં નહીં તો પણઆ ગ્લોબલાઈઝ્ડ દુનિયામાં વિદેશ પ્રવાસની તક ગમે ત્યારે આવી શકે છે. તે સમયે `તરસ લાગે ત્યારે કૂવો ખોદવાને બદલે’ દરેકે પાસપોર્ટ કઢાવી રાખવાનું જરૂરી છે. આપણે ભારતીય હોવાનો આ મજબૂત પુરાવો જેની પાસે નહીં હોય તે વ્યક્તિ એકાદ સારી તક ગુમાવી બેસશે અથવા છેલ્લી ઘડીએ પાસપોર્ટ કઢાવવા માટે વધુ પૈસા ભરવા પડશે. સો `ચાલો… બેગ ભરો… નીકળી પડો.’ એવું કહેવાને બદલે `ઊઠો! પહેલા પાસપોર્ટ કઢાવો’ એવું કહેવું પડશે. પાસપોર્ટ એટલે એક એવી બાબત છે જે આપણને ભવિષ્ય તરફ મોટી આશાથી જોવાનું શીખવે છે. સમથિંગ ટુ લૂક ફોર્વર્ડ ટુ! એટલે કે, પાસપોર્ટ વર્તમાનમાં આપણા હાથમાં હોય તો ભૂતકાળની આપણને યાદ કરાવી આપે છે અને ભવિષ્યકાળ તરફ મોટી આશા સાથે જોવાનું શીખવે છે. મારો પહેલો પાસપોર્ટ કોરો કરકરતો, એકેય વિઝાનો સિક્કો નહીં લાગવાને કારણે રદબાતલ કરાયો. તે સમયે ત્રણ કે પાંચ વર્ષની પાસપોર્ટની વેલિડિટી હતી, પણ પહેલો પાસપોર્ટ કઢાવ્યા પછી તેટલાં વર્ષ મને ક્યાંય વિદેશ પ્રવાસની તક જ મળી નહીં. તે કોરો જ રહીને વેડફાઈ ગયો. જોકે મેં જીદ છોડી નહીં. તુરંત બીજો પાસપોર્ટ કઢાવ્યો અને આ પાસપોર્ટ વેડફાઈ નહીં જવા દઉં એવા `પ્રણ’ લઈને પહેલોવહેલો વિદેશપ્રવાસ થાઈલેન્ડમાં કર્યો. થાઈલેન્ડમાં પગલાંના ગુણ સારા હતા એવું કહેવામાં વાંધો નથી, કારણ કે તે પછી પગમાં જાણે ભીંગરી લાગી હોય તેમ મારો પાસપોર્ટ એકથી અન્ય દેશ, ખંડો પછીખંડો પાર કરવા લાગ્યો. આજકાલ બહુ બહુ તોએક કે બે પાસપોર્ટ, એટલે કે, જે જૂના પાસપોર્ટ પર વેલિડ વિઝા હોય એમ બે પાસપોર્ટ લઈને આપણે પ્રવાસ કરીએ છીએ, પરંતુ અગાઉ તમારા જેટલા પાસપોર્ટ રહેતા તે બધા જોડે લઈને પ્રવાસ કરવો પડતો હતો. ઈમિગે્રશનની લાઈનમાં આવા પાસપોર્ટ લઈને પ્રવાસીઓ ઊભા રહેતા હતા. એક વાર તો એક પ્રવાસીનો અમે તેની પરવાનગી લઈને અમે ફોટો પણ કાઢ્યો, કારણ કે તેના હાથમાં વીસ પાસપોર્ટસ હતા. ફ્રિક્વન્ટ ટ્રાવેલર, ફોરેન રિટર્ન્ડ શબ્દોનું તે સમયે બહુ વજન હતું.
પહેલા મહાયુદ્ધ પૂર્વે દુનિયાના અનેક દેશોમાં પાસપોર્ટ વિઝા વગેરેની સખતાઈ નહોતી. પાસપોર્ટ નામે પ્રકાર જ નહોતો. તે સમયે ક્યાંક ક્યાંક `પરમિશન લેટર્સ’ રહેતા હતા. એટલે કે, ઈસવી સન ચૌદસોના સુમારે ઈન્ગ્લેન્ડનો રાજા પાંચમો હેન્રી પોતાના રાજદૂતોને અથવા વેપારીઓને `સેફ કંડક્ટ’ પત્ર આપતો, જેના દ્વારા તે એક દેશમાંથી અન્ય દેશમાં સુરક્ષિત અને સુલભ રીતે પ્રવાસ કરતા. આ જાણે આજના પાસપોર્ટનું પહેલું સ્વરૂપ. પાસપોર્ટ નામ રીતસર `પાસ’ અને `પોર્ટ’ આ બે અંગે્રજી શબ્દો મળીને બનેલો શબ્દ છે. અગાઉ બધા જ પ્રવાસ સમુદ્રમાર્ગે થતા હતા. તે સમયે અલગ અલગ દેશમાંથી અંદર-બહાર કરવા માટે સંબંધિત દેશના રાજા પાસેથી સ્પેશિયલ પરમિશન લેટર જરૂરી હતો. તેનું જ રૂપાંતર `પાસ ધ પોર્ટ’ એટલે કે, પાસપોર્ટ થઈ ગયું. તે સમયે લોકો એક દેશમાંથી અન્ય દેશમાં મોકળાશથી પ્રવાસ કરતા. ઈટાલીથી અમેરિકા, આફ્રિકાથી ઈન્ગ્લેન્ડ એમ અત્યંત મોટે પાયે લોકોએઆ જ સમયગાળામાં સ્થળાંતર કર્યું હતું. યુદ્ધ પછી જોકે પરિસ્થિતિ બદલાઈ ગઈ, દુનિયાના દેશ સાવધાન થઈ ગયા. દેશોની સીમાઓ સખત બની. ટૂંકમાં કોને પ્રવેશ આપવાનો અને કોને નહીં તે બાબતે ચર્ચા શરૂ થઈ.
આપણા પુરાણમાં, ઈતિહાસમાં, બાઈબલમાં, પર્શિયન સમ્રાટોની વાર્તાઓમાં `પરમિશન લેટર્સ’ અલગ અલગ સ્વરૂપમાં હતા જ. જોકે પહેલા મહાયુદ્ધ પછી 1920માં `લીગ ઓફ નેશન્સ’ (હમણાંના યુનાઈટેડ નેશન્સનું પહેલું સ્વરૂપ)એ એકત્ર આવીને પેરિસમાં એક પરિષદમાં `પાસપોર્ટ’ સંકલ્પનાને આખી દુનિયા માટે એકસમાન સ્વરૂપ આપવામાં આવ્યું અને એક ભૂરા રંગની નાની પુસ્તિકાનો જન્મ થયો, જેમાં સંબંધિત વ્યક્તિનું નામ, જન્મતારીખ, ફોટો, નાગરિકત્વ વગેરે બાબતો હશે એ વાત પર મંજૂરીની મહોર લાગી અને પાસપોર્ટ આખી દુનિયા માટે એક મહત્ત્વની બાબત બની ગયો.
આજે પાસપોર્ટ દરેક વ્યક્તિ માટે અને દરેક ઘર માટે એક મહત્ત્વની બાબત અને સ્ટેટસ સિમ્બોલ બની ગયો છે. જોકે પાસપોર્ટ દરેક દેશની સ્ટ્રેન્ગ્ધ પણ દર્શાવે છે. સૌથી શક્તિશાળી પાવરફુલ પાસપોર્ટ કયા દેશનો છે એવું પૂછશો તો આપણી આંખો સામે તુરંત યુએસએનું નામ આવે છે, પરંતુ તેવું નથી. બધાથી સ્ટ્રોંગ પાસપોર્ટ એટલે કે જે દેશનો પાસપોર્ટ વિઝા વિના વધુમાં વધુ દેશોની મુલાકાત અપાવી શકે તે છે. તો આ પાવરગેમનો વિનર છે એક નાનો દેશ અને તે છે સિંગાપોર. તમે સિંગાપોર પાસપોર્ટ ધારક હોય તો 193 દેશની મુલાકાત લઈ શકો છો અને તે કોઈ પણ દેશના વિઝા તમને કઢાવવા પડતા નથી. બીજા નંબરે વધુ બે નાના દેશ જાપાન અને કોરિયા આવે છે. આ દેશોના પાસપોર્ટ ધારક વિઝા વિના 190 દેશોની મુલાકાત લઈ શકે છે. આ પછી જર્મની, ફ્રાન્સ, સ્પેન, ઈટાલી, સ્વિત્ઝર્લેન્ડ એમ ઘણી બધી યુરોપિયન ક્નટ્રીઝ ત્રીજા ક્રમે છે, જે દેશોના નાગરિક 186થી 188 દેશોની વિઝા વિના મુલાકાત લઈ શકે છે. ઈન્ગ્લેન્ડ કેનેડા ઓસ્ટ્રેલિયા પાંચમા ક્રમે છે, જ્યાંના નાગરિકો 183-184 દેશોની વિઝા વિના મુલાકાત લઈ શકે છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બારમા સ્થાને આવે છે. તેમના પાસપોર્ટ ધારક 180 દેશની વિઝા વિના મુલાકાત લઈ શકે છે. આપણા ભારતનો નંબર આ યાદીમાં 85મો આવે છે અને આપણે સામાન્ય રીતે 57 દેશની વિઝા વિના મુલાકાત લઈ શકીએ છીએ. આ નંબર્સ વધારવા માટે અને આપણો પાસપોર્ટ મજબૂત બનાવવા માટે દરેક દેશ કાર્યરત હોય છે. આપણા સન્માનનીય વડા પ્રધાનના પ્રયાસ પણ તે દિશામાં ચાલી રહ્યા છે એવું આપણને વારંવાર જણાય છે.દરેક દેશ અને દરેક વ્યક્તિ માટે પાસપોર્ટ મહત્ત્વપૂર્ણ છે. આથી પ્રવાસમાં આપણા પોતાના કરતાં પાસપોર્ટની વધુ કાળજી લેવી પડે છે. આપણે પોતાને જ ચેતવી રાખવાના `પાસપોર્ટ ગુમ નહીં થવો જોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં.’ પાસપોર્ટ કાયમ આપણા શરીર પર હોવો જોઈએ સ્લિમ પાસપોર્ટ સ્લિમ પાઉચમાં અથવા આપણા હેન્ડપર્સમાં.તે ભૂલેચૂકે પણ ચેક-ઈન બેગેજમાં નહીં રાખવો જોઈએ.તે ક્યારેય એરપોર્ટ પર ખુલ્લો, વિમાનની સીટ પર પોકેટમાં નહીં રાખવો જોઈએ. તે પાસપોર્ટનાં બધાં પાનાંની ડિજિટલ કોપી સ્કેન કરીને તમારા મોબાઈલમાં, ઈમેઈલમાં, ગૂગલ ડ્રાઈવ અથવા ડ્રોપબોક્સમાં સેવ કરેલી હોવી જોઈએ. ભૂલેચૂકે પણ પાસપોર્ટ ગુમ થયો તો ઈન્ડિયન એમ્બેસીને બતાવવા અને ઈમરજન્સી સર્ટિફિકેટ મેળવવા માટે, પોલીસ સ્ટેશનમાં તે ગુમ થયાની ફરિયાદ નોંધાવવા આ કોપી ઉપયોગી બને છે. પ્રવાસમાં નીકળતી વખતેજે પાસપોર્ટ આગામી છ મહિના માટે વેલિડ છે અને જેની પર તમે જઈ રહ્યા હોય તે દેશના વિઝા હોય તે જ પાસપોર્ટ લઈને નીકળવું. અનેક પ્રવાસી જૂના પાસપોર્ટ લઈને એરપોર્ટ પર પહોંચે છે અને પછી આર્થિક માનસિક પસ્તાવાનો શિકાર બને છે. અગાઉ કહ્યું તેમ પાસપોર્ટ પર કશું પણ લખવાનું અલાઉડ નથી. તેને સ્ટેપલ પિન મારવાથી પણ તમારો પાસપોર્ટ રદબાતલ થઈ શકે છે. પાસપોર્ટ નાના બાળકોથી દૂર રાખવો. બાળકોએ પાસપોર્ટ ફાડી નાખ્યો હોય તેવી ઘટનાઓ અમે અનુભવી છે.અને હા, એક વાર પાસપોર્ટ અથવા વિઝા હાથમાં આવે એટલે તેની પરનું પોતાનું નામ અને બધી માહિતી બરોબર છે ને? તે આપણે પોતે તપાસ કરી લેવું જોઈએ! જો કશું પણ મિસમેચ હોય તો ત્યાં જ સુધારણા કરાવી શકાય છે. અન્યથા એરપોર્ટ પરથી પાછા આવવાનો વારો આવે છે. અર્થાત આટલો બધો ઉપદ્રવ સહન કરવા કરતાં પાસપોર્ટની કાળજી લેવાનું વધુ આસાન છે.
મારો પાસપોર્ટ મારા માટે બહુ મહત્ત્વનો છે. તેને કારણે મેં દુનિયા જોઈ છે, અનુભવી છે, મારો દુનિયા સાથે સંબંધ જોડાયો છે. મારો પાસપોર્ટ એટલે જાણે મારી યાદોની જાત્રા જ છે. તેનાં દરેક પાનાં મારું સપનું છે. જોકે તે છતાં આજના વૈશ્વિક ઘટનાક્રમ પર નજર ફેરવીએ ત્યારે મન થોડું અસ્વસ્થ થઈ જાય છે. રશિયા- યુક્રેન સંઘર્ષ હોય,મધ્ય પૂર્વમાં તણાવ હોય કે મહાસત્તાઓમાં આર્થિક અને સામર્થ્યની સ્પર્ધા હોય… દુનિયા સતત બદલાઈ રહી છે, નકશા તે જ હોય તો પણ તેમની રેખા પાછળની વાસ્તવિકતા રોજ નવેસરથી રંગાય છે. સમાચારોનાં મથાળાં થકી ક્યારેય આ સીમારેખા બોલ્ડ થાય છે,તો ક્યારેક નિર્બંધ, ક્યારેક ક્યારેક નિર્વાસિતોની વાર્તાઓ સામે આવે છે. જોકે આ જ ક્ષણે, કબાટમાં રાખેલો મારો જૂનો પાસપોર્ટ હાથમાં આવે ત્યારે જૂની યાદોથી ભાવનાઓ મનમાં ઊભરાઈ આવે છે. આ નાના પુસ્તકમાં રાજકારણ નથી હોતું, તેમાં હોય છે યાદો… પહેલી વાર પડેલીવિઝાની છાપ, એરપોર્ટ પરનો પહેલો ઉત્સાહ, અનોખા દેશમાં મળેલું પોતીકાપણાનું સ્મિત, આવી બધી ખુશીની યાદો આપણા મન આસપાસ ઘેરો ઘાલે છે. એક પાના પર પેરિસનો સિક્કો હોય છે, બીજા પર ટોકિયોનું આગમન,તો ક્યાંક એકાદ અણધાર્યા ઠેકાણાની નોંધ… પાસપોર્ટના દરેક સિક્કા એટલે મને સીમાઓની પાર જોડાયેલી માણસાઈની સાક્ષી લાગે છે. આજે દુનિયા અસ્થિરતાના વળાંકે ઊભી છે. આમ છતાં પ્રવાસ આપણને શીખવે છે કે માણસોના મનોમનના સંબંધ આ નકશા પર દેખાતી સીમારેખાની પારના હોય છે. પાસપોર્ટ જોતી વખતે જણાય છે કે આપણે ફક્ત દેશ ભટક્યા નથી, પરંતુ સંસ્કૃતિ, ભાષા. સ્વાદ અને ભાવનાઓની અસંખ્ય છટાઓનો અનુભવ આ પ્રવાસ દરમિયાન લીધો છે.આથી જ અખબારમાં ભૂ-રાજકીય પડકારો તરફ જોતી વખતે ભય કરતાં આશાની જ્યોતનું જતન કરીએ,કારણ કે દુનિયા બદલાય છે, સમીકરણો બદલાય છે,પરંતુ પ્રવાસ થકી જતન થયેલી માણસાઈ અને યાદોકાયમ આપણી જોડે રહે છે. પાસપોર્ટનાં દરેક પાનાંમાંથીતે શાંતિથી, પણ મક્કમ રીતે આપણને કહે છેકે દુનિયા હજુ પણ ફરવા, અનુભવવા અને આપણને જોડવા માટે તૈયાર છે.
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
ફિલ્મ ‘ધુરંધર 2’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચાનો વિષય બની છે. હવે, AIMIM નેતા વારિસ પઠાણનું એક નિવેદન સામે આવ્યું છે.
‘ધુરંધર 2’ 19 માર્ચના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે તેના પહેલા દિવસે બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી નાખ્યા હતા, જે ભારતીય સિનેમાની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની હતી. સેકનિલ્કના મતે, “ધુરંધર 2” એ તેના પહેલા દિવસે ₹102.55 કરોડની કમાણી કરી છે. ઘણા લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને પ્રચાર ફિલ્મ કહે છે. AIMIM નેતા વારિસ પઠાણે પણ આ બાબતે નિવેદન બહાર પાડ્યું છે.
ફિલ્મના દિગ્દર્શક પર કટાક્ષ
AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે કહ્યું કે તેમણે આ ફિલ્મ જોઈ નથી અને ફિલ્મ ફક્ત જ્ઞાન અને મનોરંજન માટે હોવી જોઈએ.
ANI સાથે વાત કરતા તેમણે કહ્યું, “મેં આ ફિલ્મ જોઈ નથી. પરંતુ મારું માનવું છે કે જ્યારે પણ તમે કોઈ ફિલ્મ બનાવો છો, ત્યારે તે જ્ઞાન અને મનોરંજન માટે હોય છે. પરંતુ આ દેશમાં કેટલાક લોકો એવા છે જે ફક્ત થોડા પૈસા કમાવવા માટે આવી પ્રચાર ફિલ્મો બનાવે છે. આવી ફિલ્મો વાતાવરણ બગાડવા માટે બનાવવામાં આવે છે.”
ફિલ્મ ‘ધુરંધર 2’ ની વાર્તા શું છે?
હમઝા ઉર્ફે જસકીરત સિંહ રંગીની વાર્તા એક લોહિયાળ અને રહસ્યમય સફરમાંથી આગળ વધે છે. તેના હેતુઓ પણ દર્શકો સમક્ષ પ્રગટ થાય છે.આ વખતે, ‘ધુરંધર 2’ બડે સાહેબના પાત્રને ઉજાગર કરે છે. આ પાત્ર વિશે જાણીને ઘણા લોકો આશ્ચર્યચકિત થશે. રણવીર સિંહ, અર્જુન રામપાલ, સંજય દત્ત, આર. માધવન અને સારા અર્જુન સહિત અન્ય ઉત્કૃષ્ટ કલાકારોએ પોતાની ભૂમિકાઓ પ્રશંસનીય રીતે ભજવી છે.
નવી દિલ્હીઃ કેરળના હાલના લગભગ 70 ટકા વિધાનસભ્યોએ પોતાના વિરુદ્ધ ફોજદારી કેસ પેન્ડિંગ હોવાની માહિતી આપી છે અને અડધાથી વધુ વિધાનસભ્યો કરોડપતિ છે, એમ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના એક રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. ADR અને ‘કેરળ ઇલેકશન વોચ’ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં 132 વર્તમાન વિધાનસભ્યોના સોગંદનામાની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું કે 92 વિધાનસભ્યો સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે.
આમાંથી 33 વિધાનસભ્યો (અંદાજે 25 ટકા)એ ગંભીર ફોજદારી કેસ નોંધાયેલા હોવાની માહિતી આપી છે. આ કેસોમાં હત્યા અને હત્યાના પ્રયાસ જેવા આરોપો સામેલ છે. રિપોર્ટ મુજબ બે વિધાનસભ્યો સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 302 હેઠળ હત્યાના કેસ પેન્ડિંગ છે, જ્યારે ત્રણ વિધાનસભ્યો સામે કલમ 307 હેઠળ હત્યાના પ્રયાસના આરોપ છે. આ ઉપરાંત, ત્રણ વિધાનસભ્યો સામે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સંબંધિત કેસ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં એક બળાત્કારનો કેસ પણ સામેલ છે.
આંકડા મુજબ CPI(M)ના 58માંથી 43 વિધાનસભ્યો (74 ટકા) સામે ફોજદારી કેસ છે, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 21માંથી 19 વિધાનસભ્યો (90 ટકા)એ પોતાના વિરુદ્ધ આવા કેસ પેન્ડિંગ હોવાની માહિતી આપી છે. અન્ય પક્ષોમાં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના 44 ટકા અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ના 86 ટકા વિધાનસભ્યોએ પણ આવા કેસ જાહેર કર્યા છે.
આર્થિક સ્થિતિ અંગે 72 વિધાનસભ્યો (55 ટકા)એ એક કરોડ રૂપિયા કરતાં વધુ સંપત્તિ જાહેર કરી છે. તમામ 132 વિધાનસભ્યોની કુલ સંપત્તિ 363.78 કરોડ રૂપિયા નોંધાઈ છે, જ્યારે પ્રતિ વિધાનસભ્ય સરેરાશ સંપત્તિ 2.75 કરોડ રૂપિયા છે.
નવી દિલ્હીઃ કતાર એનર્જીના CEO અને ઊર્જા મામલાના રાજ્ય મંત્રી સાદ અલ-કાબીએ જણાવ્યું હતું કે ઈરાનના હુમલાઓને કારણે કતરની LNG એક્સપોર્ટ ક્ષમતાનો લગભગ 17 ટકા ભાગ નષ્ટ થયો છે, જેને કારણે દર વર્ષે અંદાજે 20 અબજ ડોલર જેટલું આવકનું નુકસાન થયું છે.
મરામત કામગીરીને કારણે આગામી ત્રણથી પાંચ વર્ષ સુધી દર વર્ષે લગભગ 12.8 મિલિયન ટન LNG ઉત્પાદન પ્રભાવિત રહેશે. તેની અસર ચીન, ભારત તેમ જ યુરોપ અને એશિયાના અનેક દેશોના ગેસ સપ્લાય પર પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાન દ્વારા કરાયેલા હુમલાઓમાં કતારની 14 LNG ટ્રેનોમાંથી ઓછામાં ઓછા બે અને તેની બે ગેસ-ટુ-લિક્વિડ (GTL) સુવિધાઓમાંથી એકને નુકસાન થયું છે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે કતાર અને આખો વિસ્તાર આવા હુમલાનો ભોગ બનશે, ખાસ કરીને રમજાનના મહિનામાં. કોઈ મિત્ર મુસ્લિમ દેશ તરફથી આ પ્રકારનો હુમલો થશે એવું કલ્પનામાં પણ નહોતું. સરકારી માલિકીની કંપનીએ જણાવ્યું હતું કે નુકસાન પામેલી બે LNG ટ્રેનોને કારણે ઇટાલી, બેલ્જિયમ, દક્ષિણ કોરિયા અને ચીનને LNG સપ્લાય માટે થયેલા પાંચ વર્ષ સુધીના કરારો પર આકસ્મિક ઘટના જાહેર કરવાની ફરજ પડી શકે છે.
પહેલા શત્રુતા સમાપ્ત કરવી પડશે — અલ-કાબી
ઈરાન પર તેના ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઇઝરાયલના હુમલાઓ પછી ઈરાને ખાડી દેશોના તેલ અને ગેસ પ્લાન્ટ્સ પર સતત હુમલા શરૂ કર્યા છે. બુધવારે કતારના સૌથી મોટા LNG પ્લાન્ટ રાસ લાફાન પર ઈરાની મિસાઈલ હુમલા બાદ તણાવ વધુ વધ્યો, જેને પગલે કતાર એનર્જીએ LNG ઉત્પાદન પર આકસ્મિક ઘટના જાહેર કરી. અલ-કાબીએ જણાવ્યું કે ઉત્પાદન ફરી શરૂ કરવા માટે સૌપ્રથમ શત્રુતા બંધ થવી જરૂરી છે.
કોની ક્યાં ભાગીદારી
તેમણે જણાવ્યું હતું કે આ હુમલાઓને કારણે સમગ્ર વિસ્તાર 10થી 20 વર્ષ પાછળ ધકેલાઈ ગયો છે અને આ વિસ્તાર સુરક્ષિત રોકાણ સ્થળ તરીકેની તેની છબી પણ ખરડાઈ ગઈ છે. નુકસાન પામેલા LNG પ્લાન્ટોમાં અમેરિકન તેલ કંપની એક્સોનમોબિલ ભાગીદાર છે, જ્યારે નુકસાન પામેલા GTL પ્લાન્ટમાં શેલ કંપની ભાગીદાર છે, જેના સમારકામમાં લગભગ એક વર્ષ લાગી શકે છે, એમ તેમણે કહ્યું હતું.
ગુજરાતના હવામાનમાં આજે એકાએક એવો પલટો આવ્યો કે જાણે ચોમાસું વહેલું બેસી ગયું હોય. અમદાવાદ શહેરમાં બપોરની આકરી ગરમી બાદ સાંજે અચાનક આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું. તેજ ગતિએ ફૂંકાયેલા પવન અને ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી એટલી ઓછી થઈ ગઈ કે વાહનચાલકો માટે રસ્તા પર ચાલવું મુશ્કેલ બન્યું હતું. ત્યારબાદ પડેલા વરસાદી ઝાપટાએ વાતાવરણમાં ઠંડક તો પ્રસરાવી, પરંતુ ઓફિસથી ઘરે જઈ રહેલા લોકો ટ્રાફિક જામમાં ફસાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી થોડા દિવસો સુધી આ પ્રકારની મિશ્ર ઋતુનો અનુભવ થવાની શક્યતા છે.
યાત્રાધામ દ્વારકા અને પાવાગઢમાં પણ કુદરતનો અનોખો મિજાજ જોવા મળ્યો છે. દ્વારકા જગત મંદિરના સાનિધ્યમાં ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદે રસ્તાઓને નદીઓમાં ફેરવી દીધા હતા. ભદ્રકાળી ચોક જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. બીજી તરફ, પંચમહાલના પાવાગઢ ડુંગર પર વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. પવનની ગતિ એટલી તેજ હતી કે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે વૃદ્ધો અને અશક્ત ભક્તોએ ભારે હૈયે પગપાળા દર્શન માટે જવું પડ્યું હતું.
સૌરાષ્ટ્રના રાજકોટ અને અમરેલીમાં પણ સ્થિતિ ગંભીર જોવા મળી છે. રાજકોટમાં ગાજવીજ સાથે પડેલા વરસાદ દરમિયાન આત્મીય યુનિવર્સિટી પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારો અને નાળામાં પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. અમરેલીના વડિયા પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદે દેખા દીધી હતી, જ્યાં તેજ પવનને કારણે બજારના સાઈનબોર્ડ ઉડ્યા હતા અને ખેડૂતોના તૈયાર પાકને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જૂનાગઢના ભેસાણમાં તો બરફના કરા સાથે વરસાદ પડતા લોકોમાં આશ્ચર્ય સાથે ભય પણ જોવા મળ્યો હતો.
સરહદી જિલ્લા બનાસકાંઠા અને કચ્છમાં વાવાઝોડાએ આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. વાવ અને થરાદ પંથકમાં ફૂંકાયેલા તોફાની પવનને કારણે સોલર પ્લાન્ટની પ્લેટો હવામાં ફંગોળાઈ હતી, જેનાથી રોકાણકારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. કંડલામાં એક વિશાળ મોબાઈલ ટાવર પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જામનગરમાં અનેક મકાનોના છાપરા ઉડવાની ઘટનાઓ બની છે, જ્યારે મોરબીના નવલખી બંદરે દરિયો તોફાની બનતા તંત્ર સાબદું થયું છે.
આ સંકટ સમયે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ખેડૂતોને કાપણી કરેલો પાક તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા અને એપીએમસીમાં રહેલો જથ્થો તાડપત્રીથી ઢાંકવા સૂચના અપાઈ છે. જંતુનાશક દવાઓનો છંટકાવ હાલ પૂરતો અટકાવવા પણ સલાહ આપવામાં આવી છે. તૈયાર થયેલા ધાણા, કલોંજી અને શાકભાજીના પાક પર માવઠાની માઠી અસર થવાની શક્યતાને પગલે જગતનો તાત ચિંતિત છે. સરકારે કોઈપણ સહાય કે માર્ગદર્શન માટે કિસાન કોલ સેન્ટરનો નંબર પણ જાહેર કર્યો છે.
હીરાનગરી સુરતમાં આજે કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણનો મિજાજ પલટાયો હતો અને જોતજોતામાં મિની વાવાઝોડાએ શહેરને બાનમાં લીધું હતું. આ તેજ પવન માત્ર ધૂળની ડમરીઓ જ નહીં, પરંતુ મોતનો પયગામ લઈને આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ શાયોના પ્લાઝા પાસે જ્યારે લોકો પોતાની દિનચર્યામાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક ફૂંકાયેલા પવનના ઝાપટાએ સુરત મહાનગરપાલિકાના એક વિશાળ લોખંડના હોર્ડિંગ્સને જમીનદોસ્ત કરી દીધું હતું. કમનસીબે, આ ભારેખમ બોર્ડ ત્યાં જ ટેબલ લગાવીને ગુજરાન ચલાવતા ૪૮ વર્ષીય નીતિનભાઈ જયંતિભાઈ વાજા પર ખાબક્યું હતું. લોખંડના એંગલો અને પતરાના વજન નીચે દબાઈ જવાને કારણે નીતિનભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૂળ રાજકોટના વતની અને સુરતમાં રહી પરિવારનો આધાર બનેલા આ શ્રમિકના મોતના સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
વાવાઝોડાની આ ભયાનકતા માત્ર એક વિસ્તાર પૂરતી સીમિત નહોતી. શહેરના નાનપુરા, ઉમરા અને પીપલોદ જેવા પોશ વિસ્તારોમાં પણ કુદરતે તાંડવ મચાવ્યું હતું. નાનપુરામાં એક તોતિંગ વૃક્ષ કાર પર પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જોકે સદનસીબે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. ઉમરા ગામમાં મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો અને પોલીસને રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. સિંગણપોરની ભરચક શાક માર્કેટમાં પણ અચાનક વૃક્ષ પડતા ગ્રાહકો અને વેપારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે આકાશમાંથી લોખંડના પતરા ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.
મિલકતોના નુકસાનની વાત કરીએ તો, કતારગામ અને ડભોલી વિસ્તારમાં રૌદ્ર દ્રશ્યો જોવા મળ્યા હતા. અશોકવાટિકા પાસે આવેલા એક કોમર્શિયલ શોપિંગ સેન્ટરના ત્રીજા માળેથી આખેઆખો પતરાનો શેડ કાગળની જેમ ઉડીને નીચે રસ્તા પર પડ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે જોઈને કોઈ પણના રુવાડા ઉભા થઈ જાય તેમ છે. પૂણા વિસ્તારમાં પણ લોખંડના પોલ નમી પડવાની અને હોર્ડિંગ્સ ફાટી જવાની અનેક ફરિયાદો પાલિકાના કંટ્રોલ રૂમમાં નોંધાઈ છે. આ મિની વાવાઝોડાએ સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને જોખમી હોર્ડિંગ્સ ઉતારવાની વાતો પર સવાલો ઉભા કર્યા છે.
હાલમાં સુરત મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમો યુદ્ધના ધોરણે રસ્તાઓ સાફ કરવાની અને જોખમી લટકતા પતરાઓને ઉતારવાની કામગીરી કરી રહી છે. મૃતક નીતિનભાઈના દેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી સમયમાં પવન ફૂંકાવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને ખાસ કરીને હોર્ડિંગ્સ કે જૂના વૃક્ષો નીચે ઉભા ન રહેવા કડક સૂચના આપવામાં આવી છે.