Home Blog Page 1766

ભારતની ચૂંટણીનાં પરિણામોના એક્ઝિટ પોલથી પાકિસ્તાનમાં દહેશત

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પરિણામો આવતી કાલે જાહેર થવાનાં છે, પણ તમામ એક્ઝિટ પોલમાં દેશમાં ફરી એક વાર મોદી સરકાર આવવાની શક્યતાએ પાકિસ્તાન દહેશતમાં છે. પાકિસ્તાનને ડર છે કે મોદી સરકાર આવનારા સમયમાં એની સામે આક્રમક નીતિ અપનાવશે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવ એઝાઝ ચૌધરીએ કહ્યું હતું કે ટ્રેક રેકોર્ડથી માલૂમ પડે છે કે વડા પ્રધાન મોદી ચૂંટણી સંકલ્પ પત્ર લાગુ કરે એવી સંભાવના છે. તેઓ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના પ્રયાસ કરશે અને પાકિસ્તાન સામે કડક વલણ અપનાવશે. ડોન ન્યૂઝપેપરે લખ્યું છે કે ભારતમાં એક્ઝિટ પોલનો રેકોર્ડ ખરાબ છે, કેમ કે એનાં ચૂંટણી પરિણામો ખોટાં હોય છે. નિષ્ણાતોનું પણ કહેવું છે કે મોટા અને વિવિધતાવાળા દેશમાં એક્ઝિટ પોલના આંકડા સાચા ના હોઈ શકે.

ચોથી જૂને ચૂંટણી પરિણામોને લઈને ઉત્સુકતા જેટલી દેશમાં છે, એટલી જ ચર્ચા પાકિસ્તાનમાં પણ છે. હજી થોડા દિવસો પહેલાં પાકના ભૂતપૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે તેમના દેશવાસીઓ ઇચ્છે છે કે મોદી ચૂંટણી હારે. પાકિસ્તાનના નેતાઓ પણ નથી ઇચ્છતા મોદી ત્રીજી વાર વડા પ્રધાન ના બને, કેમ કે પાકિસ્તાની સંસદમાં એક સાંસદે પણ જણાવ્યું હતું કે વિદેસ મંત્રીને ડર હતો કે ક્યાંક ભારત હુમલો ના કરી દે. ભારતે POKમાં ઘૂસીને 40થી વધુ આતંકવાદીઓને મોતના ઘાટ ઊતાર્યા હતા.પુલવામાં CRPFના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાનો પણ ભારતે બદલો લીધો હતો. ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી હતી અને 300થી વધુ આતંકવાદીને માર્યા હતા. પાકિસ્તાની લોકો નથી ઇચ્છતા કે દેશમાં મોદી સરકાર બનાવે, કેમ કે મોદી પાકિસ્તાનની દરેક ઈંટનો જવાબ પથ્થરથી આપે છે.

 

 

 

 

 

 

 

 

સુરતમાં બિનહરીફ જીતને પડકારતી PILનો તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર

સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જીત્યા પછી તેમની બિનહરિફ જીતને પડકારતી પીઆઇએલ(PIL)  જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી અને તાત્કાલિક સુનાવણી કરવાની માંગ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આ કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.

અરજી કેમ કરવામાં આવી?

નોંધનીય છે કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ ટેકનિકલ કારણોસર નામંજૂર કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય ઉમેદવારોએ પણ  પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા.  જે બાદ મુકેશ દલાલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા બાદ ભાવેશ પટેલે નામના એક વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.

ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માયીની ડિવિઝન બેન્ચે અરજદારના વકીલને કહ્યું હતું કે એણે PIL નહીં પણ ચૂંટણી અરજી દાખલ કરવી જોઈતી હતી. અરજદારે દલીલ કરી હતી કે તે સુરતમાં નોંધાયેલ મતદાર છે, ચૂંટણી પંચે મુકેશ દલાલને વિજેતા જાહેર કર્યા હતા અને મતદાન કરાવ્યા વગર પ્રમાણપત્ર પણ આપ્યું હતું. જેના કારણોસર તેઓ મતદાનના અધિકારથી વંચિત રહ્યા છે.

કોર્ટે શું કહ્યું?

આ બાબત સંદર્ભે  કોર્ટે કહ્યું કે જો કોઈ ઉમેદવાર બિનહરીફ ચૂંટાય છે, તો તે પણ તે જ છે જેમને મતદાન અથવા મત ગણતરી પછી વિજેતા જાહેર કરવામાં આવે છે. બિનહરીફ વિજેતા અન્ય કોઈ શ્રેણીમાં આવતા નથી. જાહેર પ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈઓ હેઠળ આને PILનો મુદ્દો ન બનાવો. એમણે એમ પણ કહ્યું કે કાયદા મુજબ જો ઉમેદવારની ચૂંટણીને લઈને કોઈ વિવાદ હોય તો એમણે ચૂંટણી અરજી દાખલ કરવાની હોય છે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તમે તમારી દલીલમાં જે પ્રક્રિયાનો ઉલ્લેખ કરી રહ્યા છો, જેના દ્વારા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે, તે ચૂંટણી અરજી દ્વારા સત્તાધિકારના અધિકારક્ષેત્રમાં આવે છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે તાત્કાલિક સુનાવણીની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતુ કે, અરજદારે ખોટી જગ્યાએ અરજી દાખલ કરી છે, તેથી તેમાં કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં, તે સામાન્ય રીતે જ જોવામાં આવશે.

આ યુવતી બની છે ઝીરો-વેસ્ટ જીવનની પ્રેરણા

જાણ્યે-અજાણ્યે, આપણે આપણા રોજિંદા જીવનમાં એક કે બીજી રીતે એવાં કોઈ કાર્ય કરીએ છે જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે કેવી રીતે પર્યાવરણને બચાવી શકીએ? આપણે મોટાભાગે તો આપણાથી શું થાય એમ વિચારીને બેસી જઇએ છીએ, કેટલાંક લોકો એવા હોય છે જે બેસી રહેવાના બદલે બદલાવની શરૂઆત કરે છે અને બીજાને પણ બદલાવની પ્રેરણા આપે છે.

આજે એવી જ એક વ્યક્તિની વાત, જેના કામની નોંધ ખુદ વડાપ્રધાને પણ લીધી છે. આ છે પંક્તિ પાંડે. અમદાવાદમાં રહે છે અને ઝીરોવેસ્ટઅડ્ડાના ફાઉન્ડર છે. એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યા પછી 2008માં ઈસરોમાં જોડાયા. ગગનયાન સહિત અનેક મહત્ત્વના પ્રોજેક્ટમાં કામ કર્યું.

પરંતુ તેમની સૌથી મોટી ઓળખ બની છે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ માટે લોકોને પ્રેરિત કરવાની. પંક્તિ ટકાઉ જીવન વિશે ખૂબ જ જાગૃત છે. પોતાના ક્લીનર્સ જાતે બનાવે છે, કચરામાંથી જાતે ખાતર તૈયાર કરે છે, જ્યારે પણ ખરીદી કરવા જાય છે ત્યારે પ્લાસ્ટિકની થેલીના બદલે કપડાની થેલીમાં જ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે છે. ટકાઉ જીવન અને પર્યાવરણના બચાવ માટે એના સતત પ્રયાસોના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ (National Creators Award)  હેઠળ ‘ફેવરિટ ગ્રીન ચેમ્પિયન એવોર્ડ’ થી સન્માનિત કર્યા.

પંક્તિ પાંડે સાથે ચિત્રલેખા.કોમએ જ્યારે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે ઉપલબ્ધ સંસાધનનું સમ્માન કરવું એ તેઓ તેમના પરિવાર પાસેથી શીખ્યા છે. પરંતુ આ મુદ્દે તેઓ ગંભીર ત્યારે થયા, જ્યારે તેમણે પ્રેગનેન્સી માટે બે વર્ષનો બ્રેક લીધો હતો. આ દરમિયાન તેઓ વેસ્ટ મેનેજમેન્ટ વિશે એક રિપોર્ટ વાંચી રહ્યા હતા ત્યારે તેમને લાગ્યું કે આપણે ઈન્ડસ્ટ્રિયલ પ્રદૂષણ વિશે તો ખૂબ જ વાતો કરીએ છીએ. પરંતુ દરેક ઘરમાંથી જે વેસ્ટ નીકળે છે તેના મેનેજમેન્ટ વિશે તો કોઈ વાત કરતાં જ નથી.

એ પછી ઝીરો વેસ્ટની શરૂઆત પોતાના ઘરમાંથી જ થાય તે પ્રમાણે એમણે પોતાની દિનચર્યા શરૂ કરી. શરૂઆતમાં ઘણા પડકારો પણ આવ્યા. પરંતુ ધીમે-ધીમે તેમણે બધાં જ વેસ્ટનું મેનેજમેન્ટ યોગ્ય રીતે કર્યું. આમ વેસ્ટ મેનેજમેન્ટની એમની સફર તો શરૂ થઈ ગઈ હતી.

પરંતુ આ તો વાત હતી ફક્ત ઘર પૂરતી. ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે એ અમદાવાદના પીરાણા વિસ્તારમાંથી દીકરી સાથે પસાર થઈ રહ્યા હતા. પસાર થતી વખતે જ્યારે દીકરીએ પ્રશ્ન પૂછ્યો કે આ શું છે અને અહીં આટલી દુર્ગંધ કેમ છે? ત્યારે પંક્તિએ જવાબ આપ્યો કે આ ડમ્પિંગ સાઈટ છે સમગ્ર શહેરનો કચરો અહીં આવે છે. દીકરીનો સામે પ્રશ્ન એ હતો કે આપણે તો કચરો કરતાં નથી તો શું બીજા લોકો પણ આપણી જેમ કચરાનો યોગ્ય નિકાલ કરતાં નથી?

બસ, દીકરીના આ પ્રશ્ન પછી પંક્તિને લાગ્યું કે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ લોકો સુધી પહોંચાડવું જોઈએ. એવામાં કોવિડના સમયે તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પાવર વિશે સમજાયું. આથી તેમણે પણ પોતાના પ્રયત્નોના નાના-નાના વીડિયો બનાવીને અપલોડ કરવાનું શરૂ કર્યું. જેમાં તેમને ઘણો સારો પ્રતિસાદ મળ્યો. આજે ઈન્સ્ટાગ્રામ પર પંક્તિના 342K કરતાં પણ વધારે ફોલોઅર્સ છે અને તેમની વીડિયોની લોકો પર ઊંડી અસર પણ થઈ રહી છે. પંક્તિનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પર્યાવરણ પ્રત્યે શિક્ષિત કરવાનો છે.

પંક્તિનું માનવું છે કે છેલ્લાં 20 વર્ષમાં કમ્યુનિકેશનથી લઈને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઘણાં બધાં પરિવર્તનો થયા છે, પરંતુ વેસ્ટ મેનેજમેન્ટના ક્ષેત્રમાં કોઈ ફેરફાર થયા નથી. જેનું પરિણામ છે કે આજે દરેક શહેરોમાં કચરાના ઢગલે-ઢગલા થઈ રહ્યા છે. તેના નિકાલ માટે જોઈએ એવી ઝડપી ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો નથી.

બીજું કે દરેક વ્યક્તિ આજે પોતાના બાળકના જન્મ પહેલાંથી જ તેની ફાયનાન્સિયલ સેફ્ટી કે મેડિકલ સેફ્ટી વિશે વિચારવા લાગે છે. પરંતુ કોઈપણ વ્યક્તિ પર્યાવરણીય સુરક્ષા વિશે વિચારતું જ નથી. આજે આ કચરાના ઢગલાં ગ્રીનહાઉસ ગેસ ઉત્પન્ન કરીને પર્યાવરણને નુક્સાન કરનારા ટૉપ-3 કારણોમાંથી એક છે, જેના કારણે ગ્લોબલ વોર્મિગની સમસ્યા સર્જાઇ છે.

પંક્તિ કહે છે, “લોકો એવું માને છે કે સમય મળતો નથી. કમ્પોઝ કરવા માટે તેમની પાસે જગ્યાનો અભાવ છે. મારા મતે આ બધાં બહાના છે. જો 8થી 9 કલાકની નોકરી કર્યા પછી પણ લોકોને સોશિયલ મીડિયા માટે સમય મળતો હોય તો તેઓ પર્યાવરણ માટે પણ સમય આપી જ શકે છે.

એમના મતે અમદાવાદ કરતાં બેંગ્લુરૂ, મુંબઈ કે દિલ્હી જેવાં મેટ્રો શહેરોમાં લોકોમાં પર્યાવરણને લઈને જાગૃતિ વધારે છે. મુંબઈમાં જ્યાં લોકો પાસે ખૂબ જ નાના ઘરો હોવા છતાં તેઓ નાની જગ્યામાં પણ ક્મ્પોઝ કરતાં હોય છે.પંક્તિ કહે છે કે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સના પ્રેમ અને વડાપ્રધાનના હસ્તે સન્માન મળ્યા બાદ તેમની જવાબદારી વધુ વધી ગઈ છે. હવે તેઓ વધારે સભાન થઈને લોકોને એજ્યુકેટ કરવા માટે વધુ એજ્યુકેશનલ કન્ટેન્ટ ક્રિએટ કરતા થયા છે. હાલમાં તેઓ શાળાઓમાં જઈને આ મુદ્દે બાળકોને એજ્યુકેટ કરી રહ્યા છે. કેટલીક NGO સાથે મળીને પણ પર્યાવરણની સુરક્ષા મુદ્દે કામ કરી રહ્યા છે.

પંક્તિ સ્પષ્ટપણે માને છે કે આ કામમાં જેટલા વધારે લોકો જોડાશે અને પોતાનું યોગદાન આપશે એટલું જ આપણે ઝીરો-વેસ્ટની દિશામાં વધારે ઝડપથી આગળ વધી શકીશું.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

World Bicycle Day: સાયકલ ફ્રેન્ડલી સિટી બનાવવાના હેતુસર થાણેમાં સાયક્લોથોનનું આયોજન

મુંબઈ: આજે વિશ્વ સાયકલ દિવસ છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ સમગ્ર વિશ્વમાં સાયકલનું મહત્વ જણાવવાનું છે. તેમજ સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતા ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે થાણેમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

એમઆરઆર ચિલ્ડ્રન્સ હોસ્પિટલ દ્વારા વ્હીલ્સ એન્ડ બેરલ્સ સાયકલિંગ ક્લબ થાણે અને BYCS થાણેના સહયોગથી સાયક્લોથોન યોજવામાં આવી હતી. આ આયોજન ગત રોજ એટલે કે 2 જૂનના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં 2 કેટેગરી હતી, એક તો7 થી 14 વર્ષની ઉંમરના બાળકો માટે 2 Kms રાઈડ અને પુખ્ત 14 અને તેથી વધુની વયના લોકો માટે 10 કિમી રાઈડ.

આ સાયકલોથોનમાં 550થી વધુ સાયકલ સવારોએ ભાગ લીધો હતો. સાયકલોથોનમાં દરેક માટે પ્રવેશ નિ:શુલ્ક હતો. સાઇકલ સવાર માટે ટીશર્ટ, મેડલ, નાસ્તો, એમ્બ્યુલન્સ વોટર સ્ટેશન સહિતની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વ્હીલ્સ અને બેરલની મુખ્ય ટીમમાં સરબપ્રીત નારુ, શાલિની રાઠોડ, સિદ્ધાર્થ શાહ અને ચિરાગ શાહના સંયુક્ત સહયોગથી આ સાયક્લોથોન યોજાઈ હતી. સાયક્લોથોનનો સમય સવારે 6 થી 9 વાગ્યા સુધીનો હતો.

આ સાથે જ ઝુમ્બા સેશન પણ યોજાયું હતું. જે નીલમ પાટીલે હોસ્ટ કર્યું હતું. આ સાયક્લોથોનનું મિશન થાણેને સાયકલ ફ્રેન્ડલી સિટી અને ગ્રીન થાણે બનાવવાના હેતુ સાથે કરવામાં આવ્યું હતું.

થાણેના સાયકલ મેયર ચિરાગ શાહે જણાવ્યું હતું કે સાયકલ મેયર તરીકે ટીમ વ્હીલ્સ અને બેરલ્સ અને એમઆરઆર હોસ્પિટલ સાથે આ ઇવેન્ટનું આયોજન કરવું એ મારા માટે ગર્વની ક્ષણ છે. હું થાણેને સાયકલ ફ્રેન્ડલી શહેર જોવાનું સપનું જોઉં છું અને થાણેને પ્રદૂષણ મુક્ત શહેર બનાવવા માંગુ છું.

 

જ્યારે વ્હીલ્સ અને બેરલની ટીમના શાલિની રાઠેડે જણાવ્યું કે થાણેના સૌથી મોટા ગ્રૂપ વ્હીલ્સ અને બેરલ્સની લેડી એડમિન તરીકે મારું સપનું છે કે વધુને વધુ મહિલા રાઇડર્સ સાઇકલિંગ સમુદાયમાં જોડાય. હું થાણે શહેરના સાઇકલિંગ સમુદાયના ભલા માટે સેવા આપવાનું ચાલુ રાખીશ.

ગુજરાતમાં કડક સુરક્ષા વચ્ચે આવતીકાલે મતગણતરી

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર મંગળવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે. રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત 615 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને Postal Ballot અને ETPBS માટે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ Observers પોતાની ફરજના સ્થળ પર હાજર થઈ ગયા છે.મતગણતરી સ્ટાફનું First અને Second Randomization પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે Third Randomization મંગળવારે વહેલી સવારે 5 વાગ્યે Observersની હાજરીમાં કરવામાં આવશે.

મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. આવતીકાલે સવારે RO કે ARO, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ECI દ્વારા નિમણૂંક પામેલા Observers ની હાજરીમાં Strong Room ખોલવામાં આવશે. ત્યારબાદ EVM તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં લાવી મતોની ગણતરી શરુ કરાશે. તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસ, મતગણતરી લોકેશન પર SRPF અને મતગણતરી કેન્દ્રના દરવાજા તથા સ્ટ્રોંગરૂમની બહાર CAPF નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફરજ પરના અધિકારીઓ, ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય વ્યક્તિઓને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.


કમિશનના Observers સિવાય મતગણતરી કેન્દ્રમાં Mobile, Tablet કે Laptop જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે નહીં. મતગણતરી પ્રક્રિયા માટે આવશ્યકતા મુજબ RO, ARO અથવા Counting Supervisors પૂર્વપરવાનગી સાથે મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે. દરેક મતગણતરી કેન્દ્રમાં ઉભા કરવામાં આવેલા મિડિયા સેન્ટર અને પબ્લિક કમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં. મતગણતરીના દિવસે https://results.eci.gov.in/ તથા Voter Helpline App પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે. રાજ્યકક્ષાએ મીડિયાકર્મીઓને પરિણામની વિગતો મળી રહે તે માટે નવા સચિવાલયના બ્લોક નં.1 ના ચોથા માળે સમિતિ ખંડમાં મીડિયા સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ૨૬ મતગણતરી કેન્દ્રોના સુરક્ષા પ્રબંધ માટે ગૃહ મંત્રાલય તરફથી ફાળવાયેલા પેરામિલિટરી ફોર્સની ૯ કંપનીઓનો બંદોબસ્ત તમામ સેન્ટર ખાતે લાગી ચૂક્યો છે. BSF તથા CISFના જવાનો પ્રત્યેક કાઉન્ટિંગ સેન્ટરના હોલમાં તથા ઈવીએમ-વીવીપેટના સ્ટ્રોંગ રૂમ બહાર ચોકી પહેરો કરશે. હોલની બહાર એસઆરપીની સુરક્ષાસાંકળ લાગશે. જેને માટે એસઆરપીની ૧૨ કંપનીઓ ફાળવાઈ છે, જ્યારે મતગણતરી કેન્દ્રના કેમ્પસની બાઉન્ડ્રીની અંદર અને બહાર ૧૨ હજાર સ્થાનિક પોલીસ જવાનો તથા ૩ હજાર હોમગાર્ડ્ઝ તૈનાત થશે. આમ, રાજ્યના પ્રત્યેક કેન્દ્ર ખાતે ત્રિસ્તરીય સલામતી વ્યવસ્થા ગોઠવાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.

 

મતગણતરી પહેલા ભાજપની હાઈ લેવલ બેઠક

લોકસભા ચૂંટણી પરિણામ 2024 લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા બીજેપી ચીફ જેપી નડ્ડાના ઘરે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ચૂંટણી પરિણામોને લઈને પાર્ટી નેતાઓની બેઠકમાં મહત્વની રણનીતિ બનાવવામાં આવી છે.

મતોની ગણતરી પર આધારિત વ્યૂહરચના

ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ કહ્યું કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતીકાલે જ્યારે મતગણતરી થશે ત્યારે તમામ બૂથ પર કાઉન્ટિંગ એજન્ટો ચોક્કસપણે આવશે. જો મત ગણતરી અંગે કોઈ શંકા હોય તો પક્ષના અધિકારીઓએ ખાસ ધ્યાન આપવું જોઈએ.

મતગણતરી માટે પાર્ટીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી

તાવડેએ કહ્યું કે આગામી મત ગણતરી માટે પાર્ટીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉજવણી અંગે હજુ કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે જ્યારે વાસ્તવિક પરિણામો આવવાનું શરૂ થશે ત્યારે અમે આ વિશે વિચારીશું.

અમૂલ પછી મધર ડેરીએ પણ દૂધના ભાવ વધાર્યા

આજે સવારે જ અમૂલને દૂધના દરમાં વધારો અને ટોલ પ્લાઝા ટેક્સમાં વધારો કરવાનો આંચકો લાગ્યો હતો, હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ પહેલા અમૂલે પણ તેના દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. દૂધના આ નવા દરો આજથી એટલે કે 3 જૂનથી અમલમાં આવી ગયા છે.

મધર ડેરીએ પણ દર વધાર્યા

જ્યારે અમૂલે તેના દૂધના ભાવમાં વધારો કર્યો હતો ત્યારે એવી આશંકા હતી કે મધર ડેરી પણ ભાવ વધારાની જાહેરાત કરી શકે છે. અગાઉ ડિસેમ્બર 2022માં મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. જોકે, ગયા વર્ષે કંપનીઓએ હાલ પૂરતો ભાવ વધારવાનો ઇનકાર કર્યો હતો. કંપનીએ સોમવારે આની જાહેરાત કરી હતી. કંપનીએ છેલ્લા 15 મહિનામાં ઇનપુટ ખર્ચમાં વધારો થવાને કારણે કિંમતોમાં વધારો કર્યો છે. મધર ડેરીએ તમામ પ્રકારના દૂધના ભાવમાં વધારો કર્યો છે. નવી કિંમતો આજથી એટલે કે સોમવાર, 3 જૂનથી લાગુ થઈ ગઈ છે. આ પહેલા રવિવારે અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો હતો. આ બંને મોટી ડેરી કંપનીઓએ જૂન મહિનામાં લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ દૂધના ભાવમાં વધારો કર્યો છે.

મોદી લહેરમાં BSE સેન્સેક્સ, નિફ્ટી50 ઓલટાઇમ ઊંચી સપાટીએ

અમદાવાદઃ લોકસભા ચૂંટણીના મોટા ભાગના એક્ઝિટ પોલમાં ફરી એક વાર મોદી સરકાર બનવાના સંકેતો બજાર માટે મોટો બુસ્ટર ડોઝ સાબિત થયો હતો. આજે 40 મહિનાથી સૌથી મોટી ઇન્ટ્રા-ડે તેજી જોવા મળી હતી. PSE અને PSU બેન્ક ઇન્ડેક્સ સૌથી વધુ વધ્યા હતા. જેથી સેન્સેક્સ અને નિફ્ટી નવા શિખરે પહોંચ્યા હતા. આજની તેજીમાં બધા 13 સેક્ટર્સમાં તેજી થઈ હતી. બેન્ક નિફ્ટી, BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સોએ નવી ઓલટાઇમ ઊંચી સપાટી સર કરી હતી. નિફ્ટી બેન્કે 51,000ની સપાટી વટાવી હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 12 લાખ કરોડ વધારો થયો હતો.  

ઘરેલુ બજારમાં ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 76,738 અને નિફ્ટી 23,338ના રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. ઇન્ટ્રા-ડેની તેજી પછી સેન્સેક્સ 2507 પોઇન્ટની તેજીની સાથે 76,469ના સ્તરે અને નિફ્ટી 733 પોઇન્ટની તેજી સાથે 23,264ના સ્તરે બંધ થયો હતો. લોકસભા ચૂંટણીના બધા એક્ઝિટ પોલમાં PM મોદીની આગેવાની હેઠળ NDA સરકાર સતત ત્રીજી વાર પૂર્ણ બહુમતની સાથે સત્તામાં વાપસીનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે. એમાં ભાજપને 305થી 315 સીટો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. શેરબજારને એક્ઝિટ પોલનાં પરિણામો પસંદ આવ્યાં હતાં.

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ભાજપની જીતથી કેન્દ્રમાં રાજકીય સ્થિરતા અને આર્થિક નીતિઓને વેગ મળવાની ધારણાનો અંદાજ છે. વળી, છેલ્લાં 10 વર્ષોમાં વૈશ્વિક સ્તરે આવેલા તમામ ઉતારચઢાવ છતાં ભારતીય અર્થતંત્ર સ્થિર રહ્યું છે, જે મોદી સરકારની એક મોટી સફળતા છે, એમ બ્રોકરેજ કંપનીએ કહ્યું હતું.

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આજની તેજી પાછળ વર્ષ 2024 માટે GDP ગ્રોથનો સારો અંદાજ, નાણાકીય ખાધમાં ઘટાડો, દેશમાં સારા વરસાદનું અનુમાન અને GST કલેક્શન રૂ. 1.73 લાખ કરોડે પહોંચતાં બજારમાં આગઝરતી તેજી થઈ હતી. BSE પર લિસ્ટેડ બધા કંપનીના કુલ માર્કેટ કેપમાં આજે રૂ. 14 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો.

 

 

 

 

 

 

 

 

 

વિરાટ કોહલીને અમેરિકા પહોંચતા જ મળ્યો મોટો એવોર્ડ

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024માં ભાગ લેવા અમેરિકા પહોંચી છે, જેમાં ટૂર્નામેન્ટમાં પોતાનું અભિયાન શરૂ કરતા પહેલા ટીમે 1 જૂને બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ પણ રમી હતી જેમાં વિરાટ કોહલીએ ભાગ લીધો ન હતો. વાસ્તવમાં, કોહલી 31 મેના રોજ અમેરિકામાં ટીમ સાથે જોડાયો હતો, જેના કારણે તે આ વોર્મ-અપ મેચમાં નહોતો રમ્યો. યુએસ પહોંચ્યા પછી કોહલીને ICC દ્વારા ODI પ્લેયર ઓફ ધ યર 2023 નો એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેમાં વિરાટને કેપ સાથે ટ્રોફી આપવામાં આવી હતી.

ICC દ્વારા શેર કરવામાં આવેલ વીડિયો
વર્ષ 2023માં વિરાટ કોહલીએ ODI ફોર્મેટમાં બેટિગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 27 મેચ રમી હતી અને 72.47ની એવરેજથી 1377 રન બનાવ્યા હતા, જેમાં 6 સદી અને 8 અડધી સદી સામેલ હતી. આ સમયગાળા દરમિયાન કોહલીએ વનડેમાં તેની 50મી સદી ફટકારીને સચિન તેંડુલકરનો 49 સદીનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ત્રીજી વખત ICC ODI પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે, જેની સાથે તેણે એબી ડી વિલિયર્સને પાછળ છોડી દીધો છે, જેણે આ પહેલા બે વખત આ એવોર્ડ જીત્યો હતો. કોહલીને ન્યૂયોર્કમાં ICC દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેનો વીડિયો પણ તેણે શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

T20 વર્લ્ડમાં કોહલીના પ્રદર્શન પર તમામની નજર છે
બેટિંગમાં વિરાટ કોહલીનું હાલનું ફોર્મ ઘણું સારું છે, પરંતુ તે જાન્યુઆરી 2024 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ મેચ રમશે નહીં. IPL 2024માં કોહલીનું બેટિંગ ઘણું સારું હતું જેમાં તેણે કુલ 741 રન બનાવ્યા હતા. કોહલી હાલમાં T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, તેણે 27 મેચમાં 81.50ની એવરેજથી 1141 રન બનાવ્યા છે.

કેદાર જાધવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

પોતાની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત ટીમ ઈન્ડિયાના બેટ્સમેન કેદાર જાધવે સંન્યાસ લઈ લીધો છે. કેદાર જાધવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે તેણે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની શૈલીમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. કેદાર જાધવે સોશિયલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું – મારી કારકિર્દી દરમિયાન તમારા બધાના પ્રેમ અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર. બપોરે 3 વાગ્યાથી મને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત ગણવામાં આવશે.

ધોનીની જેમ કેદારની નિવૃત્તિ

કેદાર જાધવનો આઇડોલ એમએસ ધોની હતો. તેની જેમ તેને પણ મેચ ફિનિશર માનવામાં આવતો હતો અને તેથી જ તેની જેમ તેણે પોતાની કારકિર્દીનો અંત જાહેર કર્યો હતો. ધોનીએ 15 ઓગસ્ટ 2022ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. ધોનીએ પોતાનો વીડિયો પોસ્ટ કરતાં લખ્યું હતું કે, ‘તમારા પ્રેમ અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર. 19:29 થી મને નિવૃત્ત ગણવામાં આવવો જોઈએ.

કેદાર જાધવની કારકિર્દી

કેદાર જાધવે 2014માં શ્રીલંકા સામે તેની ODI ડેબ્યૂ કરી હતી અને 2015માં તેણે ઝિમ્બાબ્વે સામે તેની પ્રથમ T20 ઈન્ટરનેશનલ રમી હતી. જાધવે 73 ODI મેચોમાં 40 થી વધુની એવરેજથી 1389 રન બનાવ્યા છે. T20માં તે 6 ઇનિંગ્સમાં 122 રન બનાવી શક્યો હતો. કેદાર જાધવ મહારાષ્ટ્ર ક્રિકેટનું મોટું નામ માનવામાં આવે છે. તેણે આ ટીમ માટે 87 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 17 સદીની મદદથી 6100 રન બનાવ્યા છે. જ્યારે લિસ્ટ Aમાં તેણે 10 સદીના આધારે 5520 રન બનાવ્યા છે. T20માં તેણે 163 મેચમાં 2592 રન બનાવ્યા છે. જેમાં 14 અડધી સદી સામેલ છે.

કેદાર જાધવની આઈપીએલ કારકિર્દી

કેદાર જાધવે પણ આઈપીએલમાં ઘણું ક્રિકેટ રમ્યું છે. તે સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ, આરસીબી, દિલ્હી ડેરડેવિલ્સ, કોચી ટસ્કર્સ કેરળ માટે રમ્યો છે. કેદારે IPLમાં 95 મેચમાં 22.37ની એવરેજથી 1208 રન બનાવ્યા છે.