Home Blog Page 1782

Opinion: તંત્રના હાથે શું જનતા એ વગાડી તાલી?

રાજકોટ સહિત ગુજરાત માટે 25મી મે એક ગોઝારો દિવસ સાબિત થયો છે. ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગ અને માસૂમોના મોત પછી સત્તાવાળાઓ સામે લોકોમાં ભયંકર રોષની લાગણી ફેલાયેલી છે અને લોકો સરકાર પાસેથી એ ખાતરી માગી રહ્યા છે કે, ભવિષ્યમાં આવી કોઇ ઘટનાનું પુનરાવર્તન ન થાય.

એવું તે શું કરવું જોઇએ સરકારે કે આવી કોઇ ઘટના ભવિષ્યમાં ન બને?

ચિત્રલેખા.કોમ  એ આ માટે વિવિધ વર્ગના લોકો સાથે વાતચીત કરીને એમના મત જાણ્યા. આવો જાણીએ, શું કહે છે લોકો આ વિશે…

ડો. વિદ્યુત જોશી, જાણીતા સમાજશાસ્ત્રી

યૌવન, ધન, સંપત્તિ, આધિપત્ય અને અવિવેક હંમેશા વિનાશ વેરે

यौवनं धन संपत्ति: प्रभुत्वमविवेकिता।

एकैकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम् ||

આપણે પશ્ચિમી દેશની સંસ્કૃતિને લઈ આવ્યા. ત્યાંના મનોરંજન સાધનો, સિનેમા, મોલ અપનાવી લીધા, પણ આપણે ત્યાંના નિયમોને આપનાવી શક્યા નથી. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે “વિદેશમાં એક બસમાં ચડવા માટે લોકો લાઈનમાં ઉભા રહે છે. જ્યારે આપણે બીજી બસ કેટલા સમયમાં આવશે તેવું વિચારીને પહેલી બસ પર ઝપાટ મારીએ છીએ” દરેક માતા પિતાએ પોતાના બાળકને 12 વર્ષની ઉંમર પહેલા નાગરીક શાસ્ત્રનો પાઠ ભણાવી દેવો જોઈએ. જ્યારે સરકારે એક મનોરંજન કાયદો લાવવો જોઈએ. આપણે ભાગ્યવાન માનવા વાળા લોકો આપણા અધિકારોની માગ કરતા નથી. ટિકિટ ખરીદ્યા બાદ પણ આપણે જીવને જોખમે મુક્યે છીએ. તેમણે એક શ્લોકનું વાંચન કરતા કહ્યું કે યૌવન, ધન, સંપત્તિ, આધિપત્ય અને અવિવેક હંમેશા વિનાશ વેરે જ છે.

હેમંત શાહ, અર્થશાસ્ત્રી

બે વર્ષ સુધી મનોરંજન ટાળવું જોઈએ!

રાજકોટ દુર્ઘટના બાબતે વાત કરતા તેમણે જણાવ્યું કે આવી દુર્ઘટના બનાવાનું એક માત્ર કારણ નિયમનુ ઉલ્લંઘન છે. જ્યારે નિયમનુ ઉલ્લંઘન કરનારા લોકો સામે પણ કડક પગલા નથી લેવાતા, જેથી આવી દુર્ઘટનાનું પુનરાવર્તન થાય છે. સરકાર અને આવા એકમોના માલિકોએ નિયમોની કાળજી રાખવાથી પણ આવી દુર્ઘટનાને રોકી શકાય. જ્યારે સામાન્ય પ્રજાને આગલા બે વર્ષ સુધી આવી જગ્યા પર જવા માટે ખુદ જ પ્રતિબંધિત થવું જોઈએ. જેના કારણે માલિક સામાન્ય જનતાની સલામતી માટે જાગૃત બને. આ ઉપરાંત તમામ એકમોને જરૂરી સર્ટીફિકેટને ફ્રેમ કરી જાહેરમાં રાખવાનો કડક નિયમ પણ બનાવવો જોઈએ.

 

રાજવીરસિંહ, સોશિયલ વર્કર

રાજ્યના 90% બાંધકામ છે ગેરકાયદેસર

બાળકોની દુર્ઘટનાને લઈ રાજવીરસિંહ એ કહ્યું કે આગ બનેલા હાલ સુધીના બનાવોમાં એક સમાનતા જોવા મળી છે, ત્યાં કોઈ પણ જાતની બહાર નીકળવાની જગ્યા જ બનાવવામાં નહોતી આવી. ગુજરાતની અંદરના 90 ટકા બાંધકામ ગેર કાયદે બનાવવામાં આવ્યા છે. સામાન્ય દિવસોમાં ટિકિટોના દર ઉંચા હોય છે. જ્યારે ઓફરના દિવસોમાં ઓછા રૂપિયામાં મનોરંજન માટે લોકો જીવી તાળવે બાંધીને પણ મોજ મસ્તી માણે છે. લુભામણી ઓફરને જોઈ મનોરંજનથી થનારી ભયજનક અસરો પર પ્રજાએ પણ ધ્યાન આપવું જોઈએ.

 

પૂજા પ્રજાપતિ, વકીલ & સમાજીક કાર્યકર

સલામતી માટે પ્રશ્ન કરવા જોઈએ

બાળક દેશનું ભવિષ્ય છે, જેને ધ્યાને રાખી મનોરંજનની જગ્યા પર તામામ જરૂરી દસ્તાવેજની છે કે નહીં તેની સરકાર અને આપણે કાળજી લેવી જોઈએ. સરકાર, પોલીસ સહિત આપણી સલામતી આપણા હાથ હોય છે. જાગૃત નાગરીકે પોતાની સલામતી માટે મનોરંજનના એકમો પાસે સલામતીના પુરાવા માંગવા જોઈએ. પુરાવા ન મળે તો તાત્કાલિકના ધોરણે પોલીસ અથવા ફાયર વિભાગને જાણ કરવી જોઈએ.

 

 

શ્લોકા સુથાર, હોમિયોપેથિક ડોક્ટર 

દૂઘનો દાઝ્યો છાશ પણ ફૂંકીફૂંકીને પીવે!

શ્લોકા પોતાનો અનુભવ જણાવતા કહે છે “હું અમદાવાદ TRP મોલના ગેમ ઝોનમાં મારા મિત્રો સાથે ગઈ હતી. જે બાદ ત્યાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ બનાવ બાદ હું કોઈ પણ ગેમ ઝોન કે થિયેટર જતા પહેલા વિચારું છું. જ્યાં લોકોનો ઓછો જમાવડો થતો હોય તેવી જગ્યા જવાનું પસંદ કરું છે. કેમ કે લોભામણી ઓફરો આપી ગેમ ઝોનના માલિકો ક્ષમતા કરતા વધુ લોકોને પ્રવેશ આપે છે. જેના કારણે પણ આવી દુઘર્ટના બનતી હોય છે. આ માટે દરેક વ્યક્તિ એ સજાગ રહેવાની જરૂર છે.

(તેજસ રાજપરા – અમદાવાદ)

અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશના કેટી પેરી કરશે પર્ફોમ, ઈટાલીમાં જામશે માહોલ

મુંબઈ: ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટી બાદ હવે મુકેશ અંબાણીના પુત્રની બીજી પ્રી-વેડિંગ પાર્ટી ઈટાલીમાં ચાલી રહી છે. તેની શરૂઆત 29 મેના રોજ ફ્રાંસ, ઇટાલીમાં વૈભવી ક્રુઝ પર ડિનર સાથે થઈ હતી. તેનો હિસ્સો બનવા માટે ઇન્ડસ્ટ્રીની ઘણી સેલિબ્રિટીઓને આમંત્રિત કરવામાં આવી છે. તેમજ ગત વખતની જેમ આ વખતે પણ હોલિવૂડના કેટલાક સેન્સેશન્સ પાર્ટીમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે અને કેટી પેરીનું નામ આમાં પ્રથમ આવ્યું છે. પ્રી-વેડિંગ 1 જૂન, 2024 ના રોજ પોર્ટોફિનો, ઇટાલીમાં સમાપ્ત થશે.

ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત અમેરિકન સિંગર કેટી પેરી અનંત અને રાધિકાના ક્રૂઝ પ્રી-વેડિંગના ત્રીજા દિવસે પરફોર્મ કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પોપ આઇકોન દક્ષિણ ફ્રાન્સમાં સ્થિત US $ 50.9 મિલિયન એટલે કે આશરે રૂ. 424 કરોડની કિંમતના વિલામાં તેના ગીતો સાથે સ્ટેજ પર ધમાલ મચાવશે. અનંત અને રાધિકાના પ્રથમ પ્રી-વેડિંગ દરમિયાન, રીહાન્ના, દિલજીત દોસાંઝ, અરિજિત સિંહ, શ્રેયા ઘોષાલ અને અન્ય જેવા ગાયકોએ પર્ફોર્મન્સ આપ્યું હતું.

કેટી પેરીને મોટી રકમ મળશે
‘ધ સન યુકે’ અનુસાર કેટી પેરીને ‘લે માસ્કરેડ’માં તેના પર્ફોમન્સ માટે અંબાણી પરિવાર તરફથી લાખો ડોલરનો ચેક મળી રહ્યો છે. એક સ્ત્રોતે પ્રકાશનને જણાવ્યું હતું કે 800 મહેમાનો કેન્સમાં યોજાનારી મોટી ઉજવણી માટે ક્રુઝમાંથી ઉતરશે, જેની થીમ ‘લા વીટા એ અન વિએજિયો’ હશે. કેટી પેરી 5 કલાક સુધી ચાલનારી પાર્ટીમાં પરફોર્મ કરશે અને તે પછી મહેમાનો આગળના શોમાં જશે.

800 મહેમાનોને આમંત્રણ
અંબાણી પરિવારે 800 મહેમાનોને આમંત્રિત કર્યા છે જેઓ બાર્સેલોના અને જેનોઆના ક્રુઝ પર છે એવું સ્ત્રોતે જણાવ્યું હતું. તેઓ શુક્રવારે કેન્સમાં બિગ બેશ માટે પહોંચશે, જે 40 મિલિયન GBPની પ્રોપર્ટીમાં યોજાશે. પાર્ટી માત્ર પાંચ કલાક ચાલશે અને ત્યાં કેટી પરફોર્મ કરશે. તે પછી, મહેમાનો કાન્સમાં અદભૂત આતશબાજીના સાક્ષી બનશે.’

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

આટલા મોંઘા ક્રૂઝ પર પાર્ટી થઈ રહી છે
બહુવિધ મીડિયા અહેવાલો અનુસાર, અંબાણી સેલિબ્રિટી-એજ્ડ ક્રુઝ પર બીજી પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કરી રહ્યા છે જેનો ખર્ચ US$900 મિલિયન અથવા લગભગ રૂ. 7,500 કરોડ થવાની ધારણા છે. ક્રૂઝ પરના દરેક સ્યુટમાં સ્પા, જિમ, સ્વિમિંગ પૂલ અને વધુ જેવી વૈભવી સુવિધાઓ છે અને આ તમામની કિંમત લગભગ 60 લાખ રૂપિયા છે. સેલિબ્રેશનમાં બેકસ્ટ્રીટ બોયઝે પણ પરફોર્મ કર્યું હતું

29 મેના રોજ, લોકપ્રિય અમેરિકન બેન્ડ, બેકસ્ટ્રીટ બોયઝે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાના ક્રુઝમાં પરફોર્મ કર્યું હતું. ઇવેન્ટની એક ક્લિપ વાયરલ થઈ છે, જેમાં ગ્રુપના છોકરાઓ, નિક કાર્ટર, હોવી ડોરો, બ્રાયન લિટ્રેલ, એજે મેકલિન અને કેવિન રિચાર્ડસન, બધા વ્હાઈટ પોશાક પહેરીને તેમના હિટ ગીત ‘આઈ વોન્ટ ઈટ ધેટ વે’ પરફોર્મ કરી રહ્યા છે.

ભાવનગરના મહારાજા કુમાર શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન

ભાવનગર: મહારાજા કુમાર શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન થયું છે. 91 વર્ષની ઉંમરે શિવભદ્રસિંહજી ગોહિલે અંતિમ શ્વાસ લીધા. ઘણા લાંબા સમયથી તેઓની તબિયત નાદુરસ્ત હતી. શિવભદ્રસિંહજી ગોહિલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર અને જાણીતા પ્રકૃતિવિદ્ હતા. શિવભદ્રસિંહજીના પાર્થિવ દેહને વિલાસ પેલેસમાં આજે બપોરે 1થી સાંજના 5 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. શિવભદ્રસિંહજી ગોહિલના નિધનથી રાજવી પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે.શિવભદ્રસિંહજી ગોહિલનો જન્મ ભાવનગર રાજ્યના રાજમહેલ નિલમબાગ પેલેસમાં 23મી ડિસેમ્બર, 1933ના રોજ થયો હતો. હાલમાં તેઓ ભાવનગરના ગૌરીશંકર તળાવને કિનારે આવેલા ભાવવિલાસ પેલેસમાં નિવાસ કરે છે.તેમણે ૧૯૭૫માં ભાવનગરમાં “ઘી ભાવનગર વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી”ની સ્થાપના કરી હતી. તેમને વારસામાં મળેલાં ભાલનાં વેળાવદર ગામ પાસેની સમગ્ર જમીન વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવા માટે ભારત સરકારને ભેટ આપીને પોતાનો હક્ક જતો કર્યો હતો.

શિવભદ્રસિંહજી ગોહિલ 1962  થી 1972  દરમિયાન કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડીને ધારાસભ્ય પદે પણ રહ્યા હતા. જો કે ત્યારબાદ તેમણે વન્ય-સંરક્ષણની પ્રવૃત્તિમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગુજરાત સરકારની સિંહ વિષયક તજજ્ઞોની સમિતિનું જ્યારથી ગઠણ થયું છે ત્યારથી તેઓ તેના સભ્ય છે. સિંહોની વસ્તી ગણતરી સમયે તેમણે સેવાઓ આપી હતી.

તૂટતાં સપનાં, સંબંધ, ક્રિકેટ ને એવુંબધું…

ઈન્ડિયન ટેલિવિઝન પર આવતી બીબાંઢાળ સિરિયલનો પૉપ્યુલર ઍક્ટર સિકંદર અગરવાલ (અર્જિત તનેજા) જયપુર એરપોર્ટ પર લેન્ડ થાય છે. બહાર પ્રશંસકનાં ટોળેટોળાં છેઃ કૅમેરાની ક્લિક, ફ્લેશના ઝબકારા, સેલ્ફી, ઓટોગ્રાફ વગેરે આટોપી હીરો ઘરે જઈને મોબાઈલ ચેક કરી પોતાના પ્રચાર અધિકારીને (પીઆરઓને) ઘઘલાવે છેઃ “એરપોર્ટની પોસ્ટને કેમ લાઈક્સ મળ્યા નહીં? ગમે તે કર, પણ મને લાઈક્સ જોઈએ”.

ડિરેક્ટર શરન શર્માની ‘મિસ્ટર ઍન્ડ મિસેસ માહી’નો આ સીન જે સમયમાં આપણે જીવી રહ્યા છીએ એના વિશે ઘણું બધું કહી જાય છે. જો કે ફિલ્મનો (મારા માટે) બેસ્ટ, ઈમાનદારીથી લખાયેલો, ચિત્રિત થયેલો સીન છેઃ માતા-પુત્ર (ઝરીના વહાબ અને રાજકુમાર રાવના)નો સંવાદ. પોતાના ટીવી-ઍક્ટર ભાઈની પ્રસિદ્ધની ઈર્ષ્યા, જીવનમાં ખાસ કંઈ ન કરી શકવાનો વસવસો તથા પત્નીની સફળતાનું શ્રેય લેવાના મરણિયા પ્રયાસ કરતા પુત્રને માતા કહે છે કે “શું પ્રસિદ્ધિ જ ખુશી આપી શકે? પ્રસિદ્ધિ તો અફીણના નશા જેવી છે. આજની પેઢી પ્રસિદ્ધિ પામવાની એક એવી જીવલેણ દૌડ લગાવી રહી છે, જેની ફિનિશિંગ લાઈન જ નથી. ખુશી તો અંદરથી અનુભવવાની ચીજ છે”.

ઊલટી થઈ આવે એવી ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવામાં બરબાદ થઈને આજીવન નાખુશ રહેતી પેઢીને આ સીન-સંવાદ ઘણું બધું કહી જાય છે. ફિલ્મની વાર્તા જોઈએ તો, જયપુરનો મહેન્દ્ર ‘માહી’ અગરવાલ (રાજકુમાર રાવ) ક્લબ, ઝોનલ મૅચો રમતો ક્રિકેટર છે. ઈન્ડિયન ક્રિકેટટીમમાં સહભાગી થવાના નિષ્ફળ પ્રયાસ બાદ એ આજકાલ પિતા (કુમદ મિશ્રા)ના સ્પૉર્ટ્સ સ્ટોરમાં ભવિષ્યના વિરાટ કોહલીઓને બૅટ-બૉલ, વેચે છે, જેમાં એને જરાયે રસ નથી. મહેન્દ્રનાં અરેન્જ્ડ મેરેજ મેડિકલ કૉલેજમાંથી નીકળેલી ડૉ. મહિમા ‘માહી’ (જાહ્નવી કપૂર) સાથે થાય છે. એ રીતે ડિરેક્ટર ફિલ્મને એનું શીર્ષક મળે છેઃ ‘મિસ્ટર ઍન્ડ મિસેસ માહી’. મેરેજ પછી પતિ-પત્નીને ખબર પડે છે કે બન્ને ક્રિકેટના ઝનૂની પાગલ છે. લગ્ન બાદ મહેન્દ્ર ફરી ક્રિકેટમાં ટ્રાય કરે છે, પણ એને હાથ નિષ્ફળતા જ આવે છે. દરમિયાન મહેન્દ્ર નોંધે છે કે અર્ધાંગિનીમાં ક્રિકેટની ટેલન્ટ ભરપૂર છે એટલે એ માહીને પ્રોફેશનલ ક્રિકેટર બનાવવા એનું કોચિંગ શરૂ કરે છે. અહીંથી બન્નેનો એક નવો પ્રવાસ શરૂ થાય છે. વાટમાં આવે છે રિષીકેશ મુખર્જીની અભિમાન જેવી ઈર્ષ્યા, અસલામતી, હતાશા… આ બધાંની સાથે પનારો પાડતો મહેન્દ્ર કેવી રીતે પત્નીનો આધારસ્તંભ બની શકે?

બાળપણનું સપનું, એ સપનાને વાસ્તવિકતામાં પલટવાનો સંઘર્ષ તથા આત્મખોજની વાત કહેતી ‘મિસ્ટર ઍન્ડ મિસેસ’માં મૂળ વાત છે કોચ અથવા જીવનસાથીની, જેમની કદી નોંધ લેવાતી નથી. અગરવાલ-પરિવારમાં આવી એક કોચ છેઃ મહેન્દ્રની માતા (ઝરીના વહાબ). બીજા છે મહેન્દ્રના ક્રિકેટકોચ રહી ચૂકેલા બેની દયાલ શુક્લા (રાજેન્દ્ર શર્મા). જો કે એથીયે મહત્વની વાત અહીં છે હેપિનેસની. આનંદ-ઉલ્લાસની. શું પ્રસિદ્ધિ જ માણસને હેપિનેસ આપી શકે? ફિલ્મ દર્શકને ખુશ રહેવાની વ્યાખ્યા માંડી આપે છે, પણ એ માટે ખૂબબધો ટાઈમ લીધો છે.

મધ્યાંતર પહેલાં ડિરેક્ટરે વાર્તા, પાત્રોની માંડણી કરવામાં સમય લીધો છે, જેના કારણે ફિલ્મ ડેડ પિચ પર રમાતી પાંચ-દિવસીય ટેસ્ટ મૅચની ગતિએ આગળ વધે છે. મધ્યાંતર બાદ ફિલ્મ ફંટાઈ જાય છે. અચાનક મહેન્દ્રનો આંતરિક સંઘર્ષ કેન્દ્રસ્થાને આવી જાય છે. સતત પત્નીની પડખે રહેતો પતિ માત્ર એક પ્રસંગ બાદ મહિમાની તરક્કીમાં રસ લેવાનું બંધ કરી દે? એ વાત ગળે ઊતરતી નથી.

બીજું, પ્રોફેશનલ ક્રિકેટ (કે કોઈ પણ સ્પૉર્ટ્સ)માં આટલી સરળતાથી ટોચ પર પહોંચી શકાય? “રજા છે તો વાળ કપાવી આવું” જેટલી સરળતાથી માહી દાક્તરી છોડીને ક્રિકેટમાં ઝંપલાવી દે છે. ભારતનાં લાખ્ખો બાળકોની જેમ, બાળપણમાં શેરીમાં રમવાથી વિશેષ એણે સ્પોર્ટ્સમાં કંઈ ઉકાળ્યું ન હોવા છતાં? આનાથી એક ખોટો મેસેજ જાય છે કે સ્પોર્ટ્સમાં ટોચ પર પહોંચવું જરાય અઘરું નથી.

ડિરેક્ટર શરન શર્મા અને જાહ્નવીએ આ પહેલાં આપણને ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ આપી છે. ‘મિસ્ટર ઍન્ડ મિસ્સ માહી’ માટે જાહ્નવીએ બે વર્ષ ટ્રેનિંગ લીધી છે, જે પરદા પર દેખાય છે, રાજકુમાર રાવ રાબેતા મુજબ સ-રસ. કુમુદ મિશ્રા, રાજેશ શર્મા, વગેરેએ પણ કમાલનું કામ કર્યું છે. એટલું કહી શકાય કે ફિલ્મનાં વિષયવસ્તુ સારાં છે, કલાકારકસબીની મહેનત પણ દેખાય છે. દર્શક સાથે તાલ મિલાવવા સંઘર્ષ કરતી આશરે સવાબે કલાકની ફિલ્મ ઉમદા અભિનય માટે જોઈ શકાય.

પ્રજ્વલ રેવન્નાની 35 દિવસ પછી બેન્ગલુરુ પોલીસે કરી ધરપકડ

નવી દિલ્હીઃ મહિલાઓના યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા JD (S)ના સસ્પેન્ડેડ નેતા પ્રજ્વલ રેવન્ના જર્મનીથી 35 દિવસ પછી અહીં પહોંચ્યાની થોડી મિનિટો પછી તપાસ કરી રહેલી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT) ધરપકડ કરી હતી અને તેમને પૂછપરછ માટે લઈ ગઈ હતી.

સાંસદ પ્રજ્વલ રેવન્ના (33)ના પરત ફરતાં બેંગલુરુ માટે CIDની ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. SIT પ્રજ્વલની પોટેન્સી (પુરુષત્વ)ની તપાસ કરવા પર પણ વિચાર કરી રહી છે. રેવન્નાએ ધરપકડથી બચવા માટે છેલ્લા પ્રયાસ રૂપે જામીન અરજી માટે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં.

પ્રજ્વલની વિરુદ્ધ સૌન શોષણના ત્રણ કેસ નોંધાયેલા છે. જોકે તેમની માતાએ કથિત અપહરણ મામલે જામીનની વિનંતી કરી હતી.

જનતા દળ (સેક્યુલર)ના નેતા એચ. ડી. દેવેગૌડાના દોહિત અને હાસન લોકસભા ક્ષેત્રથી NDAના ઉમેદવાર પ્રજ્વલ પર મહિલાઓના યૌન શોષણનો આરોપ છે. તેમની વિરુદ્ધ અત્યાર સુધી યૌન ઉત્પીડનના ત્રણ કેસો નોંધાયા છે. આ ઉપરાંત રેવન્ના પર કેટલાય ગંભીર આરોપ લાગેલા છે. તેમના પર મહિલાઓની સાથે બળાત્કારના આરોપ તો છે, પણ એ સાથે-સાથે તેમની પર પીડિત મહિલાઓને બ્લેકમેઇલ કરવાના પણ આરોપ છે.

આ મામલામાં તેમના પિતા પણ એક આરોપી છે, પણ થોડા દિવસો પહેલાં તેમને જામીન આપવામાં આવ્યા હતા.લોકસભા ચૂંટણીમાં રેવન્નાનું આ સેક્સ કૌભાંડ મોટો મુદ્દો બની ચૂક્યો છે. વિપક્ષ દ્વારા વડા પ્રધાન મોદી અને ભાજપર હુમલા કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ આ કેસને સીધેસીધો મહિલાઓની સુરક્ષા સાથે જોડ્યો હતો.

 

 

 

 

 

 

મુંબઈ: 55માંથી 13 મૉલ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા

મુંબઈ ફાયર બ્રિગેડ (MFB)એ મુંબઈના 55 મૉલનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જાણવા મળ્યુ કે તેમાંથી 13 મૉલ ફાયર સેફ્ટી અધિનિયમનું પાલન નથી કરી રહ્યાં. એ નિરીક્ષણ રાજકોટના એક મૉલમાં ગેમિંગ ઝોનમાં લાગેલી આગ બાદ શરૂ કરવામાં આવ્યું. રાજકોટ આગ દુર્ઘટનામાં 28 લોકોના મોત થયા છે.

MFBએ ખુલાસો કર્યો કે આ 13 મૉલને નગર નિકાય તરફથી નોટીસ મોકલવામાં આવશે. તેણે આગામી 30 દીવસની અંદર ફાયર સેફ્ટીને લઈ વિવરણ મોકલવું પડશે. આ સાથે જ એ મૉલને પણ નોટીસ મોકલવામાં આવી છે જ્યાં ફાયર સેફ્ટી મશીન કામ ન કરી રહ્યાં હોય અથવા તો તેને સમારકામની જરૂર હોય.

મુંબઈમાં 69 મૉલ છે, જોકે, તેમાંથી ત્રણ વર્તમાનમાં વિભિન્ન કારણોસર બંધ છે. સ્કૂલમાં ઉનાળુ વેકેશનને કારણે શહેરના મૉલમાં ટ્રાફિર વધી ગયો છે. મૉલની ફાયર સેફ્ટીનું નિરીક્ષણ કરવા માટે એમએફબીએ રવિવારે 19મેના રોજ નિરીક્ષણ પ્રક્રિયા શરી કરી હતી.

નિરીક્ષણ દરમિયાન સામે આવ્યું કે કેટલાક મૉલમાં ફાયર સેફ્ટીની સુવિધા વગર ચાલી રહ્યા હતાં.ઉદાહરણ તરીકે કેટલાક મૉલમાં ફાયર સેફ્ટીમાં માત્ર એક જૉકી પંપ હતો, જેને પણ સમારકામની જરૂર હતી. એ બાબત પર ધ્યાન આપવું જરૂરી છે દરેક મૉલ પાસે ફાયર NOC હોય. પરંતુ એ મૉલ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા કારણ કે તે ફોર્મ બી પ્રદાન કરવામાં નિષ્ફળ રહ્યાં.

ફોર્મ બી અગ્નિ અધિનિયમ હેઠળ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જેને દર છ મહીને રિન્યુ કરાવવાની આવશ્યકતા હોય છે. જેમાં વર્તમાન ફાયર સેફ્ટી અંગે તમામ માહિતી ઉપલ્બધ હોય છે. NOC હોવા છતાં મૉલે દર છ મહીને ફાયર સેફ્ટીનો ડેટા અપડેટ કરવો અનિવાર્ય છે.

ફાયર સેફ્ટીનું ઉલ્લંઘન કરનાર મૉલ એચ વેસ્ટ વોર્ડમાં વધારે છે, જેમાં બાંન્દ્રા, સાન્તાક્રુઝ અને ખારનો સમાવેશ થાય છે. આ વૉર્ડમાં ત્રણ મૉલ નિયમોનું ઉલ્લંઘન કરતા સામે આવ્યા. ત્યાર બાદ ડી વૉર્ડ, પી/સાઉથ વોર્ડ અને આર/સેન્ટ્રલ વોર્ડ છે, જેમાંથી બે મૉલ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતા દેખાયા છે. નિરીક્ષણી કામગીરી પૂર્ણ થયા બાદ નાગરિક પ્રાધિકરણ એ મૉલને નોટીસ મોકલશે જે અત્યાર સુધીમાં નિયમોનું ઉલ્લંઘન કરતા સામે આવ્યાં છે.

 

રાજ્યમાં ગરમીનું જોર યથાવત્, 9 જિલ્લામાં 40 ડિગ્રી પાર તાપમાન

રાજ્યમાં ગરમીએ કાળો કહેર વરસાવ્યો છે. બીજી બાજુ કેરળમાં ચોમાસાનું આગમન થયું છે. તો હવે રાજ્યવાસી આતુરતાથી ગુજરાતમાં ચોમાસાની રાહ જોય રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર તારીખ 15 જૂન અને હવામાન નિષ્ણાત અંબાલાલ પેટલની આગાહી પ્રમાણે આગામી 4 જૂનથી રાજ્યમાં વરસાદના વધામણા થઈ જશે. રાજ્યના 9 જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જોવા મળ્યો.

દેશમાં ચોમાસાની દસ્તક સાથે ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જ્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી તાપમાન યથાવત્ રહેવાની આગાહી વ્યક્ત કરી હતી. આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ આ પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. મહત્વનું છે કે, આગામી બે દિવસ દરમિયાન કચ્છ, બનાસકાંઠા ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં 25થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

ગઈ કાલે દિવસ દરમિયાન ગુજરાતના 9 શહેરોમાં 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું હતું, જેમાં અમદાવાદ, ગાંધીનગર, ડીસા, આણંદ, કચ્છનુ કંડલા, અમરેલી, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર માં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ગુજરાતમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર શહેરમાં 43.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.  ગુજરાતમાં હાલમાં આગામી 7 દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહીંવત છે. આ ઉપરાંત પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત પણ વરસાદની શક્યતા સેવાઈ રહી નથી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલથી ભારતમાં કેરળ ઉત્તર પૂર્વીય રાજ્યમાં ચોમાસું દસ્તક દેશે.

દિલ્હીમાં જળસંકટની વચ્ચે SC પહોંચી કેજરીવાલ સરકાર

નવી દિલ્હીઃ દિલ્હી હાલના સમયે જળસંકટથી ઝઝૂમી રહી છે અને એના માટે રાજકીય પક્ષો એકમેક પર આરોપ લગાવી રહ્યા છે. એ દરમ્યાન ભીષણ ગરમીમાં પાણીની ખેંચની વચ્ચે દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે. મુખ્ય મંત્રી કેજરીવાલે પણ ભાજપ શાસિત રાજ્યોમાંથી વધુ પાણી આપવાની અપીલ કરી છે.

કેજરીવાલની માગ છે કે જળસંકટને જોતાં હરિયાણા, Up અને હિમાચલ પ્રદેશથી એક મહિના માટે વધારાનું પાણી મળે. દિલ્હી સરકારે આ અરજી એવા સમયે કરી છે, જ્યારે જળસંશાધન મંત્રી આતિશીએ હાલમાં ભાજપ શાસિત રાજ્ય હરિયાણા પર દિલ્હીના ભાગનું યમુનાનું પાણી અટકાવવા માટે આરોપ લગાવ્યો છે.

આતિશીએ હરિયાણા પર પહેલી મેથી દિલ્હીના ભાગનું પાણી નહીં આપવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે આવનારા દિવસોમાં યમુનાના પાણીના પુરવઠામાં સુધારો નહીં થયો તો સરકાર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે.

કેજરીવાલે કહ્યું હતું કે પાણીની માગ વધી ગઈ છે અને અમારા ભાજપના સાથી ધરણાં કરી રહ્યા છે. એનાથી સમાધાન નહીં નીકળે. ભાજપ હરિયાણા અને UP સરકારથી એક મહિના માટે પાણી અપાવી દે તો ખૂબ પ્રશંસા કરીશું.

કેજરીવાલે X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે દેશમાં અભૂતપૂર્વ ગરમી પડી રહી છે, જેને કારણે દેશમાં પાણીનું સંકટ થયું છે. દિલ્હીને જે પાણી પડોશી રાજ્યોથી મળતું હતું, એમાં કાપ મૂકવામાં આવ્યો છે. આ મુશ્કેલીના સમયમાં આપણે સૌએ મળીને આનું નિવારણ કરવું પડશે.

 

 

 

 

 

 

કોરાનાના 17 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 સિંગાપુરમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. અંદાજ છે કે જૂનના મધ્યમમાં કે અંત સુધીમાં સિંગાપુરમાં કોરોના કેસ ચરમસીમાએ પહોંચવાની વકી છે.  US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ મુજબ FLiRT (ફ્લિર્ટ) નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ નવા વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારો થયો છે. વધતા સંક્રમણને પગલે સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,616 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,05,860 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 73 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 307 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,622 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 8 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો