Home Blog Page 180

કોંગ્રેસી ધારાસભ્યોને લાંચની ઓફર આપવાના આરોપમાં ભાજપના બે નેતાની ધરપકડ

બેંગલુરુઃ કર્ણાટક પોલીસે રવિવારે આઉટર બેંગલુરુમાંથી ભાજપના બે નેતાઓની ધરપકડ કરી છે. તેમના પર રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ-વોટિંગ કરાવવા માટે ઓડિશા કોંગ્રેસના આઠ ધારાસભ્યોને પ્રતિ વ્યક્તિ 5-5 કરોડ રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. ધરપકડ કરાયેલા બંનેની ઓળખ બિરેન્‍દ્ર પ્રસાદ અને બ્યાતારાયણપુરા સુરેશ તરીકે થઈ છે. આ કેસમાં અન્ય બે આરોપી — અજિત કુમાર સાહુ અને સિમાન્ચલ મહાકુડ — હજુ ફરાર છે.

બેંગલુરુ સાઉથના પોલીસ અધિક્ષક શ્રીનિવાસ ગૌડા આરએ જણાવ્યું હતું કે આરોપીઓને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 173 (ચૂંટણીમાં લાંચ) અને 352 (શાંતિ ભંગ કરવા અથવા અન્ય ગુનો કરવા માટે ઇરાદાપૂર્વક અપમાન કરવું) તેમ જ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ કલમ હેઠળ કોઈ સરકારી કામ કરવા કે ન કરવા બદલ સીધી રીતે અથવા તૃતીય પક્ષ મારફતે ગેરકાયદે લાંચ માંગવી અથવા સ્વીકારવી ગુનો ગણાય છે.

કોંગ્રેસના ધારાસભ્યોને લાંચ આપવાનો પ્રયાસ

ઓડિશામાં કોંગ્રેસ વિધાનમંડળ દળના ઉપનેતા અશોકકુમાર દાસે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે તેમના ધારાસભ્યોનું અપહરણ કરવાની ભાજપની કથિત યોજનાની ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે આ ધરપકડ કરવામાં આવી. એક પોલીસ અધિકારી મુજબ ચારેય આરોપીઓ બેંગલુરુના વન્ડરલા રિસોર્ટમાં પ્રવેશવામાં સફળ થયા હતા અને ત્યાં રોકાયેલા ઓડિશા કોંગ્રેસના ધારાસભ્યોને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસના પ્રથમ વખત ચૂંટાયેલા આઠ ધારાસભ્યોને “ક્રોસ-વોટિંગના જોખમ”થી બચાવવા માટે રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. આ ધારાસભ્યોમાં રાજન એક્કા, અશોક દાસ, અપ્પાલા કુમાર સ્વામી, મંગુ કિલો, પવિત્ર સોઉંથા, નીલમાધવ હિક્કા, પ્રફુલ્લ પ્રધાન અને સત્યજિત ગોમોંગોનો સમાવેશ થાય છે.

 આજે મતદાન

ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે સોમવારે ચૂંટણી યોજાઈ રહી છે. સત્તારૂઢ ભાજપે ત્રણ ઉમેદવાર અને બિજુ જનતા દળ (BJD)એ એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. BJDએ કોંગ્રેસના સમર્થન સાથે પ્રખ્યાત યુરોલોજિસ્ટ ડૉ. દત્તેશ્વર હોતાને પણ ઉમેદવાર બનાવ્યા છે, જે ઓડિશા મેડિકલ યુનિવર્સિટીના પૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે. 147 સભ્યોની ઓડિશા વિધાનસભામાં જીતવા માટે દરેક ઉમેદવારને 30 મત જરૂરી છે. હાલ વિપક્ષી BJD પાસે 48 અને કોંગ્રેસ પાસે 14 ધારાસભ્યો છે.

Oscar 2026: ઓસ્કારના રેડ કાર્પેટ પર નિક અને પ્રિયંકા છવાયા

પ્રિયંકા ચોપરાએ 2026 ના ઓસ્કાર(Oscar 2026)માં રેડ કાર્પેટ પર પતિ નિક જોનાસ સાથે શાનદાર એન્ટ્રી કરી હતી.

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ આ વર્ષે ઓસ્કારમાં એવોર્ડ પ્રેઝન્ટર તરીકે હાજરી આપી હતી. તે તેના પતિ નિક જોનાસ સાથે રેડ કાર્પેટ પર જોવા મળી હતી. બંનેએ રેડ કાર્પેટ પર સાથે પોઝ આપ્યા હતા અને પાપારાઝી સામે બંનેએ સરસ પળો શેર કરી હતી.

પ્રિયંકા સુંદર સ્ટ્રેપલેસ સફેદ ગાઉનમાં દેખાઈ

આ શાનદાર સાંજ માટે પ્રિયંકાએ એક અદ્ભુત સ્ટ્રેપલેસ સફેદ ડાયોર ગાઉન પસંદ કર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પ્રિયંકાએ કાળા પોઇન્ટેડ હીલ્સ અને ચમકતા ડાયમંડ નેકલેસથી પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. તેના વાળ સીધા અને સ્લીક હતા. તેનો મેકઅપ લાઈટ અને ચમકતો હતો.

આ કપલ ક્લાસિક રેડ કાર્પેટ લુકમાં જોવા મળ્યું હતું

નિક જોનાસ ક્લાસિક બ્લેક વેલ્વેટ ટક્સીડો, સફેદ શર્ટ અને બો ટાઈમાં સ્ટાઇલિશ દેખાતો હતો. તેમના પોશાક ક્લાસિક રેડ કાર્પેટ માટે એકદમ પર્ફેક્ટ હતાં.

રેડ કાર્પેટ પર પહોંચતા પહેલા પ્રિયંકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના ચાહકો સાથે તેની તૈયારીઓની ક્લિપ્સ શેર કરી. એક ટૂંકા વિડીયોમાં તે નિક જોનાસ સાથે સફેદ ડાયોર ગાઉનમાં એવોર્ડ સમારોહ માટે તૈયાર થતી જોવા મળી.

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ આ વર્ષના ઓસ્કારમાં પ્રેઝન્ટર તરીકે હાજરી આપી હતી. તેણીએ સ્પેનિશ અભિનેતા જેવિયર બાર્ડેમ સાથે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીના વિજેતાઓની જાહેરાત કરી હતી.

PM મોદીની મિમિક્રી કરવી પડી ભારેઃ સરકારી શિક્ષક સસ્પેન્ડ

ભોપાલઃ મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં LPG સિલિન્ડરની વધતી કિંમતો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈલીની મિમિક્રી કરીને બનાવેલો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયા બાદ એક સરકારી શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સત્તારૂઢ ભાજપના એક ધારાસભ્યની ફરિયાદ પછી કરવામાં આવી હતી. આ નિર્ણય પર પ્રશ્ન ઉઠાવતાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંઘારે કહ્યું હતું કે હવે લોકતંત્રમાં પ્રશ્ન પૂછવો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ ગુનો બની ગઈ છે.

જિલ્લા શિક્ષણ અધિકારી વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પોહરી વિકાસખંડના એક સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક સાકેત પુરોહિતે તાજેતરમાં એક વિડિયો બનાવી સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે વિડિયોમાં તેમણે વડા પ્રધાનની શૈલીની મિમિક્રી કરીને ગેસ સિલિન્ડરની કિંમતો અંગે વ્યંગાત્મક ટિપ્પણી કરી હતી.

આ વિડિયોમાં શિક્ષક કહેતા દેખાય છે કે ગેસના ભાવ વધવાથી લોકો ફરી ચુલા પર બનાવેલી રોટલી ખાવા લાગશે, જેને કારણે અમીર અને ગરીબ વચ્ચેનું અંતર ઓછું થઈ જશે. શિક્ષકનો આ વિડિયો સોશિયલ મિડિયામાં ઝડપથી વાયરલ થયો હતો. ત્યાર બાદ પિછોર વિસ્તારના ભાજપ ધારાસભ્ય પ્રીતમ લોધીએ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માગ કરી હતી.

શું છે આરોપ?

આ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે એક સરકારી શિક્ષક દ્વારા આ રીતે વડા પ્રધાન અને જનપ્રતિનિધિઓની મિમિક્રી કરીને ટિપ્પણી કરવી સરકારી સેવા આચરણ નિયમો વિરુદ્ધ છે. તેમનું કહેવું હતું કે આથી સમાજમાં અયોગ્ય સંદેશ જાય છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ કરાવી, જેમાં શિક્ષકનું કૃત્ય શાસકીય સેવકોના આચરણ નિયમો સામે હોવાનું માનવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ત્યાર બાદ મધ્ય પ્રદેશ સિવિલ સેવા નિયમો હેઠળ સાકેત પુરોહિતને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સસ્પેન્ડ કરાયેલા શિક્ષક સાકેત પુરોહિતે કાર્યવાહી એકતરફી હોવાનું કહી જણાવ્યું હતું કે તેમને ન તો કારણ બતાવો નોટિસ આપવામાં આવી અને ન પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળી. તેમણે કહ્યું હતું કે સાંભળ્યા વિના લેવાયેલો નિર્ણય યોગ્ય નથી.

રમજાનમાં કરાચી બેહાલ: ગેસની અછતથી જનતાની મુશ્કેલીઓ અનેક ગણી વધી

કરાચીઃ રમજાનના પવિત્ર મહિનામાં પાકિસ્તાનનું કરાચી શહેર ગંભીર ગેસ સંકટનો સામનો કરી રહ્યું છે. શહેરના 70 ટકાથી વધુ વિસ્તારોમાં ગેસ સપ્લાય લગભગ ઠપ થઈ ગઈ છે, જેના કારણે રોજા રાખનારાઓને સેહરી અને ઇફ્તાર તૈયાર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક મિડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મિડિયા પરની ફરિયાદોથી સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ થાય છે.

 અઘોષિત ગેસ કાપથી હાહાકાર

સુઈ સધર્ન ગેસ કંપની (SSGC)ના નેટવર્કમાં ગેસ પ્રેશર એટલું ઓછું છે કે ઘણા વિસ્તારોમાં 12થી 15 કલાક સુધી અઘોષિત લોડશેડિંગ થઈ રહ્યું છે. જ્યારે સરકારે માત્ર રાત્રે જ કાપ કરવાની વાત કરી હતી. ગેસ ન મળતા લોકો મજબૂરીમાં 3000થી 4,000 રૂપિયા પ્રતિ સિલિન્ડર જેટલું મોંઘું LPG ખરીદવા મજબૂર બન્યા છે.

 ઈરાન સંઘર્ષની અસર: LNG સપ્લાય પર સંકટ

કરાચીમાં સર્જાયેલું ગેસ સંકટ ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધીને કારણે વધુ ગંભીર બન્યું છે, જેને કારણે LNG આયાત પર ભારે અસર પડી છે. છેલ્લાં બે અઠવાડિયાથી ચાલી રહેલા મધ્ય-પૂર્વ સંઘર્ષને કારણે સમુદ્રી માર્ગ અવરોધિત થતાં પહેલાંથી જ દબાણ હેઠળ રહેલી શહેરની ગેસ વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ છે.

 જાહેરાત વગર ગેસ સપ્લાયનો સમય બદલાયો

પરિસ્થિતિ બગડતાં SSGCએ શાંતિથી નવો સપ્લાય સમયપત્રક અમલમાં મૂક્યો છે.

સેહરી માટે: સવારે 3:30થી 6:00 સુધી

ઇફ્તાર પહેલાં: સાંજે 3:30થી 7:00 સુધી

પરંતુ આ સમયમાં પણ ગેસ પ્રેશર એટલું ઓછું રહે છે કે સામાન્ય રીતે રસોઈ બનાવવી લગભગ અશક્ય બની જાય છે.

 અનેક વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત

ક્લિફ્ટન, DHA, નોર્થ કરાચી, ફેડરલ B એરિયા, ગુલબર્ગ અને ઓરંગી ટાઉન જેવા ઘણા વિસ્તારોમાં ઘણા દિવસોથી ગેસ ખૂબ ઓછા પ્રેશરમાં આવી રહ્યો છે અથવા બિલકુલ નથી આવતો. લોકોનું કહેવું છે કે સપ્લાય માત્ર થોડી મિનિટો માટે આવે છે અને તેમાં પણ પ્રેશર એટલું ઓછું હોય છે કે ચૂલો સળગાવવો મુશ્કેલ બની જાય છે.

મોંઘવારી અને રમજાનથી મુશ્કેલીઓ વધી

ગેસ સંકટ વચ્ચે LPGના વધેલા ભાવોએ ઘરના બજેટ પર ભારે અસર પાડી છે. પહેલેથી ચાલી રહેલી મોંઘવારી અને રમજાનના વધેલા ખર્ચ વચ્ચે ગેસની અછતથી જનતાની મુશ્કેલીઓ અનેક ગણી વધી ગઈ છે. લોકો હવે ઇલેક્ટ્રિક સ્ટોવ અને અન્ય મોંઘા વિકલ્પો અપનાવવા મજબૂર બન્યા છે.

સ્વર્ગ કે નર્ક – બધું આપણા દૃષ્ટિકોણ પર નિર્ભર

સદગુરુ: તમને જે કોઈપણ પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા હોય, તમે તેને કાં તો તેને આશીર્વાદમાં પલટાવી શકો છો અથવા તો તેને શાપરૂપ બનાવી શકો છો. સૌથી ભયાનક પરિસ્થિતિને પણ તમે ઘણી જ પ્રભાવશાળી રીતે સંભાળી શકો છો. દ્વિતીય વિશ્વ યુદ્ધની એક ચોક્કસ ઘટના છે. 13 વર્ષની એક છોકરી હતી. તે સમયે, 1939માં હિટલર ઓસ્ટ્રિયામાં યહૂદીઓને કોન્સન્ટ્રેશન કેમ્પ (કેદીઓને એકત્રિત કરીને એક સ્થળે રાખવાની જગ્યા)માં રાખતો હતો. એક સરસ મજાની સવારે સૈનિકો યહૂદીઓનાં ઘરોમાં ઘૂસીને અને પુખ્તો તથા બાળકોને વિખૂટાં પાડીને લઈ જતા હતા.

13 વર્ષની એક છોકરી અને તેના આઠ વર્ષના ભાઈને રેલવે સ્ટેશને લઈ જવામાં આવ્યાં. તે સમયે શિયાળો શરૂ થયો હતો અને ઓસ્ટ્રિયામાં ઠંડી પ્રસરવા માંડી હતી. સમૃદ્ધ પરિવારનાં એ બાળકો ત્રણ દિવસ સુધી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર રહ્યાં. તેમનાં માતા-પિતાને ક્યાં લઈ જવાયાં તેની તેમને ખબર ન હતી. પણ બાળકો થોડા સમય માટે જ દુખી રહ્યાં, ત્યાર પછી તેમને કશુંક મળી ગયું અને બંને રમવા માંડ્યાં. છોકરો ફૂટબોલ જેવી કોઈ રમત રમવા માંડ્યો. ત્રણ દિવસ પછી એક ગુડ્ઝ ટ્રેઇન આવી અને દરેક વ્યક્તિ તેના ડબ્બામાં ધકેલી દેવાઈ. તે સમયે છોકરીનું ધ્યાન ગયું કે તેનો ભાઈ તેનાં શૂઝ પહેરવાનું ભૂલી ગયો હતો. તેને ઘણો ગુસ્સો આવ્યો. તેણે તેના ભાઈનો કાન આમળ્યો અને ગાલ પર તમાચો લગાવી દીધો, કારણ કે આવી હાડ ગાળતી ઠંડીમાં શૂઝ વિના ટકવું ઘણું કપરૂં હતું. ત્યાર પછીના સ્ટેશને છોકરા-છોકરીઓને અલગ પાડી દેવાયાં.

સાડા પાંચ વર્ષ પછી, 1945માં, તે છોકરી કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી બહાર આવી. તેને જાણવા મળ્યું કે તેના પરિવારના તમામ સભ્યો મોતને ભેટ્યાં હતાં, જેમાં તેના નાના ભાઈનો પણ સમાવેશ થતો હતો. તે ક્ષણે, રહી-રહીને તેને એક જ વાત યાદ આવતી હતી – નાના ભાઈ સાથે વીતાવેલી છેલ્લી ક્ષણો. તેનો કાન આમળીને અને તેને તમાચો મારીને તેણે તેની સાથે કેટલું ખરાબ વર્તન કર્યું હતું. તે પછી તેણે સંકલ્પ કર્યો, ‘આજથી, હું જેને પણ મળું, જે પણ ચહેરો મારી નજર સામે આવે, તેની સાથે હું એવી રીતે વાત કરીશ કે જાણે તેની સાથેની મારી તે છેલ્લી વાતચીત હોય, જેથી મને સંતાપ ન થાય.’

જો તમે સજાગ હોવ, જો તમે દરેક માનવીમાં જે છે તેના સંપર્કમાં છો, અને તમને નર્કમાં મૂકવામાં આવે, તો ત્યાં પણ તમે તમારૂ જીવન બનાવી શકો છો. અન્યથા, તમને સ્વર્ગમાં મૂકવામાં આવે, તો પણ તમે ખરાબી જ કરશો. કોણે તમને કહ્યું છે કે તમે સ્વર્ગમાં નથી? એ વાતની શું ખાતરી છે કે તમે (ઓલરેડી) સ્વર્ગમાં નથી? ના. તો, તમે એવું શા માટે વિચારો છો કે હજી એવું કોઈ સ્થળ મોજૂદ છે, જે આ જગ્યા કરતાં વધુ સારૂં છે? આના કરતાં પણ વધારે સારૂં સ્થળ અસ્તિત્વ ધરાવે છે – આવો ભયાનક વિચાર એવા લોકોના દિમાગની ઊપજ છે, જેમણે પોતાના અસ્તિત્વને નર્કસમાન બનાવી નાંખ્યું. જો તમે સ્વયંમાંથી સ્વર્ગ બનાવશો, જો તમે પરમ આનંદમાં છો, તો પછી શા માટે તમે અન્યત્ર જવા ઈચ્છશો?

ધારી લો કે આ સ્વર્ગ છે અને તમે તેને ગુમાવી દીધું તો? ધારો કે આ સ્વર્ગ છે અને તમને કદી તેનું ભાન જ ન થયું, તો? – જીવન જીવવાનો આ કેટલો ખરાબ માર્ગ છે! અને હું તમને કહું છું, તમારા અનુભવનો આધાર તમારી અંદર છે. જો તમે તેનો દોરીસંચાર પોતાના હાથમાં લઈ લેશો, તો તમે આ ક્ષણે જ તેનામાંથી સ્વર્ગ ઊભું કરી શકો છો.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કારપદ્મ વિભૂષણઆપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટમાટી બચાવોના સ્થાપક છે જે અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

રાજ્યસભા ચૂંટણી માટે મતદાન શરૂઃ ક્રોસ મતદાનની આશંકા

નવી દિલ્હીઃ બિહાર, હરિયાણા અને ઓડિશામાં રાજ્યસભા ચૂંટણી 2026 માટે વિધાનસભાના મતદાન કેન્દ્રોમાં ધારાસભ્યો મતદાન કરી રહ્યા છે. ત્રણેય રાજ્યોમાં ભાજપ અને વિરોધ પક્ષ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ક્રોસ વોટિંગની આશંકા વચ્ચે આજે મતદાન થઈ રહ્યું છે. હરિયાણા અને ઓડિશા બંને રાજ્યોમાં પક્ષોએ પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં રાખ્યા હતા, જેથી ધારાસભ્યોની ખરીદી-વેચાણ અટકાવી શકાય. બિહારમાં આરજેડીની જીત AIMIMના સમર્થન પર નિર્ભર માનવામાં આવી રહી છે. રાજ્યસભા ચૂંટણી માટે મતદાન 16 માર્ચે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી થશે. મતગણતરી એ જ દિવસે સાંજે પાંચ વાગ્યાથી શરૂ થશે.

બિહાર રાજ્યસભા ચૂંટણીનું ગણિત

બિહારની પાંચ રાજ્યસભા બેઠકો માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં કુલ છ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં સત્તારૂઢ NDAના પાંચ અને વિરોધ પક્ષનો એક ઉમેદવાર છે. મુખ્ય મંત્રી નીતિશ કુમાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પણ ચૂંટણી મેદાનમાં છે. NDAના અન્ય ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રી અને JDUના નેતા રામનાથ ઠાકુર, રાષ્ટ્રીય લોક મોર્ચાના ઉપેન્દ્ર કુશવાહા અને ભાજપ રાજ્ય એકમના મહાસચિવ શિવેશ કુમારનો સમાવેશ થાય છે.

વિરોધ પક્ષ તરફથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના અમરેન્દ્ર ધારી સિંહ ઉમેદવાર છે. RJD પાસે માત્ર 25 ધારાસભ્યો છે. મહાગઠબંધનના સાથીઓના વધારાના 10 મત હોવા છતાં અમરેન્દ્ર ધારી સિંહને જિતાડવા માટે પાર્ટીને ઓછામાં ઓછા વધુ છ ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. RJDને ‘ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ-મુસ્લિમિન’ (AIMIM)ના પાંચ ધારાસભ્યોના સમર્થન પર ખાસ વિશ્વાસ છે.

પાંચમી બેઠક પર અટક્યો છે મામલો

આંકડાકીય રીતે NDA ચાર બેઠકો પર મજબૂત સ્થિતિમાં છે, જ્યારે પાંચમી બેઠક માટે તેની પાસે થોડા મતોની કમી છે. આ કારણે વિરોધ પક્ષે RJDના અમરેન્દ્ર ધારી સિંહને ઉમેદવાર બનાવી ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે.

ઓડિશામાં ક્રોસ વોટિંગની શક્યતા

ચોથી બેઠક માટેનો મુકાબલો રસપ્રદ માનવામાં આવી રહ્યો છે, કારણ કે ભાજપ કે બીજેડી — બંને પાસે જીત માટે પૂરતું સંખ્યાબળ નથી, જેને કારણે ક્રોસ વોટિંગની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 147 સભ્યોની ઓડિશા વિધાનસભામાં ભાજપના 79 ધારાસભ્યો છે અને તેને ત્રણ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. બીજી તરફ, બે ધારાસભ્યોના સસ્પેન્શન બાદ BJD પાસે 48 સભ્યો છે. કોંગ્રેસના 14 ધારાસભ્યો છે અને એક ધારાસભ્ય માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીનો છે.

૧૬ માર્ચ ૨૦૨૬

રાશિ ભવિષ્ય 16/03/2026 થી 22/03/2026

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમારા મનમાં વધુ વિચારો આવવાને કારણે માનસિક થાક અને કામ ટાળવાની વૃત્તિ જોવા મળી શકે છે. તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ અથવા વાદ-વિવાદની સંભાવના ઊભી થઈ શકે છે. નાની બાબતોમાં ગુસ્સો ન આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું અને મુસાફરી દરમિયાન તકેદારી રાખવી. બજારના કામકાજમાં ધ્યાન ઓછું રહેતાં ઉતાવળિયા નિર્ણયો લેવાઈ જાય તેવી સ્થિતિ બની શકે છે. કોઈને વણમાંગી સલાહ ન આપવી. ખટપટ કે મજાક કરનાર લોકોથી દૂર રહેવું વધુ યોગ્ય રહેશે.


આ સપ્તાહ તમને વધુ લાગણીશીલ બનાવી શકે છે. તમારા સ્વભાવમાં અન્યના કામમાં સહભાગી થવાની ભાવના વધશે. મિત્રતા અથવા સગાસ્નેહીઓ સાથે મજાક કરવાની વૃત્તિ પણ જોવા મળી શકે છે. જૂની ઓળખાણ અને જૂની યાદો તમને રોમાંચિત કરી શકે છે. સામાજિક અથવા ધાર્મિક પ્રસંગોમાં તમારી હાજરી પ્રભાવશાળી બની શકે છે. બજારના કામકાજમાં ઉત્સાહ અને સફળતા મળવાની સંભાવના છે. જૂના મતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવી નોકરી અથવા ફેરબદલી માટે સમય અનુકૂળ છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કંઈક નવું શીખવા આ સમય સારો છે.


સપ્તાહ દરમિયાન વાણી પર સંયમ રાખવો જરૂરી છે. ઘર કે કુટુંબના કામકાજમાં ધીરજ રાખવી. ઉતાવળમાં કામ કરતાં ગેરસમજ થવાની શક્યતા છે. ક્યાંક અચાનક ખર્ચ પણ થઈ શકે છે. આરોગ્ય બાબતે પરેજી રાખવી જરૂરી છે. બજારના કામકાજમાં ધીરજ અને અનુભવથી કામ લેવું. અન્યની વાતમાં દોરવાઈ ન જવાય તે માટે વિચારપૂર્વક નિર્ણય લેવો. નોકરી અથવા વ્યવસાયમાં સમયનો દુરૂપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું અને જરૂર પૂરતો જ વ્યવહાર કરવો યોગ્ય રહેશે.


મિલન-મુલાકાત અથવા હરવા-ફરવામાં વધુ સમય પસાર થઈ શકે છે. તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થશે. નવી ઓળખાણથી લાભદાયી ચર્ચા થઈ શકે છે. કુટુંબ અથવા આસપાસના કોઈ જાહેર કાર્યક્રમમાં જવાનો યોગ છે, જેમાં તમારી હાજરીનું મહત્વ દેખાશે. બજારના કામકાજમાં ઉત્સાહ અને નવીન કાર્ય કરવાની વૃત્તિ વધશે. યુવાવર્ગને મિત્રવર્તુળમાંથી સારી માહિતી અને સહયોગ મળી શકે છે. ઘણા સમયથી મનમાં રહેલી વાત રજૂ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ અથવા અશાંતિ અનુભવાઈ શકે છે. વિચારોમાં વધુ ફસાઈ જવાની શક્યતા છે. કોઈની વાતથી ગુસ્સો ન આવે તેનું ધ્યાન રાખવું. બજારના કામકાજમાં ધીરજ અને અનુભવનો થોડો અભાવ દેખાઈ શકે છે, જેના કારણે કામ પર અસર પડી શકે છે. શરદી, ખાંસી, કફ કે તાવ જેવી નાની તકલીફથી પરેશાની રહે તેવી શક્યતા છે. તમારી લાગણી દુભાતી હોય તેવું માનસિક રીતે વધુ લાગે, પરંતુ શાંતિ જાળવી પ્રભુભક્તિમાં મન લગાવશો તો માનસિક શાંતિ અનુભવશો.


મનની કોઈ ઈચ્છા પૂરી થવાના સંકેતો દેખાઈ શકે છે. કોઈ વ્યક્તિ તમારી પસંદગીની વાત જાણે અજાણે કરી જાય તેવા સંજોગો બની શકે છે. ધાર્મિક ભાવના વધશે અને સામાજિક કે ધાર્મિક કાર્યમાં ભાગ લેવાની ઈચ્છા થશે. બજારના કામકાજમાં કોઈ નવા સમાચાર તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. જૂની ઓળખાણ ફરી તાજી થવાથી આનંદ અનુભવશો. વિદ્યાર્થી અથવા યુવાવર્ગને નોકરી કે વ્યવસાયમાં નવી તક અંગે માહિતી મળી શકે છે.


વિદેશ જવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિને સારા સમાચાર અથવા ઉપયોગી માહિતી મળી શકે છે. લગ્નસંબંધિત વાતચીત ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે. જૂની અટકેલી બાબતોમાં પ્રયત્ન કરવાથી નસીબનો સાથ મળી શકે છે. બજારના કામકાજમાં આયોજન અને ગણતરીપૂર્વક કાર્ય કરવાથી સફળતા મળશે. મુસાફરી અથવા પ્રવાસના યોગ છે અને તેમાં આનંદ અનુભવશો. સહકાર આપવાની ભાવના પણ વધશે.


જાહેર જીવનમાં મજાકમસ્તીની વૃત્તિ વધુ જોવા મળી શકે છે, પરંતુ તેમાં કોઈની લાગણી દુભાય નહીં તેનું ધ્યાન રાખવું. ઘર અથવા સગાસ્નેહીઓ સાથેના જૂના મનદુઃખ દૂર કરવાનો પ્રયાસ સફળ થઈ શકે છે. બજારના કામકાજમાં યોગ્ય પ્રતિસાદ મળશે. તમે કરેલા કાર્યથી પ્રતિષ્ઠા વધશે. નવા કાર્યમાં અન્યનો સહયોગ અને માર્ગદર્શન મળશે, જેના કારણે ઉત્સાહ વધશે.


ધીરજનો અભાવ અને અધીરાઈ વધી શકે છે. પડવું, લપસવું અથવા શરદી, ઉધરસ, તાવ કે ઈન્ફેક્શન જેવી તકલીફથી સાવચેત રહેવું. ખટપટ કરનાર લોકોથી દૂર રહેવું. બજારના કામકાજમાં ધીરજ અને તકેદારી રાખવી. કોઈને સલાહ કે માર્ગદર્શન આપતા પહેલા વિચારવું કે તેમાં ગેરસમજ ન થાય. વાર્તાલાપ દરમિયાન વધુ કઠોર શબ્દોનો ઉપયોગ ટાળવો. ધીરજ અને સમજદારીથી વર્તવાથી પરિસ્થિતિ સરળ રહેશે.


યાત્રા અથવા જાત્રાના યોગ બની શકે છે. ધાર્મિક ભાવના અને લોકકલ્યાણના વિચારો વધશે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે મુશ્કેલ વિષયમાં વધુ મહેનત કરવાથી સારા પરિણામ મળશે. બજારના કામકાજમાં લાભની શક્યતા છે. લગ્નસંબંધિત વાતચીત અથવા મુલાકાત માટે અન્યનો સહયોગ લેવો ફાયદાકારક રહેશે. વિદેશ જવાની ઈચ્છા ધરાવનાર માટે કોઈ કાર્યવાહી કરશો તો સારો પ્રતિસાદ મળી શકે છે.


કામકાજમાં વ્યસ્તતા અને માનસિક થાક અનુભવાઈ શકે છે. સમયનો વ્યય વધુ થાય અને સહયોગ ઓછો મળે તેવી સ્થિતિ બની શકે છે. તેથી ધીરજ અને આત્મવિશ્વાસ સાથે કામમાં લાગેલા રહેવું યોગ્ય છે. બજારના કામકાજમાં નિર્ણયશક્તિ થોડું ઓછું દેખાય, છતાં કામ પૂર્ણ થઈ શકે છે. ઘરનાં વડીલો અથવા ઓફિસના અધિકારીઓ સાથે મતભેદ થવાની શક્યતા છે, તેથી “ઓછું બોલવું અને વધુ સાંભળવું” ની નીતિ અપનાવવી યોગ્ય રહેશે. મુસાફરી થોડું કંટાળાજનક બની શકે છે.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભદાયી ચર્ચા થઈ શકે છે. મિત્રો અને સગાસ્નેહીઓ સાથેની મુલાકાતમાં તમારી મનપસંદ વાત સાંભળવા અથવા રજૂ કરવાની તક મળશે. બજારના કામકાજમાં ઉત્સાહ રહેશે. માર્કેટિંગ ક્ષેત્રમાં જૂના સંપર્કોને ફરી સક્રિય કરવાથી લાભ મળી શકે છે. મુસાફરી અથવા પ્રવાસનું આયોજન થઈ શકે છે. પેટ અથવા અપચાની તકલીફથી સાવચેત રહેવું. વડીલવર્ગને જૂની યાદો તાજી થઈ શકે છે અને તેઓ સામાજિક અથવા ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાવાની ઈચ્છા રાખે. કોઈ કાર્યમાં અન્યનો સહયોગ પણ મળી શકે છે.

પંચાંગ 16/03/2026

અફવાઓ પર ધ્યાન ન આપો, સરકારે કહ્યું – ગેસ અને પેટ્રોલનો સ્ટોક ફૂલ છે

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે દેશમાં ઈંધણની અછત અંગે સોશિયલ મીડિયા પર અનેક અફવાઓ ફેલાઈ રહી હતી. પરંતુ કેન્દ્ર સરકારે આ અફવાઓને સંપૂર્ણપણે ખોટી ગણાવીને સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સરકારના જણાવ્યા મુજબ દેશની ઊર્જા સપ્લાય સંપૂર્ણ રીતે સ્થિર છે અને સામાન્ય નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી.

સરકારના નિવેદન મુજબ દેશની તમામ રિફાઈનરીઓ સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત છે અને કાચા તેલનો પૂરતો જથ્થો સંગ્રહમાં રાખવામાં આવ્યો છે. આ માહિતી Ministry of Petroleum and Natural Gas દ્વારા આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે હાલની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને દેશમાં ઈંધણની સપ્લાયમાં કોઈ વિક્ષેપ નથી.

તાજેતરમાં પશ્ચિમ એશિયામાં વધેલા સંઘર્ષને કારણે લોકોમાં ભય ફેલાયો હતો કે કદાચ ભારતમાં ઈંધણની કમી સર્જાઈ શકે. આ કારણે ઘણા લોકો ગેસ એજન્સીઓ અને પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. પરંતુ સરકાર દ્વારા સ્પષ્ટતા કર્યા બાદ હવે આ ગભરાટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

સરકારી આંકડા મુજબ થોડા દિવસ પહેલા એલપીજી બુકિંગનો આંકડો રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. એક દિવસમાં લગભગ 88.8 લાખ બુકિંગ નોંધાઈ હતી, જે સામાન્ય માંગ કરતા ઘણી વધારે હતી. પરંતુ સરકારના વિશ્વાસ બાદ હવે આ આંકડો ઘટીને લગભગ 77 લાખ સુધી આવી ગયો છે, જે દર્શાવે છે કે લોકો હવે ગભરાટમાં બુકિંગ કરતા નથી.

આ સમગ્ર પ્રક્રિયામાં ડિજિટલ માધ્યમનો ઉપયોગ પણ વધ્યો છે. તેલ કંપનીઓએ લોકોને લાંબી લાઈનોમાં ઊભા રહેવા બદલે ઓનલાઇન બુકિંગ કરવાની અપીલ કરી હતી. તેના પરિણામે હવે ઓનલાઇન ગેસ બુકિંગનો દર લગભગ 84 ટકા પરથી વધીને 87 ટકા સુધી પહોંચી ગયો છે.