Home Blog Page 1817

રાજ્ય સરકાર દ્વારા યોગ સમર કેમ્પનો પ્રારંભ

ગાંધીનગર: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી 20મી મે થી 29મી મે સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં 200 જેટલા સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં 7 વર્ષથી લઈને 15 વર્ષના બાળકો ભાગ લે છે. ગત વર્ષે ઓછામાં ઓછા 75 બાળકો સાથે સમગ્ર રાજ્યમાં 100 જેટલાં સ્થળો પર નિઃશૂલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ ઓછામાં ઓછા 100 બાળકો સાથે 200 જેટલાં સ્થળો પર આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના શુભારંભમાં આજે 20,000 બાળકોએ ભાગ લીધો હતો.

કેમ્પનો હેતુ બાળકોને દૈનિક જીવનમાં યોગનું મહત્વ સમજાવવા અને એક નિરોગી ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. બાળકોને કેમ્પમાં યોગના વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિઓ શીખવાડવામાં આવશે. આ કેમ્પમાં બાળકોને યોગના આધારભૂત તત્વો અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.

પંચાંગ 20/05/2024

મુંબઈમાં ધીમી ગતિએ મતદાન, ઉદ્ધવ ઠાકરેએ મતાધિકારનો કર્યો ઉપયોગ

મુંબઈ: લોકસભા ચૂંટણી 2024 માટેના મતદાનના તબક્કા 5 માટે બપોરે 1 વાગ્યા સુધીમાં મુંબઈમાં 27.78 ટકા મતદાન નોંધાયું હતું.શહેરના ત્રણ મતદાન મથકો, એક મુલુંડ (પૂર્વ)માં અને બે પવઈમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં ખામી સર્જાઈ હતી. ઈવીએમ રિપેર કર્યા બાદ આ બે મતદાન મથક પર મતદાન ફરી શરૂ થયું હતું. મુંબઈની છ લોકસભા મતવિસ્તારમાંથી 99,38,621 લાખ મતદારો આજે તેમના મત આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 1 વાગ્યા સુધીમાં 27.28 ટકા મતદાન થયું છે. ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં.

કલ્યાણમાં 22.52 ટકા મતદાન થયું છે. મુંબઈ બેઠકોના મતદાનના આંકડા પર નજર કરીએ તો

મુંબઈ નોર્થ- 26.78 ટકા મતદાન
મુંબઈ નોર્થ ઈસ્ટ- 28.82 ટકા મતદાન
મુંબઈ નોર્થ સેન્ટ્રલ- 28.05 ટકા મતદાન
મુંબઈ નોર્થ વેસ્ટ- 28.41 ટકા મતદાન
મુંબઈ સાઉથ- 24.46 ટકા મતદાન
મુંબઈ સાઉથ સેન્ટ્રલ- 27.21 ટકા મતદાન

મુંબઈ પોલીસે શિવસેના (UBT)ના ત્રણ કાર્યકરોને પોલિંગ બૂથ નજીક ડમી ઈવીએમ લગાવવાના આરોપમાં અટકાયતમાં લીધા છે. આ અંગે પાર્ટીના નેતા સુનીલ રાઉતે કહ્યું કે ડમી ઈવીએમ એવા લોકોને શિક્ષિત કરવા માટે લાવવામાં આવ્યું હતું જેઓ વોટ કેવી રીતે કરવું નથી જાણતા. તેને મતદાન મથકથી 100 મીટરથી વધુ દૂર મૂકવામાં આવ્યું હતું. પોલીસને વિનંતી છે કે તેઓને છોડી દેવામાં આવે. ભાજપ જાણે છે કે તેમના ઉમેદવાર અહીંથી હારી જવાના છે, તેથી તેઓ અમારા પર દબાણ લાવવા પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ અમે ડરતા નથી.

ક્રિકેટર સચિન તેંડુલકરે મુંબઈના એક મતદાન મથક પર મત આપ્યો છે. મત આપ્યા બાદ સચિન તેંડુલકરે કહ્યું હતું કે હું ચૂંટણી પંચનો નેશનલ આઈકન છું. હું મત આપવા અને જાગૃતિ લાવવાના ઘણા કાર્યક્રમોનો ભાગ રહ્યો છું. આજે એક ગૌરવપૂર્ણ ભારતીય તરીકે હું મતદાન કરવા સક્ષમ છું. હું તમામ મતદારોને મતદાન કરવાની અપીલ કરું છું કારણ કે તે દેશના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મહારાષ્ટ્રમાં પાંચમા તબક્કાના મતદાન દરમિયાન મતદારોમાં કોઈ ઉત્સાહ નથી. બપોરે 1 વાગ્યા સુધી જે મતદાન થયું હતું તે ધીમા મતદાનની સાક્ષી પૂરે છે. જોકે, મુંબઈમાં બૉલિવૂડ સેલેબ્સ સવારથી મતદાન મથક પર પહોંચી મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છીએ.

તપતા ઉનાળા વચ્ચે બે વાવાઝોડાની આગાહી

અમદાવાદ: રાજ્યમાં ગરમીએ રેકોર્ડ તોડ્યા છે. ગુજરાતમાં મહત્મ તાપમાન 40 થી 43 સુધી નોંધવામાં આવ્યું હતું. ત્યારે ચોમાસાના વરસાદની ચાતક નજરે રાહ જોવાય રહી છે. જોકે, ચોમાસાના નિયમિત વરસાદના આગમન પહેલા વાવાઝોડું સક્રિય થતું હોય છે. જેના કારણે ચોમાસાની પેટર્નને ખોરવી નાખતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે પણ ચોમાસાના આગામન પહેલા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે.

રાજ્યમાં હવામાનના નિષ્ણાતો દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગામી 23થી  25 મે વચ્ચે વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બીજુ વાવાઝોડું 10 જૂન આસપાસ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું આવશે તેમ છતાં પણ ચાલુ વર્ષનું ચોમાસું સારું રહેવાનું અનુમાન છે. જો કે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળતી હોય છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના પ્રમાણે 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે. 26 મે સુધીમાં વાવાઝોડું વધુ મજબુત બનશે અને તબાહી માચાવે તેવું બનવાની શક્યતા છે. નોંધનીય છે કે વાવાઝોડાના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થશે. જેના કારણે પ્રી મોનસુન એક્ટિવિટી ગાજવીજ સાથે વરસાદ થશે.

બીજી તરફ, અરબી સમુદ્રમાં મેના અંત અને જૂનની શરુઆતમાં વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે. અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ મર્જ થશે. જેના કારણે ચોમાસાા નિયમિત વરસાદ પહેલા પ્રી મોનસુન એક્ટિવિટીના કારણે વરસાદ થશે. ગુજરાતમાં 26 થી 30 મેના આધી વંટોળ સાથે વરસાદ થશે. ત્યાર બાદ 4 જુન સુધી વરસાદ ચાલુ રહેશે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બને તેમ છતાં પણ ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે. 7થી 14 જુન સુધીમાં ચોમાસાનું આગમન થઇ જશે.

લોકસભા ચૂંટણી: મુંબઈમાં બૉલિવૂડ સેલેબ્સે મતદાન કરી નિભાવી ફરજ

દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. પાંચમા તબક્કામાં આજે 6 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મુંબઈ, મહારાષ્ટ્રમાં, બોલિવૂડની જાણીતી હસ્તીઓ તેમના ઘરની બહાર આવીને અને મતદાન મથક પર લાઈનમાં ઉભા રહીને તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહી છે. વહેલી સવારે અક્ષય કુમાર લાઈનમાં ઉભા રહીને વોટ આપતા જોવા મળ્યા હતા.

જાન્હવી કપૂર અને રાજકુમાર રાવ પણ મતદાન કરવા પહોંચ્યા હતા. આ સિવાય સાન્યા મલ્હોત્રા, હેમા માલિની, ધર્મેન્દ્ર, સલીમ ખાન, હેલન, ફરહાન અખ્તર, રણદીપ હુડ્ડા, ગોવિંદા સહિતના અન્ય સ્ટાર્સ પણ ધીમે ધીમે પોલિંગ બૂથ પર પહોંચી રહ્યા છે.

અભિનેતા ધર્મેન્દ્રે કર્યુ મતદાન. આ સાથે વોટ અપીલ કરતા પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ કહ્યું, ‘લોકો જાણે છે કે કેવી રીતે સારા ભારતીય બનવું અને ભારતને કેવી રીતે આગળ લઈ જવું… મને ખાતરી છે કે તે એક સારા ભારતીય છે…’

બીજેપી સાંસદ અને બોલિવૂડની ‘ડ્રીમગર્લ’ હેમા માલિની પોતાની પુત્રી એશા દેઓલ સાથે મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા. મથુરા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર હેમા માલિની છે.

અભિનેતા મનોજ બાજપેયીએ મુંબઈમાં મતદાન કેન્દ્ર પર પહોંચી આપ્યો મત.

બૉલિવૂડ ખેલાડી  અક્ષય કુમારે મત આપી નાગરિકતાની ફરજ નિભાવી.

અભિનેતા રાજકુમાર રાવે પણ મુંબઈમાં કર્યુ મતદાન.

 

અભિનેત્રી જાન્હવી કપૂર વહેલી સવારે જ મતદાન કરવા પહોંચી હતી. મુંબઈના એક મતદાન કેન્દ્ર પર મતાધિકારનો કર્યો ઉપયોગ.

અભિનેત્રી વિદ્યા બાલને કર્યુ મતદાન.

હેન્ડસમ અભિનેતા શાહિદ કપૂરે પણ આપ્યો મત.

વરુણ ધવને પિતા ડેવિડ ધવન સાથે કર્યુ મતદાન.

રણદીપ હૂડાએ મત આપી પોતાની ફરજ નિભાવી

અનિલ કપૂર અને અનુપ ખેર જેવા દિગ્ગજ કલાકારોએ કર્યુ મતદાન.

કુણાલ ખેમુએ આપ્યો મત

લોકસભા ચૂંટણીઃ પાંચમા તબક્કામાં 1 વાગ્યા સુધી 36.73 ટકા મતદાન

નવી દિલ્હીઃ દેશભરમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 49 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. પાંચમા તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 સીટો પર મતદાન કરવામાં આવી રહ્યું છે. પાંચમા તબક્કામાં બપોરે એક વાગ્યા સુધી 36.73 ટકા મતદાન થયું હતું. આ તબક્કામાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને સ્મૃતિ ઇરાની તથા જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબદુલ્લા જેવા મુખ્ય નેતાઓના ચૂંટણી ભાગ્યનો નિર્ણય થવાનું છે.

લોકસભા ચૂંટણીમાં 49 સીટોમાં બપરે એક કલાક સુધી બિહારમાં 34.62, જમ્મુ-કાશ્મીરમાં 34.79, લડાખમાં 52 ટકા,  ઝારખંડમાં 41.89 ટકા, મહારાષ્ટ્રમાં 27.78, ઓડિશામાં 21.1 ટકા ઉત્તર પ્રદેશમાં 39.55, અને પશ્ચિમ બંગાળમાં 48.41 ટકા મતદાન થયું હતું.

લોકસભા સીટોના પાંચમા તબક્કામાં ઓડિશામાં પાંચ લોકસભા સીટો અને 35 વિધાનસભા સીટો માટે ચૂંટણી થઈ રહી છે. UPની 14 સીટો પર મતદાન થઈ રહ્યું છે.  49 સીટો પર થનારી ચૂંટણીમાં 82 મહિલાઓ સહિત કુલ 695 ઉમેદવારો મેદાનમાં છે, જે આઠ રાજ્યોમાં સીટો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં ઝારખંડની ત્રણ સીટો, ઓડિશાની પાંચ, ઉત્તર પ્રદેશની 14, બિહારની પાંચ, મહારાષ્ટ્રની 13 અને પશ્ચિમ બંગાળની સાત અને લદ્દાખની સીટ સામેલ છે.

પાંચમા તબક્કામાં 4.26 કરોડ મહિલાઓ અને 5409 થર્ડ જેન્ડર મતદાતાઓ સહિત કુલ 8.95 કરોડથી વધુ લોકો મતદાનને પાત્ર છે અને 94.732 મતદાન કેન્દ્રો પર 9.47 લાખ મતદાન અધિકારી તહેનાત કરવામાં આવ્યા છે. છેલ્લા ચાર તબક્કામાં આશરે 45.1 કરોડ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અત્યાર સુધી 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તથા 379 સીટો માટે મતદાન પૂરું થઈ ચૂક્યું છે. છઠ્ઠા અને સાતમા તબક્કામાં ક્રમશઃ 25 મેએ અને પહેલી જૂને છે. મતોની ગણતરી ચોથી જૂને થશે.

 

 

 

 

 

 

સાયબર ફ્રૉડ રોકવા કેન્દ્ર સરકારનો નવો એક્શન પ્લાન

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એક નવો પ્લાન તૈયાર કર્યો છે, જે અંતર્ગત લગભગ 18 લાખ સિમ અને મોબાઈલ કનેક્શન બંધ કરવામાં આવશે. પહેલીવાર સરકાર આટલી રેકોર્ડ સંખ્યામાં મોબાઈલ કનેક્શન અને સિમ કાર્ડ બંધ કરી રહી છે. 9 મેના રોજ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ Jio, Airtel અને Vi જેવી ટેલિકોમ કંપનીઓને 28,220 મોબાઈલ બેન્ડ બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત લગભગ 20 લાખ મોબાઈલ કનેક્શનનું ફરી વેરિફિકેશન કરવાના નિર્દેશ આપ્યા હતા.

કેન્દ્ર સરકારે સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડી દૂર કરવાની યોજના તૈયાર કરી છે. જે અંતર્ગત સરકારી અને ખાનગી એજન્સીઓની મદદથી ઓનલાઈન છેતરપિંડી કરનારાઓની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) અનુસાર, વર્ષ 2023માં ડિજિટલ નાણાકીય છેતરપિંડીથી લગભગ 10,319 કરોડ રૂપિયાનું નુકસાન થશે. આ મામલે 6,94,000 ફરિયાદો દાખલ કરવામાં આવી છે.રિપોર્ટ અનુસાર, અલગ-અલગ પ્રદેશોના સિમનો ઉપયોગ અન્ય પ્રદેશોમાં થાય છે. ઉદાહરણ તરીકે, મોબાઇલ સાયબર છેતરપિંડી માટે દિલ્હી NCRમાં ઓરિસ્સા અને આસામ સર્કલના સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ગયા વર્ષે સાયબર ફ્રોડમાં સામેલ 37,000 સિમ કાર્ડ બંધ કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન લગભગ 17 મિલિયન મોબાઈલ કનેક્શન બંધ કરવામાં આવ્યા છે. આ સિવાય 1,86,000 હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે.

Mumbai Voting: 11 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પર

મુંબઈ: લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં મહારાષ્ટ્રની 13 બેઠકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રનાં મતદાનનો આ અંતિમ તબક્કો છે. મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી 35 બેઠકો પર ગત ચાર તબક્કામાં વોટિંગ થઈ ચૂક્યુ છે. રાજ્યમાં મુખ્ય લડાઈ શિંદેની શિવસેના અને અજિત પવાર વાળી એનસીપી મહાયુતિ ગઠબંધન અને મહા વિકાસ અઘાડી વચ્ચે છે. મહાવિકાસ અઘા઼ડીમાં કોંગ્રેસ શરદ પવારવાળી એનસીપી અને ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેના સામેલ છે.

મુંબઈમાં નેતાથી લઈ અભિનેતાઓ સહિતી હસ્તીઓએ મત આપી પોતાની ફરજ નિભાવી છે. મહારાષ્ટ્રમાં 11 વાગ્યા સુધીમાં 15.93 ટકા મતદાન થયું છે. જ્યારે મુંબઈની વાત કરીએ તો મુંબઈ નોર્થ લોકસભા સીટ પર 14.71 ટકા મતદાન થયું છે. મુંબઈ નોર્થ સેન્ટ્રલમાં 15.73 ટકા, મુંબઈ નોર્થ ઈસ્ટમાં 17.01 ટકા, મુંબઈ નોર્થ વેસ્ટમાં 17.53 ટકા, મુંબઈ સાઉથમાં 12.75 ટકા અને મુંબઈ સાઉથ સેન્ટ્રલમાં 16.69 ટકા મતદાન થયું છે.

ફિલ્મ અભિનેતા રણદીપ હુડ્ડાએ મુંબઈમાં મતદાન કર્યું. તેમણે કહ્યું કે લોકશાહીમાં, મતદાન દ્વારા, તમને તમારા અને તમારા દેશના ભવિષ્ય વિશે નિર્ણય લેવાનો અધિકાર છે. તમારે મતદાન કરવું જ પડશે. લોકશાહીના આ મહાન ઉત્સવમાં ભાગ લો.અભિનેતા અક્ષય કુમાર, જાન્હવી કપૂર, ખુશી કપૂરથી લઈને શાહિદ કપૂર સહિતના સેલેબ્સે મત આપી પોતાની ફરજ નિભાવી છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પોતાનો મત આપવા માટે મુંબઈના એક મતદાન મથક પર પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમનો પુત્ર આદિત્ય ઠાકરે પણ તેમની સાથે હાજર હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે પણ મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા.

ઇરાનના રાષ્ટ્રપતિ રઇસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

નવી દિલ્હીઃ ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે. હેલિકોપ્ટર દુર્ઘટના સ્થળેથી ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી, વિદેશપ્રધાન અને અન્ય લોકોના મૃતદેહ દુર્ઘટનાસ્થળેથી મળવાની પુષ્ટિ થઈ ચૂકી છે. રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસી 63 વર્ષના હતા. ઇરાની રાષ્ટ્રપતિના નિધન પર વડા પ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

તેમણે ટ્વીટ કરતાં X પર લખ્યું છે કે ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના નિધનથી ઊંડો આઘાત લાગ્ય છે અને દુઃખ થયું છે. ભારત-ઇરાન દ્વિપક્ષી સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાનને હંમેશાં યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને ઇરાનના લોકો પ્રતિ સંવેદના. દુઃખની આ પળે ભારત ઇરાનની પડખે ઊભું છે.

ઇરાનના બચાવ દળને હેલિકોપ્ટરનો કાટમાળ મળી ગયો છે, જે રવિવારે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. હેલિકોપ્ટરમાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસી અને વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયાન સિવાય સાત અન્ય લોકો સવાર હતા. આ પહેલાં ઇરાની રેડ ક્રિસેન્ટના પ્રમુખ પીર હુસૈન કુલિવંદે રાષ્ટ્રીય ટેલિવિઝન પર જણાવ્યું હતું કે અનેક કલાકોની શોધખોળ પછી ઇમર્જન્સીની ટીમ હજી પણ હેલિકોપ્ટર ક્રેશવાળી જગ્યાએ બે કિલોમીટર દૂર છે. જોકે તેમણે હેલિકોપ્ટર જોઈ લીધું છે અને એની ઓળખ કરી લીધી છે.

રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર રવિવારે ઇરાનના ઉત્તર પશ્ચિમી પ્રાંત ઇસ્ટ અજરબૈજાનના પહાડી વિસ્તારમાં લાપતા થયું હતું. ઇરાન સરકારે તપાસ માટે 40 ટીમો બનાવી હતી. ઇરાનમાં સુપ્રીમ લીડર ખોમેનીએ ઇમર્જન્સી બેઠક બોલાવી હતી અને રિવોલ્યુશનરી ગાર્ડને અલર્ટ રાખ્યા હતા.

બેલ 212 હેલિકોપ્ટરમાં ઇરાની રાષ્ટ્રપતિ સવાર હતા. આ હેલિકોપ્ટર અમેરિકામાં બનેલું હતું.

 

 

 

 

કચ્છની ધરા ધ્રુજી, 3.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો

રાજ્યમાં હાલ બેવડિ ઋતુનો અહેસાર થઈ રહ્યો છે. એક બાજુ રાજ્યમાં ગરમીએ પોતાના રેકોર્ડ તોડ્યા છે. તો બીજી બાજું કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ નોંધાયો હતો. ત્યારે હવે આકાશ બાદ ધરતી પણ વેરી બની હોય તેવું લાગી રહ્યું છે. કચ્છના લખપતમાં આજે સવારે ભૂંકપના આંચકા આવ્યા હતા.

કચ્છના લખપત પાસે ભૂકંપનો આંચકો આવ્યો છે. જેમાં લખપતમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. સવારે 10:36 વાગ્યે ભૂકંપ અનુભવાયો હતો. મળતી માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિન્દુ લખપતથી 60 કિમી દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ મહિનાની શરૂઆતમાં રાપરથી 18 કિમિ દૂર ભચાઉ તાલુકાના કંથકોટ ગામ નજીકના ડુંગરાળ વિસ્તારમાં કેન્દ્રબિંદુ ધરાવતો 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસમોલોજી રીસર્ચ કચેરી ખાતે નોંધાયો હતો. જોકે આંચકાની ખાસ અસર વર્તાઈ ન હતી.

ઉલ્લેખનીય છે કે ગયા મહિનાથી આજ દિન સુધીની વાત કરીએ તો કચ્છના 5 ઝોનમાં ભૂંકપ અનુભવાયો છે. ગુજરાતનો કચ્છ એવો જિલ્લો છે જ્યાં અવર નવર ભૂંકપ અનુભવાતો હોય છે. સદભાગ્યે આફ્ટર શોકના કારણે જાનમાલની કોઇ નુકશાની પહોંચતી નથી. અગાઉ 2001માં આવેલા ભૂંકપ ભારે વિનાશ વેર્યો હતો. મોટા પાયે જાન અને માલની હાની પણ પહોંચી હતી. જે બાદ લોકમાનસમાં ભૂકંપનો ભય બની રહે છે.