Home Blog Page 1831

શું માલદીવમાં ભારતીય આર્મીએ સિક્રેટ ઓપરેશન કર્યું?

નવી દિલ્હીઃ માલદીવમાં ચીન સમર્થક સરકાર બની છે, ત્યારથી માલદીવ અને ભારતની વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ટેન્શન પ્રવર્તી રહ્યું છે. હવે માલદીવના સંરક્ષણપ્રધાન ઘસન મૌમુને દાવો કર્યો હતો કે 2019માં ભારતીય આર્મીએ માલદીવમાં એક સિક્રેટ ઓપરેશન ચલાવ્યું હતું. જોકે આ ઓપરેશનનો ઉલ્લેખ તો માત્ર તેઓ કરી રહ્યા છે. ભારતે એ દાવાઓને ફગાવી દીધા છે.

માલદીવના સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે જ્યારે માલદીવમાં ભારતીય સેનાના હેલિકોપ્ટર હતાં, ત્યારે તેમના પાઇલટોએ 2019માં એક ગેરકાયદે ઓપરેશન પાર પાડ્યું હતું. તેમણે નેશનલ સિક્યોરિટી સર્વિસ મામલાની રિપોર્ટ જોઈ છે, એમાં આ સિક્રેટ ઓપરેશનનો ઉલ્લેખ છે.

માલદીવમાં ભારતીય હાઇ કમિશને કહ્યું હતું કે ભારતે જેટલાં પણ ઓપરેશન ચલાવ્યાં છે, એ બધા માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ (MNDF)ને સાથે રાખીને ચલાવ્યા છે. નવ ઓક્ટોબર, 2019એ પણ ચાલક દળની સુરક્ષા પર ફોક્સ કરતાં થિમારાખુશીમાં એક હેલિકોપ્ટરની ઇમર્જન્સી લેન્ડિંગ થયું હતું. હવે વિવાદ એ લેન્ડિંગને લઈને છે, પણ ભારતનું કહેવું છે કે એ લેન્ડિંગ પણ માલદીવના એર ટ્રાફિક કન્ટ્રોલને કોન્ફિડેન્સમાં લઈને કરવામાં આવી હતી. આવામાં એને સિક્રેટ ઓપરેશનનું નામ ના આપી શકાય.

માલદીવ-ભારતના સંબંધો કેમ વણસ્યા?

વડા પ્રધાન મોદીના લક્ષદ્વીપ ગયા પછી માલદીવા એ સમયે કેટલાક મંત્રીઓએ-નેતાઓએ વડાપ્રધાનની વિરુદ્ધ અમર્યાદિત ટિપ્પણીઓ કરી હતી. એને લઈને મજબૂરીમાં મોઇજ્જુને તેમના મંત્રીપદેથી હટવું પડ્યું હતું. ભારતીય પર્યટકોની માલદીવમાં જવામાં ઘટાડો થયાં ટુરિઝમની દ્રષ્ટિએ માલદીવ માટે એક જોખમ છે.

 

 

 

 

 

 

 

નર્મદા બાદ મોરબીની મચ્છુએ લીધો ત્રણનો જીવ

ગરમીમાં નહાવા મોકલતા વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો પ્રકાસામાં આવ્યો છે. નર્મદામાં 7 લોકોના તણાયાને હાલ 24 કલાક પણ પૂરા નથી થયા. ત્યારે ફરી એક ગોઝારી દુર્ઘટના મોરબીમાં સર્જાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. મોરબીની મચ્છુ નદીમાં ડૂબતા ત્રણ યુવકના મોતના સમાચાર મળી રહ્યા છે.

 મચ્છુ નદીના પાણીમાં 7 યુવાનો નાહવા પડ્યા હતા. ત્યારે 7 પૈકી ત્રણ યુવાનો પાણીમાં ડૂબ્યા હતા.  6 સગીર અને એક યુવાન મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડ્યા હતા. જેમાં મોરબીની મચ્છુ નદીમાં બે સગીર સહિત એક યુવાન ડૂબ્યો છે. એકને બચાવવા જતા બે સગીર પણ ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ફાયરબ્રિગેડની ટીમે યુવાનોની શોધખોળ હાથ ધરી છે.

માહિતી પ્રમાણે, નદીમાં પગ લપસી જતા પહેલા એક યુવક તણાયો હતો જેને બચાવવા જતા અન્ય સગીરો પણ તેની પાછળ ગયા હતા અને તે લોકો ડૂબવા લાગ્યા હતા. આ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડે સ્થાનિકોની મદદથી ચાર સગીરને બચાવી લેવાયા હતા. જ્યારે ત્રણ લોકો પાણીમાં ગૂમ છે. ફાયર બ્રિગેડની ટીમે અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે. આ લોકો વોટર પાર્કમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. પરંતુ આ લોકો નદીમાં નાહવા પડ્યા હતા. ત્યારે આ કિસ્સો વાલીઓ માટે પણ ચેતવણીરૂપ બન્યો છે.

‘ડિજિટલ અરેસ્ટ’ સાઇબર ગુનાનો નવો પ્રકાર

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં સાઇબર અપરાધી ખુદને પોલીસ, CBI, ED, RBI અને નાર્કોટિક્સ બ્યુરો જેવી તપાસ એજન્સીઓના અધિકારી બતાવીને પીડિતોને ધમકી આપે છે અને બ્લેકમેલ કરતા રહે છે. અહીં સુધી કે તેમને ડિજિટલી ધરપકડ કરવામાં આવે છે.

આવા સાઇબર અપરાધીઓ માટે ગૃહ મંત્રાલય દ્વારા અપરાધીઓ દ્વારા પોલીસ અધિકારી, CBI, ED અને કેન્દ્રીય એજન્સીઓના અધિકારી જણાવીને બ્લેકમેલ અને ડિજિટલ ધરપકડની વિરુદ્ધ અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

 શું હોય છે ‘ડિજિટલ અરેસ્ટ’

સાઇબર અપરાધી સામાન્ય રીતે સંભવિત પીડિતને કોલ કરે અને કહે છે કે તેમને કોઈ પાર્સલ મોકલ્યું છે અથવા હાંસલ કર્યું છે, જેમાં ગેરકાયદે માલસામાન, ડ્રગ્સ, નકલી પાસપોર્ટ અથવા કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુ છે. આવા કેસમાં સમજૂતી કરીને પૈસાની માગ કરવામાં આવે છે, કેટલાક કિસ્સાઓમાં પીડિતોને ડિજિટલ અરેસ્ટનો સામનો કરવો પડે છે. માગ પૂરી ના થવા સુધી પીડિતને સ્કાઇપ કે અન્ય વિડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ પર સાઇબર અપરાધીઓને ઓનલાઇન હાજર રહેવા મજબૂર કરવામાં આવે છે.

સાઇબર અપરાધીઓ સંભવિત પીડિતોને ઠગવા માટે નવા-નવા પ્રકાર અપનાવી રહ્યા છે. કેટલાય કિસ્સાઓમાં કહેવામાં આવે છે કે તેમના નજીકના અથવા સંબંધી કોઈ અપરાધ કે દુર્ઘટનામાં સામેલ છે અને તેમની હિરાસતમાં છે. ત્યાર બાદ સાઇબર અપરાધી આ મામલામાં સમજૂતી કરીને પૈસાની માગ કરે છે.

સરકારે હવે આ અપરાધીઓ પર સકંજો કસવો શરૂ કર્યો છે. સાઇબર અપરાધીઓ માટે ગૃહ મંત્રાલય હેઠળ ભારતીય સાઇબર અપરાધ સમન્વય કેન્દ્ર (I4C) બનાવવામાં આવ્યું છે, જે દેશમાં સાઇબર ગુનાને ઉકેલવા માટે સંબંધિત કામગીરીનો સમન્વય કરે છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)ની વર્ષ 2023 મુજબ 2021માં દેશમાં સાઇબર ગુનાના કુલ 52,974 કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2022માં એ વધીને 65,893 કેસ થયા છે. આ રીતે સાઇબર ગુનાના કેસોમાં એક વર્ષમાં આશરે 24 ટકાનો વધારો થયો હતો.

 

 

 

 

 

ફિમેલ ડિઝાઇનર ક્લોથિંગમાં નવું આકર્ષણ ‘તમિસ્કા બાય નરેન્દ્ર કુમાર’

મુંબઈ: આ અઠવાડિયે શહેરમાં ‘તમિસ્કા બાય નરેન્દ્ર કુમાર’ નામની પ્રીમિયમ ડિઝાઈનર ક્લોથિંગ બ્રાન્ડ લૉન્ચ થવા જઈ રહી છે. આ બ્રાન્ડના ક્લોથમાં તમને ફ્યૂઝન અને એથ્નિક અટાઈરની સાથે કન્ટેમ્પરી ટ્વિસ્ટ જોવા મળશે. ‘તમિસ્કા’ના કલેક્શનમાં તમને બોલ્ડ પેટર્નસ અને ટકાઉ સિલુએટ્સ જોવા મળશે. જે દરેક આધુનિક મહિલા, દરેક ઉંમરની મહિલા અને કોઈપણ પ્રકારની બોડી ટાઈપ ધરાવતી મહિલાઓ માટે પર્ફેક્ટ છે.

આ કલેક્શન, સિઝનલ કલર પેલેટ્સથી પ્રેરિત છે. જેમાં તમને ક્લાસિક ન્યુટ્રલ્સથી લઈને વાઇબ્રન્ટ ટૉન જોવા મળશે. દરેક ક્રિએશન જાણે કે એક વાર્તા કરતું હોય તેવું લાગે છે. મોટાભાગે કલેક્શનમાં એક જ પેટર્ન બધાં જ કલર્સમાં જોવા મળતી હોય છે. પરંતુ આ કલેક્શનમાં દરેક કલરમાં તમને અનેક પેટર્નની વેરાયટી જોવા મળશે. ‘તમિસ્કા’ની ડિઝાઇન સ્વતંત્ર અને સમકાલીન ભારતીય મહિલાની સ્પિરિટનું પ્રતિબિંબ છે. બ્રાન્ડના કો-ફાઉન્ડર નરેન્દ્ર કુમાર કે જેઓ નારી તરીકે ફેશન ઈન્ડસ્ટ્રીઝમાં જાણીતા છે, તેઓ બે દાયકા કરતા વધુ સમયથી ‘નરેન્દ્ર કુમાર’ લેબલ હેઠળ પુરૂષો માટેના પ્રિમિયમ ક્લોથ્સ ડિઝાઈન કરી રહ્યા છે. હવે તેઓ ‘તમિસ્કા’ દ્વારા ફિમેલ ક્લોથ્સ બ્રાન્ડમાં પોતાની નિપુણતા લોકો સુધી પહોંચાડવા જઈ રહ્યા છે. તેમની આ નવી બ્રાન્ડમાં નરેન્દ્ર કુમારે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે કલેક્શન દરેક સ્ત્રીની રેન્જમાં હોય. કિંમતની સાથે જ બ્રાન્ડમાં ડિટેલ્સ અને ટૉપ ક્વોલિટી ફેબ્રિકનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

તમિસ્કા દેશભરમાંથી આત્મવિશ્વાસથી ભરપૂર મહિલાઓને તેમની બ્રાન્ડની વિશિષ્ટતાને સ્વીકારવા અને બ્રાન્ડની ઓફરો દ્વારા સશક્તિકરણ કરવા માટે આમંત્રણ આપે છે. આ બ્રાન્ડમાં નરેન્દ્ર કુમારની સાથે વિકાસ જૈન, રીતુ જૈન, શ્રુત શાહ અને જુગલ મહેતા કો-ફાઉન્ડર છે.

PM મોદીની વારાણસી બેઠકના સમજો જ્ઞાતિ સમીકરણો

દેશની નજર વારણસી બેઠકની ચૂંટણી પર રહેલી છે. આ બેઠક હોટ ફેવરેટ માનવામાં આવે છે, કેમ કે આ બેઠક પરથી પ્રધાનમંત્રી ચૂંટણી લડી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વારાણસી બેઠકથી ઉમેદવારી પત્રક નોંધાવ્યું છે.

 લોકસભા ચૂંટણીનું ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. અને આગામી 4 જૂનના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થશે. વારાણસી બેઠક પર લોકોની નજર બની રહી છે. જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉમેદવારી નોંધાવી છે. ભારતની ધાર્મિક રાજધાની તરીકે ઓળખાતી વારાણસી લોકસભા બેઠક પાંચ વિધાનસભા બેઠકોથી બનેલી છે. જો PM મોદી ત્રીજી વખત આ સીટ જીતશે તો તેઓ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીના રેકોર્ડની બરાબરી કરશે. જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા એવા વડાપ્રધાન હતા જેઓ એક જ સીટ પરથી ત્રણ વખત જીતીને વડાપ્રધાન બન્યા હતા. જો મોદી આ વખતે જીતશે તો તેઓ આ રેકોર્ડની બરાબરી કરશે.

વારાણસી લોકસભા સીટ પર હિન્દુઓની વસ્તી કુલ વસ્તીના 75 ટકા છે. અને 20 ટકા વસ્તી મુસ્લિમ છે. બાકીની 5 ટકા વસ્તીમાં અન્ય ધર્મના લોકોનો સમાવેશ થાય છે. આ સીટની 65 ટકા વસ્તી શહેરી વિસ્તારોમાં અને 35 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. કુલ વસ્તીના 10.01 ટકા આદિવાસી અને 0.7 ટકા દલિત વર્ગના છે.

એકંદરે વારાણસી ભાજપનો સૌથી મજબૂત કિલ્લો રહ્યો છે, પરંતુ પ્રાદેશિક પક્ષો માટે આ બેઠક સારી માનવામાં આવતી નથી. જો આંકડાઓની વાત કરીએ તો 1952 માં થયેલી પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના રઘુનાથ સિંહ અહીંથી સાંસદ બન્યા હતા. વારાણસી બેઠક પરથી કોંગ્રેસ સાત વખત જીતી ચુકી છે અને ભાજપ પણ સાત વખત જીત્યા બાદ આઠમી વખત જીત મેળવવા મેદાને ઉતરશે. ઉલ્લેખનીય છે કે વારાણસી બેઠક પર 30 લાખ 78 હજાર 735 જેમાં પ્રથમ વથત મતદાતા 52 હજાર જેટલા છે.

મુલ્લા, મદરેસા અને માફિયાનું સૂત્ર બંગાળમાં બુલંદઃ શાહ

હુગલીઃ પશ્ચિમ બંગાળના હુગલીમાં ગૃહપ્રધાન અમિત શાહે રાહુલ ગાંધી અને CM મમતા બેનરજીને આડે હાથ લીધા હતા. પશ્ચિમ બંગાળમાં મુલ્લા, મદરેસા અને માફિયાનું સૂત્ર બુલંદ થઈ ચૂક્યું છે. કોંગ્રેસ નેતા મણિશંકર ઐયર અને નેશનલ કોન્ફરન્સના અધ્ય ફારુક અબદુલ્લા અમને ડરાવે છે કે POKની વાત નહીં કરો, કેમ કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે, પણ હું તેમને કહેવા ઇચ્છું છું કે તમે લોકો ડરો, અમે POK લઈને રહીશું, એમ શાહે કહ્યું હતું.

ભાજપના વરિષ્ઠ નેતાએ વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. આ લોકો પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં ગયા, કેમ કે તેમને મત બેન્કના રાજકારણનો ડર હતો. મમતા દીદી અને કોંગ્રેસ 370 દૂર કરવાનો વિરોધ કરે છે. તેઓ કહે છે લોહીની નદીઓ વહેશે. આ વડા પ્રધાન મોદીની સરકાર પાંચ વર્ષ થઈ ગયાં લોહીની નદીઓ તો દૂર કોઈનામાં પથ્થર મારવાની પણ હિંમત નથી.કાશ્મીરમાં પહેલાં અહીં પથ્થરબાજી થઈ હતી, હવે ત્યાં પથ્થરબાજી થાય છે. 2.11 કરોડ પ્રવાસીઓ કાશ્મીર જઈને એક નવો રેકોર્ડ બનાવ્યો છે અને POKમાં ઘઉંના લોટે રેકોર્ડ બનાવ્યો છે.

પશ્ચિમ બંગાળનાં CM પર હુમલો કરતાં શાહે કહ્યું હતું કે મમતા દીદી હિન્દુ, બૌદ્ધ શરણાર્થીઓને નાગરિકતા નહીં આપે. પણ બંગલાદેશી ઘૂસણખોરોને નાગરિકતા જરૂર આપશે. હું વચન આપ્યું છે કે આ બધા લોકોને નાગરિકતા આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

મા, માટી અને માનુષનુ સૂત્ર લગાવીને દીદી પર સત્તામાં આવ્યાં હતાં અને હવે મુલ્લા, મદરેસા અને માફાયનું સૂત્ર બંગાળમાં બુલંદ છે. ઇમામને પગાર બંગાળની તિજોરીમાંથી ચૂકવવો જોઈએ શું? જ્યારે હાઇકોર્ટે ના પાડી, ત્યારે મમતા દીદીએ વકફ બોર્ડથી આપ્યો હતો.

 

 

 

નાંદેડમાં ITના દરોડાઃ રૂ. 170 કરોડની બિનહિસાબી સંપત્તિ જપ્ત

નાંદેડઃ મહારાષ્ટ્રના નાંદેડમાં ઇન્કમ ટેક્સ વિભાગની ટીમે ભંડારી ફાઇનાન્સ અને આદિનાથ કોઓપરેટિવ બેન્ક પર દરોડા પાડ્યા હતા. એ દરમ્યાન કરોડો રૂપિયાનું બિનહિસાબી સંપત્તિ મળી છે. IT વિભાગે એ જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં રૂ. 170 કરોડ બિનહિસાબી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

ITની ટીમે આ દરોડામાં રૂ. આઠ કિલો સોનું, રૂ. 14 કરોડ રોકડ સહિત કુલ રૂ. 170 કરોડની સંપત્તિ જપ્ત થઈ છે. નાંદેડની ભંડારી ફેમિલીના વિનય ભંડારી, આશિષ ભંડારી, સંતોશ ભંડારી, મહાવીર ભંડારી અને પદ્મ ભંડારીનો ફાઇનાન્સનો બિઝનેસ છે.અહીંથી ITની ટેક્સચોરીની ફરિયાદ મળી હતી, જે પછી IT વિભાગે ભંડારી ફાઇનાન્સનાં સ્થાનો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ITની પુણે, નાસિક, નાગપુર, પરભણી, છત્રપતિ સંભાજીનગર અને નાંદેડના અધિકારીઓએ 25થી વધુ ગાડીઓની સાથે સંયુક્ત દરોડા પાડ્યા હતા.

IT વિભાગે 10 મેએ નાંદેડમાં ભંડારી ફાઇનાન્સ અને આદિનાથ કોઓપરેટિવ બેન્ક પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમ્યાન 100થી વધુ અધિકારીઓની ટીમે દરોડા પાડ્યા હતા. ITની ટીમે નાંદેડ સ્થિત અલી ભાઈ ટાવરમાં ભંડારી ફાઇનાન્સ લિ.ની ઓફિસ અને આદિનાથ અર્બન મલ્ટિસ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક પર સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. આ સિવાય પણ અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

નાંદેડમાં IT અધિકારીઓએ એકસાથે મોટા પાયે દરોડા પાડ્યા હતા. ITની ટીમે હજી આ કેસની તપાસ કરી રહી છે.

 

 

 

 

 

 

 

કેન્દ્રીય કર્મચારીઓનું કેટલું વધશે DA જાણો..

કેન્દ્રીય કર્મચારીઓને સરકારે મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેર કરવામાં આવી છે. સૂત્રો પ્રમાણે આ જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5%નો વધારો થશે.

કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA) જુલાઈ 2024માં ફરી એકવાર વધવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર આ વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. પહેલો 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યો હતો. ત્યારે હવે 1 જુલાઈથી બીજી વખત મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે જાન્યુઆરીમાં DAમાં 4 ટકાનો વધારો કર્યો હતો, જેના કારણે DA વધીને 50 ટકા થઈ ગયો છે.

કેટલુ થશે કર્મચારીઓનું DA?

સરકાર કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 5 ટકાનો વધારો કરે છે તો 1 જુલાઈના રોજ કર્મચારીઓનો DA વધીને 55 ટકા થઈ જશે. મોંઘવારી ભથ્થામાં આગામી વધારો જુલાઈ 2024થી લાગુ કરવામાં આવશે. જો કે, તે મંજૂર થાય ત્યાં સુધીમાં સપ્ટેમ્બર હોઈ શકે છે. જો આપણે પાછલા વર્ષોના રેકોર્ડ પર નજર કરીએ તો સરકાર સપ્ટેમ્બર સુધીમાં ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. પરંતુ, તેનો અમલ જુલાઈથી જ થશે. સરકારે 1 જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં 50 ટકા મોંઘવારી ભથ્થું (DA) મળે છે.

ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થને છોડવાનો ‘સુપ્રીમ’ આદેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે UAPA કેસમાં ન્યૂઝક્લિકના એડિટર પ્રબીર પુરકાયસ્થની દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડને ગેરકાયદે બતાવી છે. કોર્ટે તેમને છોડી મૂકવાના આદેશ આપ્યા છે. દિલ્હી પોલીસે ન્યૂઝક્લિકમાં ચીની ફન્ડિંગથી ભારતવિરોધી કામગીરીના આરોપમાં પુરકાયસ્થની ધરપકડ કરી હતી. ત્યાર બાદથી તેઓ જેલમાં હતા. પુરકાયસ્થએ દિલ્હી પોલીસ દ્વારા તેમની ધરપકડ અને રિમાન્ડને સુપ્રીમ કોર્ટે પડકાર્યા હતા.

સુપ્રીમ કોર્ટે માન્યું હતું કે ચોથી ઓક્ટોબર, 2023એ રિમાન્ડ ઓર્ડર જારી થવા પહેલાં પુરકાયસ્થ અને તેમના વકીલને રિમાન્ડ એપ્લિકેશનની કોપી નહોતી સોંપવામાં આવી હતી. તેમની ધરપકડનું કારણ તેમને લેખિતમાં નહોતું જણાવવામાં આવ્યું. કોર્ટે પુરકાયસ્થની ધરપકડ અને રિમાન્ડને કાયદાની નજરે ગેરકાયદે ગણાવી હતી અને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.

જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાએ આ મામલે 30 એપ્રિલે સુનાવણી પૂરી કરી લીધી હતી. પુરકાયસ્થ ગયા વર્ષે ત્રીજી ઓક્ટોબરથી UAPA હેઠળ જેલમાં હતા. કોર્ટમાં પુરકાયસ્થની તરફથી કપિલ સિબ્બલે દલીલો મૂકી હતી.

દિલ્હી પોલીસની FIR મુજબ દેશની અખંડિતતાને તોડવા અને દેશની વિરુદ્ધ અસંતોષ પેદા કરવા માટે ન્યૂઝ પોર્ટલને મોટી રકમ ચીનથી મળી હતી. દિલ્હી પોલીસનો આરોપ છે કે પુરકાયસ્થે 2019ની લોકસભા ચૂંટણી દરમ્યાન ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોચાડવા માટે એક ગ્રુપે –પીપલ્સ અલાયન્સ ફોર ડેમોક્રસી એન્ડ સેક્યુલરિઝમ (PADS)ની સાથે પણ કાવતરું રચ્યું હતું.

 

 

 

 

 

 

 

જેકી શ્રોફની કાનુની કાર્યવાહી,ભીડૂ બોલશો તો આપવો પડશે 2 કરોડનો દંડ

મુંબઈ: બૉલિવૂડના પીઢ અભિનેતા અને બધાના પ્રિય જેકી શ્રોફને ‘ભીડુ’ બોલતા તમે સાંભળ્યા જ હશે. આ શબ્દનો ઉપયોગ તે ફિલ્મી પડદા પરથી તેમજ સામાન્ય જીવનમાં પણ કરે છે. શક્ય છે કે તમે પણ તેમનાથી પ્રેરિત થઈને આ શબ્દ વાપરવાનું શરૂ કર્યું હોય. પરંતુ હવે આમ કરવાથી તમે કાનૂની મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અભિનેતાએ ‘વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોની સુરક્ષા’ હેઠળ ‘ભીડુ’ શબ્દના ઉપયોગ પર દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે અને ઘણી સંસ્થાઓ સામે કેસ દાખલ કર્યો છે.

જેકી દાએ મંગળવારે તેમની સંમતિ વિના તેમના નામ, ફોટોગ્રાફ્સ, અવાજ અને ‘ભીડુ’ શબ્દનો કથિત ‘અનધિકૃત’ ઉપયોગ કરવા બદલ અનેક સંસ્થાઓ સામે હાઈકોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. તેમજ માંગ કરી હતી કે તેમના નામ, ફોટોગ્રાફ્સ, અવાજ અને ‘ભીડુ’ શબ્દનો કથિત ‘અનધિકૃત’ ઉપયોગ કરવા બદલ 2 કરોડનો દંડ ફટકારવામાં આવે.’લાઇવ એન્ડ લો’ અનુસાર જેકી શ્રોફની અરજી પર બુધવારે કોર્ટમાં સુનાવણી થશે. કોર્ટ સમક્ષ દાખલ કરાયેલ આ કેસ આજના ડિજિટલ યુગમાં ‘સેલિબ્રિટી રાઇટ્સ’ના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે.

ભીડુનો અર્થ શું છે?

જેકી શ્રોફે આ કેસ એવા સમયે દાખલ કર્યો છે જ્યારે અગાઉ અનિલ કપૂર અને અમિતાભ બચ્ચન જેવા કલાકારોએ પણ ‘વ્યક્તિત્વ અધિકારો’ના રક્ષણ માટે કાનૂની માર્ગ અપનાવ્યો હતો. અહીં નોંધવું રહ્યું કે ‘ભીડુ’ એક મરાઠી શબ્દ છે, જેનો ગુજરાતી અર્થ થાય છે જોડીદાર અથવા સાથીદાર.

અનિલ કપૂરે ‘ઝકાસ’ના ઉપયોગ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી

ગત સપ્ટેમ્બરમાં દિલ્હી હાઈકોર્ટે અનિલ કપૂરના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરતો વચગાળાનો આદેશ પસાર કર્યો હતો. આમાં વિવિધ સંસ્થાઓને તેમની સંમતિ વિના વ્યાપારી હેતુઓ માટે તેમના ચિત્ર, નામ, અવાજ અથવા તેમના વ્યક્તિત્વ સાથે જોડાયેલા ‘ઝકાસ શબ્દનો દુરુપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

હાઈકોર્ટે અનિલ કપૂરના કેસમાં 44 લિંક્સને બ્લોક કરી દીધી હતી

અનિલ કપૂરે કોર્ટને તેમની સંમતિ વિના તેમના ફોટા, તેમના નામ, તેમનું નામ AK, અથવા તેમના ફિલ્મી પાત્રો જેમ કે લખન, મિસ્ટર ઈન્ડિયા, મજનુભાઈ, નાયક અને ‘ઝકાસ’નો ઉપયોગ રોકવા માટે કહ્યું હતું. તેમજ તેમણેએઆઈ, ડીપફેક્સ, કોમ્પ્યુટર જનરેટેડ ગ્રાફિક્સ (સીજીઆઈ) વગેરે સહિત કોઈપણ ટેકનોલોજીના ઉપયોગથી રક્ષણની પણ માંગ કરી હતી. ત્યારબાદ અભિનેતાની કાનૂની ટીમે આવી 44 લિંક્સ કોર્ટમાં રજૂ કરી હતી, જેને કોર્ટે બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.

અમિતાભ બચ્ચને પણ પોતાના અવાજના ઉપયોગ પર કાર્યવાહી કરી હતી

આ પહેલા અમિતાભ બચ્ચને પણ આવી જ અરજી કરી હતી. આમાં એક જ્વેલરી કંપનીને પબ્લિસિટી માટે તેના ‘સેલિબ્રિટી સ્ટેટસ’નો ઉપયોગ બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું. કંપનીએ પ્રમોશનમાં અમિતાભ બચ્ચન જેવા અવાજનો ઉપયોગ કર્યો હતો.