Home Blog Page 1847

યૌન ઉત્પીડન મામલોઃ બ્રિજ શરણ સિંહ પર આરોપ નક્કી

નવી દિલ્હીઃ મહિલા પહેલવાનોથી યૌન શોષણ મામલામાં કેસરગંજથી ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ વડા બ્રિજભૂષણ શરણ સિંહ પર આરોપ નક્કી થયા છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે શુક્રવારે તેમની વિરુદ્ધ આરોપ નક્કી કર્યા છે. કોર્ટે કહ્યું હતું કે બ્રિજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા છે.

કોર્ટમાં ACMM પ્રિયંકા રાજપૂતે બ્રિજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ આદેશ પસાર કર્યો હતો. કોર્ટે તેમની પર યૌન શોષણની સાથે કોઈ મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આરોપ પણ નક્કી કર્યા છે. કોર્ટે તેમના સેક્રેટરી વિનોદ તોમરની વિરુદ્ધ પણ આરોપ નક્કી કર્યા છે. યૌન શોષણના આરોપોમાં ઘેરાયેલા બ્રિજભૂષણ શરણ સિંહને ભાજપે લોકસભાની ચૂંટણીમાં ટિકિટ કાપી નાખી છે. ભાજપે તેમને બદલે કેસરગંજથી તેમના પુત્ર કરણ ભૂષણને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

તેમના પર છ મહિલા પહેલવાનોના યૌન શોષણનો આરોપ છે. મહિલા પહેલવાનોના યૌન શોષણ મામલામાં પોલીસે ચાર્જશીટમાં બ્રિજ શરણ સિંહની વિરુદ્ધ IPCની કલમ 354, 354-A, અને 354 D અને સહઆરોપી વિનોદ તોમરની વિરુદ્ધ IPCની કલમ 109, 354, 354 (A) Dvs 506 હેઠળ આરોપ લગાવ્યા છે.તેમની વિરુદ્ધ આશરે સાત સાક્ષીઓ મળ્યા છે અને યૌન શોષણની જગ્યાએ તેમની હાજરીના પુરાવા મળ્યા છે. કોર્ટે આ કેસ MP-MLA કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. કોર્ટે દિલ્હી પોલીસને આ ચાર્જશીટની કોપી ફરિયાદકર્તા મહિલા પહેલવાનોને આપવા પણ આદેશ આપ્યો હતો. મહિલા પહેલવાનોના કેસમાં પોલીસે 1500 પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે.

 

 

 

 

 

 

283 બેઠકો પર મતદાન પૂર્ણ, હવે 4 તબક્કામાં 260 બેઠક બાકી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં ત્રણ તબક્કામાં 285 બેઠકો પર ચૂંટણી પૂર્ણ થઈ છે. દેશમાં લોકસભાની કુલ 543 બેઠકો છે. આથી હવે 259 બેઠક પર બાકીના ચાર તબક્કામાં મતદાન થવાનું બાકી છે. ત્યારે આવો એક નજર કરીએ ક્યા રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થઈ છે અને ક્યા રાજ્યમાં બાકી છે. બાકીના ચાર તબક્કામાં કયા રાજ્યમાં કેટલી બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.19મી એપ્રિલના રોજ પ્રથમ તબક્કામાં 21 રાજ્યમાં 102 બેઠક પર મતદાન થયું. જેમાં નોર્થ-ઈસ્ટના રાજ્યો અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા(1 બેઠક), સિક્કિમ અને નાગાલેન્ડમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશો પુડુચેરી, લક્ષદ્વીપ અને આંદામાન-નિકોબારમાં પણ મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરની લોકસભાની પાંચ બેઠકો છે. જેના પર શરૂઆતના પાંચ તબક્કામાં દરેક વખતે એક બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ઉત્તર પ્રદેશ (80 બેઠક), પશ્ચિમ બંગાળ(42 બેઠક) અને બિહાર(40 બેઠક) ત્રણ એવાં રાજ્યો છે, જેમાં સાતેય તબક્કામાં મતદાન થવાનું છે.

પુડુચેરી – 01 મિઝોરમ – 01 મેઘાલય – 02
મધ્ય પ્રદેશ – 06 મણિપુર – 02 મહારાષ્ટ્ર – 05
અરૂણાચલ પ્રદેશ – 02 આસામ – 05 બિહાર -04
છત્તીસગઢ – 01 જમ્મુ-કાશ્મીર – 01 લક્ષદ્વીપ – 01
રાજસ્થાન – 12 સિક્કિમ – 01 તામિલનાડુ – 39
ત્રિપુરા – 01 ઉત્તરાખંડ – 05 ઉત્તર પ્રદેશ – 08
પશ્ચિમ બંગાળ – 03 નાગાલેન્ડ – 01 આંદામાન-નિકોબાર -01

26મી એપ્રિલના રોજ બીજા તબક્કામાં 13 રાજ્યમાં 89 બેઠક પર મતદાન થયું. જેમાં કેરળનું સંપૂર્ણ મતદાન પૂર્ણ થઈ ગયું છે. કર્ણાટકની 28માંથી 14 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. જ્યારે ભાજપ શાસિત રાજસ્થાનની 25 બેઠકોમાંથી પ્રથમ તબક્કામાં 12 અને બીજા તબક્કામાં 13 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે.

આસામ – 05 બિહાર – 05 છત્તીસગઢ – 03
કર્ણાટક – 14 કેરળ – 20 મધ્ય પ્રદેશ – 07
મહારાષ્ટ્ર – 08 મણિપુર – 01 રાજસ્થાન – 13
ત્રિપુરા – 01 ઉત્તર પ્રદેશ – 08 પશ્ચિમ બંગાળ – 03
જમ્મુ-કાશ્મીર – 01

7મી મેના રોજ ત્રીજા તબક્કામાં 12 રાજ્યમાં 94 બેઠક પર મતદાન થયું. જેમાં સૌથી મહત્વનું રાજ્ય હતું, ગુજરાત. વર્ષોથી જે રાજ્યમાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ ગુજરાતના હોય તે રાજ્યમાં આ વખતે ખુબ જ ઓછું મતદા થયું છે. જે ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્રીજા તબક્કામાં આસામની 4 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું. આમ આસામની કુલ 14 બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયુ છે. આથી નોર્થ-ઈસ્ટ અને ઈસ્ટ ભારતમાં લગભગ લોકસભા મતદાન પૂર્ણ થઈ ગયું છે.

આસામ – 04 બિહાર – 05 છત્તીસગઢ – 07
ગોવા – 02 ગુજરાત – 26 કર્ણાટક – 14
મધ્ય પ્રદેશ – 08 મહારાષ્ટ્ર – 11 ઉત્તર પ્રદેશ – 10
પશ્ચિમ બંગાળ – 04 દમણ-દીવ – 02 જમ્મુ-કાશ્મીર – 01

13મી મેના રોજ ચોથા તબક્કામાં 10 રાજ્યમાં 96 બેઠક પર મતદાન યોજાવાનું છે. ચોથા તબક્કામાં દરેક રાજકીય પક્ષની નજર તેલંગાણા અને આંધ્ર પ્રદેશ પર રહેવાની છે. તેલંગાણાની 17 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થવાનું છે. 2019ના પરિણામોની જો વાત કરવામાં આવે તો 17માંથી 9 બેઠક ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ પાસે છે. જ્યારે ભાજપ પાસે 4 બેઠક અને કોંગ્રેસ પાસે 3 બેઠક છે.

આંધ્ર પ્રદેશની 25 બેઠકો માટે પણ એક જ તબક્કામાં મતદાન થવાનું છે. આંધ્ર પ્રદેશમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 25માંથી 22 બેઠકો પર વાય.એસ.આર.કોંગ્રેસ પાર્ટીનો વિજય થયો હતો. જ્યારે માત્ર ત્રણ બેઠક જ T.D.P.ના ફાળે ગઈ હતી. કોંગ્રેસ કે ભાજપનું તો ખાતું પણ ખુલ્યું ન હતું. આ સિવાય મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 13, મધ્ય પ્રદેશની 8 અને પશ્ચિમ બંગાળની 8 બેઠકો પર પણ મતદાન થવાનું છે.

ચોથા તબક્કાના ચર્ચિત ચહેરાઓમાં હૈદ્રાબાદથી ભાજપના માધવી લત્તા, AIMIMના અસુદ્દીન ઔવેસી, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીથી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની, કન્નોજથી સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, બિહારના બેગુસરાયથી ગિરિરાજસિંહ, મુંગેરથી જનતા દળ યુનાઈટેડના પૂર્વ અધ્યક્ષ રાજીવ રંજન સિંહ, આંધ્ર પ્રદેશના કડપાથી વાય.એસ.શર્મિલા, ઝારખંડના ખૂંટીથી અર્જુન મુંડા, પશ્ચિમ બંગાળના આસનસોલથી શત્રુઘ્ન સિંહા, બહરામપુરથી અધીર રંજન ચૌધરી અને યુસુફ પઠાણનો સમાવેશ થાય છે. ચોથા તબક્કાના મતદાન બાદ 18 રાજ્ય અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે.

તેલંગાણા – 17 આંધ્ર પ્રદેશ – 25 બિહાર – 05
ઉત્તર પ્રદેશ – 13 મહારાષ્ટ્ર – 11 જમ્મુ-કાશ્મીર – 01
પશ્ચિમ બંગાળ – 08 મધ્ય પ્રદેશ – 08 ઓડિશા – 04
ઝારખંડ – 04

20મી મેના રોજ પાંચમા તબક્કામાં 8 રાજ્યની 49 બેઠક પર મતદાન યોજાવાનું છે. પાંચમા તબક્કામાં સૌથી રસપ્રદ કહી શકાય એવી બેઠકોમાં ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠીની બેઠક છે. જેમાં અમેઠીની બેઠકના બદલે આ વખતે રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ લદ્દાખની એક બેઠક માટે મતદાન થવાનું છે જે સૌથી મહત્વની બેઠક અત્યાર કહી શકાય. આ સિવાય કોઈપણ સિંગલ રાજ્યની ચૂંટણી આ તબક્કામાં થવાની નથી. સાતેય તબક્કામાં છે એવાં રાજ્યો બિહાર-03, ઉત્તર પ્રદેશ -14 અને પશ્ચિમ બંગાળ-07 બેઠકો પર મતદાન યોજાવાનું છે. જ્યારે જમ્મુ-કાશ્મીરની છેલ્લી પાંચમી બેઠક માટે પણ મતદાન થવાનું છે. જ્યારે મહારાષ્ટ્રની પણ છેલ્લી 13 બેઠકો માટે આ તબક્કામાં મતદાન થવાનું છે, જેમાં મુંબઈની 6 બેઠકોનો પણ સમાવેશ થાય છે. જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી લડી રહ્યા છે. જ્યારે મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસના સંજય નિરૂપમ, મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠક પરથી જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ હાલ તો ચર્ચામાં છે.

બિહાર – 05 ઝારખંડ – 03 મહારાષ્ટ્ર – 13 ઓડિશા – 05
ઉત્તર પ્રદેશ – 14 પશ્ચિમ બંગાળ – 07 જમ્મુ-કાશ્મીર – 01 લદ્દાખ – 01 

25મી મેના રોજ છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યમાં 57 બેઠક પર મતદાન યોજાવાનું છે. છઠ્ઠા તબક્કામાં હરિયાણાની દશેય બેઠક પર મતદાન થવાનું છે. જેમાં કોંગ્રેસના દીપેન્દ્ર હુડ્ડા, કુમારી શૈલજા, ભાજપના નવીન જિંદલ, આપના સુશીલ ગુપ્તા અને INLDના અભયસિંહ ચૌટાલા જાણીતા ચહેરા છે. આથી 20મી મે બાદ આ રાજ્યમાં સ્ટાર પ્રચારકોના આંટા-ફેરા વધી જશે. આ સિવાય રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની પણ સાતેય બેઠકો માટે આ જ તબક્કામાં મતદાન થવાનું છે. જેમાં મનોજ તિવારી vs કનૈયા કુમારવાળી દિલ્હી નોર્થ-ઈસ્ટ બેઠક પર સૌની નજર છે. આ ઉપરાંત ભાજપના દિવંગત નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે આપના સોમનાથ ભારતી ચૂંટણી લડી રહ્યા છે.

બિહાર – 08 હરિયાણા – 10 ઝારખંડ – 04
ઓડિશા – 06 ઉત્તર પ્રદેશ – 14 પશ્ચિમ બંગાળ – 08
દિલ્હી – 07

1લી જૂનના રોજ સાતમા તબક્કામાં 8 રાજ્યની 57 બેઠક પર મતદાન યોજાવાનું છે. અંતિમ તબક્કામાં ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પર સૌની નજર હશે. કારણ કે અહીંથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે.

બિહાર – 08 ચંદીગઢ – 01 પશ્ચિમ બંગાળ – 09 પંજાબ – 13
હિમાચલ પ્રદેશ – 04 ઉત્તર પ્રદેશ – 13 ઓડિશા – 06 ઝારખંડ – 03

આ ઉપરાંત પંજાબની 13 બેઠકો માટે અંતિમ તબક્કામાં મતદાન થવાનું છે. જેનું ચિત્ર સ્પષ્ટ થવાનું બાકી છે. પરંતુ અહીં પણ મુકાબલો રસપ્રદ ચોક્કસ રહેશે.

(તસવીર – ઈલેક્શન કમિશન વેબસાઈટ)

બોમ્બ બ્લાસ્ટના મેઈલમાં થયા મોટા ખુલાસા, જાણો ક્યાંથી મળી ધમકી

રાજ્યમાં લોકસભા ચૂંટણીના એક દિવસ પહેલા એટલે કે 6 મેના રોજ અમદાવાદની 23 જેટલી શાળામાં એક ધમકી ભર્યો ઈમેઈલ આવ્યો હતો. જેમાં 23 શાળામાં બોમ્બ હોવાનો ઉલ્લેખ હતો. ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર એક્શન મોડ આવ્યું હતું. મેઈલને લઈને શોધખોળ હાથ ધરી હતી. જ્યારે આ વચ્ચે લોકસભાની ચૂંટણી પર કોઈ અસર પડતી જોવા મળી ના હતી.

હવે ધમકી ભર્યા ઈમેઈલને લઈ ક્રાઈમ બ્રાન્ચે મોટા ખુલાસા કર્યા છે. પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું હતું કે મેઈલ રશિયન સર્વરથી કરવામાં આવ્યા હતા. જેને લઈ સાઈબર પોલીસ તપાસ કરી રહી હતી. હવે આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચના ખુલાસામાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. આ ધમકી પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI કે આતંકી સંગઠનનું કાવતરુ હોવાની પણ શક્યતા છે.  ઉંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું કે પાકિસ્તાનના હેકરોએ રશિયન સર્વરનો ઉપયોગ કરી ધમકીભર્યા મેલ મોકલ્યા હતા. ખરેખર તેઓ બોંબ વિસ્ફોટ કરાવવા માગતા હતા કે પછી આ મજાક હતી? તેને લઈને પણ તપાસ ચાલી રહી છે.

ISIના તૌહીદ લિયાકતના નામે આઈડી બનાવી મેઈલ કરવામા આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા દિલ્હીની શાળાઓને પણ આ જ પ્રકારે ધમકીભર્યા ઇમેઇલ કરાયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસ સમગ્ર મામલાની હજું ઉંડી ચપાસ કરી રહી છે.

 

ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુનને લગાવી ફટકાર

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આકરી ફટકાર લગાવી છે. અત્યાર સુધી ત્રણ તબક્કામાં થયેલા મતદાનના ડેટાને લઈને ખડગેએ આરોપ લગાવ્યા હતા. એ પત્રને લઈને પંચે કહ્યું હતું કે ખડગેના નિવેદનથી નિષ્પક્ષ ચૂંટણીમાં અડચણ આવે છે. ચૂંટણીની વચ્ચે તેઓ ભ્રમ ફેલાવી રહ્યા છો અને એવાં નિવેદનોથી મતદાતાઓની ભાગીદારી પર નકારાત્મક અસર પડી શકે છે.

બે દિવસ પહેલાં ખડગેએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે મતદાનના આંકડા પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે પંચ પર આરોપ લગાવ્યો હતો. તેમણે  ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને અપીલ કરી હતી કે બધા મળીને મતદાનના આંકડા પર  સવાલ ઊભા કરો, કેમ કે અમારો ઉદ્દેશ બંધારણની સુરક્ષા અને લોકતંત્રની રક્ષા કરવાનો છે.ખડગેએ પત્રમાં કહ્યું હતું કે આ કોઈ સામાન્ય ચૂંટણી નથી. અમારા લોકતંત્ર અને બંધારણને બચાવવાની લડાઈ છે. લોકતંત્રની રક્ષા માટે અવાજ ઉઠાવવાનો અને પંચને જવાબદેહી બનાવવાનું સામૂહિત કર્તવ્ય છે.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે ભાજપ અને RSS ઝેર છે, તે આપણને આપણા અધિકારોથી વંચિત કરી રહ્યા છે. જો લોકસભા ચૂંટણી બાદ મોદી સત્તામાં આવશે તો તાનાશાહી થશે, કોઈ લોકશાહી નહીં હોય અને કોઈ ચૂંટણી નહીં થાય. નીતીશ કુમારના NDAમાં સામેલ થવા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે એક વ્યક્તિના અલગ થવાથી મહાગઠબંધન નબળું નહીં થાય, આપણે ભાજપને હરાવીશું.

 

 

 

 

 

 

અમદાવાદ એરપોર્ટ-વડોદરા દોડશે GSRTC, જાણો ટાઈમ ટેબલ

વિદેશી મહેમાનો માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તરફથી સારા સમાચાર મળી રહ્યા છે. અવર નવર ફ્લાયટ મુસાફરી કરનારો લોકોને એક શહેરથી બીજા શહેર જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હવે GSRTCએ વડોદરાની મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પહોંચવા માટે માર્ગ સરળ બનાવી આપ્યો છે.

GSRTCએ અમદાવાદ એરપોર્ટથી વડોદરા અને વડોદરાથી અમદાવાદ એરપોર્ટ સુધીની એસી વોલ્વો બસ સેવા શરૂ કરી છે. દરરોજ ચાર વોલ્વો બસ અમદાવાદ એરપોર્ટથી વડોદરા વચ્ચે અવરજવર કરશે. આ બસ સેવા શરૂ થતાં મુસાફરોને રાહત થઈ છે. આ અગાઉ પણ GSRTC દ્વારા અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી બસ સેવા શરૂ કરી હતી.

ત્યારે હવે અમદાવાદ એરપોર્ટથી વડોદરાની GSRTC બસની સેવા શરૂ કરવામાં આવી છે જે અમદાવાદ એરપોર્ટથી સવારે 6 વાગ્યે GSRTCની બસ વડોદરા પહોંચવા માટે રવાના થશે જે સવારે 8:30 કલાકે વડોદરા પહોંચશે. જ્યારે બીજી બસ રાત્રે 11:30 કલાકે અમદાવાદ એરપોર્ટથી રવાના થઈને મોડી રાત્રે 1:30 કલાકે વડોદરા પહોંચશે. જ્યારે વડોદરાથી બપોરે 3:15 કલાકે બસ અમદાવાદ એરપોર્ટ માટે રવાના થશે, જે સાંજે 5:45 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચાડશે. જ્યારે અન્ય બસ સાંજે 7:30 કલાકે વડોદરાથી રવાના થશે જે રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચાડશે.

આ વોલ્વો બસ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જેમાં ઓનબોર્ડ મનોરંજન અને ચાર્જિંગ સુવિધાઓ, એર કંડીશન વોલ્વો બસ રહેશે. આ વોલ્વો બસ અમદાવાદ એરપોર્ટથી વાયા શાહીબાગ, કાલુપુર, ગીતામંદિર થઇને એક્સપ્રેસ પરથી વડોદરા પહોંચશે. મુસાફરોએ જીએસઆરટીસીની વેબસાઈટ અથવા ઉપરાંત વિવિધ ટ્રાવેલ પોર્ટલ દ્વારા સીટ ઓનલાઈન બુક કરાવી શકશે.

નરેન્દ્ર દાભોલકર મર્ડર કેસઃ બે આરોપીને આજીવન કેદ

નવી દિલ્હીઃ પુણેની એક કોર્ટે અંધવિશ્વાસની વિરુદ્ધ લડાઈ લડતા કાર્યકર્તા ડો. નરેન્દ્ર દાભોલકરના હત્યાકાંડ સંદર્ભે બે આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. એ સાથે કોર્ટે ત્રણ આરોપીઓને છોડી મૂક્યા છે. દાભોલકરની 20 ઓગસ્ટ, 2013એ પુણેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બે બાઇકસવાર હુમલાખોરોએ તેમને ગોળી મારી હતી.  આ હત્યાકાંડની તપાસ પહેલાં પુણે પોલીસ અને ત્યાર બાદ CBIને સોંપવામાં આવી હતી.

દાભોલકર અનેક વર્ષોથી સમિતિ ચલાવી રહ્યા હતા. તેમણે અંધવિશ્વાસ ઉન્મૂલનથી સંબંધિત પુસ્તક પણ વિવિધ પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું અને અને કાર્યશાળાનું પણ આયોજન કર્યું હતું. આ હત્યા પછી ઘણી બબાલ થઈ હતી.દાભોલકર હત્યાકાંડમાં પુણેની કોર્ટે ઘટનાના 11 વર્ષ પછી ચુકાદો આપ્યો છે. પુણેની ખાસ CBI કોર્ટે આરોપી સચિન અંદુરે અને શરદ કાલસ્કરને આ હત્યાકાંડમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે બંનેને આજીવન કેદની સજા સંભળાવી હતી. દાભોલકરની પુત્રી અને પુત્રએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પોલીસે CBIને કેસ સોંપ્યો હતો.

લગભગ નવ વર્ષ પછી 2021ની 15 ડિસેમ્બરે પૂણે સ્પેશિયલ કોર્ટે દાભોલકર હત્યાકાંડના પાંચેય આરોપીઓ સામે આરોપ નક્કી કરી નાખ્યા હતા. ડો. વીરેન્દ્રસિંહ તાવડે, સચિન અંદુરે, શરદ કળસકર અને વિક્રમ ભાવે પર યુએપીએ હેઠળ હત્યાનો, ગુનાહિત ષડ્યંત્ર રચવાનો તથા શસ્ત્ર અધિનિયમ સંબંધી ધારાઓ હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા, જ્યારે સંજીવ પુનાળેકર પર આઈપીસીની કલમ 201 (પુરાવા નષ્ટ કરવા કે ખોટી માહિતી આપવી) મુજબ આરોપ મૂકવામાં આવ્યા હતા. તેમ છતાં આ પાંચેય આરોપીઓએ કોર્ટમાં ગુનો કબૂલ કરવાનો ઇનકાર કર્યો હતો.પાંચેય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા પછી ખરા અર્થમાં ખટલો 2021માં શરૂ થયો હતો, તેમાં લગભગ 20 સાક્ષીઓનાં નિવેદનો લેવામાં આવ્યાં હતાં.

 

 

 

 

 

 

 

 

એક કોર્પોરેટરનો સાયકલિંગનો અનોખો સંકલ્પ

અમદાવાદ: શહેરના મણીનગર વિસ્તારના કોર્પોરેટર ડો.ચંદ્રકાંત ચૌહાણ જુલાઇ 2022 થી સતત દર શુક્રવારે કોઇપણ કામ હોય તો સાયકલ પર જ પ્રવાસ કરે છે. ચંદ્રકાંત ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના 2021માં ચૂંટાયેલી પાંખના કોર્પોરેટર છે.

શારિરીક શિક્ષણમાં Ph.D.ની પદવી મેળવી ચૂકેલા મ્યુનિસિપલ કોર્પોરેટર ડો. ચંદ્રકાંત ચૌહાણ ચિત્રલેખા.કોમને કહે છે, “વધતી જતી વસ્તી અને પૃથ્વીની ઉપર નીચેથી આડેધડ વપરાતા સંશાધનોથી પર્યાવરણને ખૂબ જ નુકસાન થઇ રહ્યું છે. એટલે આપણે દેશના નાગરિક તરીકે પર્યાવરણને બચાવવા અને કુદરતી સંશાધનો ઓછા વપરાય એવા પ્રયોગો આપણે કરવા જોઇએ એવી મારી દ્રઢ માન્યતા છે. યોગાનુયોગ અમદાવાદ શહેરના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરાએ તમામ કોર્પોરેટર અને કર્મચારીઓને ઇકો ફ્રેન્ડલી ફ્રાઇડેનો એક પ્રયોગ આપ્યો છે. સૌને સંકલ્પ કરવાનું કહ્યું કે શુક્રવારે પર્યાવરણ જાગૃતિ, પર્યાવરણના રક્ષણ માટેના કાર્યક્રમના ભાગરૂપે સૌ તમામ કામગીરી સાઇકલિંગથી જ કરે. સૌની તો મને ખબર નથી પણ કમિશનર સાહેબે જ્યારે જેવું ફરમાન કર્યું ત્યારથી અત્યાર સુધી હું દર શુક્રવારે સાઇકલિંગ કરું છું. આ વખતે ચૂંટણીનો પ્રચાર પણ સાયકલ પર કર્યો હતો.”ચંદ્રકાંત ચૌહાણ છેલ્લા સત્તર વર્ષ કરતાં પણ વધારે સમયથી ક્રિકેટ કોચ છે. ગરીબ વિદ્યાર્થીઓ હોય એની ઘર સુધી પરિસ્થિતિને જોયા પછી એમને મફત કોચિંગ આપે છે. એમણે જ્યાં ભણ્યા એ દિવાન બલ્લુભાઇ શાળામાં શારિરીક શિક્ષણના શિક્ષક તરીકે પણ ફરજ બજાવી. હાલ ચંદ્રકાંતભાઇ કોર્પોરેટર તરીકે ચૂંટાયા પછી સમાજ સેવા તો કરે જ છે. આ સાથે એકદમ સામાન્ય પરિવારોમાંથી આવતા બાળકોને ક્રિકેટ કોચિંગ આપે છે. એમના કેમ્પના ઘણાં બાળકો ક્રિકેટમાં જિલ્લા કક્ષાએ, રણજી અને અન્ડર 19 જેવા અનેક સ્તર સુધી પહોંચ્યા છે.ચંદ્રકાંતભાઇ કહે છે, “હું શારીરિક શિક્ષણનો શિક્ષક છું. કોચિંગ કરાવું છું શરીરને ફિટનેસ ખૂબ જ જરૂરી છે. ફિટનેસ પર્યાવરણની જાળવણીના કાર્યક્રમો એક રાજકારણી તરીકે જ્યારે આપણે કરતા હોઇએ ત્યારે આપણે જ સંયમ અને સંકલ્પનો અવશ્ય અમલ કરવો જોઇએ.”

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા અને રથ પૂજન કરાયા

અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરેથી અષાઢ સુદ બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને ભાઈ બલરામની રથયાત્રા પહેલાના કાર્યક્રમો પૂજા યાત્રાઓની શરૂઆત થઈ ગઈ છે. 10મી મે, 2024ને શુક્રવારના રોજ વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના શુભ દિવસે સવારના સમયે ભગવાન જગન્નાથ અને સાથેના રથનું પૂજન કરવામાં આવ્યું હતું.

જગન્નાથ મંદિર સામે રથ મુકવામાં આવ્યા અને પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશિષ્ટ મહાપૂજા કરવામાં આવી હતી. રથોના પૂજન વખતે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, રાજકીય સામાજિક અગ્રણીઓ, સાધુ સંતો તેમજ ભક્તો ખાસ હાજર રહ્યા હતા.

અક્ષય તૃતિયાએ જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રાનું વિશેષ મહત્વ છે. આ દિવસથી જ રથનું સમારકામ સુશોભન અને જાળવણીનું કામ શરૂ થઈ જાય છે. ચંદન યાત્રા અને રથ પૂજનના કાર્યક્રમ સમયે મંદિરના હાથીઓને વિશેષ શણગાર કરીને તૈયાર કરવામાં આવ્યા હતા.

ત્રણેય રથોને ફૂલો અને અન્ય સામગ્રીથી શુષોભિત કરી આકર્ષક બનાવવામાં આવ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

કેજરીવાલને કોર્ટમાંથી પહેલી જૂન સુધી ‘સુપ્રીમ’ રાહત

નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં CM અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે કેજરીવાલને ચૂંટણીપ્રચાર માટે પહેલી જૂન સુધી જામીન આપ્યા છે. જોકે CM કેજરીવાલને જુલાઈ સુધી જામીનની માગ કરી હતી. EDએ કેજરીવાલના જામીનનો વિરોધ કરતાં ગુરુવારે સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યું હતું. એજન્સીએ કહ્યું હતું કે ચૂંટણીપ્રચાર જામીનનો આધાર ના હોઈ શકે. એ ના તો ફન્ડામેન્ટલ હક છે અને કાયદેસરનો અધિકાર છે.

કેજરીવાલ વતી કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી હતી. તેમણે એજન્સીની દલીલ પર જવાબ આપતાં કહ્યું હતું કે EDની દલીલ યોગ્ય છે કે ચૂંટણી પ્રચાર કરવો એ મૂળભૂત અધિકાર હેઠળ નથી આવતો. પરંતુ હા, કાયદા અનુસાર જો કોઈને સજા ફટકારાઈ હોય અને કોર્ટ કહે કે અમે તેના પર સ્ટે આપીએ છીએ તો તે ચૂંટણીપ્રચારમાં જોડાઈ શકે છે.

એજન્સી કેજરીવાલને લિકર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાવ્યો હતો. બીજી બાજુ, એજન્સી કેજરીવાલ વિરુદ્ધ સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરે એવી શક્યતા છે, જેમાં આપ પાર્ટીને આરોપી બનાવી છે. એવું પડેલી વાર થશે, જેમાં આરોપી તરીકે કોઈ પાર્ટીનું નામ હોય.

કોર્ટનો આ ચુકાદો કેજરીવાલ માટે લોકસભા ચૂંટણી વચ્ચે મોટી રાહત  છે. હવે તેઓ ફરી એક વાર આમ આદમી પાર્ટીમાં પ્રાણ ફૂંકી શકશે. તેઓ બાકીના તબક્કાઓના ચૂંટણીપ્રચારમાં પણ ભાગ લઈ શકશે. તેમને પહેલી જૂન સુધીનો સમય મળી ગયો છે અને બીજી જૂને તેમને ફરી આત્મસમર્પણ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

 

 

 

 

 

 

શા માટે આ બાયોપિક જોવી જોઈએ?

  • થોડા સમય પહેલાં વિધુ વિનોદ ચોપરાએ કશાયે આડંબર વિના ‘ટ્વેલ્થ ફેઈલ’ સર્જી, જેની આજેય સિનેમાપ્રેમી ચર્ચા કરે છે. ‘શ્રીકાંત’ પણ ‘ટ્વેલ્થ ફેઈલ’ની પંક્તિમાં બિરાજતી ફિલ્મ છેઃ મેલોડ્રામાથી જોજનો દૂર, સાદી-સરળ, ઈમાનદારીથી બનાવવામાં આવેલી જીવનકથા. દિવ્યાંગોને દયા-કરુણાની નહીં, પણ સમાનતાની જરૂર છે, એમને ઈક્વલિટી આપો એવો સંદેશ આપતી, અશક્ય લાગતી સત્ય કથાને તુષાર હીરાણીનું દિગ્દર્શન, જગદીપ સિધુ-સુમીત પુરોહિતનું ચુસ્ત લેખન, અને રાજકુમાર રાવનો બેનમૂન અભિનય મળ્યાં છે. તુષાર હીરાણી એ સર્જક છે, જેમણે આપણને ‘સાંડ કી આંખ’ તથા વેબસિરીઝ ‘સ્કૅમ 2003-તેલગી સ્ટોરી’ આપી છે.

ફિલ્મ જેમના જીવન પર આધારિત છે એ 33 વર્ષી શ્રીકાંત બોલ્લા આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમાંથી આવતા દષ્ટિવિહીન યુવા ઉદ્યોગ સાહસિક છે. ખેડૂતપરિવારમાં જન્મેલા શ્રીકાંતને એમનું નામ મળ્યું ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંત પરથી. શ્રીકાંતને જન્મથી આંખોનાં તેજ મળ્યાં નહીં. ભણવામાં તેજ શ્રીકાંતને ભારતનો કાયદો સાયન્સના વિષય સાથે 12મું સાયન્સ ભણવાની મંજૂરી આપતો નહોતો એટલે ટ્વેલ્થ વિથ સાયન્સ ભણવા એમણે ભારતીય શિક્ષણ વ્યવસ્થા પર કેસ કર્યો અને એમને એમની પોતાની જવાબદારી પર વિજ્ઞાન ભણવાની મંજૂરી મળી. 98 ટકા સાથે એ ટૉપમાં આવ્યા. દિવ્યાંગ હોવાના લીધે આઈઆઈટીની તૈયારી કરાવતા કોચિંગ ક્લાસમાં ઍડમિશન ન મળ્યું. ત્યાં બોસ્ટનની વિશ્વવિખ્યાત ‘માસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી’ (‘એમઆઈટી’)એ એમને કહ્યું, “આવો, અમે તમને ઍડમિશન જ નહીં, સ્કોલરશિપ પણ આપીએ છીએ”. આમ એ એમઆઈટીની ‘સ્લોન સ્કૂલ ઑફ મૅનેજમેન્ટ’ના સૌપ્રથમ ઈન્ટરનેશનલ બ્લાઈન્ડ સ્ટુડન્ટ બન્યા. ડિગ્રી મેળવી ભારત પરત આવીને એમણે દિવ્યાંગો માટે એક સેન્ટર શરૂ કર્યું, જ્યાં ભણતરની સાથે રોજગારની તક આપતા હુન્નરની તાલીમ આપવામાં આવે. 2012માં એમણે હૈદરાબાદ નજીક ‘બોલાન્ટ ઈન્ડસ્ટ્રીઝ’ની સ્થાપના કરી, જેમાં એમને રતન તાતાનું આર્થિક યોગદાન મળ્યું. આ કંપનીમાં એ દિવ્યાંગોને નોકરી આપે છે. નગરની મ્યુનિસિપાલિટીના કચરામાંથી ઈકો-ફ્રેન્ડ્લી રિસાઈકલ ચીજવસ્તુ બનાવતી કંપનીની વિશ્વવિખ્યાત આર્થિક સામયિક ‘ફૉર્બ્સે’ નોંધ લીધી છે.

અંધજનો પર આપણે ત્યાં ભાગ્યે જ સારી, સહ્ય ફિલ્મો બની છે. આશરે ચારેક દાયકા પહેલાં સઈ પરાંજપેએ ‘સ્પર્શ’ બનાવેલી તો બેએક દાયકા પહેલાં વિપુલ અમૃતલાલ શાહે ચાર અંધજનો સાથે મળીને બૅન્કલૂંટનો પ્લાન બનાવતા અમિતાભ બચ્ચનને ધ્યાનમાં રાખીને ‘આંખે’ બનાવી. સંજય ગુપ્તાએ યામી ગૌતમ-રિતિક રોશનને લઈને રિવેન્જ ડ્રામા ‘કાબિલ’ 2017માં બનાવી. આ બધાથી વિપરીત ‘શ્રીકાંત’ ચક્ષુવિહીન યુવાનનાં જીવન અને એના જુસ્સા અને એની અચિવમેન્ટનો ઓચ્છવ છે. શ્રીકાંત સાબિત કરે છે કે એના જેવા (વિઝ્યુઅલી ઈમ્પૅર્ડ)નો જન્મ લોકલ ટ્રેનમાં “શિરડી વાલે સાંઈ બાબા” ગાવા માટે જ નથી થયો. બલકે, પિતા પહેલાંથી જ કહેતા હતા કે પુત્ર એમનું નામ દીપાવશે જ એવા મતલબનું ગીત ફિલ્મમાં રાખવામાં આવ્યું છે. ‘કયામત સે કયામત તક’નું “પાપા કેહતે હૈ બડા નામ કરેગા”… તનીષ્ક બાગચીએ રિક્રિએટ કરેલું આ થિમસોંગ ફિલ્મમાં મિસફિટ છે એવું કમસે કમ મને લાગ્યું છે. શું કામ એ કહીશ તો રસક્ષતિ થવાનો ભય છે. તમે જ ફિલ્મ જોઈને નક્કી કરજો.

કમાલના અભિનેતા રાજકુમાર રાવ ઉપરાંત ફિલ્મમાં શ્રીકાંતની ટીચર-માર્ગદર્શકની ભૂમિકામાં જ્યોતિકા (જે છેલ્લે અજય દેવગન સાથે ‘શૈતાન’માં જોવા મળી), અમેરિકામાં ભણતી, શ્રીકાંતની દોસ્ત બનતી મેડિકલ સ્ટુડન્ટ સ્વાતિની ભૂમિકામાં આલિયા ફર્નિચરવાલા, શ્રીકાંતના સ્ટાર્ટઅપમાં ઈન્વેસ્ટમેન્ટ કરનારની ભૂમિકામાં શરદ કેળકર, વગેરે છે.

ઓકે, અમુક સીન્સ કોઈને નાટકીય લાગશે, પણ શ્રીકાંત બોલ્લાના જીવનમાં બન્યું એ જ સર્જકે બતાવ્યું છે. ક્યાંક ક્યાંક એમણે વાર્તા રસપ્રદ બનાવવા છૂટછાટ લીધી હશે. મારા માટે સર્જકની સફળતા એ કે આંધ્ર પ્રદેશના ગામડામાં જન્મેલા આવા એક અસામાન્ય વ્યક્તિત્વને એમણે દેશ સમક્ષ મૂકી આપ્યું. આશરે સવાબે કલાકની ‘શ્રીકાંત’ થિએટરમાં રિલીઝ થઈ છે. બાયોપિકમાં રસ હોય તો નજીકના થિએટરમાં પહોંચી જાઓ.