Home Blog Page 1849

પંચાંગ 10/05/2024

IPL 2024: RCB એ પંજાબને 60 રને હરાવ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), ફાફ ડુ પ્લેસિસની આગેવાનીમાં એક શાનદાર વિજય નોંધાવ્યો. આ જીત સાથે RCB ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનના પ્લેઓફની રેસમાં યથાવત છે. ગુરુવારે ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં RCBએ પંજાબ કિંગ્સ (PBKS) ને 60 રનથી હરાવ્યું. આ હાર સાથે પંજાબની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે RCB હજુ પણ દાવેદારોમાં છે. બેંગલુરુએ અત્યાર સુધી 12માંથી 5 મેચ જીતી છે. આ ટીમ હવે પોઈન્ટ ટેબલમાં 7માં નંબર પર છે. જ્યારે પંજાબ 8મા સ્થાનેથી 9મા સ્થાને સરકી ગયું છે. પંજાબે 12માંથી માત્ર 4 મેચ જીતી છે.

 

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા RCBએ 242 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં પંજાબની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે માત્ર 6 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી જોની બેરસ્ટો અને રિલી રોસોએ બીજી વિકેટ માટે 31 બોલમાં 65 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી લીધી હતી. રોસોએ 27 બોલમાં 61 રન બનાવ્યા હતા. જ્યારે બેયરસ્ટોએ 16 બોલમાં 27 રન બનાવ્યા હતા. આ સિવાય શશાંક સિંહે 19 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી. પરંતુ ટીમને કોઈ જીત અપાવી શક્યું ન હતું. બેંગલુરુ તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા અને લોકી ફર્ગ્યુસને 2-2 વિકેટ ઝડપી હતી.

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા RCBએ 7 વિકેટે 241 રન બનાવ્યા હતા. 10 ઓવર પછી ભારે વરસાદ થયો અને કરા પણ મેદાન પર પડ્યા. પરંતુ થોડા સમય બાદ મેચ ફરી શરૂ થઈ હતી. આ પછી વિરાટ કોહલીનું બેટ ગર્જ્યું અને તેણે વિસ્ફોટક રીતે 47 બોલમાં 92 રનની ઇનિંગ રમી. આ દરમિયાન તેણે 6 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય રજત પાટીદારે 23 બોલમાં 55 રન બનાવ્યા હતા. અંતમાં કેમરૂન ગ્રીને 27 બોલમાં 46 રન બનાવ્યા હતા. કોહલી અને ગ્રીન વચ્ચે 46 બોલમાં 92 રનની ભાગીદારી થઈ હતી. પંજાબ તરફથી હર્ષલ પટેલે 3 અને વિદ્વાથ કવેરપ્પાએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે સેમ કુરન અને અર્શદીપ સિંહને 1-1 સફળતા મળી હતી.

IITGNના વિદ્યાર્થીઓએ ઓટોમેટિક ડ્રાઇવરલેસ ગોલ્ફ કાર્ટ બનાવી

ગાંધીનગર: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) ના 10 વિદ્યાર્થીઓએ એક સંપૂર્ણ કાર્યકારી સ્વાયત્ત વાહન વિકસાવ્યું છે જે ડ્રાઇવર વિના ચલાવી શકે છે.ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) ના 10 વિદ્યાર્થીઓએ ઓટોનોમસ વ્હીકલ્સ કોર્સના ભાગરૂપે ઓટોમેટિક ડ્રાઇવરલેસ ગોલ્ફ કાર્ટ તૈયાર કર્યું છે. જાન્યુઆરી 2024 થી મે 2024 સુધીના એક સત્ર દરમિયાન, વિદ્યાર્થીઓએ આ ઇલેક્ટ્રીક ગોલ્ફ કાર્ટને એક અત્યાધુનિક ડ્રાઇવર વિનાના વાહનમાં પરિવર્તિત કર્યું છે. આ વ્હિકલ કેમ્પસ,  હોસ્ટેલ અને એકેડેમિક એરિયાને ઓટોમેટીકલી નેવિગેટ કરવા માટે સક્ષમ છે. ઇન્સ્ટિટયૂટના કુલ 10 બીટેક વિદ્યાર્થીઓએ આ વ્હિકલ વિકસાવ્યું છે. જેમાં 9 વિદ્યાર્થીઓ મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના અને 1 વિદ્યાર્થી કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના છે. વ્હિકલની શરૂઆતની ટેસ્ટમાં સ્પીડ 7 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ છે.વિદ્યાર્થીઓએ આ વ્હીકલને રેગ્યુલર કેમેરા, ડેપ્થ કેમેરા અને લિડર સહિતના સેન્સરથી સજ્જ કર્યા છે. આ ઉપરાંત સલામતી માટે સ્ટીયરીંગ મિકેનિઝમ, બ્રેકીંગ મિકેનિઝમ, એક્સિલરેશન કંટ્રોલ સિસ્ટમ તેમજ કોમ્પ્યુટર વિઝન એલ્ગોરિધમ્સ અને ઓટોમેટિક કંટ્રોલ એલ્ગોરિધમ્સ સહિતના હાર્ડવેર ફેરફારો પણ કર્યા છે. લેન ડિટેક્શન, અવરોધ શોધ, ઓટોમેટિક સ્ટીયરિંગ કંટ્રોલ અને ઓટોમેટિક બ્રેકીંગ અને એક્સિલરેશન સહિત સંપૂર્ણ સ્વાયત્ત કામગીરી માટે વાહનને સક્ષમ બનાવ્યું છે.

પ્રોફેસર હરીશ પી. એમ.એ આ વિશે વાત કરતા કહ્યું કે “વિદ્યાર્થીઓએ અસાધારણ કામ કર્યું છે. તેમણે ખુબ જ પડકારજનક કાર્ય પાર પાડ્યું છે. આ કાર્યમાં ઉચ્ચ-સ્તરની વિશ્વસનીયતા સાથે બહુવિધ આધુનિક ટેક્નોલોજીના રિયલ-વર્લ્ડના અમલીકરણની જરૂર પડે છે. ખુબ જ ઓછા સમયમાં વિદ્યાર્થીઓએ જટિલ કાર્યનું સફળ અમલીકરણ કર્યું છે. ઓટોનોમસ કારનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. તે સમય દૂર નથી જ્યારે આપણે તેમને એરપોર્ટ, કેમ્પસ કે મોલ્સમાં ફરતી જોઈશું.” સમગ્ર વિકાસ પ્રક્રિયા દરમિયાન ગેસ્ટ લેક્ચરર્સ, IITGN લેબોરેટરી સ્ટાફ અને શિક્ષણ સહાયકો તરફથી વિદ્યાર્થીઓને સમર્થન અને માર્ગદર્શન મળતું રહ્યું હતું. અંદાજે રૂ. 65,000 (વાહન અને કોમ્પ્યુટર સિવાય)ના કુલ બજેટ સાથે, વિદ્યાર્થીઓએ નોંધપાત્ર પરિણામ પ્રાપ્ત કરવા માટે સંસાધનોનો મહત્તમ ઉપયોગ કર્યો છે.

પ્રોજેક્ટ સાથે સંકળાયેલી વિદ્યાર્થિની સાનિયા પટવર્ધને કહ્યું કે, “આ પ્રોજેક્ટ પર કામ કરવાનો અનુભવ અદ્ભુત હતો. આ એક લાંબો પ્રોજેક્ટ હતો જેમાં ઘણું સમર્પણ અને ઝીણવટભર્યું આયોજન જરૂરી હતું. પ્રોજેક્ટ દરમિયાન કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો હતો.”

ગરમીથી મળશે આંશિક રાહત

રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે ચડતો જાય છે. ગરમીને કારણે રોગચાળામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ આકરી ગરમથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આગામી 11થી 15મી મે દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, 11મી મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે 12 અને 13મી મેના રોજ દક્ષિણ ગુજરાતની સાથે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. તો 14મી મેના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની સાથે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર પણ વરસાદમાં ભીંજાઇ શકે છે. આ ઉપરાંત 15મી મેના રોજ નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના અમૂક વિસ્તાકમં વરસાદી માહોલ સર્જાવાથી ગરમીમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે. તો બીજી બાજુ ભર ઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતી છે. આ અગાઉ ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન અંબાજી પંથકમાં વરસાદી ઝાપટ જોવા મળ્યા હતા.

શું PM મોદી, રાહુલ ગાંધી ખુલ્લા મંચ પર કરશે વાદવિવાદ?

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી દરમ્યાન જો વડા પ્રધાન મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એક મંચ પર જોવા મળે અને બંને વચ્ચે હાલના મુદ્દાઓને લઈને વાદવિવાદ થાય તો કેવું? શું આ સંભવ છે? લાગતું તો નથી, પણ દિલ્હી હાઇકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ મદન લાકુર અને એપી શાહે લોકસભાની ચૂંટણીની વચ્ચે જાહેર ચર્ચાવિચારણા માટે વડા પ્રધાન મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આમંત્રિત કર્યા છે.

જસ્ટિસ લોકુર અને શાહેની સાથે-સાથે ધ હિન્દુના ભૂતપૂર્વ સંપાદક એન રામે –બંનેએ એક લખ્યું છે કે એવી ચર્ચાને દેશના વિકાસમાં સાર્થક ચર્ચા બતાવી છે. આ બંને જજોએ અને એક પત્રકારે બંને નેતાઓને મોકલેલા પત્રમાં લખ્યું છે કે એક એવા મંચ પર વાદવિવાદ થાય જે કોઈ પક્ષનો ના હોય અને કોઈ પણ રીતે કોમર્શિયલ હોય તો એ દેશ માટે કેટલો સાર્થક વાદવિવાદ હોઈ શકે.

આ પત્રમાં લખ્યું છે કે આપણા દેશ વિશ્વમાં સૌથી મોટો લોકશાહીનો દેશ છે અને વિશ્વમાં આપણી ચૂંટણીને બહુ રસપ્રદ રીતે જોવામાં આવે છે. જાહેર ચર્ચા-વિચારણા એક કાયમ માટે મિસાલ બનશે, પરંતુ એક સ્વસ્થ અને જીવંત લોકતંત્રનું સાચું ચિત્ર રજૂ કરશે. તેમણે આ પત્રમાં લખ્યું છે કે જે સવાલ નેતાઓ સભાઓમાં એકમેકને પૂછી એ સવાલો પર તેઓ આમનેસામને વાત કરશે, તો કેટલું સારું થશે.

 

 

 

 

સાયન્સ સિટી ખાતે નેશનલ ટેક્નોલોજી દિવસની ઉજવણી કરાશે

અમદાવાદ: દર વર્ષે 11મી મેના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત સાયન્સ સિટી ખાતે પણ રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસની ઉજવણી કરાશે. ગુજકોસ્ટ (ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી) અને IPR( ઈન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રીસર્ચ)ના સંયુક્ત ઉપક્રમે આ ઉજવણી કરવામાં આવશે.
વર્ષ 1998માં 11મી મેના દિવસે ભારતે પરમાણુ પરીક્ષણ કર્યું હતું. તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતે એક પછી એક એમ 5 પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યું હતું. જે પરીક્ષણની સફળતા પર, સરકારે 11મી મેને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે જાહેર કર્યો. ત્યારથી, 11 મેને દેશમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તે દેશના વિકાસમાં યોગદાન આપનારા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને સમર્પિત છે.દર વર્ષે જુદી-જુદી થીમ સાથે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘ટેક્નોલોજિસ ફોર વિકસિત ભારત’ છે. ત્યારે આ થીમ પર ગુજરાત સાયન્સ સિટીમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે ટેક્નોલોજી દિવસની ઉજવણી કરાશે. આ નિમિત્તે ઓડિટોરિયમમાં પ્લાઝ્મા ટેક્નોલોજી પર શિક્ષકો માટે હેન્ડ્સ ઓન ટેક્નોલોજી વર્કશોપનું આયોજન કરવામાં આવશે. તેમજ સાયન્ટિફિક ફિલ્મ્સ પણ દર્શાવવામાં આવશે. તદુપરાંત સાયન્સ ડોમમાં પ્લાઝ્મા ટેક્નોલોજીનું પ્રદર્શન રાખવામાં આવશે. તેમજ સહભાગીઓને ગુજરાત સાયન્સ સિટીની વિવિધ ગેલેરીઓની મુલાકાત પણ કરાવવામાં આવશે.મહત્વનું છે કે શિક્ષકો અને રસ ધરાવતા લોકોમાં ટેક્નોલોજી પ્રત્યે રૂચિ વધે અને ટેક્નોલોજીના સદુપયોગથી સમાજ અને દેશનો વિકાસ થાય તે હેતુથી ગુજરાત સાયન્સ સિટી ખાતે નેશનલ ટેક્નોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

IPL 2024: શું રોહિત શર્મા MI છોડીને KKRમાં જોડાશે?

નવી દિલ્હીઃ IPL 2024માં રોહિત શર્મા સૌથી વધુ ઇનિંગ્સ રમીને ઇતિહાસ રચ્યો છે. શર્મા IPLના ઇતિહાસમાં 250 ઇનિંગ્સ રમનાર પહેલો બેટર છે. 17મી સીઝનના પ્રારંભે MIમાં મોટ ફેરબદલ જોવા મળ્યો હતો. MIએ GTથી હાર્દિક પંડ્યાને ખરીદ્યો હતો. ત્યાર બાદ રોહિત શર્માની જગ્યાએ MIની કેપ્ટનશિપ હાર્દિકને સોંપવામાં આવી હતી. જોકે તેની સામે ચાહકોએ ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી.

આ સાથે MI પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. હવે શર્મા ભૂતકાળમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયેલો હતો. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે હવે MIની કેપ્ટનશિપમાં ફેરબદલ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અકરમે દાવો કર્યો છે કે રોહિત આગામી સીઝનમાં મુંબઈ ઈન્ડિન્સનો ભાગ નહીં હોય. જો તેમ થાય તો હું રોહિતને KKR ટીમ તરફથી રમતો જોવા ઈચ્છું છું. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે દાવો કરતાં કહ્યું હતું કે હિટમેન આગામી સીઝનમાં MI  છોડી દેશે.

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું હતું કે કલ્પના કરો કે રોહિત કોલકાતાની ટીમ તરફથી ઓપનિંગમાં ઊતરે. ત્યાં ગૌતમ ગંભીર મેન્ટર તરીકે છે અને શ્રેયસ ઐયર કેપ્ટન છે. જો આમ થાય તો કોલકાતાની બેટિંગ કેટલી મજબૂત થઈ જાય. રોહિત કોલકાતાની જ નહીં, કોઈ પણ પિચ પર અસરકારક બેટિંગ કરી શકે છે. તે મહાન ખેલાડી છે. મને તે કોલકાતાની ટીમમાં હોય તેવું ગમશે.  MIના કેપ્ટન તરીકેની વિદાય અંગેના સવાલના જવાબમાં અગાઉ રોહિત શર્માએ જણાવ્યું હતુ કે, જુઓ, આવું તો જિંદગીમાં ચાલ્યા કરે. બધુ તમારા ધાર્યા પ્રમાણે ના પણ થાય. જોકે આ અનુભવ યાદગાર રહ્યો હતો.

આ વખતે પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ આઠ પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. બુધવારે હૈદરાબાદે લખનઉને હરાવીને પ્લેઓફની રેસમાં પોતાની સ્થિતિ મજબૂત કરી અને મુંબઈને બહાર કરી દીધું હતું.

 

 

 

ઇફકોના ડિરેક્ટરપદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત

અમદાવાદ: ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ(ઇફ્કો)ના ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ છે. જયેશ રાદડિયાને આ ચૂંટણીમાં 114 મત મળ્યા છે. તેમણે ભાજપના જ સત્તાવાર ઉમેદવાર બિપીન પટેલ ગોતાને હરાવ્યા છે. ભાજપના આ બંન્ને નેતાઓ ઈફ્કોમાં ડિરેક્ટરના પદ માટે એકમત ન થતા ચૂંટણી યોજાઈ હતી. ભાજપે બિપીન પટેલ ગોતાને મેન્ડેટ આપ્યો હતો. પરંતુ ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ દાવેદારી નોંધાવી ચૂંટણીમાં જંપલાવ્યુ હતું. ચૂંટણીમાં કુલ 182 મતદારો હતા, પરંતુ તેમાંથી 180 મત પડ્યા છે. આ 180 મતમાંથી જયેશ રાદડિયાને 114 મત, જ્યારે હરીફ બીપિન પટેલ ગોતાને 66 મત જ મળ્યા છે.

જાણો ધોરણ 10નું પરિણામ કયારે જાહેર થશે

ધોરણ 12નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાનું પરિણામ આજે જાહેર થઈ ચૂક્યું છે. રાજ્યમાં ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાં ખુશીના આંસુ છલકાતા જોવા મળી રહ્યા છે. ધોરણ 12 સાથે ગુજકેટની પરીક્ષાનુ પરિણામ પણ જાહેર થયું હતું.

તો હવે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ગુજરાત બોર્ડ ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત લાગી દીધો છે. હવે ધોરણ 10નું પરિણામ 11 તારીખે જાહેર થશે. તારીખ 11 મેના રોજ સવારે આઠ વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને બોર્ડની પરીક્ષાનું પરિણામ જોઈ શકશે. આ સાથે જ વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું રિઝલ્ટ મેળવી શકશે.  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી.

રિઝલ્ટ જોવા માટે સૌથી પહેલા બોર્ડની સત્તાવાર પરિણામોની વેબસાઇટ gseb.org પર જાઓ. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ પોતાનો  બેઠક ક્રમ નાખીને એન્ટર બટન પર ક્લિક કરવું. ત્યાર બાદ પરિણમ  દેખાશે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું પરિણામ જાણી શકે છે. જેના માટે 6357300971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ જોઈ શકે છે.

મુઘલ સલ્તનતના ઘમંડને ચકનાચૂર કરનાર મહારાણા પ્રતાપના જીવન વિશે જાણો

મેવાડના રાજા, મહાન યોદ્ધા અને શાસકોમાંના એક મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો. 9મી મેના રોજ દેશભરમાં મહાન રાજા મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે.ખાસ કરીને આ દિવસ રાજસ્થાનના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. મેવાડના શાસકને સૌથી બહાદુર રાજપૂત યોદ્ધાઓમાંના એક ગણવામાં આવતા હતા અને તેઓ મુઘલો સામેની તેમની યાદગાર લડાઈઓ માટે જાણીતા છે.9મી મેનો દિવસ તેમની બહાદુરી અને હિંમતની યાદમાં ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે.

નોંધનીય છે કે મહારાણા પ્રતાપ જયંતિ દર વર્ષે 9 મેના રોજ એ મહાન યોદ્ધાના સન્માનમાં ઉજવવામાં આવે છે જેમણે મુઘલ સામ્રાજ્ય સામે લડત આપી અને તેમના લોકોની સ્વતંત્રતાની રક્ષા કરી.આ દિવસે રાજસ્થાનના લોકો તેમના યોગદાનને યાદ કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને મહાન યોદ્ધાને શ્રદ્ધાંજલિ આપે છે.

ઈતિહાસ

મહારાણા પ્રતાપ સમ્રાટ રાણા ઉદય સિંહના પુત્ર અને અનુગામી હતા. 1572 માં તેમના પિતાના મૃત્યુ પછી વરિષ્ઠ દરબારીઓ માનતા હતા કે પ્રતાપ રાજા માટે આદર્શ ઉમેદવાર છે અને તેમના અસાધારણ ગુણો તે સમયે મુઘલો સામે લડવાની ક્ષમતા ધરાવે છે. 1572 માં, મહારાણા પ્રતાપે તેમના પિતાની ગાદી સંભાળી અને મેવાડ પર શાસન કર્યું. અગાઉના રાજપૂત સમ્રાટોથી વિપરીત મહારાણા પ્રતાપે તેમનો સામનો કરતી વિશાળ મુઘલ સૈન્યનો પ્રતિકાર કર્યો, તેમના અંતિમ શ્વાસ સુધી બહાદુરીપૂર્વક લડ્યા.

તે રાજપૂતની બહાદુરી, ભક્તિ અને શૌર્યને તેના લોકો અને આગામી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. મહારાણા પ્રતાપે અગિયાર મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા, તેમને પાંચ પુત્રીઓ અને સત્તર પુત્રો હતા. તેમણે 1557 માં મહારાણી અજબદે પુનવાર સાથે પ્રથમ વખત લગ્ન કર્યા.તેમના સૌથી મોટા પુત્રનું નામ અમરસિંહ I હતું, જેઓ પાછળથી તેમના અનુગામી બન્યા અને મેવાડના શાસક બન્યા.

મહારાણા પ્રતાપ મેવાડના 13મા રાજા હતા. તે 25 ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. મહારાણા પ્રતાપનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું અને તેમને જીવનભર ઘણી લડાઈઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુઘલોએ ચિત્તોડગઢ પર હુમલો કર્યો ત્યારે તેમના પિતાએ ભાગવું પડ્યું અને મહારાણા પ્રતાપને મુશ્કેલ સંજોગોમાં ઉછરવા પડ્યા. મહારાણા પ્રતાપ એક બહાદુર યોદ્ધા હતા, અને તેમણે તેમના રાજ્ય અને તેમના લોકોની સ્વતંત્રતાના રક્ષણ માટે મુઘલો સામે લડ્યા હતા.

હલ્દીઘાટીનું યુદ્ધ

18 જૂન 1576 ના રોજ, હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપ સિંહ આમેરના માન સિંહ I ની આગેવાની હેઠળ અકબરની સેના સામે લડ્યા. મુઘલો જીત્યા અને મોટી સંખ્યામાં મેવાડીઓને મારી નાખ્યા, પરંતુ મહારાણા પ્રતાપને પકડવામાં નિષ્ફળ ગયા. આ યુદ્ધ ગોગુંડા નજીક એક સાંકડા પહાડી વિસ્તારમાં થયું હતું, જે હાલમાં રાજસ્થાનમાં રાજસમંદ તરીકે ઓળખાય છે. પ્રતાપ સિંહની તરફેણમાં લગભગ 3 હજાર ઘોડેસવારો અને 400 થી વધુ ભીલ તીરંદાજો હતા. અંબરનો માન સિંહ, જેણે 5-10 હજાર સૈનિકોની સેનાનું નેતૃત્વ કર્યું હતું, તે મુઘલ સેનાપતિ હતા. છ કલાકથી વધુ સમય સુધી ચાલેલા ભીષણ યુદ્ધ પછી મહારાણા ઘાયલ થયા.

મુઘલો ઉદયપુરમાં મહારાણા પ્રતાપ સિંહ અથવા તેમના કોઈ નજીકના પરિવારના સભ્યોને નષ્ટ અથવા કબજે કરવામાં અસમર્થ હતા,જેના કારણે હલ્દીઘાટીની જીત અર્થહીન હતી. જેમ જેમ સામ્રાજ્યનું ધ્યાન ઉત્તર-પશ્ચિમ તરફ ગયું તેમ પ્રતાપ અને તેની સેનાએ તેના આધિપત્યના પશ્ચિમી વિસ્તારો પર ફરીથી કબજો કર્યો. સંખ્યા 16 એ હકીકત હોવા છતાં કે પ્રતાપ સુરક્ષિત રીતે છટકી શક્યો હતો, યુદ્ધ બે સેનાઓ વચ્ચેના મડાગાંઠને તોડવામાં સફળ થયું ન હતું. આ પછી અકબરે રાણા સામે સંયુક્ત યુદ્ધ કર્યું અને તેના અંત સુધીમાં તેણે ગોગંડા, ઉદયપુર અને કુંભલગઢ પર કબજો કર્યો.

મહારાણા પ્રતાપનું મૃત્યુ

મહારાણા પ્રતાપ સિંહનું 19 જાન્યુઆરી 1597ના રોજ ચાવંડમાં 56 વર્ષની વયે શિકાર અકસ્માતમાં થયેલી ઈજાઓને કારણે અવસાન થયું હતું. તેમના સૌથી મોટા પુત્ર, અમરસિંહ I તેમના અનુગામી બન્યા. પ્રતાપે તેમના મૃત્યુ પથારીએ તેમના પુત્રને મુઘલોને શરણાગતિ ન આપવા અને ચિત્તોડ પર ફરીથી નિયંત્રણ મેળવવા માટે કહ્યું.