Home Blog Page 1851

શેરબજાર ધડામ..સેન્સેક્સ 1062 અને નિફ્ટી 335 પોઈન્ટ તૂટ્યો

આજે શેરમાર્કેટમાં ફરી ઉથલપાથલ જોવા મળી છે. ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું. આજે સવારે તે મર્યાદિત રેન્જમાં ખુલ્યું હતું, જેના કારણે રોકાણકારો બજારમાં વૃદ્ધિની અપેક્ષા રાખતા હતા. પરંતુ બપોરે 1 વાગ્યે બજારમાં ભારે ઘટાડા સાથે વેપાર શરૂ થયો હતો. આજના કારોબારમાં સેન્સેક્સ 1062.22 પોઈન્ટ અથવા 1.45 ટકા ઘટીને 72,404.17 પર આવી ગયો હતો. નિફ્ટી પણ 335.40 પોઈન્ટ અથવા 1.5 ટકાના ઘટાડા સાથે 21,967.10 પર બંધ રહ્યો હતો.

BSE સેન્સેક્સ 73000 ની નીચે અને નિફ્ટી 22000 ની નીચે સરકી ગયો છે. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ શોક છે. ઇન્ડિયા વિક્સ લગભગ 7 ટકાના ઘટાડા સાથે એક વર્ષની ટોચે બંધ રહ્યો હતો. આજના કારોબારના અંતે સેન્સેક્સ 1062 પોઈન્ટના ઘટાડા સાથે 72,404 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 345 પોઈન્ટના ઘટાડા સાથે 21,957 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

રોકાણકારોને રૂ. 7 લાખ કરોડનું નુકસાન થયું

શેરબજારમાં આવેલી આ સુનામીને કારણે રોકાણકારોને આજના સત્રમાં રૂ.7 લાખ કરોડનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 393.68 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 400.69 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને રૂ.7 લાખ કરોડનું નુકસાન થયું છે. આજના કારોબારમાં કુલ 3943 શેરનો વેપાર થયો હતો જેમાં 929 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 2902 શેર નુકસાન સાથે બંધ થયા હતા. 112 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

 

Nutshell In 99

સુરતમાં માતા-પુત્રએ સાથે મહેનત કરી બોર્ડની પરીક્ષા પાસ કરી

સુરત: શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા માતા-પુત્રએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા સાથે આપી હતી. આજે જાહેર થયેલા પરિણામમાં માતા-પુત્ર બંને ઉત્તીર્ણ થયા છે. માતાને 55 જ્યારે પુત્રને 72 ટકા આવ્યા છે.સુરતની ઉત્રાણ વિસ્તારમાં આવેલી મૌની સ્કૂલમાં કોમર્સનો અભ્યાસ કરતા દેવ પટેલ અને એમની ૩૫ વર્ષીય માતા દીપિકાબહેને આર્ટસના વિષય સાથે ગત માર્ચ મહિનામાં ધો-૧૨ની પરીક્ષા આપી હતી. દીપિકાબહેને અભ્યાસ છોડ્યાના ૨૨ વર્ષ પછી પરીક્ષા આપી હતી. S.S.C. બાદ દીપિકા બેને મોન્ટેસરી કોર્સ કર્યો હતો. છેલ્લા ૨૦ વર્ષથી તેઓ શિક્ષિકા તરીકે ખાનગી સ્કૂલમાં બાળકોને ભણાવી રહ્યા છે. પુત્રની ધો -૧૨ ની પરીક્ષાનું ફોર્મ ભરવાનો સમય આવ્યો તો તેમને પણ ૧૨મા ધોરણની પરીક્ષા દેવાની ઈચ્છા થઈ આવી અને તેમણે પણ ફોર્મ ભરી દીધું.પરીક્ષા આપવા ખાતર નહીં, પણ પરીક્ષામાં પાસ થવા નોકરી, ઘરકામ અને પરીક્ષા માટે મહેનત પણ શરૂ કરી. પરીક્ષાના અંતિમ દિવસોમાં તો મોડી રાત સુધી વાંચન કરતા. ઘણીવાર વહેલી સવારે ૩ વાગ્યે ઊઠીને પણ વાંચતા. આખરે પરિણામ આવ્યું અને તેઓ 55 ટકા સાથે પાસ થયા. જ્યારે પુત્રને 72 ટકા મળ્યા છે. દીપિકા બહેન કહે છે, આગળ શું કરવું એ વિશે વિચાર્યું નથી. હમણાં માત્ર ધો ૧૨ પાસ કરવાનું સપનું હતું જે પૂર્ણ થયુ છે એનો આનંદ છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

આજથી ગુજરાતની તમામ શાળામાં ઉનાળુ વેકેશન

આજથી ગુજરાતની તમામ શાળામાં 35 દિવસ કોલેજમાં 49 દિવસનું ઉનાળુ વેકેશન છે. જેમાં વાર્ષિક પરીક્ષા બાદ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી હતી, હવે કેમ્પસ સૂમસામ રહેશે. વેકેશન બાદ યુજી સેમ-3 અને 5 તથા પીજી સેમ-3માં તા.24મી જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. તેમજ તા.9મી મેથી તા. 12 જૂન સુધીનું 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે.

રાજ્યની તમામ શાળા અને કોલેજોમાં આજે તા.9ના ગુરુવારથી ઉનાળું વેકેશનનો પ્રારંભ થયો છે. સ્કૂલોમાં 35 દિવસ અને કોલેજોમાં 49 દિવસનું ઉનાળુ વેકેશન ચાલશે. વર્ષ-2024-25ના નવા શૈક્ષણિક સત્રની વાત કરવામાં આવે તો, સ્કૂલોમાં નવા સત્રનો પ્રારંભ 13 જૂને જ્યારે કોલેજોમાં UG-PG સેમ.1નું સત્ર 26મી જૂનથી શરૂ થશે. સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળતી હતી, હવે સત્તાવાર વેકેશન જાહેર થતાં કેમ્પસો સૂમસામ બનશે.

શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ સ્કૂલોમાં તા.6 મે-2024થી તા.9 જૂન-2024 સુધીનું વેકેશન જાહેર કરવામાં આવ્યુ હતુ, પરંતુ શાળા-કોલેજના કર્મચારીઓના ચૂંટણી કામગીરીમાં ઓર્ડર થયેલા હોય તારીખ બદલવા રજૂઆત થઈ હતી. જે અન્વયે રાજ્યની તમામ શાળા અને કોલેજોમાં તા.9 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તા.9મી મેથી તા. 12 જૂન સુધીનું 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. 13મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. તમામ કોલેજમાં તા.9મી મેથી 23મી જુન સુધી ઉનાળું વેકેશન રહેશે. એ પછી યુજી સેમ-3 અને 5 તથા પીજી સેમ-3માં તા.24મી જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.

સમર વેકેશન માટે મુંબઈ નજીકની આ જગ્યાઓ જાણી લો

મુંબઈ: મુંબઈમાં ફરવા માટેના ઘણા શ્રેષ્ઠ સ્થળો છે. લક્ઝુરિયસ હોટેલ્સ, એડવેન્ચર પાર્ક્સથી લઈને ગેટવે ઓફ ઈન્ડિયા, હાજી અલી દરગાહ, છત્રપતિ શિવાજી ટર્મિનસ અને એલિફન્ટા ગુફાઓ સહિતની અહીં જોવા માટે ઘણી જગ્યાઓ છે. આ સિવાય જો આપણે બીચ વિશે વાત કરીએ તો તમે ગિરગામ ચોપાટી, જુહુ બીચ, અક્સા બીચ, ગોરાઈ બીચ વગેરેની મુલાકાત લઈ શકો છો. મુંબઈની આસપાસના વિસ્તારોમાં કેટલાક અદ્ભુત હિલ સ્ટેશનો છે. જ્યાં સમર વેકેશનનું આયોજન કરી શકાય છે. આ વેકેશનમાં તમે તમારા પરિવાર સાથે મુંબઈની નજીકની વિવિધ જગ્યાઓ પર જઈ શકો છો. મુંબઈની નજીક એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમને ફરવાની મજા આવશે.

મહાબલેશ્વર

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલું મહાબલેશ્વર ખૂબ જ સુંદર સ્થળ છે. બ્રિટિશ રાજ દરમિયાન મહાબલેશ્વર બૉમ્બેની ઉનાળાની રાજધાની હતી. મહાબલેશ્વરમાં ઘણા સુંદર મંદિરો છે. તમે તમારા પરિવાર સાથે આ સ્થળની મુલાકાત લઈ શકો છો. મુંબઈથી 5 કલાકમાં મહાબલેશ્વર પહોંચી શકાય છે.

અલીબાગ

લીકેન્ડ પર સેલેબ્સ અલીબાગની મુલાકાતે જતા હોય છે. તમે રોડ અથવા બોટ દ્વારા પણ અહીં પહોંચી શકો છો. અલીબાગ એડવેન્ચર માટે જાણીતું છે. જો તમે ઇચ્છો તો, તમે આ ઉનાળામાં તમારા પરિવાર સાથે અલીબાગમાં રહેવાની યોજના પણ બનાવી શકો છો. મુંબઈથી 3 કલાકમાં અલીબાગ પહોંચી શકાય છે.

નાસિક

નાસિકમાં ઘણા હિન્દુ મંદિરો જોઈ શકાય છે. જો તમે તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે નાસિક એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. નાસિક પણ વીકએન્ડ ટ્રીપ માટે મુંબઈની નજીક છે અને તમે તમારા પરિવાર સાથે અહીં સરળતાથી જઈ શકો છો. તમે 4 કલાકમાં મુંબઈથી નાસિક પહોંચી શકો છો.

શિરડી

જો તમે ઇચ્છો તો, તમે એક સપ્તાહના અંતે મહારાષ્ટ્રની નજીક આવેલા મહારાષ્ટ્રમાં જઈ શકો છો. મુંબઈથી ટ્રેનની મદદથી તમે શિરડી પણ જઈ શકો છો. મુંબઈ અને શિરડી વચ્ચેની સૌથી ઝડપી ટ્રેન દાદર સાઈ નગર શિરડી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન દ્વારા તમે છ કલાકમાં શિરડી પહોંચી શકો છો.

દિલ્હી લિકર કેસઃ ED અરવિંદ કેજરીવાલ સામે દાખલ કરશે ચાર્જશીટ

નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતોમાં વધારો થઈ રહ્યો છે. ED આ મામલે દિલ્હી CMની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરશે. એજન્સી આવતી કાલે લિકર કેસમાં કેજરીવાલની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરશે. આ ચાર્જશીટમાં EDએ કેજરીવાલને દારૂ કૌભાંડમાં કિંગપિન અને મુખ્ય કાવતરાબાજ બતાવ્યા છે.  

એજન્સીનો દાવો છે કે કેજરીવાલથી જોડાયેલા મની ટ્રેલ માલૂમ કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં વચગાળાના જામીન પર સુનાવણી કરી શકે છે. EDએ કોર્ટમાં કહ્યું હતું કે કેજરીવાલની તપાસમાં સહયોગ કરવાના સિલસિલામાં પૂછપરછથી બચતા રહ્યા છે. એજન્સીએ કહ્યું હતું કે કૌભાંડના સમયગાળા દરમ્યાન 36 વ્યક્તિઓએ આશરે 170થી વધુ મોબાઇલ ફોન બદલ્યા છે અને નષ્ટ કર્યા છે. એજન્સીએ જવાબમાં કેજરીવાલની દલીલોને નકારી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ચૂંટણીના સમયે ધરપકડ કરીને તેમને ચૂંટણીપ્રચાર કરવાથી અટકાવવાનું કામ કરવામાં આવ્યું છે.  

આ પહેલાં EDએ કેજરીવાલ માટે વચગાળાની જામીન પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની સલાહનો વિરોધ કરતાં કહ્યું હતું કે કોર્ટના નેતાઓ માટે અલગ શ્રેણી નથી બનાવી શકતા. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ EDને કહ્યું હતું કે દેશમાં હાલના સમયે સાંસદોથી જોડાયેલા આશરે 5000 કેસો પડેલા છે. શું એ બધાને જામીન પર છોડવામાં આવે?મુખ્ય મંત્રી તરફથી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે કોર્ટ એ નથી ઇચ્છતા તેઓ વચગાળાના જામીન મળવા પર સરકારી કામકાજ કરે. તેમણે ખંડપીઠને આશ્વાસન આપ્યું હતું કે જો તમે સરકારી કામ કરશો તો એ હિતોનો ટકરાવ થશે અને અમે એવું નથી ઇચ્છતા,

 

 

 

 

 

 

 

 

ખેતરમાં પરાળી સળગાવનારા ખેડૂતોને MSP નહીં મળેઃ કેન્દ્ર

નવી દિલ્હીઃ ધાન્ય અને ઘઉંના પાક કાપ્યા પછી ખેડૂતો ખેતરમાં પરાળીને સળગાવી દેશે, જેને લઈને વર્ષ 2023માં સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો, જેનો હવાલો આપીને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પત્ર લખ્યો છે. પરાળી સળગાવનારા ખેડૂતોને હવે MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ- MSP) નહીં મળે. કેન્દ્ર સરકારે રાજ્યોને આવા ખેડૂતો પર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. નવી વ્યવસ્થાને આ વર્ષે જ લાગુ થાય એવી શક્યતા છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટની કમિટીએ ભલામણ કરી છે કે પરાળી સળગાવનારા ખેડૂતોને MSP ના આપવામાં આવે. પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાનના સચિવોને કેન્દ્રએ નિર્દેશ આપી દીધા છે. કેન્દ્રએ પત્ર લખીને રિપોર્ટ પણ માગ્ય છે.  ISROની મદદથી પરાળી સળગાવનારા ખેડૂતોની ઓળખ કરવામાં આવશે. સચિવોની કમિટી મુજબ પંજાબને નિયમોનું પાલન કરવાનું રહેશે. સચિવોની કમિટીએ ખાદ્ય મંત્રાલયે એને લાગુ કરવા માટે મેકેનિઝમ તૈયાર કરવાના નિર્દેશ પણ આપ્યા છે. ખેડૂતોના જમીનના રેકોર્ડની અંદર પરાળી સળગાવવાની ઘટના નોંધવામાં આવશે.

MSP એ દર છે- જેના પર સરકાર ખેડૂતોથી સરકાર ઊપજ ખરીદે છે. એ ખેડૂતોના ઉત્પાદન પડતરથી કમસે કમ દોઢ ગણી વધુ હોય છે. કેન્દ્ર સરકાર ઊપજોની એક ન્યૂનતમ કિંમત (Crop Rates) નક્કી કરે છે. ખેડૂતને પોતાની ઊપજની MSP હેઠળ નિર્ધારિત કિંમત મળે જ મળે છે, પછી ભલે બજારમાં કિંમત જે પણ હોય.

સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર પંજાબમાં સૌથી વધુ ધાન્યની ખેતી થાય છે. આ વર્ષે પણ 31.54 લાખ હેક્ટરના ધાન્યની ખેતી વધવાનો અંદાજ છે, જે ગયા વર્ષની તુલનામાં ઘણી વધુ છે. પંજાબ પછી હરિયાણામાં ધાન્યની ઊપજ થાય છે. રાજ્ય સરકારો રાજકીય લાભ ખાટવા માટે પરાળી સળગાવતા ખેડૂતોની વિરુદ્ધ કાર્યવાહી કરવાથી બચે છે.

 

 

 

 

 

 

 

 

ધોરણ 12નું પરિણામ જાહેર, જાણો કયા શહેરે મારી બાજી

રાજ્યના 12 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું છે. ગુજરાત બોર્ડ પ્રથમ વખત સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર કર્યું છે. આ સાથે ગુજ્જકેટનું પમ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પરિણામ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ચકાસી શકશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી બન્યો છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. બોડેલીમાં 47.98 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સામાન્યમાં પ્રવાહમાં 96.40 ટકા સાથે બોટાદે બાજી મારી છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ જુનાગઢમાં 84.81 ટકા આવ્યું છે. તો ગુજકેટની પરિક્ષામાં A ગ્રુપના 510 વિદ્યાને તો B ગ્રુપના 990 વદ્યાર્થીનો 99 ઉપરનો રેન્ક મળ્યો છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ ની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 1609 છે. તો બીજી બાજુ 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 19 છે. આ વર્ષે સામાન્ય પ્રવાહના ગેરરીતિના 238 કેસ નોંધાયા હતા. જ્યારે વિજ્ઞાન પ્રવાની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળા 127 છે. તો 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 27 છે. જ્યારે આ વર્ષ વિજ્ઞાન પ્રવાહમાં 18 ગેરરીતિના કેસ નોંધવામાં આવ્યા હતા.

પહેલી વાર કોઈ નેતાનો ચૂંટણીમાં પ્રચારમાં આવો અંદાજ જોવા મળ્યો

મુંબઈ: 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન જ ગોવિંદાએ રાજકારણમાં ફરી એન્ટ્રી કરી દીધી છે. તેમણે એક દાયકા પછી રાજકારણમાં પાછા ફરવાનું નક્કી કર્યું અને મહારાષ્ટ્રની શિવસેના પાર્ટીમાં જોડાયા છે. પાર્ટીમાં જોડાયા ત્યારથી અભિનેતામાંથી રાજકારણી બનેલા ગોવિંદા જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. શિવસેનાના સ્ટાર પ્રચારક હોવાથી તેઓ ઉમેદવારોના પ્રચાર માટે આવી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અભિનેતાનો એક વીડિયો સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં અભિનેતા મંચ પર સભાની વચ્ચે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. અભિનેતાને ડાન્સ કરતા જોઈને ત્યાં હાજર લોકો અને અન્ય નેતાઓ પણ નાચવા લાગ્યા હતાં.

ચૂંટણી પ્રચાર દરમિયાન ગોવિંદાનો જોરદાર ડાન્સ

જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકાય છે કે શિવસેનાના નેતાઓ સ્ટેજ પર હાજર છે. ચૂંટણી રેલીની વચ્ચે ગોવિંદા તેના હિટ ગીત ‘આપકે આ જાને સે…’ પર જોરદાર શૈલીમાં ડાન્સ કરી રહ્યા છે. તેને ડાન્સ કરતા જોઈને બાકીના નેતા પણ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે અને તે પણ તેની સાથે સ્ટેજ પર ડાન્સ કરવા લાગે છે. ગોવિંદાનો ડાન્સ જોઈને સભામાં હાજર લોકો પણ ઉત્સાહિત થઈ જાય છે. ગોવિંદાની સ્ટાઈલ અને ઉત્સાહ પહેલા જેટલો જ શાનદાર દેખાઈ રહ્યો છે. તે ગીતની દરેક લાઇનને ફુલ એક્સપ્રેશન એન્જોય કરતા દેખાય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ અભિનેતાનો આવો અંદાજ પહેલીવાર જોવા મળ્યો છે.

ગોવિંદા શિવસેનામાં જોડાયા છે

નોંધનીય છે કે વર્ષ 2004માં ગોવિંદા મુંબઈ ઉત્તર લોકસભા સીટથી કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડ્યા હતા અને ભાજપના દિગ્ગજ નેતા રામ નાઈકને હરાવ્યા હતા. જોકે બાદમાં તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. અભિનેતા માર્ચ 2024માં શિવસેનામાં જોડાયા. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાયા ત્યારથી તેઓ ચૂંટણી પ્રચારનો હિસ્સો છે. હાલમાં એ નક્કી નથી થયું કે ગોવિંદા ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે કે નહીં. જો કે, એવી ધારણા છે કે આગામી લોકસભા ચૂંટણીમાં તેમને મુંબઈ નોર્થ વેસ્ટમાંથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

એર ઇન્ડિયા એક્સપ્રેસનું કર્મચારીઓને અલ્ટિમેટમ, 30ને કાઢી મૂક્યા

નવી દિલ્હીઃ કર્મચારીઓના બળવાની વચ્ચે એર ઇન્ડિયા એક્સપ્રેસે કેબિન ક્રૂના 30 સભ્યોને કાઢી મૂક્યા છે. કંપનીએ આ પગલાં લેવામાં નિયમોનો હવાલો આપ્યો હતો. જે કર્મચારીઓને કંપનીએ કર્મચારીઓને કાઢી મૂક્યા છે, એમાં સિક લીવ પર ગયેલા કર્મચારીઓ જ સામેલ છે. એ સાથે કંપનીએ બાકીના સિક લીવ પર ગયેલા કર્મચારીઓને ગુરુવારે સાંજે ચાર કલાકે નોકરી પર પરત ફરવાનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. આવું ના કરવાવાળા કર્મચારીઓની વિરુદ્ધ કંપની પગલાં લેવાની તૈયારીમાં છે.

આ કંપનીના કર્મચારીઓના બળવાને કારણે પેસેન્જરોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુવારે પણ એર ઇન્ડિયા એક્સપ્રેસની 80 ટકાથી વધુ ફ્લાઇટ્સ અથવા તો રદ થઈ છે અથવા મોડી ચાલી રહી છે. આને કારણે યાત્રીઓએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જે ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે, એમાં ચેન્નઈથી કોલકાતા, ચેન્નઈથી સિંગાપોર અને ત્રિચીથી સિંગાપોરની ફ્લાઇટ સામેલ છે, જ્યારે લખનૌથી બેંગલુરુની ફ્લાઇટ મોડી ચાલી રહી છે.

આ પહેલાં એર ઇન્ડિયાના 300 સિનિયર કર્મચારીઓ બુધવારથી એકસાથે સિક લીવ પર ચાલ્યા જતાં એર ઇન્ડિયા એક્સપ્રેસની 82 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી 78 ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. 300 સિનિયર કેબિન ક્રૂ સભ્યોએ છેલ્લી ઘડીએ બીમાર હોવાની સૂચના આપ્યા પછી પોતાના મોબાઇલ ફોન ફરી દીધા હતા.

ટાટા ગ્રુપની માલિકીની એરલાઇનમાં કથિત ગેરવહીવટના વિરોધમાં ઘણા ક્રૂ સભ્યો સિક લીવ પર ઊતરી ગયા છે. સોમવારે સાંજથી ઘણા ક્રૂ સભ્યોએ સિક લીવની સૂચના આપવાની શરૂઆત કરી હતી અને ક્રૂ મેમ્બર્સની અપૂરતી સંખ્યાને કારણે કોચિ, કાલિકટ અને બેંગલુરુ સહિત અનેક એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, એમ સૂત્રોએ કહ્યું હતું.