Home Blog Page 1853

ગુજરાતમાં કુલ 60.13% મતદાન, ફાઈનલ આંકડા જાહેર

7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં સુરત સિવાયની બાકી તમામ 25 બેઠકો પર મતદાન યોજાયું હતું. ગુજરાતમાં કુલ 60.13 ટકા મતદાન થયું હતું. ઈલેક્શન કમિશન દ્વારા મતદાનના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા પ્રમાણે ગુજરાતમાં 60.13 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન વલસાડમાં થયું હતું. વલસાડમાં કુલ 72.71 ટકા મતદાન થયું હતું.

કઈ બેઠક પર કેટલું મતદાન થયું ?

કચ્છ 56.14 ટકા મતદાન
બનાસકાંઠા 69.62 ટકા મતદાન
પાટણ 58.36 ટકા મતદાન
મહેસાણા 59.86 ટકા મતદાન
સાબરકાંઠા 63.56 ટકા મતદાન
ગાંધીનગર 59.80 ટકા મતદાન
અમદાવાદ પૂર્વ 54.72 ટકા મતદાન
અમદાવાદ પશ્ચિમ 55.45 ટકા મતદાન
સુરેન્દ્રનગર 55.09 ટકા મતદાન
રાજકોટ 59.69 ટકા મતદાન
પોરબંદર 51.83 ટકા મતદાન
જામનગર 57.67 ટકા મતદાન
જૂનાગઢ 58.91 ટકા મતદાન
અમરેલી 50.29 ટકા મતદાન
ભાવનગર 53.92 ટકા મતદાન
આણંદ 65.04 ટકા મતદાન
ખેડા 58.12 ટકા મતદાન
પંચમહાલ 58.85 ટકા મતદાન
દાહોદ 59.31 ટકા મતદાન
વડોદરા 61.59 ટકા મતદાન
છોટા ઉદેપુર 69.15 ટકા મતદાન
ભરૂચ 69.16 ટકા મતદાન
બારડોલી 64.81 ટકા મતદાન
નવસારી 59.66 ટકા મતદાન
વલસાડ 72.71 ટકા મતદાન

મુંબઈ: ‘ઝરૂખો’ કાર્યક્રમમાં કવિ ઉદયન ઠક્કરની વિશેષ પ્રસ્તુતિ

મુંબઈ: બોરીવલીમાં અવાર નવાર ‘ઝરૂખો’ નામે કાર્યક્રમનું આયોજન થતું હોય છે.જેમાં વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આગામી રવિવારે ‘ઝરૂખો ‘માં કવિ ઉદયન ઠક્કર પોતાના નવા કાવ્યસંગ્રહ ‘રાવણહથ્થો ‘ ની રચનાઓનું પઠન કરશે.

ગઝલ,ગીત,દુહા હોય કે અછાંદસ, કવિ ઉદયન ઠક્કરના પોતાના આગવા હસ્તાક્ષર છે. કવિ ઉદયન ઠક્કર પ્રથમ કાવ્યસંગ્રહ ‘એકાવન’ માટે મળેલા જયંત પાઠક પારિતોષિક તથા ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઉશનસ્ પારિતોષિક અને રા.વિ. પાઠક પારિતોષિક, કલાપી એવોર્ડ, રમેશ પારેખ સન્માન, હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક, NCERT રાષ્ટ્રીય પુરસ્કાર, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો જીવન ગૌરવ પુરસ્કાર, પ્રિયદર્શિની સાહિત્ય એવોર્ડ, નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. વરિષ્ઠ કવિ ઉદયન ઠક્કર શ્રી સાઈલીલા વૅલફેર ટ્રસ્ટના ‘ઝરૂખો’ કાર્યક્રમમાં ‘રાવણહથ્થો’ કાવ્યસંગ્રહની રચનાઓ રજૂ કરશે તથા શ્રોતાઓ સાથે ગોષ્ઠિ પણ કરશે.

સંજય પંડ્યાના સંચાલનમાં આ કાર્યક્રમ 12 મે રવિવારે સાંજે 7.20 વાગ્યે સાઈબાબા મંદિર બીજે માળે,સાઈબાબા નગર, બોરીવલી વેસ્ટમાં યોજાનાર છે. સાહિત્યરસિકોને આ કાર્યક્રમમાં હાજરી આપવા જાહેર નિમંત્રણ છે. કવિ ઉદયન ઠક્કરનાં સાહિત્યનાં વીસેક પુસ્તકો પ્રકાશિત થયાં છે તથા એમનાં કાવ્યોનાં અંગ્રેજી અને જાપાનીઝ અનુવાદનાં પુસ્તકો પણ પ્રગટ થયાં છે.

અમદાવાદની દીકરીએ સ્વિમિંગમાં જીત્યા 2 સિલ્વર મેડલ

અમદાવાદઃ આજે દીકરીઓ તમામ ક્ષેત્રમાં દીકરાઓ સાથે પગથી પગ મેળવીને ચાલી રહી છે. હાલમાં જ અમદાવાદની દીકરીએ કમાલ કરી છે. અમદાવાદની રિતિશા પરીખે બુધવારે અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની ફિન સ્વિમિંગ સ્પર્ધામાં બે સ્લિવર મેડલ જીત્યા છે. આ જીત સાથે જ રિતિશા રાષ્ટ્રીય સ્વિમિંગ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઇ ગઈ છે.

રાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઇ

રિતિશાએ 50 મીટર અને 100 મીટરની રાજ્ય કક્ષાની ફિન સ્વિમિંગ સ્પર્ધામાં જૂનિયર કેટેગરીમાં બે સિલ્વર મેડલ જીતીને રાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઇ છે. તાજેતરમાં જ રિતિશાએ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફિન સ્વિમિંગ ટુર્નામેન્ટમાં બાય-ફિનિ સ્વિમિંગ જૂનિયર ગ્રૂપ બી કેટગરીમાં 50 અને 100 મીટરમાં જીત મેળવી હતી અને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય થઇ હતી. પાણીની અંદર સ્વિમિંગ સામાન્ય સ્વિમિંગ કરતા અલગ હોય છે. તેમાં સ્નોર્કલ્સ અને મોનો અને બાય ફિન્સનો ઉપયોગ કરવામાં આવે છે.

સેમ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું

લોકસભાની ચૂંટણી વચ્ચે વિવાદાસ્પદ નિવેદનોથી ઘેરાયેલા કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. સાથે જ કોંગ્રેસે પણ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. પાર્ટીના નેતા જયરામ રમેશે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, સેમ પિત્રોડાએ પોતાની મરજીથી ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.

 

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ રંગભેદ દ્વારા ભારતના વિવિધ ભાગોમાં રહેતા લોકોની વિવાદાસ્પદ તુલના કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં પિત્રોડા પૂર્વ ભારતના લોકોની તુલના ચાઈનીઝ અને દક્ષિણ ભારતના લોકોની આફ્રિકન લોકો સાથે કરતા જોવા મળે છે. આ મામલે કોંગ્રેસ નિશાના પર છે. જો કે, પાર્ટીએ પિત્રોડાના નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે.

ધોરણ 12નું વિજ્ઞાન અને સામાન્યનું જાહેર થશે પરિણામ

રાજ્યના બોર્ડની પરીક્ષાના પરિણામને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે, ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓનું પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 11 હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3 લાખ 50 હજાર થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. સૂત્રો પ્રમાણે આવતીકાલે સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ ઉપર બંને પરિણામ ઉપલબ્ધ થશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે આવતીકાલે જાહેર થઈ રહેલા બોર્ડની પરીક્ષાઓના પરિણામો માત્ર અને માત્ર ઓનલાઈન જોઈ શકાશે. મળતી માહિતી પ્રમાણે www.gseb.org પાર્ટી વિદ્યાર્થીઓ પરિણામો જોઈ શકશે. વધુમાં બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવતીકાલે ગુરુવારે બોર્ડની પરીક્ષાઓના પરિણામો જાહેર કરવામાં આવશે. તો, એક દિવસ પછી એટલે કે શુક્રવારના રોજ વિદ્યાર્થીઓને તેમની શાળાઓ માંથી માર્કશીટ આપવામાં આવશે.

આ રીતે ચેક કરો રિઝલ્ટ
સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB HSC Result 2024 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

ગુજરાતી મહિલા કલાકારનું વારાણસીમાં પરફોર્મન્સ

અમદાવાદ: ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા રાજ્યના જાણીતા કલાકાર બીના મહેતાએ વારાણસીમાં ગત 27મી એપ્રિલથી 2જી મે દરમિયાન યોજાયેલા 101મા ‘સંકટમોચન સંગીત સમારોહ’માં ભાગ લીધો હતો. અહીં તેમણે પોતાની ચાર વિદ્યાર્થિનીઓ સાથે કુચીપુડી શાસ્ત્રીય નૃત્ય રજૂ કર્યુ હતું. આ કાર્યક્રમમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને યુવા પ્રતિભાઓ સહિત 150 થી વધુ શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલાં કલાકારોએ પર્ફોમન્સ રજૂ કર્યુ હતુ. જેમાં ગુજરાતમાંથી બીના મહેતાને આ સૌભાગ્ય મળ્યું હતું.આ કાર્યક્રમમાં બીના મહેતાએ એક સોલો પર્ફોમન્સ અને પોતાની ચાર વિદ્યાર્થિનીઓ પાયલ પરીખ, વિશ્રુતી પટેલ, અશિતા પટેલ અને અરૂણા ઝવેરી સાથે ગ્રુપ પર્ફોમન્સ પણ કર્યું હતું. બીના પરીખે અહીં સોલો ભામા કલ્પમ કુચીપુડી ક્લાસિકલ ડાન્સ રજૂ કર્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીઓ સાથે પૂર્વરંગમ્ ક્લાસિકલ ડાન્સ રજૂ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ વિશે ચિત્રલેખા.કોમે બીના પરીખ સાથે વાત કરી. ત્યારે તેમણે જણાવ્યું કે, “મારી માટે તો આ ભગવાને પોતે ત્યાં પર્ફોમન્સ કરવા માટે બોલાવ્યા હોય તેવો અનુભવ રહ્યો છે. જે જગ્યાએ પ્રસ્તુતિ કરવાની હતી તે જગ્યાના વાઈબ્રેશન જ એટલા સારા હતા કે આ કાર્યક્રમ જીવનભરનું સંભારણું બની ગયો. જ્યારે આ પ્રસ્તુતિ રજૂ કરવા માટે મને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે હું ન્યૂઝીલેન્ડ ફરવા માટે ગઈ હતી. ત્યાં જાણ થતાં જ તરત પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. સાથે જ વિદ્યાર્થિનીઓ સાથે પણ પ્રસ્તુતિ રજૂ કરવાની હોવાથી ઓનલાઈન ક્લાસ શરૂ કરી દીધા હતા. પછી તો એવું થઈ ગયું કે ક્યારે પ્રવાસ પૂરો થાય અને ક્યારે ભારત પરત ફરીને વિદ્યાર્થિનીઓ સાથે પ્રેક્ટિસ શરૂ કરી દઉં.” ‘સંકટ મોચન સંગીત સમારોહ’એ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલ સંકટ મોચન હનુમાન મંદિર ખાતે છેલ્લાં 100 વર્ષથી યોજાતો વાર્ષિક સંગીત સમારોહ છે. જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય રજૂ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં પદ્મશ્રી અને પદ્મવિભૂષણ પંડિત હરિપ્રસાદ ચોરસિયા, ગ્રેમી એવોર્ડ વિજેતા પં. વિશ્વમોહન ભટ્ટ અને તબલા ઉસ્તાદ અકરમ ખાને શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. યુ. રાજેશ મેન્ડોલિન અને પંડિત શિવમણીએ ડ્રમ પર હાથ અજમાવ્યો હતો. સંગીત સમારોહમાં અનૂપ જલોટા અને કવિતા કૃષ્ણમૂર્તિ જેવાં પ્રસિદ્ધ ગાયક કલાકારોએ પણ પોતાની પ્રસ્તુતિ રજૂ કરી હતી.

ગરમીએ 83 વર્ષોનો રેકોર્ડ તોડ્યોઃ સૌથી ગરમ રહ્યો એપ્રિલ

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી ગરમી સતત વધી રહી છે. ગરમીથી લોકોના હાલ-બેહાલ થયા છે. આવનારા મહિનાઓમાં ગરમીમાં ઓર વધારો થવાની શક્યતા છે. વિશ્વમાં આ વર્ષે એપ્રિલનો મહિનો સૌથી ગરમ રહ્યો અને રેકોર્ડ ગરમી, વરસાદ, પૂરને કારણે અનેક દેશોમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. યુરોપિયન યુનિયનમાં વર્ષ 2024માં ગરમીએ અત્યાર સુધીનો 83 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો.

કોપરનિક્સ ક્લાયમેટ ચેન્જ સર્વિસના અનુસાર આ એપ્રિલ 1940 પછી સૌથી વઘુ ગરમ હતો, જે સતત 11મો મહિનો છે, જે રેકોર્ડ પર સૌથી વધુ ગરમ છે. એપ્રિલમાં યુરોપિયન યુનિયનનું સરેરાશ તાપમાન 15.03 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. વર્ષ 2016ના એપ્રિલની તુલનામાં આ વર્ષે એપ્રિલ મહિનો 0.14 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતો.

દેશના બાકીના ભાગોમાં ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ ભારતમાં તાપમાન આ એપ્રિલમાં 1901 પછી આઠમો સતત ગરમ રહ્યો હતો. આ પહેલાં વર્ષ 2016ના એપ્રિલ મહિનો સૌથી વધુ ગરમ રહેવા માટે નોંધાયો હતો. એપ્રિલમાં ન્યૂનતમ તાપમાન સામાન્યથી 1.78 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું અને સરેરાશ તાપમાન સામાન્યથી બે ડિગ્રી સેલ્સિયસ વધુ હતું.C3Sના ડિરેક્ટર કાર્લો બૂનટેમ્પોએ કહ્યું હતું કે વર્ષના પ્રારંભમાં અલ નિનો એની ચરમસીમાએ હતું અને પૂર્વી ઉષ્ણકટિબંધ પ્રશાંત ક્ષેત્રમાં સમુદ્રની સપાટીનું તાપમાન હવે ન્યુટ્રલ સ્થિતિઓ તરફ પરત ફરી રહ્યું છે. બીજી બાજુ, ગ્રીનહાઉસ ગેસોની વધતી સાંદ્રતાને કારણે સમુદ્ર અને વાયુમંડળમાં હાજર વધારાની એનર્જી વૈશ્વિક તાપમાનને નવા રેકોર્ડ તરફ ધકેલતી રહેશે.

આ તાપમાન વૃદ્ધિને કારણે વિશ્વભરમાં રેકોર્ડ દુકાળ, જંગલોમાં આગ અને પૂર જેવી ઘટનાઓ જોવા મળી રહી છે. એક અભ્યાસ અનુસાર જળવાયુ ઘટનાઓની અસરથી વૈશ્વિક અર્થતંત્રને 2049 સુધી પ્રતિ વર્ષ આશરે 380 ખર્વ અમેરિકી ડોલરનું નુકસાન થવાની શક્યતા છે.

 

 

 

 

શું હરિયાણાની નાયબ સૈની સરકાર ખતરામાં છે?

નવી દિલ્હીઃ હરિયાણાના મુખ્ય મંત્રી નાયબ સિંહ સૈનીની પાસે હાલમાં બહુમતનો આંકડો નથી. મંગળવારે ત્રણ નિર્દલીય વિધાનસભ્યોએ રાજ્યની ભાજપ સરકારને આપેલો ટેકો પરત ખેંચ્યો છે. એને કારણે પ્રદેશનું રાજકીય સમીકરણ બગડી ગયું છે. પ્રદેશની 90 વિધાનસભામાં ભાજપ બહુમતના આંકડાથી બે સીટ પાછળ છે.

જોકે તેમ છતાં નાયબ સિંહ સૈનીની સરકારને કોઈ જોખમ નથી. લોકસભા અને આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ભાજપે પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ખટ્ટરને દૂર કરીને સૈનીને મુખ્ય મંત્રી બનાવ્યા હતા. આ નિર્ણય ભાજપે ત્યારે લીધો હતો, જ્યારે દુષ્યંત ચોટાલાની આગેવાનીમાં JJPએ સરકારને આપેલો ટેકો પરત ખેંચી લીધો હતો. ચોટાલાની પાર્ટીના 10 વિધાનસભ્યો છે. જોકે ભાજપ અપક્ષોના જોરે સરકાર રચવામાં સફળ રહી હતી.

હરિયાણા વિધાનસભામાં કુલ 90 સીટ છે, જેમાં ભાજપની પાસે 40 વિધાનસભ્યો છે. JJPની પાસે 10, કોંગ્રેસની પાસે 30 છે, જ્યારે છ અપક્ષ વિધાનસભ્યો છે. હરિયાણા લોકહિત પાર્ટી અને ઇન્ડિયન નેશનલ લોક દળની પાસે 1-1 વિધાનસભ્યો છે. આ સિવાય હજી વિધાનસભાની બે સીટ ખાલી છે. આવામાં ભાજપને હાલની વિધાનસભાની 88 સીટો પર 45 વિધાનસભ્યોનો ટેકો જોઈએ છે.

આવામાં ભાજપને આશા છે કે JJPના બળવખોર વિધાનસભ્યો ટેકો આપશે. વિધાનસભામાં સૈનીએ વિશ્વાસનો મત હાંસલ નથી કર્યો, કેમ કે કોંગ્રેસ આ પહેલાંથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવી ચૂકી હતી અને 22 ફેબ્રુઆરીને આધારે આગામી છ મહિના સુધી એટલે કે 22 ઓગસ્ટ સુધી હરિયાણામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાય એમ નથી. આવામાં હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ ઓક્ટોબરમાં પૂરો થઈ રહ્યો છે. આવામાં સરકાર વિધાનસભા ભંગ કરીને ચૂંટણીની ઘોષણા કરે એવી શક્યતા છે. આમ કોંગ્રેસ એની જ જાળમાં ફસાઈ ગઈ છે.

 

 

 

 

 

 

 

 

ગીર સોમનાથમાં 4 મિનિટમાં બે વખત ભૂંકપના ઝટકા

અમદાવાદ: ગીર સોમનાથમાં ધરા ધ્રુજી હોવાની માહિતી સામે આવી છે. અહીં 4 મિનિટના અંતરાલમાં 2 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી સામે આવી છે. તલાલામાં સૌપ્રથમ 3.7ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો. ત્યારબાદ 3.4ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો.તલાલા અને તેની અસપાસના ગામોમાં આંચકાઓ અનુભવાયા છે. બપોરે 3-18 કલાકે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર તલાલાથી 12 કિલોમીટર દૂર નોર્થ-નોર્થઈસ્ટમાં આવેલું છે તેવી માહિતી ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપી છે.

દેશમાં ઝડપથી બંધ થઈ રહ્યા છે નાના શોપિંગ મોલ

નવી દિલ્હીઃ દેશમાં નાના શોપિંગ મોલ ઝડપથી બંધ થઈ રહ્યા છે, કેમ કે ગ્રાહકો હવે ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે અથવા મોટા મોલ જવાનું પસંદ કરવા લાગ્યા છે. વળી, મોલની અંદરની દુકાનો ખાલી હોવાની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે, જ્યારે મોલમાં 40 ટકાથી વધુ દુકાનો ખાલી થઈ જાય એને ઘોસ્ટ મોલ કે નિષ્ફળ મોલ કહેવામાં આવે છે, એમ અહેવાલ કહે છે.

વર્ષ 2023માં દેશમાં ગ્રોસ લીઝબેલ એરિયા અથવા ભાડા માટે તૈયાર દુકાનોની સંખ્યા 238 ટકા વધી છે, પરંતુ 2022માં ઘોસ્ટ મોલ 57થી વધીને 64 થઈ ગયા છે.

29 શહેરોમાં સર્વેમાં જણાવ્યા મુજબ એક લાખ સ્કવેર ફૂટવાળા 132 શોપિંગ મોલ ફેલ થવાને આરે છે. 2022માં એમાં પડેલી ખાલી દુકાનોની સંખ્યા 33.5 ટકા હતી, જે 2023માં વધીને 36.2 ટકા થઈ છે. અહેવાલ કહે છે કે કોમર્શિયલ રિટેલ પ્રોપર્ટીનો વિસ્તાર બહુ વધારે છે, પરંતુ એનું પ્રદર્શન સારું નથી રહ્યું. 2023માં 133 લાખ સ્ક્વેર ફૂટની દુકાનો ખાલી પડી હતી, જે કારણે ડેવલપર્સને 67 અબજનું નુકસાન થયું હતું.

નાના શોપિંગ મોલ એટલે નિષ્ફળ થઈ રહ્યા છે, કેમ કે તેઓ મોટાં શોપિંગ સેન્ટરો જેવી સુવિધા નથી આપી રહ્યાં. 2023માં ભારત 12.5 કરોડ સ્કવેરફૂટ મોલ ઘોસ્ટ શ્રેણીમાં હતાં, એમાંથી 75 ટકા આઠ મોટાં શહેરોમાં હતાં. દિલ્હી, મુંબઈ, બેન્ગલુરુ સહિત દેશના આઠ સૌથી મોટાં શહેરોમાં 2023માં કુલ શોપિંગ મોલ ઘટીને 263 રહી ગયા છે. આ શહેરોમાં આઠ નવાં સેન્ટર ખૂલ્યાં છે, પણ સામે 16 બંધ થયાં છે.