
Chitralekha Gujarati – 23 March, 2026
PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત
પશ્ચિમ એશિયામાં વધતા સંકટ વચ્ચે ભારતે કૂટનીતિક સ્તરે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારતના વડાપ્રધાન Narendra Modiએ ઈરાનના રાષ્ટ્રપતિ Masoud Pezeshkian સાથે ફોન પર વાતચીત કરી અને વર્તમાન પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી. બંને નેતાઓ વચ્ચેની આ સીધી વાતચીત એવા સમયે થઈ છે જ્યારે મધ્યપૂર્વ વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે અને વૈશ્વિક સ્તરે ઊર્જા પુરવઠા અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ રહી છે.

વાતચીત બાદ વડાપ્રધાન Narendra Modiએ જણાવ્યું કે ભારત માટે પોતાના નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત માટે જરૂરી સામાન અને ઊર્જાની નિરંતર સપ્લાય જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે. વર્તમાન સંજોગોમાં ભારત દરેક સંભવિત પગલાં લઈ રહ્યું છે જેથી ભારતીય નાગરિકો અને દેશની આર્થિક જરૂરિયાતો પર કોઈ નકારાત્મક અસર ન પડે.
વડાપ્રધાન અને ઈરાનના રાષ્ટ્રપતિ વચ્ચે થયેલી ચર્ચામાં પશ્ચિમ એશિયામાં વધતા તણાવ, નાગરિકોના મૃત્યુ અને નાગરિક ઢાંચાને થયેલા નુકસાન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી. Narendra Modiએ સ્પષ્ટ કર્યું કે ભારત શાંતિ અને સ્થિરતાનું સમર્થન કરે છે અને તમામ દેશોને સંવાદ અને કૂટનીતિના માર્ગ દ્વારા સમસ્યાનું સમાધાન શોધવા અપીલ કરે છે.
આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે Strait of Hormuz નજીકની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. ઈરાન દ્વારા આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગને લગભગ બંધ કરી દેવામાં આવ્યો હોવાના અહેવાલો આવ્યા છે. આ માર્ગ વિશ્વ માટે અત્યંત વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે કારણ કે વિશ્વના લગભગ પાંચમા ભાગ જેટલા કાચા તેલ અને કુદરતી ગેસનો પુરવઠો આ માર્ગ દ્વારા થાય છે.
અમેરિકાના પરમાણુ યુદ્ધ જહાજ ગેરાલ્ડમાં આગ લાગી
મિડલ ઈસ્ટમાં વધતા સૈન્ય તણાવ વચ્ચે અમેરિકાની નૌસેનાના સૌથી શક્તિશાળી યુદ્ધપોતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. USS Gerald R. Ford (CVN-78) નામના આ વિશાળ એરક્રાફ્ટ કેરિયરમાં આગ લાગતા સૈન્ય વર્તુળોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. હાલ આ યુદ્ધપોત Red Sea વિસ્તારમાં તૈનાત છે અને અહેવાલો અનુસાર અમેરિકી સૈન્ય આ જહાજનો ઉપયોગ ઈરાન સામેની કાર્યવાહી માટે કરી રહ્યું છે.

અહેવાલો અનુસાર આગ યુદ્ધપોતના મુખ્ય લૉન્ડ્રી વિભાગમાં લાગી હતી. ઘટનાની માહિતી મળતા જ જહાજ પર હાજર સુરક્ષા ટીમે તાત્કાલિક આગને કાબૂમાં લેવા કામગીરી શરૂ કરી હતી. અમેરિકી નૌસેનાના જણાવ્યા મુજબ આગ ઝડપથી નિયંત્રણમાં લઈ લેવામાં આવી હતી અને તેની અસર જહાજના મુખ્ય સિસ્ટમ પર પડી નથી.
આ ઘટના અંગે માહિતી આપતાં United States Navyએ જણાવ્યું કે આગ યુદ્ધ સંબંધિત કારણોસર લાગી નથી. જહાજના પ્રોપલ્શન પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી અને એરક્રાફ્ટ કેરિયર સંપૂર્ણપણે કાર્યરત સ્થિતિમાં છે. આ ઘટનામાં બે અમેરિકી નાવિકોને ઈજા થઈ હતી, જેમને તરત જ તબીબી સારવાર આપવામાં આવી રહી છે. સત્તાવાળાઓએ જણાવ્યું કે તેમની સ્થિતિ સ્થિર છે અને ઈજાઓ જીવલેણ નથી.
કોમનવેલ્થ 2030માં મજબૂત ભાગીદારી માટે UK-ગુજરાતની રાઉન્ડટેબલ બેઠક
અમદાવાદ: શહેર સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશને રાજ્ય સરકાર સાથે મળીને ૧૦ માર્ચના રોજ કોમનવેલ્થ ડે ઉજવ્યો હતો. જેમાં રમતગમત, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા અને મુખ્ય કાર્યક્રમોના વિતરણમાં સહયોગને આગળ વધારવા માટે હિસ્સેદારોને એક સાથે લાવવામાં આવ્યા હતા.
૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે અમદાવાદ શહેર તૈયાર થઈ રહ્યું છે. ત્યારે યુકેની કંપનીઓએ ઉચ્ચ ગુણવત્તાવાળી માળખાગત સુવિધાઓ વિકસાવવામાં, ગુજરાતની લાંબાગાળાની મહત્વાકાંક્ષાઓને પૂરી કરવા માટે અદ્યતન ઉકેલો રજૂ કર્યા હતા. યુકે અને ભારત – કોમનવેલ્થના બે સૌથી મોટાં અને સૌથી પ્રભાવશાળી સભ્યો – માટે રાઉન્ડટેબલ ચર્ચા યોજવામાં આવી. જેમાં લોકોથી લોકોના સંબંધો, લોકશાહી સિદ્ધાંતો અને વિકાસ અને સમૃદ્ધિ માટે સહિયારી પ્રતિબદ્ધતામાં મૂળ ધરાવતી ઊંડી અને આધુનિક ભાગીદારીને પ્રકાશિત કરવાની તક આપી.
યુકે કોમનવેલ્થના તેના સભ્યપદને એક જીવંત વૈશ્વિક નેટવર્ક તરીકે ખૂબ મહત્વ આપે છે. ભારતનું નેતૃત્વ અને વધતી જતી વૈશ્વિક ભૂમિકા પણ એટલી જ મહત્ત્વની છે. ત્યારે રમતગમત ક્ષેત્રમાં રાજદ્વારી અને માળખાગત સુવિધાઓ જેવાં પ્રાથમિક ક્ષેત્રોમાં સંગઠનની ભાવિ દિશાને આકાર આપવાનું યુકે ચાલુ રાખે છે.
રાઉન્ડ ટેબલ બેઠક પછી બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીફન હિકલિંગ દ્વારા સ્વાગત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સરકાર-થી-સરકાર અને વ્યવસાય-થી-વ્યવસાય જોડાણ માટે વધુ ઊંડાણપૂર્વકની તક ઊભી કરે છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામિત આ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા.
ગુજરાત અને રાજસ્થાનમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર, સ્ટીફન હિકલિંગે કહ્યું, કોનવેલ્થની સૌથી મોટી તાકાત વિવિધ રાષ્ટ્રો એકબીજાને ટેકો આપવા માટે એક સાથે આવે છે. અમે 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની રાહ જોઈ રહ્યા છીએ. જે લોકશાહી, સમાનતા અને બધા સભ્ય દેશો માટે સમાન અવાજના આપણા સહિયારા મૂલ્યોને વધુ પ્રોત્સાહન આપશે. આજે મને યુકેની કંપનીઓને અમદાવાદ લાવવાનો ખૂબ જ આનંદ છે. જેથી તેઓ ગુજરાતની મહત્વાકાંક્ષાઓના વિશાળ પાયાને સમજી શકે અને ભારતીય વ્યાપારી ભાગીદારો સાથે મળીને મોટાપાયે જાહેર અને રમતગમતના કાર્યક્રમો યોજવામાં યુકેના અપ્રતિમ અનુભવનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે વિશે માહિતી મેળવે.
ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી વધીને 3.21 ટકા થઈ, શહેરોમાં ભાવ વધુ વધ્યા
નવી દિલ્હીઃ ફેબ્રુઆરી, 2026માં રિટેલ મોંઘવારી વધીને 3.21 ટકા થઈ છે. જાન્યુઆરી, 2026માં આ આંકડો 2.74 ટકા હતો, એટલે કે 47 બેઝિસ પોઈન્ટનો વધારો નોંધાયો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરાયેલા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI)ના તાજા આંકડાઓમાં આ માહિતી આપવામાં આવી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મોંઘવારીના દર અલગ રહ્યા. ફેબ્રુઆરીમાં ગ્રામીણ મોંઘવારી 3.37 ટકા રહી, જ્યારે શહેરી વિસ્તારોમાં મોંઘવારી 3.02 ટકા નોંધાઈ હતી.
ખાદ્ય વસ્તુઓની મોંઘવારી 3.47 ટકા રહી
ખાદ્ય વસ્તુઓની મોંઘવારી માપતો કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CFPI) ફેબ્રુઆરી, 2026માં 3.47 ટકા રહ્યો. ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી 3.46 ટકા અને શહેરી વિસ્તારોમાં 3.48 ટકા નોંધાઈ હતી. ફેબ્રુઆરીમાં કેટલીક શાકભાજીના ભાવમાં તેજ ઘટાડો જોવા મળ્યો. ટામેટાં, વટાણા અને ફ્લાવરના ઇન્ડેક્સમાં જાન્યુઆરીની સરખામણીએ 10 ટકા કરતાં વધુ ઘટાડો નોંધાયો.
કેટલીક ખાદ્ય વસ્તુઓના ભાવમાં મોટો ઘટાડો
ફેબ્રુઆરીમાં લસણ, ડુંગળી અને બટાટા જેવી વસ્તુઓમાં મોંઘવારી સૌથી ઓછી રહી. લસણના ભાવમાં વાર્ષિક ધોરણે 31.09 ટકા ઘટાડો નોંધાયો હતો, ડુંગળીમાં 28.20 ટકા ઘટાડો હતો. બટાટામાં 18.46 ટકા ઘટાડો હતો. આ ઉપરાંત તુવેર દાળના ભાવમાં પણ લગભગ 16 ટકા ઘટાડો નોંધાયો હતો.
જ્વેલરી અને કેટલીક શાકભાજીમાં તેજ મોંઘવારી
બીજી તરફ કેટલીક વસ્તુઓમાં મોંઘવારી ખૂબ ઊંચી રહી. સૌથી વધુ વધારો સિલ્વર જ્વેલરીમાં નોંધાયો, જ્યાં વાર્ષિક ધોરણે ભાવ 160.84 ટકા વધ્યા. સોનું, હીરા અને પ્લેટિનમ જ્વેલરીમાં મોંઘવારી 48.16 ટકા રહી હતી. સુકું નાળિયેર (કોપરા)માં 46.16 ટકા વધારો હતો. ટામેટામાં 45.29 ટકા અને ફ્લાવરમાં 43.77 ટકા મોંઘવારી નોંધાઈ હતી.

અલગ-અલગ સેક્ટરમાં મોંઘવારીની સ્થિતિ
* ફૂડ એન્ડ બેવરેજિસ કેટેગરીમાં મોંઘવારી 3.35 ટકા રહી
* પાન, તમાકુ અને નશીલા પદાર્થોમાં 3.49 ટકા મોંઘવારી
* કપડાં અને ફૂટવેરમાં 2.81 ટકા વધારો
* હાઉસિંગ, પાણી, વીજળી, ગેસ અને અન્ય ઇંધણમાં 1.52 ટકા મોંઘવારી
* હેલ્થ સેક્ટરમાં 1.90 ટકા વધારો
* ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં -0.05 ટકા, એટલે કે કિંમતોમાં થોડો ઘટાડો
* શિક્ષણ સેવાઓમાં 3.33 ટકા મોંઘવારી
* રેસ્ટોરાં અને હોટેલ સેવાઓમાં 2.73 ટકા મોંઘવારી નોંધાઈ હતી.
અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ: ઘી કાંટા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન કોર્ટને ગુરૂવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગની ત્રણ ગાડીઓ કોર્ટ સંકુલમાં પહોંચી ગઈ. આખી બિલ્ડિંગ ખાલી કરાઈ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી. અત્યાર સુધી માત્ર હાઈકોર્ટ અને ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકીઓ મળી હતી. આ વખતે ઘી કાંટા ખાતે આવેલી મેટ્રો કોર્ટને બોમ્બથી ઉડાવવાની પ્રથમવાર ધમકી મળી છે.
અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ફાયર વિભાગની ત્રણ ગાડીઓ સહિત સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સુરક્ષાના કારણોસર આખી બિલ્ડિંગ તેમજ અપના બજારમાં કાર્યરત કોર્ટના વિભાગોને પણ ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ઝોન-2 ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે, તમામ લોકોને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે અને સઘન ચેકિંગ કરવામાં આવી. જોકે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી.
રાજ્યમાં ઘરેલું જરૂરિયાત માટે પૂરતો એલ.પી.જી જથ્થો
ગાંધીનગર: મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે રાજ્યમાં LPG સિલિન્ડરોની વિતરણ વ્યવસ્થાને અસર થઈ. દરેક વ્યક્તિને ઘરેલું ગેસ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો તથા મોનિટરીગ કરવામાં આવી રહેલ છે.
ઉપલબ્ધ LPG સ્ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે રાજ્યમાં ઘરેલું જરૂરિયાત માટેનો પૂરતો એલ.પી.જીનો જથ્થો ઉપલબ્ધ છે. એમ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયુ છે. રાજ્યમાં 30% ઘરેલુ ગેસ PNG GAS PIPELINE મારફત પૂરો પાડવામાં આવે છે. PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી રાજ્યની પરિસ્થિત વધારે સારી છે.
રાજ્યમાં ઘરેલું જરૂરિયાત માટેના એલ.પી.જી નો પુરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે માટે તકેદારીના ભાગરૂપે કેન્દ્ર જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલ.પી.જી સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણયના લીધે લોકોમાં અનાવશ્યક તણાવ તેમજ એલ.પી.જી સંગ્રહ ન કરવામાં આવે તેવો મુખ્ય ઉદ્દેશ છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ હાલ કોર્મશિયલ સિલિન્ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવેલ છે. પરંતુ હોસ્પિટલ તેમજ શૈક્ષણિક સસ્થાઓ તેમની જરૂરિયાત મુજબ એલ.પી.જી ફાળવણી ચાલુ રાખવામાં આવેલ છે.
પરંતુ, એલ.પી.જીનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ તથા નિયત કરેલ કિંમત કરતા વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 તથા એલ.પી.જી કંટ્રોલ ઓડર-2000 મુજબ કાયદાકિય રીતે ગુનો બને છે. તથા આવી પ્રવૃત્તિ કરનાર સામે અધિકારી દ્વારા ફોજદારી પગલાં પણ લેવાની જોગવાઈ છે.
UNમાં ભારત સહિત 135 દેશોએ ઈરાનના હુમલાની નિંંદા કરી
નવી દિલ્હીઃ ઇઝરાઇલ-ઈરાન યુદ્ધનો આજે 12મો દિવસ છે. બંને દેશોની તરફથી હુમલા ચાલુ છે. એ દરમિયાન એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એક પ્રસ્તાવને સહ-સમર્થન આપ્યું. આ પ્રસ્તાવમાં ઈરાન દ્વારા ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ (GCC)ના દેશો અને જોર્ડન પર કરવામાં આવેલા “ખૂબ જ નિંદનીય” હુમલાઓની આકરી નિંદા કરવામાં આવી છે. એ સાથે જ તહેરાન (ઈરાનની રાજધાની)ને તમામ હુમલા તાત્કાલિક બંધ કરવાની માગ કરવામાં આવી છે અને હોર્મુઝ જળસંધિ બંધ કરવાની તેની ધમકીઓને પણ નકારી કાઢવામાં આવી છે.
135 દેશો સાથે મળીને સહ-સમર્થન
15 સભ્યો ધરાવતી UNSC- જેના અધ્યક્ષ હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ છે, તેણે બુધવારે આ પ્રસ્તાવ પસાર કર્યો. પ્રસ્તાવના સમર્થનમાં 13 મત પડ્યા અને વિરોધમાં એક પણ મત પડ્યો નહીં. વિટો અધિકાર ધરાવતા સ્થાયી સભ્યો ચીન અને રશિયાએ મતદાનમાં ભાગ લીધો નહોતો. ભારતે બહેરિન (પશ્ચિમ એશિયા)ના નેતૃત્વ હેઠળ લાવવામાં આવેલા આ પ્રસ્તાવને અન્ય 135 દેશો સાથે મળીને સહ-સમર્થન આપ્યું હતું.
આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બાંગ્લાદેશ, ભૂતાન, કેનેડા, ઈજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, ઇટાલી, જાપાન, કુવૈત, મલેશિયા, માલદીવ, મ્યાનમાર, ન્યુ ઝીલેન્ડ, નોર્વે, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, સિંગાપુર, સ્પેન, યુક્રેન, યુનાઇટેડ અરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, યમન અને ઝામ્બિયા સામેલ છે.
આ પ્રસ્તાવમાં બહેરિન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ અને જોર્ડનની પ્રાદેશિક અખંડિતતા, સાર્વભૌમત્વ અને રાજકીય સ્વતંત્રતાને મજબૂત સમર્થન ફરી વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમાં GCC દેશો અને જોર્ડન પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓની આકરા શબ્દોમાં નિંદા કરવામાં આવી છે અને આવી હરકતોને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ તથા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો ગણાવવામાં આવી છે.
ઈરાનને કાર્યવાહી અને ધમકીઓ બંધ કરવાની માગ
આ પ્રસ્તાવમાં ઈરાનને GCC દેશો અને જોર્ડન પર થતા તમામ હુમલા તાત્કાલિક બંધ કરવાની માગ કરવામાં આવી છે. એ સાથે જ તહેરાનને “તાત્કાલિક અને બિનશરતી રીતે” પડોશી દેશો સામે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીજનક કાર્યવાહી અથવા ધમકીઓથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે, જેમાં પ્રોક્સી શક્તિઓનો ઉપયોગ પણ સામેલ છે.


