Home Blog Page 1863

ચૂંટણી પંચે EVM-VVPAT વિતરણની કામગીરી પૂર્ણ કરી

અમદાવાદ: લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ, મંગળવારે થવાનું છે. જેમાં ગુજરાતની તમામ 26માંથી 25 બેઠકનું મતદાન યોજાવાનું છે. આથી મતદાન પહેલાં EVM/VVPAT મશીન તેમજ મતદાન સામગ્રીને મતદાન મથક સુધી પહોંચાડવાની કામગીરી આજે કરવામાં આવી હતી.ચૂંટણી વિભાગના અધિકારીઓ અને સરકારના જુદાં-જુદાં વિભાગમાંથી ચૂંટણીની ફરજ સાથે જોડાયેલાં અધિકારીઓ વહેલી સવારથી જ ગુજરાતભરના નક્કી કરેલાં સ્થળો પરથી EVM-VVPAT મશીન અને મતદાનની સામગ્રીની ખરાઈ કરી ચૂસ્ત સુરક્ષા-બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો સુધી પહોંચાડી હતી. અમદાવાદ શહેરના રવાનગી કેન્દ્રો પરથી સુપ્રત કરેલ મતપત્રો, મતદાર યાદીની કોપી (ત્રણ નકલમાં), ધાતુનું સીલ, વિશિષ્ટતાદર્શક સિક્કો/મતકુટિર, એરોક્રોસ માર્ક, અવિલોપ્યશાહીની બોટલ, ગ્રીન/પીંક પેપરસીલ, સ્પેશિયલ ટેગ, મતદાન મથકનો વિસ્તાર દર્શાવતી નોટીસ, હરીફ ઉમેદવારોની યાદી, ઉમેદવાર તથા ચૂંટણી એજન્ટની સહીના નમૂના, પરચુરણ કીટ જેવી ઉપયોગી મતદાનની સામગ્રી સુપ્રત કરવામાં આવી હતી. લોકસભા 2024ની ચૂંટણીના મતદાન માટે સ્ટ્રોંગ રૂમમાંથી CCTV કેમેરા, સશસ્ત્ર પોલીસ દળની હાજરીમાં એ.એમ.ટી.એસ સંચાલિત બસોમાં મતદાન સામગ્રી રવાના કરવામાં આવી હતી.સ્ટ્રોંગ રૂમથી મતદાન મથક સુધી મતદાન સામગ્રી પહોંચાડવા માટે એકલા અમદાવાદની આસપાસ એકવીસ જેટલા સેન્ટર તૈયાર કરવામાં આવ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

રાધિકા ખેડાએ કોંગ્રેસ નેતાઓ પર લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં પ્રવક્તા રહેલી રાધિકા ખેડાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી કેટલાક પદાધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું હતું કે તેને ‘ભારત જોડો યાત્રા’ દરમ્યાન કેટલાક નેતાઓએ દારૂની ઓફર કરી હતી અને એની ફરિયાદ તેમણે પાર્ટીના મોટા નેતાઓને કરી, ત્યારે તેની વાતને તેમણે સાંભળી ના સાંભળી કરી હતી.

તેણે એક X પર પોસ્ટ કરીને રાજીનામાની માહિતી શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે આજે અત્યંત પીડાની સાથે પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ છોડી રહી છું અને મારા પદ પરથી રાજીનામું આપું છું. હા, ‘मैं एक लड़की हूं और लड़ सकती हूं।’  અને હવે હું એ જ કરી રહી છું.

મારા દેશવાસીઓના ન્યાય માટે હું નિરંતર લડતી રહીશ.તેણે રાજીનામું આપ્યા પછી પત્રકારો સમક્ષ અનેક ખુલાસા કર્યા હતા. કોંગ્રેસના છત્તીસગઢના મિડિયા સેલના અધ્યક્ષ પર તેણે ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે સુશીલ કુમારે મને ભારત જોડો યાત્રા દરમ્યાન દારૂ ઓફર કર્યો હતો. જ્યારે અમે કોરબામાં હતા, ત્યારે મારી સાથે મિડિયા સેલની બે યુવતીઓ પણ હતી, ત્યારે તેમણે મને વારંવાર ફોન કરીને પૂછ્યું હતું કે મને કયો દારૂ જોઈએ છે. તેઓ મારા રૂમનાં દ્વારા વારંવાર ખટખટાવતા હતા.

આ વાત મેં સચિન પાઇલટને પણ જણાવી હતી અને ત્યાંના પ્રદેશાધ્યક્ષને પણ જણાવી હતી. દિલ્હીમાં જયરામ રમેશજીથી માંડીને પવન ખેડા સુધી મેં એ વાત પહોંચાડી હતી, પરંતુ ત્યારે કંઈ થયું નહોતું. મેં મારી વાત ભૂપેશ બઘેલને પણ ફોન કરી જણાવી હતી, ત્યારે તેમણે મને છત્તીસગઢ છોડવા કહ્યું હતું, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

દિલ્હીની જેમ અમદાવાદની 13 શાળાને મળ્યા ધમકીભર્યા ઈ-મેઈલ

લકોસભા ચૂંટણીના તીજા તબક્કાના મતદાનને ગણતરીના કલાકો બાકી છે. મતદાનને લઈ તમામ તૈયારીઓને આખરી આપ અપાઈ રહ્યો છે. ગુજરાતની 25 સીટો પર આવતી કાલે મતદાન કરવામાં આવશે. ત્યારે મતદાનના થોડાક સમય પહેલા દિલ્હી જેવી ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદની 13 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ઇ-મેઈલ દ્વારા ધમકી મળી છે. ધમકીવાળી ભર્યા મેઈલ મળતાની સાથે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. તમામ સ્કૂલો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આ ઉપરાંત તમામ સ્કૂલો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી છે.

સાઈબર પોલીસ મેઈલ ક્યા સર્વરમાંથી મોકલામાં આવ્યો છે, તેની તપાસ હાથ ધરી હતી. મેઈલ રશિયન સર્વરમાંથી આવ્યાનું પ્રાથમિક અનુમાન છે. આ અગાઉ પણ દિલ્હીમાં અનેક સ્કૂલોને ધમકી મળ્યા પછી ધમકી પોકળ પુરવાર થઈ હતી. મતદાનના આગલા દિવસે જ અમદાવાદની તેર સ્કૂલને ધમકીભર્યો ઇ-મેઈલ મળતા તંત્ર કામે લાગી ગયું છે.

લોકસભા ચૂંટણીના આગલા દિવસે શાળામાં મેઈલ આવવાથી ભારે ચકચાર થઈ ગયો. ઉલ્લેખનીય છે કે આ 13 શાળામાંથી 8 શાળાઓમાં મતદાન કેન્દ્ર બનવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ પોલીસે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સાથે રાખીને તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ બોમ્બ મળ્યા નથી. બોમ્બ હોવાની વાત અફવા હોવાનું લાગી રહ્યું છે, પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં પણ મળી હતી ધમકી 

5 દિવસ પહેલાં દિલ્હી-NCRની લગભગ 100 સ્કૂલોમાં બોમ્બની ધમકીઓ મોકલવામાં આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ ધમકી એજ ઇ-મેઈલથી મોકલવામાં આવી હતી. આ ઇ-મેઈલ આજે સવારે 6 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ તમામ સ્કૂલોમાં પહોંચી ગઈ હતી. ઇ-મેઈલ મોકલનારને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો હતો. લગભગ 60 જેટલી સ્કૂલો ખાલી કરાવવામાં આવી છે. ઇ-મેઈલના આઈપી એડ્રેસ પરથી લાગી રહ્યું હતું કે, આ ઇ-મેઈલ દેશની બહારથી મોકલવામાં આવ્યા હતા. આ ઇ-મેઈલમાં કોઈ ડેટલાઈન નહોતી અને એક જ ઇ-મેઈલ અનેક જગ્યાએ મોકલવામાં આવ્યો હતો.

ભાજપ દરવાજા ખોલશે તો પણ નહીં જાવ: ઉદ્ધવ ઠાકરે

મુંબઈ: શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપ તેમના માટે તેના દરવાજા ખોલે તો પણ તેઓ તેમના ભૂતપૂર્વ સાથી તરફ પાછા નહીં ફરે. તેમણે ભાજપ પર તેમની સાથે વિશ્વાસઘાત કરવાનો અને 2022માં તેમની સરકારને પછાડવાનો આરોપ લગાવ્યો છે.

ઉદ્ધવ ઠાકરે (ફાઈલ ફોટો) (Photo: IANS)

પરંતુ તેની સાથે ઠાકરે એ પણ કહેતા જરાય શરમાયા નહીં કે જો લોકો મોદી સરકારના દસ વર્ષના કામથી ખુશ છે તો તેઓ તેમના માટે પ્રચાર કરવા તૈયાર છે. જો કે અત્યાર સુધી મોદીએ માત્ર લોકોને દુઃખ જ પહોંચાડ્યું છે.

રવિવારે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગમાં એક રેલીને સંબોધતા ઠાકરેએ દાવો કર્યો હતો કે જો ભાજપ લોકસભા ચૂંટણી જીતશે તો ભારતમાં તેમજ ચીનમાં ફટાકડા ફોડવામાં આવશે કારણ કે નવી દિલ્હીમાં નબળી સરકાર હશે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની પણ નિંદા કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ભારતના આગામી વડા પ્રધાન બનાવવા માટે ઉત્સુક છે.

પાકિસ્તાનનું નામ લઈને લોકોને ડરાવવા માગે છે

ઠાકરેએ કહ્યું કે તેમના ભૂતપૂર્વ સાથી પક્ષો ચૂંટણી દરમિયાન પાકિસ્તાનનું નામ લઈને લોકોને ડરાવવા માંગે છે.પુંછમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા ઠાકરેએ કહ્યું કે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્યાં નહીં જાય,પરંતુ તેમને નષ્ટ કરવા મહારાષ્ટ્ર આવશે.

‘ભાજપ જંગી બહુમતી મેળવીને બંધારણ બદલવા માંગે છે’

ઉલ્લેખનીય છે કે શનિવારે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં એરફોર્સના કાફલા પર થયેલા આતંકી હુમલામાં એક જવાન શહીદ થયો હતો અને અન્ય ચાર ઘાયલ થયા હતા. ભાજપના 400 સીટોના ​​દાવા પર તેમણે કહ્યું કે તેમનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે અને તેમની ભૂખ મટતી નથી. ભાજપ જંગી બહુમતી મેળવીને બંધારણ બદલવા માંગે છે. નોંધનીય છે કે પીએમ મોદીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ ઉદ્ધવ ઠાકરેને બાળ ઠાકરેના પુત્ર તરીકે માન આપે છે અને કોઈપણ મુશ્કેલીમાં તેમની મદદ કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હશે.

ઝેરીલા મસાલા બનાવતા રેકેટનો પર્દાફાશઃ ત્રણની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે ભેળસેળવાળા મસાલા બનાવતા બે યુનિટ્સ પકડી પાડ્યા છે, જેમાં મોટી માત્રામાં મસાલામાં મિલાવટની કરવામાં આવી રહી હતી. દિલ્હીના કરાવલ નગર વિસ્તારમાં મિલાવટી મસાલા બનાવતા બે એકમોમાં દરોડા પાડતાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવટી મસાલા ખારી બાવલી, સદર બજાર, લોની તથા પડોશી રાજ્યોનાં કેટલાંય બજારોમાં મોકલવામાં આવતા હતા. આ દરોડામાં 15 ટન બનાવટી મસાલા અને કાચો માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ આ મસાલામાં સડેલા ચોખા, લાકડાનું ભૂસું અને કેમિકલ ભેળવવામાં આવતા હતા. જે લોકોની પોલીસે ધરપકડ કરી છે, એમાં દિલીપ સિંહ (46) –રહેવાસી કરાવલ, સરફરાઝ (32) મુસ્તફાબાદ નિવાસી અને ખુરશીદ મલિક (42) લોની છે.

આ મસાલાને 50-50 કિલોની મોટી બોરીઓમાં ભરીને બજારોમાં મોકલવામાં આવતા હતા. પોલીસની સૂચના પર ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે ઘટનાસ્થેળેથી 1050 કિલો સડેલા ચોખા, 200 કિલો સડેલો બાજરો, છ કિલો સડેલા નારિયલ, 720 કિલો ખરાબ જાંબુ, 24 કિલો સાઇટ્રિક એસિડ, 400 કિલો લાકડાનું ભૂસું, 2150 કિલો પશુઓને ખવડાવવામાં આવતો ખોળ, 440 કિલો ખરાબ લાલ મરચું, 150 કિલો મર્ચાની દાંડીઓ અને પાંચ કિલો કેમિકલવાળો રંગ વગેરે જપ્ત કર્યો છે.દિલ્હીની ક્રાઇમ બ્રાન્ચે બે ફેક્ટરીમાલિકો અને એક સપ્લાયરની ધરપકડ કરી છે. પોલીસ કમિશનર (ક્રાઇમ બ્રાન્ચ) રાકેશ પવારિયાએ કહ્યું હતું કે આ વ્યક્તિઓની પૂછપરછમાં માલૂમ પડ્યું હતું કે એક વધુ ફેક્ટરી કરાવલ નગરમાં કાલી ઘટા રોડ પર પણ ચાલી રહી છે. અને ત્યાં પણ દરોડા દરમ્યાન સરફરાઝને મિલાવટી મસાલા બનાવતા પકડવામાં આવ્યો હતો.

 

 

 

 

 

 

 

 

 

સૌરાષ્ટ્રનું એક એવું ગામ જ્યાં મતદાન ન કરો તો થાય દંડ

રાજકોટ: ઉનાળાની આકરી ગરમી વચ્ચે લોકસભની ચૂંટણીનો ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મંગળવારને ૭મી મેના રોજ ગુજરાતમાં ૨૫ બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે વધુ મતદાન કરાવવા રાજકીય પક્ષો જોર લગાવી રહ્યા છે. આ માહોલમાં વાત કરીએ એક એવાં ગામની જ્યાં મતદાન ન કરનારને દંડ કરવામાં આવે છે. આ ગામ રાજકોટથી ૨૨ કિલોમીટર દૂર આવેલું રાજસમઢીયાળા ગામ છે.રાજકોટ-ભાવનગર હાઇ-વે ઉપર આવેલા આ ગામની વસ્તી માત્ર ૧૫૦૦ લોકોની છે. પરંતુ આ ગામ અનેક રીતે અનોખુ છે. ચૂંટણી વખતે ગામમાં કોઈપણ રાજકીય પક્ષોને આવવાની મનાઈ છે અને ગામમાં કોઈ પત્રિકા વહેંચવાની અને બેનરો લગાવવાની મનાઈ છે. ગામમાં ચૂંટણીના કારણે જુદાં-જુદાં સમાજ વચ્ચે વેર ઊભા ન થાય એ માટે સ્થાનિક વિકાસ સમિતિએ આવો નિર્ણય કર્યો છે.રાજસમઢીયાળાના પૂર્વ સરપંચ અને આગેવાન હરદેવસિંહ જાડેજા ચિત્રલેખા. કોમ સાથેની વાતચીતમાં કહે છે, “અમારા ગામમા કોઈ મતદાર મતદાન ન કરે તો રૂ.૫૧ દંડ કરવામાં આવે છે. હા કોઈ વ્યક્તિ અનિવાર્ય સંજોગો કે ઇમરજન્સી હોય તો વિકાસ સમિતિને જાણ કરીને જાય તો દંડ કરવામાં આવતો નથી. ગામમા ૯૫૫ મતદાર છે છેલ્લી પાંચ ચૂંટણીમાં ૯૬ ટકા મતદાન થયું છે. દરેક મતદાર સ્વતંત્ર રીતે મતદાન કરે છે.”આ ગામના અન્ય નિયમો વિશે વાત કરીએ તો ગામમાં ફટાકડા ફોડવાની મનાઈ છે. પર્યાવરણની જાલવળી થાય તે માટે કોઈ ઊભા વૃક્ષને નુકશાન કરે તો રૂ.૫૦૧ દંડ કરવામાં આવે છે અને કોઈએ સ્થાનિક સમિતિને જાણ કર્યા વગર પોલીસ ફરિયાદ કરવી નહી, ગામમા વર્ષોથી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. ગામમા ભાઇચારાથી લોકો રહે છે. ગામ નજીક જિલ્લા સ્તરનું ક્રિકેટ ગ્રાઉન્ડ અને આધુનિક ગ્રામ પંચાયત છે.

દેવેન્દ્ર જાની – રાજકોટ
તસવીર –  નિશુ કાચા

ભાજપનું ડેમેજ ના થયું કંટ્રોલ, ક્ષત્રિય સમાજે માફી ફગાવી

Kshatriya society

લોકસભા ચૂંટણીના તીજા તબક્કાના મતદાનને ગણતરીના કલાકોની વાર છે. તારીખ 5મી મેના રોજ ચૂંટણી પરચારના પડઘમ શાંત થયા, પણ રૂપાલા વિવાદ શાંત થવાનું નામ લેતું જ નથી. ત્યારે ફરી ભાજપે એક વખત ક્ષત્રિય સમાજને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.

 

ભાપજની અપિલ

ભાજપના ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પ્રેસનોટ જારી કરીને રાજપૂત સમાજના લોકોને રૂપાલાને માફ કરવા માટેની અપીલ કરી છે. પ્રેસનોટમાં ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ના ક્ષાત્રધર્મનું પાલન કરીને ભાજપને સમર્થન જાહેર કરી મત આપવા માટેની અપીલ કરવામાં આવી છે. ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોએ ક્ષત્રિય સમાજને અપીલ કરી છે. ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ.કે. જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, માંધાતાસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, બળવંતસિંહ રાજપૂત, જયદ્રથસિંહ પરમાર, મહેન્દ્રસિંહ સરવૈયા. કિરીટસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સી.કે. રાઉલજી, અરુણસિંહ રાણા, વીરેન્દ્રસિંહ જાડેજા અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ એક સંયુકત નિવેદન આપીને ક્ષત્રિય સમાજને વડાપ્રધાન મોદીને સમર્થન આપવા માટેની અપીલ કરી છે. નિવેદનમાં કહેવાયું છે કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિના પુનર્જાગરણ સાથે કલમ 370 હટાવવામાં આવી છે અને હવે ભારત ‘વિશ્વગુરુ’ બનવા તરફ જઈ રહ્યું છે. આ પ્રક્રિયામાં નરેન્દ્ર મોદીને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપવામાં આવે તેવી સમાજને અપીલ છે.

ક્ષત્રિય સમાજની પ્રતિક્રિયા

એક બાજુ ભાજપ ક્ષત્રિય સમાજને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. બીજી બાજુ ક્ષત્રિય સમાજ પોતાની માગને લઈ અડગ જોવા મળી રહ્યા છે. ત્યારે ભાજપના ક્ષત્રિય આગેવાનો દ્વારા પ્રેસનોટની જાહેરાત બાદ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, ‘ભાજપના ક્ષત્રિય નેતાઓ દ્વારા રૂપાલાને માફ કરવા અને ભાજપના વિરૂદ્ધમાં મતદાન ન કરવા વિનંતી કરાઈ છે. રૂપાલા અને કિરીટ પટેલ જેવા નેતાઓએ ક્ષત્રિય સમાજ પર નિવેદનો આપ્યા ત્યારે આ ક્ષત્રિય નેતાઓ ક્યાં હતા? અને અમને સૌથી વધારે એ વાતનું દુઃખ છે કે આવા સમયે સમાજનો સાથ દેવા ભાજપના એકપણ ક્ષત્રિય નેતાઓ આગળ ન આવ્યા. આજે ભાજપ દ્વારા કરાયેલી પ્રેસનોટની ક્ષત્રિય સમાજ પર કોઈ અસર થવાની નથી.

ભાજપના ડેમેજ વિશે કરણ સિંહે જણાવ્યું કે ‘જો લોકસભામાં અમે 8 થી 12 બેઠકો પર ડેમેજ કરતા હોઈએ. તો તાલુકા, જિલ્લા અને વિધાનસભામાં શું સ્થિતિ થશે તે ભાજપ સારી રીતે જાણે છે. એટલા માટે ભાજપ દરરોજ નવા નવા કીમિયા લાવશે. ભાજપની માફી અમને સ્વીકાર્ય નથી. ભાજપ ગુજરાતમાં 10 બેઠકો પર હારી રહી છે.’

ઝારખંડના મંત્રીના PAના નોકરને ત્યાંથી રૂ. 30 કરોડ જપ્ત

રાંચીઃ ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં ટેન્ડર કમિશન કૌભાંડ મામલામાં EDએ મંત્રી આલમગીર આલમના ખાનગી સચિવ (PA)ના નોકરને ત્યાં દરોડા પછી મોટી રોકડ જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો, જે પછી PMLA હેઠળ છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં રૂ. 25 કરોડ-30 કરોડ રોકડ જપ્ત કરવામાં આવ્યા હતા. હજી પણ રોકડની ગણતરી જારી છે.

EDને માહિતી મળી હતી કે આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ પૈસા નોકરોના ઘરે જઈ રહ્યા હતા. ત્યાર બાદ મંત્રીના ખાનગી સચિવના નોકરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. EDના અધિકારીઓ ત્યાં પહોંચ્યા, ત્યારે તેમને અંદાજ નહોતો કે જે શખસની સેલેરી રૂ. 15,000 મળે છે, એના ઘરેથી આટલી ભારે માત્રામાં રોકડ જપ્ત થશે. હવે અધિકારીઓ દ્વારા નોટ ગણતરીવાળાં મશીન અને કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે.

EDનું માનવું છે કે આ પૈસા કાળી કમાણીનો હિસ્સો છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમ પર નિશાન સાધતાં કહ્યું હતું કે એ આલમગીરના પૈસા છે, અન્ય કોઈના નથી, આ સાથે ગણતરી રૂ. 50 કરોડ ઉપર પહોંચશે. હેમંત સોરેન જેલમાં છે અને આ સિન્ડિકેટ ક્રાઇમ છે.

રૂ. 10,000ની લાંચનો હતો મામલો

EDએ જણાવ્યું હતું કે ગયા વર્ષે મે મહિનામાં ચીફ એન્જિનિયરને ત્યાં રૂ. 10,000ની લાંચ મામલે દરોડા પાડ્યા હતા. એ દરમ્યાન તેમનું નેવેદન નોંધવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મંત્રીને ત્યાં એ લાંચના પૈસા પહોંચાડવામાં આવે છે. ત્યાર બાદ આલમગીર આલમનું નામ સૌપ્રથમ વાત આવ્યું. એ તપાસ દરમ્યાન ખાનગી સચિવ સંજીવ લાલનું નામ બહાર આવ્યું અને હવે સંજીવ લાલના ઘરમાં કામ કરનારા નોકરને ત્યાંથી આ રોકડ જપ્ત કરવામાં આવી છે.

 

 

 

 

 

 

 

 

 

કોણ છે એ કેતન સિંહ? જેણે કરણ જોહરની જાહેરમાં ઉડાવી મજાક

મુંબઈ: ફિલ્મમેકર કરણ જોહર પોતાના નિવેદનોને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. કરણ સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ છે. પોતાના વિચારો વ્યક્ત કરવા માટે તે સોશિયલ મીડિયાનો સહારો લે છે. હાલમાં જ તેમણે એક ટીવી શોના કોમેડિયનને ખરી ખોટી સંભળાવી છે. તેમણે કહ્યું કે કોમેડિયનોને તેની નકલ કરતા જોઈને તે વ્યથિત થઈ ગયા હતા. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક નોટ શેર કરી તેણે મિમિક્રીને ખરાબ ગણાવી છે. કરણે કહ્યું કે એક વખત ટ્રોલર્સ આવું કરે તો સમજ્યા પરંતુ તેને ઈન્ડસ્ટ્રીના જ લોકો પાસેથી આવી આશા નહોતી.

કરણ જોહરે પોતાની પોસ્ટમાં કોઈપણ શો કે કોમેડિયનનું નામ લીધા વગર નિશાન સાધ્યું છે. કરણની આ પોસ્ટ જોઈને ઘણા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે તે કેતન સિંહ વિશે વાત કરી રહ્યા છે. કેતને સોની ટીવીના શો ‘મેડનેસ મચાયેંગે- ઈન્ડિયા કો હંસાયેંગે’માં તેમની નકલ કરી હતી.

કરણે પોતાની નોટમાં લખ્યું છે કે,’હું મારી માતા સાથે બેઠો બેઠો ટેલિવિઝન જોઈ રહ્યો હતો અને મેં એક પ્રતિષ્ઠિત ચેનલ પર એક રિયાલિટી કોમેડી શોનો પ્રોમો જોયો. એક કોમેડિયન મારી ખૂબ જ ખરાબ રીતે નકલ કરી રહ્યો હતો. હું ટ્રોલ્સ અને અજ્ઞાન લોકો પાસેથી આની અપેક્ષા રાખું પરંતુ જ્યારે તમારી પોતાની ઈન્ડસ્ટ્રી 25 વર્ષથી વધુ સમયથી વ્યવસાયમાં હોય તેવા વ્યક્તિનો અનાદર કરે એ વાત યોગ્ય ન કહેવાય. આ જોઈ મને માત્ર ગુસ્સો જ નથી આવ્યો પરંતુ દુ:ખ પણ થયું છે.’

કરણ જોહરે શેર કરેલી આ નોટ સોની ટીવી અને તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા શેર કરાયેલા તાજેતરના પ્રોમો વિશે છે. કોમેડિયન કેતન સિંહે શોના પ્રોમોમાં કરણની નકલ કરી છે. તે ‘કોફી વિથ કરણ’શોની નકલ કરતો જોવા મળે છે.કોમેડી શોમાં કેતને કરણના શોને ‘ટોફી વિથ ચુરણ’ કહીને તેની મજાક ઉડાવી હતી. કેતને શોમાં ઘણા સ્ટાર કિડ્સને લોન્ચ કરવા માટે કરણ પર નિશાન સાધ્યું છે. આ સાથે કરણ જોહરની ડાન્સ કરવાની આદતની પણ મજાક ઉડાવવામાં આવી છે. બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી આ શોને જજ કરી રહી છે.

કોણ છે કેતન સિંહ

કેતન સિંહ એક્ટર અને રાઈટર છે. હાલમાં તે સોની લીવ પર મેડનેસ મચાયેંગે ક઼ૉમેડી શૉમાં કૉમેડીયન તરીકે જોવા મળી રહ્યાં છે. જેમાં તેમણે કરણ જોહરની નકલ કરી હતી. જોકે કરણ જોહરની પ્રતિક્રિયા બાદ કેતન સિંહે ફિલ્મ નિર્માતાની માફી માંગી છે. એક પોર્ટલ સાથે વાત કરતાં કેતને કહ્યું કે તેનો ઈરાદો કરણ જોહરની ભાવનાને ઠેંસ પહોંચાડવાનો નહોતો. તે માત્ર મનોરંજન માટે હતું. પરંતુ જો તેમનું દિલ દુભાયું હોય તો હું માફી ચાહું છું.

કોરાનાના 93 નવા કેસો, એક પણ મોત નહીં  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 93 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,37,640 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,589 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,03,431 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 83 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 846 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,091 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 18 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.