Home Blog Page 1875

ભગવાનમાં નથી માનતા આ નાસ્તિક બૉલિવૂડ સ્ટાર્સ

મુંબઈ: ઘણા એવા સ્ટાર્સ છે જેઓ ભગવાનમાં માનતા નથી. જ્યાં રત્ના પાઠક શાહે કરવા ચોથના વ્રતને ગાંડપણ ગણાવ્યું છે, તો સોનમ કપૂરે પણ હિંદુ રીતિ-રિવાજોનું પાલન કરવાનો ઇનકાર કર્યો છે. આ લિસ્ટમાં એવા ઘણા સિતારાઓના નામ પણ સામેલ છે જેઓ પોતે પૂજામાં માનતા નથી પરંતુ ભગવાનની પૂજા કરનારાઓની વિરુદ્ધ પણ નથી.

કમલ હસન

પાન ઈન્ડિયાના સુપરસ્ટાર કમલ હાસન પહેલા જ ભગવાનમાં તેમની શ્રદ્ધા વિશે વાત કરી ચૂક્યા છે. તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે પૂજામાં માનતા નથી પરંતુ તેને તેનાથી કોઈ વાંધો નથી.

રાહુલ બોસ

અભિનેતા રાહુલ બોસ બોલિવૂડનો જાણીતો ચહેરો છે, જો કે તેણે ઘણા સમય પહેલા ભગવાનમાં તેની શ્રદ્ધા વિશે સ્પષ્ટ વાત કરી હતી, પરંતુ તેણે કહ્યું હતું કે તે પૂજામાં માનતા નથી.

જાવેદ અખ્તર


બૉલિવૂડના દિગ્ગજ સંગીતકાર જાવેદ અખ્તરના નામથી બધા અવગત જ છે તેમને પરિચયની કોઈ જરૂર નથી, તે માને છે કે આપણે માત્ર સારા કાર્યો કરતા રહેવું જોઈએ.

ફરહાન અખ્તર

અભિનેતા ફરહાન અખ્તર પણ ભગવાનમાં માનતા નથી, તેણે પોતાને નાસ્તિક ગણાવ્યા છે, ઈરાની પારસી પરિવારમાં જન્મેલા અખ્તરે કહ્યું છે કે તે નાસ્તિક છે અને કોઈ ધર્મમાં નથી માનતા.

સોનમ કપૂરે આ વાત કહી

સોનમ કપૂરે તેના પુત્ર વાયુના અન્નપ્રાશનની એક ઘટના સંભળાવી, જેમાં તેણે પંડિતજીને તેના પુત્રને મધ ખવડાવવાની સ્પષ્ટ ના પાડી. અભિનેત્રીએ કહ્યું કે તે રિવાજોના નામે કંઈ પણ ના કરી શકે.

રત્ના પાઠક શાહ

કરવા ચોથ પર વ્રત રાખવાના સવાલ પર બોલિવૂડ એક્ટ્રેસ રત્ના પાઠક શાહે કહ્યું હતું કે તે પાગલ છે જે પોતાનો પ્રેમ સાબિત કરવા માટે ભૂખ્યા રહે છે. તે એક શિક્ષિત મહિલા છે જે આવું ના કરે.

જ્હોન અબ્રાહમ


અભિનેતા જ્હોન અબ્રાહમ પણ કોઈ પણ પ્રકારના ભગવાનમાં માનતા નથી.જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જેઓ ભગવાનની પૂજા કરે છે તેમનાથી તેને કોઈ સમસ્ પણ નથી.

રાહુલ ગાંધી અમેઠીથી પણ ચૂંટણી લડે એવી શક્યતા

નવી દિલ્હીઃ રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવા માટે તૈયાર છે. જોકે તેમના અમેઠીથી ચૂંટણી લડવાની સત્તાવાર ઘોષણા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે. તેઓ શુક્રવારે અમેઠી પહોંચીને નામાંકન ભરશે. આ સીટ પર તેમનો મુકાબલો ફરી એક વાર કેન્દ્રીય મંત્રી અને ભાજપનાં ઉમેદવાર સ્મૃતિ ઇરાની સાથે થશે. 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ અમેઠીની સીટ પર સ્મૃતિ ઇરાનીથી હારી ગયા હતા.

રાહુલ ગાંધીના અમેઠીથી ચૂંટણી લડવાને લઈને અત્યાર સુધી સસ્પેન્સ હતું, પણ હવે તેઓ આ સીટ પરથી ચૂંટણી લડવા તૈયાર થયા હોવાથી અટકળો પર પૂર્ણવિરામ લાગ્યું છે. કોંગ્રેસ નેતા કેરળની વાયનાડ સીટથી પણ ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડ સીટ પર બીજા તબક્કામાં 26 એપ્રિલો મતદાન થયું હતું. અમેઠીમાં નામાંકનની અંતિમ તારીખ ત્રીજી મે છે. અહીં પાંચમા તબક્કામાં 20 મેએ મતદાન થશે. અમેઠીમાં હવે સ્મૃતિ ઇરાની પર જીત બેવડાવવાનું દબાણ હશે તો રાહુલ ગાંધી અહીંથી ચૂંટણી જીતીને પરંપરાગત સીટ પર ફરીથી કબજો કરવા ઇચ્છશે.

અમેઠી સીટ કોંગ્રેસની પરંપરાગત સીટ રહી છે. રાહુલ આ સીટ પર 2004, 2009 અને 2014માં ચૂંટણી જીતી ચૂક્યા છે. જોકે 2019ની લોકસભા ચૂંટણીમાં તેમને ઇરાનીએ આશરે 55,000 મતોથી હરાવ્યા હતા. 2019માં તેઓ વાયનાડ સીટથી પણ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. હવે તેઓ વાયનાડથી ઉમેદવાર બન્યા તો ભાજપ તેમના પર હુમલો કરે છે અને અમેઠીથી ચૂંટણી લડવા માટે પડકાર ફેંક્યો છે.

 

 

 

 

મુસાફરોની મુશ્કેલી થશે હળવી,એરપોર્ટની સુવિધામાં થયો વધારો

અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુવિધામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે એરપોર્ટના ટર્મિનલ 2માં મુસાફરો માટે સુવિધામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ એરપોર્ટના ઇન્ટીગ્રેટેડ ટર્મિનલમાં સિક્યુરિટી હોલ્ડ એરિયાથી લઇને એરોબ્રિજ અને ચેક ઇન કાઉન્ટર્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ફક્ત ટર્મિનલમાં જ નહી પરંતુ એર સાઇટ પર એટલે કે રનવે ઉપર પણ સુધારા વધારા કરવામાં આવ્યા છે.

ઇન્ટિગ્રેટેડ ટર્મિનલમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની થીમ

અમદાવાદના ઇન્ટિગ્રેટેડ ટર્મિનલમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની થીમ ઉપર ડિઝાઇન કરવામાં આવી છે. ઈન્ટિગ્રેટેડ ટર્મિનલમાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ મૂર્તિના દર્શન પણ થશે. આ ઉપરાંત ચેક ઇન કાઉન્ટર પાછળ અમદાવાદની ઝાંખી જોવા મળશે. આ સાથે મુસાફરોને વર્લ્ડ હેરિટેજ સિટીમાં આવ્યાનો અનુભવ પણ ટર્મિનલની ડિઝાઈન પરથી થશે. તો બીજી બાજુ ચેક ઇન કાઉન્ટર્સ અને ઇમિગ્રેશન કાઉન્ટર્સ પણ ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગનુ પ્રતિનિધિત્વ કરે છે. આ કાઉન્ટર્સની બહારના ભાગમાં બાંધણી અને બ્લોક પ્રિન્ટ્સની કૃતિ મુસાફરોને હળવો અનુભવ કરાવશે. વિદેશથી આવતા મહેમાનો અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ગુજરાતમાં હોવાનો અનુભવ થશે.

અગાઉ ટર્મિનલ-2 પર 14 ઇમિગ્રેશન કાઉન્ટર્સ હતા. જે હવે વધારીને 19 કરવામાં આવ્યા છે તથા મેટલ ડિટેક્ટરમાં પણ વધારો કરીને 24 કર્યા છે. એરપોર્ટ ઉપર મુસાફરોને તથા સામાનને સ્કેન કરવા માટે અગાઉ ફક્ત ચાર એક્સ-રે સ્કેનર હતા. જે હવે 14 થઈ ગયા છે. અગાઉ ફક્ત ચાર બેગેજ બેલ્ટ હતા, જેમાં હવે વધારાના 2 બેગેજ બેલ્ટનો ઉમેરો કરવામાં આવ્યો છે.

આ ટર્મિનલ ઉપરાંત એરપોર્ટના રનવે પર ઘણા સુધારા કરવામાં આવ્યા છે. જેથી એરપોર્ટ સુવ્યવસ્થિત રીતે દેશી ઉપરાંત વિદેશી ફ્લાઈટ ઓપરેટ કરી શકે. મુસાફરોને વધુમાં વધુ શહેરો સાથે કનેક્ટિવિટી મળી રહે તે માટે ઘણા સુધારા કરવામાં આવ્યા છે. તેમાં સૌથી મહત્વના એરોબ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. અગાઉ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ચાર એરોબ્રિજ હતા. જેનું હવે એક્સપાન્શન કરીને હાલમાં આઠ એરોબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યા છે

આ અગાઉ જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સગવડતાનો વ્યાપ ઓછો હતો તે દરમિયાન દર વર્ષે અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ ઉપરથી કુલ 25 લાખ મુસાફરો મુસાફરી કરતા હતા. પરંતુ અમદાવાદ એરપોર્ટમાં સુધારા કરવાથી મુસાફરોની સંખ્યા વધીને વાર્ષિક 88 લાખે પહોંચી શકવાની સંભાવના છે.

ખેડા: ખરાખરીનો જંગ!

ખેડા: આ જિલ્લો તમાકુની ખેતી માટે જાણીતો છે. જ્યારે ખેડા લોકસભા બેઠકમાં અમદાવાદ જિલ્લાના બે વિસ્તારનો પણ સમાવેશ થાય છે. ખેડા લોકસભા બેઠક જેમાં ખેડા અને આણંદનો સમાવેશ થાય છે. આ બેઠક આમ તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. પણ 2014માં મોદી લહેરમાં અહીં ભગવો લહેરાયો. અને સતત બે ટર્મથી દેવુસિંહ ચૌહાણ ચૂંટણી જીતતા આવ્યા છે. આ બેઠક પર ત્રણ વખત ભાજપ, બે વખત સ્વતંત્ર પક્ષ, એક વખત સંસ્થા કોંગ્રેસ, એક વખત અપક્ષ તેમજ એક વખત જનતા દળે વિજયનો સ્વાદ ચાખ્યો છે.

ઉમેદવાર

ભાજપ: દેવુસિંહ ચૌહાણ

વર્ષ 1989થી 2002 વર્ષ સુધી આકાશવાણી કેન્દ્રમાં એન્જિનિયર તરીકે સેવાઓ આપ્યા બાદ 2002માં રાજીનામું આપી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. વર્ષ 2007માં ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. વર્ષ 2009માં ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે માત્ર 746 મતોથી હાર થઈ. વર્ષ 2012માં પુનઃ ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. વર્ષ 2014માં 16મી લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ખેડા લોકસભા સાંસદ સભ્ય તરીકે પ્રથમ વાર ચૂંટાયા હતા. વર્ષ 2016થી 2021 સુધી ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષપદે રહી સાંસદ ઉપરાંત સંગઠનની જવાબદારી સંભાળી. 7 જુલાઈ 2021 ભારત સરકારના સંચાર રાજ્ય પ્રધાન તરીકે શપથ લીધા.

કોંગ્રેસ: કાળુસિંહ ડાભી

1985માં જાહેરજીવનની કારકિર્દી શરૂ કરી. 1991માં પ્રથમ વખત સરપંચ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2017માં કપડવંજ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. 2022માં રાજેશ ઝાલા સામે તેમનો પરાજય થયો હતો. કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે.

PROFILE

  • ખેડા લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં દસક્રોઈ, ધોળકા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા અને કપડવંજ વિધાનસભાનો સમાવેશ થાય છે.
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના દેવુસિંહ ચૌહાણ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 3,67,145 વોટની લીડથી જીત્યા હતા.

 

  • મતદારોની સંખ્યા

કુલ મતદારો    21,50,110

પુરુષ મતદાર   11,04,559 

સ્ત્રી મતદાર     10,45,481

વિધાનસભા બેઠકોની સ્થિતિ

બેઠક પક્ષ વિજેતા વોટ લીડ
દસક્રોઈ ભાજપ બાબુ જમનાદાસ 1,59,107 91,637
ધોળકા ભાજપ કિરીટસિંહ ડાભી 84,773 84,773
માતર ભાજપ અશાભાઈ પરમાર 84,295 15,851
નડિયાદ ભાજપ પંકજ દેસાઈ 1,04,369 53,871
મહેમદાવાદ ભાજપ અર્જુનસિંહ ચૌહાણ 1,08,541 45,604
મહુધા ભાજપ સંજયસિંહ મહીડા 91,900 25,689
કપડવંજ ભાજપ રાજેન્દ્રકુમાર ઝાલા 1,12,036 31,878

ખેડા બેઠકની વિશેષતા

  • અગાઉ બૃહદ ખેડા બેઠક હતી. બૃહદ ખેડા બેઠકનું ખેડા અને આણંદમાં વિભાજન થયું.
  • 1951 અને 1957ની લોકસભા ચૂંટણીમાં ખેડા બેઠકનો મુંબઇ સ્ટેટમાં સમાવેશ થતો હતો.
  • પ્રથમ લોકસભા ચૂંટણીમાં ખેડા દક્ષિણ બેઠક પર સરદાર પટેલના પુત્રી મણીબહેન પટેલ અને ઉત્તર બેઠક પર ફુલસિંહજી ડાભી ચૂંટાયા હતા.
  • 1962માં યોજવામામાં આવેલી લોકસભા ચૂંટણીમાં ખેડા લોકસભા બેઠક પર સ્વતંત્ર પક્ષના ઉમેદવાર ચૂંટાયાં હતાં.
  • એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક પર છેલ્લી બે ચૂંટણીમાં ભાજપને જીત મળે છે.
  • કોંગ્રેસ તરફથી દિનશા પટેલ આ બેઠક પરથી પાંચ ટર્મ સાંસદ રહ્યા હતા.

ABSLMCએ આદિત્ય બિરલા સન લાઇફ નિફ્ટી PSE ETF લોન્ચ કર્યું

મુંબઈઃ આદિત્ય બિરલા સન લાઇફ AMC લિ. (ABSLAMC)ની આદિત્ય બિરલા સન લાઇફ નિફ્ટી PSE ETFએ નિફ્ટી PSE ઇન્ડેક્સને ટ્રેક કરતું ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ લોન્ચ કર્યું છે. આ ન્યુ ફંડ ઓફર (NFO)ની બીજી મે, 2024થી 16 મે, 2024 સુધી ખુલ્લી રહેશે.

ETF રોકાણકારોને ભારતની પબ્લિક ક્ષેત્રની કંપનીઓ (PSEs)માં મૂડીરોકાણ કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે, જે આગળ અર્થતંત્રને વેગ આપવા માટે જવાબદાર છે. છેલ્લા એક દાયકામાં જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે માગમાં વધારો, નાણાકીય સપોર્ટ, બજારની સ્થિતિ અને સારું મૂલ્યાંકન- વગેરે સાનુકૂળ સંજોગો પેદા થયા છે. આ સાથે PSEsમાં કોર્પોરેટ ગવર્નન્સ, વેપારની વ્યહૂરચના, કાર્યક્ષમતામાં સુધારો થયો છે. જેને પગલે રોકાણકારોના વિશ્વાસમાં વધારો, નફાશક્તિમાં સુધારો અને મૂલ્યમાં પણ વધારો થયો છે.

આ યોજના સંયુક્ત લાભ આપે છે, જ્યાં રોકાણકારો તેજીવાળા બજારમાં જાહેર ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાં મૂડીરોકાણ દ્વારા ઊંચો લાભ –બંને ઊંચું ડિવિડન્ડ યિલ્ડ અને લાંબા ગાળાનો ગ્રોથ મેળવી શકે છે. વધારામાં આ કંપનીઓને સરકારનું પીઠબળ હોવાથી વ્યક્તિગત શેરોની તુલનાએ આ કંપનીઓના શેરોમાં ઓછી વોલેટિલિટી હોય છે, કેમ કે આ યોજનામાં સમાવિષ્ટ શેરોનું પાવર, ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્ઝ, મેટલ્સ, ફાઇનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રની કંપનીઓ વગેરે પર ધ્યાન કેન્દ્રિત હોય છે.

આ ETFમાં મૂડીરોકાણ દ્વારા મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ હોવાથી રોકાણકારોને ભારતીય અર્થતંત્રમાં ભાગ લેવાની તક મળે છે. વળી, આ મૂડીરોકાણની તક રોકાણકારોને વિસ્તૃત શૃંખલા પૂરી પાડે છે, કેમ કે લાંબા ગાળાના હોલ્ડર (રોકાણકર્તા)ને લાંબા ગાળાના વિકાસ, વ્યક્તિગત આવક પર ધ્યાન કેન્દ્રિત અને જે રોકાણકારોને વૈવિધ્યકરણની ઇચ્છા રાખતા હોય તેમને આ ETF PSE સેક્ટરની કંપનીઓમાં ઊંચું મૂલ્ય મેળવી શકે છે.

નવા ફંડના લોન્ચ પર ટિપ્પણી કરતાં ABSLAMCના MD અને CEO એ. બાલાસુબ્રમણિયને કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની કંપની ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે અને આદિત્ય બિરલા સન લાઇફ નિફ્ટી PSE ETF થકી અમે રોકાણકારો સતત વિકાસ કરવાની અને આ કંપનોમાં મૂડીરોકાણ થકી લાભ કરવાની તક આપીએ છીએ. આ જાહેર ક્ષેત્રની કંપનીઓ દેશને 2047 સુધી રૂ. સાત લાખ કરોડનું અર્થતંત્ર બનાવવાની દિશામાં અને વિકસિત ભારતની દિશામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ સાથે ETF આ કંપનીઓની મજબૂત સ્થિતિ અને સ્થિરતાનો લાભ ઉઠાવવા માટે એક સુવિધાજનક તક પૂરી પાડે છે, જેથી નિફ્ટી PSE ઇન્ડેક્સ પર નજર રાખવા સાથે રોકાણકારોએ આ કંપનીઓમાં મૂડીરોકાણ કરવાની તક મળે છે.

 

 

 

 

 

 

કોંગ્રેસને ફેંક્યા પડકાર, સરદારની ભૂમિ પર PMનો હુંકાર

લોકસભા ચૂંટણીના તીજા તબક્કાના મતદાનને પાંચ દિવસ બાકી છે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. જેમાં કુલ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)માં 94 બેઠક પર મતદાન થશે. જેમાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થશે. જ્યારે એક બેઠક પર ભાજપને બિનબરીફ વિજય મળ્યો છે.

ભાજપ મતદારોનો રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે જાહેર સભાને સંબોધન કરી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આજે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.

આણંદમાં મોટી સંખ્યામાં જનમેદીને સંબોધન કરતા PM મોદી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ‘કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં ભારતની 60 ટકા ગ્રામીણ વસ્તી પાસે શૌચાલય નહોતું, 10 વર્ષમાં અમે બનાવ્યા. માત્ર ત્રણ કરોડ ગ્રામીણ ઘર સુધી જ નળથી પાણી પહોંચતુ, અમે 10 વર્ષમાં 14 કરોડ નળથી જળ પહોંચાડ્યું. દેશના લોકોએ 60 વર્ષ સુધી કોંગ્રસનું શાસન જોયું છે જ્યારે લોકોએ ભાજપના દસ વર્ષના સેવાકાળને પણ જોયું છે. પહેલા શાસનકાળ હતો, હવે સેવા કાળ છે.

PMના પડકાર

આ ઉપરાંત કોંગ્રેસ સામે પડકાર ફેકતા તેમણે કહ્યું કે “દેશને લેખિતમાં ગેરંટી આપે કે તેઓ સંવિધાન બદલીને ધર્મના આધાર પર મુસ્લિમોને આરક્ષણ નહીં આપે. SC, ST, OBC ને મળતા આરક્ષણમાં ફેરફાર નહીં કરે અને તેમના અધિકારી નહીં છીનવે. જે રાજ્યમાં કોંગ્રેસ કે સાથી પક્ષોની સરકાર છે તેઓ વોટ બેંકની રાજનીતિ નહિં કરે”.

PM મોદીએ પાકિસ્તાન પર કર્યો કટાક્ષ 

પાકિસ્તાનની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘આતંકી એક્સપોર્ટ કરનાર અત્યારે લોટ માગવા તરસે છે.’ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે ‘પાકિસ્તાનના લોકો શહજાદાને PM બનાવવા માગે છે.

PM મોદીએ સરદાર સાહેબના આશીર્વાદ માગવા સાથે ચા વાળાએ અર્થવ્યવસ્થાને સુધારી હોવાની વાત કરતા કહ્યું કે ‘આ ગુજરાતી ચા વાળાએ દેશની અર્થવ્યવસ્થા 11માં નંબરથી પાંચમા સ્થાને પહોંચાડી. 140 કરોડ લોકોના સપના પુરા કરવા મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઇએ. આખા દેશમાંથી આશીર્વાદ મળે, પણ જ્યારે સરદારની ભૂમિ પરના આશીર્વાદ મળે ત્યારે ચાર ચાંદ લાગી જાય છે.’

નોંધનિય છે કે PM મોદી 2જી મેના રોજ ચાર જન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદમાં જન  સભાને સંબોધન કર્યા બાદ તેઓ સુરેન્દ્રનગરના વઢવાણા, જૂનાગઢ અને જામનગરમાં જન સભાને સંબોધન કરશે.

 

19 વર્ષ બાદ સંજય નિરુપમની ‘ઘર વાપસી’, આ પાર્ટીમાં થશે સામેલ

મુંબઈ: શિવસેના સાથે રાજકીય કરિયર શરૂ કરનાર સંજય નિરુપમ 19 વર્ષ બાદ ફરી ‘ઘર વાપસી’ કરશે.કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ તેઓ મહારાષ્ટ્રની એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાવા જઈ રહ્યા છે. સંજય નિરુપમે કહ્યું કે બાલા સાહેબ ભવનમાં સીએમ શિંદે સાથે મુલાકાત કર્યા પછી, તે નક્કી કરવામાં આવ્યું છે કે તેઓ 3 મેના રોજ તેમના તમામ સાથીઓ સાથે શિવસેના (શિંદે જૂથ)માં જોડાશે અને પ્રચાર જોરશોરથી કરશે. વાસ્તવમાં શિવસેના છોડ્યા બાદ નિરુપમ 2005માં કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2009ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા રામ નાઈકને સાંકડા અંતરથી હરાવીને ઉત્તર મુંબઈથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

19 વર્ષ કોંગ્રેસમાં કામ કર્યું

કોંગ્રેસમાં તેમના 19 વર્ષના રોકાણ દરમિયાન તેમણે મુંબઈ એકમના પ્રમુખ પદ સહિત અનેક હોદ્દાઓ સંભાળ્યા હતા.ગત મહિને કોંગ્રેસે તેમને અનુશાસનહીન અને પક્ષ વિરોધી પ્રવૃતિઓને કારણે છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. તેમની હકાલપટ્ટીના થોડા દિવસો પહેલા જ નિરુપમે પાર્ટીને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પર નિર્ણય લેવા માટે એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું હતું.

શું કહ્યું એકનાથ શિંદે?
શિવસેના પક્ષના અધિકારીઓની બેઠક બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુધવારે પત્રકારોને જણાવ્યું કે સંજય નિરુપમ ટૂંક સમયમાં શિવસેનામાં જોડાશે. આ પ્રસંગે નિરુપમ પણ તેમની સાથે હતા, પરંતુ શિંદે તેને સૌજન્ય બેઠક ગણાવી હતી.આ દરમિયાન શિંદેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. મુંબઈમાં 20 મેના રોજ મતદાન થશે.

નિરુપમ બિહારના રહેવાસી છે
મૂળ બિહારના રહેવાસી નિરુપમે 1990ના દાયકામાં પત્રકારત્વ દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ મુંબઈથી પ્રકાશિત અવિભાજિત શિવસેનાના હિન્દી મુખપત્ર ‘દોપહર કા સામના’ના સંપાદક બન્યા. તેમના કામથી પ્રભાવિત થઈને તત્કાલીન શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ તેમને 1996માં રાજ્યસભામાં મોકલ્યા. નિરુપમ શિવસેનાના સ્વર નેતા તરીકે ઉભરી આવ્યા.

2005માં શિવસેના છોડી દીધી હતી. તે સમયે શિવસેના મુંબઈમાં સ્થાયી થયેલા ઉત્તર ભારતીય મતદારોને પોતાની તરફેણમાં લેવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે, નિરુપમને ત્યારે આંચકો લાગ્યો જ્યારે શિવસેનાએ તેમને 2005માં રાજ્યસભાનું સભ્યપદ છોડવાનું કહ્યું. શિવસેના સાથેના મતભેદોને કારણે તેમણે આખરે 2005માં પાર્ટી છોડી અને પછી કોંગ્રેસમાં જોડાયા.

ઉપ રાજ્યપાલે દિલ્હી મહિલા પંચમાંથી 223 કર્મચારીઓને દૂર કર્યા

નવી દિલ્હીઃ દિલ્હીના ઉપ રાજ્યપાલે દિલ્હી મહિલા પંચમાંથી 223 કર્મચારીઓને તત્કાળ અસરથી દૂર કર્યા છે. આરોપ છે કે દિલ્હી મહિલા પંચના તત્કાલીન અધ્યક્ષ સ્વાતિ માલીવાલે નિયમોથી વિરુદ્ધ જઈને વગર મંજૂરીએ તેમની નિયુક્તિ કરી હતી. આ આદેશમાં DCW અધિનિયમનો હવાલો આપવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પંચમાં માત્ર 40 પદ સ્વીકૃત છે અને DCWની પાસે કર્મચારીઓની નિમણૂક કરવાનો અધિકાર નથી.

DCW ડિપાર્ટમેન્ટના એડિશનલ ડિરેક્ટર તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું હતું કે નવી નિયુક્તિઓથી પહેલાં જરૂરી પદોનું કોઈ મૂલ્યાંકન નથી થયું અને ના તો વધરાના નાણાકીય બોજની મંજૂરી લેવામાં આવી હતી. દિલ્હી મહિલા પંચના કર્મચારીઓને દૂર કરવાનો આદેશ એવા સમયે આવ્યો છે, જ્યારે લોકસભા ચૂંટણી ચાલી રહી છે, જેથી આપ પાર્ટી તરફખી ઉપ રાજ્યપાલ વિનય કુમાર સકસેનાની આ કાર્યવાહીનો વિરોધ થાય એવી શક્યતા છે. હવે સવાલ એ છે કે દરેક સરકારી નિયુક્તિ માટે નાણાં વિભાગ સહિત કેટલાય અન્ય વિભાગોથી મંજૂરી લેવાની હોય છે, ત્યારે કઈ રીતે 200થી વધુ કર્મચારીઓની નિયુક્તિ કરી લેવામાં આવી? આટલું જ નહીં, આ બધાને આટલા દિવસોથી કામ કેવી રીતે કરવા દેવામાં આવ્યું.

દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે DCWના પદથી રાજીનામું આપી દીધું હતું. તેમને આપ પાર્ટીએ નોમિનેટ કરીને રાજ્યસભામાં મોકલ્યાં હતાં. જે 223 કર્મચારીઓને પદથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો, તેમને સ્વાતિ માલીવાલના કાર્યકાળ દરમ્યાન રાખવામાં આવ્યા હતા. સ્વાતિ માલીવાલ પર આરોપ છે કે તેમણે નિયમોને નેવે મૂકીને કર્મચારીઓની ભરતી કરી હતી.  

 

 

 

 

 

 

 

મિસ યુનિવર્સનો તાજ જીત્યા બાદ જ્યારે ફોટોશૂટમાં બેભાન થઈ સુષ્મિતા સેન

મુંબઈ: બૉલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને 1994માં મિસ યુનિવર્સનો તાજ જીત્યો હતો, જેનું એક આઇકોનિક ફોટોશૂટ પણ કરવામાં આવ્યું હતું, જે તાજમહેલની સામે થયું હતું. ડિઝાઇનર રિતુ કુમારે તે સમયનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં સુષ્મિતા સેનની એક ઝલક જોઈ શકાય છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું, સુષ્મિતા સેન મિસ યુનિવર્સ ફોટોશૂટ. વધુ વિગતો આપતા તેણે લખ્યું કે, “1993માં મેં મિસ ઈન્ડિયા ટીમ સાથે સ્પર્ધકો માટે કપડા ડિઝાઈન કરવાની ડીલ કરી હતી. 1994માં સુષ્મિતા સેને અમેરિકામાં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તે એક ઐતિહાસિક ક્ષણ હતી અને હું ખૂબ જ ખુશ હતી. તેનો એક ભાગ બનવા માટે સ્પર્ધકો માટે કપડાં બનાવવા માટેના મિસ ઈન્ડિયા સાથેની મારી ડીલના ભાગ રૂપે તેણીએ અમેરિકાનો પ્રવાસ કર્યો ત્યારે મને તેના કપડા બનાવવાનું કામ સોંપવામાં આવ્યું અને મેં તેને બાંધણી અને જરદોજી આપ્યા, કુર્તાના સુટ્સ મોકલવાનું શરૂ કર્યું. જે ખૂબ પસંદ કરવામાં આવી હતી.”

રિતુ કુમારે શૂટ પહેલા શું થયું અને પછી કેવી રીતે સુષ્મિતા સેને ગુલાબી સાડીમાં ફોટોશૂટ કરાવ્યું તે વિશે જણાવ્યું. તે કહે છે કે શૂટ દરમિયાન અભિનેત્રી બેહોશ થઈ ગઈ હતી. તેણે લખ્યું કે જ્યારે તે ટૂર પછી દિલ્હી પહોંચી તો મને ફોન આવ્યો કે તાજ પેલેસ આવવાનું છે. પહોંચ્યા પછી મને ખબર પડી કે શૂટિંગ તાજમહેલની બહાર થશે. પરંતુ તેને મોકલવામાં આવેલા કપડાં શોર્ટ્સ અને ટી-શર્ટ હતા. એટલા નાના કે તેઓ કબરની બહાર પહેરી ન શકાય! તેથી રાત્રે અમે એક દુકાન ખોલી અને બ્લાઉઝ સાથે ગુલાબી સાડી તૈયાર કરી. અમને અન્ય કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ પણ મળી અને થોડા કલાકોમાં અમે શૂટિંગ માટે તૈયાર થઈ ગયા. શૂટિંગ ખૂબ જ વ્યસ્ત હતું અને નબળી સુષ્મિતા એક વખત બેહોશ પણ થઈ ગઈ હતી, પરંતુ ફોટોઝ અમારી મહેનતનું મૂલ્ય હતું.

 

View this post on Instagram

 

A post shared by Ritu Kumar (@ritukumarhq)

ઉલ્લેખનીય છે કે સુષ્મિતા સેન બીવી નંબર 1, ડુ નોટ ડિસ્ટર્બ, મૈં હું ના, મૈને પ્યાર ક્યૂ કિયા અને તુમકો ના ભૂલ પાયેંગે અને નો પ્રોબ્લેમ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. જ્યારે તેણે ઇન્ટરનેશનલ એમી નામાંકિત શ્રેણી આર્યા સાથે અભિનયમાં પુનરાગમન કર્યું, જેની ત્રીજી સીઝન આવી ગઈ છે. આ સિવાય તે તાલી ફિલ્મમાં ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ શ્રીગૌરી સાવંતની ભૂમિકામાં જોવા મળી હતી.

મુંબઈ:સાંઈ મકરંદ દવેની યાદમાં કાંદિવલીમાં કાર્યક્રમનું આયોજન

મુંબઈ: મકરંદ દવે એટલે એક માત્ર કવિ, લેખક કે સાહિત્યકાર જ નહી પણ એક સંત અને ઋષિ કક્ષાની હસ્તી પણ ગણાય. આ સાંઈ મકરંદ દવેના આધ્યાત્મિક વિશ્વ અને કાવ્ય વિશ્વમાં તરબોળ થવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મકરંદ દવેની રચના અને સર્જન સાથે સાંજ વિતાવવા આગામી 4 મેના રોજ કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) અને તેના દ્રારા સ્થાપિત ગુજરાતી ભાષા ભવન તરફથી એક પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે.

આ પ્રસંગ “અદીઠો સંગાથઃ સાંઈ મકરંદ સાથે” શિર્ષક હેઠળ ઉજવાશે. જેમાં કેઈએસના પ્રેસિડન્ટ મહેશ શાહ વકતા તરીકે મકરંદ દવેના આધ્યાત્મિક વિશ્વમાં લઈ જનારું ગહન છતાં સરળ શૈલીમાં વકતવ્ય રજૂ કરશે, જયારે બીજા વકતા તરીકે દિનેશ પોપટ મકરંદ દવેના કાવ્ય વિશ્વ વિશે રસપ્રદ પ્રસ્તુતિ કરશે. આ બંને મહેશ શાહ અને દિનેશ પોપટ વરસોથી મકરંદ દવેના સર્જનના ભાવક છે. આ સાથે જાણીતા ગાયક જોની શાહ મકરંદ દવેના કેટલાંક ગીતો રજૂ કરશે.

આ કાર્યક્રમમાં ગુજરાતી તખ્તાના સુવિખ્યાત કલાકાર સનત વ્યાસ મકરંદ દવેની રચનાઓનું તેમની શૈલીમાં પઠન કરશે. જયારે કે સુપ્રસિધ્ધ ચિંતક- સાહિત્યકાર ડો.દિનકર જોષી પોતાના આશીર્વચન સાથે મકંરદ દવે વિશેની કેટલીક યાદો વાગોળશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા લેખિકા અને પ્રબુધ્ધ જીવનના તંત્રી ડો.સેજલ શાહ કરશે.

કાર્યક્રમનું સ્થળઃ કેઈએસ ઈન્ટરનેશનલ સ્કુલ, ત્રીજે માળે, ઈરાની વાડી નં.3, કાંદિવલી-વેસ્ટ.
સમય અને વારઃ શનિવાર, સાંજે 4:30