Home Blog Page 1899

ભણસાલીની વેબ સિરીઝ હીરામંડીના સ્પેશિયલ સ્ક્રીનિંગને માણો તસવીરોમાં

મુંબઈ: આખરે હવે દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે. સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત વેબ સિરીઝ “હીરામંડી – ધ ડાયમંડ બઝાર” મનોરંજન કરવા માટે તૈયાર છે. બુધવારે રાત્રે વેબ સીરિઝનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજાયુ હતું. જેમાં બૉલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ, અને શર્મિન સહગલ, ફરદીન ખાન, શેખર સુમન, તાહા શાહ બદુશા અને અધ્યાયન સુમન જેવા સ્ટાર્સ આ નેટફ્લિક્સ સિરીઝમાં જોવા મળવાના છે.

હાલમાં જ મુંબઈમાં આ સિરીઝના પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. સલમાન ખાન, કરણ જોહર, આલિયા ભટ્ટ, રેખા, વિકી કૌશલ, રશ્મિકા મંદન્ના, ભૂમિ પેડનેકર આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ પ્રીમિયરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

એક ફોટોમાં કરણ જોહર અને વિકી કૌશલ એકબીજા સાથે કંઈક ચર્ચા કરતા જોવા મળે છે. પ્રીમિયર દરમિયાન બ્લેક આઉટફીટમાં વિકી કૌશલ હેન્ડસમ લાગી રહ્યો છે.

તો બીજી બાજુઆલિયા ભટ્ટ તેની સાસુ નીતુ કપૂર અને મમ્મી સોની રાજદાન સાથે જોવા મળી હતી. આલિયા ટ્રેડિશનલ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી.

આ ઈવેન્ટમાં હીરામંડીની આખી સ્ટાર કાસ્ટે પોતાના ટ્રેડિશનલ લુકથી લોકોના દિલ જીતી લીધા હતા.

આ ઈવેન્ટમાં સૌથી વધુ ચર્ચા સલમાન ખાનના આઉટફિટની હતી. તેના સ્ટાઈલિશ પેન્ટના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ દરમિયાન આદિત્ય રોય કપૂર પણ જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમમાં રશ્મિકા મંદાન્ના પણ પોતાની સુંદરતાનો જલવો કરતી જોવા મળી હતી. તે દેસી લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેમજ મૃણાલ ઠાકુર અને કપિલ શર્મા પણ ઈવેન્ટમાં જોવા મળ્યા હતાં.

દિગ્ગજ અભિનેત્રી રેખા પણ સ્ક્રીનિંગમાં જોડાયા હતાં. હંમેશની જેમ પરંપરાગત સાડીમાં તે ખૂબ સુંદર દેખાય છે.

હીરામંડીની વાત કરીએ તો આ વેબ સિરીઝ 1 મેના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. સંજય લીલા ભણસાલી આ સિરીઝ સાથે OTT પર ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેની મમ્મી અને સંજય લીલા ભણસાલી સાથે

કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર, પ્રિયંકા ગાંધી આવશે ગુજરાત મુલાકાતે

લોકસભા ચૂંટણી 2024ને લઈ રાજ્યમાં ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે તમામ પક્ષોના ઉમેદવારો પ્રચાર-પ્રસાર શરૂ કરી ચૂક્યા છે. ત્યારે ભાજપના કેન્દ્રીય નેતા નરેન્દ્ર મોદી અને અમિતા શાહ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. તો બીજી બાજુ હવે ગુજરાતમાં ભાજપને હરાવવા કોંગ્રેસ પ્રચંડ પ્રચાર કરવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસે ગુજરાતમાં માટે આગામી 26 એપ્રિલથી 5 મે સુધીનો પ્રચાર પ્રસારનો કાર્યક્મ જાહેર કર્યો છે.

ગુજરાતમાં આગામી 26 એપ્રિલથી કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર શરૂ થવાનો છે આગામી દિવસોમાં કોંગ્રેસનાં સંગઠન પ્રભારી અને વરિષ્ઠ રાજ્યસભા સભ્ય મુકુલ વાસનીક બે દિવસ ગુજરાત મુલાકાતે આવશે. બે દિવસીય પ્રવાસમાં અનેક બેઠકો અને જન સભાને મુકુલ વાસનીક સંબોધન કરશે. તારીખ 27 એપ્રિલના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને નેતા પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુર ખાતે જાહેરસભાને સંબોધન કરશે. જેને લઈને ધરમપુરમાં જોરશોરથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જે બાદ તારીખ 28 એપ્રિલના રોજ કોંગ્રેસના પૂર્વ સાંસદ અભિષેક મનુ સિંઘવી અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે. તારીખ 29 એપ્રિલના રોજ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પાટણ ખાતે આવશે. પાટણમાં તેઓ જંગી જનમેદીને સંબોધન કરશે.

આ ઉપરાંત કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ અલકા લાંબા, વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ, અશોક ગહેલોત અને તેલંગાણાનાં યુવા મુખ્યમંત્રી રેવંતા રેડીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસનાં મીડિયા ડિપાર્ટમેન્ટનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પવન ખેરા, રાષ્ટ્રીય પ્રવકતા સુપ્રીયા શ્રીનેટ સહિતના પ્રવક્તાઓ જનસભાને સંબોધન કરશે.

‘યુવા ન્યાય’ની વાત રજૂ કરવા કોંગ્રેસ પક્ષનાં યુવા નેતા કનૈયાકુમાર, ઇમરાન પ્રતાપગઢી,યુથ કોંગસનાં રાષ્ટ્રીય પ્રમુખ બી વી શ્રીનિવાસ ગુજરાતમાં પ્રેસ અને જાહેરસભા કરે તેવુ કોંગ્રેસનું આયોજન સાથે રાષ્ટ્રીય નેતૃત્વને આમંત્રણ પાઠવ્યું છે.

ગુજરાતમાં ગરમીનો પારો પહોંચશે આસમાને

ગુજરાતમાં એકબાજુ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે તો બીજી તરફ ગરમી પણ ભુક્કા બોલાવી રહી છે. તેમા પણ હવે ગુજરાતમાં આજથી ગરમીનો પ્રકોપ વધશે. જેમાં તાપમાનનો પારો સતત ઊંચકાશે એવા હવામાન વિભાગ દ્વારા સંકેતો અપાયા છે. તેમજ ગાંધીનગરમાં 40.4 ડિગ્રી, વડોદરામાં 40.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા 29મી એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચશે.

heat wave

ગાંધીનગરમાં 40.4 ડિગ્રી, વડોદરામાં 40.4 ડિગ્રી સાથે રાજકોટમાં 40.5 ડિગ્રી, અમરેલીમાં 40.5 ડિગ્રી તાપમાન છે. પાંચ દિવસ સુધી ઠંડક રહ્યા બાદ ફરી કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. સાત શહેરમાં તાપમાન 40 ડિગ્રી પાર થયુ છે. તેમજ સૌથી ઓછું દ્વારકામાં 30.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં છેલ્લા પાંચ દિવસથી તાપમાન નીચું રહેતા લોકોને રાહત મળી હતી. પરંતુ બુધવારથી તાપમાનનો પારો ઊંચકાતા ફરી એકવાર કાળાઝળ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદ સહિત રાજ્યનાં કુલ સાત શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.

પવનની દિશા બદલાતા ગરમીની આગાહી કરવામાં આવી છે. તેમાં તાપમાનનો પારો 41 ડિગ્રી પાર જવાની આગાહી છે. તેમજ ગઈકાલે રાજ્યના 7 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયુ છે. તથા સૌથી વધુ વલ્લભ વિદ્યાનગરમાં 41.7 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમદાવાદમાં 40.8 ડિગ્રી, સુરેન્દ્રનગર 40.7 ડિગ્રી તાપમાન છે. જોકે હજુ આગામી એક સપ્તાહ સુધી ગરમીથી રાહત નહીં મળે, પરંતુ તાપમાનનો પારો સતત ઊંચકાશે એવા હવામાન વિભાગ દ્વારા સંકેતો અપાયા છે. અમદાવાદમાં 40.8 ડિગ્રી, ગાંધીનગરમાં 40.4 વડોદરામાં 40.6, અમરેલીમાં 40.5, રાજકોટમાં 40.5 અને સુરેન્દ્રનગરમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી એક સપ્તાહ સુધી ગરમીમાં સતત વધારો થશે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો, 29મી એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી જશે.

પટના હોટલમાં ભીષણ આગ, 6 લોકોના મોત

ગુરુવારે સવારે પટનાના ફ્રેઝર રોડ પર એક હોટલ અને બે દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે ફ્રેઝર રોડ સહિત આસપાસના વિસ્તારોમાં અરાજકતા સર્જાઈ હતી. આ સાથે ફાયર વિભાગની 20 ગાડીઓ પણ પહોંચી છે. જે બિલ્ડીંગમાં આગ લાગી ત્યાં હોટલની સાથે દુકાનો પણ છે. આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે. સ્થળ પર બે હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને 20 ફાયર ટેન્ડર હાજર છે.

12 લોકોની ICUમાં સારવાર ચાલી રહી છે

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી બચાવકર્મીઓએ હોટલમાંથી 25 થી 30 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. ઘણા લોકો દાઝી ગયા છે. જેમની ઓળખ હજુ સુધી થઈ નથી. દાઝી ગયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાર મહિલાઓની હાલત ગંભીર છે. અત્યાર સુધીમાં 18 દર્દીઓ આવ્યા છે. જેમાંથી 6ના મોત થયા છે. દરમિયાન 12 આઈસીયુમાં સારવાર હેઠળ છે.

આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા

ફાયર વિભાગના અધિકારીઓ, ફાયર બ્રિગેડ અને અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ ઘટનાસ્થળે છે. આ અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ભયાનક અકસ્માતમાં પાલ હોટેલ અને તેની બાજુમાં આવેલી હોટલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર ફાઈટર હોટલની અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક ફાયરમેન હાઈડ્રોલિક પ્લેટફોર્મ પરથી ઉપરના માળે પહોંચી રહ્યા છે.

 

PM મોદીએ કોંગ્રેસ પર ધાર્મિક તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો

લોકસભા ચૂંટણી 2024: મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ વારસા કાયદા કરને નાબૂદ કરી દીધો હતો કારણ કે તેઓ તેમની વારસામાં મળેલી મિલકત સરકાર સાથે વહેંચવા માંગતા ન હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ફરીથી ટેક્સ લગાવવા માંગે છે. રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે વારસાગત ટેક્સને લઈને દેશની સામે એક મોટી હકીકત સામે આવી છે. આ તથ્યો આંખ ખોલનારી છે. તેમણે કહ્યું કે જ્યારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું અવસાન થયું ત્યારે તેમની સંપત્તિ તેમના બાળકોને આપવામાં આવતી હતી પરંતુ પહેલા એવો નિયમ હતો કે તેમના બાળકોને મિલકત મળે તે પહેલા સરકાર તેનો હિસ્સો લેતી હતી. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પહેલા પણ આવો કાયદો બનાવી ચૂકી છે.

કોંગ્રેસે 1985માં કાયદો બદલ્યો

પીએમ મોદીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે ઈન્દિરા ગાંધીની સંપત્તિ બચાવવા માટે કાયદો ખતમ કર્યો. જેથી તે સરકાર પાસે ન જાય. તેમણે કહ્યું કે જ્યારે તે પોતાની વાત આવી તો તત્કાલિન પીએમ રાજીવ ગાંધીએ વર્ષ 1985માં વારસા કાયદાને નાબૂદ કરી દીધો હતો. હવે તેનું કામ થઈ ગયું છે, કોંગ્રેસ ફરીથી ટેક્સ લાદવા માંગે છે. પીએમ મોદીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ લોકોની સંપત્તિ અને કિંમતી વસ્તુઓનો એક્સ-રે કરાવીને તેમના ઘરેણાં અને નાની બચત જપ્ત કરવા માંગે છે.

PM મોદીએ કોંગ્રેસ પર ધાર્મિક તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો

આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર ધાર્મિક તુષ્ટિકરણનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે મુસ્લિમોને અનામત આપવા માટે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમએ કહ્યું કે કોંગ્રેસ ફરીથી ધાર્મિક તુષ્ટિકરણનો પ્યાદા તરીકે ઉપયોગ કરી રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે, તેઓએ કર્ણાટકમાં મુસ્લિમ સમુદાયના તમામ લોકોને ઓબીસી જાહેર કર્યા છે. પીએમએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે ઓબીસી સમુદાયમાં ઘણા નવા લોકોને જોડ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે પહેલા ઓબીસીને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત મળતું હતું, પરંતુ હવે તેમને જે અનામત મળતું હતું તે છીનવી લેવામાં આવ્યું છે.

ગાઝામાં ભૂખમરાની ચપેટમાં લાખ્ખોની વસતિઃ UN રિપોર્ટ

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસની વચ્ચે સાત મહિનાથી યુદ્ધ જારી છે, ત્યારે વર્ષ 2023માં 59 દેશોના આશરે 28.2 કરોડ લોકો ભૂખથી તડપવા મજબૂર થયા હતા અને યુદ્ધગ્રસ્ત ગાઝામાં સૌથી વધુ લોકોએ દુકાળની ગંભીર સ્થિતિનો સામનો કર્યો હતો, એમ ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઇસિસનો અહેવાલ કહે છે.

વર્ષ 2022માં 2.4 કરોડથી વધુ લોકોએ ખાદ્ય સામગ્રીની ભારે અછતથી ઝઝૂમવું પડ્યું હતું, જેને કારણે ગાઝા પટ્ટી અને સુડાનમાં ખાદ્ય સુરક્ષાની સ્થિતિ બગડેલી હતી. ખાદ્ય સંકટવાળા દેશોની સંખ્યામાં પણ વધારો થયો હતો, જેની નિગરાની કરવામાં આવી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનના મુખ્ય અર્થશાસ્ત્રી મેક્સિમો ટોરેરોએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ ભૂખનો એક માપદંડ નક્કી કર્યો છે, જેમાં પાંચ દેશોના 7.05 લાખ લોકો પાંચમા તબક્કામાં છે, જેને ઊંચો સ્તર માનવામાં આવે છે. 2016માં વૈશ્વિક રિપોર્ટ જારી કરવાના પ્રારંભથી એ સંખ્યા અત્યાર સુધી સૌથી વધુ છે અને 2016માંની સંખ્યાની તુલનાએ એમાં ચાર ગણો વધારો થયો છે.

તેમણે જણાવ્યું હતું કે ગંભીર દુકાળનો સામનો કરી રહેલા લોકોમાંથી 80 ટકા લોકો એટલે કે 5,77,000 લોકો માત્ર ગાઝામાં છે. જ્યારે દક્ષિણી સુડાન, બુર્કિના ફાસો, સોમાલિયા અને માલીમાં હજારો લોકો ભૂખથી તડપી રહ્યા છે. અહી મદદ પહોંચાડવામાં પણ ભારે મુશ્કેલીઓનો સાનવો કરવો પડે છે. રિપોર્ટમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે ગાઝામાં આશરે 11 લાખ લોકો અને દક્ષિણ સુડાનમાં 79,000 લોકો જુલાઈ સુધી પાંચમા તબક્કામાં પહોંચી શકે છે, અને દુકાળનો સામનો કરવા માટે મજબૂર થઈ શકે છે.

 

 

 

 

 

 

 

NDDBએ પંજાબ નેશનલ બેંકની સાથે MoU કર્યા

આણંદઃ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે (NDDBએ) મિલ્ક યુનિયનો/ફેડરેશનો, મલ્ટિ-સ્ટેટ કો-ઓપરેટિવ્સ, ઉત્પાદક કંપનીઓ જેવી ઉત્પાદકોની માલિકીની સંસ્થાઓ અને NDDBની સહાયક કંપનીઓ સહિત સહકારી ક્ષેત્રમાં કાર્યરત લાભાર્થી સંગઠનો (BO)ને ધિરાણ પૂરું પાડવા માટે પંજાબ નેશનલ બેંક (PNB)ની સાથે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. NDDBના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એસ. રઘુપતિ અને પીએનબીના જનરલ મેનેજર દીપાંકર મહાપાત્રાએ NDDBના ચેરમેન મિનેશ શાહની ઉપસ્થિતિમાં આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર પાંચ વર્ષ માટે લાગુ રહેશે.આ પ્રસંગે શાહે જણાવ્યું હતું કે બંને સંગઠનો વચ્ચે સાધવામાં આવેલો આ સહકાર ઉત્પાદકોની માલિકીની સંસ્થાઓ માટે ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અને વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ થવાથી ડેરી વેલ્યુ ચેનમાં નિઃશંકપણે વધુ કાર્યક્ષમતા લાવશે. તેનાથી દૂધ અને દૂધનાં ઉત્પાદનોની વધતી જઈ રહેલી માગને કારણે પેદા થયેલા પડકારોના સ્થાયી અને નવીન પ્રકારના ઉકેલો શોધવાના અમારા પ્રયાસો વધુ સમૃદ્ધ બનશે.

પાત્ર BOને ધિરાણ પ્રાપ્ત થાય તે માટે ડેરી બોર્ડ PNB સમક્ષ આવી BOને સમર્થન પૂરું પાડશે તથા મૂલ્યાંકન રિપોર્ટ તૈયાર કરવા માટે ટેક્નિકલ સપોર્ટ અને સલાહસૂચનો પણ આપશે. વધુમાં, NDDB કન્સલ્ટન્સી એગ્રીમેન્ટ હેઠળ NDDB દ્વારા હાથ ધરવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સ માટે PNBને પિરિયોડિક પ્રોગ્રેસ રિપોર્ટ સોંપશે.PNB પરસ્પર સંમત થયેલા કરારને આધારે સમયાંતરે RBIની માર્ગદર્શિકા અને આંતરિક માર્ગદર્શિકા અનુસાર ડેરી ઉદ્યોગ અને અન્ય સંબંધિત આંતરમાળખું વિકસાવવા માટે ટર્મ લોનના સ્વરૂપમાં નાણાકીય સહાય પૂરી પાડશે. તેમાં BOના લાભ માટે કાર્યકારી મૂડીની સહાય અને ડેરી આંતરમાળખું વિકસાવવા, મૂલ્યવર્ધિત ઉત્પાદનોના ઉત્પાદન, દૂધના ટેસ્ટિંગ, ઢોરોના ઘાસચારા અને પૂરક આહાર, દૂધના પરિવહન, માર્કેટિંગના આંતરમાળખા, આઇસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંશોધન અને વિકાસ, પુનઃપ્રાપ્ય ઊર્જાનું આંતરમાળખું અને કાર્યક્ષમતા વધારવા માટેનું અન્ય આંતરમાળખું, ડેરી ઉત્પાદનો અને અન્ય સંબંધિત ચીજવસ્તુઓના પેકેજિંગ, તાલીમ કેન્દ્રો, ડેરી ઉપકરણોના ઉત્પાદન, બાયોલોજિકલ્સ અને ન્યુટ્રાસ્યુટિકલ્સ, ખાતરના મેનેજમેન્ટ વગેરે માટે ટર્મ લોન પૂરી પાડવાનો સમાવેશ થાય છે. PNB નીચા વ્યાજદરોએ નાણાકીય સહાય પૂરી પાડશે તથા કેન્દ્ર/રાજ્ય સરકારોની યોજના હેઠળ વ્યાજસહાય ઉપલબ્ધ છે કે નહીં તેની પણ જાણકારી મેળવશે.

 

 

 

 

 

World Malaria Day: જાણો આ બિમારીના કારણો, લક્ષણો અને ઉપાયો

મેલેરિયા એ એક રોગ છે જે મચ્છરના કરડવાથી થાય છે. ઠંડી લાગવી અને ઉંચો તાવ એ મેલેરિયાના મુખ્ય લક્ષણો છે.જો કે, મેલેરિયાની યોગ્ય સારવાર કરવામાં આવે તો તેમાંથી જલદી બચી શકાય છે.યોગ્ય સાવચેતી અને નિવારક પગલાં લેવાથી મચ્છર કરડવાથી બચી શકાય છે. દર વર્ષે વિશ્વ મેલેરિયા દિવસ (World Malaria Day)ની ઉજવણી મેલેરિયા સામેના નિવારણ પગલાં વિશે જાગૃતિ લાવવા અને આપણે આ રોગનો શિકાર ન થઈએ તે માટે આપણે શું કરી શકીએ તે માટે કરવામાં આવે છે.

વિશ્વ મેલેરિયા દિવસનો ઇતિહાસ

આફ્રિકાની સરકારો 2001 થી આફ્રિકા મેલેરિયા દિવસની ઉજવણી કરી રહી છે. 2008માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પ્રાયોજિત વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના 60મા સત્રમાં આફ્રિકા મેલેરિયા દિવસને વિશ્વ મેલેરિયા દિવસમાં બદલી દેવામાં આવ્યો. તેઓએ નક્કી કર્યું કે મેલેરિયા અને મચ્છર કરડવાથી બચવાના ઉપાયો વિશે વિશ્વને વધુ જાગૃત અને સજાગ રહેવાની જરૂર છે. તેથી, આ દિવસ દર વર્ષે ઉજવવા લાગ્યો.

મેલેરિયા શું છે?

મલેરિયા એક એવો રોગ છે જે મચ્છરના કરડવાથી થાય છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો આ રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે.આ રોગના કારણો, લક્ષણો અને નિવારક પગલા વિશે જાણીએ.

મેલેરિયાના કારણો

તે એક જીવલેણ રોગ છે, જે ચેપગ્રસ્ત એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. મચ્છરોમાં પ્લાઝમોડિયમ પરોપજીવી હોય છે. જ્યારે આ મચ્છર કરડે છે, ત્યારે પરોપજીવી તમારા લોહીમાં પ્રવેશ કરે છે. આ પરોપજીવી લીવર સુધી પહોંચે છે અને વધવા લાગે છે. પરિપક્વ પરોપજીવીઓ પછી લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે અને લાલ રક્ત કોશિકાઓને સંક્રમિત કરવાનું શરૂ કરે છે. ચેપ પછી લક્ષણો દેખાવામાં 10-15 દિવસ લાગી શકે છે. મેલેરિયાનો ચેપ વરસાદની મોસમમાં વધુ જોવા મળે છે પરંતુ અન્ય ઋતુઓમાં પણ તે તમને તેનો શિકાર બનાવી શકે છે.

મેલેરિયાના લક્ષણો

મેલેરિયાનું સૌથી સામાન્ય લક્ષણ શરદીની સાથે તાવ છે. મેલેરિયા પરોપજીવી શરીરમાં પ્રવેશ્યા પછી લાંબા સમય સુધી નિષ્ક્રિય રહી શકે છે, તેથી જ ક્યારેક લક્ષણો દેખાવા માટે લાંબો સમય લાગી શકે છે. સમયસર લક્ષણોની ઓળખ કરીને રોગની સારવાર કરવી જોઈએ, આમ કરવાથી ગંભીર જોખમો ઘટાડી શકાય છે.

  • ખૂબ ઠંડી સાથે તાવની સમસ્યા
  • માથાનો દુખાવો
  • ઉબકા-ઉલ્ટી
  • પેટના સ્નાયુઓમાં દુખાવો
  • મળમાં લોહીની સમસ્યા

નિવારક પગલાઓ

  • તે મુખ્યત્વે વરસાદની મોસમમાં ફેલાય છે. સ્થિર પાણીમાં મચ્છરો ઉત્પત્તિ પામે છે અને મેલેરિયા ફેલાવે છે.તેનાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખો.
  • મચ્છરોના પ્રજનનને રોકવા માટે પાણીને સ્થિર થવા ન દો.
  • દવાઓનો છંટકાવ કરો.
  • સૂવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો.
  • મચ્છરના કરડવાથી પોતાને બચાવવા માટે આખી બાંયના કપડાં પહેરો.
  • જો તમને લક્ષણો હોય, તો તરત જ પરીક્ષણ કરો અને સારવાર કરો.

કેજરીવાલની થઈ રહી છે જાસૂસી, સંજય સિંહનો મોટો આરોપ

આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહે PM નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમના પર જેલમાં રહેલા CM કેજરીવાલની જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે દિલ્હીના ચૂંટાયેલા મુખ્યમંત્રી સાથે જે પણ થઈ રહ્યું છે તે અત્યંત દુઃખદ છે. સમગ્ર દિલ્હીના લોકો ભારે દુઃખમાં છે. તેમણે કહ્યું કે તિહાર જેલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે ટોર્ચર ચેમ્બરમાં ફેરવાઈ ગઈ છે. વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પીએમઓ અને એલજે સાહેબ દ્વારા કેજરીવાલ પર 24 કલાક સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જાણે કોઈ મહાન જાસૂસ જાસૂસી કરી રહ્યો હોય.

કેજરીવાલ સાથે અમાનવીય વ્યવહાર શા માટેઃ સંજય સિંહ

તેમણે લખ્યું કે દિવસભર કેજરીવાલ પર નજર રાખવા છતાં તેમને 23 દિવસ સુધી ઇન્સ્યુલિન આપવામાં આવ્યું ન હતું. તેનું શુગર લેવલ ખરાબ થઈ ગયા પછી પણ ઈન્સ્યુલિન આપવામાં આવ્યું ન હતું. ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રી સાથે આ અમાનવીય વર્તન કેમ કરવામાં આવે છે? એટલે કે તેમણે દિલ્હીને સારી સારવાર આપી, વીજળી અને પાણી ફ્રી કરાવ્યું, માતા-બહેનોને મહિને 1000 રૂપિયા આપવાની સ્કીમ લાવી.

ગુજરાત સ્થાપના દિવસે જ PMના રાજ્યમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં જ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની 26 પૈકી 25 બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારનો આરંભ કરે તેવી રીતે આયોજન કરાયું છે. વડાપ્રધાન આગામી 1લી અને 2જી મેના રોજ બે દિવસમાં જ છ જાહેર સભાઓ ગજવશે. વડાપ્રધાનના પ્રવાસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ત્રણ દિવસ રાજ્યમાં ભાજપના પ્રચાર માટે આવવાના છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧લી મેને ગુજરાતના સ્થાપના દિનના રોજ બપોરે ડીસા ખાતે સભાથી રાજ્યની ૨૫ બેઠકો માટે ઝંઝાવતી પ્રચાર પ્રવાસનો આરંભ કરશે. વડાપ્રધાન મોદી બપોરે ૩.૩૦ વાગે ડીસા એરોડ્રામ ખાતે બનાસકાંઠા અને પાટણ લોકસભા માટે પ્રચારસભાને સંબોધશે. વડાપ્રધાન બે દિવસમાં દક્ષિણ ગુજરાત સિવાયના ચાર ઝોનમાં છ જાહેરસભા સંબોધવાના છે. આ સભાઓમાં બેથી ચાર લોકસભાના મતવિસ્તારોને આવરી લેવાય તે પ્રકારનું આયોજન કરાયું છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ પ્રમાણે વડાપ્રધાન મોદી એકપણ મહાનગરમાં રોડ શો યોજેય તેવી શક્યતા નથી.૧લી મેના રોજ વડાપ્રધાન બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી તથા પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં સભા સંબોધશે. PM ડીસાથી સાંજે ૫.૩૦ વાગે હિંમતનગર ખાતે મોદી ગ્રાઉન્ડમાં સાબરકાંઠાના શૌભના બારૈયા ઉપરાંત પાટણની ખેરાલુ વિધાનસભા ઉપરાંત મહેસાણાની વિજાપુર, અમદાવાદ પૂર્વની દહેગામ વિધાનસભાને આવરી લેતી સભાને સંબોધશે. આમ, વડાપ્રધાન ૧લીમેના રોજ એક જ દિવસમાં પાંચ લોકસભા મતવિસ્તારોના મતદારોને સંબોધન કરશે.

PM મોદીના ગુજરાત પ્રવાસની વિગતો:

તારીખ બેઠક સમય સભા સ્થળ
01-05-24 બનાસકાંઠા, પાટણ 3:30 pm એરોડ્રોમ ગ્રાઉન્ડ, ડીસા, બનાસકાંઠા
01-05-24 સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ પશ્ચિમ 5:15 pm મોદી ગ્રાઉન્ડ, હિંમતનગર, સાબરકાંઠા
02-05-24 આણંદ, ખેડા 11:00 am શાસ્ત્રી ગ્રાઉન્ડ, opp. સી.વી.એમ. ઓફિસ, વલ્લભ વિદ્યાનગર, આણંદ
02-05-24 સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર 1:00 pm ત્રિમંદિર ગ્રાઉન્ડ, સુરેન્દ્રનગર-રાજકોટ રોડ, સુરેન્દ્રનગર
02-05-24 જૂનાગઢ, પોરબંદર, અમરેલી 03.15 pm કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ
02-05-24 જામનગર 5:00 pm પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે, જામનગર

૨જી મેના રોજ વડાપ્રધાન મોદી સવારે ૧૧ વાગે આણંદ ખાતે ખેડા અને આણંદ લોકસભા મતવિસ્તારના મતદારોને આવરી લેતી સભાને સંબોધશે. જેમાં આણંદમાં મિતેશ પટેલ અને ખેડામાં દેવુસિંહ ચૌહાણ ઉમેદવારો છે. આણંદથી વડાપ્રધાન સીધા સુરેન્દ્રનગર પહોંચશે અને અહીં સુરેન્દ્રનગરમાં રાજકોટ રોડ ઉપર સભા સંબોધશે. અહીં પીએમની સભામાં રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા, ભાવનગરના નિમુબેન બંભાણીયા ઉપસ્થિત રહેશે. બપોરે ૩.૩૦ વાગે જૂનાગઢમાં અને સાંજે પ વાગે જામનગરમાં સભાને સંબોધશે.