Home Blog Page 1940

રામદેવ, બાલકૃષ્ણને પરિણામો ભોગવવાં માટે તૈયાર રહેવા ‘સુપ્રીમ’ આદેશ

નવી દિલ્હીઃ પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત કેસમાં સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને કડક ફટકાર લગાવી હતી. કોર્ટે  વગર શરતે રામદેવના માફીનામાનો સ્વીકાર કરવાથી ઇનકાર કરી દીધો હતો. જસ્ટિસ અમાનુલ્લાહ અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતાં કહ્યું હતું કે તમે ત્રણ-ત્રણ વાર અમારા આદેશોને નજરઅંદાજ કર્યા છે અને એનું પરિણામ ભોગવવું પડશે. અમે આંધળા નથી. એ સાથે ખંડપીઠે આ મામલે કેન્દ્ર સરકારથી મળેલા જવાબથી કોર્ટ સંતુષ્ટ નહીં જોવાનું જણાવ્યું હતું.

કોર્ટે રામદેવને કહ્યું હતું કે ખુદને કાયદાથી પર ના સમજો, કાયદો સૌથી ઉપર છે. કોર્ટે રામદેવના વકીલ મુકુલ રોહતગીને કહ્યું હતું કે સોગંદનામું કોર્ટમાં આવતાં પહેલાં પબ્લિકની પાસે હતું, જ્યારે સુપ્રીમ કોર્ટની વેબસાઇટની PDFમાં નહોતું.

રોહતગીએ કહ્યું હતું કે રામદેવે પણ વિના શરત માફી માગી છે, ત્યારે જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું હતું કે  તમે સોગંદનામામાં છેતરપિંડી કરી રહ્યા છો. આ કોણે તૈયાર કર્યું છે? મને આશ્ચર્ય છે. કોર્ટે રામદેવના વિના શરત માફી માગવાના સોગંદનામાનો સ્વીકાર કરવાથી ઇનકાર કર્યો હતો. જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું હતું કે આ લોકોએ ત્રણ-ત્રણ વાર અમારા આદેશને નજરઅંદાજ કર્યા છે.

શું છે IMAનો કેસ?

IMAએ આરોપ લગાવ્યો છે કે પતંજલિએ કોવિડડ19 વેક્સિનેશનની વિરુદ્ધ એક બદનામ કેમ્પેન ચલાવ્યું હતું. એના પર કોર્ટે ચેતવણી આપી હતી કે પતંજલિ આયુર્વેદ તરફથી ખોટો અને ભ્રામક જાહેરાત તરત બંધ થવી જોઈએ. ખાસ કરીને બીમારીઓને ઠીક કરવાના ખોટા દાવા કરતા પ્રત્યેક ઉત્પાદન માટે રૂ. એક કરોડ સુધીના દંડની સંભાવના જાહેર કરી હતી.

 

 

 

 

 

 

 

 

ભારત નહીં, ચીને કેનેડાની ચૂંટણીમાં કરી હતી દખલઃ CSIS

નવી દિલ્હીઃ કેનેડાની સરકારે પાછલા દિવસોમાં આરોપ લગાવતાં કહ્યું હતું કે ભારત એની ચૂંટણીમાં દખલ દઈ રહ્યું છે. જોકે કેનેડિયન સુરક્ષા જાસૂસી સર્વિસે (CSIS) ખુલાસો કર્યો હતો કે ભારતે ચૂંટણીમાં કદી દખલ કરી નથી, પરંતુ એજન્સીએ ચીન પર ગંભીર આરોપ લગાવ્યા છે. ચીને કેનેડાની પાછલી બે ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો. 2019 અને 2021ની સામાન્ય ચૂંટણીમાં ચીને દખલ કરી હતી, એમ CSISનો તપાસ રિપોર્ટ કહે છે.2019 અને 2021ની કેનેડાની સામાન્ય ચૂંટણીમાં ચીને દખલ કરી હતી અને એમાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીને જીત મળી હતી. વિપક્ષ સતત આ મુદ્દો ઉઠાવી રહ્યો હતો અને વિદેશી દખલની વાત કરી રહ્યો હતો. ત્યાર બાદ વડા પ્રધાન ટ્રુડોએ તપાસ પંચની રચના કરી હતી. આ બંને કેસોમાં વિદેશી દખલના નક્કર પુરાવા મળ્યા છે. બીજી બાજુ, ચીને કેનેડાના રાજકારણમાં દખલના આરોપોથી ઇનકાર કર્યો છે. કેનેડામાં 2021માં થયેલી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રચારની આગેવાની કરી રહેલા એરિન ઓટુલીએ ચૂંટણીમાં ચીનની દખલનો અંદેશો વ્યક્ત કર્યો હતો.

આ રિપોર્ટ સામે આવ્યા પછી જસ્ટિન ટ્રુડો પર વિપક્ષે તીખો હુમલો કર્યો હતો. પંચે સોમવારે રજૂઆત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે અમે જાણીએ છીએ કે PRCએ 2019 અને 2021- બંને ચૂંટણીમાં ગુપ્ત અને ભ્રામકનું મુખ્ય ઉદ્ધેશ PRCના હિતવાળા મામલા પર ચીન સમર્થક અથવા તટસ્થ ગણાતી વ્યક્તિઓને ટેકો આપવાનો હતો. ચીને એમાં દખલ કરવા માટે રાહ જોઈ હતી. જાસૂસી વિશ્લેષકોનો તર્ક છે કે ટ્રુડો સરકારે ચીની હસ્તક્ષેપને લઈને કોઈ કાર્યવાહી નહોતી કરી. એ મામલામાં ટ્રુડોની પંચ સમક્ષ નિવેદન લેવામાં આવશે.

 

 

 

 

 

 

 

 

 

કોરાનાના 58 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,35,183 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,568 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,00,869 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 68 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 717 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,481 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 8 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

નોટ આઉટ @ 82 : રમેશભાઈ પટેલ

1974થી સત્ય-સાઈ-સેવા-સમિતિ(સંગઠન)માં સક્રિય, ઉમદા માનવસેવા રૂપી 1822 રક્તદાન-યજ્ઞના પ્રણેતા અને રક્તના 72496 યુનિટ દાનમાં મેળવવામાં સહભાગી થયેલ રમેશભાઈ પટેલની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ વહેલાલ (જીલ્લો અમદાવાદ)માં, ત્રણ ભાઈ, એક બહેનનું કુટુંબ, તેઓ સૌથી મોટા. પિતા ડેપ્યુટી-સુપ્રિન્ટેન્ડેન્ટ-ઓફ-પોલીસ હતા. સુરત-અમદાવાદ વચ્ચે બદલી થતી રહેતી. બાળપણ અમદાવાદ અને સુરતમાં. ધોરણ આઠ સુધીનો અભ્યાસ સુરતમાં. પછી અમદાવાદ મોડેલ હાઇસ્કુલમાં. એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી BE(Civil) કર્યું. GPSCની પરીક્ષા પાસ કરી સરકારી નોકરી લીધી, પણ માનસિક રીતે એડજસ્ટ ન થતાં સરકારી નોકરી મૂકી દીધી. 1968માં અમદાવાદના જાણીતા  બકેરી-ગ્રુપમાં નોકરી લીધી, 1971માં પાર્ટનર તરીકે જોડાયા. 1974માં પૂટપૂર્તિ, સત્ય-સાઈબાબાના આશ્રમમાં જઈ આવ્યા પછી સ્વતંત્ર કામકાજ શરૂ કર્યું. 1991 પછી માત્ર ખાનગી કામ કરતા. 2000ની સાલમાં સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી. છેલ્લાં 39 વર્ષોથી, રક્તદાન-યજ્ઞના પ્રણેતા છે. ચક્ષુદાન અને દેહ-દાન માટે પણ અનુમોદના આપે છે. 1997થી(27 વર્ષથી) અપંગ માનવ મંડળમાં મેડિકલ કેમ્પ યોજે છે! 42 વર્ષથી દર ગુરુવારે ભજનમાં સક્રિય છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

ચાર વાગે ઊઠે, 4:30-05:20 માળા-મંત્ર-જાપ, 21વાર ઓમકાર, સુપ્રભાતમ્. વજ્રાસનમાં બેસે, આખા દિવસનો પ્રોગ્રામ બનાવે. અડધો કલાક પ્રાણાયામ કરે. ચા-નાસ્તાની તૈયારી કરે. અડધો કલાક સોસાયટીમાં ચાલે. નાહી-ધોઈ પૂજા કરી અડધો કલાક કસરત કરે. છાપાં વાંચે. 12:30 વાગે જમે. 500 પગલાં ચાલે. દોઢથી-અઢી સુઈ જાય. ચા પીને માળા ફરે. મોબાઈલ ઉપર થોડી પ્રવૃત્તિ, 30 મિનિટ પ્રાણાયામ. વળી છથી-સાડા-છ ચાલે. સાત વાગે આરતી કરે. 7:30 વાગે જમ્યા પછી વાંચન અને દસ વાગ્યે સૂઈ જાય. એકદમ નિયમિત જીવન છે. દરવર્ષે પૂટપૂર્તિ, સત્ય સાઈબાબાના આશ્રમમાં જાય. અત્યારે “યુ કેન હીલ યોર લાઇફ” નામનું પુસ્તક વાંચી રહ્યા છે.

શોખના વિષયો : 

વાંચનનો ભારે શોખ. જન-કલ્યાણ, માનવ અને આધ્યાત્મિક વાંચન ગમે. વિવેકાનંદ વાંચવા ગમે. પ્રવાસનો શોખ. ક્રિકેટ જોવી ગમે, (હવે ઓછું કરી નાંખ્યું છે).

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

એકવડો બાંધો અને પ્રવૃત્તિવાળું જીવન એટલે તબિયત સારી છે. 2005માં ડાબા અંગનો પેરાલીસીસ થઈ ગયો હતો, તરત સારવાર મળતાં અઠવાડિયામાં હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. ઘેર કસરત કરવી પડે છે. એક વર્ષ પહેલાં, અમેરિકામાં તેમને હાર્ટ-એટેક આવ્યો હતો. તરત સારવાર મળી ગઈ. એક બાજુ 99% બ્લોક હતો, બે સ્ટેન્ટ મૂકવા પડ્યા છે.

યાદગાર પ્રસંગ:  

જીવનના બધા યાદગાર પ્રસંગો સત્યસાઈની આજુબાજુ વણાયેલા છે! બાબાની 60મી વર્ષગાંઠ ઉપર સ્વૈચ્છિક રક્તદાન-યજ્ઞ યોજી રક્તના 517 યુનિટનો વિક્રમ કર્યો! બાબાની 70મી વર્ષગાંઠ ઉપર આશરે 70,000 ભક્તોને જમણ પીરસ્યું હતું! દીકરાની  બારમાની પરીક્ષા પછી રમેશભાઈ આશ્રમમાં  હતા ત્યારે બાબા તેમની નજીકથી નીકળ્યા અને ધીમેથી બોલ્યા: “છઠ્ઠો નંબર, છઠ્ઠો નંબર!” રમેશભાઈને કંઈ ખ્યાલ ન આવ્યો. દીકરાનું પરિણામ આવ્યું ત્યારે દીકરો સેન્ટરમાં છઠ્ઠા નંબરે પાસ થયો હતો! રમેશભાઈની પાસે અમેરિકાનું ગ્રીન-કાર્ડ. કાયદા પ્રમાણે દર વર્ષે એકવાર કાર્ડ રીન્યુ કરાવવા અમેરિકા જવું પડે. સંજોગોવશાત્ તેઓ છ વર્ષથી અમેરિકા જઈ શક્યા ન હતા. તેમને ડર હતો કે ઇમિગ્રેશનમાંથી તેઓ કેવી રીતે પાસ થશે? બાબાની  કૃપાથી કોઈ તકલીફ વગર તેમનું  ઈમિગ્રેશન ક્લિયર થઈ ગયું. અમદાવાદની  સત્ય-સાઈ-હોસ્પિટલના CEO મનોજભાઈ ભીમાણી સાથે દીકરીના લગ્ન આશ્ચર્યજનક સહેલાઈથી થઈ ગયા તે પણ યાદગાર પ્રસંગ છે! દીકરાના લગ્ન પણ અમદાવાદના(હાલ અમેરિકા) સાઈ-પ્રેમી કુટુંબમાં થયા છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

સામાન્ય ઉપયોગ કરી લે છે. ‘સીલીંગ ઓન ડિઝાયર’ એટલે ‘ઈચ્છાઓને કાબૂમાં રાખો’માં માને છે જેથી વધારે પડતો ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી.

 શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પહેલાં આપણે સાધનો ઉપર રાજ કરતાં હતાં, જ્યારે હવે આપણે ધીમે-ધીમે સાધનોના ગુલામ થતાં જઈએ છીએ!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

રક્તદાન-યજ્ઞમાં આવતા  અને સંસ્થાના કામમાં જોડાયેલા યુવાનો સાથે નિયમિત મળવાનું થાય. જો કે સંસ્થામાં આવતા યુવાનો કામ માટે અને સેવા માટે એકદમ કમીટેડ હોય એટલે યુવાનો માટેનો તેમનો અભિપ્રાય બહુ પોઝિટિવ છે.

સંદેશો :  

દુનિયા છે તો દુનિયાનો રચનાર  કોઈક તો હશે જ’ એ યુવાનોએ વિચારવું જોઈએ. કુદરત સાથે રહો, દિવસમાં બે-ત્રણ વાર ફૂલ-છોડ સાથે વાતો કરો. થોડીવાર એકલા બેસો- મોબાઇલ અને ચોપડી વગર. જે વિચાર આવે તે આવવા દો. સર્વ-ધર્મ સમભાવમાં માનો. ઈચ્છાઓને કાબૂમાં રાખો. જે પૈસા બચે તે સારા કામમાં વાપરો.

૧૦ એપ્રિલ, ૨૦૨૪

૧૦ એપ્રિલ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 10/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને કોઈ કામની સદભાવના જાગી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.

છત્તીસગઢના દુર્ગમાં બસ ખાણમાં પડી, 11ના મોત

દુર્ગ જિલ્લામાં કેડિયા ડિસ્ટિલરીના 40 કર્મચારીઓને લઈને કુમ્હારીથી ભિલાઈ પરત ફરી રહેલી બસ મંગળવારે રાત્રે 9 વાગ્યે ખાણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 16 લોકો ગંભીર રીતે ઘાયલ છે. DRF અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. પોલીસના જણાવ્યા અનુસાર, બસ પરત ફરતી વખતે મુરુમ ખાણમાં 50 ફૂટ નીચે પડી હતી.

ઇજાગ્રસ્તોની તાત્કાલિક સ્થળ પર સારવાર શરૂ કરવામાં આવી હતી

ખાણમાંથી બહાર કાઢવામાં આવેલા ઘાયલોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે. કેટલાક લોકો બસની નીચે દટાયા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી રેસ્ક્યુ ટીમ કેટલાક લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગઈ છે. આ અકસ્માત ફેક્ટરીથી અડધા કિલોમીટરના અંતરે થયો હતો. ગંભીર રીતે ઘાયલોને રાયપુર મોકલવામાં આવ્યા છે. તેમજ કેટલાક લોકોને પ્રાથમિક સારવાર માટે ધામડાના આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. કુમ્હારી, ભિલાઈ 3 અને રાયપુરના પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે – મુખ્યમંત્રી

રાજ્યના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટર પર કહ્યું, દુર્ગના કુમ્હારી પાસે એક ખાનગી કંપનીના કર્મચારીઓથી ભરેલી બસના અકસ્માત અંગે દુઃખદ સમાચાર મળ્યા છે. આ અકસ્માતમાં 11 કર્મચારીઓના મોતના સમાચાર મળી રહ્યા છે. હું ભગવાનને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. મૃત આત્માઓ અને શોકગ્રસ્તોને પરિવારને હિંમત આપે તેવી પ્રાર્થના કરું છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘાયલ થયેલા કર્મચારીઓની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. હું તેને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું.

પંચાંગ 10/04/2024

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની વધુ એક યાદી જાહેર

લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મંગળવારે (9 એપ્રિલ) ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી છે. કોંગ્રેસની આ યાદીમાં આંધ્રપ્રદેશની સીટો માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં કોંગ્રેસે 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ આ યાદીમાં આંધ્રપ્રદેશની 6 લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

કોંગ્રેસે આંધ્રપ્રદેશની વિશાખાપટ્ટનમ લોકસભા સીટથી પુલુસુ સત્યનારાયણ રેડ્ડી, અનાકાપલ્લેથી વી વેંકટેશ, એલુરુથી લાવણ્યા કુમારી, નરસારોપેટથી એલેક્ઝાન્ડર સુધાકર, નેલ્લોરથી કોપ્પુલા રાજુ અને તિરુપતિથી ચિંતા મોહનને ટિકિટ આપી છે. આંધ્ર પ્રદેશની તિરુપતિ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. કોંગ્રેસની આ યાદીમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના કે રાજુનું નામ પણ છે. રાજુ ભૂતપૂર્વ વહીવટી અધિકારી છે અને કોંગ્રેસે તેમને નેલ્લોર બેઠક પરથી ટિકિટ આપી છે.

આ યાદી પહેલા કોંગ્રેસે આંધ્રપ્રદેશની કાકીનાડા, રાજમુન્દ્રી, બાપટલા, કુર્નૂલ અને કુડ્ડાપાહ સીટ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કડપા સીટ પર કોંગ્રેસે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વાયએસઆર રેડ્ડી અને વર્તમાન મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની બહેન શર્મિલા રેડ્ડીને ટિકિટ આપી છે. શર્મિલા રેડ્ડી હાલમાં આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીના વડા છે.

આંધ્રપ્રદેશમાં એક તબક્કામાં મતદાન થશે

આંધ્રપ્રદેશમાં એક તબક્કામાં લોકસભા માટે મતદાન થવાનું છે. આંધ્ર પ્રદેશમાં, રાજ્યની તમામ 25 લોકસભા બેઠકો માટે 13 મેના રોજ મતદાન થશે. જ્યારે રાજ્ય કોંગ્રેસ ભારત જોડાણ હેઠળ ચૂંટણી લડી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી સ્થાનિક પક્ષો તેલુગુ દેશમ પાર્ટી અને જનસેના પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે.

કોંગ્રેસના આ પગલાથી આંધ્રની હરીફાઈ રસપ્રદ બની હતી

આ બે મુખ્ય ગઠબંધન ઉપરાંત, YSR કોંગ્રેસ પણ રાજ્યમાં મજબૂત દાવેદાર છે. રાજ્યમાં સત્તામાં રહેલી YSRCPએ છેલ્લી લોકસભા ચૂંટણીમાં એટલે કે વર્ષ 2019માં રાજ્યની 25માંથી 22 બેઠકો જીતી હતી. આ વખતે પણ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની પાર્ટી YSRCP મજબૂત દાવો રજૂ કરી રહી છે. જો કે, કોંગ્રેસ પાર્ટીએ પહેલાથી જ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની બહેન વાયએસ શર્મિલા રેડ્ડીને મેદાનમાં ઉતારી છે. આવી સ્થિતિમાં, રાજ્યના અગ્રણી નેતા વાયએસઆર રેડ્ડીની વારસા માટે રાજ્યમાં બે દાવેદાર છે અને તેના કારણે સ્પર્ધા પણ રસપ્રદ બની છે.

આ 42 સીટો પર છે ભાજપનો રેકોર્ડ બહુ ખરાબ

નવી દિલ્હીઃ ભાજપને તેલુગુ ભાષી રાજ્ય આંધ્ર પ્રદેશમાં સાતથી વધુ લોકસભા સીટો વર્ષ 1984થી જીતી શક્યો નથી. ભાજપને આંધ્ર પ્રદેશમાં 1989, 1996,2009 અને 2019ની લોકસભા ચૂંટણી એક પણ સીટ નહોતી મળી. વર્ષ 2014માં આંધ્ર પ્રદેશનું વિભાજન થયું હતું અને વિભાજન પછી  આંધ્ર પ્રદેશના હિસ્સામાં લોકસભાની 25 અને તેલંગાણામાં 17 સીટો આવી હતી.

આંધ્ર પ્રદેશમાં ભાજપ ક્યારેય 1999 સિવાય સારું પ્રદર્શન કરી શક્યો નથી. ભાજપે આ વખતે પણ TDP સાથે ચૂંટણી મજબૂરીમાં આ વખતે ગઠબંધન કર્યું છે. ચૂંટણીની મજબૂરીને લીધે ભાજપ અને TDPએ આંધ્ર પ્રદેશનું 2014ની વિધાનસભાની ચૂંટણી ગઠબંધન હેઠળ લડી હતી, ત્યારે TDPએ રાજ્યની 175માંથી 102 સીટો જીતી હતી અને એની મતહિસ્સો 44.9 ટકા હતો, જ્યારે ભાજપે ચાર સીટો જીતી હતી અને બે ટકા મતો હાંસલ કર્યા હતા.

જોકે 2019માં જ્યારે TDP અને ભાજપ અલગ-અલગ વિધાનસભા ચૂંટણી લડ્યા તો TDPને જબરદસ્ત નુકસાન થયું હતું. રાજ્યની 175 વિધાનસભાની સીટોમાંથી એ વખતે માત્ર 23 સીટો પર જીત મળી હતી અને ભાજપને એકેય સીટ નહોતી મળી. આંધ્ર પ્રદેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે થાય છે. 2019ની લોકસભા ચૂંટણીમાં TDPને આંધ્ર પ્રદેશમાં સજ્જડ હાર મળી હતી. પાર્ટી રાજ્યની 25 લોકસભા સીટોમાંથી માત્ર ત્રણ સીટો જીતી શકી હતી અને ભાજપનું ખાતું પણ નહોતું ખૂલ્યું.  ત્યારે TDPને 39.59 ટકા મતો મળ્યા હતા. ભાજપને માત્ર એક ટકો મતો મળ્યા હતા.