Home Blog Page 1941

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની વધુ એક યાદી જાહેર

લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મંગળવારે (9 એપ્રિલ) ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી છે. કોંગ્રેસની આ યાદીમાં આંધ્રપ્રદેશની સીટો માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં કોંગ્રેસે 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ આ યાદીમાં આંધ્રપ્રદેશની 6 લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

કોંગ્રેસે આંધ્રપ્રદેશની વિશાખાપટ્ટનમ લોકસભા સીટથી પુલુસુ સત્યનારાયણ રેડ્ડી, અનાકાપલ્લેથી વી વેંકટેશ, એલુરુથી લાવણ્યા કુમારી, નરસારોપેટથી એલેક્ઝાન્ડર સુધાકર, નેલ્લોરથી કોપ્પુલા રાજુ અને તિરુપતિથી ચિંતા મોહનને ટિકિટ આપી છે. આંધ્ર પ્રદેશની તિરુપતિ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. કોંગ્રેસની આ યાદીમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના કે રાજુનું નામ પણ છે. રાજુ ભૂતપૂર્વ વહીવટી અધિકારી છે અને કોંગ્રેસે તેમને નેલ્લોર બેઠક પરથી ટિકિટ આપી છે.

આ યાદી પહેલા કોંગ્રેસે આંધ્રપ્રદેશની કાકીનાડા, રાજમુન્દ્રી, બાપટલા, કુર્નૂલ અને કુડ્ડાપાહ સીટ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કડપા સીટ પર કોંગ્રેસે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વાયએસઆર રેડ્ડી અને વર્તમાન મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની બહેન શર્મિલા રેડ્ડીને ટિકિટ આપી છે. શર્મિલા રેડ્ડી હાલમાં આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીના વડા છે.

આંધ્રપ્રદેશમાં એક તબક્કામાં મતદાન થશે

આંધ્રપ્રદેશમાં એક તબક્કામાં લોકસભા માટે મતદાન થવાનું છે. આંધ્ર પ્રદેશમાં, રાજ્યની તમામ 25 લોકસભા બેઠકો માટે 13 મેના રોજ મતદાન થશે. જ્યારે રાજ્ય કોંગ્રેસ ભારત જોડાણ હેઠળ ચૂંટણી લડી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી સ્થાનિક પક્ષો તેલુગુ દેશમ પાર્ટી અને જનસેના પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે.

કોંગ્રેસના આ પગલાથી આંધ્રની હરીફાઈ રસપ્રદ બની હતી

આ બે મુખ્ય ગઠબંધન ઉપરાંત, YSR કોંગ્રેસ પણ રાજ્યમાં મજબૂત દાવેદાર છે. રાજ્યમાં સત્તામાં રહેલી YSRCPએ છેલ્લી લોકસભા ચૂંટણીમાં એટલે કે વર્ષ 2019માં રાજ્યની 25માંથી 22 બેઠકો જીતી હતી. આ વખતે પણ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની પાર્ટી YSRCP મજબૂત દાવો રજૂ કરી રહી છે. જો કે, કોંગ્રેસ પાર્ટીએ પહેલાથી જ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની બહેન વાયએસ શર્મિલા રેડ્ડીને મેદાનમાં ઉતારી છે. આવી સ્થિતિમાં, રાજ્યના અગ્રણી નેતા વાયએસઆર રેડ્ડીની વારસા માટે રાજ્યમાં બે દાવેદાર છે અને તેના કારણે સ્પર્ધા પણ રસપ્રદ બની છે.

આ 42 સીટો પર છે ભાજપનો રેકોર્ડ બહુ ખરાબ

નવી દિલ્હીઃ ભાજપને તેલુગુ ભાષી રાજ્ય આંધ્ર પ્રદેશમાં સાતથી વધુ લોકસભા સીટો વર્ષ 1984થી જીતી શક્યો નથી. ભાજપને આંધ્ર પ્રદેશમાં 1989, 1996,2009 અને 2019ની લોકસભા ચૂંટણી એક પણ સીટ નહોતી મળી. વર્ષ 2014માં આંધ્ર પ્રદેશનું વિભાજન થયું હતું અને વિભાજન પછી  આંધ્ર પ્રદેશના હિસ્સામાં લોકસભાની 25 અને તેલંગાણામાં 17 સીટો આવી હતી.

આંધ્ર પ્રદેશમાં ભાજપ ક્યારેય 1999 સિવાય સારું પ્રદર્શન કરી શક્યો નથી. ભાજપે આ વખતે પણ TDP સાથે ચૂંટણી મજબૂરીમાં આ વખતે ગઠબંધન કર્યું છે. ચૂંટણીની મજબૂરીને લીધે ભાજપ અને TDPએ આંધ્ર પ્રદેશનું 2014ની વિધાનસભાની ચૂંટણી ગઠબંધન હેઠળ લડી હતી, ત્યારે TDPએ રાજ્યની 175માંથી 102 સીટો જીતી હતી અને એની મતહિસ્સો 44.9 ટકા હતો, જ્યારે ભાજપે ચાર સીટો જીતી હતી અને બે ટકા મતો હાંસલ કર્યા હતા.

જોકે 2019માં જ્યારે TDP અને ભાજપ અલગ-અલગ વિધાનસભા ચૂંટણી લડ્યા તો TDPને જબરદસ્ત નુકસાન થયું હતું. રાજ્યની 175 વિધાનસભાની સીટોમાંથી એ વખતે માત્ર 23 સીટો પર જીત મળી હતી અને ભાજપને એકેય સીટ નહોતી મળી. આંધ્ર પ્રદેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે થાય છે. 2019ની લોકસભા ચૂંટણીમાં TDPને આંધ્ર પ્રદેશમાં સજ્જડ હાર મળી હતી. પાર્ટી રાજ્યની 25 લોકસભા સીટોમાંથી માત્ર ત્રણ સીટો જીતી શકી હતી અને ભાજપનું ખાતું પણ નહોતું ખૂલ્યું.  ત્યારે TDPને 39.59 ટકા મતો મળ્યા હતા. ભાજપને માત્ર એક ટકો મતો મળ્યા હતા.

 

 

 

 

 

 

 

સુરતના વી. આર. મોલને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી

સુરત: શહેરના વી.આર. મોલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઇ-મેઇલ મળતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. ઇ-મેઇલમાં ધમકી આપવામાં આવી હતી કે, ‘મોલમાં અમે બોમ્બ બ્લાસ્ટ કરવાના છીએ. જેટલા લોકોને બચાવવા હોય તેટલા લોકોને બચાવી લો.’

આ ધમકીભર્યો ઇ-મેઇલ મળતાં જ સુરત પોલીસે હાઈ એલર્ટ જાહેર કરીને સમગ્ર મોલને ખાલી કરાવ્યો હતો. શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ડોગ સ્ક્વોર્ડ, બોમ્બ સ્ક્વોર્ડ સહિતની ટીમ સાથે કામગીરી આદરી હતી.

સુરતના એડિશનલ પોલીસ કમિશનર કે. એન. ડામોરના જણાવ્યા અનુસાર સાંજે 4 વાગ્યાની આસપાસ મેઈલ મળ્યો હતો. સમગ્ર દેશમાં બાવન સ્થળે બોમ્બ ગોઠવ્યા હોવાનો પોલીસને ઇ-મેઇલ મળ્યો છે. આથી પોલીસની અલગ-અલગ ટીમો સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી  છે.

અરવિંદ ગોંડલિયા (સુરત)

ગુજરાતી સમાજ દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી

દિલ્હી: ગુજરાતી સમાજની નાટ્યોત્સવ સમિતિ દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી કરવામાં આવી. રવિવારની સાંજે આ ઉજવણી શાહ ઓડિટરિયમના નરસિંહ મહેતા હોલ ખાતે કરવામાં આવી. અતિથિ વિશેષ તરીકે લેખક અને ફિલ્મકાર ડો. રાજીવ શ્રીવાસ્તવે રંગભૂમિ દિવસની માહિતી આપી હતી. પીઢ કળા-પ્રોત્સાહક અને સંસ્થાનાં પ્રમુખ કુસમબહેન શાહે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.નવસારીના પારસી વિદ્વાન કેરસી દેબુએ પારસી રંગભૂમિ વિષે ખ્યાલ આપ્યો હતો. વિખ્યાત નૃત્યાંગના મીનુ ઠાકુરે નૃત્યકલાની તલસ્પર્શી માહિતી આપતાં વાક્અભિનય અને અંગઅભિનય-નૃત્ય વિષે લાક્ષણિક છણાવટ કરી હતી. રેડિયો સિલોનના શ્રોતા સંગઠક ચંદર નવાની, આકાશવાણી સંગીતકાર પ્રભાત અને અભિનેતા કેપ્ટન ગોપાલ સિંહે પ્રેરક પ્રવચન કર્યું હતું.મરાઠી કલાકાર અમોઘ સાહજેએ પ્રાચીન આદિવાસી વાજિંત્ર ગાંગુલનું વાદન પ્રસ્તુત કર્યું હતું. મૃદંગ પટેલ, તૃષા જાની રાવલ, અનિલ ચાવલા અને અન્ય કલાકારોએ ગીત-સંગીત પ્રસ્તુત કરી ઉજવણી અર્થસભર બનાવી હતી. ગુજરાતી સમાજના પ્રમુખ સચિન શાહ અને માનદ મુખ્ય મંત્રી હિતેશ અંબાણીએ આ કાર્યક્રમને વિશિષ્ઠ ગણાવતાં પોતાના પ્રોત્સાહક વિચાર રજૂ કર્યા હતા.આ સમારોહમાં ગુજરાતી સમાજ દ્વારા નિર્મિત ફિલ્મ વિશે વિગત અપાઈ હતી અને નિર્માણાધીન આગામી ગુજરાતી નાટક ‘આસોપાલવ’ (લેખક-દિગ્દર્શક ભાગ્યેન્દ્ર પટેલ)ની જાહેરાત કરવામાં આવી હતી. નાટકના કલાકારો ઈશાની ખુરાના, અમિત શાહ, જાગૃતિ જાદવ, કાંતિલાલ વગેરે હાજર હતા.નવોદિત નાટ્ય અભિનેત્રી અવનિ જેઠવાએ મંચ-સંચાલન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંયોજન નાટ્યોત્સવ સમિતિના અધ્યક્ષ ભાગ્યેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું. જેને સફળ બનાવવામાં સમિતિના સંયોજક રાજેશ પટેલ, ભારત ભારતીના સંયોજક વિજય પંચાલ અને પરેશ કંસારાએ જહેમત કરી હતી.વર્લ્ડ થિયેટરની ઉજવણીમાં વિવિધ ભાષાઓ અને વિવિધ કલાક્ષેત્રના મહાનુભાવો એકત્ર થયા હતા એ રીતે ગુજરાતી સમાજનો આ કાર્યક્રમ એક રાષ્ટ્રીય અવસર બની ગયો.

BSE સેન્સેક્સની 1000થી 75,000 સુધીની સફર

અમદાવાદઃ શેરબજારમાં આજે સૌપ્રથમ વાર સેન્સેક્સ 75,000ના સ્તરને પાર નીકળ્યો હતો. સેન્સેક્સે 75,124નો અને નિફ્ટીએ 22,768નો ઓલટાઇમ હાઈ બનાવ્યો હતો. ત્યાર બાદ શેરબજારમાં નફારૂપી વેચવાલીથી સેન્સેક્સ 58 પોઇન્ટ ઘટીને 74,683ના મથાળે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ 24 પોઇન્ટ ઘટીને 22,642ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સને 74,000થી 75,000 સુધી પહોંચતાં માત્ર 24 સેશન લાગ્યાં છે.

સેન્સેક્સે 11 ડિસેમ્બર, 2023એ 70,000ની સપાટી ટચ કરી હતી. છેલ્લા ચાર મહિનાથી ઓછા સમયમાં એમાં 5000 પોઇન્ટની તેજી થઈ છે. નિફ્ટીએ પણ સૌપ્રથમ વાર 22,750નું લેવલ પાર કર્યું હતું. સેન્સેક્સે જુલાઈ 1990માં 1000નું લેવલ સ્પર્શ કર્યું હતું. એ પછી 34 વર્ષની અંદર એ 75 ઘણો વધી ગયો છે. આ દ્રષ્ટિએ જોવામાં આવે તો જો રોકાણકારને 34 વર્ષ પહેલાં સેન્સેક્સમાં રૂ. એક લાખ લગાવ્યા હતા, એના પૈસા રૂ. 75 લાખ થઈ ગયા છે.

વર્ષ 2024માં સેન્સેક્સમાં આશરે 2800 અથવા ચાર ટકાની તેજી આવી છે, જ્યારે નિફ્ટી 1000 પોઇન્ટથી વધુ અથવા 4.65 ટકા મજબૂત થયો છે. BSE 500 ઇન્ડેક્સ 7.5 ટકા મજબૂત થયો છે. BSE મિડકેપ ઇન્ડેક્સ 11.50 ટકા મજબૂત થયો છે, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 2024માં 7.5 ટકા મજબૂત થયો છે.

વર્ષ 1990થી અત્યાર સુધી બજારને કેટલીક મોટી ઘટનાઓએ અસર કરી છે, જેમાં વર્ષ 2020માં કોવિડ19, 2008માં વૈશ્વિક મંદી, 1992માં હર્ષદ મહેતા કૌભાંડ, 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ, 1999માં કારગિલ યુદ્ધ, 2001માં સંસદ પર અને USમાં આતંકવાદી હુમલો, નોટબંધી અને બેન્કિંગ કૌભાંડ સામેલ છે.

 

 

 

 

 

‘રજનીગંધા’ માં પહેલાં અમિતાભ-શશી હતા

નિર્દેશક બાસુ ચેટર્જીને ‘સારા આકાશ’ (૧૯૭૧) ને કારણે ‘રજનીગંધા’ (૧૯૭૪) મળી હતી. અમેરિકાથી એક નિર્માતા સુરેશ જિંદાલ આવ્યા હતા. ત્યાં એમણે ‘સારા આકાશ’ જોઈ હતી. એમણે આવીને કહ્યું કે હું પૈસા રોકવા તૈયાર છું. તમે એક ફિલ્મ બનાવો. બાસુદાએ ફિલ્મ માટે લેખક મન્નુ ભંડારીની વાર્તા ‘યે હી સચ હૈ’ પરથી સ્ક્રીનપ્લે લખ્યો. ત્યારે એ લેખકને નવાઈ લાગી હતી કે એક વાર્તા પરથી આખી ફિલ્મનો સ્ક્રિનપ્લે કેવી રીતે લખ્યો હશે. શરૂઆતમાં ફિલ્મનું નામ પણ ‘યે હી સચ હૈ’ રાખવામાં આવ્યું હતું. પાછળથી ‘રજનીગંધા’ કર્યું હતું. ફિલ્મની હીરોઈન માટે સૌપ્રથમ બંગાળી અભિનેત્રી અપર્ણા સેનને પસંદ કરી હતી.

અપર્ણાએ હીરો તરીકે કોઈ એકદમ જાણીતા અથવા એકદમ નવાને લેવાની વાત કરી હતી. પણ જ્યારે નિર્માતા સુરેશ અને નિર્દેશક બાસુદા પાસેથી ફિલ્મ વ્યાવસાયિક ન હોવાની વાત જાણી ત્યારે અપર્ણાએ અનિચ્છા દર્શાવી હતી. બીજી હીના કૌસર નામની નવી છોકરીને જોઈ. એણે પણ ના પાડી દીધી. બાસુ ચેટર્જીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે આ ફિલ્મ માટે ચાર છોકરીઓએ ના પાડી દીધી હતી. દરમ્યાનમાં એક મેગેઝિનમાં વિદ્યા સિંહાની તસવીર જોવામાં આવી અને એનો સંપર્ક કર્યો. વિદ્યા ત્રણ-ચાર વર્ષથી ફિલ્મોમાં કામ મેળવવા પ્રયત્ન કરી રહી હતી પણ મેળ પડતો ન હતો. એકાદ ફિલ્મ મળી હતી પણ બની ન હતી. બાસુ ચેટર્જી પહેલાં અમિતાભ બચ્ચનને મુખ્ય હીરો તરીકે લેવા માગતા હતા. કેમકે બાસુદા એમની સાથે ‘એક મંઝિલ’ માં કામ કરી રહ્યા હતા.

અમિતાભ ત્યારે સ્ટાર બન્યા ન હતા. પરંતુ એમની સાથે શક્ય બન્યું ન હતું. બીજા હીરો તરીકે શશી કપૂરને વાત કરી હતી. શશીએ હા પાડી દીધી હતી અને કહ્યું હતું કે જે ફી આપશો એ સ્વીકારી લઇશ પણ શરત કરી કે આ ફિલ્મને મારી અન્ય ફિલ્મો જેટલી જ કિંમતે વેચવાની રહેશે. બાસુદાનું કહેવું હતું કે તેઓ કમર્શીયલ ફિલ્મ બનાવી રહ્યા નથી એટલે એ શક્ય નથી. તેથી શશી ના જોડાયા. અમિતાભ અને શશીને બદલે છેલ્લે નવા કલાકારો અમોલ પાલેકર તથા દિનેશ ઠાકુરને લેવામાં આવ્યા હતા. ફિલ્મ સાથે સંકળાયેલા કોઈને કલ્પના ન હતી કે ‘રજનીગંધા’ ને સારી સફળતા મળશે. ખુદ બાસુ ચેટર્જીએ વિદ્યા સિંહા અને અન્ય કલાકારોને જણાવ્યું હતું કે ડબિંગ પૂરું થયા પછી તમારા પૈસા નિર્માતા પાસેથી લઈ લેજો. ફિલ્મ રજૂ થયા પછી મળશે કે નહીં એની ખાતરી નથી. પરંતુ ફિલ્મ બહુ સફળ અને લોકપ્રિય રહી. એટલું જ નહી શ્રેષ્ઠ ફિલ્મને બે ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા. ફિલ્મમાં બે જ ગીતો ‘કઈ બાર યૂં હી દેખા હૈ’ અને ‘રજનીગંધા ફૂલ તુમ્હારે’ હતા અને બંને લોકપ્રિય થયા હતા.

રમતના મેદાનથી રાજનીતિના અખાડામાં: કોણ ફાવ્યું? કોણ પછડાયું?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં ભારત માટે બે વખતની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય યુસુફ પઠાણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેઓ પશ્ચિમ બંગાળના બહરમપુર મત વિસ્તારમાં ચૂંટણી લડવાના છે. 2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમમાંથી રાજકારણમાં જોડાનાર ત્રીજા ખેલાડી બની ગયા છે યુસુફ પઠાણ. આ પહેલાં તેમના 2011ના વર્લ્ડકપના સાથી ખેલાડીઓ ગૌતમ ગંભીર અને હરભજન સિંહ પણ રાજકારણમાં જોડાયા છે.બીજી તરફ આ વખતે કોંગ્રેસ હૈદ્રાબાદ બેઠક પરથી અસુદુદીન ઓવૈસી સામે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને ટિકિટ આપે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં લોકસભાના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં મોહમ્મદ અઝહરુદ્દીને હૈદરાબાદથી સાનિયા મિર્ઝાને ટિકિટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.બીજી તરફ ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે દેવેન્દ્ર ઝાઝરિયાને રાજસ્થાનના ચુરૂમાંથી ટિકિટ આપી છે. દેવેન્દ્ર  2 માર્ચ, 2024ના રોજ ભાજપમાં જોડાયા. ભાજપે ચુરૂ બેઠક પરથી બે ટર્મથી જીતેલા સાંસદ રાહુલ કાસ્વાંની જગ્યા પર આ વખતે દેવેન્દ્ર ઝાઝરિયા પર વિશ્વાસ દર્શાવ્યો છે. તેઓ પેરાલમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં બે વખત ગોલ્ડ મેડલ અને એક વખત સિલ્વર મેડલ જીત્યા છે.  રાજકીય ક્ષેત્રે પ્રવેશેલા કેટલાંક ખેલાડીઓએ મોટી ઇનિંગ્સ રમી છે. બીજી તરફ એવા નામ પણ છે જેઓ નાની ઇનિંગ્સ રમીને નિવૃત્તિ લઇ ચૂક્યા છે. ઘણા ખેલાડીઓ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જ્યારે કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓએ રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો છે. તો આવો એક નજર કરીએ આવાં જ કેટલાંક સ્પોર્ટ્સ પર્સનની રાજકીય કારકિર્દી પર.

મન્સૂર અલી ખાન પટૌડી: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીએ પણ રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. તેઓ 1971માં વિશાલ હરિયાણા પાર્ટી તરફથી ગુડગાંવ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ ચૌધરી તૈયબ હુસૈન સામે હારી ગયા હતા.મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજા: રાજકોટના ઠાકોર સાહેબ પ્રદ્યુમનસિંહજી લાખાજીરાજસિંહજીના તેઓ મોટા પુત્ર હતા. તેમનો જન્મ રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં થયો હતો. પિતા અને દાદાની જેમ, મનોહરસિંહજી એક પ્રતિભાવાન ક્રિકેટર હતા. 1955-56 રણજી ટ્રોફીમાં ગુજરાત સામે સૌરાષ્ટ્ર તરફથી તેમણે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. પ્રથમ ઇનિંગમાં 59 રન બનાવ્યા હતા. મનોહરસિંહજીએ 1957-58ના વર્ષમાં સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન તરીકે સેવા આપી હતી. તેઓ 14 ફર્સ્ટ-ક્લાસ મેચ રમ્યા હતા. જેમાં 29.23ની એવરેજથી 614 રન બનાવ્યા હતા. 1967માં તેઓ કોંગ્રેસ તરફથી રાજકોટ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. મનોહરસિંહજીએ 1980થી 1985 અને 1990થી 1995 એમ બીજી બે ટર્મ સુધી રાજકોટ મતવિસ્તાર માટે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન તેઓ કેબિનેટમાં ઘણા હોદ્દાઓ પર રહ્યા હતા. જેમ કે નાણાં મંત્રી, યુવા સેવા મંત્રી અને આરોગ્ય મંત્રી.અસલમ શેર ખાન: આ હોકી ખેલાડીની મદદથી 1975માં ભારતીય ટીમ કુઆલાલમ્પુરમાં યોજાયેલ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી હતી. 1984માં તેઓ કોંગ્રેસમાંથી 8મી લોકસભામાં મધ્યપ્રદેશની બેતુલ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. 1989માં ફરી તેઓ બેતુલ બેઠક પરથી જ ચૂંટણી લડ્યા. પરંતુ આ વખતે તેમની હાર થઈ. 1991માં તેઓ ફરી 10મી લોકસભામાં બેતુલ બેઠક પરથી ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા. જો કે 1996માં ફરી હારી ગયા. 1999માં અસલમ શેર ખાને કોંગ્રેસ તરફથી ભોપાલ બેઠક પરથી અને 2009માં સાગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા. પરંતુ બંન્ને વખત તેમની હાર થઈ.ચેતન ચૌહાણ:  1991માં ચૂંટણી મેદાનમાં ઉતરવાનું આ ખેલાડીએ નક્કી કર્યું હતું. લોકસભા ચૂંટણીમાં અમરોહાથી ભાજપની ટિકિટ પર લડ્યા હતા અને જીત્યા હતા. આ પછી 1996ની ચૂંટણીમાં ચેતન ચૌહાણનો પરાજય થયો હતો. 1998ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ વખતે અમરોહાના લોકોએ તેમને નિરાશ કર્યા નહીં અને તેમને ફરીથી લોકસભામાં મોકલ્યા. જો કે આ પછી તેમને 1999 અને 2004ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં, તેઓ ઉત્તર પ્રદેશમાં અમરોહાની નૌગાંવ બેઠક પરથી જીત્યા અને યોગી આદિત્યનાથની કેબિનેટનો ભાગ બન્યા.કીર્તિ આઝાદ: 2024ની લોકસભા ચૂંટણીમાં TMCએ પૂર્વ ક્રિકેટર અને પૂર્વ સાંસદ કીર્તિ આઝાદને પણ ટિકિટ આપી છે. કીર્તિ આઝાદ 1999, 2009 અને 2014માં દરભંગા સીટથી ભાજપના સાંસદ રહી ચૂક્યા છે. 2021માં ભાજપ-કોંગ્રેસ છોડીને તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાનાર કીર્તિ પર TMCએ ઘણો વિશ્વાસ વ્યક્ત કરીને, બર્ધમાન-દુર્ગાપુર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. કીર્તિ આઝાદ ભાજપની ટિકિટ પર 2014ની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. તેમને 2015માં ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2019ની ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે તેમને ધનબાદથી મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેઓ ભાજપના પશુપતિનાથ સિંહ સામે હાર્યા હતા. 2021ના અંતમાં કીર્તિ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. આ વર્ષે TMCએ તેમને બર્ધવાન-દુર્ગાપુર બેઠક પરથી ટિકિટ આપી છે.

નવજોત સિંહ સિદ્ધુ: ક્રિકેટર-કોમેન્ટેટર નવજોત સિંહ સિદ્ધુએ પોતાની રાજકીય કારકિર્દી 2004માં શરૂ કરી હતી. તેઓ ભાજપની ટિકિટ પર અમૃતસર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જીત્યા પરંતુ રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું. આ પછી અમૃતસર સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. તેઓ પેટાચૂંટણીમાં પણ જીત્યા હતા. સિદ્ધુએ 2009ની લોકસભા ચૂંટણીમાં ત્રીજી વખત જીત મેળવી હતી. ભાજપે તેમને રાજ્ય સભાના સભ્ય પણ બનાવ્યા. પરંતુ ભાજપ સાથેના તેમના સંબંધો બગડ્યા. 2017માં, તેમણે રાજ્ય સભામાંથી રાજીનામું આપ્યું. ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા અને કોંગ્રેસમાં જોડાયા. તેમણે કોંગ્રેસની ટિકિટ પર અમૃતસર પૂર્વ વિધાનસભાની ચૂંટણી લડી અને જીતી ગયા.કલિકેશ નારાયણ સિંઘ દેવ: શૂટિંગ અને બાસ્કેટબોલમાં આ ખેલાડીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમના પિતા અનંગા ઉદય સિંહ દેવ અને દાદા રાજેન્દ્ર નારાયણ સિંહ દેવ રાજકારણમાં સક્રિયા હતા. તેમના દાદા ઓડિશાના મુખ્યમંત્રી હતા. વારસામાં મળેલા રાજકારણને પગલે તેઓ 2004માં બીજુ જનતા દળમાં જોડાયા હતા. 2004માં સૈંતલા મતવિસ્તારના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા અને ઓડિશા વિધાનસભાના સૌથી યુવા સભ્ય બન્યા હતા. 2009માં તેમણે બોલાંગીરથી લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2019માં તેઓ ભાજપના સંગીતા કુમારી સિંઘ દિઓ સામે હારી ગયા હતા. આ વખતે તેમને ટિકિટ મળી નથી.જ્યોતિર્મયી સિકદર: 1995 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં આ ખેલાડી 800 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. 1998 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 800 મીટર અને 1500 મીટર સ્પર્ધાઓમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 1998માં જ બેંગકોકમાં રમાયેલ એશિયન ગેમ્સમાં બંને ઈવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યોતિર્મયી સિકદરને 1995માં અર્જુન એવોર્ડ અને વર્ષ 1998-1999 માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જ્યોતિર્મયી સિકદર 14મી લોકસભામાં કૃષ્ણનગર મતવિસ્તારમાંથી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના સાંસદ તરીકે સેવા આપી હતી. 2009ની સામાન્ય ચૂંટણીમાં તેમને તૃણમૂલ કોંગ્રેસના અભિનેતામાંથી રાજકારણી બનેલા તાપસ પોલ સામે હાર મળી હતી. હાર બાદ તેઓ રાજકારણમાં નિષ્ક્રિય થઈ ગયા હતા. 2019માં જ્યોતિર્મયી સિકદર ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસને સમર્થન આપવાનું કહીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા.મોહમ્મદ અઝહરુદ્દીન: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન 2009માં કોંગ્રેસની ટિકિટ પર ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી ચૂંટણી જીત્યા હતા. 2014 લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનની ટોંક-સવાઈ માધોપર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ ભાજપના સુખબીર સિંઘ જૌનપુરિયા સામે હારી ગયા હતા. 2023ની તેલંગાણાની વિધાનસભા ચૂંટણીમાં મોહમ્મદ અઝહરુદ્દીન હૈદ્રાબાદની જ્યુબલી હિલ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ભારત રાષ્ટ્ર સમિતિના મગંતી ગોપીનાથ સામે તેઓ હારી ગયા હતા.ચેતન શર્મા: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્મા 2009ની લોકસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી તરફથી ફરિદાબાદ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ જીતી શક્યા ન હતા. બાદમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ચેતન શર્મા ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર પણ રહી ચૂક્યા છે. પોતાની કારકિર્દીમાં, તેમણે 23 ટેસ્ટ મેચ રમીને 61 વિકેટ અને 65 ODI મેચમાં 67 વિકેટ લીધી હતી.વિનોદ કાંબલી: 2009ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વિનોદ કાંબલી લોક ભારતી પાર્ટી તરફથી વિક્રોલી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ સફળ થયા ન હતા. કાંબલીએ તેમની કારકિર્દીમાં 17 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેમણે 54.2ની એવરેજથી 1,084 રન બનાવ્યા છે.દિલીપ તિર્કી: ભારતીય હોકી ટીમના આ પૂર્વ કેપ્ટનને 2004માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. હાલમાં તેઓ હોકી ઈન્ડિયાના પ્રમુખ છે. નિવૃત્તિ પછી દિલીપ તિર્કીને 2012માં બીજુ જનતા દળે રાજ્યસભા સાંસદ તરીકે નામાંકિત કર્યા હતા. 2014માં તેમણે સુંદરગઢ મતવિસ્તારમાંથી બીજેડીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી. 2014માં બીજેડીએ તેમને રાજ્યસભામાં સંસદીય પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા હતા. 2018માં મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે દિલીપ તિર્કીને ઓડિશા ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (OTDC)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા.પ્રસુન બેનર્જી: એક પૂર્વ ભારતીય પ્રોફેશનલ ફૂટબોલર આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતની રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશીપ કરી હતી. 1979માં તેમને અર્જુન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ફૂટબોલ કારકિર્દીમાંથી નિવૃત થયા બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. 2013માં અંબિકા બેનર્જીના નિધનથી પશ્ચિમ બંગાળની હાવડા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રસુન્ન બેનર્જી વિજેતા બન્યા હતા. ત્યાર બાદ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા છે. હાલમાં તેઓ હાવડાના સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં પણ TMCએ તેમને હાવડા બેઠક પરથી ટિકિટ આપી છે.મોહમ્મદ કૈફ: 2014માં ભારતીય નેશનલ કોંગ્રેસ પાર્ટી તેમણે જોઈન્ટ કરી અને ઉત્તર પ્રદેશના ફુલપુરમાંથી લોકસભા ચૂંટણી લડ્યા. ભાજપના કેશવ પ્રસાદ મૌર્ય સામે હારી ગયા હતા. 2018માં એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ હતું કે હવે રાજકારણમાં ફરીથી જોડાવા અને ચૂંટણી લડવા વિશે વિચારી રહ્યા નથી.બાઈચુંગ ભૂટિયા: 2014માં બાઈચુંગ ભૂટિયા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. એ જ વર્ષે યોજાયેલ લોકસભા ચૂંટણીમાં તેઓ દાર્જિલિંગ બઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ હારી ગયા. 2021ની પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં તેમણે લેફ્ટ ફ્રન્ટના જાણીતા લીડર અશોક ભટ્ટાચાર્યને સમર્થન આપ્યું હતું. જેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(M)માંથી ચૂંટણી લડ્યા હતા.વિજેન્દર સિંહ: 2008 ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા વિજેન્દર સિંહે દક્ષિણ દિલ્હીથી કોંગ્રેસની ટિકિટ પર 2019ની ચૂંટણી લડી હતી. પરંતુ તે ભાજપના રમેશ બિધુરી સામે હારી ગયા હતા. વિજેન્દર બોક્સિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બોક્સર છે. તાજેતરમાં જ તેઓ ભાજપમાં જોડાયા છે.ગૌતમ ગંભીર: ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્લ્ડકપ ચેમ્પિયન ટીમનો ભાગ, ગૌતમ ગંભીરને 2019માં પૂર્વ દિલ્હી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમણે કોંગ્રેસના અરવિંદર સિંહ લવલીને હરાવ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણી પહેલા જ તેમણે રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો છે.રાજ્યવર્ધન સિંહ રાઠોડ: 2019ની લોકસભા ચૂંટણીમાં જયપુર ગ્રામીણ સીટ માટે મુખ્ય મુકાબલો બે ભૂતપૂર્વ ઓલિમ્પિયન વચ્ચે હતો. ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડ ભાજપ તરફથી મેદાનમાં હતા. જ્યારે ઓલિમ્પિયન કૃષ્ણા પુનિયા કોંગ્રેસ તરફથી મેદાનમાં હતા. રાજ્યવર્ધન સિંહ રાઠોડ આ બેઠક પરથી જીત્યા હતા. તેઓ 2014માં પણ અહીંથી જીત્યા હતા. જો કે તેમણે લોકસભામાંથી રાજીનામું આપીને 2023માં યોજાયેલી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. હાલમાં રાજ્યવર્ધન સિંહ રાઠોડ ભજનલાલ સરકારમાં કેબિનેટ મંત્રી છે.એસ. શ્રીસંત: 25 માર્ચ, 2016ના રોજ શ્રીસંતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા. તેમણે કેરળ વિધાનસભા ચૂંટણીમાં તિરૂવનંતપુરમ બેઠક પરથી ઝંપલાવ્યું હતું. જો કે કોંગ્રેસના વી. એસ. શિવકુમાર સામે હારી ગયા હતા.લક્ષ્મી રતન શુક્લા: લક્ષ્મી રતન શુક્લા બંગાળની ટીમમાંથી ક્રિકેટ રમ્યા છે. આ ઉપરાંત IPLમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ, દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઈઝ હૈદ્રાબાદ તરફથી ક્રિકેટ રમ્યા છે. 2016ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં તેઓ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા અને હાવડા-ઉત્તર બેઠક પરથી ઉમેદવાર બન્યા. તેમણે કોંગ્રેસના સંતોષ કુમાર પાઠકને હરાવ્યા હતા. મમતા બેનર્જીની બીજી ટર્મની સરકારમાં તેઓ રાજ્યના રમત-ગમત અને યુવા સેવા મંત્રી બન્યા. 5 જાન્યુઆરી 2021ના રોજ, તેમણે યુવા સેવા અને રમતગમત રાજ્ય મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું.મનોજ તિવારી: 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ તરફથી મનોજ તિવારી ચૂંટણી લડ્યા હતા. તેમણે શિવપુર બેઠક પરથી જીતી મેળવી હતી. હાલમાં તેઓ પશ્ચિમ બંગાળ સરકારમાં રમત-ગમત મંત્રી છે. મનોજ તિવારીએ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 12 ODI મેચ રમીને 287 રન બનાવ્યા છે અને 5 વિકેટ પણ લીધી.સચિન તેંડુલકર: એપ્રિલ 2012 માં સચિન તેંડુલકર રાજ્યસભાના સાંસદ બન્યા હતા. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા રાજ્યસભા માટે તેમને નામાંકિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ સક્રિય રમતવીર અને ક્રિકેટર બન્યા હતા. તેમણે 4 જૂનના રોજ પદના શપથ લીધા હતા. તે સમયે સચિને નવી દિલ્હીમાં તેમને ફાળવવામાં આવેલ બંગલો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, “હું મુંબઈમાં રહું છું આ રીતે તો કરદાતાઓના નાંણાનો બગાડ થશે.”મેરી કોમ: બોક્સિંગની દુનિયામાં વિશ્વ ફલક પર પ્રખ્યાત મેરી કોમ સક્રિય રીતે રાજનીતિમાં આવ્યા ન હતા. પરંતુ તેઓ 25 એપ્રિલ 2016થી 24 એપ્રિલ 2022 સુધી રાજ્ય સભાના સભ્ય રહ્યા છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા રમત-ગમત ક્વોટામાં તેમને નોમિનેટ કરવામાં આવ્યા હતા.પી. ટી. ઉષા: જુલાઈ 2022માં પી. ટી. ઉષાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સંસદ સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2022માં, તેમણે રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉપાધ્યક્ષ પેનલમાં સામેલ થનાર તેઓ પ્રથમ નામાંકિત સાંસદ બન્યા હતા. તેમનો રાજ્ય સભાનો સમયકાળ જુલાઈ 2028માં સમાપ્ત થશે.હરભજન સિંઘ: 2021માં ક્રિકેટને અલવિદા કહેનાર હરભજન સિંઘ હાલમાં આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદ છે. હરભજને તેની કારકિર્દીમાં 103 ટેસ્ટ મેચ રમી અને 2,224 રન બનાવ્યા અને 417 વિકેટ લીધી છે. આ સિવાય તેણે ODI ક્રિકેટમાં 236 મેચ રમીને 269 વિકેટ લીધી હતી. તેની ટી20 કારકિર્દીમાં પણ તેણે 25 મેચ રમીને 28 વિકેટ ઝડપી છે.રમત-ગમતના મેદાનમાં સફળ રહેલાં આમાંથી અનેક ખેલાડીઓ રાજકીય અખાડામાં નિષ્ફળ નીવડ્યા છે. સામાન્ય લોકોની સેવા કરવામાં અને તેમના મન જીતવામાં તેઓ ક્યાંય ઉણા ઉતર્યા છે.

રાધિકા રાઓલ (અમદાવાદ)

કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને હાઇકોર્ટથી આંચકો લાગ્યો છે. કોર્ટે ED દ્વારા ધરપકડ અને હિરાસતને પડકાર આપતી અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ચુકાદો આપતાં કહ્યું હતું કે એ કેન્દ્ર સરકાર અને કેજરીવાલની વચ્ચેનો મામલો નથી. બલકે ED અને તેમની વચ્ચેનો મામલો છે. તેમની મની લોન્ડરિંગ મામલે એજન્સીએ ધરપકડ કરી છે. કોઈને પણ વિશેષાધિકાર ના આપી શકાય. EDની પાસે પર્યાપ્ત પુરાવા છે. તપાસમાં પૂછપરછથી મુખ્ય મંત્રીને રાહત ના આપી શકાય. જજ કાયદાથી બંધાયેલા છે, રાજકારણથી નહીં.

હાઇકોર્ટએ કહ્યું હતું કે ED દ્વારા એકત્ર કરવામાં આવેલી સામગ્રીથી માલૂમ પડે છે કે કેજરીવાલ સાઉથ ગ્રુપથી લાંચ માગવામાં સામેલ હતા. કોર્ટે કહ્યું હતું કે આ મામલે કેટલાંય નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં, જેમાં રાઘવ મુંગઠા અને શરત રેડ્ડીનાં નિવેદનો. હાઇકોર્ટે કહ્યું હતું કે અપ્રુવરનું નિવેદન ED નહીં, બલકે કોર્ટ લખે છે. જો તમે તેના પર સવાલ ઊભા કરો છો તો તમે જજ પર સવાલ ઉઠાવી રહ્યા છો. રેડ્ડીના નિવેદનને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કેજરીવાલની પાસે એ અધિકાર છે કે તેઓ સાક્ષીઓને ક્રોસ કરી શકે, પણ નીચલી કોર્ટમાં નહીં કે હાઇકોર્ટમાં. તપાસ કોઈ વ્યક્તિની સુવિધાને અનુસાર ના ચાલી શકે. તપાસ દરમ્યાન એજન્સી કોઈના પણ ઘરે જઈ શકે.

આ પહેલાં લિકર કેસમાં એક સપ્તાહમાં કોર્ટે બે ચુકાદા આપ્યા હતા, જેમાં સુપ્રીમ કોર્ટે આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને રાહત મળી છે અને જામીન મળી ગયા છે, જ્યારે BRS નેતા કે. કવિતાની જામીન અરજીને ટ્રાયલ કોર્ટે ફગાવી દીધી હતી.

 

 

 

 

 

 

 

પોતાના જ નેતાની વિરુદ્ધ ચૂંટણીપ્રચાર કરશે રાહુલ ગાંધી?

નવી દિલ્હીઃ બિહારની પૂર્ણિયા સીટ અને પપ્પુ યાદવ કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનતો જઈ રહી છે. હાલમાં જ કોંગ્રેસ પક્ષમાં સામેલ થયેલા પપ્પુ યાદવે પહેલાં RJDના હિસ્સાવાળી પૂર્ણિયા સીટ પર અપક્ષ ઉમેદવાર તરીરે નામાંકન દાખલ કર્યું છે, જ્યારે RJDએ અહીંથી બીમા ભારતીને મેદાનમાં ઉતાર્યાં હતાં. સંભાવના એવી હતી કે પપ્પુ યાદવે નોમિનેશનના છેલ્લા દિવસે પોતાનું નામ પરત ખેંચી લેશે, પણ એવું નહીં થયું.

હવે RJDએ પૂર્ણિયામાં નવી વ્યૂહરચના અપનાવી છે. RJDએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને અરજ કરી છે કે રાહુલ ગાંધી પપ્પુ યાદવની વિરુદ્ધ પૂર્ણિયામાં તેજસ્વીની સાથે ચૂંટણી સભા કરે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે શું રાહુલ ગાંધી પોતાના જ નેતાની વિરુદ્ધ સભા કરવા માટે તૈયાર થાય છે કે નહીં?

RJDએ કોંગ્રેસને પ્રપોઝલ આપી છે કે ઇન્ડિયા એલાયન્સ સાથેની ચૂંટણી સભા પૂર્ણિયામાં કરવામાં આવે, જેમાં રાહુલ ગાંધી હાજર હોય. બિહારમાં સીટ શેરિંગમાં કોંગ્રેસ સતત પ્રયાસ કરી રહી છે કે પૂર્ણિયા સીટ કોંગ્રેસને મળે, પરંત વાતચીતની અંતિમ ચર્ચા સુધી એવું થઈ ના શક્યું. ત્યાર બાદ JDUથી RJD સામેલ થયેલી બીમા ભારતીને RJDએ પૂર્ણિયા સીટથી ઉમેદવાર બનાવી છે. બીમા ભારતી હવે ઇન્ડિયા એલાયન્સની સત્તાવાર ઉમેદવાર છે.

કોંગ્રેસ પપ્પુ યાદવ સામે શિસ્તભંગનાં પગલાં લેવા માટે પાર્ટીના કેટલાક નેતાઓ કહી રહ્યા છે, કેમ કે પપ્પુ યાદવ પૂર્ણિયાથી ઉમેદવારી કરીને ગઠબંધનના ધર્મનું પાલન નથી કરી રહ્યા. પપ્પુ યાદવે તેમની પાર્ટીનો વિલય કોંગ્રેસમાં કર્યો હતો, પણ તેમણે કોંગ્રેસનું સભ્યપદ નથી લીધું, એમ સૂત્રોએ કહ્યું હતું.

 

 

 

 

 

રૂપાલાનો વિરોધ : કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત

રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર રૂપાલાએ કરેલા નિવેદનનો વિવાદ હવે વધુ ગંભીર બની રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયાં છે. ત્યારે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે 2 વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવવા કહ્યું છે. રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચતા જ તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે તેમની અટકાયત કરી લીધી છે અને હેડ ક્વાર્ટર લઈ જવામાં આવી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. તેમજ પોલીસ વેનમાં બેસાડવા જતા પોલીસકર્મીથી પાઘડી ઉતરી જતા તેઓ ગુસ્સે થયા હતા અને બૂમાબૂમ કરી હતી.

રાજ શેખાવતે અટકાયત પહેલા એરપોર્ટથી રાજ શેખાવતે એક વીડિયો બનાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, હું જયપુરથી આવ્યો છું, અમદાવાદ એરપોર્ટ પર બેઠો છું. બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. મને આત્મવિલોપન કરવા મજબૂર ન કરો. રાજ શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે, મેં કહ્યું હતું સરકાર અને પ્રશાસનને કે, મને અને મારા ક્ષત્રિયોને કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી લઈશ. એટલે મને મજબૂર ના કરો. જે આક્રોશ સાથે રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનો જે રસ્તો છે એ સાફ કરી આપો. અમારે કોઈ રૂકાવટ જોઈતી નથી. તો મિત્રો આપણે જે કહ્યું છે એ કરીશું. આ નિર્ણાયક લડત છે અને આ લડતમાં આપણે સફળતા પણ હાંસલ કરીશું. આપ સૌની ઉપસ્થિતિ જ આપણને સફળતા અપાવશે, તો 2 વાગે કમલમ ખાતે મળીએ.