૦૩ એપ્રિલ, ૨૦૨૪
૦૩ એપ્રિલ, ૨૦૨૪
નોટ આઉટ @ 89 : શ્યામભાઈ મનસુખભાઈ પોપટ
જ્ઞાની અને પ્રભુ-ભક્ત માતા તથા કર્મયોગી પિતાને ઘેર રેંટિયાબારસને દિવસે જન્મેલ શ્યામભાઈની વાત સાંભળીએ
તેમની પાસેથી. માથામાં મોરપીંછ સાથે જન્મ્યા હતા એવું કહેવાય છે, એટલે નામ ‘શ્યામ’ પડી ગયું!
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
શ્યામભાઈનો જન્મ નાગપુર પાસે આવેલ ઉમરેડ ગામમાં. તેમને ૩ ભાઈ. બે યુ.એસ.એ.માં રહે છે. એક ભાઈ ન્યુક્લિયર પાવર-પ્લાન્ટમાં વાઈસ-પ્રેસિડેન્ટના હોદ્દા પર હતા. તેઓ હવે યુ.એસ.એ. માં દત્તાત્રયના ઉપાસક છે અને સંત તરીકે અમેરિકામાં જીવન વિતાવે છે. 1938માં પિતાને આઝાદ-હિન્દ ફૌજમાં જોડાવું હતું, પણ સત્યાગ્રહીઓ જેલમાં જાય તેમના પરિવારની સેવા કરવા માટે ગાંધીજીએ તેમને નાગપુર રોકી લીધા. પિતાએ 1942ની ક્વીટ-ઇન્ડિયાની ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. શ્યામભાઈનો અભ્યાસ નાગપુરમાં મરાઠી-માધ્યમમાં થયો. તેઓ બોમ્બે યુનિવર્સીટીના મેટ્રિક અને વળી રાષ્ટ્રભાષા-રત્ન! આઝાદી પછી કોઈ પણ ખાતું લેવાનો પિતાએ ઇનકાર કર્યો. બહુ આગ્રહ પછી પિતાએ બૃહદ્-ગુજરાતના ચીફ-ઓડિટરની માનદ-સેવા સ્વીકારી. પહેલા જ મહીને, પ્રધાનનો માલ લઈ જતું વેગન અટકાવ્યું જેથી કોર્ટમાં કેસ થયો. તેમણે કંટાળી રાજીનામું આપ્યું. ઘણાં રચનાત્મક કાર્યો કર્યાં. અંબર-ચરખાનું યુનિટ ઊભું કર્યું. વિમળાદેવી અને મનિષાદેવીનો આશ્રમ સંભાળ્યો. છેવટે ખેતીનું કામ સ્વીકારી ખેતી-લાયક જમીન વતન જસદણ પાસે લીધી અને શાંતિથી બાકીનું જીવન વ્યતીત કર્યું.

નિવૃત્તિની પ્રવૃત્તિ :
શ્યામભાઈએ કરિયાણાના વેપારથી શરૂઆત કરી. વેપાર ઠીક-ઠીક ચાલતો હતો ત્યાં એક વર્ષ દુકાળ પડ્યો. ઘર-ખર્ચ માટે મુશ્કેલી પડવા લાગી. ટૂંક-સમય માટે બ્રુકબોન્ડના સેલ્સ-મેનની નોકરી લીધી પણ પછી જસદણ પાછા આવ્યા. મગફળીનો વેપાર કર્યો, જે બહુ સરસ ચાલ્યો. તે સમયમાં લાખો રૂપિયાની આવક થતી! આ ધંધો વિકસતા તેમણે ડીઝલ-એન્જિનનો ધંધો શરૂ કર્યો. ગામના લુહારના દીકરા પાસે મશીન બનાવડાવ્યાં. છ મહિનામાં તો લુહારનો દીકરો સરસ મશીન બનાવતાં શીખી ગયો! તેમણે પોતાનો વેપાર-ધંધો પોતાની 75 વર્ષની ઉંમર સુધી ચાલુ રાખ્યો. પણ, તેમની 35 વર્ષની ઉંમરે, તેઓ સ્વામી સંપૂર્ણનંદજીને મળ્યા અને તેમનું જીવન બદલાઈ ગયું! ધંધા-વેપાર સાથે જીવન લક્ષ ભક્તિ અને મુક્તિ બની રહ્યાં! સવારે પાંચ વાગ્યે ઊઠે, સ્વાધ્યાયથી શરૂઆત કરે. ગુરુકૃપા અને ઈશ્વરકૃપાને લીધે જીવનમાં આનંદ-આનંદ છે!
શોખના વિષયો :
હવે જીવનમાં કોઈ ઈચ્છા નથી. અચાહ થઈ ગયા છે! પણ યુવાનીમાં પ્રવાસ અને જાત્રાનો બહુ શોખ હતો. આખા હિન્દુસ્તાનની ચાર વાર યાત્રા કરી છે! 73 વર્ષની ઉંમરે કુટુંબીના લગ્નમાં અમેરિકા ગયા હતા.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત હવે થોડી ઢીલી પડી છે. કૂવાનું શુદ્ધ પાણી પીધું છે તેથી તબિયત સારી રહે છે તેવું તેમને લાગે છે! સાંભળવાની થોડી તકલીફ છે. વોકર લઈ ઘરમાં ચાલે છે. હજી બે દિવસ પહેલાં વાઘોડિયા મુનિ-આશ્રમની જાત્રા કરી આવ્યા!
યાદગાર પ્રસંગ:
યુવાનીમાં યાત્રાનો એટલો શોખ કે ઓચિંતા જ પ્રોગ્રામ બનાવી પતિ-પત્ની યાત્રા માટે નીકળી પડતાં! ઈશ્વર જાણે બધી વ્યવસ્થા કરી આપે! બધા સંકલ્પ-વિકલ્પ જતા રહેતા. પત્નીનો દરેક ક્ષેત્રમાં ઘણો સાથ મળ્યો છે. દરેક યાત્રા યાદગાર રહી છે. ઘર-બાર, વેપાર-ધંધો, કુટુંબ વગેરે છોડી બાપુ (સ્વામી સંપૂર્ણનંદજી) સાથે ચાર મહિના આશ્રમમાં રહ્યા હતા તે કેમ ભૂલાય?

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
બે પૌત્રો ટેકનોલોજી સેક્ટરમાં જ કામ કરે છે. અમેરિકાની કંપનીઓ સાથે મેડિકલ-ટ્રાન્સક્રિપ્શનનું તેમનું મોટું કામ છે. પૌત્રો દાદા સાથે ધંધા-વેપારની ચર્ચા પણ કરે! દાદા મોબાઈલ વાપરી મિત્રો, ગુરુ-ભાઈઓ અને કુટુંબીઓ સાથે સંકળાયેલા રહે છે તે પુત્રોને-પૌત્રોને બહુ ગમે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
સતનો નાશ થઈ ગયો છે અને અસતનું જોર વધી ગયું છે! દૈવી-લક્ષ્મી નાશ પામી છે અને અસુરી-લક્ષ્મી વધી ગઈ છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?
તેમને ત્રણ પુત્રો, એક પુત્રી અને 12 પૌત્ર-પૌત્રીઓ છે. યુવાન પૌત્રો દાદાના વખાણ કરતા થાકતા નથી! બા-દાદા સાથે મોટા થયા છે. વેકેશન પડતાં (ખાસ તો ભૂકંપ વખતે), પૌત્રો તેમની સાથે જ હોય. દાદા સવારે નવડાવે, તૈયાર કરે. સ્થિત-પ્રજ્ઞનાં લક્ષણો તથા તત્વજ્ઞાનની પરાકાષ્ઠા સમાન મદાલસા સ્તોત્ર બોલાવે. દાદા સવારે અને સાંજે પ્રાર્થના કરાવે. વળી ફેક્ટરી પર પણ લઈ જાય!
સંદેશો :
યુવાનોમાં હવે કુટુંબ માટે, વડીલો માટે, સમાજ અને દેશ માટે, ભાવ, પ્રેમ અને ત્યાગ રહ્યા નથી. આ ત્રણ વગર બધું નકામું! જાણે મીઠા વગરનું શાક! બાકી યુવાનો કરતા હોય એ ભલે કરે!
રાશિ ભવિષ્ય 03/04/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમાં નાનું અને અનુભવ મુજબનુજ કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસે સાવચેતી રાખવી તેમાં પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, વણમાંગી સલાહકે સુચન આજના દિવસેના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, યુવાવર્ગે કોઈની સાથે અર્થહીન વાર્તાલાપના થાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમાં સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે,ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવું, ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, ઉતાવળિયા નિર્ણયથી બચવું.
આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિક અશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો દુરવ્યય થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી સલાહભરી છે.
આજનો દિવસ સારો છે, મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.
આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવું, નોકરી-ધંધામાં પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે , કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે,યુવાવર્ગને ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં કોઈ મોટા જોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં કોઈ લાભની તક દેખાઈ શકે છે.
આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.
આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બની શકે છે તેમજ જો નસીબ સાથ આપે,તો ઘણું બધું કાર્ય થઇ શકશે. મુસાફરી થઈ શકે છે, વેપારમાં લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમાં મન ખુશ રહી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવું બની શકે છે, વેપારમાં નાનું કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમાં કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતી કે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.
ઈસ્તાંબુલમાં નાઈટ ક્લબમાં ભીષણ આગ, 29 ના મોત
તુર્કીમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. દેશના ઈસ્તાંબુલ શહેરમાં એક નાઈટક્લબમાં રિનોવેશન દરમિયાન ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઘાયલોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે.
#BREAKING : 15 people were killed and eight others were injured in a fire at a nightclub in central Istanbul during daytime repair work.#Istanbul #IstanbulNightclub #fire #UPDATE #LatestNews pic.twitter.com/i0SrWaHg2d
— shivanshu tiwari (@shivanshu7253) April 2, 2024
સ્થાનિક મીડિયા અનુસાર તુર્કીના ઈસ્તાંબુલમાં એક નાઈટ ક્લબમાં દિવસ દરમિયાન રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અહીં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા છે. ઈસ્તાંબુલના ગવર્નર ઓફિસે જણાવ્યું કે અન્ય આઠ લોકો ઘાયલ થયા છે. જેમાંથી સાતની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
30 kişi çalışıyor 25 ölü var , anormal bir durum#istanbul #yangın pic.twitter.com/u5WolDgeRu
— İsimsiz1_ (@Teskilat1_) April 2, 2024
આ ઘટના સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. શહેરના યુરોપીયન ભાગના બેસિક્તાસ જિલ્લામાં આગ ફાટી નીકળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગમાં જીવ ગુમાવનારા તમામ પીડિત કામદારો હતા. આ નાઇટ ક્લબ ભોંયરામાં સ્થિત હતી. તુર્કીના ન્યાય પ્રધાન યિલમાઝ તુનાકે ટ્વિટર પર આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે પાંચ લોકો માટે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. જેમાં નાઇટ ક્લબ મેનેજમેન્ટના ત્રણ લોકો અને કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલ એક વ્યક્તિનો સમાવેશ થાય છે.
આયુષ્માન ભારત યોજનામાં 38 ટકા હોસ્પિટલોમાં નથી થતી સારવાર
અમદાવાદઃ દેશમાં મોટા ભાગના લોકોની પાસે આરોગ્યનો વીમો નથી. આવામાં 2018માં મોદી સરકારે આયુષ્માન ભારત યોજના લોન્ચ કરીને WHO જેવી સંસ્થાઓની પ્રશંસા મેળવી હતી. આ યોજનામાં 10 કરોડથી વધુ પરિવારોને રૂ. પાંચ લાખનો વીમો આપવામાં આવે છે.
2018માં લોન્ચ થયેલી યોજના (PMJAY)ની હાલમાં શું સ્થિતિ છે? આ યોજનામાં ઘણી ગેરરીતિઓ માલૂમ પડી હતી. છેતરપિંડીના પણ કેસ સામે આવ્યા હતા અને આયુષ્માનનો લાભ આપતી હોસ્પિટલોનું સત્ય પણ કંઈક ઓર છે.હાલ આ યોજનામાં કુલ 55 કરોડ લાભાર્થી છે. આ યોજના માટે ગરીબ લોકોની ઓળખ 2011ની જનસંખ્યાને આધારે થાય છે. આયુષ્માન કાર્ડ માર્ચ, 2024 સુધી 34 કરોડથી વધુ લોકોને જારી થઈ ચૂક્યા છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર 60 ટકા ખર્ચ ઉઠાવે છે અને રાજ્ય સરકાર 40 ટકા ખર્ચ ઉઠાવે છે. આ ઉપરાંત હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને દેશના સાત ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં કેન્દ્ર સરકાર 90 ટકા અને રાજ્ય સરકાર 10 ટકા ખર્ચ ઉઠાવે છે. વર્ષ 2018થી આ યોજના હેઠળ કુલ 72,817 કરોડનો ખર્ચ થયો છે.

સરકારની વેબસાઇટ અનુસાર આ યોજનામાં કુલ 29,220 હોસ્પિટલો સામેલ છે, જેમાંથી 6703 હોસ્પિટલો લાભ નથી આપતી. છેલ્લા છ મહિનાથી વધારાની 4487 હોસ્પિટલો લાભ નથી આપી રહી. કુલ 11,190 અથવા 38 ટકા હોસ્પિટલો આયુષ્માન યોજના હેઠળ લાભ નથી આપતી.
સરકાર જણાવે છે કે UPમાં 5506 હોસ્પિટલો છે, પરંતુ એમાંથી 2500 હોસ્પિટલોથી કોઈ લાભ નથી મળતો. એ જ રીતે રાજસ્થાનની હાલત બહુ ખરાબ છે, અહીં આ યોજના હેઠળ 1935 હોસ્પિટલો જોડાયેલી છે, જેમાંથી 1934 હોસ્પિટલ કોઈ લાભ નથી આપતી. માત્ર એક હોસ્પિટલ પર રાજસ્થાન નિર્ભર છે.
ગુજરાતમાં 2552, તામિલનાડુમાં 1881 અને આંધ્ર પ્રદેશમાં 1295માંથી હજારો હોસ્પિટલો બિનસક્રિય છે, એમ નેશનલ હેલ્થ ઓથોરિટીએ જણાવ્યું હતું. આ ઉપરાંત આ યોજનાને લઈને કુલ 37,903 ફરિયાદો નોંધાઈ હતી, પરંતુ સમયમર્યાદામાં માત્ર 3718 ફરિયાદોનો જ ઉકેલ આવ્યો હતો.
સરકારી આંકડાઓ મુજબ MPમાં એક લાખ લોકો પર માત્ર બે જ આયુષ્માનની હોસ્પિટલો છે. દેશનાં 14 રાજ્યોમાં એક લાખ લોકો પર 10 અથવા 10થી ઓછી હોસ્પિટલો છે.
લોકસભા સામાન્ય ચૂંટણી 2024: યુવા મતદારો માટે જાગૃતિ રેલી
અમદાવાદ: શહેરની ઉમિયા આર્ટસ એન્ડ કોમર્સ ગર્લ્સ કોલેજ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શનમાં આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા અને અચૂક મતદાનના શપથ લેવડાવવા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં તમામ વિદ્યાર્થિનીઓએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ બેનર્સ દ્વારા લોકોને માહિતગાર કર્યા હતા.

ઉમિયા આર્ટસ એન્ડ કોમર્સ ગર્લ્સ કોલેજના પ્રથમ વખત મતદાન કરનાર વિદ્યાર્થિનીઓ દ્વારા આ રેલી યોજવામાં આવી હતી. જેમાં ભારતના ચૂંટણી પંચના નિર્દેશાનુસાર વિદ્યાર્થિનીઓને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણીલક્ષી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી.

વધુમાં ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પ્રથમ વખત મતદાન કરનાર તમામ વિદ્યાર્થીનીઓએ દેશહિતમાં અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા.
વિદેશ મંત્રી જયશંકરનું UNSC સભ્યપદ અંગે મોટું નિવેદન
વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે કહ્યું કે ભારત ચોક્કસપણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નું કાયમી સભ્યપદ મેળવશે કારણ કે વિશ્વમાં એવી લાગણી છે કે આપણને આ પદ મળવું જોઈએ. ભારતે આ વખતે વધુ મહેનત કરવી પડશે. જયશંકર ગુજરાતના રાજકોટમાં બૌદ્ધિકો સાથેની વાતચીત દરમિયાન બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમને યુએનના કાયમી સભ્ય બનવાના ભારતના દાવા વિશે પૂછવામાં આવ્યું હતું, જેના પર આ જવાબ આપવામાં આવ્યો હતો. ડૉ. એસ. જયશંકરે કહ્યું કે UNની રચના લગભગ 80 વર્ષ પહેલાં થઈ હતી, જ્યારે પાંચ દેશો – ચીન, ફ્રાન્સ, રશિયન ફેડરેશન, યુકે અને અમેરિકા-એ સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવાનો નિર્ણય લીધો હતો.

જયશંકરે કહ્યું, તે સમયે વિશ્વમાં કુલ 50 સ્વતંત્ર દેશ હતા, જે હવે સમય સાથે વધીને લગભગ 193 થઈ ગયા છે. “પરંતુ આ પાંચ દેશોએ તેમનું નિયંત્રણ જાળવી રાખ્યું છે અને તે વિચિત્ર છે કે તમારે તેમને બદલવા માટે તેમની સંમતિ આપવાનું કહેવું પડશે. કેટલાક સંમત થાય છે, કેટલાક અન્ય લોકો તેમના મંતવ્યો પ્રામાણિકપણે રજૂ કરે છે, જ્યારે અન્ય લોકો પાછળથી વસ્તુઓ કરે છે. મંત્રીએ કહ્યું, “હવે સમગ્ર વિશ્વમાં એવી લાગણી છે કે આ બદલાવવું જોઈએ અને ભારતને કાયમી બેઠક મળવી જોઈએ. હું દર વર્ષે આ ભાવનાને વધતી જોઉં છું. અમે ચોક્કસપણે તે હાંસલ કરીશું પરંતુ સખત પરિશ્રમ વિના કંઈપણ મોટું પ્રાપ્ત થતું નથી.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત, જાપાન, જર્મની અને ઇજિપ્તે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે અને તેઓ માને છે કે આ મામલો થોડો આગળ વધશે. પરંતુ આપણે દબાણ લાગુ કરવું જોઈએ, અને જ્યારે આ દબાણ વધે છે, ત્યારે વિશ્વમાં એવી લાગણી થાય છે કે સંયુક્ત રાષ્ટ્ર નબળું પડી ગયું છે. યુક્રેન યુદ્ધ પર સંયુક્ત રાષ્ટ્રમાં મડાગાંઠ હતી અને ગાઝા અંગે સંયુક્ત રાષ્ટ્રમાં કોઈ સર્વસંમતિ થઈ શકી ન હતી. મને લાગે છે કે જેમ જેમ આ સેન્ટિમેન્ટ વધશે તેમ તેમ કાયમી સીટ મેળવવાની અમારી તકો વધશે.
વિપક્ષોનું ગઠબંધનઃ છે, છે અને નથી…
ગયા વખતે આપણે 2024ની ચૂંટણીમાં ભાજપની રણનીતિ સમજવાનો પ્રયત્ન કર્યો. આ વખતે જોઇએ, ઇન્ડિયા
ગઠબંધન કઇ સ્થિતિમાં છે એ.
આમ તો, કોંગ્રેસ અને ઇન્ડિયા એલાયન્સની અડધી શક્તિ રણનીતિ ઘડવા કરતાં મોદી-શાહના આક્રમણને ખાળવામાં વપરાઇ જાય છે. રોજ સવાર પડે અને ક્યાંક ધરપકડ, ક્યાંક ઇન્કમટેક્સની નોટીસ અને ક્યાંક કોઇ નેતાના ભાજપમાં જોડાયાના સમાચારો. ગઠબંધનના નેતાઓ એક વાતનો માંડ ખુલાસો કરીને મામલો થાળે પાડવા મથે ત્યાં એનડીએનો બીજો ઘણ માથે પડ્યો જ હોય!
નો ડાઉટ, આઠ-દસ મહિના પહેલાં ઇન્ડિયા એલાયન્સનું માળખું ઘડાયું ત્યારે આંકડાઓ-વિસ્તારની દ્રષ્ટિએ આ ગઠબંધન મજબૂત સ્થિતિમાં હતું. બિહાર, દિલ્હી, બેંગલુરુ, મુંબઇ એમ વિવિધ સ્થળોએ ગઠબંધનના નેતાઓ ભેગા થયા. મોરચો મંડાયો. ખાસ કરીને કર્ણાટક અને તેલંગણામાં કોંગ્રેસની જીત પછી, ઉત્તર-પશ્ચિમમાં ભાજપ સામે દક્ષિણ-પૂર્વમાં ઇન્ડિયા એલાયન્સ એ રીતના સમીકરણો ઘડાઇ જ રહ્યા હતા…
એવામાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાના પરિણામોએ કોંગ્રેસની હાલત કમજોર કરી નાખી. કોંગ્રેસની મોટાભાઇ બનવાની જીદ અને પ્રાદેશિક પક્ષોના નેતાઓના અહમના કારણે વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન ન થઇ શક્યું.

બસ, એ પછી ઇન્ડિયા એલાયન્સ તૂટું તૂટું થતી અવસ્થામાં ટકેલું આવ્યું છે. બંગાળમાં મમતાદીદી કોઇના હાર્યાદોર્યામાં નથી અને કેજરીવાલ એન્ડ કંપની ગઠબંધનનો ભાગ હોવા છતાં પંજાબમાં કોંગ્રેસને મચક આપવા તૈયાર નથી. ગઠબંધન હોવા છતાં યુપીમાં અખિલેશ, બિહારમાં લાલુ, મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેની શિવસેના અને તામિળનાડુમાં ડીએમકે એમ બધા એકસૂરમાં બોલવાના બદલે પ્રાદેશિક હિતો સાચવવા અલગ અલગ રાગ આલાપી રહ્યા છે. ઉદાહરણ તરીકે, ડીએમકેના નેતા એ. રાજા તામિળોને સાચવવા હિન્દુત્વ વિરુધ્ધ નિવેદન આપે એટલે એનો બચાવ કરવામાં કોંગ્રેસની બધી શક્તિ ખર્ચાઇ જાય.
અલબત્ત, ખોંડગાતા ખોડંગાતા ડગલે આગળ વધી રહેલા ગઠબંધનને અરવિંદ કેજરીવાલની ધરપકડે ટેકણલાકડી પૂરી પાડી છે. દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાએલી રેલીમાં મમતાદીદીના પ્રતિનિધિ સહિત ગઠબંધનના બધા પક્ષોની હાજરીથી હાલપૂરતો તો મોરચો મેદાનમાં છે.

પરંતુ ખરો ખેલ ટીકીટોની વહેંચણી અને એ પછી કેમ્પેઇનમાં થશે. ટીકીટોનું તો હજીય સમજ્યા, પણ પ્રચારસભાઓમાં ડીએમકેના નેતાઓ કાંઇક બોલશે, કોંગ્રેસના અધીર રંજન ચૌધરી મમતાદીદી વિશે બોલશે એટલે ખાંડા પાછા ખખડશે. આ પક્ષો અને એમના નેતાઓની મજબૂરી એ છે કે પ્રાદેશિક હિતો સાચવવા એમણે અમુક નિવેદનો કરવા પડે છે. વિચાર કરો, રાહુલ ગાંધી ભૂલેચૂકેય સાવરકર વિશે કાંઇ બોલે તો મહારાષ્ટ્રમાં એમના જ સાથી ઉધ્ધવ આણિ મંડળી માટે વળતો પ્રહાર કર્યા વિના છૂટકો છે? આ સંજોગોમાં, અમુક મુદ્દે કોમન એજન્ડા નક્કી કરીને પ્રચારમાં એકસૂત્રતા લાવવી જરૂરી છે. તો જ વિપક્ષોની એકતા દેખાય, પરંતુ અત્યારે તો આ શક્યતા દેખાતી નથી. પ્રચારમાં સ્પષ્ટ રણનીતિનો અભાવ ગઠબંધનને નડી શકે છે.
એ પણ હકીકત છે કે, અને ખાસ કરીને ઇલેક્ટોરલ બોન્ડની વિગતો બહાર આવ્યા પછી સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે, સત્તાપક્ષ ભાજપની સરખામણીએ કોંગ્રેસ સહિતના વિરોધી પક્ષો પાસે ચૂંટણી જીતવા પૂરતાં આર્થિક સંસાધનો નથી. અમારાં બેન્ક ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે એવી કોંગ્રેસની ફરિયાદ સાવ સાચી નહોતી તો સાવ ખોટી ય નહોતી. વર્ષો જૂના કેસમાં ઇન્કમટેક્સ વિભાગ અચાનક જાગે એ ગળે ઉતરે એવું તો નથી જ. અફકોર્સ, હાલપૂરતું તો સુપ્રીમ કોર્ટે રાહત આપી છે, પણ ચાલુ ચૂંટણીએ આવું કાંઇક નવું ગતકડું ન આવે એની કોંગ્રેસને કોઇ ખાતરી નથી. ચૂંટણી જીતવા જરૂરી નાણા-મશીનરી આજે ભાજપ પાસે છે એટલી અન્ય કોઇ પક્ષ પાસે નથી. વિપક્ષ ચૂંટણી પહેલાં જ માનસિક રીતે થાકી જાય અને ગુજરાત વિધાનસભાની ગઇ ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસે લો-પ્રોફાઇલ રણનીતિના નામે લડતાં પહેલાં જ હથિયારો હેઠાં મૂકી દીધેલાં એવું ઘણી જગ્યાએ બને એ શક્ય છે.

ઇન શોર્ટ, હાલની સ્થિતિએ ગઠબંધન છે, છે અને નથી જેવું છે. ભાજપ-વિરોધી મતો વંહેંચાઇ જતા અટકાવવા ગઠબંધનમાંથી એક જ ઉમેદવાર હોય એ પૂરતું નથી, એ ઉમેદવાર માટે બધા પક્ષોના કાર્યકરોએ મહેનત પણ કરવી પડે. એ થશે? ખબર નથી, અત્યારે તો વિપક્ષના નેતાઓ-ઉમેદવારો પક્ષની રણનીતિ કરતાં મતવિસ્તારમાં પોતાની લોકપ્રિયતા અને તાકાતથી કેટલી બેઠકો જીતી લાવે છે એના પર સઘળો દારોમદાર છે.
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)



