Home Blog Page 1973

પાકિસ્તાન મોટો આત્મઘાતી હુમલો, 6ના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આત્મઘાતી હુમલો થયો છે. શાંગલા જિલ્લામાં આ હુમલામાં પાંચ ચીની નાગરિકો સહિત છ લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આત્મઘાતી હુમલો ચીની નાગરિકોના વાહનોને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. આ આત્મઘાતી હુમલો એવા સમયે થયો છે જ્યારે થોડા કલાકો પહેલા જ બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ બેઝ પર આતંકી હુમલો થયો હતો. જેમાં એક જવાનનું મોત થયું હતું. સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે.

મળતી માહિતી મુજબ, ખૈબર પખ્તુનખ્વાના શાંગલાના બિશામ તહસીલમાં વિસ્ફોટકોથી ભરેલા વાહને બીજા વાહનને ટક્કર મારી હતી, જે બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. ઘટનાની જે તસવીર સામે આવી છે, તેમાં તમે એ પણ જોઈ શકો છો કે વિસ્ફોટ બાદ એક વાહન ખાડામાં પડતું જોવા મળે છે. વિસ્ફોટના કારણે તેમાં આગ લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વાહનને નિશાન બનાવવામાં આવ્યું તેમાં ઘણા ચીની નાગરિકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 5 લોકોના મોત થયા છે. તે જ સમયે, અન્ય એક નાગરિકનું પણ મૃત્યુ થયું છે.

પાકિસ્તાનમાં ચીન પર હુમલા વધી ગયા 

તમને જણાવી દઈએ કે છેલ્લા બે-ત્રણ વર્ષમાં પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર હુમલા વધી ગયા છે. અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ હુમલા થઈ ચૂક્યા છે. આ હુમલામાં અત્યાર સુધીમાં અનેક ચીની નાગરિકોના મોત થયા છે. મોટાભાગના હુમલા ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન વિસ્તારોમાં કરવામાં આવ્યા છે. તાજેતરના હુમલા પર ચીન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. અત્યાર સુધી કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી.

હુમલાખોરો માચ જેલમાં પ્રવેશવા માંગતા હતા

બીજી તરફ બલૂચિસ્તાનમાં થયેલા હુમલાની વાત કરીએ તો આ વર્ષનો ત્રીજો મોટો હુમલો હતો. BLAએ હુમલાની જવાબદારી લીધી છે. અગાઉના બંને હુમલાઓને પણ સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યા હતા. વર્ષની શરૂઆતમાં માચ શહેરમાં સુરક્ષા દળો પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 10 લોકો માર્યા ગયા હતા. હુમલાખોરોએ જેલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો હતો.

પૂર્વ સીએમના પૌત્ર અને સાંસદ રવનીત બિટ્ટુ ભાજપમાં જોડાયા

લોકસભા ચૂંટણી પહેલા પંજાબ કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રવનીત સિંહ બિટ્ટુ ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ લુધિયાણાના વર્તમાન સાંસદ છે. રાહુલ ગાંધીના નજીકના ગણાતા રવનીત સિંહ બિટ્ટુને પંજાબ કોંગ્રેસનો મોટો ચહેરો માનવામાં આવે છે.રવનીત સિંહ બિટ્ટુ મંગળવારે સાંજે ભાજપમાં જોડાયા હતા. પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભાજપના નેતા વિનોદ તાવડેએ તેમને સભ્યપદની સ્લિપ આપીને અને પ્લેકાર્ડ પહેરાવીને ભાજપમાં સામેલ કર્યા હતા. આ દરમિયાન પંજાબ ભાજપના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

પીએમ મોદી-શાહનો આભાર વ્યક્ત કર્યો

ભાજપમાં જોડાયા બાદ રવનીત સિંહ બિટ્ટુએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે મારા અમિત શાહ અને જેપી નડ્ડા સાથે છેલ્લા 10 વર્ષથી સંબંધો છે. હું એક શહીદ પરિવારનો છું, મેં એ સમય જોયો છે જ્યારે પંજાબ અંધકારમાં હતું અને બહાર આવતા પણ જોયું છે. તેણે કહ્યું કે મેં પંજાબની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. હું સરકાર અને પંજાબ વચ્ચે સેતુનું કામ કરીશ. બધાને સાથે લાવશે. પંજાબમાં આતંકના સમયમાં ભાજપ, RSSએ મારા દાદા બિઅંત સિંહજી સાથે મળીને કામ કર્યું હતું. હું ઈચ્છું છું કે આપણે બધા સાથે મળીને કામ કરીએ.

બિટ્ટુ ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે

પંજાબ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંથી એક રવનીત સિંહ બિટ્ટુ છેલ્લા ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. 2009માં તેઓ આનંદપુર સાહિબથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ 2014 અને 2019માં લુધિયાણા સીટથી સાંસદ બન્યા. રવનીત બિટ્ટુ પંજાબના પૂર્વ સીએમ બિઅંત સિંહના પૌત્ર છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને અન્ય લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપનાં નામોની જાહેરાત

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીની સાથે-સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. ગુજરાતે પાંચ વિધાનસભાની સીટોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ચાર વિધાનસભ્યોને ભાજપે ટિકિટ આપી દીધી છે. એ સાથે અપક્ષ વિધાનસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં થનારી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપમાં ઉમેદવારોની યાદી જારી કરી દીધી છે. ભાજપે વિજાપુરથી ચતુરસિંહ જાવંજી ચાવડા, પોરબંદરથી અર્જુનભાઈ દેવભાઈ મોઢવાડિયા, માણાવદરથી અરવિંદભાઈ જિનાભા લાડાણી, ખંભાતથી ચિરાગકુમાર અરવિંદભાઈ પટેલ અને વાઘોડિયાથી ધર્મેન્દ્ર સિંહ રાણુભાને ટિકિટ આપી હતી.

આ યાદી મુજબ વિજાપુરથી સી. જે. ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ખંભાતથી ચિરાગ પટેલ ભાજપના ઉમેદવાર બનશે. તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયા પોરબંદરથી ચૂંટણી લડશે. જ્યારે માણાવદરથી અરવિંદ લાડાણીને પસંદ કરવામાં આવ્યા છે. વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી નજીક આવતા જ વિરોધ પક્ષના કેટલાક ધારાસભ્યો એ કેસરી ખેસ પહેરી લીધો હતો જેમને પેટા ચૂંટણીમાં ટિકિટો મળી ગઈ છે. ભાજપે કોંગ્રેસમાંથી સૌથી મોટી વિકેટ ખેરવી તે ખેલાડી અર્જુન મોઢવાડિયા હતા. તેઓ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કોંગ્રેસની નીતિ બરાબર ન હતી તેમ કહીને માર્ચના પ્રથમ સપ્તાહમાં ભાજપમાં જોડાઈ ગયા હતા.

વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ 21 ફેબ્રુઆરીએ પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. તેમણે એ સમયે કહ્યું હતું કે રામ મંદિર અને પીએમ નરેન્દ્ર મોદીના કામથી પ્રભાવિત થઈને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.

 

 

 

 

 

 

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પવનની ગતિની દેખરેખ માટેની એનોમિટર પધ્ધતિ

અમદાવાદ: મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર દેશના પશ્ચિમ ભાગમાં આવેલા દરિયાકિનારાના પ્રદેશોમાંથી પસાર થશે, જ્યાં પવનની ગતિ ખાસ કરીને અમુક વિસ્તારોમાં કેન્દ્રિત છે. આ જોરદાર પવન વાયડક્ટ પર ટ્રેનની કામગીરીને અસર કરવાની સંભાવના ધરાવે છે. આ ચિંતાના નિવારણ માટે વાયડક્ટ પર એનેમોમીટર લગાવવા માટે 14 સ્થળોની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી ગુજરાતમાં 9 અને મહારાષ્ટ્રમાં 5 સ્થળ આવેલાં છે. મહારાષ્ટ્રમાં આવેલાં સ્થળોની જો વાત કરવામાં આવે તો તેમાં દેસાઈ ખાડી, ઉલ્હાસ નદી, બાંગ્લા પાડા, વૈતરણા નદી, દહાણુ ઉપનગરનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાતમાં દમણ ગંગા નદી, પાર નદી, નવસારી પરા, તાપી નદી, નર્મદા નદી, ભરૂચ-વડોદરાના મધ્ય વિભાગમાં, મહી નદી, બારેજા અને સાબરમતી નદીનો સમાવેશ થાય છે.

આ ઉપકરણ ખાસ કરીને પવનની ગતિ પર નજર રાખશે. આ ઉપકરણ નદીના પુલો અને અચાનક અને તીવ્ર પવનથી ગ્રસ્ત વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરશે. એનેમોમીટર એ આપત્તિ નિરવાણ પધ્ધતિનો એક પ્રકાર છે. જેને 0 થી 360 ડિગ્રી સુધી ફેલાયેલી 0-252 કિલોમીટર પ્રતિ કલાક રેન્જમાં વાસ્તવિક સમયની પવનની ગતિનો ડેટા પૂરો પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જો પવનની ગતિ 72 કિલોમીટર પ્રતિ કલાક લઈને 130 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોય તો તે મુજબ ટ્રેનની ગતિમાં ફેરફાર કરવામાં આવે છે. ઓપરેશન કન્ટ્રોલ સેન્ટર (OCC) વિવિધ સ્થળોએ સ્થાપિત એનેમોમીટર મારફતે પવનની ગતિ પર નજર રાખશે.

લંડનમાં ‘ધ અદાણી ગ્રીન એનર્જી સાયન્સ મ્યુઝિયમ ગેલેરી’ ખુલ્લી મુકાઈ

લંડનઃ વિશ્વભરમાં ઊર્જા ક્ષેત્રે આબોહવા ૫રિવર્તનની ખતરનાક અસરોને ઘટાડવાની દિશામાં મહત્વના દિશા-નિર્દેશ કરી શકવામાં સહાયરૂપ નીવડે તેવી ધ અદાણી ગ્રીન એનર્જી સાયન્સ મ્યુઝિયમ ગેલેરી લંડનમાં આજે ખુલ્લી મૂકવામાં આવી છે. ઊર્જાની ક્રાંતિના કમાડને ખોલતી આ એક નવી મોટી ફ્રી ગેલેરી છે, જે પડકારજનક આબોહવા પરિવર્તનની નકારાત્મક અસરોને મર્યાદિત કરવા માટે વિશ્વ કેવી રીતે તત્કાળ ડિકાર્બોનાઇઝ કરવા માટે વધુ ટકાઉ ઊર્જા ઉત્પન્ન કરી શકે અને તેનો ઉપયોગ કરી શકે તેનું અન્વેષણ કરવા સક્ષમ બનશે.

યુકે અને વિદેશમાંથી સમકાલીન અને ઐતિહાસિક વસ્તુઓના આકર્ષક પ્રદર્શનો, ઇન્ટરેક્ટિવ ડિજિટલ પ્રદર્શનો અને ખાસ કમિશન્ડ કરવામાં આવેલા મોડલ્સ દ્વારા, આ ગેલેરી સમૃદ્ધ કરવામાં આવી છે. આ માનવીય કલ્પના અને નવીન અખતરાઓના દસ્તાવેજી સામગ્રી અને અદ્યતન ટેકનોલોજીના મિશ્રણ મારફત  ભૂત, વર્તમાન અને ભાવિ  દ્વારા આપણા ઊર્જા ભવિષ્યનું ઘડતર કેવી રીતે નક્કી કરવામાં  આવે છે અને આપણે સૌએ કેવી ભૂમિકા ભજવવી છે તેનું અન્વેષણ કરી દિશા સૂચન આ ગેલેરી કરે છે.

વિશ્વ કેવી રીતે તેની ભાવિ ઊર્જા જરૂરિયાતોને પૂરી કરશે તેના નિષ્ણાત પ્રતિભાવો સાથે બાળકોના સર્જનાત્મક વિચારો ગેલેરીમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ વિભાગની વસ્તુઓમાં સ્કોટિશ રિન્યુએબલ એનર્જી કંપની ઓર્બિટલ મરીન પાવર દ્વારા બનાવેલ 7 મીટર લાંબી ભરતી ટર્બાઇન બ્લેડ અને 1897માં લંડનવાસીઓ દ્વારા સ્વાગત કરાયેલી પ્રથમ ઇલેક્ટ્રિક ટેક્સી, બર્સી કેબનો સમાવેશ થાય છે.

અહીં કાર્બનના ઓછા પરિવહન માટેના સંભવિત માર્ગો બતાવવામાં આવ્યા છે, તેમ જ આપણી ઇમારતો અને બાંધકામ ઉદ્યોગોનું ડિકાર્બોનાઇઝેશન અને આબોહવા મોડેલિંગ વિશે શીખી શકાય છે અને આબોહવા માપવા માટે વપરાતાં સાધનો નિહાળી શકાય છે. ગેલેરીના કાર્બન ફૂટપ્રિન્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને શક્ય હોય ત્યાં રિસાયકલ કરી શકાય તેવા એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ગેલેરીના નિર્માણ માટે ભારતની સૌથી મોટી રિન્યુએબલ કંપની અદાણી ગ્રીન એનર્જીએ શિરમોર ફાળો આપ્યો છે. અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે સાયન્સ મ્યુઝિયમે ઊર્જા સંક્રમણ પર વિશ્વની શ્રેષ્ઠ ક્યુરેટેડ ગેલેરીને એકસાથે મૂકી છે.

વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપનીઓમાંની એક તરીકે અમે નેટ ઝીરો તરફ પ્રગતિ કરવા માટે પ્રતિબદ્ધ છીએ તેમણે કહ્યું હતું કે આબોહવા પરિવર્તન સામેના યુદ્ધમાં શિક્ષણ કરતાં વધુ કોઈ મજબૂત શસ્ત્ર નથી. આ ગેલેરીની સ્પોન્સરશિપ પાછળનો અમારો ઉદ્દેશ યુવાન દિમાગ, વૈજ્ઞાનિકો અને સંશોધકોને સ્વચ્છ ઊર્જા દ્વારા સંચાલિત ભવિષ્યની કલ્પના કરવા અને કાર્બન-મુક્ત વિશ્વ બનાવવા માટે પ્રેરણા આપવાનો છે. આ તેમની રુચિ, જિજ્ઞાસા અને જાગૃતિને ઢંઢોળવા અને સ્વચ્છ તક્નિકોના નિર્માણમાં તેમની તરવરાટભરી ભાગીદારીને પ્રોત્સાહિત કરવા તરફનું પ્રથમ ચરણ છે. ઊર્જા કાર્યક્ષમતા, સ્વચ્છ ઉર્જા અપનાવવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા તરફના પ્રયાણને સક્ષમ કરવા આ ગેલેરી વૈશ્વિક સમુદાયને એકસાથે જોડે છે એમ તેમણેએ ઉમેર્યું હતું. સાયન્સ મ્યુઝિયમ ગ્રુપના ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ સર ઈયાન બ્લેચફોર્ડે જણાવ્યું હતું કે એક સપ્તાહમાં અમે યુકેવાસીઓ દ્વારા મ્યુઝિયમની વિક્રમરૂપ 2.25 મિલિયન મુલાકાતોની ઉજવણીનું જ્યારે ગૌરવ ગાન કરી રહ્યા છીએ ત્યારે આ અદભુત ગેલેરીની ગાથાને પ્રજ્વલિત કરવા માટે વધુ તક આપે છે. આ મુલાકાતીઓમાં 10 લાખ બાળકોનો સમાવેશ થાય છે, વિશ્વને વધુ ટકાઉ ઊર્જા ઉત્પન્ન કરવા અને તેનો ઉપયોગ કરવાની તાત્કાલિક જરૂરિયાત વિશે મહત્વપૂર્ણ મસલત કરવા માટે આવનારા વર્ષમાં મુલાકાત લેનારા લોકોમાં જિજ્ઞાસા અને ઉત્સુકતા જગાવશે.

 

 

 

 

 

 

 

મિનિમમ વેજીસની જગ્યાએ લિવિંગ વેજીસની સિસ્ટમ લાગુ પડશે

નવી દિલ્હીઃ દેશમાં આગામી વર્ષે મિનિમમ વેજ (Minimum Wage-લઘુતમ વેતન)ની જગ્યાએ લિવિંગ વેજ (Living Wage) લાગુ થવાની શક્યતા છે. સરકારે એ વિશે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO)થી ટેક્નિકલ મદદ માગી છે. લિવિંગ વેજનો અંદાજ લગાવવા અને એને લાગુ કરવા માટે એક ફ્રેમવર્કની પણ જરૂર પડશે. આ મહિનાના પ્રારંભમાં ILOએ લિવિંગ વેજનો કોન્સેપ્ટ રજૂ કર્યો હતો.

આ પહેલાં મિનિમમ વેજની જગ્યાએ લિવિંગ વેજને લાગુ કરવા માટે એગ્રીમેન્ટ પર સહમતી બની હતી. આ સહમતી બની હતી ફેબ્રુઆરીમાં બની હતી. જ્યારે વેજ પોલિસીઝ પર નિષ્ણાતોની એક મિટિંગ થઈ હતી. ILOની ગવનિર્ગ બોર્ડીએ 13 માર્ચે સેશનમાં મહોર મારી હતી. જ્યારે એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતુંક  એક વર્ષની અંદર મિનિમમ વેજની વ્યવસ્થા બદલાઈ જશે.

દેશમાં 50 કરોડથી વધુ વર્કર્સ છે, એમાં 90 ટકા અસંગઠિત ક્ષેત્રમાં છે, તેમાંથી કેટલાયને દૈનિક ધોરણે રૂ. 176 કે એનાથી વધુ મજૂરી મળે છે. એ રકમ એના પર નિર્ભર કરે છે કે એ વ્યક્તિ કયા રાજ્યમાં છે. વર્ષ 2017થી નેશનલ વેજની મિનિમમ સીમામાં ફેરફાર નથી થયો. અલગ-અલગ રાજ્યોમાં મિનિમમ વેજ લાગુ થશે. ઇન્ડિયા 1922થી ILOની ગવર્નિંગ બોડીનો સ્થાયી સભ્ય છે. એ ILOનું ફાઉન્ડિંગ સભ્ય પણ છે.

સરકારે 2019માં વેજીસનો નવો કાયદો 2019માં પસાર કરી દીધો હતો, પરંતુ અત્યાર સુધી એને લાગુ નહોતો કરવામાં આવ્યો. એમાં એક જેવા વેજીજની જોગવાઈ છે, જે બધાં રાજ્યોમાં એકસાથે લાગુ થશે. ઇન્ડિયા 2030 સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDGS) મિનિમમ વેજીસની જગ્યારે લિવિંગ વેજની સિસ્ટમ લાગુ કરવાથૂ કરોડો લોકોને ગરીબીથી બહાર નીકળવામાં મદદ મળી છે, એમ એમણે કહ્યું હતુ. એ સાથે એ લોકોની લાઇફ સ્ટાઇલ પણ સુધરશે.

મિનિમમ વેજનો અર્થ?

મિનિમમ વેજનો અર્થ એ લઘુતમ રકમ છે, જે એક એમ્પ્લોયર કામના બદલામાં એમ્પ્લોયીને આપે છે. એ કામની એક નિશ્ચિત સમયગાળા માટે હોય છે.  કામદારને એના કામના બદલામાં એક નિશ્ચિત કરેલી લઘુતમ રકમથી નીચેની રકમનું પેમેન્ટ કરવામાં નથી આવતું.

લિવિંગ વેજ શું છે?

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન મુજબ લિવિંગ વેજ કોઈ કામના બદલામાં કરવામાં એ એ પેમેન્ટ છે, જેમાં વર્કર્સ અને તેના પરિવારના સારા જીવનધોરણને ધ્યાનમાં રાખવામાં આવે છે.

 

 

 

પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડશે ભાજપ

ચંડીગઢઃ ભાજપ પંજાબમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. પાર્ટી પ્રદેશ એકમના પ્રમુખ સુનીલ જાખડે આ માહિતી આપી હતી.આ ઘોષણા શિરોમણિ અકાલી દળ અને ભાજપમાં સંસદીય ચૂંટણી માટે ફરીથી ગઠબંધન સંબંધી વાતચીતની અટકળોની વચ્ચે આવી હતી. પંજાબમાં 13 લોકસભા સીટો માટે મતદાન સાત તબક્કામાંથી છેલ્લા તબક્કામાં એક જૂને થશે. જાખડે સોશિયલ મિડિયા મંચ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ભાજપ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડશે. ભાજપના લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓથી મળેલા ફીડબેક પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે આ નિર્ણય પાર્ટીના લોકો, પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, પંજાબના ખેડૂતોની સલાહ પર લેવામાં આવ્યો છે. પંજાબના વેપારી, મજૂરો, પછાત વર્ગના ઉજ્જવલ ભવિષ્ય માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં  ભાજપ દ્વારા કરવામાં આવેલાં કામ કોઈનાથી છુપાયેલાં નથી. છેલ્લાં 10 વર્ષોમાં ખેડૂતોને પાકો પર મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) પર ખરીદવામાં આવી છે.

ભાજપ અને અકાલી દળની વચ્ચે ગઠબંધન ના થવાનાં કારણોનો સ્પષ્ટ ખુલાસો અત્યાર સુધી નથી થયો. કરતારપુર કોરિડોર અને કેન્દ્ર સરકાર દ્વારા પંજાબ માટે કરવામાં આવેલાં કાર્યોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

પંજાબમાં શિરોમણિ અકાલી દળ 1997થી 2020 સુધી ભાજપની જૂની સહયોગી પાર્ટી રહી છે. જોકે વર્ષ 2020માં ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં હરસિમરત કૌર બાદલે કેન્દ્ર સરકારના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. એ પછી બંને પક્ષોના રસ્તાઓ અલગ થઈ ગયા છે. બંને પક્ષોએ પંજાબ વિધાનસભા ચૂંટણીથી અલગ અલગ લડી હતી.

 

 

 

 

 

 

કંગના Vs સુપ્રિયા વિવાદ વકર્યોઃ NCWની કાર્યવાહીની માગ

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ અને મંડીથી ભાજપનાં ઉમેદવાર કંગના રનૌતની વિરુદ્ધ કોંગ્રેસ પ્રવકતા સુપ્રિયા શ્રીનેતની અપમાનજનક પોસ્ટથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રવક્તાની સ્પષ્ટતા પર ભાજપ નેતા અમિત માલવીયએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે સવાલ કર્યો હતો કે જો તમારું એકાઉન્ટ એ જ પોસ્ટ કરી રહ્યું છે, જેને પેરોડી અકાઉન્ટે પોસ્ટ કર્યું છે, તો એનો સીધો અર્થ એ છે કે બંને એકાઉન્ટના એડમિન એક જ છે.

 

આવું કરવા માટે વ્યક્તિએ આત્મ અભિમાની થવું પડે છે.

બીજી બાજુ રાષ્ટ્રીય મહિલા પંચે (NCW)એ ચૂંટણી પંચને પત્ર લખીને સુપ્રિયાની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી.. NCWએ X હેન્ડલ પર લખ્યું હતું કે NCW સુપ્રિયા શ્રીનેત અનૈ એચએસ અહીરના અપમાનજનક આચરણથી સ્તબધ છું. આવો વ્યવહાર અસહનીય છે અને મહિલાઓની ગરિમાની વિરુદ્ધ છે. NCW પ્રમુખ રેખા શર્માએ ECIને પત્ર લખીને તેમની વિરુદ્ધ તત્કાળ અને સખત કાર્યવાહીની માગ કરી છે.

સુપ્રિયાની પોસ્ટ પર કંગનાએ જવાબ આપતાં કહ્યું હતું કે પ્રિય સુપ્રિયાજી, એક કલાકાર તરીકે મારી કેરિયરનાં છેલ્લાં 20 વર્ષોમાં મેં દરેક મહિલાઓની ભૂમિકા ભજવી છે. ‘ક્વીન’માં એક ભોળી યુવતીથી માંડીને ધાકડમાં એક જાસૂસ સુધી, મણિકર્ણિકામાં એક દેવીથી માંડીને ચંદ્રમુખીમાં એક રાક્ષસી સુધી, ‘રજ્જો’માં એક વેશ્યાથી માંડીને ‘થલાઇવી’ એક ક્રાંતિકારી નેતા સુધી. બધી મહિલાઓ ગરિમાની હકદાર છે.

 

આપણે આપણ પુત્રીઓને પૂર્વાગ્રહોનાં બંધનોથી મુક્ત કરવી જોઈએ.આપણે તેમના બોડી પાર્ટ્સની જિજ્ઞાસાથી માંડીને ઉપર ઊઠવું જોઈએ અને સેક્સ વર્કર્સ સાથે કોઈ પણ પ્રકારના દુર્વ્યવહાર અથવા અપમાન તરીકેના ઉપયોગથી બચવું જોઈએ.

 

 

 

 

 

 

કોરાનાના 99 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 99 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,33,644 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,540 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,98,386 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 139 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 896 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,73,475 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1774 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

બાવાની લંગોટી વળે એટલી જીભ હોવી

         

 બાવાની લંગોટી વળે એટલી જીભ હોવી

 

વગર કામનું બોલ્યા કરવું અથવા ખૂબ જ વાચાળ કે બોલકણા હોવું એ પણ એક પ્રકારની ખોડ છે. વાણી અને વર્તન સંયમવાળાં હોવાં જોઈએ. ખપ પૂરતું જ બોલાય અને પ્રસંગને અનુરૂપ જ બોલાય.

અત્યંત વાચાળતા અથવા બોલકણું હોવું તે અગાઉ વર્ણવી ગયા તે કહેવત ‘વણ બોલાવે બોલે તે તણખલાને તોલે’ અનુસાર માણસનું માન ઘટાડે છે. આ પ્રકારના મર્યાદાવિહીન બોલ્યા કરતા અતિવાચાળ વ્યક્તિ માટે ‘બાવાની લંગોટી વળે એટલી જીભ હોવી’ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)