Home Blog Page 2

ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી પર રાબડી દેવીના ગંભીર આરોપો

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં બિહાર વિધાનમંડળનો છેલ્લો દિવસ હતો અને આજના દિવસે પણ બંને ગૃહોમાં ભારે હંગામો જોવા મળ્યો. વિધાન પરિષદમાં વિપક્ષના નેતા તરીકે રહેલાં રાબડી દેવીએ ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે ત્યાં સુધી કહી દીધું કે તેઓ છોકરીઓને હેરાન કરતા હતા. રાબડી દેવીએ સમ્રાટ ચૌધરીને “ગુંડો” પણ કહી નાખ્યા, જેથી CM નીતીશકુમાર સાથે પણ તેમનું વાકયુદ્ધ થયું હતું.

RJD નેતા રાબડી દેવીએ કહ્યું હતું કે સમ્રાટ ચૌધરીને અમે બાળપણથી જોઇએ છે, તે ગુંડાગીરી કરે છે. તે છોકરીઓને હેરાન કરતો હતો અને હવે તે બીજાને ગુંડા કહે છે, જ્યારે પોતે જ ગુંડાગીરી કરે છે.

સમ્રાટ ચૌધરી શું બોલ્યા હતા?
સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે જેનો બાપ ગુનેગાર હોય, તે શું બોલશે? આ નિવેદનને લઈને રાબડી દેવીએ ઉગ્ર પ્રતિસાદ આપ્યો હતો. સરકારના કામકાજ પર પણ રાબડી દેવીએ આક્ષેપ કર્યો હતો કે બિહાર સરકારે રૂ. 70,877 કરોડની યોજનાનું ઉપયોગિતા પ્રમાણપત્ર CAG (કેગ)ને રજૂ કર્યું નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકાર કાંઈ કામ કરતી નથી, ફક્ત કૌભાંડ પર કૌભાંડ કરે છે. તેમણે કહ્યું હતું  કે 2014થી અત્યાર સુધી સતત કૌભાંડ ચાલી રહ્યા છે.

રાબડી દેવીએ તેમના પુત્ર અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવની જાનને ખતરો હોવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે તેમના પુત્ર પર અત્યાર સુધી ચાર વાર જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે. વોટર લિસ્ટના મુદ્દે પણ વિધાનસભામાં ભારે હંગામો થયો. CM નીતીશકુમારે RJD અને કોંગ્રેસના વર્તન પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.

એ.આર રહેમાન ઓપનએઆઈના સીઈઓને મળ્યા,’સિક્રેટ માઉન્ટેન’ પર ચર્ચા કરી

બૉલીવુડના શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક એ.આર. રહેમાન તાજેતરમાં ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનને મળ્યા હતા. તેમણે આનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેમણે ઓલ્ટમેન સાથે ભારતીય સર્જકોને સશક્ત બનાવવાની રીતો વિશે વાત કરી હતી.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોતાની પોસ્ટમાં રહેમાને ઓલ્ટમેનને ટેગ કર્યા અને ખુલાસો કર્યો કે તેઓ તેમના આગામી વર્ચ્યુઅલ ગ્લોબલ બેન્ડ પ્રોજેક્ટ ‘સિક્રેટ માઉન્ટેન’ વિશે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય ધ્વનિ અને કોડને જોડતો પ્રોજેક્ટ બનાવવાનો છે.

રહેમાને સોશિયલ મીડિયા પર કેમેરા સામે હસતા બંનેનો ફોટો શેર કર્યો અને લખ્યું,’સેમને તેની ઓફિસમાં મળીને ખૂબ આનંદ થયો. અમે અમારા વર્ચ્યુઅલ ગ્લોબલ બેન્ડ ‘સિક્રેટ માઉન્ટેન’વિશે ચર્ચા કરી. આ ઉપરાંત અમે પેઢીગત પડકારોને ઉકેલવા વિશે વાત કરી. અમે AI ટૂલ્સનો ઉપયોગ કરીને કેવી રીતે આગળ વધવું તે વિશે પણ વાત કરી.’

14 ફેબ્રુઆરી 2024 ના રોજ, એ.આર. રહેમાને યુટ્યુબ પર લગભગ પાંચ મિનિટનો એક વિડીયો પોસ્ટ કર્યો. તેનું શીર્ષક હતું ‘ઈન્ટ્રોડ્યુસિંગ સિક્રેટ માઉન્ટેન’. આ વિડીયો રહેમાનની યોજનાનો સંકેત હતો. વિડીયો આ રીતે શરૂ થયો હતો,’અરે, હું લુના છું, હું તમને એક વાર્તા કહું છું.’ વિડીયો મેટાવર્સ વિશ્વમાં અદ્યતન વાર્તા કહેવા દ્વારા નવીનતા દર્શાવે છે. વિડીયોમાં એક યુવતીને સિક્રેટ માઉન્ટેનની દુનિયામાં લઈ જવામાં આવે છે, જ્યાં તે વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના વિવિધ સંગીત પાત્રોને મળે છે.

 

View this post on Instagram

 

A post shared by ARR (@arrahman)

“હું જાણી જોઈને પુનરાવર્તન ટાળું છું. AI એક શરૂઆત હોઈ શકે છે પરંતુ માનવ સર્જનાત્મકતા બદલી ન શકાય તેવી છે,” રહેમાને તેમની વેબસાઇટ પર કહ્યું. આ પ્રોજેક્ટ દ્વારા તેઓ આયર્લેન્ડ, ચીન, આફ્રિકા અને ભારત સહિત વિશ્વભરના ગાયકો અને માર્ગદર્શકોને એકસાથે લાવશે અને બતાવશે કે સંગીત ભૌગોલિક સીમાઓ કેવી રીતે પાર કરી શકે છે. આ પ્રોજેક્ટનું નામ ‘મેટા બેન્ડ’ છે.

એ.આર. રહેમાન બે વાર ઓસ્કાર વિજેતા છે. તેઓ બે ભાગની રામાયણ ફિલ્મના સંગીત પર કામ કરી રહ્યા છે. તેનું દિગ્દર્શન નિતેશ તિવારી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે. રહેમાનને ડેની બોયલ દ્વારા દિગ્દર્શિત ‘સ્લમડોગ મિલિયોનેર’ માટે ઓસ્કાર મળ્યો હતો.

ફ્રાંસ પેલેસ્ટિનને રાષ્ટ્રની માન્યતા આપશે, ઈઝરાયલ નારાજ

નવી દિલ્હીઃ ફ્રાંસે એક મોટું પગલું ભરતાં જાહેરાત કરી છે કે તે પેલેસ્ટિનને અલગ દેશ તરીકે માન્યતા આપશે. એવું કરનાર ફ્રાંસ પ્રથમ G-7 દેશ બનશે. પેલેસ્ટિન તરફથી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે, જ્યારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ આ પગલાથી ભારે નારાજ થયા છે.

રાષ્ટ્રપતિ મેક્રોએ સોશિયલ મિડિયા X પર પોસ્ટ કરી આ માહિતી આપતાં જણાવ્યું હતું કે તે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આ નિર્ણયને અમલમાં મૂકે છે. તેમણે લખ્યું હતું કે હાલની સૌથી મોટી જરૂરિયાત એ છે કે ગાઝામાં યુદ્ધ રોકવામાં આવે અને લોકોનું રક્ષણ થાય.

મેક્રોએ X પર લખ્યું હતું કે અમે તરત જ યુદ્ધવિરામ (Ceasefire), તમામ બંદીઓને મુક્ત કરવાની અને ગાઝાની જનતા માટે વિશાળ માનવતાવાદી મદદની જરૂર છે. આપણે હમાસને નિશસ્ત્ર (Demilitarize) કરવો પડશે, ગાઝાને સલામત અને ફરીથી બાંધવો પડશે અને પેલેસ્ટિનિયનો એક સ્વતંત્ર દેશ બનાવવો પડશે.

ઓક્ટોબર, 2023થી પેલેસ્ટિનના સંગઠન હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં હજારોથી વધુ લોકોનાં મોત થયાં છે. ઇઝરાયલની સરકાર લાંબા સમયથી પેલેસ્ટિનને અલગ દેશ તરીકે માન્યતા આપવા વિરોધ કરતી રહી છે.ફ્રાંસના આ પગલાથી ઇઝરાયલ પર રાજકીય દબાણ વધી ગયું છે. અત્યાર સુધી 140થી વધુ દેશો પેલેસ્ટિનને અલગ દેશ તરીકે માન્યતા આપી ચૂક્યા છે, જેમાં યુરોપના પણ એક ડઝનથી વધુ દેશો સામેલ છે.

ઇઝરાયલના PM બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું હતું કે ઇઝરાયલ રાષ્ટ્રપતિ મેક્રોનના આ નિર્ણયની ઘોર નિંદા કરે છે. આ પગલું આતંકને પ્રોત્સાહન આપે છે અને તે ઇરાનના વધુ એક સાથીદારોને (proxy) ઊભા કરવા જેવી સ્થિતિ ઊભી કરી શકે છે, જેમ કે ગાઝા બન્યું હતું.

ઇન્ડિયન રેલવેને રૂ. 200 કરોડનું ભારે નુકસાનઃ રેલવે મંત્રી

નવી દિલ્હીઃ ભારતીય રેલવે દેશમાં નેટવર્કને વિસ્તૃત કરવા સતત પ્રયાસ કરી રહી છે. પૂર્વોત્તર રાજ્યોમાં પણ રેલ સેવા પહોંચાડવા માટે કામગીરી ચાલી રહી છે, પરંતુ પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આપદાઓને કારણે આ કામગીરી સતત પ્રભાવિત થઈ રહી છે. આ અવરોધોને કારણે છેલ્લાં પાંચ વર્ષમાં ભારતીય રેલવેને 200 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે, એમ રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે.

લોકસભામાં જવાબ આપતી વખતે રેલ મંત્રીએ કહ્યું હતું કે રેલવે પ્રોજેક્ટોના ડિઝાઇન અને તેના અમલ દરમિયાન પૂર્વોત્તર રાજ્યોની ભૌગોલિક સ્થિતિ અને તેના અભાવોનો હંમેશાં વિચાર કરવામાં આવે છે. સંસદમાં તેમણે કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં પૂર, ભૂસ્ખલન વગેરે કારણોસર પૂર્વોત્તર સીમાંત રેલવેમાં રેલવેના પાટા અને બાંધકામોને નુક્સાન થયું છે, જેના કુલ આકલન મુજબ નુકસાન 200 કરોડ રૂપિયાથી વધુ છે. પૂર્વોત્તર વિસ્તારનું ભૂવૈજ્ઞાનિક સ્વરૂપ એવું છે કે ત્યાં ભૂસ્ખલન થવાનું જોખમ વધુ છે.

હાલમાં ચાલી રહી છે 12 રેલ પ્રોજેક્ટ

તેમણે જણાવ્યું હતું કે મણિપુર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ જેવાં પહાડી રાજ્યોમાં મુખ્ય રેલવે પ્રોજેક્ટો માટે બાંધકામ શરૂ કરતાં પહેલાં વ્યાપક ભૂ-ટેક્નિકી તપાસ અને પર્યાવરણ અસરનું મૂલ્યાંકન કરાય છે. તેમણે કહ્યું હતું કે આ અભ્યાસ ખાસ કરીને ઢાળની સ્થિતિ, પર્વતો અને માટીની લાક્ષણિકતાઓ, વનસ્પતિ આવરણ અને જળવિજ્ઞાન પેટર્નનો અંદાજ આપે છે.

રેલ મંત્રાલયના આંકડા મુજબ 1 એપ્રિલ 2025, સુધીમાં પૂર્વોત્તર માટે કુલ 12 રેલવે પ્રોજેક્ટો (આઠ નવી લાઈનો અને ચાર ડબલ લાઈનો)ને મંજૂરી મળી છે, જેના અંતર્ગત કુલ લંબાઈ 777 કિલોમીટર છે. આ પ્રોજેક્ટો માટે કુલ ખર્ચ રૂ. 69,342 કરોડ છે. જેમાંથી 278 કિલોમીટર લાંબી યોજનાઓ પર માર્ચ ,2025 સુધીમાં રૂ. 41,676 કરોડ ખર્ચ થઈ ચૂક્યા છે.

‘વોર 2’નું ટ્રેલર રિલીઝ, ઋતિક અને જુનિયર NTR વચ્ચે જોરદાર ટક્કર

દર્શકોની રાહનો અંત આવ્યો છે. ઋતિક રોશન અને જુનિયર એનટીઆરની ફિલ્મ ‘વોર 2’નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. ટ્રેલરમાં ઋતિક અને જુનિયર એનટીઆર વચ્ચે જોરદાર ટક્કર જોવા મળે છે, જે સાબિત કરે છે કે ફિલ્મમાં બંને વચ્ચે ઉચ્ચ સ્તરીય એક્શન જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ તે હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ ગયું છે.

ટ્રેલરની શરૂઆત ઋતિક રોશનના વોઇસ ઓવર અને તેના ઇન્ટેન્સ લુકથી થાય છે. ઋતિક એક વરુ સાથે જોવા મળે છે જેના ચહેરા પર થોડું લોહી છે. આ સાથે તેનો વોઇસ ઓવર પણ છે જેમાં તે પોતાની શપથનું પુનરાવર્તન કરે છે. આમાં,ઋતિક કહે છે,’હું શપથ લઉં છું કે હું મારું નામ, મારી ઓળખ, મારું ઘર અને પરિવાર છોડી દઈશ અને એક ગુમનામ, નામહીન, અજાણ્યો પડછાયો બનીશ.’ આ પછી જુનિયર એનટીઆર જોવા મળે છે અને જુનિયર એનટીઆર પણ આવી જ શપથ બોલે છે. તે કહે છે,’હું શપથ લઉં છું, હું તે બધું કરીશ જે બીજું કોઈ કરી શકતું નથી. હું તે યુદ્ધ લડીશ જે બીજું કોઈ લડી શકતું નથી.’ આ દરમિયાન ઋતિક અને જુનિયર એનટીઆરના જીવનના વિવિધ દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા છે.

આ ટ્રેલરમાં જુનિયર એનટીઆર અને ઋતિક રોશન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી છે. બંને એકબીજા પર કાબુ મેળવતા જોવા મળે છે. ટ્રેલરના એક દ્રશ્યમાં આશુતોષ રાણા કહે છે કે બંને સૈનિક છે. ઋતિક અને જુનિયર એનટીઆર બંને દેશની રક્ષા માટે શપથ પણ લે છે. ટ્રેલર એ વાતનો પુરાવો આપે છે કે ‘વોર 2’માં જબરદસ્ત એક્શન જોવા મળશે. જોકે, એક્શનની વચ્ચે કેટલી વાર્તા હશે અને શું થશે તે ફિલ્મમાં જોવા મળશે. ટ્રેલર એ પણ બતાવે છે કે ‘વોર’ની જેમ ‘વોર 2’ની સિનેમેટોગ્રાફી પણ ઘણી સારી છે.

 

View this post on Instagram

 

A post shared by Yash Raj Films (@yrf)


‘વોર 2’ ના ટ્રેલરમાં ઋત્વિક અને જુનિયર NTR સહિત ફિલ્મના સમગ્ર કાસ્ટની ઝલક જોવા મળી છે. જેમાં ફિલ્મની મુખ્ય અભિનેત્રી કિયારા અડવાણી અને આશુતોષ રાણા પણ જોવા મળે છે. ટ્રેલરમાં કિયારા અડવાણી પણ જબરદસ્ત એક્શન કરતી જોવા મળી રહી છે. ફિલ્મમાં જુનિયર NTR નેગેટિવ રોલમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મથી જુનિયર NTR બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે.

‘વોર 2’ એ યશ રાજ ફિલ્મની જાસૂસી દુનિયાનો એક ભાગ છે, આ ફિલ્મ 2019 માં રિલીઝ થયેલી ‘વોર’ નો બીજો ભાગ છે.’વોર’ માં ટાઇગર શ્રોફ ઋતિક રોશન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો, જ્યારે આ વખતે ‘વોર 2’ માં, જુનિયર NTR ઋતિક રોશન સાથે ટકરાતા જોવા મળશે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ‘વોર 2’ સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

વાસ્તુ: દક્ષિણનું દ્વારા અને આર્થિક સંકળામણ

માણસનું મુખ્ય કાર્ય કયું? મોબાઈલ ફોનનું મુખ્ય કાર્ય કયું? આ બંને સવાલના જવાબ આપવામાં ઘણા લોકો ગૂંચવાઈ જાય છે. એ જ રીતે આ મારું કામ નહિ અને ભાગી જવાની વૃત્તિ પણ તીવ્ર બની ગઈ છે. માનવી માનવતા ભૂલી જાય તો એ માનવી કહી શકાય ખરો? પચાસ વરસનું પ્લાનિંગ શીખવાડનાર વ્યક્તિ એના સેમિનારના સ્ટેજ પરજ ગુજરી જાય એવું પણ બને. વિમાનમાં બેસનારને ખબર હોય છે કે એ વિમાન એને પહોંચાડશે જ? અને દરરોજ વિમાન નીચેથી જનારને એવી ખબર હોય છે કે એક દિવસ એ વિમાન નીચે આવી જશે? તો પેલું પચાસ વરસનું પ્લાનિંગ ક્યાં સચવાય છે? જે માણસ જે તે ક્ષણને જીવી જાણે છે એ જ સુખી છે. તેથી જ કરોડો રૂપિયાની લાલસામાં કોઈનું ખરાબ કરવા કરતા લોકોના હૃદય જીતવાનું વધારે યોગ્ય છે. કદાચ ઈશ્વર આપણા માટે એવું પ્લાનિંગ કરે કે એ ભસ્મીભૂત થયેલા વિમાનમાંથી બચી નીકળનાર એક વ્યક્તિ આપણે હોઈએ.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: માણસ પર લેબલ લાગી જાય ને. એટલે એ માણસાઈ ભૂલી જાય. થોડા સમય પહેલા અમે સૌરાષ્ટ્રમાં એક જગ્યાએ દર્શન કરવા ગયા હતા. અમારે બે ત્રણ જણને ચાલી ને જવાની માનતા હતી. નવા બનેલા આરસીસીના રસ્તા પર ખુલ્લા પગે ચાલતી વખતે પેલા પગપાળા જતા સાધુઓની દશા સમજાઈ. ખાડા પુરવા નાખેલા મેટલ અને કાંકરા બહુ વાગ્યા. હિંમત કરીને માનતા પૂરી કરી દીધી. પાછા આવતી વખતે એક ફ્લાયઓવર પરથી સીધા ચારરસ્તા પાસે ઉતર્યા. સ્વાભાવિક રીતે આવી વ્યવસ્થા હોય તો ટ્રાફિક ભેગો થઇ જાય. માંડ એ ક્રોસ કરીને નીકળ્યા અને એક કાળી ગાડી અમારી આગળ ઉભી રહી ગઈ. રીતસર લુંટનો ઈરાદો હતો. અમારી પાસે એવું કાઈ ખાસ હતું નહિ. પણ એમણે અપશબ્દોનો મારો ચલાવી અને ગાડીમાં ઘુસવા પ્રયાસ કર્યો. અચાનક ટ્રાફિકના માણસો આવ્યા. અમને  એવું હતું કે એ અમારી મદદ કરશે. અમે બુમાબુમ કરી અને મદદ માગી. એમણે ગાડી પર દંડો મારીને કહ્યું કે ગાડી બાજુમાં લઇ અને એમની સાથે પતાવટ કરી લો. અમને પરાણે પેલા માણસોને સોંપી દીધા. નસીબજોગે અમારી બુમાબુમથી ટોળું ભેગું થઇ ગયું અને પેલા લોકો ભાગી ગયા. પહેલા સાવ આવું નહોતું. શું આપણે ત્યાં વાસ્તુના એવા કોઈ ફેરફાર થયા છે કે એના લીધે માણસાઈ કોરાણે મુકાઈ છે? આનો ઉપાય શું?

જવાબ: તમારી આખી વાતમાં તમારા સવાલનો જવાબ તમે જ આપી દીધો છે. તમે મદદ માંગી પણ ન મળી. પણ બુમાબુમ કરી તો ટોળું ભેગું થઇ ગયું અને પેલા નકારાત્મક લોકો ભાગી ગયા. પહેલી વાત કે નકલી શબ્દ બહુજ કોમન થઇ રહ્યો છે. બની શકે કે પેલા ટ્રાફિક વાળા નકલી હોય અને પેલા માણસ સાથે ભળેલા હોય. બાકી તમે મદદ માંગો અને એ તમને લુંટારાઓને સોંપી દે એવું થોડું બને? આપણે મદદ માંગતા શરમાઈએ છીએ. લોકો શું કહેશેની બીમારી આપણા સંસ્કારોને કોરી રહી છે. એમાંથી બહાર આવવું પડશે. બોલો, મદદ માંગો, એકત્રિત થાવ. વાત રહી રસ્તાની સ્થિતિની. આપણે ત્યાં રસ્તાપર ચાલતા વાહનો માટેના કોઈ મજબુત નિયમોનું પાલન નથી થતું. હાઇવે પર બમ્પ મુકવા પડે એ આપણી માનસિકતા દર્શાવે છે. આપણી નજર સામે ટ્રક માંથી સળિયા ઢસડાઇને રસ્તાને ખરાબ કરતા હોય ત્યારે આપણે ફરિયાદ નથી કરતા. એ આપણી ફરજ છે. આપણે માત્ર હક્કની વાત કરીએ છીએ. સજાગ અને નીડર બનો. યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે રજૂઆત કરો. પરિણામ ચોક્કસ દેખાશે.

સવાલ: મને ગઈ કાલે ઓવર સ્પીડીંગમાટે મોટો દંડ થયો છે. હાઇવે પર 80ની લીમીટ હતી. અમે ઓવરટેક લેનમાં હતા. જો સ્પીડ ન વધારીએ તો આગળ કેવી રીતે જવાય? સામાન્ય રીતે ત્રણ લેન હોય તો ડાબી બાજુની લેન માટે નિયમ હોય. જે માણસ આવા ફોટોગ્રાફ લઈને મેમો મોકલાવે છે એને આ વાત નહિ ખબર હોય?

જવાબ: 80ની સ્પીડ પર વાહન ચાલતું હોય તો એનાથી વધારે સ્પીડ સાથે જ એની આગળ નીકળી શકાય. ત્રણ લેનમાં ત્રણેય માટેના નિયમો અલગ હોઈ શકે. જોકે આપણે ત્યાં માત્ર આવી નાની નાની બાબતો પર જ ધ્યાન અપાય છે. વરસોથી ઓવરટેકીંગ લેનમાં ચાલતી ટ્રકો એનું એક ઉદાહરણ છે. એમની સ્પીડને કંટ્રોલ કરવા માટે કદાચ એ લેનમાં બેસીને ફોટા પાડવા પડ્યા હોય એવું પણ બને. યોગ્ય જગ્યાએ રજૂઆત કરી જુઓ. તમને એ લોકો સમજી શકશે એવું માની શકીએ.

ક્યારેક આવા નાના કામ માટે પેટા એજન્સીઓને ટાર્ગેટ સાથે કામ આપતા હોય છે. બની શકે કોઈ પેટા એજન્સીનો માણસ હોય.

સુચન: દક્ષિણ મધ્યના પદનું એક દ્વાર આર્થિક સંકળામણ આપી શકે છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com) 

ચોમાસુ સત્રઃ SIR મુદ્દે વિપક્ષનો વિરોધ માર્ચ

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રનો આજે પાંચમો દિવસ છે, પરંતુ હંગામાને કારણે સભાની કામગીરી યોગ્ય રીતે ચાલવાની શક્યતા ઓછી છે. વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના અનેક ઘટક દળોના સાંસદોએ બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ વિસ્તૃત રિવીઝન (SIR) સામે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના ઉપનેતા ગૌરવ ગોગોઇ સહિતના અન્ય સાંસદોએ ભાગ લીધો હતો.

વિપક્ષ બિહારમાં મતદાર યાદીનું વિશિષ્ટ ગહન સુધારણા એટલે કે SIR મુદ્દે સતત હુમલો કરી રહ્યું છે અને આ મુદ્દે ચર્ચાની માગ કરી રહ્યું છે. બિહારમાં થોડા મહિના પછી યોજાનારા વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારણા મામલે રાજકીય ઘમસાણ મચ્યું છે. વિપક્ષનો આક્ષેપ છે કે ચૂંટણી પંચનો આ સુધારણ અભિયાન દલિત, આદિવાસી અને ગરીબ સમુદાયના મતદારોને મતાધિકારથી વંચિત કરવાનું ષડયંત્ર છે.

વિપક્ષી સાંસદોએ સંસદના મકર દ્વાર પાસે ત્રીજા દિવસે પણ વિરોધ કર્યો હતો, જેમાં કોંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધી પણ હાજર રહ્યાં હતાં. કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ‘પ્રજાસત્તાક જોખમમાં’ લખેલું પોસ્ટર લહેરાવતું સરકાર પર આક્ષેપ કર્યો હતો. વિપક્ષ માત્ર બિહાર મતદાર યાદી મુદ્દે નહીં, પરંતુ પહેલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂર મુદ્દે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપવો જોઈએ તેવી માગ કરી રહ્યો છે.

ચૂંટણી પંચે પ્રક્રિયાને પારદર્શી ગણાવી
સરકારે ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે સંમતિ આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ 28 જુલાઈએ લોકસભામાં આ મુદ્દે ચર્ચા થવાની છે. જોકે બિહાર મતદાર યાદી સુધારણા મુદ્દે સરકાર અને ચૂંટણી પંચે જણાવ્યું છે કે આ અભિયાન ગેરકાયદે અને નકલી મતદારોને દૂર કરવા માટે જરૂરી છે. ચૂંટણી પંચે પ્રક્રિયાને પારદર્શી ગણાવી છે.

દ્વાપરયુગની શરૂઆત અને આત્માની શક્તિ…

દ્વાપરયુગની શરૂઆત થતાં જ વિસ્મૃતિ રૂપી અજ્ઞાનનો પ્રહાર આત્મા પર થવાથી માનવ સ્ત્રી-પુરુષ, રાજા-પ્રજા, કાળા-ગોરા સૌ કોઈ બંધનોમાં ફસાતા જાય છે. આત્મા શક્તિહીન થતી જાય છે. નૈતિકતાનો પ્રકાશ ઝાંખો પડતો જાય છે. મનુષ્ય સત્ય જ્ઞાનની શોધમાં ભટકે છે, પરંતુ તે સમયે પરમાત્માનું અવતરણ ન હોવાથી તેને જુદા જુદા ધર્મસ્થાપકો દ્વારા મળેલ આત્મબળના જ્ઞાનથી સંતોષ માનવો પડે છે. આત્મામાંથી સત્યજ્ઞાનથી દૂર થઇ જવાથી પતન ઝડપથી થાય છે. કળિયુગ આવતા સુધીમાં મનુષ્ય શ્રેષ્ઠ કર્મ, શ્રેષ્ઠ ધર્મથી દૂર થઈ પાપકર્મોના કાદવમાં ગળા સુધી ડૂબી જાય છે.

મનુષ્ય શ્રેષ્ઠ સ્વમાનને ભૂલી કોડીની પ્રાપ્તિ પાછળ દોડે છે. અંધશ્રદ્ધા તથા ખોટી પ્રણાલીઓમાં મૂંઝાઈને તે સમય, શક્તિ તથા ધન વેડફવા માંડે છે. તથા પરમપિતા પરમાત્માને ન ઓળખવાને લીધે તે સંપૂર્ણ નાસ્તિક બની જાય છે. પથ્થર, માટી, પશુ, ઝાડ, પહાડ, નદી વિગેરેને ભગવાન માનીને થોડા સમયની પ્રાપ્તિ પાછળ દોડ મૂકે છે. તેનું મન અશાંત થઈ જાય છે. જ્ઞાનની તરસથી તે તડપે છે, ભગવાનને ઓળખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે કેવી રીતે મળશે તેની સમજણ નથી. પોતાની આશા પૂરી કરવા માટે ભક્તિની સત્તા, રાજ્ય સત્તા, વિજ્ઞાન સત્તા, સમાજ સત્તા વગેરે દ્વારા નિરાશા જ મળે છે.

આ રીતે યુગોની લાંબી યાત્રા કરીને થાકેલ મનુષ્ય આખરે આક્રમક તથા વિદ્રોહી સ્વભાવ દર્શાવે છે. પરંતુ અસંતુષ્ટતાના કારણે બનેલ ઉગ્ર સ્વભાવનું પરિણામ દિવાલ પર માથું અફળવા જેવું હોય છે. તે અજ્ઞાનતાને વશ થઈને કામ-ક્રોધ જેવા ઉગ્ર હથિયારોનો શાંતિ તથા રક્ષણ માટે ઉપયોગ તો કરે છે. પરંતુ તેના પરિણામે તે વધુને વધુ પરેશાન થાય છે.

કળિયુગના આ અતી અજ્ઞાનરૂપિ અંધકારના સમયે જ્ઞાનસાગર પરમપિતા શિવ પરમાત્મા, પિતાશ્રી બ્રહ્માના દ્વારા જ્ઞાન વર્ષા કરે છે. પ્રાકૃતિક વરસાદની જેમ આ પણ ઈશ્વરીય જ્ઞાનને ધારણ કરનારને ભરપૂર કરી ચોતરફ ખુશીનું વાતાવરણનું નિર્માણ કરે છે. જેવી રીતે વરસાદના પાણીથી સીધાજ પલળવા માટે ચાર દીવાલો તથા છતની હદને છોડીને ખુલ્લામાં આવવું પડે છે. તેવી જ રીતે ઈશ્વરીયજ્ઞાનનો આનંદ લેવા માટે અનેક પ્રકારના હદના વિચારોને છોડવા પડે છે.

વરસાદ લાવતા વાદળો શરીર તથા મનને શીતળ કરી દે છે, તે જ રીતે જ્ઞાનસાગર ભગવાનની જ્ઞાનની લહેરો શરીર તથા મનને હલકા, નિરોગી, શીતળ તથા પાવન બનાવી દે છે. વર્ષાઋતુની જેમ આ જ્ઞાન વરસાદ પણ કાળચક્રના નિશ્ચિત સમયે જ થાય છે. પુરુષોત્તમ સંગમયુગ જ્ઞાન વરસાદનો યુગ છે. જેવી રીતે અન્ય બાબતો છોડીને વ્યક્તિ વરસાદના પાણીના સંગ્રહમાં લાગી જાય છે, તેવી જ રીતે અન્ય વાતોને બુદ્ધિમાંથી દૂર કરી આપણે જ્ઞાનનો સંગ્રહ કરવાનો છે.

આત્માના 63 જન્મોની ગંદકીને જ્ઞાનજળથી ધોવાની તથા અન્ય આત્માઓને પણ તેનો અનુભવ કરાવવાનો છે. પછીના યુગોમાં આ જ્ઞાન વરસાદ નહીં રહે, માટે જ ભગવાન શિવ સ્નેહથી વારંવાર યાદ કરાવે છે. મીઠા બાળકો, પુરુષોત્તમ સંગમયુગના વરદાની સમયમા વરદાતા પરમાત્મા પિતા સ્વયં જ વરદાન આપવા આવે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

રંગ મારો અનોખો…

આ વર્ષે જયપુરમાં ગઈ હતી.શાદી કા મૌસમ. રાજસ્થાને પોતાની ડેસ્ટિનેશન વેડિંગનું મનગમતું સ્થળ બનાવી દીધું છે. આથી આપણે દરેક ક્યારેક રાજસ્થાની શાદીનો અનુભવ લઈ શકીએ છીએ. હું અને સુધીર નીકળ્યાં હતાં રાજસ્થાનના એક રિસોર્ટમાં પંજાબી શાદીની મજા માણવા. અમારા એસોસિયેટ નરેશ અરોરાના દીકરાનાં લગ્ન હતાં. આ એક જ ફંકશન માટે અમે ગયા હતા, કારણ કે બીજા દિવસે ફરી પ્રવાસમાં નીકળવાનું હતું. મુંબઈ-જયપુરનો પ્રવાસ અમે ઈન્ડિગો એરથી કર્યો. વિંડો સીટનું આકર્ષણ આપણે ગમે તેટલો પ્રવાસ કરીએ અથવા ગમે તેટલી ઉંમર થઈ હોય છતાં આપણા દરેકને હોય જ છે. સામાન્ય રીતે આપણા ભારતના વિમાન પ્રવાસમાં એક સાઈડમાં ત્રણ અને બીજી સાઈડમાં ત્રણ સીટ્સ એમ થ્રી બાય થ્રી કોન્ફિગરેશન હોય છે સીટ્સનું. અમને એક વિંડો અને એક વચ્ચેની સીટ હતી. હવે ત્રીજું કોણ હશે તે આઈલસીટ પર તેની પર મને વિંડો મળશે કે સુધીરને તે નક્કી થવાનું હતું.

હું મનમાં ને મનમાં આઈલ સીટ પર કોઈક પુરુષ પ્રવાસી આવે એવી પ્રાર્થના કરતી હતી, જેથી સુધીરને વચ્ચે બેસવું પડશે અને મને વિંડો સીટ મળવાની હતી. માંડ બે કલાકનો પ્રવાસ પણ મારા અંતર્મનમાં બાળહઠ ગમે તેમ પૂરો થવા તૈયાર નહોતો. જો કે આમ પણ તે ક્યારેય પૂરો નહીં થવો જોઈએ. મનના એક ખૂણામાં આ બાળસુલભ જિજ્ઞાસા કુતૂહલ ઉત્સુકતા જીવંત રહેવી જોઈએ. તે દિવસે સુધીરનું નસીબ બળવત્તર હતું. આઈલ સીટ પર છોકરી આવી, મને ચૂપચાપ વચ્ચેની સીટ પર બેસવું પડ્યું અને સુધીરની સવારી, `જો, હું ક્યારેય અપેક્ષા કરતો નથી તેથી મને કાયમ સારું જ મળે છે,’ એમ વિજયી ભાવ ચહેરા પર લઈને વિંડો સીટ પર બિરાજમાન થયો. નસીબ ખરાબ એવું વિચારીને હું મારી સેન્ડવિચ સીટ પર `લેટ્સ એન્જોય રીડિંગ’ એવું મનમાં કહીને ઈન્ડિગોની ફ્લાઈટ મેગેઝીન લઈને બેઠી. આગામી બે કલાક અથથી ઈતિ સુધી મેગેઝીન વાંચી નાખ્યું. પાઈલટે `થોડા જ સમયમાં આપણે જયપુરમાં ઊતરીશું’ એવી અનાઉન્સમેન્ટ કરી. વિમાન નીચે ઊતરતું હતું ત્યારે સુધીરે કહ્યું, `જયપુર હવે અગાઉ જેવું ગુલાબી રહ્યું નથી.’આ વાક્ય એકાદ વેદનાની જેમ મને ખૂંચ્યું. કોઈક ગાયકને `તારો સૂર હવે પહેલા જેવો રહ્યો નથી’ એવું કહેતાં કેવું મહેસૂસ કરશે તેવું જ કાંઈક મને મહેસૂસ થયું. દુનિયાના અલગ અલગ દેશમાંથી આવનારા પર્યટકોને `પિંક સિટી જયપુર’ જોવાનું હોય છે અને વિમાનમાંથી તે પિંક દેખાય નહીં તો પછી તે લેબલનો રુઆબ છાંટવાનો શો અર્થ?

જયપુરે, રાજસ્થાને અને ભારતે પણ સિરિયસલી તેની પર વિચાર કરવો જોઈએ. કલરફુલ ક્નટ્રી તરીકે આપણા ભારત તરફ જોવામાં આવે છે અને તેનું મોટા ભાગનું શ્રેય રાજસ્થાનને જાય છે. મહારાજા સવાઈ રામસિંગે 1876માં ક્વીન વિક્ટોરિયાનો મોટો દીકરો ભવિષ્યનો રાજા પ્રિન્સ ઓફ વેલ્સ આલ્બર્ટ એડવર્ડ જ્યારે ભારતની મુલાકાતે જયપુરમાં આવવાનો હતો ત્યારે તેના સ્વાગતમાં રાજસ્થાની અગત્યશીલતા અને આતિથ્યનો રંગ તરીકે આખું જયપુર શહેર ગુલાબી કરી નાખ્યું. તે એટલું સુંદર દેખાવા લાગ્યું કે જયપુરની રાણીએ પ્રશ્ન કર્યો કે આવનારી દરેક વાસ્તુ આ જ રંગથી કેમ રંગવી નહીં જોઈએ? એક-એક કરીને ગુલાબી ઘરોની સંખ્યા વધવા લાગી, કારણ કે રાણીના આગ્રહ ખાતર રાજાએ કાયદો જ પસાર કરી નાખ્યો. આમ તો જયપુરમાં ઘણી વાર જવાનું થયું છે અને તેથી જ કદાચ જયપુરના ગુલાબી રંગનું પ્રોમિનન્સ એટલું દેખાતું નથી અથવા વિમાનમાંથી તો તે દેખાતું નથી એવું સુધીરના વાક્યથી જણાયું. પિંક સિટી જયપુરની ઓળખ છે. આગામી પેઢી દર પેઢી માટે તે તેવું જ રહેવું જોઈએ તેથી સરકારે કાયદો અને તેની અમલ બજાવણી પર સખત નજક રાખવી જોઈએ. દોઢસો વર્ષ પૂર્વે, ઝાઝી સુખ સુવિધાઓ નહોતી છતાં મહારાજા સવાઈ રામસિંગ દ્વિતીયએ આખું શહેર ગુલાબી કરીને બતાવવાનો ચમત્કાર કર્યો હોય તો આજની સરકારે તેની આગળની પાયરી ચઢવી જોઈએ નહીં? અગાઉ રાજા મહારાજા અંબારીમાંથી, ઘોડા પરથી ફરતા. ટૂંકમાં રસ્તા પરથી પસાર થતા.તેમની અને જનતાની આંખે તે ગુલાબી શહેર મસ્ત દેખાતું. હવે આપણે અથવા દેશ-વિદેશના પર્યટકો મોટે ભાગે વિમાનમાંથી જયપુરમાં ઊતરે છે. તેમને જયપુર પિંક શહેર પરથી આકાશમાંથી ગુલાબી દેખાવું જોઈએ.

રાજસ્થાનમાં જયપુર જેમ પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે તેમ જોધપુર બ્લુ સિટી તરીકે ઓળખવામાં આવે છે. જોધપુરના મેહરાંગડ ફોર્ટ પરથી આ બ્લુ સિટીનો નજારો તમને જોવા મળે છે. શહેરના આ બ્લુ ઘરો અગાઉ ફક્ત ઉચ્ચ વર્ણીઓ માટે બાંધવામાં આવતાં હતાં,પરંતુ સમયાંતરે તે બદલાયું. બધાં જ ઘર બ્લુ થઈ ગયાં અને જોધપુરને `બ્લુ સિટી’નું લેબલ લાગ્યું. ઉદયપુર અને આજુબાજુનો વિસ્તાર એટલે રાજસ્થાનના માર્બલ સામ્રાજ્યનું પિયર. અહીંની મોટા ભાગની ઈમારતો વ્હાઈટ માર્બલથી સજી છે અને ઉદયપુરને `વ્હાઈટ સિટી’ નામ મળ્યું. સોનાર ફોર્ટ સોનેરી કિલ્લાને કારણે અને મોટા ભાગનાં પીળા રંગનાં ઘરોને કારણે જેસલમેર બન્યું `ગોલ્ડન સિટી’ અથવા`યેલો સિટી.’ અજમેર ફોર્ટના લાલ રંગ પરથી અજમેરને `રેડ સિટી’નું માન મળ્યું. આથી જ તો ભારતને કલરફુલ ક્નટ્રી કહેવાય છે, જેમાં રાજસ્થાનનો સિંહફાળો છે.

સરકારના અનેક પ્રોજેક્ટ્સ ચાલતા હોય છે, તો પછી એક કલરફુલ સિટીઝનો આ પ્રોજેક્ટ હાથમાં કેમ નહીં લેવો જોઈએ? શહેરમાં એકાદ રસ્તો, પહાડ પરનું એકાદ ગામ, એકાદ કોસ્ટલાઈન કલરફુલ કેમ નહીં બનાવવાનું? આપણા દેશમાં કમસેકમ પચ્ચીસ ટકા રાજ્યોમાં અથવા શહેરોમાં આપણે આ રંગ ભરી દઈએતો ભારત દેશ ભવિષ્યમાં વધુ વિદેશી પર્યટકોને આકર્ષિત કરશે અને આ એક બાબત ભારતના ખજાનામાં ફોરેન એક્સચેન્જનો પણ ઉમેરો કરશે. દુનિયામાં અનેક ઠેકાણે આ રંગોએ પોતાની એક ઓળખ જે તે ઠેકાણાને આપી છે અને દુનિયાના અસંખ્ય પર્યટકો આવાં ઠેકાણાં પોતાની બકેટ લિસ્ટમાં સમાવિષ્ટ કરી રહ્યા છે. અમે પર્યટકોને આવાં અનેક ઠેકાણે લઈ જતા હોઈએ છીએ. તેમાંથી અમુક દાખલા આપવા હોય તો આ રીતે…

મોરોક્કોમાં, પંદરમી સદીમાં જ્યુ લોકોએ વસાવેલું શેફશાવન બ્લુ શહેર મોરોક્કોની ઓળખ બની ગયું છે અને લાખ્ખો પર્યટકો આ ઠેકાણાની મુલાકાત લેતા હોય છે. શિપયાર્ડમાંના સ્ક્રેપ મટીરિયલથી ઊભા કરાયેલા આર્જેન્ટિનાનું બ્યુનોસ આયર્સમાંનું કલરફુલ `લા બોકા.’લાલ પીળા ભૂરા નારંગી એમ એકદમ બ્રાઈટ કલર્સ સાથેનું આ સ્થળ આર્જેન્ટિનાની સહેલગાહમાં મસ્ટ વિઝિટ ડેસ્ટિનેશન છે. મેક્સિકોમાં `લાસ પાલ્મિતાસ’ શહેર અથવા બસ્સો નેઉ ઘરોનું એક ટેકરી પરનું ગામ,લોઅર ઈન્કમવાળા લોકોનાં ઘરો હોવાથી,તેનો એકંદર નજારો યથા-તથા જ, એટલે કે, ઝૂંપડપટ્ટીનો. ગ્રાફિટી માટે ફેમસ ત્યાંના એક યુથ ઓર્ગેનાઈઝેશને એકત્ર આવીને મેક્સિકો સરકારની મદદથી આ સાદું ઘર રંગ્યું અલગ-અલગ ઘેરા રંગોમાં અને તે ટેકરી તે રંગેલાં ઘરોને લીધે એક મ્યુરલમાં ક્નવર્ટ થયું. યુવાનોને કામ મળ્યાં, ક્રાઈમ રેટ ઓછો થયો અને એક આદર્શ દાખલો દુનિયા સામે આવ્યો. સ્પેનમાં હુસ્કાર શહેરની તો વાત જ ન્યારી છે. સોની પિક્ચર્સે તેમની હોલીવૂડ મુવી`ધ સ્મફર્સ’ માટે આ શહેર રંગ્યું સંપૂર્ણ ભૂરા રંગમાં. ઘરના માલિકોએ તેમને કહ્યું કે શૂટિંગ અને પ્રમોશન પૂરું થયા પછી અમે ફરી તમારું ગામ અને બધાં ઘર હતાં તે સ્વરૂપમાં કરી આપીશું, પરંતુ પ્રમોશન પૂરું થયું ત્યારે ગામના બધા ઘરમાલિકોએ એકત્ર આવીને સોનીને કહ્યું, `અમારાં ઘરોને ઓરિજનલ કલર નથી જોઈતો, બ્લુ ટાઉન તરીકે જ તેને રહેવા દો.’ અને હવેઆ બ્લુ સિટી રીતસર `કસ્ટમાઈઝ્ડ હોલીડે’ લઈને જતા પર્યટકોની યાદીમાં સમાવિષ્ટ થયું છે.

કોલંબિયામાં ગુઆતાપે નામે કલરફુલ શહેરની વાત જ અલગ છે. ત્યાં શ્રીમંતોનાં ઘરો મસ્ત રંગમાં રંગેલાં રહેતાં, તેની પર અત્યંત સુંદર નક્શી કામ કરાતું. ત્યાંનાં મેયરને ગરીબ અને શ્રીમંતોમાંની આ દર્શનીય દૂરી મિટાવવાની હતી, જેથી તેમણે બધાને સાધનસામગ્રી પૂરી પાડી અને પછી બધાનાં જ ઘરો સુંદર દેખાવા લાગ્યાં. હવે તે શહેર દુનિયાભરના ટુરિસ્ટોનું આકર્ષણ બની ગયું છે. મને વધુ એક વાતએ ગમે છે કે તે પેસ્ટલ શેડમાં રંગેલા `રેનબો રો’ નામે ચાર્લ્સટન સાઉથ કેરોલિનામાંના રસ્તાઓ. એક જજે અહીં ઘર લીધું અને તે પેસ્ટલ શેડમાં રંગ્યું. તે પાડોશીને એટલું ગમ્યું કે તેણે પણ બીજા રંગના પેસ્ટલ શેડમાં પોતાનું ઘર રંગ્યું.તે ઘર એટલું સુંદર દેખાવા લાગ્યું કે આજુબાજુના લોકોએ પણ પોતાનાં ઘરોના રંગ પેસ્ટલ શેટ્સમાં કરી નાખ્યા અને રસ્તામાં જાણે પ્રાણ ફૂંકાયો. ગ્રીનલેન્ડ એટલે બરફનો ડેપો. ત્યાંનાં ઘરો અર્થાત ડેન્માર્ક કોપનહેગનની ધરતી પર બાંધવામાં આવ્યાં છે. ત્યાંના નૂક ગામમાં અલ્ટ્રામોડર્ન ઝૂંપડી જેવાં દેખાતાં ડ્રિફ્ટવૂડનાં ઘરો તેમણે બ્રાઈટ કલરથી રંગ્યાં અને ફક્ત એકજ ફેરફાર કર્યો, તે એટલે તે બિલ્ડિંગના ઉપયોગ પ્રમાણ રંગ આપ્યો. એટલે કે, હોસ્પિટલ્સ ક્લિનિક્સ, ડોક્ટર્સનાં ઘરોને પીળો રંગ, કમર્શિયલ બિલ્ડિંગ્સ, શાળા, ચર્ચીસ, ટીચર્સ અને મિનિસ્ટર્સનાં ઘરોને લાલ રંગ, ટેલિકમ્યુનિકેશન બિલ્ડિંગ્સને લીલો,જ્યારે ફિશ ફેક્ટરીઝને ભૂરો. કેટલો મસ્ત વિચાર છે નહીં?

ગ્રીસમાં ઉનાળામાં સૂર્યપ્રકાશ પરાવર્તિત કરવા માટ અને તાપની દાહકતાઓછી કરવા માટે વ્હાઈટ વોશ્ડ હાઉસીસ બનાવવામાં આવ્યાં છે. સમુદ્રનો ભૂરો રંગ,સફેદ ઘરો, વચ્ચેથી ડોકાવતા બ્લુ ડોમ્સ અને ગુલાબી રંગની અનેક છટા બતાવતાં બોગનવેલીનાં ફૂલો. ભારતીયો આજકાલ ગ્રીસમાં અમસ્તા જ જતા નથી. પીળા સફેદ રંગનું સ્પેનિશ-પોર્તુગીઝ આર્કિટેક્ચર,પછી તે કેલિફોર્નિયામાંનું સાંતા બારબારા હોયકે આપણા ભારતમાંના ગોવા કે પોંડિચેરી,તેમને વાત જ ન્યારી છે. દુનિયામાં કોઈ પણ સ્પેનિશ-પોર્તુગીઝ રાજની સત્તા રહી હોય તેવું શહેર લો. ત્યાં પર્યટકોની ગિરદી નહીં હોય એવું બને જ નહીં. પોર્તુગીઝોએ પોતાની છાપ છોડીને તે શહેરોને કાયમની અલગ ઓળખ આ રીતે આપી છે. બ્રાઈટન બીચ મેલબર્ન ઓસ્ટે્રલિયામાં સમુદ્રકિનારા પર લોકોએ કલરફુલ બોક્સીસ નિર્માણ કર્યાં છે, તે પણ એટલા મસ્ત દેખાય છે કે પર્યટકોનું ધ્યાન ત્યાં નહીં ખેંચાય તો જ નવાઈ. આપણા પૂર્વજોએ આ રંગોનો મસ્ત ઉપયોગ કરીને પોતાનું અનોખાપણું દુનિયાની સામે મૂક્યું છે. હવે સમય છે તે રંગોને વધુ ઉઠાવ આપવાનો, સુંદર બનાવવાનો, વધુ સારું નિર્માણ કરવાનો.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

હૃદયસ્પર્શી, ક્યૂટ ‘અંજલિ’નાં 35 વર્ષ…

તાજેતરમાં રિલીઝ થયેલી બે ફિલ્મ, ‘સિતારે જમીં પર’ ને ‘તન્વી ધ ગ્રેટ’નાં મુખ્ય પાત્રો ન્યુરોડાઈવર્જન્ટ છે. અર્થાત્ એવા લોકો જેમની વિચારવાની, શીખવાની કે આસપાસની દુનિયાને સમજવાની રીત સામાન્ય માનવ-માપદંડ કરતાં અલગ હોય. એ પહેલાં આવેલી ‘લાલસિંહ ચઢ્ઢા’માં પણ કંઈ આવો જ મામલો હતો.

આ બધી ફિલ્મ વિશે વિચારતાં વાનર જેવું મન હૂપાહૂપ કરતું પહોંચી જાય છે 1990માં ને યાદ આવી જાય છે મણિ રત્નમની ‘અંજલિ’. તાજેતરમાં જ ‘અંજલિ’ની રિલીઝને 35 વર્ષ થયાં.

કોગ્નિટિવ ડિસઑર્ડર ધરાવતી એક માસૂમ બાળાની વાર્તા ‘અંજલિ’ આજે પણ તાજી લાગે છે. કોગ્નિટિવ ડિસઑર્ડરવાળી વ્યક્તિમાં વૈચારિક ક્ષમતા, યાદશક્તિ, એકાગ્રતા, નિર્ણય લેવાની શક્તિ જેવી માનસિક ક્ષમતામાં ખરાબી હોય છે. ‘અગ્નિપથ’, ‘થાનેદાર’, ‘ઘાયલ’, ‘નાકાબંદી’, ‘બાઘી’ જેવી મસાલા ફિલ્મોની ભરમાર વચ્ચે આવેલી સંવેદનશીલ ‘અંજલિ’ના કેન્દ્રમાં છે કોગ્નિટિવ ડિસઑર્ડર સાથે જન્મેલી બાળકી અને તેને જોવાનો સમાજનો દૃષ્ટિકોણ.

તામિલનાડુના મૉડર્ન શહેર ચેન્નઈમાં વસતા અપર મિડલ ક્લાસનાં દંપતી શેખર-ચિત્રા (રઘુવરન-રેવતી)ને બે સંતાન છે. એક મેઘલી રાતે પ્રેગ્નન્ટ ચિત્રાને વેણ ઊપડે છે, એને હૉસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યાંથી ફિલ્મ શરૂ થાય છે. ત્રીજું સંતાન, બાલિકા જન્મે છે અમુક મનોરુગ્ણ સાથે. ચિત્રાને કહેવામાં આવે છે કે ત્રીજું સંતાન મૃત જન્મ્યું છે. એ રીતે થોડો શેખર અંજલિને ઘર-પરિવારથી દૂર રાખે છે. અમુક નાટ્યાત્મક વળાંક બાદ ચારેક વર્ષની અંજલિને ઘરે લાવવામાં આવે છે.

ઘરમાં અંજલિનું સ્વાગત એનાં નાનકાં બહેન-ભાઈ આવી કેવી બહેન? એમ કહી બહેનનો તિરસ્કાર કરતાં અંજલિનાં ભાઈ-બહેન અનુ-અર્જુનને પિતા સમજાવે છેઃ “જુઓ, અંજલિ તો  ઈશ્વરની ભેટ છે, ઈશ્વરનું બાળક છે, જેને એક ખાસ પરિવારની જરૂર છે. એવો પરિવાર, જે એની યોગ્ય કાળજી લઈ શકે, એને વિશેષ પ્રેમ આપી શકે. આથી જ ઈશ્વરે અંજલિને આપણી પાસે મોકલી છે”. આ સીનમાં આપણને રાઈટર-ડિરેક્ટરનું કૌશલ દેખાય છે.

ધીરે ધીરે ભાઈ-બહેનના સ્વીકાર બાદ સોસાયટીનાં અન્ય બાળકો અંજલિને સ્વીકારે છે. છેવટે આખો અપાર્ટમેન્ટ કૉમ્પ્લેક્સ અંજલિને સ્વીકારે છે.

મણિ રત્નમના સ્ક્રિનપ્લે દ્વારા આપણે મનોરુગ્ણથી પીડાતાં બાળકોને ઉછેરતાં મા-બાપનો આંતરિક સંઘર્ષ અનુભવીએ છીએ. એમણે ડગલે ને પગલે સમાજના નકારાત્મક વર્તનનો સામનો કરવો પડે છે. આવાં બાળકો પ્રત્યે પ્રેમ, હૂંફ અને ખાસ તો સમજદારી દાખવવાની જરૂરિયાતને ફિલ્મ ભાવનાત્મક રીતે રજૂ કરે છે.

ફિલ્મના મારા અનેક ફેવરીટ સીનમાંનો એક છેઃ અંજલિ પહેલી વાર ઘરે આવે છે. પતિ-પત્ની લિફ્ટમાં પ્રવેશે છે. દરેક ફ્લોર પર અપાર્ટમેન્ટના રહેવાસી (જાળીવાળી) લિફ્ટમાંથી અંજલિને જોઈને ખીંખીંખીં કરે છે: “સ્પાસ્ટિક છે?” “માંદી છે?” “રિટાર્ડેડ છે?” વગેરે. દંપતી પોતાના ફ્લોર પર લિફ્ટની બહાર નીકળતાં હોય છે ત્યારે લિફ્ટમૅન કહે છે: “મેમસા’બ, તમે જરાયે માઠું ન લગાડશો… આ લોકો માણસ જ નથી.”

અહીં સર્જક જાણે કહેવા માગે છે કે જે લોકોએ ઘણાં સાધન-સગવડથી સંપન્ન છે એ કેટલી સંકુચિત વિચારસરણી ધરાવે છે, જ્યારે (લિફ્ટમૅન જેવા) વંચિત લોકો ઘણી વાર સમજદાર હોય છે.

ફિલ્મમાં કોઈ હીરો નથી- અંજલિ હીરો છે. કલાકારોમાં ફક્ત રેવતી જાણીતી હતી, રઘુવરન પણ ઊભરતો અભિનેતા હતો. બાળકલાકાર શામલીએ કાચી વયે દૃશ્યના ઈમોશન્સ, આત્મસાત્ કરીને અંજલિનું પાત્ર ભજવ્યું છે.

‘અંજલિ’ પહેલાં મણિ રત્નમે ‘મૌન રાગમ’ (રોમાન્ટિક ડ્રામા), ‘નાયકન’ (અન્ડરવર્લ્ડ ડૉનની કહાની), ‘અગ્નિનક્ષત્રમ્’ (આધુનિક શહેરમાં પાંગરતો પ્રેમ, પારિવારિક ડ્રામા) અને ‘ગીતાંજલિ’ (લવસ્ટોરી) જેવી ફિલ્મો બનાવેલી. તે પછી એમણે સામાજિક સભાનતાવાળી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એવી ફિલ્મ, જેમાં પ્રેક્ષકને એક મેસેજ આપી શકાય, જે મેસેજ ન લાગે અને, ફિલ્મ નફો પણ કરે. યસ, ‘અંજલિ’એ બુકિંગ ક્લર્કનાં મોઢાં હસતાં રાખેલા. તમિળ અને હિંદી (ડબ્ડ) સહિત અન્ય ભાષામાં ‘અંજલિ’ હિટ થયેલી. મધુ અંબાટની સિનેમેટોગ્રાફી, ઈલિયારાજાનાં ગીત-સંગીત તથા પ્રભુ દેવાના બ્રધર રાજુ સુંદરમની કોરિયોગ્રાફીવાળી ‘અંજલિ’એ ધૂમ મચાવેલી.

આ વાંચ્યા પછી જો મૂડ બની જાય તો ઈન્ટરનેટ પર ફિલ્મ જોવા મળી જશે. પ્રિન્ટ કેવી હશે એ વિશે કંઈ કહી શકાય નહીં. ચાન્સ લઈ શકાય.