Home Blog Page 2

રાશિ ભવિષ્ય 27/07/2026 થી 02/08/2026

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહત્વના નિર્ણય લેવામા કાળજી રાખવી જરૂરી છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, તમારા મગજમા વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે, નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, ક્યાંક લોન લેવામાંકે ચૂકવામા દ્વિધા રહી શકે છે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે,વળી ક્યાંક અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીમા તેમના વર્તનથી કંટાળો અનુભવો, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમા જવામા કંટાળો અને આળસ થતી જોવા મળે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોય તો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહસુચન બાદ આગળ વધવું.


નોકરીકે વેપારમા ફેરબદલીના સારાસમાચાર મળે, ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. પ્રેમસંબંધમા થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય, લગ્નબાબતની વાતચીત ચાલતી હોય તેમા પણ તમારી વાત આગળ ચાલવાની બાબત બની શકે છે, ધાર્મિકભાવના સારી જાગે અને ક્યાય્ક ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય તેવું બની શકે છે, ગેસ,અપચાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય કહી શકાય, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે.


સકારાત્મક સમય જોવા મળે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે તેવુ બની શકે છે, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમા કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ બાબત ના થવાથી થોડી રાહત અનુભવી શકો છો.


ક્યાંકથી માનસન્માન મળી શકે છે. વેપારના કામકાજમા ઉત્શાહ અને ઉમંગ વર્તાય અને તેની અસર પણ કામકાજમા સારી દેખાઈ આવે, આરોગ્યબાબતની કોઈ તકલીફ હોયતો તેમા પણ રાહત જોવા મળી શકે છે, ભાગીદારીમા કે દામ્પત્યજીવનમા તમારી લાગણી અને ભાવનાની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે જોવા મળે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળું બની રહેશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે તેમા માનસિકથાકની લાગણી પણ જોવા મળે, લગ્નબાબતની વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે તેવું પણ બની શકે છે.


વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને સારો ઉત્સાહ જોવા મળે, સામાજિકકે ધાર્મિકકાર્યમા કઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચાર અને  ઉમંગમા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમા હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આર્થિકબાબતની ચિંતા અને નવા આયોજનબાબતમા અન્યનો સાથસહકાર મળી  શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમા કોઈ રુકાવટ હોયતો તે દુર થઈ શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાના યોગ છે,  જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે. વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે.


કામકાજમા અચાનક સારા સમાચાર સાંભળવા મળી  જાય અને તમે થોડા અચરજ પામો, તમારાથી કોઈની લાગણી ના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો-પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે.


પરિવારમા કોઈની ચિંતાના કારણે થોડી બેચેની અનુભવાય, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીય કે સરકારીકામકાજમા ધાર્યું થવાથી ઉત્સાહમા વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, પ્રિયજન તમારી ભાવના સારી રીતે સમજી શકે જેના કારણે તમારી ખુશી બેવડાય, કોઈકાર્યમા ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય.


સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, આર્થિકબાબત પર ધ્યાન વધુ આપવુ ઇચ્છનીય છે ક્યાંક નાણાકીય આયોજન અંગે અવઢવ થઈ શકે છે વેપારના કામકાજમા લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે.


કામકાજમા ચતુરાઈનો ઉપયોગ કરવો પડે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે જે તમને સારીસફળતા અપાવી શકે છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થાય પણ તેમા પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે. પ્રિયજન સાથે સુમેળભર્યો સમય પસાર થાય તેવા યોગ છે.


સપ્તાહ દરમિયાન. મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારી વાત રજુ કરવાની તક મળે શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનુ આયોજન થઈ શકે છે. પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને અને નવીનકામકાજમા રૂચી થોડી ઓછી જોવા મળી શકે છે.

પંચાંગ 27/07/2026

સુવિચાર – ૨૭ જુલાઈ ૨૦૨૬

૨૭ જુલાઈ ૨૦૨૬

સિદ્ધારમૈયાની મોટી જાહેરાત: વિધાનસભા ચૂંટણી નહીં લડે

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધારમૈયાએ ચૂંટણી રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાડી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 2028 માં યોજાનારી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નહીં નોંધાવે. અગાઉ કોંગ્રેસ હાઈકમાન્ડના નેતૃત્વ પરિવર્તનના નિર્ણય મુજબ, સિદ્ધારમૈયાએ 28 May 2026 ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું, જેનો 29 May ના રોજ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સ્વીકાર કર્યો હતો. આ પછી ડીકે શિવકુમારના રાજ્યના નવા મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ થયો હતો.

સિદ્ધારમૈયાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ ભલે ચૂંટણી મેદાનમાંથી હટી રહ્યા હોય, પરંતુ સક્રિય રાજકારણમાં રહીને પાર્ટીને સતત માર્ગદર્શન પૂરું પાડશે. તેમનું ચૂંટણી મેદાનમાંથી હટવું એ માત્ર એક નેતાની નિવૃત્તિ નથી, પરંતુ કર્ણાટક કોંગ્રેસના પાવર સ્ટ્રક્ચરમાં એક મોટા પરિવર્તનની શરૂઆત છે. ચૂંટણી ન લડવા છતાં 2028 માં પાર્ટીની ટિકિટ વહેંચણીમાં તેમની ભૂમિકા સૌથી નિર્ણાયક રહેશે.

સિદ્ધારમૈયાના આ નિર્ણય પાછળના 3 મુખ્ય કારણો

કર્ણાટકની રાજનીતિમાં સામાજિક ન્યાય અને ‘અહિંદા’ (AHINDA) આંદોલનના ધ્વજવાહક રહેલા સિદ્ધારમૈયાના આ પગલાં પાછળ મુખ્ય વ્યુહાત્મક અને વ્યક્તિગત કારણો રહેલા છે:

હાઈકમાન્ડના ફોર્મ્યુલા અને જનતાને આપેલા વચનનું સન્માન

વર્ષ 2023 માં રાજ્યમાં સરકાર બની તે સમયે જ અઢી-અઢી વર્ષના મુખ્યમંત્રી પદની વહેંચણી અંગે ચર્ચા થઈ હતી. May 2026 માં પોતાના 3 વર્ષ પૂરા કર્યા બાદ સિદ્ધારમૈયાએ હાઈકમાન્ડના નિર્દેશનું પાલન કરતા પદ છોડી દીધું. આ સાથે જ તેમણે 2023 ની ચૂંટણી વખતે વરુણા વિધાનસભા બેઠકની જનતાને વચન આપ્યું હતું કે તે તેમની છેલ્લી પ્રત્યક્ષ ચૂંટણી હશે.

કોંગ્રેસમાં આગામી પેઢીની તૈયારી

સિદ્ધારમૈયાનું માનવું છે કે પાર્ટીમાં બીજી હરોળના યુવા અને અનુભવી નેતાઓને આગળ આવવાની તક મળવી જોઈએ. ચૂંટણી મેદાનમાંથી હટીને તેઓ રાજ્યમાં પાર્ટીને સંગઠનાત્મક રીતે મજબૂત કરવા પર વધુ ધ્યાન આપી શકશે.

ઉંમર અને સ્વાસ્થ્ય સંબંધિત કારણો

77 વર્ષથી વધુ વયના થઈ ચૂકેલા સિદ્ધારમૈયા 2028 ની ચૂંટણી સુધીમાં 80 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હશે. આ ઉંમરે સતત જનસંપર્ક અને વ્યાપક ચૂંટણી પ્રચાર ચલાવવો શારીરિક રીતે પડકારજનક બની રહે છે.

CWG 2026: ઋષિકાંત સિંહે ભારતને અપાવ્યો સિલ્વર મેડલ

ઋષિકાંત સિંહ ભલે ગોલ્ડ મેડલ મેળવવાથી થોડાક માટે ચૂકી ગયા હોય, પરંતુ કુલ 264 kg નો ભાર ઉઠાવીને અને નવો ગેમ્સ રેકોર્ડ પોતાના નામે કરીને તેમણે ભારતીય વેઇટલિફ્ટિંગના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં નોંધાવી દીધું છે. ગ્લાસગોમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે, 26 July રવિવારના રોજ ભારતને એક મોટી સફળતા મળી હતી. મણિપુરના વેઇટલિફ્ટર ઋષિકાંત સિંહ ચનામબમે પુરુષોની 60 kg ભારવર્ગની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ભારતને પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો છે.

121 Kg ઉઠાવીને રચ્યો નવો ઇતિહાસ

ઋષિકાંતે કુલ 264 kg વજન ઉઠાવીને ભારતને પોડિયમ પર સ્થાન અપાવ્યું હતું. આ શાનદાર પ્રદર્શન સાથે જ તેમણે સ્નેચ રાઉન્ડમાં 121 kg નો ભાર ઉઠાવીને કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ પણ કાયમ કર્યો હતો.

સ્પર્ધાની શરૂઆતથી જ મણિપુરના આ લિફ્ટરે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો:

પ્રથમ પ્રયાસ: સ્નેચ વર્ગમાં તેમણે 116 kg વજન સફળતાપૂર્વક ઉઠાવ્યું.

બીજો પ્રયાસ: બીજા પ્રયાસમાં તેમણે 119 kg નો ભાર ઉઠાવ્યો.

ત્રીજો પ્રયાસ: પોતાના ત્રીજા પ્રયાસમાં 121 kg નો ભાર ઉઠાવતા જ તેમણે અગાઉના 120 kg ના રેકોર્ડને તોડીને નવો CWG સ્નેચ રેકોર્ડ બનાવ્યો.

જોકે, પાછળથી મલેશિયાના બિન કાસદાન મોહમ્મદ અનિકે પણ પોતાના ત્રીજા પ્રયાસમાં 121 kg વજન ઉઠાવીને આ રેકોર્ડની બરાબરી કરી લીધી હતી.

ત્યારબાદ કલીન એન્ડ જર્ક રાઉન્ડમાં ઋષિકાંતને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ માત્ર એક જ પ્રયાસમાં 143 kg વજન ઉઠાવી શક્યા હતા. આમ છતાં, સ્નેચ રાઉન્ડના રેકોર્ડ અને કુલ 264 kg વજનના આધારે તેમણે ભારત માટે સિલ્વર મેડલ પાકો કરી લીધો હતો.

ભારતીય સેનામાંથી મેળવી છે તાલીમ

મણિપુરના ઇમ્ફાલ વેસ્ટના વતની એવા ઋષિકાંત સિંહ આજે ભારતીય વેઇટલિફ્ટિંગના સૌથી વિશ્વાસુ ખેલાડીઓમાં ગણાય છે. તેમણે પોતાની તાલીમ ભારતીય સેના (Indian Army) ના ઉત્કૃષ્ટ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મેળવી છે, જેણે તેમની પ્રતિભાને વધુ નિખારવાનું કામ કર્યું છે.

વર્ષ 2025 માં જીત્યો હતો ગોલ્ડ મેડલ

વર્ષ 2025 માં અમદાવાદ ખાતે આયોજિત કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ તેમના કરિયરની સૌથી યાદગાર ક્ષણ સાબિત થઈ હતી. આ સ્પર્ધામાં તેમણે માત્ર ગોલ્ડ મેડલ જ નહોતો જીત્યો, પરંતુ નવો નેશનલ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. આ શાનદાર પ્રદર્શનના જોરે જ તેમણે કોમનવેલ્થ ગેમ્સ માટે પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું. અમદાવાદની એ જ ચેમ્પિયનશિપમાં ઋષિકાંતે પોતાના જીવનનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર (271 kg) હાસલ કર્યો હતો.

ટ્રમ્પે ઇરાન પરના હુમલાઓ પર લગાવી ‘બ્રેક’

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સામે છેલ્લા 13 દિવસથી દરરોજ થઈ રહેલા હવાઈ હુમલાઓ પર હાલ પૂરતી બ્રેક લગાવી દીધી છે. બે અઠવાડિયાથી ચાલી રહેલા લશ્કરી અભિયાનમાં આ પ્રથમ વિરામ છે. યુએસ સેના દ્વારા નવા હુમલાનો પ્લાન તૈયાર હોવા છતાં, પ્રમુખ ટ્રમ્પે સેનાને નવી સ્ટ્રાઇક કરવાનો ઇનકાર કરી દીધો છે. અમેરિકાનું ધ્યાન હવે કૂટનીતિ અને વાટાઘાટો તરફ કેન્દ્રિત થઈ રહ્યું છે. જોકે, જરૂર પડે તો અમેરિકાએ પોતાના લશ્કરી અભિયાનને ટૂંક સમયમાં ફરીથી શરૂ કરવાની તમામ તૈયારીઓ પણ પૂર્ણ રાખી છે. અમેરિકી મીડિયા અહેવાલો અનુસાર, ટ્રમ્પે રાજદ્વારી પ્રયાસોને તક આપવા, સેના પાસે મિસાઇલ ડિફેન્સ સ્ટોક ઘટી રહ્યો હોવાની ચિંતા અને સંઘર્ષ વધુ વ્યાપક બની જવાના ડરથી આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.


“ઇરાન સાથે સમજૂતી કરવી વધુ ડહાપણભર્યો નિર્ણય” – ડોનાલ્ડ ટ્રમ્પ

પ્રમુખ ટ્રમ્પનું માનવું છે કે મોટા પાયે પૂર્ણ યુદ્ધ શરૂ કર્યા વિના લશ્કરી કાર્યવાહી તેની મર્યાદા સુધી પહોંચી ચૂકી હતી. તેઓ કૂટનીતિ માટે રસ્તો બનાવવા માગે છે, જેથી જો વાટાઘાટો નિષ્ફળ જાય તો ટૂંકા સમયમાં ફરીથી હુમલા શરૂ કરી શકાય. પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા પૂરેપૂરું તૈયાર છે, પરંતુ તેમનું માનવું છે કે ઇરાન સાથે સમજૂતી કરવી એ વધુ સમજદારીભર્યો રસ્તો છે. તેમણે કહ્યું, અમે હાલમાં તેમની સાથે વાતચીત કરી રહ્યા છીએ. મને લાગે છે કે જેમ જેમ દિવસો વિતી રહ્યા છે, તેમ તેમ તેઓ આ બાબતે વધુ ગંભીર બની રહ્યા છે. વોશિંગ્ટનમાં ‘વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ એસોસિએશન’ના ડિનર દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે તેમને નથી લાગતું કે ઇરાન તરત જ સમજૂતી માટે તૈયાર થઈ જશે, પરંતુ તેઓ વાટાઘાટો ચાલુ રાખવા ઈચ્છે છે.

મિસાઇલ ડિફેન્સ સ્ટોકમાં ઘટાડો બન્યો પેન્ટાગોનની મુખ્ય ચિંતા

હુમલા રોકવા પાછળનું બીજું સૌથી મોટું કારણ પેન્ટાગોન પાસે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ્સના ઘટી રહેલા સ્ટોકની ચિંતા હતી. ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના રિપોર્ટ અનુસાર, વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ ચેતવણી આપી હતી કે લશ્કરી અભિયાન લંબાવવાથી મધ્ય-પૂર્વમાં તૈનાત પેટ્રિયોટ ઇન્ટરસેપ્ટર મિસાઇલો અને અન્ય એર ડિફેન્સ સિસ્ટમ્સનો જથ્થો જોખમી સ્તરે ઓછો થઈ શકે છે. જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેને પ્રમુખ ટ્રમ્પને જાણકારી આપી હતી કે પેન્ટાગોને છેલ્લા કેટલાક મહિનાઓમાં 1,200 થી વધુ પેટ્રિયોટ ઇન્ટરસેપ્ટર મિસાઇલોનો ઉપયોગ કરી લીધો છે. આનાથી ક્ષેત્રમાં તૈનાત અમેરિકી સૈનિકો, સહયોગી દેશો અને લશ્કરી અડ્ડાઓ પર ઇરાની વળતા હુમલાનું જોખમ વધી શકે છે.

ઉપપ્રમુખ જેડી વેન્સ અને સૈન્ય નેતૃત્વએ આપી સંયમની સલાહ

CNN ના રિપોર્ટ અનુસાર, શુક્રવારે વ્હાઇટ હાઉસમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન ઉપપ્રમુખ જેડી વેન્સ અને જનરલ ડેન કેન બંનેએ યુદ્ધને વધુ લંબાવવા સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સંરક્ષણ મંત્રાલયના સૂત્રએ જણાવ્યું કે ઇરાન સામેનું લશ્કરી અભિયાન હાલમાં ‘હોલ્ડ’ પર રાખવામાં આવ્યું છે. ટ્રમ્પના નજીકના સહયોગીઓએ પણ સવાલ ઉઠાવ્યો હતો કે શું વધુ હુમલા કરવાથી પ્રાદેશિક સંઘર્ષના જોખમને વધાર્યા વિના અમેરિકી લક્ષ્યો પ્રાપ્ત કરી શકાશે કે કેમ.

રાજદ્વારી વાટાઘાટોએ પકડી ઝડપ

લશ્કરી વિરામ એવા સમયે આવ્યો છે જ્યારે કૂટનીતિક પ્રયાસો અચાનક ઝડપી બન્યા છે. ઓમાનનું એક પ્રતિનિધિમંડળ તેહરાન પહોંચ્યું છે, જેથી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) ને જહાજોની અવરજવર માટે ફરીથી ખોલવાની વ્યવસ્થા પર વાતચીત કરી શકાય. આ સાથે જ અખાતી દેશોએ પણ વોશિંગ્ટનને સંયમ જાળવવાની અપીલ કરી છે.

જંતર-મંતર આંદોલનના પડદા પાછળના 7 હીરો

દિલ્હીના જંતર-મંતર પર જે પણ કંઈ થયું, તે આખા દેશે જોયું. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિત ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ની તમામ માંગણીઓ સરકારે આખરે સ્વીકારી લીધી છે. આ પ્રદર્શનમાં મોટાભાગે Gen Z (નવી પેઢીના યુવાનો) સામેલ હતા, પરંતુ તેમાં દરેક વયજૂથના લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જંતર-મંતર પર એકઠી થયેલી ભારે ભીડ વચ્ચે કેટલાક એવા ચહેરાઓ પણ હતા, જેઓ કેમેરા સામે કે સ્ટેજ પર બહુ ઓછા દેખાયા હતા. પરંતુ તેમણે પડદા પાછળ રહીને આ આંદોલનને એવા સ્તર સુધી પહોંચાડ્યું કે સરકારને પણ તેમની માંગણીઓ સ્વીકારવાની ફરજ પડી.

શું હતી આ ટીમની મુખ્ય ભૂમિકા?

આંદોલનની કરોડરજ્જુ ગણાતી આ ટીમે દેશના યુવાનો દ્વારા પોતાના મુદ્દાઓને સાચી અને સચોટ રીતે ઉઠાવ્યા. અભિજીત દીપકેના નામે શરૂ થયેલું આ વિરોધ પ્રદર્શન જોતજોતામાં સમગ્ર દેશમાં ફેલાઈ ગયું હતું. અભિજીત આ આંદોલનનો મુખ્ય ચહેરો હતા, જ્યારે દીપાંગી બેકએન્ડ રણનીતિ પર કામ કરી રહી હતી. દીપાંગીની જેમ જ અન્ય કેટલાક યુવાનો પણ પોતપોતાની રીતે આંદોલનને સફળતા સુધી પહોંચાડવામાં રાત-દિવસ એક કરી રહ્યા હતા.

કોણ હતા તે 7 મહત્વપૂર્ણ ચહેરાઓ?

વૈષ્ણવી:

દિલ્હીની રહેવાસી વૈષ્ણવી CJP માં પ્રવક્તા તરીકે કાર્યરત છે. તેમની કરિયર ખૂબ જ રસપ્રદ રહી છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારોની સાથે-સાથે અનેક રિસર્ચ સેન્ટર્સમાં કામ કર્યું છે. તેમનો આ જ બહોળો અનુભવ આંદોલનની રણનીતિ ઘડવામાં સૌથી વધુ ઉપયોગી સાબિત થયો.

આશુતોષ રાંકા:

કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા આશુતોષ રાંકાએ આ પ્રદર્શનને અંજામ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જયપુરના વતની આશુતોષે અનેક સામાજિક આંદોલનોમાં ભાગ લીધો છે. તેમની ‘પરિવર્તન’ નામની પોતાની સંસ્થા પણ છે, જે અરાવલી સંરક્ષણ અને NEET પેપર લીક જેવા ગંભીર મુદ્દાઓ પર અગાઉ પણ અભિયાન ચલાવી ચૂકી છે. કેન્દ્ર સરકાર સામે પ્રદર્શનકારીઓનો પક્ષ મજબૂતીથી રજૂ કરવામાં તેમની મોટી ભૂમિકા રહી.

સૌરવ દાસ:

પત્રકાર તરીકે કામ કરી ચૂકેલા સૌરવ દાસે મીડિયા અને કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કરવાની જવાબદારી સંભાળી હતી. તેમણે મુદ્દાઓને યોગ્ય અને કાનૂની રીતે રજૂ કર્યા જેથી સરકાર તેના પર અમલ કરવા મજબૂર બની.

દીપક:

ખેડૂત પરિવારમાંથી આવતા અને રાજસ્થાનના વતની દીપક CJP ના પ્રવક્તા છે. તેઓ સતત ખેડૂતો અને જમીની સ્તરના મુદ્દાઓને આંદોલન સાથે જોડતા રહ્યા.

આફરીન:

બેંગલુરુની રહેવાસી આફરીને આ આંદોલન સાથે જોડાવવા અને દેશના વિદ્યાર્થીઓના હક માટે લડવા માટે પોતાની સારી પ્રાઈવેટ નોકરી પણ છોડી દીધી હતી.

રત્ના અને સિદ્ધાંત:

આ બંને યુવાનોએ NEET પેપર લીકનો મુદ્દો સોશિયલ મીડિયાથી લઈને ગ્રાઉન્ડ લેવલ સુધી ઉઠાવવામાં કોઈ કસર છોડી ન હતી. આખરે સરકારને તેમની તમામ માંગણીઓ સામે ઝૂકવું પડ્યું.

કાર્યક્ષમ સંચાલન માટે દૃઢ સંકલ્પ: સફળતા નહીં, કાયમી શ્રેષ્ઠતાની સફર

मुक्तसङ्गोऽनहंवादी धृत्युत्साहसमन्वितः ।
सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्त्विक उच्यते ॥

(ભગવદ્ ગીતા – અધ્યાય ૧૮, શ્લોક ૨૬)

ભગવાન શ્રીકૃષ્ણ એવા કર્મયોગીનું વર્ણન કરે છે, જે અનાસક્ત હોય, અહંકારથી મુક્ત હોય, ધીરજ અને ઉત્સાહથી ભરપૂર હોય તથા દરેક કાર્યમાં દૃઢ સંકલ્પ સાથે આગળ વધતો હોય. આ ચારેય ગુણોને જો આધુનિક મેનેજમેન્ટની ભાષામાં સમજીએ, તો તે માત્ર એક સારા કર્મચારીની ઓળખ નથી, પરંતુ એવા નેતાની ઓળખ છે, જે સમય સાથે સંસ્થાની સંસ્કૃતિનું નિર્માણ કરે છે.

આજના યુગમાં સફળતા ઘણી વખત ઝડપના આધારે માપવામાં આવે છે. લોકો તરત પરિણામ, તરત પ્રમોશન અને તરત ઓળખ મેળવવાની અપેક્ષા રાખે છે. પરંતુ ગીતા આપણને એક અલગ જ દિશા બતાવે છે—મહાન સિદ્ધિઓ ઉતાવળથી નહીં, પરંતુ સતત અને સંકલ્પબદ્ધ પ્રયત્નોથી જન્મે છે.

આજના કોર્પોરેટ જગતમાં સૌથી વધુ મૂલ્ય એવા લોકોનું છે, જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સ્થિર રહે છે, પોતાની જવાબદારીમાંથી ભાગતા નથી અને દરરોજ થોડું આગળ વધવાની માનસિકતા જાળવી રાખે છે. આવી વ્યક્તિને આજે Consistent Performer તરીકે ઓળખવામાં આવે છે. તે દરેક વખતે અસાધારણ પરિણામ આપે જ એવું જરૂરી નથી, પરંતુ તે દરેક વખતે વિશ્વાસપાત્ર પરિણામ જરૂર આપે છે. કોઈ પણ સંસ્થાની સાચી શક્તિ અસાધારણ ક્ષણોમાં નહીં, પરંતુ આવી સતત વિશ્વસનીય વ્યક્તિઓમાં રહેલી હોય છે.

આજના માનવ વર્તનમાં એક નવી સમસ્યા જોવા મળે છે—અમે સફળતા પાછળ દોડીએ છીએ, પરંતુ સ્થિરતા પાછળ નહીં. સોશિયલ મીડિયાના યુગમાં લોકો બીજાની સિદ્ધિઓ જોઈને પોતાના માર્ગ બદલતા રહે છે. પરિણામે દિશા કરતાં ગતિ વધુ વધી જાય છે. પરંતુ જે વ્યક્તિ પાસે દૃઢ સંકલ્પ હોય છે, તે પરિસ્થિતિ પ્રમાણે પોતાની રીત બદલી શકે છે, પરંતુ પોતાનું ધ્યેય ક્યારેય બદલતો નથી.

નવી દૃષ્ટિએ જોઈએ તો દૃઢ સંકલ્પનો અર્થ માત્ર જીદ નથી; તે મૂલ્યો પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા છે. જેમ એક વૃક્ષ રોજ થોડું-થોડું વધે છે અને વર્ષો પછી વિશાળ બની જાય છે, તેમ સંસ્થા પણ રોજના નાના, પરંતુ યોગ્ય નિર્ણયો દ્વારા મહાન બને છે. આજે અનેક વૈશ્વિક કંપનીઓ માત્ર નફાના કારણે નહીં, પરંતુ દાયકાઓ સુધી જાળવેલા મૂલ્યો, ગુણવત્તા અને વિશ્વાસના કારણે ટકી રહી છે. આ જ Sustainable Leadershipનો મૂળ આધાર છે.

સાચો નેતા તે નથી, જે સંકટ આવે ત્યારે જ દેખાય; સાચો નેતા તે છે, જે દરરોજ પોતાની ટીમમાં વિશ્વાસ, ધીરજ અને ઉત્સાહનું સિંચન કરે છે. તે સફળતાનો શ્રેય એકલો લેતો નથી અને નિષ્ફળતાનો ભાર ટીમ પર નાખતો નથી. તેના માટે નેતૃત્વ એક પદ નહીં, પરંતુ જવાબદારી છે.

ગીતાનો આ શ્લોક આપણને શીખવે છે કે લાંબા ગાળાની પ્રતિષ્ઠા ક્ષણિક સફળતા કરતાં વધુ મૂલ્યવાન છે. કારણ કે સફળતા તાળીઓ અપાવે છે, જ્યારે દૃઢ સંકલ્પ વિશ્વાસ કમાવી આપે છે.

અંતે, કોઈ પણ સંસ્થા, સમાજ કે રાષ્ટ્રની સાચી ઓળખ તેની ક્ષણિક સિદ્ધિઓથી નહીં, પરંતુ એવા નેતાઓથી બને છે, જે અનાસક્ત રહીને, અહંકાર છોડીને, ધીરજ અને ઉત્સાહ સાથે સતત પોતાના ધ્યેય તરફ આગળ વધતા રહે છે. સાચું નેતૃત્વ પરિણામની ચમકમાં નહીં, પરંતુ સતત કર્તવ્યનિષ્ઠાના પ્રકાશમાં જન્મે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

આ છે ગુજરાતના સૌથી મોટા પાંચ ડેમ…

ગુજરાતમાં ચોમાસા દરમિયાન કુદરત તરફથી મળતા જળવૈભવને સાચવવા, પીવાના પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા, ખેતી માટે સિંચાઈ પૂરી પાડવા અને ઉર્જા ક્ષેત્રે જળવિદ્યુત ઉત્પાદન કરવા માટે અનેક વિશાળ જળાશયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ત્યારે જાણીએ આ ચોમાસે રાજ્યમાં સૌથી વધુ વરસાદી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા (Water Capacity) ધરાવતા ગુજરાતના પાંચ મુખ્ય અને સૌથી મોટા ડેમ વિશે…

સરદાર સરોવર ડેમ, કેવડિયા, નર્મદા જિલ્લો

ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા અથવા એકતા નગર પાસે નર્મદા નદી પર આવેલો સરદાર સરોવર ડેમ રાજ્યનો સૌથી મોટો ડેમ છે, જેને ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે. આ ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા આશરે 9,460 મિલિયન ઘન મીટર જેટલી છે. સમગ્ર ગુજરાતમાં પીવાનું પાણી અને ખેતી માટે સિંચાઈ પૂરું પાડવામાં આ ડેમ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વર્તમાન ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી સતત નવા પાણીની આવક થવાના કારણે હાલમાં ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 68.93 ટકા પાણીનો સંગ્રહ છે અને વોટર લેવલ 420.76 ફીટ પર પહોંચ્યું છે.

ઉકાઈ ડેમ, ઉકાઈ, તાપી જિલ્લો

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં તાપી નદી પર બનેલો ઉકાઈ ડેમ સંગ્રહ ક્ષમતાની દ્રષ્ટિએ ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા આશરે 7,414 મિલિયન ઘન મીટર છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિંચાઈ, પીવાનું પાણી અને જળવિદ્યુત ઉત્પાદન માટે આ જળાશય અત્યંત ઉપયોગી સાબિત થાય છે. હાલની સ્થિતિએ દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં મોટા પ્રમાણમાં નવું પાણી આવી રહ્યું છે, કુલ સંગ્રહ ક્ષમતાના 43.17 ટકા પાણીનો સંગ્રહ છે અને વોટર લેવલ 315.46 ફીટ નોંધાયું છે.

કડાણા ડેમ, કડાણા, મહીસાગર જિલ્લો

મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં મહી નદી પર આવેલો કડાણા ડેમ રાજ્યનો ત્રીજો મોટો જળ સ્ત્રોત છે. આ ડેમની કુલ સંગ્રહ ક્ષમતા આશરે 1,542 મિલિયન ઘન મીટર જેટલી છે, જે મધ્ય ગુજરાતના મોટાભાગના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પાણીની જરૂરિયાતો પૂરી કરે છે. વર્તમાન ચોમાસાની સિઝનમાં મધ્ય ગુજરાત અને ઉપરવાસના વરસાદને કારણે હાલમાં ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 43.14 ટકા પાણીનો સંગ્રહ છે અને વોટર લેવલ 391.17 ફીટ પર છે.

ધરોઈ ડેમ, ધરોઈ, મહેસાણા જિલ્લો

ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં સાબરમતી નદી પર બનેલો ધરોઈ ડેમ ઉત્તર ગુજરાત માટે મુખ્ય આશાસ્પદ સ્ત્રોત છે. આ ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા આશરે 815 મિલિયન ઘન મીટર છે. અમદાવાદ, ગાંધીનગર તેમજ ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આ ડેમનું મોટું યોગદાન છે. ચાલુ વરસાદી ઋતુમાં સાબરમતી નદીના કેચમેન્ટ વિસ્તારમાંથી પાણીની સતત આવક ચાલુ રહેતાં ડેમનું વોટર લેવલ મજબૂત બની રહ્યું છે. હાલમાં ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 45.99 ટકા પાણીનો સંગ્રહ છે અને વોટર લેવલ 605.21 ફીટ નોંધાયું છે.

દાંતીવાડા ડેમ, દાંતીવાડા, બનાસકાંઠા જિલ્લો

બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી પર આવેલો દાંતીવાડા ડેમ ઉત્તર ગુજરાતના શુષ્ક વિસ્તારો માટે સંજીવની સમાન છે. આ ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા આશરે 464 મિલિયન ઘન મીટર જેટલી છે, જે આસપાસના વિશાળ ખેતીલાયક વિસ્તારને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે. હાલની ચોમાસાની સ્થિતિમાં આ વિસ્તારના ખેડૂતો અને રહીશો માટે દાંતીવાડા ડેમમાં થઈ રહેલી નવી પાણીની આવક ખૂબ જ રાહતરૂપ સાબિત થઈ રહી છે. હાલમાં ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 25.62 ટકા પાણીનો સંગ્રહ છે અને વોટર લેવલ 570.01 ફીટ પર છે.

સૌરાષ્ટ્રના જળ સંગ્રહના મુખ્ય આધારસ્તંભો

ગુજરાતના આ પાંચ મોટા ડેમ ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારની જળ સુરક્ષા માટે અહીંના સ્થાનિક જળાશયો સંજીવની સમાન છે. જેમાં ભાવનગર જિલ્લાના પાલતાણા પાસે આવેલો શેત્રુંજી ડેમ આશરે 309 MCMની કુલ ક્ષમતા સાથે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે, જે ભાવનગર શહેર અને ગ્રામીણ વિસ્તારોની જળ જરૂરિયાતો પૂરી કરે છે. આ ડેમ 100 ટકા ભરાઈ ગયો છે (ઓવરફ્લો) અને એની સપાટી 182.18 ફીટ છે. જયારે રાજકોટના ઉપલેટા પાસે આવેલો ભાદર ડેમ આશરે 198 MCMની ક્ષમતા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે, જે રાજકોટ અને આસપાસના વિસ્તારો માટે પીવાનો મુખ્ય આધાર છે. હાલમાં ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 22.59 ટકા પાણીનો સંગ્રહ છે અને વોટર લેવલ 338.09 ફીટ પર છે. આ સિવાય જુનાગઢ જિલ્લામાં આવેલો ઓઝત ડેમ પણ આશરે 48 MCM ની જળ ક્ષમતા સાથે સોરઠ વિસ્તારની ખેતી અને સિંચાઈ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ચાલુ ચોમાસામાં સૌરાષ્ટ્રમાં થયેલા મુસળધાર વરસાદના કારણે શેત્રુંજી, ભાદર અને ઓઝત ત્રણેય જળાશયોમાં પૂરતા પ્રમાણમાં નવા પાણીની આવક થતાં આ તમામ ડેમ 75 ટકાથી વધુ ભરાઈ ચૂક્યા છે. કેટલાક ઓવરફ્લો થવાની આરે પહોંચતા સમગ્ર સૌરાષ્ટ્રમાં જળ સંકટ દૂર થયું છે.

(આંકડા 25 જુલાઈ, 2026 સુધીના છે.)

હેતલ રાવ