બનાસકાંઠા: વન વિભાગ ડીસા તાલુકાના દાવસ ગામમાં પ્રથમ હાઇ-ટેક નર્સરી સ્થાપિત કરવા માટે તૈયાર છે. જે અંદાજે 13 એકર જમીનને આવરી લેશે અને તેનો અંદાજિત ખર્ચ રૂ. 3.5 કરોડ થશે. વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દેખરેખ હેઠળ આ પ્રોજેક્ટનો હેતુ રાજ્યભરમાં વનીકરણના પ્રયાસોને મજબૂત બનાવવા અને દુર્લભ વનસ્પતિ પ્રજાતિઓનું જતન કરવાનો છે. આ નર્સરી પર્યાવરણીય સંરક્ષણ માટે એક અનુકરણીય મોડેલ તરીકે સેવા આપશે.“મુખ્ય ઉદ્દેશ્ય અદ્યતન ટેકનોલોજી, નિયંત્રિત વાતાવરણ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા, રોગમુક્ત અને મજબૂત છોડનું ઉત્પાદન કરવાનો છે. આ પહેલ મોટા પાયે વનીકરણને ટેકો આપશે અને રાજ્યના પર્યાવરણીય સંરક્ષણના પ્રયાસોને વધારશે,” તેમણે જણાવ્યું હતું.
હાઇ-ટેક નર્સરી વાર્ષિક 10 લાખથી વધુ રોપાઓનું ઉત્પાદન કરશે. મિસ્ટ ચેમ્બર, અંકુરણ ચેમ્બર, પોલીહાઉસ અને નેટ હાઉસ સહિતની અદ્યતન સુવિધાઓ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓમાં પણ શ્રેષ્ઠ વૃદ્ધિ સુનિશ્ચિત કરશે. માટી વગર છોડ ઉગાડવા જેવી ખાસ તકનીકોનો ઉપયોગ લુપ્ત થવાની આરે રહેલી વનસ્પતિ પ્રજાતિઓનું સંરક્ષણ કરવા માટે કરવામાં આવશે, જે ઝડપી અને સ્વસ્થ વિકાસને પ્રોત્સાહન આપશે. એક બીજ બેંક અને બીજ પ્રક્રિયા એકમ સુવિધાનો ભાગ હશે, જે દુર્લભ અને મૂલ્યવાન બીજને લાંબા ગાળાના સંરક્ષણ માટે વૈજ્ઞાનિક રીતે સંગ્રહિત કરવાની મંજૂરી આપશે.
આ ઉપરાંત, ‘નર્સરી માહિતી કેન્દ્ર’ વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પર્યાવરણ ઉત્સાહીઓને છોડની ખેતી, વનીકરણ અને કુદરતી સંરક્ષણ પર માર્ગદર્શન પૂરું પાડશે. આ પ્રોજેક્ટમાં સ્વસ્થ છોડના વિકાસ માટે કાર્બનિક ખાતર ઉત્પન્ન કરવા માટે વર્મીકમ્પોસ્ટિંગ યુનિટનો પણ સમાવેશ થશે. રાજ્યભરમાં મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમોને ટેકો આપતા ઊંચા અને મજબૂત રોપાઓ વિકસાવવાની પદ્ધતિઓ અમલમાં મૂકવામાં આવશે. અધિકારીઓએ ભાર મૂક્યો કે નર્સરી માત્ર ગુજરાતના હરિયાળા આવરણમાં વધારો કરશે નહીં. પરંતુ પર્યાવરણીય સંતુલન પણ જાળવી રાખશે અને લુપ્તપ્રાય વનસ્પતિ પ્રજાતિઓના સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપશે.
ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્ય પોલીસ વહીવટમાં મોટો ફેરફાર કર્યો છે, જેમાં ૩૭ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને તેમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. મુખ્ય ફેરફારોમાં, ૨૦૧૦ બેચના IPS અધિકારી નિર્લિપ્ત રાયને ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)માંથી બદલી કરવામાં આવી છે અને તેમને રાજકોટ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ૨૦૦૩ બેચના IPS અધિકારી અશોક કુમાર, જે રાજકોટ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે ફરજ બજાવતા હતા, તેમને ગાંધીનગરમાં IGP, CID (ઇન્ટેલિજન્સ) તરીકે બદલી કરવામાં આવી છે. ૧૯૯૧ બેચના સિનિયર આઈપીએસ અધિકારી ડૉ. શમશેર સિંહને અમદાવાદમાં સિવિલ ડિફેન્સના ડિરેક્ટર અને હોમગાર્ડ્સના કમાન્ડન્ટ જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડૉ. શમશેર સિંહ તાજેતરમાં જ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ડેપ્યુટેશન પરથી ગુજરાત પરત ફર્યા હતા અને જાન્યુઆરીથી પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા હતા.
બીજી એક મહત્વપૂર્ણ નિમણૂકમાં, ૨૦૦૫ બેચના આઈપીએસ અધિકારી રાઘવેન્દ્ર વત્સને સુરત શહેરના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) પદ પરથી બદલી કરવામાં આવ્યા છે અને તેમને અમદાવાદ રેન્જના આઈજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારે નવી બનાસકાંઠા રેન્જ પણ બનાવી છે, જેનાથી રાજ્યમાં પોલીસ રેન્જની કુલ સંખ્યા ૧૦ થઈ ગઈ છે. ૨૦૦૭ બેચના આઈપીએસ અધિકારી પરિક્ષિતા રાઠોડ, જે સીઆઈડી ક્રાઈમના ઇન્સ્પેક્ટર જનરલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા, તેમને નવી રચાયેલી રેન્જના આઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અન્ય ઘણા અધિકારીઓને પણ નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં એડિશનલ કમિશનર ઓફ પોલીસ (સ્પેશિયલ બ્રાન્ચ) તરીકે ફરજ બજાવ્યા બાદ IPS અધિકારી વિધિ ચૌધરી (2009 બેચ)ને પંચમહાલ-ગોધરા રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 2010 બેચના અધિકારી અને વડોદરામાં એડિશનલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઇમ એન્ડ લો એન્ડ ઓર્ડર) તરીકે ફરજ બજાવતા ડૉ. લીના પાટિલને ગુજરાત પોલીસ એકેડેમીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં, શહેર પોલીસ માળખામાં એક નવો ઝોન-8 બનાવવામાં આવ્યો છે. IPS અધિકારી મયુર પાટિલને નવા રચાયેલા ઝોનના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અન્ય ફેરફારોમાં મકરંદ ચૌહાણને IGP પદ પર બઢતી અને ગાંધીનગરમાં DIG (લો એન્ડ ઓર્ડર) તરીકે નિયુક્ત કરવાનો સમાવેશ થાય છે, જ્યારે વાબાંગ જમીરને પોસ્ટિંગ માટે રાહ જોઈ રહ્યા છે. વહીવટી સુધારાના ભાગ રૂપે સુરત, વડોદરા અને રાજ્યના ગુપ્તચર અને ભ્રષ્ટાચાર વિરોધી એકમોમાં ઘણા અધિકારીઓની ઉચ્ચ હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદ: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે અને મધ્ય રાત્રિ દરમિયાન ઠંડુ વાતાવરણ હોય છે. બપોરથી સાંજ દરમિયાન ગરમ હવામાન રહે છે. આ દરમિયાન કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગે(IMD) આગાહી કરી છે. જેમાં IMDએ 6 માર્ચથી 10 માર્ચ, 2026 સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 7 જેટલાં જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજવાળુ હવામાન રહેવાની આગાહી છે.
ગુજરાતભરમાં ગરમીની અસર હવે વર્તાઈ રહી છે. રાજ્યમાં આગામી 4 દિવસ ગરમીનો પારો હાઈ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 6-7 માર્ચમાં ભાવનગર જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બે દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે.
આગામી 8 માર્ચથી 10 માર્ચ આ ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં હીટવેવની આગાહી છે. જેમાં પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ગરમીને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે આ 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22 ડિગ્રી રહેવાની શક્યતા છે.
બેંગલુરુઃ દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટક, જ્યાં ટેક હબ બેંગલુરુ આવેલું છે, ત્યાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મિડિયા ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે આવું પગલું લેનારા તેઓ દેશમાં પ્રથમ મુખ્ય મંત્રી બન્યા છે. તેમણે જણાવ્યું હતું કે બાળકો પર મોબાઇલના વધતા ઉપયોગના દુષ્પ્રભાવને રોકવાના હેતુથી 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મિડિયા ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ
તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં યુવાનો માટે સોશિયલ મિડિયા ઉપયોગ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. એ સાથે જ સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીઓમાં નશીલા પદાર્થોના ખોટા ઉપયોગને રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્ર માટે મોટા એલાન
વર્ષ 2026-27નું બજેટ વિધાનસભામાં રજૂ કરતી વખતે તેમણે ખાતરી આપી હતી કે આગામી નાણાકીય વર્ષમાં સ્કૂલ અને કોલેજોમાં ખાલી પડેલી 15,000 શિક્ષકની જગ્યાઓ ભરવામાં આવશે.
સરકારી પ્રાથમિક, હાઇસ્કૂલ અને પ્રી-યુનિવર્સિટી કોલેજોમાં
* નવા રૂમ બનાવવા અને મરામત માટે 565 કરોડ રૂપિયા
* ટોઇલેટ બનાવવા માટે 75 કરોડ રૂપિયા
* ફર્નિચર ખરીદવા માટે 25 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે
125 કરોડ મેઇનટેઇનન્સ માટે
સરકારે સરકારી પ્રાથમિક શાળાઓ, હાઇસ્કૂલ અને પ્રી-યુનિવર્સિટી કોલેજોના જાળવણી કામ માટે 125 કરોડ રૂપિયા ખર્ચવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી વિદ્યાર્થીઓના આરોગ્ય, વ્યક્તિત્વ અને ભવિષ્ય નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેમ્પસમાં ડ્રગ્સના દુરુપયોગને અટકાવવા માટે જાગૃતિ અભિયાન, કડક શિસ્ત અને કાઉન્સેલિંગ સેન્ટર જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
800 સ્કૂલ અપગ્રેડ થશે
800 સ્કૂલોને કર્ણાટક પબ્લિક સ્કૂલ (KPS) તરીકે અપગ્રેડ કરવામાં આવશે. આગામી ત્રણ વર્ષમાં આ માટે અંદાજે 3900 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
માનસિક સ્વાસ્થ્ય માટે કાઉન્સેલર
વિદ્યાર્થીઓનો તણાવ ઓછો કરવા અને માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે રાજ્યના 204 બ્લોક રિસોર્સ સેન્ટરોમાં એક-એક ક્વોલિફાઇડ મેન્ટલ હેલ્થ કાઉન્સેલર નિયુક્ત કરવામાં આવશે.
`મા આપણે હજુ શિવાજી મહારાજના એકેય ગઢ કિલ્લા પર ગયા નથી?’ પચીસેક વર્ષ પૂર્વે નીલે આઠ- દસ વર્ષનો હશે ત્યારે તેણે `આપણે રાયગઢ, પ્રતાપગઢ, સિંહગઢ જેવાં ઠેકાણે હજુ કેમ ગયા નથી?’ આ સાદો સરળ પ્રશ્ન પૂછ્યો હતો અને મારી પાસે ઉત્તર નહોતો. ઉત્તર આપું પણ શું? હજારો પર્યટકોને ટુર મેનેજર તરીકે આપણો ભારત દેશ અને દુનિયા બતાવનારી હું અમારા બાળકને તે સમયે મહારાષ્ટ્ર, શિવાજી મહારાજ, ગઢ કિલ્લા અને મહારાષ્ટ્રની ઉજ્જવળ ભૂમિના અને જાજરમાન ઈતિહાસની ઓળખ કરાવી શકી નહીં. તે કસૂર ભાવના આજે પણ વચ્ચે વચ્ચે માથું ઊંચકે છે અને હું પોતાને દોષ આપતી રહું છું. સતત કામ કામ કામ… તે ક્યારે પૂરું થયું જ નહીં. પછી તે વ્યસ્તતામાં ઘણું બધું રહી ગયું અને તે વ્યસ્તતા અંત સુધી રહી. ખરેખર તો કેટલું આસાન હતું, `બેગ ભરો, નીકળી પડો’ કરીને દરેક મહિને એક એમ કર્યું હોત તો અમુક વર્ષમાં મહારાષ્ટ્ર મિશન અથવા ગડ કિલ્લા જોઈ લીધા હોત. સમયસર કૃતિ કરી હોત તો જીવનભર પશ્ચાતાપની લાગણી મહેસૂસ થઈ નહીં હોત. વારુ,આ બાબતમાં થોડું, `લોકો કહે બ્રહ્મજ્ઞાન…’એવું જ કશુંક થયું ખરું.
આવી જ એક યાદ ત્રીસેક વર્ષ પૂર્વેની છે. ટ્રાવેલમાં નવું નવું કાંઈક કરતા રહેવાની ધગશ કેળવાઈ ગઈ હતી. પર્યટનમાં સ્થિર થતી હતી અને પોતાને આ ફાવી શકે છે તેની ખુશી પણ હતી. તે જ ઉત્સાહમાં એક દિવસ ટીમને કહ્યું, `જાઓ અને પહેલાથી દસમા ધોરણના ઈતિહાસનાં અને ભૂગોળનાં પુસ્તકો લઈ આવો. જોઈએ તેમાં કયા ધોરણમાં શું-શું શીખવવામાં આવી રહ્યું છે અને તે પ્રમાણે ટુર્સની યોજના બનાવીએ. એટલે કે, ક્લાસરૂમમાં થિયરી થશે અને આપણે ટુર્સ દ્વારા પ્રેક્ટિકલનો મેળ પાડીશું.’ પુસ્તકો વાંચી કાઢ્યા, થોડો અભ્યાસ પણ કર્યો કે શું-શું કરી શકાય. સીઝન શરૂ થઈ, અર્જન્ટ ઈમ્પોર્ટન્ટ બાબતોને અગ્રતા અપાઈ અને ઈતિહાસ-ભૂગોળનો આ પ્રોજેક્ટ ક્યારે અભરાઈએ ચઢી ગયો તે મને પણ સમજાયું નહીં. દર વખતે સાફસફાઈ કરતી વખતે તે પુસ્તકોનો જથ્થો સામે આવતો, `અરે આ પ્રોજેક્ટનું કાંઈક કરવું જોઈએ’ એવું બોલાતું પણ હતું મારા દ્વારા અને ફરી તે પુસ્તકો આગામી સાફસફાઈ સુધી નજરની આડે થઈ જતાં. આવું થોડાં વર્ષ ચાલ્યા પછી એક વર્ષે હોશિયાર બનીને તે પુસ્તકો મેં રદ્દીમાં કાઢ્યા અને પોતાને કોસતી રહી, `આ શું છે? આટલો સીધોસાદો પ્રોજેક્ટ હતો, જે તમે કરી શક્યાં નહીં? શેમ ઓન યુ.’
ફાસ્ટ ફોર્વર્ડ ટુ ટુડે, ભૂતકાળમાંથી હવે વર્તમાનમાં આવું છું. ગયા મહિનામાં અમારી સોશિયલ મિડિયા માર્કેટિંગ એજન્સી `ટિલ ઈટ ક્લિક્સ’ અમારી કોર્પોરેટ ઓફિસમાં પહોંચી. `એક સ્ક્રિપ્ટ લાવ્યા છીએ.’ મેં વિચાર્યું, `અરે બાપ રે!’ ખર્ચ સામે દેખાવા લાગ્યો. `ચલો, સૂનને મેં ક્યા જાતા હૈ?’ કહીને અમે સ્ક્રિપ્ટ રીડિંગ માટે ભેગાં થયાં. તેમણે જેમ જેમ સ્ટોરી ઉજાગર કરવાનું શરૂ કર્યું, તેમ રીતસર મારાં રૂવાડાં ઊભાં થઈ ગયાં. કારણ કે મેં ઉપર જે બે બાબત લખી હતી તે જ બાબતો તેમની સ્ક્રિપ્ટમાં હતી. નાટકનો, એક્ટિંગનો શોખ ધરાવતા… જુલિયસ સીઝરનો રોલ કરીને તેની પર કોલેજ જીવનમાં વાહવાહ મેળવનાર એક પિતા રિટાયરમેન્ટ પછી પણ પોતાની એક્ટિંગની હોબી પૂરી કરે છે, માતા ખુશ છે. પુત્ર-પુત્રવધૂ યુએસએમાં સેટલ થયાં છે. તેમની વચ્ચે ફોન પર ત્રણેક મિનિટનું સંભાષણ એ જ તે ફિલ્મ. અસલ ફિલ્મ ફ્લેશબેકમાં છે. એક પિતા પોતાના નાના બાળકને શિવાજી મહારાજના કિલ્લા બતાવે છે. ઈતિહાસ ફક્ત પુસ્તકમાં નથી, ઈતિહાસ તે માટીમાં છે, પથ્થરમાં છે, ડુંગરોમાં છે, લડાઈનાં જખમોમાં છે એ તે બાળકને બતાવે છે. બાળક મોટો થાય છે, તે પિતાને કહે છે, `તમે ગડ કિલ્લા બતાવ્યા તેથી મને શિવાજી મહારાજ થોડા ઘણા સમજાયા. હવે તમને શેક્સપિયર કરવાનો છે ને, તો પછી ત્યાં જઈને જ જોઈએ. ચાલો, સ્ટ્રેટફોર્ડ અપોન એવોનમાં જઈએ, ગ્લોબ થિયેટર, જ્યાં શેક્સપિયરનાં નાટકો બતાવવામાં આવે છે તે જોઈએ. તમે મને કિલ્લા બતાવ્યા અને વિચારોથી સમૃદ્ધ બનાવ્યો. હું તમને તમારા મનગમતા શેક્સપિયર બતાવીશ, તમે ભારતમાંથી આવો, અમે ન્યૂ યોર્કમાંથી આવીશું, વચ્ચે લંડનમાં મળીશું.’ હવે આ છેલ્લી લાઈન અમારી જાહેરાતમાં આવે છે.
બધું એકદમ નક્કી થયા મુજબ તે સ્ક્રિપ્ટમાં આવીને બેઠું હતું. પચ્ચીસ ત્રીસ વર્ષ પૂર્વેનો વિચાર, આગળ કામની વ્યસ્તતા, વ્યવહારમાં અને કદાચ નંબર્સમાં રખડી પડેલા. પુસ્તકમાં જ રહેલા પ્રોજેક્ટ ફિલ્મના રૂપમાં મારી સામે ઊભો હતો. પાંચ મિનિટની આ ફિલ્મમાં એક પેઢી પાસેથી બીજી પેઢી પાસે વહેનારા આ સંસ્કારોનો પ્રવાહ દેખાતો હતો. મેં તો મારા મનમાં ગિલ્ડ રૂપમાં રહેલી બાબત ક્યારેય કોઈની સામે બોલી નહોતી. તો પછી તેમને કઈ રીતે ખબર પડી? તેઓ તેની પર જ આધારિત ફિલ્મ કઈ રીતે લાવ્યા? ભુલાયેલી છતાં સબકોન્શિયસ માઈન્ડમાં રહેલી બાબતો આ રીતે માથું ઊચકે છે. મનની સુપ્ત ઈચ્છા યુનિવર્સ પૂર્ણ કરે છે એવું કહેવાય છે તેવું જ કાંઈક આ બન્યું હતું. આપણા ઘરના વડીલો કાયમ કહે છે, `મનમાં કાયમ સારા વિચાર રાખો. બોલતી વખતે પણ સારું બોલો, આપણા ઘરની દીવાલો સાંભળતી હોય છે અને `તથાસ્તુ’ કહે છે.’ હાલમાં તે માટે સરિયામ ઉપયોગ કરાતો શબ્દ એટલે મેનિફેસ્ટેશન છે. અને તેનો અનુભવ આપણા દરેકને ક્યારેક ને ક્યારેક આવે જ છે.
`સંસ્કારોના પ્રવાહ’ આ ફિલ્મનું નામ એવું કહીને તેમણે સ્ક્રિપ્ટ બંધ કરી અને મારા મોઢામાંથી આપમેળે શબ્દ નીકળી પડ્યા, `કરી નાખો ફિલ્મ’ અને ફિલ્મ ખરેખર બહુ સારી બનાવવામાં આવી. યુટ્યુબ ઈન્સ્ટાગ્રામ પર તે સારી રીતે ચાલી રહી છે અને દર્શકોને પણ બહુ ગમી છે એવું તેઓ પોતે જણાવી રહ્યા છે. દરેકને ગત પેઢી યાદ છે, માતા-પિતા અને તેમની મહેનત યાદ છે. આ તે ફિલ્મની મિલકત છે એવું હું કહીશ. આપ્તજનોએ આપણા માટે લીધેલી મહેનતનું ભાન હોવું, તે સંબંધી કૃતજ્ઞતા વ્યક્ત કરવી અને કમસેકમ વર્ષમાં એક વાર તેમને માટે સમય આપવો એટલું પણ જો કરી શક્યા તો ગંગા નાહ્યા એવું કહીશ. કમસેકમ આટલું આપણે કરી શક્યા તો નથિંગ લાઈક ઈટ. આપણા જેવા ભાગ્યવાન આપણે જ.
આ ફિલ્મ આવ્યા પછી અને એક પ્રેક્ષક તરીકે તે જોયા પછી એક બાબત ખાસ જણાઈ કે આપણે બાળકોને મોટી સ્કૂલમાં દાખલ કરીએ છીએ, સારાં પુસ્તકો લાવીએ છીએ, પ્રોજેક્ટ્સ કરવા કહીએ છીએ… જોકે આ ફિલ્મમાં બતાવાય તેમ પ્રત્યક્ષ અનુભવ કરવામાં પાછળ રહીએ છીએ. આગળ ધકેલતા રહીએ છીએ. `પછી જઈશું… સમય મળશે ત્યારે કરીશું…’ એવું કહેતાં કહેતાં વર્ષ નીકળી જાય છે. સંસ્કાર એટલે ફક્ત શાબ્દિક શીખ નથી હોતી પરંતુ સંસ્કાર એટલે એકત્ર વિતાવેલો સમય. એકાદ કિલ્લા પર ઊભા રહીને ત્યાંનો ઈતિહાસ ફિલ્મ પ્રમાણે આંખોની સામે લાવવો. એકાદ બેટલફિલ્ડ પર ઊભા રહીને બાળકોને તે યુદ્ધપ્રસંગ સમજાવીને કહેવો. કેમ? શા માટે? પછી શું થયું? આ પ્રશ્નોનો તેમની સામે ઉકેલ લાવવો, એકાદ નાટકના રંગમંચ પર ટુબી? ઓર નોટ ટુ બી?… સાંભળતી વખતે અંદરથી રોમાંચિત થવું… બાળકોને આ અનુભવ આપવાનું જરૂર છે.પણ તે ઘણી વાર બનતું નથી એ હકીકત છે.મારી બાબતમાં પણ તે બન્યું છે અને મારું ગિલ્ટ વધુ વધી રહ્યું છે આ લખતી વખતે.
જોકે આ ગિલ્ટ સાથે મને વધુ એક બાબત એ જણાઈ કે અમારો વ્યવસાય એકદમ કમર્શિયલ કેટેગરીમાં આવતો હોવા છતાં અમે કુટુંબોને એકત્ર આવવા માટે એક સાધન નિર્માણ કરીએ છીએ. માતા- પિતાઓને બાળકો સાથે યાદો નિર્માણ કરવામાં મદદ કરીએ છીએ. દાદા-દાદીઓને પૌત્રોને દુનિયા બતાવવાની તક આપીએ છીએ. આ ફક્ત વ્યવહાર નથી કે ટ્રાન્ઝેકશન નથી, પરંતુ આ રિલેશનશિપ બિલ્ડિંગ છે. પર્યટકો ટુર વેચાતી લે છે, અમે આઈટિનરી આપીએ છીએ… આટલા પર આ વ્યવસાય ઊભો રહેતો નથી, પરંતુ તે વિશ્વાસ પર ઊભો રહે છે. કારણ કે પ્રવાસ હોય કે પર્યટન આ ભાવનાનો મુદ્દો છે. અન્ન, વસ્ત્ર, છત, શિક્ષણ અને આરોગ્ય આ પાંચ પ્રાથમિક જરૂરતો પછી માણસ પૈસા ખર્ચ કરે છે. પ્રવાસ પર અને પ્રવાસ યાદો માટે કરે છે. ભવિષ્ય માટે સારી-સારી યાદગીરીઓ નિર્માણ કરવી પ્રવાસમાં મહદંશે શક્ય બને છે. જુઓ ને, મિત્રો ભેગા થયા પછી આપણે વધુમાં વધુ ચર્ચા અને ગપ્પા અગાઉના અને આગોતરા પ્રવાસ-પર્યટન વિશે હોય છે. યાદો આવા સમયે વહી આવે છે અને આ યાદો એટલેજ સંસ્કારના પ્રવાહ.
અમે જ્યારે આ યાદો નિર્માણ કરવાનું `વન ઓફ ધ સાધન’ હોઈએ ત્યારે અમને જાણ હોવી જોઈએ કે દરેક કુટુંબે પ્રવાસ માટે બચત કરેલાં તેમના મહેનતના પૈસા, પ્રયાસોથી મેળવી અથવા લીધેલી રજાઓ, બાળકોની શાળાની રજાઓ સાથે સુમેળ સાધવો, દાદા- દાદીની તબિયત સંભાળીને કરેલી તૈયારીઓ… આવી અનેક બાબતો છે. તે એ કુટુંબ માટે ફક્ત એક હોલીડે નથી હોતી, પરંતુ એક સપનું હોય છે અને અમારી આખી વીણા વર્લ્ડ ટીમનો મનઃપૂર્વક પ્રયાસ હોવા જોઈએ તે સપનાને સંપૂર્ણપણે ન્યાય આપવાના, પર્યટકોને રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ પરફેક્ટ્લી આપવાના. અમારી વીણા વર્લ્ડમાં આ સંસ્કારનો પ્રવાહ સતત વહેતો રહેવો જોઈએ.
આ ફિલ્મ અથવા મેનિફેસ્ટેશન પરથી એવું લાગ્યું કે આપણને જે મનથી મહેસૂસ થાય છે, જે પ્રામાણિક હોય છે, તેમાં કોઈનું ખરાબ વિચારેલું નહીં હોય, જ્યારે હેતુ સ્વચ્છ હોય ત્યારે તે કદાચ તે ક્ષણે થશે નહીં, પરંતુ તે ક્યાંક મનના ખૂણામાં મુકામ કરીને રહે છે અને યોગ્ય સમયે કોઈક ને કોઈક રૂપમાં તે પાછું આવશે અથવા આવી રહ્યું છે, ક્યારેક સ્ક્રિપ્ટ બનીને, ક્યારેક ફિલ્મ બનીને, ક્યારેક દર્શકોની આંખોમાં આંસૂ બનીને અથવા ક્યારેક પર્યટકોના ચહેરા પરનો આનંદ બનીને. મારા માટે આ ફક્ત બ્રાન્ડ ફિલ્મ નથી, પરંતુતે મારા જીવનની અધૂરી બાબતોની સૌમ્યપૂર્ણતા છે.
ક્યારેક ક્યારેક વિચાર આવે છે કે આપણે બાળકોને શું આપી શકીએ? સંપત્તિ, સ્થિરતા, સુરક્ષિતતા, શિક્ષણ, આરોગ્ય… જોકે આ બધું તો કરવું જ પડે છે આપણા દરેકે પોતાની હેસિયત પ્રમાણે. આ ઉપરાંત આપણે સૌથી સારી બાબત જો કોઈ બાળકોને આપી શકીએ એમ હોઈએ તો તે છે `દ્રષ્ટિ.’ દુનિયા પાસે જોવાની, ઈતિહાસ સમજી લેવાની, માણસોની કથા સાંભળવાની અને તેમાંથી પોતાની દુનિયા ઘડવાની દ્રષ્ટિ. એકાદ કિલ્લો બતાવતી વખતે આપણે તેમને ફક્ત પથ્થર બતાવતા નથી, પરંતુ આપણે તેમને ધીરજ બતાવીએ છીએ. એકાદ નાટક બતાવતી વખતે આપણે ફક્ત કલાકાર બતાવતા નથી, પરંતુ આપણે વિચારોની પરંપરા બતાવીએ છીએ. પ્રવાસ એટલે ફક્ત એક ઠેકાણાથી બીજા ઠેકાણે જવું એવું નથી, પરંતુ તે દ્રષ્ટિકોણ વ્યાપક બનાવતો એક ઉત્તમ ઉપાય છે. અને એક વારમન મોટું થાય, ત્યાં સંસ્કારના પ્રવાહ વહેવાનું શરૂ થઈ જ જતું હોય છે.
સંસ્કારના પ્રવાહ આ નામમાં મને બહુ મોટું તત્ત્વજ્ઞાન દેખાય છે. પ્રવાહ ક્યારેય ધડધડ વહેતો નથી. તે શાંત હોય છે, પણ તેમાં સાતત્યતા હોય છે. સંસ્કારનું પણ આવું જ હોય છે. તે મોટા ભાષણોમાંથી આવતા નથી, પરંતુ રોજિંદી કૃતિમાંથી આવે છે. એકાદ કિલ્લાના તટ પર ઊભા રહીને `અહીં શિવાજી મહારાજ ઊભા રહ્યા હશે એવું કહેનારા પિતા, એકાદ મ્યુઝિયમમાં બાળકના હાથમાં હાથ પરોવીને ઈતિહાસ સમજાવતી માતા… એકાદ થિયેટરમાં બેસીને આ જો શેક્સપિયર અહીં જીવ્યા એવું કહેનારો બાળક…’ આ ક્ષણ એટલે સંસ્કારના પ્રવાહ હોય છે અને તે સતત વહેતા રહેવા દો. આપણે નજીક ઊભા રહેવાનું, પાણી સ્વચ્છ રાખવાનું, આગળની પેઢીને હાથ બોળવા દેવાના, બાકી પ્રવાહ પોતાનો માર્ગ શોધી જ કાઢે છે.
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
નવી દિલ્હીઃ અમેરિકા–ઈરાન યુદ્ધનો અસર માત્ર તેલ કંપનીઓ સુધી મર્યાદિત નથી રહ્યો. હવે તેની અસર ભારતના બાસમતી ચોખાના બજાર પર પણ જોવા મળી રહી છે છેલ્લા 72 કલાકમાં આ પ્રીમિયમ અનાજના ભાવમાં લગભગ 7–10 ટકા સુધી ઘટાડોનો નોંધાયો છે. તેનું મુખ્ય કારણ મધ્ય-પૂર્વ (Middle East) તરફ થતો નિકાસ અવરોધિત થવો છે, કારણ કે આ વિસ્તાર ભારતીય બાસમતીનું સૌથી મોટું બજાર માનવામાં આવે છે.
ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો અને નિષ્ણાતોનું માનવું છે કે શિપમેન્ટમાં આવી મંદી કારણે વધુ માલ ઘરેલુ બજારમાં મોકલાઈ રહ્યો છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે, તો ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.
ભારતીય બંદરો પર લાખો ટન બાસમતી ચોખા અટક્યા
નિકાસકારોના જણાવ્યા મુજબ લગભગ 2 લાખ ટન બાસમતી ચોખા ભારતીય બંદરો પર અટવાઈ ગયા છે, જ્યારે લગભગ 2 લાખ ટન ચોખા ટ્રાન્ઝિટમાં જ અટકી ગયા છે, કારણ કે જહાજો મધ્ય-પૂર્વના મુખ્ય શિપિંગ માર્ગોને ટાળી રહ્યા છે. ઓલ ઇન્ડિયા રાઈસ એક્સપોર્ટર્સ એસોસિયેશનના અધ્યક્ષ સતીશ ગોયલે જણાવ્યું હતું કે નિકાસમાં આવતી મુશ્કેલીઓને કારણે હાલ બંદરો અને પરિવહન દરમિયાન મળીને લગભગ 4 લાખ ટન બાસમતી ચોખા અટવાઈ ગયા છે.
મધ્ય-પૂર્વ ભારતીય બાસમતીનું સૌથી મોટું બજાર
ક્રિસિલ રેટિંગ્સ અનુસાર ગયા નાણાકીય વર્ષમાં ભારતમાંથી નિકાસ થયેલા લગભગ 6 મિલિયન ટન બાસમતી ચોખામાંથી 70–72 ટકા હિસ્સો મધ્ય-પૂર્વ અને પશ્ચિમ એશિયાના દેશોમાં મોકલાયો હતો. આ દેશોમાં બાસમતી ચોખા મુખ્ય ખાદ્યપદાર્થ તરીકે ઉપયોગમાં લેવાય છે અને તેની માગનો મોટો ભાગ આયાતથી પૂરો થાય છે. ક્રિસિલે જણાવ્યું કે તાજેતરની પરિસ્થિતિને કારણે શિપમેન્ટમાં વિલંબ થઈ શકે છે અને નજીકના સમયમાં બાસમતી ચોખાના વેપારના પ્રમાણ પર અસર પડી શકે છે.
જો સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહે, તો આ વિસ્તારોમાંથી ચુકવણીમાં વિલંબ થવાની શક્યતા છે, જેને કારણે નિકાસકારો માટે કાર્યકારી મૂડી (Working Capital)નું ચક્ર લાંબું થઈ શકે છે. જોકે નિકાસકારોની મજબૂત બેલેન્સ શીટને કારણે તેમની શાખ પર મોટી અસર થવાની શક્યતા ઓછી માનવામાં આવે છે.
માલ વહન ખર્ચ બે ગણો થયો
મુખ્ય સમુદ્રી માર્ગોને ટાળવાને કારણે માલ વહનનો ખર્ચ લગભગ બે ગણો થઈ ગયો છે. અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર હુમલા બાદ ખાડી વિસ્તારમાં વધેલા તણાવના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
નવી દિલ્હીઃ ઉત્તરાખંડની પ્રસિદ્ધ ચારધામ યાત્રા માટે રાહ જોઈ રહેલા ભક્તો માટે સારા સમાચાર છે. આજથી ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. શુક્રવારે સવારે સાત વાગ્યાથી શ્રદ્ધાળુઓ મોબાઈલ એપ દ્વારા પોતાનું રજિસ્ટ્રેશન કરી શકશે. આગામી મહિને કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામોની યાત્રા શરૂ થવાની છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર યાત્રામાં ભાગ લે છે અને આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજિસ્ટ્રેશન ક્યારે શરૂ થશે
આધિકારીક નિવેદન અનુસાર 6 માર્ચે સવારે સાત વાગ્યાથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થયું છે. શ્રદ્ધાળુઓ માટે ઓફલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા પણ જલદી શરૂ કરવામાં આવશે. ચારધામ યાત્રા શરૂ થવાના બે દિવસ પહેલા એટલે કે 17 એપ્રિલથી ઓફલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે. તેના માટે ઋષિકેશ, હરિદ્વાર અને દહેરાદૂનમાં ખાસ રજિસ્ટ્રેશન કાઉન્ટર બનાવવામાં આવશે. સરકાર દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે અનેક અન્ય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે.
ચારધામ યાત્રા ક્યારે શરૂ થશે
આ વર્ષે ચારધામ યાત્રાની શરૂઆત 19 એપ્રિલે અક્ષય તૃતીયાના શુભ પ્રસંગે થશે. આ દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવશે. ત્યાર બાદ 22 એપ્રિલે કેદારનાથ મંદિરના કપાટ ખૂલશે, જ્યારે તેના બીજા દિવસે એટલે કે 23 એપ્રિલે બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવશે.
ચારધામ યાત્રામાં ભક્તો ચાર મુખ્ય તીર્થસ્થળો — કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી —નાં દર્શન કરે છે. હિંદુ ધર્મમાં આ યાત્રાને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. સામાન્ય રીતે ચારધામ યાત્રા એપ્રિલથી નવેમ્બર વચ્ચે યોજાય છે. શિયાળાની ઋતુમાં ભારે હિમવર્ષાને કારણે મંદિરોના કપાટ બંધ કરવામાં આવે છે. દર વર્ષે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે અને આ વર્ષે પણ લોકો અત્યારથી જ પોતાની યાત્રાની તૈયારીમાં લાગી ગયા છે.
નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી ગઈ છે. EDએ શુક્રવારે તેમની કંપની રિલાયન્સ પાવર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુંબઈ અને હૈદરાબાદમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. અધિકારીઓના જણવ્યા મુજબ એજન્સીની લગભગ 15 ટીમો આ કાર્યવાહી કરી રહી છે અને કંપની તથા તેના અધિકારીઓ સાથે જોડાયેલા અંદાજે 10થી 12 સ્થળોની તપાસ ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યવાહી કથિત બેંક ફ્રોડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ હેઠળ કરવામાં આવી રહી છે. ED આ કેસમાં અનિલ અંબાણી સાથે જોડાયેલી અનેક કંપનીઓના નાણાકીય વ્યવહારો અને સંભવિત અનિયમિતતાઓની તપાસ કરી રહી છે.આ પહેલાં પણ ADAG ગ્રુપની વિવિધ કંપનીઓ તપાસના ઘેરામાં રહી ચૂકી છે. તપાસ એજન્સીઓ બેંકો પાસેથી લેવામાં આવેલા લોનના ઉપયોગ, ફંડ ડાયવર્ઝન અને અન્ય નાણાકીય ગેરરીતિઓ અંગે માહિતી એકત્રિત કરી રહી છે. હાલ આ દરોડા ચાલુ છે અને ED તરફથી સત્તાવાર નિવેદન હજી બહાર આવ્યું નથી. આ પહેલાં પણ અનિલ અંબાણીની આરકોમ (RCOM) પર દરોડાની કાર્યવાહી થઈ ચૂકી છે.
2019થી અનેક કાનૂની કેસોમાં ફસાયેલી આરકોમ
આરકોમ પહેલાથી જ નાદારી પ્રક્રિયામાં છે અને કંપની 2019થી અનેક કાનૂની કેસોમાં ફસાઈ ગઈ છે. અનિલ અંબાણી ગ્રુપની અન્ય કંપનીઓ જેમ કે રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ પણ તપાસના ઘેરામાં છે.EDએ અગાઉ 40થી વધુ સંપત્તિઓ અટેચ કરી હતી, જેના મૂલ્ય રૂ. 3000 કરોડથી વધુ હોવાનું જણાવાયું હતું. હાલમાં દરોડા ચાલુ છે અને ED તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ વધુ તેજ કરવામાં આવી છે અને આગળ પણ વધુ કાર્યવાહી થઈ શકે છે.
અનિલ અંબાણીની કંપનીઓ આ આરોપોને નકારી રહી છે અને કહે છે કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહી છે. આ ઘટના અનિલ અંબાણી ગ્રુપ સામે વિવિધ એજન્સીઓ — ED, CBI અને SFIO — દ્વારા ચાલી રહેલી તપાસનો ભાગ છે, જેમાં કુલ ફ્રોડ રકમ રૂ. 40,000 કરોડથી વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ અમેરિકાએ વૈશ્વિક ઊર્જા પુરવઠો અને ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને ધ્યાનમાં રાખીને ભારતીય રિફાઈનરીઓને રશિયન તેલ ખરીદવા માટે તાત્કાલિક 30 દિવસની છૂટ આપવાનો નિર્ણય લીધો છે, એમ અમેરિકાના નાણાપ્રધાન સ્કોટ બેસેન્ટે ગુરુવારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય વિચારવિમર્શ પછી લેવામાં આવ્યો છે અને તેનો હેતુ માત્ર સમુદ્રમાં પહેલેથી જ ફસાયેલા ક્રૂડના વ્યવહારોને મંજૂરી આપવાનો છે, જેથી રશિયન સરકારને મોટો નાણાકીય લાભ ન થાય.
બેસેન્ટે ‘X’ પર લખ્યું હતું કે ભારત અમેરિકા માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને આશા છે કે નવી દિલ્હી અમેરિકન ઓઇલની ખરીદીમાં વધારો કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ તાત્કાલિક છૂટ ઇરાન દ્વારા વૈશ્વિક ઊર્જા પુરવઠાને અવરોધવા માટે કરાયેલા પ્રયાસોથી ઊભા થયેલા દબાણને ઘટાડવામાં મદદરૂપ થશે. તેમણે અમેરિકામાં ઊર્જા ઉત્પાદન સૌથી ઊંચા સ્તરે પહોંચ્યાનો પણ ઉલ્લેખ કર્યો અને તેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઊર્જા એજન્ડાનું પરિણામ ગણાવ્યું.
વિશેષજ્ઞોને મતે આ તાત્કાલિક છૂટથી માત્ર ભારતને ઓઇલની સપ્લાય સુનિશ્ચિત થશે. એટલું જ નહીં, પરંતુ વૈશ્વિક ઓઇલ બજારમાં સંતુલન જાળવવામાં પણ મદદ મળશે. અમેરિકાનું આ પગલું વૈશ્વિક ઊર્જા સુરક્ષા અને વ્યૂહાત્મક ભાગીદારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે વેપાર અને ઊર્જા સહકાર વધુ મજબૂત બની શકે છે.
President Trump’s energy agenda has resulted in oil and gas production reaching the highest levels ever recorded.
To enable oil to keep flowing into the global market, the Treasury Department is issuing a temporary 30-day waiver to allow Indian refiners to purchase Russian oil.…
— Treasury Secretary Scott Bessent (@SecScottBessent) March 6, 2026
ભારતની સરકારી રિફાઈનરીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિંદુસ્તાન પેટ્રોલિયમ અને મેંગલોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ રશિયાથી ક્રૂડ તાત્કાલિક મગાવવા માટે ટ્રેડર્સ સાથે ચર્ચા કરી રહી છે. આ રિફાઈનરીઓ અત્યાર સુધીમાં લગભગ બે કરોડ બેરલ રશિયન તેલ ખરીદી ચૂકી છે.
મિડલ ઈસ્ટમાં ચાલતા તણાવ વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા અંગે સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રો મુજબ હાલ ભારત પાસે 25 દિવસનો કાચા તેલનો ભંડાર ઉપલબ્ધ છે. ઉપરાંત 25 દિવસ જેટલો પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક પણ ઉપલબ્ધ છે. કુલ મળીને દેશમાં લગભગ આઠ અઠવાડિયા જેટલા કાચા તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો જથ્થો ઉપલબ્ધ છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતનું માત્ર 40 ટકા ક્રૂડ જ હોર્મુઝ જળસંધિ મારફતે આવે છે, જ્યારે બાકીના 60 ટકા ક્રૂડની આયાત અન્ય સ્રોતોથી થાય છે.
ઈઝરાયલ-ઈરાન-અમેરિકા સંઘર્ષ રોમાંચક સ્પાય-થ્રિલર જેવો ભયાનક અને જટિલ બની ગયો છે ત્યારે ઈરાનની પશ્ચાદભૂમાં બનેલી ફિલ્મો, સિરીઝ યાદ આવવી સ્વાભાવિક છે.
જેમ કે ‘અરગો.’ 2012માં ફાંકડા એક્ટર બૅન અફ્લેક દિગ્દર્શિત આ ફિલ્મમાં તેહરાનની યુએસ એમ્બેસીમાં ફસાયેલા છ કર્મચારીને છોડાવવા સીઆઈએ એક યોજના બનાવે છે. ટોની મેન્ડેઝ (બૅન અફ્લેક) અને સાથીદારો હોલિવૂડના ફિલ્મસર્જક બનીને ઈરાન-તેહારન જાય છે. એમ્બેસીનો કબજો લઈ બેઠેલા ઈરાનના બળવાખોરોને એવું કહેવામાં આવે છે કે અમે ફિલ્મનું લોકેશન પસંદ કરવા આવ્યા છીએ. લોસ એન્જલિસ, વોશિંગ્ટન, ઈસ્તનબુલમાં શૂટ થયેલી આ ફિલ્મ ઈરાનમાં રિલીઝ થઈ નહોતી, પણ એની પાઈરેટેડ ડીવીડી ધૂમ વેચાઈ હતી.
(બેન અફ્લેકની ‘અરગો’)
2011માં આવેલી ‘હોમલેન્ડ’ની ત્રીજી સીઝન સંપૂર્ણપણે ઈરાન પર કેન્દ્રિત હતી. આમાં સીઆઈએ દ્વારા ઈરાનના ઈન્ટેલિજન્સ ચીફને બદલવાની એક મોટી અને જોખમી કામગીરી બતાવવામાં આવી છે. આ ઉપરાંત ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને તેના પર લાગેલા પ્રતિબંધો વિશેની વૈશ્વિક ચર્ચાઓને વાર્તામાં વણી લેવામાં આવી છે.
હિંદી સિનેમાની વાત કરીએ તો, 2023માં આવેલી ‘અકેલી’માં ઈરાનની તો નહીં, પણ ઈરાકની વાત હતી. આ ફિલ્મમાં નુસરત ભરૂચા એક સામાન્ય ભારતીય યુવતી (જ્યોતિ)નું પાત્ર ભજવે છે, જે મોસુલ શહેરની ગારમેન્ટ ફેક્ટરીમાં નોકરી કરવા જાય છે, પણ એ જે સમયે મોસુલમાં હોય છે ત્યારે આતંકવાદી સંગઠન એ શહેર પર હુમલો કરે છે અને તેને કેદી બનાવી લે છે. નરક જેવી યાતનામાંથી એ એકલી કેવી રીતે બચીને નીકળે છે તેના સંઘર્ષની વાત છે. ‘હોમલેન્ડ’ની જેમ પ્રણય મેશરામ દિગ્દર્શિત ‘અકેલી’માં પણ યુદ્ધગ્રસ્ત વિસ્તારની ભયાનકતા અને માનવીય સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. ફિલ્મ જોવાલાયક છે. જિયો સિનેમા અથવા જિયો હોટસ્ટાર પર જોઈ શકાય.
(‘અકેલી’)
ગયા વર્ષે આવેલી, દિલ્હી, મુંબઈ, તેહરાન અને ગ્લાસગોમાં શૂટ થયેલી જોન અબ્રાહમની તેહરાનમાં ભારત, ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના જટિલ સંબંધો અને જાસૂસીની રમત બતાવવામાં આવી છે.
જોન અબ્રાહમની ‘તેહરાન’ની વાત નીકળે ને ‘તેહરાન’ વેબ સિરીઝની વાત ન કરીએ તો એ નાઈન્સાફી ગણાશે. 2020માં ‘ઍપલ ટીવીપ્લસ’પર આવેલી આ સિરીઝ અને વર્તમાન ભૌગોલિક-રાજકીય (જિઓપોલિટિકલ) તણાવ વચ્ચે ઘણી સમાનતા છે. ઈઝરાયલની સિક્રેટ એજન્સી ‘મોસાદ’ની કાર્યપદ્ધતિ પર આધારિત ‘તેહરાન’માં સર્જકોએ માત્ર મારધાડ જ નથી રાખી, પણ માઈન્ડ ગેમ પણ દેખાડી છે.
પ્લોટ કંઈ આવો છેઃ યુવા યહૂદી તમાર રબિન્યાન જન્મી ઈરાનમાં પરંતુ ઉછેર ઈઝરાયલમાં થયો. તમાર મોસાદની એક નિષ્ણાત કમ્પ્યુટર હેકર છે. ‘મોસાદ’ એને ઈરાનની રાજધાની તેહરાનમાં છૂપા વેશે મોકલે છે, જ્યાં એણે ન્યુક્લીઅર રિએક્ટરને ખોરવી નાખવાનું છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે, જ્યારે મિશન નિષ્ફળ જાય છે, તમાર તેહરાનમાં ફસાઈ જાય છે.
મને આ સિરીઝ એટલા માટે ગમી કેમ કે એમાં માત્ર જાસૂસી નથી, પણ અસ્તિત્વની ખોજ પણ છે. તમાર તેહરાનમાં પોતાના ભૂતકાળ ઈરાની સંસ્કૃતિ પ્રત્યે ખેંચાણ અનુભવે છે. વળી સર્જકોએ આમાં માનવીય પાસાં પણ બતાવ્યાં છે. જેમ કે ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ, જેને સેપાહ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ઈરાનનાં સશસ્ત્ર દળોની એક વિશિષ્ટ શાખા છે. ગાર્ડના ઈન્વેસ્ટિગેટિવ ઑફિસર ફરાજ કમાલીના પાત્રાલેખનમાં દુશ્મન દેશની જાસૂસની નિષ્ઠા પ્રત્યે આદર અને પારિવારિક લાગણીઓને વણી લેવામાં આવી છે.
‘તેહરાન’ સિરીઝમાં જે પ્રકારના સાયબર એટેક અને હવાઈ હુમલાની કલ્પના કરવામાં આવી હતી, તે આજે વાસ્તવિકતા બની રહી છે. વેબ સિરીઝમાં જે રીતે તમાર રબિન્યાન કમ્પ્યુટર સિસ્ટમ હેક કરે છે, એ જ રીતે વાસ્તવિક યુદ્ધમાં પણ ઈરાનની પાવર ગ્રીડ અને કમ્યુનિકેશન ચૅનલ પર સાયબર હુમલાના સમાચાર છે.
તેહરાનના સર્જકોનું માનવું છે કે એ પરદા પર જે બતાવે છે એવું થોડા જ સમયમાં સમાચારમાં જોવા મળે છે. જેમ કે, પરમાણુ મથકોનો નાશ, ઈરાનનો ન્યુક્લીઅર પ્રોગ્રામ અટકાવવો. આ માટે સાયબર એટેક અને ગ્રાઉન્ડ ઈન્ટેલિજન્સ, ડ્રોન, મિસાઈલ અને અદ્યતન સાયબર વોર… સંઘર્ષથી આમ જનતા અને એજન્ટોની જિંદગી પર અસર, મિડલ ઈસ્ટના આકાશમાં ઊડતાં વિમાનો જમીન પર, અને તેલના ભાવમાં ઉછાળો.
‘તેહરાન’ જેવી સિરીઝ આપણને સમજાવે છે કે મિડલ ઈસ્ટમાં ચાલતાં યુદ્ધમાં કોઈ એક પક્ષ સંપૂર્ણ વિજેતા હોતો નથી, પણ એનાં પરિણામ આખી દુનિયાએ ભોગવવાં પડે છે.
‘તેહરાન’ સિરીઝની અત્યાર સુધીમાં ૩ સીઝન અથવા ત્રણ પાર્ટ આવી ગયા છે. 2020માં આવેલી પહેલી સીઝનથી જબરદસ્ત શરૂઆત થઈ, જેમાં એજન્ટ તમાર રબિન્યાન કેવી રીતે ઈરાન પહોંચી અને તેહરાનમાં ફસાઈ ગઈ એ દર્શાવવામાં આવ્યું. ૨૦૨૨માં સીઝન ૨ આવી, જેમાં હોલીવૂડ અભિનેત્રી ગ્લેન ક્લોઝની એન્ટ્રી થઈ, જેણે સિરીઝને વધુ રોમાંચક બનાવી દીધી. તે પછી, લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ, આ વર્ષના જાન્યુઆરીમાં ત્રીજી સીઝન આવી, જેમાં પ્રખ્યાત અભિનેતા હ્યુ લૌરીનો પ્રવેશ થયો, જે ‘હાઉસ’ સિરીઝ માટે જાણીતો છે. ત્રીજી સીઝનનો છેલ્લો એપિસોડ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ પ્રસારિત થયો.
હવે, ઍપલ ટીવીપ્લસે ચોથી સીઝનની સત્તાવાર જાહેરાત કરી છે. હાલ એનું કામ ચાલી રહ્યું છે, પણ એ ક્યારે આવશે એ કહી શકાય નહીં. કેમ કે હાલ ચાલી રહેલા વાસ્તવિક ઈઝરાયલ-ઈરાન સંઘર્ષના પગલે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
જો કે રિયલ લાઈફમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે ‘તેહરાન’નાં નિર્માત્રી, ગ્રેમીવિજેતા ડાના એડનનું ગયા મહિને મોત થયું. 15 ફેબ્રુઆરી, 2026ના રોજ એ એથેન્સની એક હોટેલમાં મૃત હાલતમાં મળી આવ્યાં. બાવન વર્ષી ડાનાબહેન ‘તેહરાન’ની ચોથી સીઝનના શૂટિંગ માટે ત્યાં ગયેલાં. ગ્રીક પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. શરૂઆતના રિપોર્ટ્સમાં તેને આત્મહત્યા ગણાવવામાં આવી, પરંતુ તેમના શરીર પર મળેલા ઉઝરડા અને અન્ય સંજોગોને કારણે મિડિયામાં જાતજાતની અટકળો અને ભેદી વાતો વહેતી થઈ. સીરીઝના વિષય (મોસાદ અને ઈરાન)ના કારણે એવી અફવાઓ પણ ઊડી કે આમાં કોઈ વિદેશી હાથ હોઈ શકે.
દરમિયાન, સીઝન-૩માં વાર્તા એવા વળાંક પર છે કે, તમાર રબિન્યાન માટે ઈઝાયલ પાછા ફરવું અને જીવતા રહેવું વધુ મુશ્કેલ બની ગયું છે. ચોથી સીઝનમાં નવાં પાત્રો અને વધુ ઘાતક મિશન જોવા મળશે એવી અપેક્ષા તો છે.