Home Blog Page 2021

સુધા મૂર્તિ પહોંચ્યાં રાજ્યસભાઃ PMએ કર્યું સ્વાગત

નવી દિલ્હીઃ જાણીતાં લેખિકા સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. સુધા મૂર્તિને 2006માં સામાજિક કાર્ય માટે ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2023માં તેમને ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
બિઝનેસ મેન અને ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિનાં પત્ની અને મશહૂર લેખિકા સુધાને રાજ્યસભા માટે નોમિનેટ બનાવવામાં આવ્યાં છે. પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે (8 માર્ચ) સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર તેની માહિતી આપી છે. તેમણે કહ્યું હતું  કે મને ખુશી છે કે ભારતનાં રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિજીને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં સુધાજીનું યોગદાન અજોડ અને પ્રેરણાદાયી છે. રાજ્યસભામાં તેમની હાજરી એ એક પ્રમાણપત્ર છે. આપણી ‘મહિલા શક્તિ’ માટે.’ આપણા દેશની નિયતિ ઘડવામાં મહિલાઓની શક્તિ અને ક્ષમતાનો એક શક્તિશાળી પ્રમાણપત્ર છે. હું તેમના સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું.

વડા પ્રધાને  પોસ્ટમાં લખ્યું હતું કે ભારતની રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિને રાજ્યસભા માટે મનોનિત કર્યા છે. રાજ્યસભામાં તેમની હાજરી નારી શક્તિનું શક્તિશાળી પ્રમાણ છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણના ક્ષેત્રમાં ઉત્તેજન આપનાર છે. સુધા મૂર્તિ કન્નડ અને અંગ્રેજી સાહિત્યમાં તેમના યોગદાન માટે જાણીતાં છે. લેખિકા હોવા ઉપરાંત તે એક શિક્ષક અને સામાજિક કાર્યકર પણ છે. સુધા મૂર્તિ ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં ભૂતપૂર્વ ચેરપર્સન પણ રહી ચૂક્યા છે.

કોણ છે સુધા મૂર્તિ?

સુધા મૂર્તિ ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં ચેરપર્સન તેમ જ શિક્ષક અને લેખક છે. તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. તેમનો જન્મ 19 ઓગસ્ટ, 1950એ શિગાંવમાં થયો હતો. તેણે 1978માં ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્રી અક્ષરા મૂર્તિ છે જે બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકની પત્ની છે. સુધા મૂર્તિના પુત્રનું નામ રોહન મૂર્તિ છે. 74મા પ્રજાસત્તાક દિવસના અવસર પર તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

 

 

 

રાજસ્થાનમાં શિવયાત્રામાં કરંટ લાગવાથી 14 બાળકો દાઝ્યા

કોટાઃ રાજસ્થાનના કોટાથી એક મોટી દુર્ઘટનાના બની રહ્યા છે. અહીં શિવ શોભાયાત્રામાં ઇલેક્ટ્રિક શોક લાગવાથી 14 બાળકો દાઝી ગયા હતા. આ દુર્ઘટનાને કારણે ચારે તરફ ચીસાચીસ થઈ હતી. લોકો આ બાળકોને લઈને હોસ્પિટલ તરફ દોડતા ગયા હતા.  હાલ તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

કોટામાં બધાં બાળકોની સારવાર માટે MBS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ બાળકોની હાલત અત્યંત ગંભીર છે. આ ઘટના બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી, હાલમાં પોલીસ ફોર્સ અને એમ્બ્યુલન્સ વાહનો ઘટનાસ્થળે હાજર છે. આસપાસના લોકો ગભરાટમાં છે.

આ ઘટના કુન્હાડી થર્મલ ચાર રસ્તાની પાસે બપોરે આશરે 12.30 કલાકે બની હતી. ડોક્ટરો આ બાળકોની સારવાર કરી રહ્યા છે. આ ઘટના સક્તપુર કાળી વસતિમાં શિવયાત્રા દરમ્યાન બની હતી. આ દુર્ઘટનામાં હાઇટેન્શન વીજળીના તાર બહુ નીચે છે.એને કારણે 14 બાળકો કરંટની ચપેટમાં આવ્યા હતા અને રસ્ત પર એક ખાડો પણ થયો હતો. આ દુર્ઘટના વીજ વિભાગની બેદરકારીને કારણે થયો હતો. એની બેદરકારીની સજા બાળકોને મળી રહી છે.

 

 

 

 

 

શૈતાનઃ વશીકરણનું દ્રશ્યમ્-અદ્રશ્યમ્

ઓપનિંગ ક્રેડિટ્સમાં “મૂલ કહાની કે લેખક ક્રિશ્ન દેવ યાજ્ઞિક” એવું વાંચીને મેં બાજુમાં બેઠેલા સમીક્ષકમિત્રને કોણી મારી… હિતેનકુમાર-હિતુ કનોડિયા-નીલમ પંચાલ-જાનકી બોડીવાલા-અંશને ચમકાવતી, ક્રિશ્નદેવ યાજ્ઞિક-કે.ડી. લિખિત-દિગ્દર્શિત અને કેદાર-ભાર્ગવના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકવાળી ‘વશ’ ગયા વર્ષે ઓલમોસ્ટ આ જ સમયે આવીને ધૂમ મચાવી ગયેલી. એના પરથી સર્જાયેલી ‘શૈતાન’ આજે (8 માર્ચે રિલીઝ) થઈ.

સ્ટોરીટાઈમઃ ધૂમ કમાણી કરતો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કબિર (અજય દેવગન) પરિવાર સાથે વરસાદી વીકએન્ડ માણવા શહેરથી દૂર આવેલા પોતાના ફાર્મ હાઉસ પર જાય છે. પરિવારમાં છે પત્ની જ્યોતિ (જ્યોતિકા), ટીનેજ લાડલી જાહ્નવી (જાનકી બોડીવાલા), જરા વહેલો મોટો (ઓવરગ્રોન) થઈ ગયેલો, પ્રેક્ષકને ઈરિટેટ કરતો આઠ-વર્ષી નાનકો ધ્રુવ (અંગદ રાજ)… શહેરથી જંગલ વચાળે આવેલા ફાર્મ હાઉસ જતાં વાટમાં ધાબા પર મળેલો વનરાજ (આર. માધવન્) બંગલા સુધી આવી ચડે છે કેમ કે એના ફોનની બૅટરી ડેડ છે. પંદરેક મિનિટના ચાર્જિંગ બાદ જતો રહેશે એવું એ કહે છે, પણ એ જવાનું નામ જ નથી લેતો. આટલું જ નહીં, પણ કબીરની લાડલી જાહ્નવી (જાનકી બોડીવાલાએ) ડરામણા વનરાજનો સાથ આપવા માંડે છે, એ કહે એમ કરે છેઃ ચાની ભૂકી ફાંકી જાય છે, પોતાના ગાલે તમાચા મારે છે, ચાકુથી મમ્મી-પપ્પા પર વાર કરે છે, કેમ કે વનરાજે એની પર વશીકરણ કર્યું છે. વનરાજ પોતાને સર્વશક્તિમાન ઈશ્વર ગણાવે છે. એ જાહ્નવીને ને પોતાની સાથે લઈ જવા માગે છે, માતા-પિતા વહાલસોયી પુત્રીને છોડવા તૈયાર નથી અને છેડાય છે સારા-ખરાબનું દ્ધંદ્ધ. ડિરેક્ટર વિકાસ બહલે હિંદી ફિલ્મ સર્જી છે. સંગીતકાર કેદાર-ભાર્ગવનું સ્થાન લીધું છે અમીત ત્રિવેદીએ.

મૂળ કૃતિમાં દીકરીની ભૂમિકા ભજવનારી જાનકી બોડીવાલાએ રિમેકમાં પણ એ જ ભૂમિકા ભજવી છે. વનરાજનો પડ્યો બોલ ઝીલી લેતી વખતે એના ચહેરાના હાવભાવ, અંગભંગિમા સંવાદ વગર ઘણું બધું કહી જાય છે. અને વનરાજ કરતાં પ્રતાપ (હિતેનકુમાર) બેટર (કહો કે ડરામણા) હતા. માધવન્ સારો અદાકાર હોવા છતાં અહીં નથી જામતો. અજય-જ્યોતિકા સરસ.

બે શબ્દ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને કૅમેરાવર્ક (સુધાકર રેડ્ડી) વિશે. આમ તો કોઈ બી ફિલ્મમાં બન્ને મહત્વનાં હોય, પણ હૉરર, સાઈકૉલૉજિકલ થ્રિલરમાં પ્રેક્ષકને જકડી રાખવાની જવાબદારી એમની પર હોય. ઉદાહરણ તરીકે માધવનની એન્ટ્રીવાળો સીન. એ વેળાએ કૅમેરાએન્ગલ અને મ્યુઝિક પ્રેક્ષકને હિન્ટ આપી દે છે કે આ માળોહાળો કંઈ કરવાનો છે. બીજો સીન. કાળી રાત ને ધોધમાર વરસાદમાં બંગલામાં કંઈ બન્યું છે કે એ ચેક કરવા પુલીસ અફ્સર કૉન્સ્ટેબલ સાથે બંગલા પર આવે છે. સામે પરિવારે એવું વર્તન કરવાનું છે કે ઘરમાં બધું નોર્મલ છે. તમે ખુરશીમાં ઉભડક થઈ જાવ છોઃ હમણાં કંઈ બનશે. એક સીનમાં ફાર્મ હાઉસના સ્વિમિંગ પૂલમાં તરતા રબરના મગર પર મંડરાયેલો કૅમેરા અને મ્યુઝિક પણ વાતાવરણ સૅટ કરી આપે છે.

ઓલરાઈટ. ‘શૈતાન’ સામે મારો મૂળભૂત વાંધો છે પટકથા (આમિલ કિયાન ખાન). પટકથાનાં બાકોરાં (જે વર્ણવવામાં સ્પોઈલરનો ભય છે). ઓકે, આ જુઓઃ વનરાજનો મોટિવ અથવા એ જે કંઈ કરે છે એ શું કામ કરે છે એ બધું કાચુંપાકું રંધાયું છે. ઓલમોસ્ટ કાચું. અને સંવાદ? “તુમે લગા તુમ મુજે પૈસે સે ખરીદ લોગે?” અરે યાર… ‘શૈતાન’ એક સરસ હૉરર કે સુપરનૅચરલ થ્રિલર બની શકી હોત, પણ ચીવટના અભાવવાળું ડિરેક્શન, વધુપડતો લાંબો, ગળે ન ઊતરે એવો, અતાર્કિક, નિરાશાજનક ક્લાઈમૅક્સ એને એવરેજ ફિલ્મ બનાવી મૂકે છે. ‘વશ’નો ક્લાઈમેક્સ- “ન રહેશે વાંસ ન વાગશે વાંસલડી” તથા ટ્રીટમેન્ટ બેટર હતાં. ‘ક્વીન,’ ‘સુપર થર્ટી’ અને છેલ્લે ‘ગુડબાય’ જેવી ફિલ્મના સર્જક પાસે સરસ વિષય પરથી સરસ ફિલ્મની અપેક્ષા હતી.

મહિલા દિનઃ મહિલાઓની વિરુદ્ધ હિંસા વધી, ન્યાયનો દર ઘટ્યો

નવી દિલ્હીઃ વિશ્વના અન્ય દેશોની જેમ દેશમાં પણ આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ઊજવવામાં આવે છે. જોકે દેશમાં મહિલાઓ સુરક્ષિત મહસૂસ કરી રહી છે?  દેશમાં 15 વર્ષ અને એનાથી વધુ વયની મહિલાઓમાં સુરક્ષાની ભાવના ઓછી છે.

એક સર્વે અનુસાર દેશમાં 15 વર્ષ અને એનાથી વધુ વયની મહિલોમાં સુરક્ષાની ભાવનામાં ઘટાડો થયો છે. વર્ષ 2017મા 65.5 ટકા ભારતીય મહિલાઓ સુરક્ષિત હોવાની માહિતી આપી હતી, પરંતુ વર્ષ 2023માં એ આંકડો ઘટીને 58 ટકાએ આવી ગયો હતો. આ આંકડો શહેર કે ગામમાં રાતના સમયે નીકળતી મહિલાઓ સુરક્ષિતતા અનુભવે છે કે કેમ? એના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. એની તુલનાએ ચીનમાં 91 ટકા મહિલાઓ સુરક્ષિતતા અનુભવે છએ, જ્યારે UK અને અમેરિકામાં એ આંકડો ક્રમશઃ 74 ટકા અને 61 ટકા છે. આ યાદીમાં સૌથી નીચે દક્ષિણ આફ્રિકા છે. ત્યાંની 27 ટકા મહિલાઓ સુરક્ષિતતા અનુભવે છે.

આ સૂચકાંકથી માલૂમ પડે છે કે વૈશ્વિક સ્તરે આઠમાંથી એકથી વધુ મહિલાઓ છેલ્લા 12 મહિનામાં શારીરિક કે યૌન હિંસાનો શિકાર બની છે. એ દર સ્વિઝટઝર્લેન્ડ અને સિંગાપોરમાં બે ટકાથી માંડીને ઇરાકમાં 45 ટકા છે. ભારતમાં એ આંકડો 18 ટકા છે.

વર્ષ 2022માં ભારતમાં મહિલાઓની વિરુદ્ધ અપરાધોની સરેરાશ 1001 કેસ પ્રતિદિન નોંધાય હતા, જ્યારે 2021માં એ આંકડો 980 હતો. NCRBના ડેટાથી માલૂમ પડે છે કે આવા અપરાધોની સજાનો દર 2022માં ઘટીને 23.3 ટકા થયો હતો, જે ગયા વર્ષે 25.2 ટકા હતો. 2022માં યૌન ઉત્પીડનના 17,809 કેસ નોંધાયા હતા, એમાં 523 મહિલાઓ અને બાળકોના બનેલા શેલ્ટર હોમમાં, 422 જાહેર ટ્રાન્સપોર્ટેશનમાં અને 419 કાર્યસ્થળો અથવા ઓફિસમાં થયા હતા.

 

 

 

શિવરાત્રિ: શિવ અને શક્તિના મિલનનો ઉત્સવ

આ સંપૂર્ણ સૃષ્ટિ શિવનો ખેલ છે, એ ચેતનાનું એક નૃત્ય છે જે જગતની વિવિધ પ્રજાતિઓમાં પ્રગટ થઈ રહી છે. સરળતા અને બુધ્ધિમતાની પવિત્ર લયબધ્ધતામાં ઘૂમી રહેલી સંપૂર્ણ સૃષ્ટિ જ શિવ છે. શિવ એ અસ્તિત્વની શાશ્વત અવસ્થાનું નામ છે. જ્યારે શિવ તત્વ અને શક્તિ એકરૂપ થઈ જાય છે તે જ શિવરાત્રિ છે.

આપણે શિવરાત્રિ પર શિવ અને શક્તિના મિલનનો ઉત્સવ મનાવીએ છીએ, પરંતુ હકીકતમાં બ્રહ્મના મૂળભૂત અદ્વૈત સ્વભાવને ઓળખવો એ શિવરાત્રિ છે. શિવરાત્રિએ ગતિમય આદિશક્તિના લગ્ન પરલૌકિક શિવ સાથે થાય છે. શિવ મૂક સાક્ષી અથવા ચિદાકાશ છે અને શક્તિ તેની સમજ અથવા ચિદવિલાસ છે. શક્તિ એ રચનાત્મક ઊર્જા છે જે અનંતમાં ખેલ કરતા કરતા વ્યક્ત થઈ રહી છે. શિવ નિરાકાર ચેતના છે; શક્તિ એ જ ચેતનાની અભિવ્યક્તિ છે. પદાર્થ અને ઊર્જા,પ્રકૃતિ અને પુરુષ,દ્રવ્ય અને ગુણ–આમ આપણે દ્વૈતને ઓળખીએ છીએ.

સામાન્ય રીતે જે ક્ષણથી આપણે જાગીએ છીએ ત્યારથી શરુ કરીને આપણે રાત્રે થાકીને સૂઈ જઈએ છીએ તે ક્ષણ સુધી સક્રિય રહીએ છીએ. પરંતુ એક એવી અવસ્થા પણ છે જે સુષુપ્તિ,જાગૃતિ અને સ્વપ્નથી ઉપર છે. શિવરાત્રિ પર આપણે જાગૃત રહીએ છીએ અને એ ત્રણ અવસ્થાઓથી ઉપરની પરલૌકિક ચેતનાનો અનુભવ કરીએ છીએ. આ અવસર પોતાને દરેક પ્રકારની નિંદ્રામાંથી જગાડવાનો છે. શિવરાત્રિ પર કરેલું જાગરણ માત્ર પોતાની જાતને જાગતી રાખવા વિવશ કરવી અથવા જોર જોરથી ભજન ગાવા એવું નથી. પરંતુ આ તો પોતાની અંદર ઉતરવાનો અને સચેત રહીને એ આંતરિક વિશ્રામ, કે જે રોજ આપણને નિંદ્રાથી પ્રાપ્ત થાય જ છે,તેના પ્રત્યે જાગૃત થવાનો અવસર છે.

જ્યારે તમે નિંદ્રાની એક નિશ્ચિત અવસ્થાની ઉપર જતા રહો છો ત્યારે સમાધિ એટલે કે શિવ સાયુજ્યમાં વિશ્રામ કરવાનો અનુભવ મળે છે. શિવને પ્રતિકાત્મક રીતે લિંગ સ્વરુપે દર્શાવાય છે. હકીકતમાં ઈશ્વર કોઈ પણ લિંગથી ઉપર છે. એટલા માટે ઈશ્વરને એકલિંગી કહેવાય છે. એ બીજું કંઈ નહીં પણ સ્વયં ચેતના છે. એ ચેતના શરીર, મન અને બુદ્ધિથી ઉપર છે, રાગ અને દ્વેષથી ઉપર છે–એ ચેતના માત્ર એક છે, તે એકલિંગ છે.

‘કૈલાસ’ એ શિવનું પૌરાણિક નિવાસ છે. કૈલાસનો અર્થ છે જ્યાં માત્ર ઉત્સવ અને આનંદ છે. શિવ દરેક સ્થાને ઉપસ્થિત છે; સંસાર હોય કે સંન્યાસ, શિવથી બચી શકાતું નથી. દરેક કાળમાં શિવ તત્વનો અનુભવ કરવો એ જ શિવરાત્રિનો સાર છે.

શિવ એ કોઈ વ્યકિત નથી જે હજારો વર્ષો પહેલા આ ધરતી પર આવેલી હતી. છતાં ચિત્રોમાં એમને બંધ આંખોવાળા અને ગળામાં સાપ લટકાવેલો હોય તેવા નિરુપણ કરાય છે. એ દર્શાવે છે કે તેઓ સૂઈ ગયેલા લાગે છે પણ સાપની જેમ સંપૂર્ણપણે સજગ છે. ચિત્રોમાં તેમને વાદળી રંગના બતાવાય છે. વાદળી રંગ આકાશની વિશાળતાનો પ્રતિક છે. તેમના શિર પર શોભાયમાન ચંદ્ર તેમની અંદરની દરેક બાબતને દર્શાવે છે. જીવીત કે અન્ય યોનીઓની બધી સત્તાઓ તેમના ગણોનો અંશ છે.

શિવની જાનમાં દરેક પ્રકારના લોકો જોવા મળે છે. તે સૌ જેવા છે તેવો તેમનો સ્વીકાર કરે છે અને આ સૌ એક જ ચેતનાનો અંશ છે.”સર્વમ્ શિવમયમ્ જગત્” એવું કહેવાય છે,એટલે કે આ સમસ્ત સંસાર શિવમય છે. તમારી પાસે જે કંઈ છે તેના પ્રત્યે જાગૃત અને આભારી થવું એ છે શિવરાત્રિનું પ્રતિક!જે સુખ વિકાસ તરફ લઈ જાય છે તે માટે આભારી રહીએ, અને જે દુખ જીવનને ગહેરાઈ આપે છે તેના માટે પણ આભારી રહીએ. શિવરાત્રિ ઉજવવાની આ જ યોગ્ય રીત છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

સરકાર દ્વારા LPG સિલિન્ડરની કિંમતોમાં રૂ. 100ના કાપનું એલાન

નવી દિલ્હીઃ દેશભરમાં રાંધણ ગેસ સિલિન્ડર સસ્તાં થયાં છે. વડા પ્રધાન મોદીએ શુક્રવારે ઘોષણા કરી હતી કે સરકારે શુક્રવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિનને ધ્યાનમાં રાખતાં LPG સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર નિર્ણય વિશે એક પોસ્ટમાં  આ વાતની માહિતી આપી હતી.

તેમણે ટ્વીટ કર્યું હતું કે આજે મહિલા દિવસ પર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 100નો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આનાથી દેશભરના લાખો પરિવારો પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે, ખાસ કરીને અમારી નારી શક્તિને ફાયદો થશે. રાંધણ ગેસ બનાવીને. વધુ સસ્તું, અમારું લક્ષ્ય પરિવારોની સુખાકારીને ટેકો આપવા અને તંદુરસ્ત વાતાવરણની ખાતરી કરવાનો પણ છે. આ મહિલાઓને સશક્તીકરણ અને તેમના માટે ‘ઇઝ ઓફ લિવિંગ સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે.

“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ! અમે અમારી મહિલા શક્તિની શક્તિ, હિંમત અને સ્થિતિસ્થાપકતાને સલામ કરીએ છીએ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓની પ્રશંસા કરીએ છીએ. અમારી સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસો કરી રહી છે. કૃષિ, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં પહેલ દ્વારા મહિલાઓને સશક્તીકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ છેલ્લા દાયકામાં અમારી સિદ્ધિઓમાં પણ પ્રતિબિંબિત થાય છે.

સરકારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેતાં ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી એક વર્ષ માટે વધારી દીધી હતી. લગભગ 10 લાખ લાભાર્થીઓને તેનો લાભ મળશે. આ લાભાર્થીઓને એક વર્ષમાં 12 સિલિન્ડર પર સબસિડી મળશે.

 

 

 

 

 

કોરાનાના 202 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 202 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક  જણનું મોત  થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,30,886  કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ19ના 63 નવા કેસ નોંધાયા છે. દિલ્હી સિવાય રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં કેટલાંક અન્ય રાજ્યોમાં પણ કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસોમાં દિલ્હીમાં વાઇરસના 459 કેસો નોંધાયા છે.છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિસ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,505 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,96,480 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 182 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1138 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,07,882 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 529 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૮ માર્ચ, ૨૦૨૪

Chitralekha Gujarati – 18 March, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.