Home Blog Page 2035

વર્ષ 2024માં દેશમાં ગરમી પાછલા બધા રેકોર્ડ તોડશે

નવી દિલ્હીઃ વર્ષ 2024ના માર્ચથી મે દરમ્યાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ ગરમી રહેવાની સંભાવના છે. આ સમયગાળામાં મોટા ભાગનો સમય અલ નિનોની સ્થિતિ બની રહેવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. એનાથી લૂની સ્થિતિ પણ રહે એવી શક્યતા છે. જોકે આ વર્ષ સારા ચોમાસાના સંકેત પણ છે.

વૈજ્ઞાનિકોનો એ પણ અંદાજ છે કે બંગાળની ખાડી, દક્ષિણ ચીન સાગર, ભારત, ફિલિપિન્સ અને કેરિબિયનની પાસે તટીય વિસ્તારોમાં જૂન સુધી અસાધારણ ગરમીનો અનુભવ થશે, એ પછી અલ નિનોનો પ્રભાવ ઓછો થવાની સંભાવના છે.દેશના ઉત્તર-પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં અને દિલ્હીમાં તાપમાન દિવસના વધુ રહેશે. માર્ચના પહેલા દિવસોમાં રાત્રિનું તાપમાન ઓછું રહેશે, એવું નવા પશ્ચિમી વિક્ષોભના સક્રિય થવાને કારણે પહાડી વિસ્તારોમાં સ્નો ફોલને કારણે થશે.

ફેબ્રુઆરીમાં દેશમાં સરેરાશ લઘુતમ તાપમાન 14.61 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું, જે 1901 પછી આ મહિને નોંધવામાં આવેલું બીજું સૌથી વધુ તાપમાન છે.હવામાન વિભાગના ડિરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે 15 માર્ચ સુધી મહત્તમ તાપમાન સામાન્યથી નીચેથી રહેવાની આશા છે. તેનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. અપેક્ષા છે કે તેના લીધે વરસાદ પડી શકે છે. જોકે ભારે વરસાદથી પાકને નુકસાન થશે અને તેના લીધે ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. આ સાથે ઘઉંના પાકને નુકસાન થવાની શક્યતા છે. જોકે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાથી લાભ પણ થશે. IMDનું એવું પણ કહેવું છે કે આ વર્ષે માર્ચમાં સામાન્યથી વધુ કમોસમી વરસાદ પડી શકે છે.

 

 

 

હિમાચલની સુખુ સરકાર પર સંકટ યથાવત

કોંગ્રેસ નેતૃત્વએ હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી પછી ઊભી થયેલી રાજકીય કટોકટીને ટાળવા માટે સંકલન સમિતિની ફોર્મ્યુલા બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુખુ સરકાર પરનો ખતરો હજી સમાપ્ત થયો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર વિક્રમાદિત્ય સિંહની છાવણી સીએમ સુખુને બદલવાના મૂડમાં છે. ચંદીગઢમાં કોંગ્રેસના બળવાખોર પૂર્વ ધારાસભ્યોને મળ્યા બાદ દિલ્હી પહોંચેલા વિક્રમાદિત્ય સિંહના આગળના પગલાને લઈને સસ્પેન્સ હજુ પણ છે. ભાજપમાં જોડાવા અંગે વિક્રમાદિત્ય સિંહની દ્વિધા એ છે કે તે એક રીતે વીરભદ્ર સિંહના રાજકીય વારસાને નષ્ટ કરશે. આવી સ્થિતિમાં બીજો વિકલ્પ એ છે કે વિક્રમાદિત્ય ‘વીરભદ્ર કોંગ્રેસ’ જેવી નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. હિમાચલ વિધાનસભાની વર્તમાન સંખ્યા અનુસાર, જો વિક્રમાદિત્ય સિંહ સાથે વધુ ત્રણ ધારાસભ્યો રેન્ક તોડે તો સુખુ સરકાર પડી જશે.

સીએમ સુખુ વિક્રમાદિત્ય સિંહના નજીકના લોકોનો સંપર્ક કરી રહ્યા છે

જો સ્પીકર દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવેલા કોંગ્રેસના છ ભૂતપૂર્વ ધારાસભ્યોને કોર્ટમાંથી તાત્કાલિક રાહત મળે છે, તો તેઓ એકલા જ ગૃહમાં વિક્રમાદિત્ય સરકારને તોડી પાડવા માટે પૂરતા હશે. દરમિયાન, સીએમ સુખુ વિક્રમાદિત્યની નજીકના ધારાસભ્યોને તેમની બાજુમાં લાવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ હાઈકમાન્ડ પણ શિમલા પર નજર રાખી રહ્યું છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં પોતાની જ પાર્ટીની સરકાર વિરુદ્ધ મોરચો ખોલનારા કોંગ્રેસ નેતા વિક્રમાદિત્ય સિંહે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. રાજ્યસભાની ચૂંટણીના પરિણામો (27 ફેબ્રુઆરી)ના એક દિવસ બાદ તેમણે હિમાચલ પ્રદેશના મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. વિક્રમાદિત્ય સિંહે સુખવિંદર સિંહ સુખુના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમના પર ધારાસભ્યો પ્રત્યે બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેણે તેના દિવંગત પિતા અને પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહનો પણ અનાદર કરવાનો આરોપ લગાવ્યો હતો.

NIAના મોસ્ટ વોન્ટેડ મોહમ્મદ ગૌસને દક્ષિણ આફ્રિકામાંથી ઝડપી પાડ્યો

કેન્દ્રીય તપાસ એજન્સીઓએ વિદેશની ધરતી પર મોટી સફળતા મેળવી છે. વર્ષ 2016માં એજન્સીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા રુદ્રેશ અને PFI આતંકવાદીની હત્યાના આરોપી મોહમ્મદ ગૌજ નિયાઝીની ધરપકડ કરી હતી. આ આતંકવાદી દક્ષિણ આફ્રિકામાં પકડાયો છે. NIA એ મોહમ્મદ ગૌસ પર 5 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું અને તે ભારતમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)નો મોટો ચહેરો હતો. આ ઉપરાંત આ આતંકવાદી પર 2016માં બેંગલુરુમાં RSS નેતા રુદ્રેશની હત્યા કરવાનો પણ આરોપ હતો. હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો અને અલગ-અલગ દેશોમાં રહેતો હતો.

ગુજરાત ATSએ લોકેશન ટ્રેક કર્યું હતું

ગુજરાત ATSએ દક્ષિણ આફ્રિકામાં તેના લોકેશનને ટ્રેક કરવા માટે સૌપ્રથમવાર કેન્દ્રીય એજન્સીને જાણ કરી હતી. જે બાદ તે દક્ષિણ આફ્રિકામાં પકડાયો હતો અને હિન્દુસ્તાનમાં ડેપો હતો. હાલ તેને મુંબઈ લઈ જવામાં આવ્યો છે.

RSS નેતાની હત્યાની તપાસ સોંપી

NIA RSS નેતા રુદ્રેશની હત્યાની તપાસ કરી રહી છે. રુદ્રેશની હત્યા દિવસે દિવસે કરવામાં આવી હતી. તે સંઘના કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે બેંગલુરુના શિવાજી નગરમાં ઓચિંતો હુમલો કરનારા બદમાશોએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં રૂદ્રેશનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે થોડા જ અઠવાડિયામાં ચાર લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી મોટાભાગનાની ઉંમર ત્રીસ વર્ષની આસપાસ હતી. મુખ્ય આરોપી 40 વર્ષીય અઝીમ શરીફની પોલીસે નવેમ્બર 2016માં ધરપકડ કરી હતી.

NIAએ શું કહ્યું?

કેસની તપાસ કર્યા પછી, NIAએ કહ્યું હતું કે, “આ હત્યા લોકોના એક વર્ગમાં આતંક ફેલાવવાના ઈરાદાથી કરવામાં આવી હતી અને સ્પષ્ટપણે એક આતંકવાદી કૃત્ય હતું જે 16 ઓક્ટોબરના રોજ એક યુનિફોર્મધારી RSS સભ્ય દ્વારા ઘાતક હથિયારનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. “આ દિવસના અજવાળામાં હત્યા કરીને હાંસલ કરવામાં આવ્યું હતું.”

TMCનો અર્થ તૂં, મેં અને કરપ્શનઃ PM મોદી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ હાલના દિવસોમાં રાજકારણનું કેન્દ્ર બનેલું છે. મમતા બેનરજી સરકાર માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. વડા પ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. તેમણે એ સભામાં TMCને આડૈ હાથ લીધી હતી. તેમણે જનતાને TMCનો અસલી અર્થ જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હવે એનો અર્થ તૂં, મેં અને કરપ્શન છે. મમતા બેનરજીની સરકારે પશ્ચિમ બંગાળનું નામ ખરાબ કરી દીધું છે.દરેક યોજના અહીં કૌભાંડ જોવા મળે છે. યોજનાઓ અમારી હોય છે, પણ તેઓ એના પર પોતાનું સ્ટિકર લગાવી દે છે. ગરીબોનો હક છીનવતા તેઓ ખચકાટ નથી અનુભવતા.

આ ધરતી ભગવાન શ્રીકૃષ્ણના પરમ પ્રચારક ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ છે. સંદેશખાલી મામલે તેમણે કહ્યું હતું કે બંગાળમાં એ સ્થિતિ છે કે અહીં પોલીસ નથી, બલકે અપરાધી એ નક્કી કરે છે કે તેમને ક્યારે સરન્ડર કરવું અને ક્યારે ધરપકડ થવું. વડા પ્રધાન મોદીએ મમતા સરકારની વિરુદ્ધ મોરચો માંડ્યો છે, ત્યારે બીજી તરફ કુણાલ ઘોષે પણ TMCમાંથી રાજીનામું આપી દીધું છે અને તેમણે સુદીપ બનરજીની વિરુદ્ધ મોરચો માંડ્યો છે. તેમણે ED અને CBI પાસે માગ કરી છે કે સુદીપ બેનરજીનાં બેન્ક ખાતાંની તપાસ કરાવવામાં આવે.

બીજી તરફ સંદેશખાલી મામલામાં પહેલાંજ મમતા સરકારની આબરૂના લીરેલીરા થયા છે. આ મામલે ભાજપે કહ્યું હતું કે શાહજહાં શેખ મમતા બેનરજીની પોલીસની સેફ કસ્ટડીમાં છે.

 

 

 

 

.

 

 

જૂની રંગભૂમિની સફર’ કાર્યક્રમ માણવો છે? તો પહોંચી જજો મુલુંડ રવિવારે સાંજે

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, મુલુંડની સંસ્થા ‘સર્જક મિલન’ના સહયોગથી જૂની રંગભૂમિની સવાસો વર્ષની સફરની ઉજવણી થઈ રહી છે. ૩ માર્ચ, 2024ના રવિવારે સાંજે ૫ વાગ્યે મુલુંડમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

૧૮૫3માં પારસી બિરાદરોએ મુંબઈમાં નાટ્યપ્રવૃત્તિની શરૂઆત કરી હતી, પછી એમાં હિન્દુઓએ ઝંપલાવ્યું. લગભગ ૧૭૦ વર્ષથી આ પ્રવૃત્તિ સતત ચાલતી રહી છે .જૂની રંગભૂમિ લગભગ સવાસો વર્ષ જેવી ચાલી અને ત્યારબાદ એનું સ્થાન નવી રંગભૂમિએ લીધું. આજે જેઓ ૭૦ની આસપાસ પહોંચ્યા છે એમણે પ્રભુલાલ દ્વિવેદી,  રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ,  બાપુભાઈ નાયક, જયશંકર ‘સુંદરી ‘આ બધાં નામને હૃદયમાં સાચવી રાખ્યાં હશે. ‘મીઠા લાગ્યા તે મને રાતના ઉજાગરા’ કે ‘નાગર વેલીઓ રોપાવ …’ગીતો હજી પણ એમના કાનના ઢોળાવ ઉપર સ્થિર ઊભાં હશે. જૂની રંગભૂમિ ટેકનિકલ દૃષ્ટિએ, અભિનય અને રજૂઆતની દ્રષ્ટિએ પણ અદભુત રહી. સેંકડોની સંખ્યામાં સંસ્થાઓ, કવિઓ, સંગીતકારો, અભિનેતા-અભિનેત્રી, દિગ્દર્શકો નિર્માતાઓ અને ટેકનીશીયનોએ પોતાનું ઉત્તમ યોગદાન આપ્યું.

આ કાર્યક્રમમાં જૂની રંગભૂમિના અભિનેત્રી તથા ગાયિકા મહેશ્વરી ચૈતન્ય અને રજની શાંતારામ રંગભીની રજૂઆત દ્વારા જૂનાં ગીતો રજૂ કરશે. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર ડોક્ટર રાજશેખર બ્રહ્મભટ્ટ જૂની રંગભૂમિનો આંખે દેખ્યો હાલ રજૂ કરશે. તો પ્રખ્યાત સંતુરવાદક અને અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મજમુદાર પગવાજા પર સંગીતના સૂર રેલાવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ સતીશ વ્યાસ સંભાળશે. આ કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન કવિ સંજય પંડ્યાનાં છે. આયોજન સહકાર રાજેશ ઠક્કર અને રમેશ બારોટનો છે. તો જૂની રંગભૂમિના ગીતો માણવા માટે રવિવારે પહોંચી જજો મુલુંડ!

સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં બજારમાં તેજી, નિફ્ટી નવી ઊંચાઈએ

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં શનિવારે સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં તેજીમય માહોલ રહ્યો હતો અને સેન્સેક્સ અને નિફ્ટીએ ફરી એક વાર ઓલટાઇમ હાઇ પર બંધ થયા હતા. શનિવારે નિફ્ટીએ 22,420ની ઊંચી સપાટી સર કરી હતી, જે અત્યાર સુધીના રેકોર્ડ સ્તરે છે, જ્યારે સેન્સેક્સ 73,982ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આમ સેન્સેક્સ 74,000ના સ્તરની નજીક પહોંચ્યો હતો. સ્પેશિયલ સેશનમાં પણ મેટલ શેરોની તેજીની આગેકૂચ રહી હતી.

શનિવારના સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 61 પોઇન્ટ વધીને 73,806 અને નિફ્ટી 40 પોઇન્ટ વધીને 22,378ના મથાળે બંધ રહ્યો હતો. મેટલ ફાર્મા, બેન્કિંગ, ઓટો, IT, FMCG, ફાઇનાન્શિયલ સર્વિસિસના બધા ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. આ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં નિફ્ટીના છ શેરો એક વર્ષ નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. ઓવરઓલ માર્કેટને મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોથી સપોર્ટ મળ્યો હતો.

સ્ટોક એક્સચેન્જના આંકડા મુજબ ગયા સપ્તાહનાં પાંચમાંથી ત્રણ ટ્રેડિંગ સેશનમાં FII લેવાલ રહ્યા હતા. તેમણે એ દરમ્યાન રૂ. 23.51 કરોડની શેરોમાં લેવાલી કરી હતી. આ સાથે DII પણ પાંચમાંથી ત્રણ ટ્રેડિંગ સેશનમાં લેવાલ રહ્યા હતા અને તેમણે કુલ મૂડીરોકાણ રૂ. 8268 કરોડના શેરો ખરીદ્યા હતા. FIIએ રોકડ બજારોમાં રૂ. 870 કરોડથી વધુનું મૂડીરોકાણ કર્યું છે.

કોઈ અવાંછિત ઘટનાથી નીપટવાની ટેસ્ટિંગને ચેક કરવા માટે શિવારે શેરબજારના3 સ્પેશિયલ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલું સેશન 9.15થી 10 કલાક સુધી અને બીજું ટ્રેડિંગ સેશન 11.30 કલાકથી 12.30 કલાક આયોજિત કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ નહોતાં કરવામાં આવ્યાં, જેને કારણે ટ્રેડિંગ વોલ્યુમ ઓછાં હોવાને કારણે ઇન્ટ્રાડ-ડે પર પ્રતિબંધ કરવામાં આવ્યા હતા.

 

 

 

 

 

 

ગૌતમ ગંભીરની જગ્યાએ અક્ષયકુમારને ઉતારશે ભાજપ?

નવી દિલ્હીઃ ચૂંટણીની પિચ પર ગૌતમ ગંભીરે રિટાયરમેન્ટ લઈ લીધું છે. પૂર્વ-દિલ્હીથી સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી નહીં લડવાની ઘોષણા કરી દીધી છે. તેણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણી તે નહીં લડે અને ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. ગંભીરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને આ ટ્વીટમાં ટેગ કર્યા છે.

ગંભીરે ટ્વીટ કરતાં કહ્યું છે કે મેં પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાજીને વિનંતી કરી છે કે મને મારાં રાજકીય કર્તવ્યોથી મુક્ત કરવામાં આવે, જેથી હું ક્રિકેટની પ્રતિબદ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. હું વડા પ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો હ્દયથી આભાર વ્યક્ત કરું છું કે તેમણે મને લોકોની સેવા કરવાની તક આપી. જય હિંદ.

અહેવાલો અનુસાર બોલીવૂડના ખેલાડીકુમાર અક્ષય કુમારને દિલ્હીની કોઈ એક સીટ પરથી ભાજપ દ્વારા ચૂંટણી લડાવવામાં આવે એવી શક્યતા છે. પાર્ટીના કેટલાક નેતાઓ એક્ટરના સંપર્કમાં છે. જોકે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી આપવામાં આવ્યું. હાલ એક્ટરની કેરિયરનો ગ્રાફ પણ ઘણો નીચે ચાલી રહ્યો છે અને તેની પાછલી કેટલીય ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કંઈ બિઝનેસ નથી કરી રહી.

જોકે પૂર્વ દિલ્હીની એ સીટ કોંગ્રેસ પાર્ટી માટે ઘણી લકી રહી છે. આ સીટ પર કોંગ્રેસ અને ભાજપ- બંને પાર્ટીઓનો દબદબો રહ્યો છે. 2019 સુધી કોંગ્રેસે હંમેશાં ચૂંટણી લડી છે, પણ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ તેના ઉમેદવારને અહીંથી નહીં ઉતારે. પૂર્વી દિલ્હી લોકસભા ક્ષેત્રની વસતિ 25 લાખથી વધુ છે અને આમાં દિલ્હી નગર નિગમના 30થી વધુ વોર્ડ આવે છે.

 

 

 

 

 

 

 

રાજશ્રીએ સચિન પર હીરોની મહોર મારી

અભિનેતા સચિને મુખ્ય હીરો તરીકે ફિલ્મ ‘ગીત ગાતા ચલ’ (1975) થી શરૂઆત કરી હતી. પરંતુ રાજશ્રી પ્રોડકશનને આ ફિલ્મ વિષે કોઈ વિચાર ન હતો છતાં સચિનને હીરો તરીકે નક્કી કરી લીધો હતો. અમિતાભ બચ્ચનના ભાઈ અજિતાભના લગ્ન પ્રસંગે બાળ કલાકાર તરીકે ‘શોલે’ (૧૯૭૫) માં કામ કરતો ૧૭ વર્ષનો સચિન ગયો ત્યારે એને જોઈ રાજશ્રીના રાજકુમાર બડજાત્યાએ એની પાસે જઈને પોતાનો પરિચય આપીને કહી દીધું હતું કે તેઓ એની સાથે એક ફિલ્મ બનાવવા માગે છે. સચિને ઘરે જઈને પિતાને વાત કરી ત્યારે એમણે આ વાતને ગંભીરતાથી લીધી ન હતી. એટલે સચિન પણ એ વાત ભૂલી ગયો હતો. ત્રણ દિવસ પછી સચિનના ઘરની સામે રહેતા ગીતકાર મજરૂહ સુલતાનપુરીના પુત્રએ આવીને સંદેશ આપ્યો કે રાજશ્રીમાંથી ફોન હતો અને એક નંબર આપ્યો છે એના પર વાત કરવા કહ્યું છે.

સચિનના પિતાએ રાજકુમારને ફોન કર્યો ત્યારે એમણે એમ કહ્યું કે તમે ‘સચિનજી’ ને લઈને અમારી પાસે ક્યારે આવશો? ત્યારે પિતાએ આવતીકાલે મળવાની વાત કહી દીધી. બીજા દિવસે જ્યારે સચિન મળવા ગયો ત્યાં સુધીમાં રાજકુમારે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા ‘અતિથિ’ પરથી એક ફિલ્મ બનાવવાની ચર્ચા પરિવાર સાથે કરી લીધી હતી. અસલમાં એ વાર્તા પરથી સચિનના પિતા શરદ પિલગાંવકર અને મધુસુદન કાલેલકરે મરાઠી ફિલ્મ લખી હતી. એટલે એમણે એ બંનેને જ હિન્દી ફિલ્મની વાર્તા લખવાની જવાબદારી આપી. એ સાથે સચિનને હીરો તરીકે સાઇન પણ કરી લીધો હતો. તેઓ માત્ર સચિન સાથે જ ફિલ્મ બનાવવા માગતા હતા. મૂળ વાર્તાનો અંત કરૂણ હતો. એમાં બીજા કેટલાક પાત્રો ઉમેરવા સાથે ઘણા ફેરફાર કરીને સુખાંત કરી દીધો હતો.

વાર્તા તૈયાર થયા પછી એમને લાગ્યું કે ફિલ્મ બની શકે છે એટલે એના કાયદાકીય અધિકાર માટે કવિ ટાગોરના શાંતિનિકેતનમાં એ વાર્તા મંજૂરી માટે મોકલી આપી. અને અધિકારની કિંમત પૂછી. દસ દિવસ પછી ત્યાંથી પત્ર આવ્યો કે તેઓ ફિલ્મ માટે અધિકાર આપી શકે એમ નથી. તેથી નિરાશ થયેલા રાજકુમારે જ્યારે પિતા તારાચંદ બડજાત્યાને આ વાત કરી અને કહ્યું કે હવે આ વાર્તા પર ફિલ્મ બનાવી શકાશે નહીં. તારાચંદે કારણ પૂછ્યું ત્યારે રાજકુમારે કહ્યું કે પત્રમાં લખ્યું છે કે અમે આ વાર્તાના અધિકાર આપી શકીએ એમ નથી. કેમકે આ અમારી વાર્તા જ નથી! અમારી વાર્તા અલગ છે. ત્યારે તારાચંદે સમજાવ્યું કે એમની વાર્તા નથી તો આપણે એના અધિકારની જરૂર જ નથી.

ફિલ્મનું નિર્દેશન હિરેન નાગને અને સંગીત રવીન્દ્ર જૈનને સોંપવામાં આવ્યું. કલાકારો અને કસબીઓની પસંદગી કરીને શુટિંગ શરૂ કરવામાં આવ્યું. એક વર્ષ બાદ ફિલ્મ તૈયાર થઈ અને રજૂઆતની વાત આવી ત્યારે રાજકુમારે કહ્યું કે તે રોજના ચાર શૉ ચાલે છે એવા સૌથી મોટા ‘મેટ્રો’ સિનેમામાં રજૂ કરશે. બધાએ સલાહ આપી કે નાની ફિલ્મ છે. એને નાના થિયેટરોમાં રજૂ કરો. પણ એમણે એકમાત્ર ‘મેટ્રો’ માં જ ફિલ્મ રજૂ કરવાની જીદ પકડી. ત્યારે ‘મેટ્રો’ ના સંચાલકે ‘ગીત ગાતા ચલ’ નાની ફિલ્મ હોવાથી પહેલાં ના પાડી દીધી.

તેમનું કહેવું હતું કે નવા હીરો-હીરોઈન છે અને ભગવાનના ગીતો છે એટલે ચાલશે નહીં. પણ રાજશ્રી પ્રોડકશન વિતરણનું કામ સંભાળતું હોવાથી સંબંધને કારણે માત્ર એક સપ્તાહ માટે રજૂ કરવાની સંમતિ આપી દીધી. પહેલા દિવસે ચાર શૉમાં આંગળીના વેઢે ગણાય એટલા દર્શકો આવ્યા. શનિ-રવિમાં પણ એવી જ સ્થિતિ રહી ત્યારે ‘મેટ્રો’ ના મેનેજરે ગુરુવાર છેલ્લો દિવસ હોવાનું કહી દીધું. પણ સોમવારે ચમત્કાર થયો હોય એમ પહેલાં શૉમાં પચાસ ટકા દર્શકો ભરાયા. અને છેલ્લો શૉ હાઉસફુલ ગયો. મંગળવારથી બ્લેકમાં ટિકિટ વેચાવા લાગી હતી. બે અઠવાડિયા પછી સચિન- સારિકા સ્ટાર બની ગયા હતા.

કોરાનાના 224 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 224 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,29,852 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા હતા. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,491 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,95,493 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 133 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1050 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,06,748 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 976 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

 

ગુલકંદ – ૦૨ માર્ચ, ૨૦૨૪

ગુલકંદ – ૦૨ માર્ચ, ૨૦૨૪