Home Blog Page 204

ભારતીય વાયુસેનાનું Su-30 MKI ફાઇટર જેટ ટેકઓફ બાદ થયું ગાયબ

આસામમાં સુખોઈ-30 MKI ફાઇટર જેટનો રડાર સંપર્ક તૂટી ગયો છે. વિમાન હજુ સુધી શોધી શકાયું નથી. ગુવાહાટીના સંરક્ષણ પીઆરઓ કહે છે કે ઘટનાની તપાસ માટે વાયુસેનાની એક ટીમ મોકલવામાં આવી છે અને શોધખોળ શરૂ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે કાર્બી આંગલોંગ જિલ્લામાં ઉડાન ભરતી વખતે Su-૩૦ MKI ગાયબ થઈ ગયું હતું.

કેટલાક અહેવાલો સૂચવે છે કે વિમાન ક્રેશ થયું છે. સ્થાનિક લોકોએ જોરદાર વિસ્ફોટ પણ સાંભળ્યો હતો. જોકે, વાયુસેના કે સંરક્ષણ મંત્રાલય તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. હાલમાં શોધખોળ કામગીરી ચાલી રહી છે.

સુખોઈ-30 ફાઇટર જેટે નેજોરહાટથી ઉડાન ભરી હોવાના અહેવાલ છે અને પછી રડાર સંપર્ક તૂટી ગયો છે. સ્થાનિક લોકો કહે છે કે સાંજ પછી તરત જ, પહાડી વિસ્તારમાંથી એક જોરદાર વિસ્ફોટ સંભળાયો, જે એટલો જોરદાર હતો કે તેનાથી લોકો ગભરાઈ ગયા.

કેટલાક લોકો એવો પણ દાવો કરે છે કે વિસ્ફોટ થયાની થોડીવાર પછી ટેકરીઓમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જ્યાં વિસ્ફોટ અને ધુમાડાની જાણ થઈ તે વિસ્તાર વસાહતથી દૂર છે.

T20 World Cup 2026 : ભારતે ઈંગ્લેન્ડને જીત માટે આપ્યો 254 રનનો ટાર્ગેટ

ટી20 વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી મહત્વપૂર્ણ મેચમાં રોમાંચક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મેચની શરૂઆતમાં ઈંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને ભારતીય ટીમને બેટિંગ માટે આમંત્રિત કરી હતી. પરંતુ ભારતીય બેટ્સમેનોએ આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવતા આક્રમક બેટિંગ કરી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી છે. ભારતે 20 ઓવરમાં વિકેટે રન ફટકારી ઈંગ્લેન્ડને જીત માટે રનનો ટાર્ગેટ આપ્યો છે.

ભારતે શાનદાર બેટિંગ કરતા પહાડી સ્કોર ઉભો કર્યો હતો. જેમાં આજે પણ સંજૂ સેમસને શાનદાર બેટિંગ કરતા 89 રન ફટકાર્યા હતા. જો કે તે શતક ચૂકી ગયા હતા. સંજૂ સેમસને 42 બોલમાં 89 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં 7 સિક્સર અને 8 ફોર ફટકારી હતી. તો બીજી તરફ આજે પણ અભિષેક નિષ્ફળ સાબિત થયો હતો. અભિષેક શર્માએ 7 બોલમાં 9 રન કર્યા હતા. તો ઈશાન કિશને 18 બોલમાં 39 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. શિવમ દૂબેએ પણ શાનદાર બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવે 6 બોલમાં 11 રનની ઈનિંગ રમી હતી.

મેચ દરમિયાન ભારતીય ટોપ ઓર્ડર બેટ્સમેનોએ આત્મવિશ્વાસ સાથે રમત દેખાડતા રનગતિ ઝડપી રાખી હતી. મેદાનના ચારેય બાજુ શાનદાર શોટ્સ રમતા ભારતે સ્કોરબોર્ડ પર ઝડપથી રન ઉમેર્યા અને ઈંગ્લેન્ડના બોલરો પર દબાણ બનાવી દીધું. મધ્યક્રમના બેટ્સમેનોએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપતા ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.

બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે અચાનક આપ્યું રાજીનામું

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે ગુરુવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. રાજ્યપાલ ગુરુવારે દિલ્હીમાં હતા. દિલ્હીની મુલાકાત દરમિયાન તેમણે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સુપરત કર્યું. અહેવાલો અનુસાર, તમિલનાડુના રાજ્યપાલ સીવી રવિને બંગાળના રાજ્યપાલ તરીકે કામચલાઉ નિયુક્ત કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યપાલનું રાજીનામું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજીનામું આપ્યા પછી, સીવી આનંદ બોસે પીટીઆઈને કહ્યું, “મેં રાજ્યપાલ કાર્યાલયમાં ઘણો સમય વિતાવ્યો છે.

જગદીપ ધનખર ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી, 23 નવેમ્બર, 2002 ના રોજ સીવી આનંદ બોસને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે લગભગ ત્રણ વર્ષ અને પાંચ મહિના સુધી આ પદ પર સેવા આપી. રાજ્યપાલ તરીકે, આનંદ બોસ શરૂઆતથી જ રાજ્યમાં ઘણા મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા હતા. તેમણે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારની નીતિઓની સતત ટીકા કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન, રાજ્ય અને રાજ્યપાલ વચ્ચે અનેક મુદ્દાઓ પર સંઘર્ષ વધ્યો.

સચિન તેંડુલકરના પુત્રના લગ્નમાં સામેલ થઈ ક્રિકેટ અને ફિલ્મ જગતની આ હસ્તીઓ

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર અને સાનિયા ચાંડોકના લગ્નમાં સ્પોટ્સ અને ફિલ્મ જગતના સ્ટાર્સ હાજરી આપી. શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી ખાન અને પુત્રી સુહાના ખાન સાથે પહોંચ્યા હતા, જ્યારે આમિર ખાન શેરવાનીમાં સજ્જ થઈ સમારોહમાં પહોંચ્યા છે.

સચિન તેંડુલકરના પુત્ર, અર્જુન તેંડુલકરે આજે એટલે કે 5 માર્ચ, 2026 ના રોજ મુંબઈમાં સાનિયા ચાંડોક સાથે લગ્ન કર્યા. આ લગ્ન વર્ષના સૌથી મોટા અને સૌથી વધુ ચર્ચિત લગ્નોમાંના એક હતા. આ સમારોહમાં બોલિવૂડ, ક્રિકેટ અને વ્યવસાય જગતની ઘણી જાણીતી હસ્તીઓ હાજર રહી હતી.

શાહરૂખ ખાન ઉપરાંત, આમિર ખાને પણ અર્જુન તેંડુલકરના લગ્નમાં હાજરી આપી હતી. આમિર એકલો પહોંચ્યા હતા અને લાલ શેરવાની પહેરીને પાપારાઝી માટે પોઝ આપ્યો હતો.

અર્જુન તેંડુલકર અને સાનિયા ચાંડોકના લગ્નમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, ફરહાન અખ્તર અને ગાયિકા આશા ભોંસલેએ હાજરી આપી હતી. એમએસ ધોની, સુરેશ રૈના, શ્રેયસ ઐયર, પૃથ્વી શો, ઇરફાન પઠાણ અને હરભજન સિંહ જેવા ક્રિકેટરો પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આઈસીસીના જય શાહ અને અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા.

અર્જુન અને સાનિયાની સગાઈ ઓગસ્ટ 2025 માં ખાનગીમાં થઈ હતી. લગ્ન સમારોહ 3 માર્ચે શરૂ થયો હતો, જેમાં મહેંદી અને સંગીત જેવા પરંપરાગત સમારોહનો સમાવેશ થતો હતો. મુખ્ય લગ્ન સમારોહ 5 માર્ચે મુંબઈમાં એક ભવ્ય રીતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો.

સાનિયા મુંબઈના એક પ્રખ્યાત ઉદ્યોગપતિ પરિવારમાંથી આવે છે. તે ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે. આ લગ્ન એક ખાસ પ્રસંગ બની ગયો, જેમાં ક્રિકેટ, ફિલ્મ અને વ્યવસાય જગતની મોટી હસ્તીઓ સાથે જોવા મળી. આ એક યાદગાર અને ભવ્ય લગ્ન હતા, જેમાં બધા સ્ટાર્સ, ક્રિકેટરો અને અન્ય મહેમાનોએ નવદંપતી પર પ્રેમ અને આશીર્વાદ વરસાવ્યા હતા.

T20 World Cup : ભારત સામે ઈંગ્લેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ટી20 વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો રમાઈ રહ્યો છે. આ રોમાંચક મેચ પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ બાદ ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવા આમંત્રિત કરવામાં આવી છે અને ટીમ ઈન્ડિયા મોટા સ્કોર સાથે ઈંગ્લેન્ડ સામે પડકાર ઉભો કરવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે.

સેમીફાઈનલ જેવી મહત્વપૂર્ણ મેચમાં બંને ટીમો માટે જીત ખૂબ જ અગત્યની છે કારણ કે આ મુકાબલાનો વિજેતા સીધો ફાઈનલમાં સ્થાન મેળવશે. ભારતીય ટીમ છેલ્લા કેટલાક મુકાબલાઓમાં સારા ફોર્મમાં જોવા મળી રહી છે અને બેટિંગ તથા બોલિંગ બંને વિભાગમાં મજબૂત પ્રદર્શન કરી રહી છે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ પણ તાકાતવર માનવામાં આવે છે અને તેની બોલિંગ લાઈનઅપ શરૂઆતમાં જ વિકેટ મેળવવાની ક્ષમતા ધરાવે છે.

ક્રિકેટપ્રેમીઓ માટે આ મેચ ખૂબ જ રોમાંચક બની શકે છે કારણ કે બંને ટીમોમાં વિશ્વસ્તરીય ખેલાડીઓ સામેલ છે. ભારત પ્રથમ બેટિંગ કરીને મજબૂત સ્કોર ઉભો કરવાની કોશિશ કરશે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ શરૂઆતથી જ દબાણ બનાવવાની યોજના સાથે મેદાનમાં ઉતરી છે. હવે નજર રહેશે કે ભારત કેટલો મોટો સ્કોર ઉભો કરે છે અને ઈંગ્લેન્ડ તેને કેવી રીતે ચેઝ કરે છે.

યુનેસ્કોના વિશ્વ ઇજનેરી દિવસ માટે અદાણી સત્તાવાર ભાગીદાર

અમદાવાદ: અદાણી ગ્રુપની યુનેસ્કો દ્વારા અને વર્લ્ડ ફેડરેશન ઓફ એન્જિનિયરિંગ ઓર્ગેનાઇઝેશન્સ (WFEO) દ્વારા ટકાઉ વિકાસ માટેના આંતરરાષ્ટ્રીય ઇજનેરી દિવસ-૨૦૨૬ માટે સત્તાવાર ભાગીદાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.સ્વચ્છ ઉર્જા સંક્રમણને વેગ આપવા અને સ્કેલ પર સ્વચ્છ, વિશ્વસનીય અને સસ્તી વીજળી પહોંચાડવાની અદાણી ગ્રુપની ક્ષમતામાં આ પસંદગી તેના નેતૃત્વનો પુરાવો આપે છે. જે ટકાઉપણાના વૈશ્વિક લક્ષ્યો (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ -૭) માં ફાળો આપતાં સમયે ભારતની ઊર્જા સુરક્ષાને ટેકો આપે છે.

અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું કે, સ્વચ્છ ઊર્જા સસ્તી, શક્તિશાળી તેમજ સમાવિષ્ટ હોઈ શકે છે તેવું અમે દર્શાવી રહ્યા છીએ. આ વિશ્વ માટે ભારતનું યોગદાન છે. જ્યાં પ્રગતિ અને ટકાઉપણું એકસાથે આગળ વધે એવું એક મોડેલ છે. તેમણે કહ્યું હતું કે કચ્છના ખાવડા ખાતેનો અમારો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ ભારતની આબોહવાના પ્રતીકરુપે ઉભો છે. જે અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝની સામૂહિક શક્તિનું પ્રતિબિંબિત કરે છે.

વર્લ્ડ એન્જીનિયરીંગ ડે ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ૨૦૨૬ની થીમ “નવીનતા અને ડિજિટલાઇઝેશન દ્વારા ટકાઉ ભવિષ્ય માટે સ્માર્ટ એન્જિનિયરિંગ” છે. અદાણી સમૂહના નવીનીકરણીય ઊર્જા, ડિજિટલ આંતરમાળખું અને વિશાળ પાયે પરિવહન અને ઉપયોગિતા પધ્ધતિઓમાં કાર્યપ્રદાનના આ દ્રષ્ટિકોણને નજીકથી પ્રતિબિંબિત કરી દર્શાવે છે કે ટેકનોલોજી-આધારિત ઇજનેરી વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓમાં ટકાઉ વિકાસને કેવી રીતે સક્ષમ બનાવી શકે છે.

આ ભાગીદારીના કેન્દ્રમાં વિશ્વનો સૌથી મોટો ગુજરાતમાં નિર્માણાધિન ખાવડા ખાતેનો નવીનીકરણીય ઉર્જા પ્રકલ્પ છે, જેની ક્ષમતા ૨૦૨૯ સુધીમાં ૩૦ મેગાવોટ ઊર્જા પેદા કરવાનું લક્ષ છે, જેને  વર્લ્ડ ફેડરેશન ઓફ એન્જિનિયરીંગ ઓર્ગેનાઇઝેશન્સ (WFEO) એ તેના વર્લ્ડ એન્જિનિયરિંગ ડે ૨૦૨૬ના કાર્યક્રમ હેઠળ ભારતના હરિત સંક્રમણના એક નિર્ણાયક દ્રષ્ટાંત તરીકે પ્રકાશિત કરતા તેને સ્કેલ, મહત્વાકાંક્ષા અને તેની અસરની એક ટૂંકી ફિલ્મ મારફત ઝાંખી કરાવી છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ગુજરાત (ભારત) ના કચ્છમાં ખાવડામાં એક ઉજ્જડ અને વસવાટયોગ્ય જમીન પર વિશ્વનો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા (RE) પ્લાન્ટ વિકસાવી રહી છે. 538 ચોરસ કિમીમાં બનેલ, તે પેરિસ કરતા પાંચ ગણો મોટો અને મુંબઈ શહેર જેટલો મોટો પ્લાન્ટ છે. એકવાર પૂર્ણ થયા પછી, તે તમામ ઊર્જા સ્ત્રોતોની ક્ષિતિજમાં સૌથી મોટો ઊર્જા પ્રકલ્પ બનવા તરફ આગળ વધી રહેલા ખાવડાના આ પ્લાન્ટમાંથી અદાણી ગ્રીન એનર્જી લિ.એ અત્યાર સુધીમાં ૭ ગીગાવોટથી વધુ નવીનીકરણીય ઊર્જાની સંચીત ક્ષમતા કાર્યરત કરી છે. ૨૦૨૯ સુધીમાં સંપૂર્ણ કાર્યરત થતાં તે ૩૦ ગીગાવોટનું લક્ષ હાંસલ કરશે. તેની અન્ય વિશિષ્ટતાઓ એ છે કે આ વેગીલી પ્રગતિ ૨૦૩૦ સુધીમાં ૫00 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતાના ભારતના લક્ષ્ય પ્રત્યેની કંપનીની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. ખાવડાના આ પ્રકલ્પનું હરીત રોજગાર સર્જનનું વાર્ષિક યોગદાન ૧૫,૨૦૦ અપેક્ષિત છે. સૌર માટે પાણી વિનાની રોબોટિક સફાઈ પ્રણાલીઓ દ્વારા ૧,૭૧૬ મિલિયન લિટર પાણીની બચત કરશે  અને ૬૩.૬ મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને ટાળવામાં આવશે.

મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે સંદીપ સાગલેએ ચાર્જ સંભાળ્યો

ગાંધીનગર: ભારતના ચૂંટણીપંચે જાહેર કરેલા આદેશ બાદ ગુરૂવારે સંદીપ સાગલે (IAS)એ મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે ચાર્જ સાંભળ્યો.પ્રથમ દિવસથી જ પ્રોએક્ટિવ એપ્રોચ દાખવતા તેમણે CEO કચેરીની તમામ શાખાઓના અધિકારીઓ સાથે રાજ્યવ્યાપી તંત્રની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.ચૂંટણી સંચાલન, સંકલન, મતદારયાદી, મીડિયા સેલ, ફરિયાદ, આઈ.ટી. સહિતની વિવિધ શાખાઓના જવાબદાર અધિકારીઓ પાસેથી મુખ્ય નિર્વાચન અધિકારીએ વર્તમાન સ્થિતિનો તાગ મેળવી, જરૂરી સૂચનો આપ્યા હતા.તેમણે રાજયથી માંડી જિલ્લા સુધી તમામ સ્તરે તાલીમ સુયોગ્ય રીતે થાય તેના પર ભાર મુક્યો હતો. તાલીમ મોડ્યુલમાં રચનાત્મકતા લાવવા તાકીદ કરી હતી.આમ, આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓ, મતદાર યાદીના સંક્ષિપ્ત સુધારણા સહિતના વિવિધ આયોજનો માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સમગ્ર સ્ટાફ સજ્જ જોવા મળ્યો છે.

અમેરિકા, ઇરાનની વચ્ચે ટેન્શન ઓછું થવાના સંકેતોએ શેરબજારમાં તેજી

અમદાવાદઃ એશિયાના બજારોમાં તેજીની વચ્ચે ઘરેલુ શેરબજાર ચાર દિવસથી જારી ઘટાડા પછી તેજી સાથે બંધ થયું હતું. અમેરિકા અને ઇરાનની વચ્ચે ટેન્શન ઓછું થવાના સંકેતોથી બજારના સેન્ટિમેન્ટસ પર પ્રોત્સાહક અસર પડી હતી. ગુરુવારનો ટ્રેડિંગ સેશન ખાસ રહ્યું હતું, કારણ કે કારોબારના છેલ્લા કલાકમાં બજારમાં તેજી જોવા મળી હતી અને નિફ્ટીએ 300 અંકથી વધુની વૃદ્ધિ નોંધાવી હતી. તેમાં પણ લગભગ 250 અંકનો ઉછાળો છેલ્લા અડધા કલાકમાં આવ્યો હતો.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ બજારને આશા છે કે આ સંઘર્ષ લાંબો નહીં ચાલે અને ટૂંક સમયમાં કોઈ ઉકેલ સામે આવશે.. જોકે ટ્રેડિંગ પૂર્ણ થવાના થોડા સમય પહેલાં આવેલી સ્પષ્ટતા બાદ બજાર ઊંચા સ્તરથી થોડું નીચે આવ્યું, છતાં મજબૂત વધારાથી બંધ થયું હતું.ઇરાનના ઉપ વિદેશ મંત્રીના હવાલાથી જાણવા મળ્યું હતું કે જો અમેરિકા સંતોષકારક વિકલ્પ પ્રસ્તાવ આપે તો ઇરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ છોડવા તૈયાર છે. આ સમાચાર સામે આવતાં જ બજારમાં તેજ ઉછાળો જોવા મળ્યો. આ સમાચાર પહેલાં નિફ્ટી લગભગ 100 અંકની વૃદ્ધિ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો અને 24,600ના સ્તરથી નીચે હતો, પરંતુ સમાચાર આવ્યા પછી થોડા જ સમયમાં ઇન્ડેક્સ 24,850ની આસપાસ પહોંચી ગયો હતો.

ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 899.71 અંક (1.14%) વધીને 80,015.90 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 285.40 અંક (1.17%) વધી 24,765.90ના સ્તરે બંધ થયો. BSE પર કુલ 2,644 શેરોમાં વધારો નોંધાયો, જ્યારે 1430 શેરોમાં ઘટાડો રહ્યો અને 128 શેરોમાં કોઈ ફેરફાર થયો નહોતો.

વિશ્લેષકોનું કહેવું છે કે હાલ બજારની દિશા મોટા ભાગે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ઘટનાઓ પર આધારિત રહેશે. યુદ્ધ સંબંધિત કોઈ પણ સકારાત્મક અથવા નકારાત્મક સમાચારથી બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

 રોકાણકારોએ રૂ. 5.80 લાખ કરોડ કમાયા

BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન વધીને 452.98 લાખ કરોડ રૂપિયા થયું, જે અગાઉના ટ્રેડિંગ દિવસે 447.18 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે, BSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ રૂ. 6.55 લાખ કરોડનો વધારો થયો. અન્ય શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 6.55 લાખ કરોડનો વધારો નોંધાયો.

BSE પર કુલ 4397 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2801 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1456 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 140 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 66 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 381 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 190 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 152 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

શહેરી વિકાસના વિઝનનું સચોટ નિરૂપણ કરતું પુસ્તક

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, “શેપિંગ ટુમોરોઝ સીટીઝ – ફ્રોમ ક્લાયમેટ રીસ્ક ટૂ ગ્રીન ઓપોર્ચ્યુનીટીઝ” પુસ્તકનું વિમોચન કર્યું. ગુજરાત ઊર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલે આ પુસ્તક લખ્યું છે. જેમાં વિશ્વના દેશોના અર્બન ડેવલોપમેન્ટ અને અર્બનાઇઝેશન અનુરૂપ ભવિષ્યના શહેરી વિકાસના વિઝનથી સચોટ નિરૂપણ કરવામાં આવ્યું છે.

આધુનિક સમયમાં બદલાતાં વિશ્વમાં શહેરીકરણ-અર્બનાઇઝેશન સૌથી વધુ પરીવર્તનકારી પ્રક્રિયા છે. તેને સમસ્યા નહિ પરંતુ સસ્ટેનેબલ, ક્લાઇમેટ રિઝીલીયન્ટ અને ઇનોવેટીવ સિટીઝ તરીકે વિકસાવવાની તકોનું આ પુસ્તકમાં વિસ્તૃત આલેખન થયું છે. વધતાં જતાં શહેરીકરણને કારણે આવનારા દિવસોમાં એન્વાયરમેન્ટ અને સોશિયલ ચેલેન્જીસ માટેના ખાસ આગોતરા આયોજન અને નીતિ નિર્માણનું મહત્વ આ પુસ્તકમાં સમાવિષ્ટ છે. એટલું જ નહિ, અર્બનાઇઝેશન સાથે એનર્જી ડિમાન્ડ, રીસોર્સ કન્ઝમ્પશન અને ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન પરિણામે સર્જાતી કલાયમેટ ચેન્જની અસરોનું સમાધાન કરવાના વિચારો આ પુસ્તકતમાં વણી લેવામાં આવ્યા છે.

આર્થિક વિકાસયાત્રામાં શહેરોની ભૂમિકા ખૂબ મહત્વની રહેવાની છે. વધતાં શહેરીકરણને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસીંગ, પાણી અને મૂળભૂત સેવાઓ પર ભાર વધે છે. તેથી શહેરોના સુવ્યવસ્થિત આયોજન અને ટકાઉ વિકાસ ખૂબ જરૂરી છે. તેની છણાવટ આ પુસ્તકમાં કરવામાં આવી છે. સસ્ટેનેબલ ડેવલોમેન્ટ પ્રોજેક્ટને માટે ફંડીંગના માર્ગો પુસ્તકમાં દર્શાવવામાં આવ્યા છે. ક્લાયમેટ રીઝીલીયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ગ્રીન બોન્ડ, પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ, કાર્બન માર્કેટ અને ક્લાઈમેટ ફાઈનાન્સ જેવા પ્રયાસો દ્વારા મોટું રોકાણ પ્રાપ્ત કરી શકાય છે. આ સાધનો દ્વારા શહેરો જરૂરી મૂડી એકત્રીત કરી શકે છે. સાથે સાથે  સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની નાણાકીય ક્ષમતા મજબૂત બનાવવાની, મ્યુનિસીપલ ફાયનાન્સ સીસ્ટમને વધુ સુદ્રઢ કરવાની બાબતોને પણ આવરી લેવામાં આવી છે.

શહેરો સમસ્યાઓનું કારણ નથી, પરંતુ એવા પ્લેટફોર્મ છે જ્યાં સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પડકારોના ઉકેલો વિકસાવી શકાય છે. યોગ્ય આયોજન, ટેકનોલોજી અને સસ્ટેનેબલ પોલિસીઝ દ્વારા શહેરોને વિકાસના કેન્દ્ર અને ગ્રીન ફ્યુચરના આધારસ્તંભ બનાવી શકાય છે તે અંગે પણ આ પુસ્તકમાં આલેખન થયું છે.

કોઈ પણ મુદ્દો માત્ર સૈન્ય સંઘર્ષથી ઉકેલી શકાય નહીં:PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વાર મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે નવી દિલ્હીમાં ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ સાથેની વાતચીત બાદ જણાવ્યું હતું કે અમે એ બાબતે સહમત છીએ કે કોઈ પણ મુદ્દો માત્ર સૈન્ય સંઘર્ષ દ્વારા ઉકેલી શકાય નહીં.

તેમણે પશ્ચિમ એશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષોને “શીઘ્ર સમાપ્ત” કરવાની અપીલ કરતાં જણાવ્યું  હતું કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ સૈન્ય અથડામણ દ્વારા શક્ય નથી. તેમણે મિડિયા માટે જાહેર કરાયેલા નિવેદનમાં કહ્યું હતું કે યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, અમે સંઘર્ષોના વહેલા અંત અને શાંતિ માટે કરવામાં આવતા દરેક પ્રયાસને સમર્થન આપતા રહીશું.

ખડગેનો આરોપ — વડા પ્રધાને રાજકીય અને નૈતિક રીતે આત્મસમર્પણ કર્યું

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે ઈરાન યુદ્ધ સંબંધિત ઘટનાઓનો ઉલ્લેખ કરતાં આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય અને નૈતિક રીતે આત્મસમર્પણ કર્યું છે.

તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે મોદી સરકાર દ્વારા ભારતના વ્યૂહાત્મક અને રાષ્ટ્રીય હિતોની બેદરકારીપૂર્ણ અવગણના સૌના સમક્ષ છે. એક ઈરાની જહાજ ભારતનો મહેમાન હતો અને ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ 2026માંથી નિશસ્ત્ર પરત ફરી રહ્યું હતું, પરંતુ હિંદ મહાસાગર વિસ્તારમાં તેના પર હુમલો થયો. છતાં કોઈ ચિંતા અથવા શોક વ્યક્ત કરતું નિવેદન આવ્યું નથી. વડા પ્રધાન મોદી મૌન છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે હોર્મુઝની ખાડીમાં 1100 નાવિકો સાથે ભારતના ધ્વજવાળા 38 વેપારી જહાજ ફસાયા છે. કેપ્ટન આશિષકુમાર સહિત બે ભારતીય નાવિકોના મૃત્યુ થયાની માહિતી મળી રહી છે. સમુદ્રી બચાવ અથવા રાહત અભિયાન કેમ શરૂ કરવામાં આવ્યું નથી?

તેમણે જણાવ્યું હતું કે ખાડી વિસ્તારના દેશોમાં એક કરોડ ભારતીયો રહે છે. મેડિકલ વિદ્યાર્થીઓ મદદ માટે નિરાશાભર્યા વિડિયો સંદેશો જાહેર કરી રહ્યા છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે ભારત સરકાર તેમની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરી રહી છે? અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાની કોઈ યોજના છે?