Home Blog Page 2046

પંચાંગ 27/02/2024

વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ બેંકના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું

Paytm પેમેન્ટ્સ બેંકના સહ-સ્થાપક વિજય શેખર શર્માએ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું છે. One97 કોમ્યુનિકેશન લિમિટેડે Paytm પેમેન્ટ્સ બેંકના બોર્ડમાંથી તેના નોમિનીને પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે, ત્યારબાદ વિજય શેખર શર્માએ પણ બોર્ડના સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડનો ભાવિ વ્યવસાય હવે પુનઃરચિત બોર્ડ દ્વારા ચલાવવામાં આવશે.

નવા બોર્ડની રચના

સ્ટોક એક્સચેન્જમાં એક નિયમનકારી ફાઇલિંગમાં, Paytm ની મૂળ કંપની One97 Communications Limitedએ જણાવ્યું હતું કે Paytm પેમેન્ટ્સ બેંકે બોર્ડની નવેસરથી રચના કરવાનો નિર્ણય લીધો છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર, નિવૃત્ત IAS દેવેન્દ્રનાથ સારંગી, બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત ISS રજની સેખરી સિબ્બલને બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે.

વિશ્વઉમિયાધામનો ચતુર્થ પાટોત્સવ અમેરિકા સહિત 5 દેશમાં ઉજવાશે

અમદાવાદમાં જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહેલ છે. સાથે સાથે આસ્થા, ઉર્જા અને એકતાના કેન્દ્રસમા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અવનવા સામાજિક તેમજ ધાર્મિક પ્રસંગોનું આયોજન પણ કરવામાં આવી રહેલ છે. તે અંતર્ગત વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે કરોડો પાટીદારોના કુળદેવી જગત જનની મા ઉમિયાના સ્મૃતિ મંદિરના ચતુર્થ પાટોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે.

વિશ્વના 5 દેશોમાં ઉજવાશે પાટોત્સવ 

અમદાવાદના જાસપુર ખાતે 28 અને 29 ફેબ્રુઆરીના રોજ ચતુર્થ પાટોત્સવનું આયોજન કરાશે જેમાં 2 દિવસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિરના ચતુર્થ પાટોત્સવ નિમિતે નવચંડી યજ્ઞ, અન્નકૂટ તથા ધ્વજારોહણ જેવા ધાર્મિક પ્રસંગોનું આયોજન કરાયું છે. વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિરના ચતુર્થ પાટોત્સવ પ્રસંગની વાત કરતા સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી પટેલ જણાવે છે કે જગત જનની મા ઉમિયાનો ચતુર્થ પાટોત્સવ ન માત્ર જાસપુર પરંતુ વિશ્વના 5 દેશોમાં ઉજવાશે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને યુનાઈટેડ કિંગડમમાં માતાજીનો પાટોત્સવની ઉજવણી કરાશે. સાથો સાથ ગુજરાતના વિવિધ 33 જિલ્લાઓમાં પણ પાટોત્સવની ઉજવણી કરાશે. જેમાં દેશઅને દુનિયાના હજારો ઉમાભક્તો જોડાશે.

પાટોત્સવ નિમિતે અંગદાનના સંકલ્પ લેવડાવામાં આવશે

મહત્વનું છે કે વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિરના ચતુર્થ પાટોત્સવ નિમિતે અંગદાનના સંકલ્પ લેવડાવામાં આવશે. આ ઉપરાંત સમાજની પ્રવૃતિમાં જોડાયેલા સમયદાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવશે. સાથો સાથ 28 ફેબ્રુઆરીએ વિશ્વઉમિયાધામ ખાતે બિઝનેસ કોન્ક્લેવનું આયોજન કરાયું છે.

28 ફેબ્રુઆરી, બુધવારના કાર્યક્રમ

  • બપોરે 02:00 થી 04:00–રંગોળી અને મહેંદી સ્પર્ધા
  • બપોરે 03.00 થી 07.00—બિઝનેસ કોન્ક્લેવ
  • બપોરે 03.00 થી 07.00— બ્લડ ડોનેશન કેમ્પ
  • સાંજે 07.00 થી 07.30 –અંગદાન જાગૃતિ સેમિનાર
  • સાંજે 07.30- ભોજન પ્રસાદ

29 ફેબ્રુઆરી, ગુરુવારના કાર્યક્રમ

  • સવારે 08:30 કલાકે—ધ્વજારોહણ
  • સવારે 09.00 કલાકે—નવચંડી યજ્ઞ
  • સવારે 09.10 થી 01.00 – નિશુલ્ક આંખ,કાન,નાક,ગળા,હૃદય,ફેફસા, ડેન્ટલ, જનરલ ફિઝિશિયન, ફિઝિયોથેરાપી, સ્કિન જેવાં રોગનો મેગા મેડિકલ કેમ્પ..તથા બ્લડ ડોનેશન કેમ્પ
  • બપોરે 12.00 કલાકે—અન્નકુટ મહાઆરતી
  • બપોરે 01.00 કલાકે –ભોજન પ્રસાદ
  • સવારે 09.00 થી 03.30—અખંડ ધુન
  • બપોરે 04.00 થી 05.30— ધર્મસભા
  • સાંજે 5.30 કલાકે —શ્રીફળ હોમવાનો સમય
  • સાંજે 07.00 કલાકે – મા ઉમિયાની મહાઆરતી
  • સાંજે 07.30 કલાકે – ભોજન પ્રસાદ

કોંગ્રેસે અહેમદ પટેલની 45 વર્ષની વિરાસતને મિટાવી દીધી?

અમદાવાદઃ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં પણ ગઠબંધન કર્યું છે. ગુજરાતમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને બે લોકસભા સીટ પર ચૂંટણી લડવા માટે કહ્યું છે. આ બે લોકસભા બેઠકો ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક છે. જોકે ભરૂચ લોકસભા બેઠક આપને આપવાના કોંગ્રેસના નિર્ણય સામે અહેમદ પટેલના પરિવારે નારાજગી વ્યક્ત કરી છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો કોંગ્રેસના ઉમેદવાર ભરૂચમાં નહીં હોય તો તેઓ અન્ય કોઇ પક્ષને ટેકો નહીં આપે. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ આ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી હતી. અહેમદ પટેલ પરિવાર 45 વર્ષથી ભરૂચ લોકસભા બેઠક માટે મહેનત કરી રહ્યો છે. અહેમદ પટેલ સતત ત્રણ વખત આ બેઠક પર જીત્યા હતા. તે 1977, 1980 અને 1984ની લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર જીત્યા હતા. 1975માં કટોકટી બાદ જ્યારે દેશભરમાં કોંગ્રેસની વિરુદ્ધ લહેર હતી ત્યારે પણ અહેમદ પટેલે અહીંથી કોંગ્રેસને જીત અપાવી હતી.

જોકે 1984 બાદ 1989માં ચૂંટણી થઈ અને કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો. એ પછી આગામી સળંગ નવ ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસ જાળવી શકી ન હતી. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરી દીધા છે. 7 જાન્યુઆરીએ ભરૂચમાં એક જનસભાને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અહીંથી આપના ઉમેદવાર હશે. એટલે કે ગઠબંધનની જાહેરાત ન થાય તે પહેલા અરવિંદ કેજરીવાલે આ બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા.થોડા  દિવસ પહેલાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે જાહેર સભામાં જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસને આપવી જોઈએ, નહીં તો હું આ ગઠબંધનને ટેકો આપીશ નહીં.

 

 

 

કેરળના વાયનાડમાં રાહુલ ગાંધીને ટક્કર આપશે CPI ના એની રાજા

ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI) એ આગામી લોકસભા ચૂંટણી માટે ચાર બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે સીપીઆઈ કેરળના શાસક લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટમાં બીજા સૌથી મોટા ગઠબંધન પાર્ટનર છે.

એની રાજા રાહુલ ગાંધીને આપશે ટક્કર

કેરળની વાયનાડ સીટ પર, જ્યાંથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાંસદ છે, ત્યાં પણ I.N.D.I.A ગઠબંધન ખોરવાઈ રહ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા એની રાજાને મહત્વપૂર્ણ વાયનાડ મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે નામાંકિત કરવામાં આવ્યા છે. હાલમાં આ સીટ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાસે છે. દરમિયાન, પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ પન્નિયન રવીન્દ્રન તિરુવનંતપુરમથી ચૂંટણી લડશે. આ બીજી મહત્વની બેઠક છે, જેનું પ્રતિનિધિત્વ હાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર કરે છે.

આ જાહેરાત પાર્ટીના રાજ્ય સચિવ બિનોય વિશ્વમે એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. તેમણે કહ્યું કે ત્રિશૂરથી ભૂતપૂર્વ કૃષિ પ્રધાન વીએસ સુનિલ કુમાર અને પાર્ટીની યુવા પાંખ એઆઈવાયએફના નેતા સી એ અરુણકુમારને માવેલીક્કારા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવશે.

રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ઉમેદવારો ઉતારી ચૂંટણી રસપ્રદ બનાવી

નવી દિલ્હીઃ રાજ્યસભાની 56 સીટોમાંથી 41 સીટો પર ઉમેદવારોની પસંદગી નિર્વિરોધ થઈ છે, પણ ત્રણ રાજ્યોની 15 સીટો પર વધારાના ઉમેદવારોની ઘોષણા કરીને ભાજપે પેચ ફસાવ્યો છે. આ 15 સીટોમાં સૌથી વધુ 10 સીટો UPમાં છે, કર્ણાટકની ચાર અને હિમાચલ પ્રદેશની એક સીટ પર મંગળવારે વિધાનસભ્યો મતદાન કરશે. ભાજપના આ પગલાથી વિરોધ પક્ષોમાં અફરાતફરી મચી છે.

દેશમાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 10 સીટો માટે 11 ઉમેદવારો મેદાનમાં છે., એમાંથી નવ સીટો પર સ્થિતિ સ્પષ્ટ છે, પરંતુ 10મી સીટ પર સસ્પેન્સ છે. UP વિધાનસભાની 403 સીટો છે, પરંતુ હાલ વિધાનસભામાં 399 સભ્યો છે, એમાં ભાજપની પાસે 252 અને NDAની પાસે 277 વિધાનસભ્યો છે, જ્યારે SP પાસે 108 છે અને ઇન્ડિયા ગઠબંધનની મળીને 110 સીટો થાય છે. અહીંથી જીતવા માટે એક ઉમેદવારને 37 વિધાનસભ્યોની પહેલી પ્રાથમિકતાવાળા મત જોઈએ.

હિમાચલ પ્રદેશ વિધાનસભામાં 68 વિધાનસભ્યો છે, અહીં રાજ્યસભાની સીટ જીતવા માટે ઉમેદવારને 35 વિધાનસભ્યોના મતોની જરૂર હશે. કોંગ્રેસની પાસે 40 છે અને ભાજપની પાસે 25 વિધાનસભ્યો છે અહીંથી જીત નોંધાવા માટે દૂર હોવા છતાં ભાજપે ઉમેદવારને ઉતારી ચૂંટણી રસપ્રદ બનાવી દીધી છે. કોંગ્રેસે વરિષ્ઠ નેતા અભિષેક સિંઘવીને ઉતાર્યા છે, જ્યારે ભાજપે સિંઘવીની વિરુદ્ધ હર્ષ મહાજનને ઉતાર્યા છે.

કર્ણાટકની ચાર સીટો માટે પાંચ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કર્ણાટક વિધાનસભ્યોમાં હાલ કુલ 223 સભ્યો છે. અહીં એક ઉમેદવારને જીત માટે 45 મતોની જરૂર છે. કર્ણાટકમાં ભાજપની પાસે 66 વિધાનસભ્યો છે અને એણે એક ઉમેદવાર ઉતાર્યો છે, જ્યારે એચડી કુમારસ્વામીની પાર્ટી જેડી-એસના 19 વિધાનસભ્યો છે અને ભાજપના સમર્થન પછી એમના વિધાનસભ્યોની કુલ સંખ્યા 85એ પહોંચે છે. જેડી-એસે પણ એક ઉમેદવાર ઉતાર્યો છે.

 

 

 

 

ગુજરાત સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા

ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની સાથે સાથે પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જેના ભાગરૂપે રવી માર્કેટિંગ સીઝન 2024-25 માટે રાજય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ઘઉં પ્રતિ ક્વિન્ટલ રૂ. 2275/-,બાજરી પ્રતિ ક્વિન્ટલ રૂ.2500/-,જુવાર (હાઈબ્રીડ) પ્રતિ ક્વિન્ટલ રૂ. 3180/-,જુવાર (માલદંડી) પ્રતિ ક્વિન્ટલ રૂ.3225/- જ્યારે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.2090/-ના દરે લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદવાનો રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. તેમ,અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.

પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા બોનસ જાહેર કરાયું

મંત્રી કુંવરજીભાઇએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આ પોષણક્ષમ ભાવો નિયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.300/-બોનસ પણ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવાની ઈચ્છા ધરાવતા ખેડૂતોએ રાજ્ય સરકારના FPP -(Farmers Procurement Portal) પોર્ટલ પર ફરજીયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. આ માટે ખેડૂતો મિત્રો આવતીકાલે એટલે કે 27 ફેબ્રુઆરીથી 31 માર્ચ 2024 સુધી ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે.

196 ખરીદ કેન્દ્રો-ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી આગામી 15 માર્ચ 2024થી કુલ 196 ખરીદ કેન્દ્રો-ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે. મંત્રીએ કહ્યું હતું કે,ખેડૂતોએ નોંધણી માટે આધારકાર્ડની નકલ,ગામ નમૂના 7-12 તથા 8-અ ની અદ્યતન નકલ, ગામ નમૂના ૧૨ માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો તાજેતરનો દાખલો તેમજ ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ જેવા નિયત કરેલા આધાર- પુરાવા રજૂ કરવાના રહેશે.ખેડૂત ખાતેદારના આધારકાર્ડ સાથેના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે.

PM મોદીએ દેશના અનેક રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રૂ. 41,000 કરોડથી વધુની કિંમતના લગભગ 2,000 રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ દરમિયાન તેમણે કેટલાક પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત પણ કર્યા. મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘પ્રધાનમંત્રી અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ 553 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત આ સ્ટેશનોનો 19,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવશે.

વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર આ સ્ટેશનો શહેરની બે બાજુઓને એકસાથે લાવીને ‘શહેરના કેન્દ્ર’ તરીકે કામ કરશે. આ સ્ટેશનો પર સુંદર લેન્ડસ્કેપ, ઇન્ટર મોડલ કનેક્ટિવિટી, ચિલ્ડ્રન પ્લે એરિયા, કિઓસ્ક, ફૂડ કોર્ટ સહિતની આધુનિક પેસેન્જર સુવિધાઓ ઉપલબ્ધ હશે.

આ સ્ટેશનોનો પુનઃવિકાસ પર્યાવરણ અને વિકલાંગ મૈત્રીપૂર્ણ રીતે કરવામાં આવશે. આ સ્ટેશન ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે. પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં ગોમતી નગર સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. અંદાજે રૂ. 385 કરોડના કુલ ખર્ચે તેનું પુનઃવિકાસ કરવામાં આવ્યું છે.

આ સિવાય વડાપ્રધાને 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનો શિલાન્યાસ કર્યો અને તેમાંથી કેટલાક રાષ્ટ્રને સમર્પિત પણ કર્યા. આ રોડ ઓવરબ્રિજ અને અંડરપાસ 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા છે. આ પ્રોજેક્ટ્સ અંદાજે રૂ. 21,520 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સ ભીડમાં ઘટાડો કરશે, સલામતી અને કનેક્ટિવિટી વધારશે અને રેલ મુસાફરીની ક્ષમતા અને કાર્યક્ષમતામાં સુધારો કરશે.

ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન

નવી દિલ્હીઃ જાણીતા ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેમની પુત્રી નાયબે તેમના નિધનની માહિતી સોશિયલ મિડિયા પર આપી છે. તેમણે પોસ્ટમાં કહ્યું હતું કે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી, 2024એ નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તેઓ 73 વર્ષના હતા.

તેમની ઉંમર 73 વર્ષની હતી. તેમને મોટી ઓળખ ફેમસ ગઝલ ‘ચિટ્ઠી આઈ હૈ’ ગીતથી મળી હતી.આ દુઃખદ સમાચાર સામે આવતા જ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સોશિયલ મિડિયા પર દરેક લોકો અશ્રુભીની આંખો સાથે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

પંકજ ઉધાસ કોણ છે, તેઓ ગુજરાતના વતની

પંકજ ઉધાસનો જન્મ ગુજરાતના જેતપુરના ચરખડી ગામમાં થયેલો છે. તેમના પરિવારમાં તે સૌથી નાના હતા. તેમને ત્રણ ભાઈઓ છે. ત્રણે ભાઈ ગાયક કલાકાર છે. તેમના સૌથી મોટા ભાઈ મનહર ઉધાસ અને બીજા ભાઈ નિર્મલ ઉધાસ છે. તેમના પિતાનું નામ કેશુભાઈ ઉધાસ અને માતાનું નામ જિતુબેન ઉધાસ, પંકજ ઉધાસે પ્રારંભિક અભ્યાસ ભાવનગરમાં કર્યો, ત્યાર બાદ પરિવાર મુંબઈ શિફ્ટ થયા બાદ તેમણે મુંબઈ સેન્ટ ઝેવિયર્સમાં કોલેજ કરી હતી.

પંકજ ઉધાસે અનેક આલબમ તેમજ લાઇવ કોન્સર્ટ કર્યા છે જેના કારણે એમની લોકપ્રિયતા ખૂબ વધી. પંકજ ઉધાસને ભારતના ચોથા સર્વોચ્ય નાગરિક પુરસ્કાર, પદ્મશ્રીથી નવાઝવામાં આવ્યા છે. પંકજે 1982માં ફરીદા ઉધાસ સાથે લગ્ન કર્યા.તેમણે હિન્દી ફિલ્મો ઉપરાંત ગુજરાતી ફિલ્મો અને ટેલિવિઝન શોમાં પણ અવાજ આપ્યો હતો. ઉધાસને તેમના અભિનય માટે અનેક પુરસ્કારો પણ મળ્યા છે. પંકજ ઉધાસ ભારતીય સંગીત ઉદ્યોગના સૌથી પ્રિય અને આદરણીય કલાકારોમાંના એક છે. તેમની પ્રતિભા અને સિદ્ધિઓને હંમેશા યાદ કરવામાં આવશે.

અમદાવાદ શહેરનો હેપી બર્થડે…

અમદાવાદઃ ‘જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહ ને શહર બસાયા.’ અમદાવાદની સ્થાપના સાથેની આ વાત પાઠ્યપુસ્તકોમાંય છપાઈ ચૂકી છે. કર્ણાવતી, અહમદાબાદ, અમદાવાદ અને આશાવલ જેવાં નામોથી ઓળખાતું ગુજરાતની મધ્યનું અને તમામ ક્ષેત્રે ધમધમતું અમદાવાદ શહેર આજે 613 વર્ષ જેટલો જૂનો ઈતિહાસ ધરાવે છે.

નદીની રેતમાં રમતું એ,

રિવરફ્રન્ટની પાળી ઉપર બેસતું

થઈ ગયું.

લાલ બસ અને રિક્ષામાં ફરતું શહેર…

મેટ્રોમાં દોડતું થઈ ગયું ,

અડધી ચા અને ચવાણામાં ધરાતું એ …

રાતદિવસ એસ.જી. હાઈવે, સિંધુભવન પર બેસતું થઈ ગયું.

કોઈ શહેરનો બર્થડે કેવી રીતે હોય? એમ ઘણા લોકોના મનમાં વિચાર આવે.. પણ 26 ફેબ્રુઆરીએ અમદાવાદ શહેરનો હેપી બર્થડે ઊજવવામાં આવી રહ્યો છે.

હિંદુ,જૈન, મુસ્લિમ સ્થાપત્યોથી ભરપૂર જૂનું અમદાવાદ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. બીજી તરફ પૂર્વ અને પશ્ચિમમાં ગગનચુંબી ઇમારતો, બીઆરટીએસ,મેટ્રો, રિવરફ્રન્ટ જેવી અનેક સુવિધાઓ સાથે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પહેલાં 132 ફૂટ રિંગ રોડ, એસ.જી.હાઈવે અને હવે 200 ફૂટ રિંગ રોડ સુધી પહોંચેલા અમદાવાદની અંદર મોટી સંખ્યામાં નાનાં-મોટાં ગામડાંઓ ભળી ગયાં છે.

છસ્સો વર્ષ કરતાંય વધારે વર્ષથી તડકાછાંયડા જોઈ ચૂકેલા શહેરના જન્મદિવસ નિમિત્તે શહેરમાં અનેક જગ્યાએ કાર્યક્રમો યોજાયા છે. એલિસબ્રિજને અડીને આવેલા ઐતિહાસિક માણેકબુરજને સજાવવામાં આવ્યો. ગુજરાત યુનિવર્સિટી , એલ.ડી.ની દિવાલ પર હેરિટેજ સિટીનાં ચિત્રો દોરવામાં આવ્યાં. જ્યારે જમાલપુરથી  ઊંટગાડા, બળદગાડા , ડીજે, પ્લે કાર્ડ સાથે વિરાટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

હેપ્પી બર્થડે અમદાવાદ રેલીના આયોજકો ચિત્રલેખા.કોમને કહે છે અમે ત્રણ વર્ષથી ઉત્સાહપૂર્વક રેલીનું આયોજન કરીએ છીએ. જમાલપુર દરવાજાથી માણેકચોક સુધી આ રેલી લઈ જવામાં આવે છે, જેમાં ઐતિહાસિક અમદાવાદની ઝાંખી જોવા મળે છે. આ સાથે કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે.

ગુજરાત રાજ્યમાં સાબરમતી નદીના કિનારે વસેલું અમદાવાદ ઐતિહાસિક છે. એક સમયે ધમધમતી  મિલોને કારણે માન્ચેસ્ટર કહેવાતું. હવે શૈક્ષણિક સંસ્થાઓ, કારખાના, હોટેલ રેસ્ટોરાં, આરોગ્યની સુવિધાઓ વેપારથી ધમધમી રહ્યું છે. સ્વચ્છતા, સુવિધાઓ સાથે સ્માર્ટ સિટી બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)