Home Blog Page 2065

ટીમ ઇન્ડિયાનો કમાલઃ 30 વર્ષોમાં સૌપ્રથમ વાર થયું આવું…

રાજકોટઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચોની સિરીઝની ત્રીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસની રમતને અંતે 51 ઓવરમાં ભારતે બીજી ઇનિંગ્સમાં બે વિકેટે 196 રન બનાવ્યા હતા. આ પહેલાં ઇંગ્લેન્ડની ટીમ 319 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જ્યારે ભારત 322 રન સાથે મજબૂત સ્થિતિમાં છે.

ઇંગ્લેન્ડે સવારે બે વિકેટ 207 રનથી રમવાનું શરૂ કર્યું હતું. બેટર બેન ડકેટે ગઈ કાલે ફટકારેલી સદી બાદ કુલ 153 રન બનાવ્યા હતા. ત્યાર બાદ આખી ટીમમાંથી ખાસ કોઈ ક્રીઝ પર ટકી નહોતું શક્યું અને બાકીની ટીમ આશરે 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બેન સ્ટોક્સ (41) અને ફોક્સ (13) રન બનાવ્યા હતા, જ્યારે બાકીના ખેલાડીઓ દ્વિઅંકી રનને પણ પાર નહોતા કરી શક્યા. ભારત વતી સિરાજે ચાર વિકેટ લીધી હતી. જ્યારે યાદવ અને જાડેજાને બે-બે વિકેટ મળી હતી.

30 વર્ષોમાં પહેલી વાર થયું આવું

વર્ષ 1993-94 પછી ભારતે સૌપ્રથમ વાર ઘરેલુ જગ્યાએ કોઈ ટેસ્ટ સિરીઝના પ્રારંભમાં પહેલી ઇનિંગ્સમાં વિરોધી ટીમથી વધુ રનોની લીડ હાંસલ કરી છે. ભારતે છેલ્લે શ્રીલંકાની વિરુદ્ધ આવું કર્યું હતું. ભારતે ઇંગ્લેન્ડની સામે પહેલી ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં 190 રનોની, બીજી ટેસ્ટમાં 143 રનોની અને ત્રીજી ટેસ્ટમાં 126 રનોની લીડ હાંસલ કરી હતી.

ઇંગ્લેન્ડ 319 રનમાં ઓલઆઉટ થતાં ભારતને 126 રનની લીડ મળી હતી. ત્યાર બાદ રોહિત શર્મા અને યશસ્વી શર્મા બેટિંગ કરવા ઊતર્યા હતા, જેમાં રોહિત શર્મા (19) રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી. ત્યાર બાદ તે રિટાર્યર્ડ હર્ટ થયો હતો. એ પછી પાટીદાર ઝીરો રને આઉટ થયો હતો. દિવસને અંતે ગિલ 65 રન અને કુલદીપ યાદવ ત્રણ રન સાથે દાવમાં છે.

 

 

 

 

 

 

 

તાઈવાન સાથે ડીલ થકી ભારતીયોને મળશે રોજગાર!

એક નિર્ણાયક પગલું ભરતા ભારતે તાઈવાન સાથે મજૂર કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેના પછી ભારતીય કામદારો તાઈવાનમાં જઈને કામ કરી શકશે. આવી સ્થિતિમાં એ સમજવું જરૂરી બની ગયું છે કે જો ચીન અને તાઈવાન વચ્ચે યુદ્ધ થાય છે તો તેની ભારતની સુરક્ષા પર કેટલી અસર પડશે. ચીન સતત તાઈવાનને ઠગ રાજ્ય ગણાવે છે. 16 ફેબ્રુઆરી, 2024ના રોજ હસ્તાક્ષર કરાયેલા આ દ્વિપક્ષીય કરારને બંને દેશો વચ્ચે મજબૂત સંબંધ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ કરાર તાઇવાનમાં ભારતીય સ્થળાંતર કામદારોની ભરતી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કે આ અહેવાલ દાખલ કરવામાં આવે ત્યાં સુધી ચીન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ આ પગલાની આકરી પ્રતિક્રિયા થવાની સંભાવના છે.

 

 

દૂતાવાસોમાં મજૂર કરાર પર હસ્તાક્ષર કર્યા

તાઈવાનના શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશોની રાજધાની તાઈપેઈ અને દિલ્હીમાં તાઈવાન-ભારતના દૂતાવાસોમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને દેશો આ કરાર પર આગળનું પગલું ક્યારે લેશે? આ માહિતી આપવામાં આવી નથી. શ્રમ કરારની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ લાંબી વાટાઘાટો બાદ આ કરાર થયો છે. અહેવાલ મુજબ, બંને દેશો વચ્ચે શ્રમ સહયોગ પર વાતચીત 2020 માં જ શરૂ થઈ હતી પરંતુ કોવિડને કારણે, વાતચીત પૂર્ણ થઈ શકી ન હતી. રોગચાળા પછી ફરી વાતચીત શરૂ થઈ. એવી અપેક્ષા છે કે કરારના મુખ્ય મુદ્દાઓ સપ્ટેમ્બર સુધીમાં નક્કી કરવામાં આવશે.

તાઈવાનમાં મોટી સંખ્યામાં માઈગ્રન્ટ્સ કામ કરે છે

તાઈવાન સેમિકન્ડક્ટર બનાવવા માટે જાણીતું છે પરંતુ તેની વસ્તી સતત વૃદ્ધ થઈ રહી છે. હાલમાં તાઈવાનમાં લગભગ 7 લાખ પ્રવાસી કામદારો કામ કરી રહ્યા છે. કામદારો મુખ્યત્વે વિયેતનામ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને થાઈલેન્ડથી તાઈવાન આવે છે. આમાંના મોટાભાગના કામદારો ઉત્પાદન અને વૃદ્ધોની સંભાળ રાખવા સાથે સંકળાયેલા છે. રિપોર્ટ અનુસાર, તાઈવાનમાં દર વર્ષે સ્થળાંતર કામદારોની માંગ વધી રહી છે. તાઈવાનના મંત્રાલયે ભારતીય કામદારોને ભરોસાપાત્ર અને મહેનતુ ગણાવતા આ યોજના જાહેર કરી. મંત્રાલયે કહ્યું કે સ્કીમના મુદ્દાઓ ક્લીયર થયા બાદ ભારતીય કામદારોને પ્રવેશ આપવામાં આવશે. તાઇવાનમાં કેટલા કામદારોને બોલાવવાની જરૂર છે? તેનો નંબર પણ તાઈવાન જ નક્કી કરશે.

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 8ના મોત

તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા હતા અને 3 લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી.

વિરધુનગરની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ

પોલીસે જણાવ્યું કે વિરૂદ્ધનગર જિલ્લામાં શનિવારે વિસ્ફોટ થયો હતો. પ્રાથમિક તપાસને ટાંકીને પોલીસે જણાવ્યું કે મૃતકોમાં મહિલાઓ પણ સામેલ છે અને વિસ્ફોટનું કારણ જાણવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ઘટના વેમ્બકોટ્ટાઈ પોલીસ સ્ટેશનની હદમાં બની હતી.

રાજ્યમાં આફ્રિકી સ્વાઇન ફ્લુનો પ્રવેશઃ એકનું મોત

અમદાવાદઃ દેશમાં ફરી એક વાર ફ્લુનો કેર વધવાનું જોખમ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદની પાસે એક ગામમાં આફ્રિકી સ્વાઇન ફ્લુના કેસો સામે આવ્યા છે. નવા આફ્રિકી સ્વાઇન ફ્લુથી આશરે 100 ભૂંડોનાં મોત થયાં છે. ત્યાર બાદ આખા વિસ્તારને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે અને ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવી છે. આફ્રિકી સ્વાઇન ફ્લુને લઈને આરોગ્ય વિભાગ પણ અલર્ટ થઈ ગયો છે.

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદની પાસે મસાવદ ગામમાં આફ્રિકન સ્વાઇન ફ્લુ ફેલાયો છે. એ સિવાય ગુજરાતના તાપી જિલ્લામાં પણ ફ્લુના કેસ મળી આવ્યા છે. આ ફ્લુના કેસ મળવાથી લોકો દહેશતમાં આવી ગયા છે. મસાવદમાં ડુક્કરોનાં મોત પછી તત્કાળ તપાસ કરાવવામાં આવી રહી છે. આ તપાસ માટે નમૂના ભોપાલની લેબમાં મોકલવામાં આવ્યા છે. અહીંના 10 કિલોમીટરના વિસ્તારને ઓફ-લિમિટ ઘોષિત કરવામાં આવ્યો છે.

બીજી બાજુ ગુજરાતના મહેસાણાના વીસનગરમાં સ્વાઇન ફ્લુથી એક વ્યક્તિનું મોત પણ થયું છે. 52 વર્ષી આધેડ વ્યક્તિ કાસા રોડની રહેવાસી હતી.

સ્વાઇન ફ્લુના 24 સંદિગ્ધ કેસ

મહેસાણા જિલ્લાના સ્વાઇન ફ્લુના 24 સંદિગ્ધ કેસો સામે આવ્યા છે, જેમાંથી ચાર લોકોનો રિપોર્ટ પોઝિટવ આવ્યા છે. એટલે આરોગ્ય વિભાગ સાવધાન થઈ ગયો છે. આ ફ્લુથી ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વયોવૃદ્ધોને વધુ જોખમ રહે છે. એ સાથે ફેફસાંની બીમારી, જાડાપણું, ડાયાબિટીસ સહિત અનેક બીમારીઓથી પીડિત લોકોએ એના સંક્રમણનું જોખમ વધુ રહે છે.

 

 

 

 

 

 

‘લોકસભા ચૂંટણીમાં દરેક સીટ પર બીજેપીનો એક જ ઉમેદવાર’: PM મોદી

લોકસભાની ચૂંટણી પહેલા સરકારની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવા અને પક્ષની ભાવિ રણનીતિ બનાવવા માટે ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન આજથી દિલ્હીમાં શરૂ થયું છે. ભાજપના આ બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા માટે પીએમ મોદી પણ દિલ્હીના ભારત મંડપમ પહોંચ્યા હતા. પાર્ટીની બેઠકને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભાજપે 370 લોકસભા બેઠકો જીતવી એ શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ હશે, જેમણે કલમ 370 નાબૂદ કરવા માટે લડ્યા હતા. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણીમાં બીજેપીનું ચૂંટણી ચિન્હ ‘કમળ’ પાર્ટીના ઉમેદવાર હશે. આ સાથે પીએમે દરેકને પોતાની જીત સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી.

રામ મંદિરનો પ્રસ્તાવ પાસ થઈ શકે છે

ભારત મંડપમમાં આયોજિત આ સત્રમાં પાર્ટી અયોધ્યામાં જીવનના અભિષેકને લઈને એક અલગ ઠરાવ પસાર કરી શકે છે. સંમેલનની શરૂઆતના એક દિવસ પહેલા પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ મોદી સરકારની 10 વર્ષની ઉપલબ્ધિઓ પર ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું અને સ્પષ્ટ કર્યું કે દેશભરના પક્ષના અધિકારીઓની બેઠકમાં આ ચર્ચાનો એક મહત્વપૂર્ણ મુદ્દો હશે.

પીએમ મોદીએ લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે 370 સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે મોદી સરકારની છેલ્લા 10 વર્ષની ઉપલબ્ધિઓ અને ખાસ કરીને ગરીબ કલ્યાણ યોજનાઓ મહત્વની ભૂમિકા ભજવવાની છે. આ સંમેલનમાં 11 હજારથી વધુ પ્રતિનિધિઓને આ સિદ્ધિઓને બૂથ લેવલ સુધી લઈ જવા માટે મંત્ર આપવામાં આવશે.

અનુષ્કા અને કોહલીના જીવનમાં ફરી ‘વસંત’ આવશે

નવી દિલ્હીઃ દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી અને બોલીવૂડની મશહૂર એક્ટ્રેસ અનુષ્કા શર્મા બીજી વાર માતા-પિતા બનવાનાં છે. જોકે કપલે બીજા બાળકની સત્તાવાર જાહેરાત નહોતી કરી, પણ અહેવાલો કહે છે કે અનુષ્કા શર્મા થોડા દિવસોમાં બીજા બાળકને જન્મ આપવાની છે. તે તેની ડિલિવરી માટે લંડન ગઈ છે. ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ X પર એની માહિતી આપી હતી. એ મુજબ બેબી કોહલી આ વિશ્વમાં ડગ માંડશે, જે પિતાની જેમ ક્રિકેટર અથવા માતાની જેમ એક સફળ એક્ટર બનશે.

હર્ષ ગોએન્કાએ X પર પોસ્ટમાં મેડ ઇન ઇન્ડિયા અને To Be Born In London હેશટેગનો પ્રયોગ કર્યો છે. અનુષ્કા શર્માની પ્રેગનન્સીના સમચાર ઓક્ટોબર, 2023માં સામે આવ્યા હતા. એ વખતે આ સમાચાર વાઇરલ થયા હતા. જાન્યુઆરી, 2024માં એબી ડી વિલિયર્સે એક યુટ્યુબ ચેનલ પર અનુષ્કા શર્માની પ્રેગનન્ટ હોવાના સમાચાર કન્ફર્મ કર્યા હતા.

તેણે જણાવ્યું હતું કે વિરાટ તેના બીજા બાળકનું સ્વાગત કરવાનો છે. લોકો માટે પરિવાર બહુ જરૂરી છે. આવામાં લોકોએ તેમના નિર્ણયો પર ટીકાટિપ્પણ ના કરવાં જોઈએ.

વર્ષ 2017માં વિરાટ કોહલી અને અનુષ્કાએ લગ્ન કર્યાં હતાં. અનુષ્કાએ 2021માં તેમની પુત્રી વામિકાને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ તે તેની સ્પોર્ટ્સ ડ્રામા ચકદા એક્સપ્રેસ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આવામાં તેમની જિંદગીમાં ફરી વસંત આવવાની છે.

 

 

 

 

 

મધ્ય પ્રદેશમાં હવે કમલનાથ હાથથી ‘કમળ’ ખિલવશે?

ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજકારણમાં ફરી એક વાર ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કમલનાથ અને તેમના પુત્ર તેમ જ સાંસદ નકુલનાથ ભાજપમાં સામેલ થવાની અટકળો તેજ થઈ છે. મધ્ય પ્રદેશની છીંદવાડા સીટથી લોકસભા સાંસદ નકુલનાથે સોશિયલ મિડિયા પ્રોફાઇલથી પાર્ટીનું નામ અને લોગો ગાયબ થઈ ગયું છે. પિતા-પુત્રની જોડી 19 ફેબ્રુઆરીએ ભાજપમાં સામેલ થવાની વકી છે.

આ પહેલાં કમલનાથે છીંદવાડાનો પ્રવાસ રદ કરીને પુત્ર સાથે દિલ્હી રવાના થઈ ગયા છે. તેમની આ દિલ્હીની મુલાકાતથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.ભાજપના પ્રદેશપ્રમુખ વીડી શર્માએ કમલનાથ અને તેમના પુત્ર માટે કહ્યું હતું કે તેઓ ભાજપમાં સામેલ થવા ઇચ્છે તો તેમનું સ્વાગત છે. આ પહેલાં ભાજપના ભૂતપૂર્વ લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજને કમલનાથને ભાજપમાં સામેલ થવાની ઓફર કરી હતી. તેમણે કહ્યું હતું કે કમલનાથ આવવા ઇચ્છતા હોય તો રામનું નામ લઈને આવી શકે છે.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી કમલ નાથ વચ્ચે ફરી એક વાર મુલાકાત થઈ હતી. અચાનક થયેલી આ મુલાકાતને લઈને કેટલીય વાતો વહેતી થઈ છે અને સાંજે છીંદવાડા કલેક્ટરને હટાવી દીધા. કલેક્ટરની અચાનક બદલીને આ મુલાકાત સાથે જોડીને જોવામાં આવે છે

છેલ્લા એક મહિનામાં કમલનાથ ત્રણ વારથી પણ વધારે મુખ્ય મંત્રી મોહન યાદવ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. એક વાર ખુદ મુખ્યમંત્રી કમલ નાથને મળવા તેમના બંગલે પહોંચ્યા હતા. મુખ્ય મંત્રી ડોક્ટર મોહન યાદવ સાથે મુલાકાત કર્યા બાદ ભૂતપૂર્વ CM કમલ નાથે કહ્યું કે છીંદવાડાના વિષયમાં વાત કરવા આવ્યો હતો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આવતીકાલે મુંબઈમાં યોજાશે “ભાષાને શું વળગે ભૂર” કાર્યક્રમ

ગુજરાતી સાહિત્ય જેટલું સમૃદ્ધ છે એટલું જ અન્ય ભાષાઓનું સાહિત્ય પણ સમૃદ્ધ છે. બીજી ભાષાઓમાંથી કંઈક ઉત્તમ ગુજરાતી ભાવકો સુધી પહોંચે એવા આશયથી મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી કેઈએસ સંચાલિત ગુજરાતી ભાષાભવનના સહયોગમાં એક રસપ્રદ આયોજન કર્યું છે.

“ભાષાને શું વળગે ભૂર” ટાઈટલ હેઠળ આ કાર્યક્રમમાં મુંબઈ સમાચારના ભૂતપૂર્વ તંત્રી તથા લેખિકા પિંકી દલાલ, કન્નડ ભાષાની ખૂબ વખણાયેલી નવલકથા “આવરણ” (લેખક: ડૉ.એસ.એલ.ભૈરપ્પા) વિશે વાત કરશે.

અગાઉ પત્રકારત્વ તથા ટીવી શોઝ સાથે સંકળાયેલાં હેતલ દેસાઈ ક્રિષ્ના સોબતીની હિન્દી ભાષામાં લખાયેલી સંસ્મરણ કથા ‘ગુજરાત હિયર, અ ગુજરાત ધેર’ વિશે વાત કરશે. આ કથામાં પાકિસ્તાનમાં આવેલા ગુજરાતની વાત છે. જ્યારે કવયિત્રી પ્રતિમા પંડ્યા મન્નુ ભંડારીની હિન્દી ભાષામાં લખાયેલી નવલકથા “આપકા બંટી” વિશે વાત કરશે.

આ કાર્યક્રમનું સંચાલન મુંબઈની એસ.એન.ડી.ટી. કૉલેજનાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તથા સંશોધક ડૉ.દર્શના ઓઝા કરશે.

નોંધનીય છે કે આ કાર્યક્રમ દરમિયાન ત્યાં હાજર શ્રોતાઓ પણ પોતાના પ્રશ્નો પૂછી શકે છે.

આ સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન કરનાર કવિ સંજય પંડ્યા છે. તો રાહ કોની જોવાની તમે પણ આ કાર્યક્રમનો ભાગ બનવાની ઈચ્છા રાખતા હોય તો પહોંચી જાઓ ૧૮ ફેબ્રુઆરી રવિવાર સાંજે ૫.૩૦ વાગ્યે કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલ , ઈરાની વાડી, હેમુ કલાની ક્રોસ રોડ નંબર ૩, એશિયન બેકરીની સામેની ગલીમાં , કાંદીવલી પશ્ચિમના સરનામ.

ઇસરો ફરી રચશે ઇતિહાસઃ ‘નોટી બોય’ સેટેલાઇટ કરશે લોન્ચ

નવી દિલ્હીઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) અંતરીક્ષમાં ફરી એક વાર ઇતિહાસ રચશે. ઇસરો હવામાનમાં આવતા પલટાને માલૂમ કરવા માટે એક ઉપગ્રહને લોન્ચ કરશે. આ સેટેલાઇટનો હેતુ હવામાનની સટિક માહિતી આપવાનો છે. ઇસરોએ આ સેટેલાઇટનું નામ INSAT-3DS  છે, જેને નોટી બોયના ઉપનામથી પણ ઓળખી શકાય છે. આ ઉપગ્રહનું લોન્ચિંગ જિયોસિક્રોનસ લોન્ચ વેહિકલ (GSLV- F14)થી કરવામાં આવશે.

ઇસરોએ જણાવ્યું હતું કે GSLV-F14 શનિવારે સાંજે 5.35 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે. આ રોકેટનું એકંદરે 16મું મિશન હશે અને સ્વદેશી રીતે વિકસિત ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરીને તેની 10મી ઉડાન હશે.ISROનો મીટિરિયોલોજિકલ સેટેલાઇટ (ઇસરો વેધર સેટેલાઇટ) INSAT-3DS GSLV રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. બદલાતા હવામાન ઉપરાંત અવકાશમાં હાજર આ ઉપગ્રહ આવનારી આફતોની સમયસર માહિતી પણ આપશે. GSLV રોકેટને ‘નોટી બોય’ નામ આપવામાં આવ્યું છે, કારણ કે તેની નિષ્ફળતા દર 40 ટકા છે. આ રોકેટ સાથે કરાયેલા 15 પ્રક્ષેપણમાંથી ચાર નિષ્ફળ ગયાં છે. આ ઉપગ્રહ અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને ઈસરો દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવી રહ્યો છે.

GSLV ત્રણ તબક્કાનું રોકેટ છે, જેની ઊંચાઈ 51.7 મીટર છે. આ રોકેટ દ્વારા 420 ટનનો ભાર અવકાશમાં મોકલી શકાય છે. રોકેટમાં ભારત નિર્મિત ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ISRO થોડા વધુ લોન્ચિંગ પછી તેને નિવૃત્ત કરવાની યોજના ધરાવે છે.આ ઉપગ્રહનું વજન 2274 કિગ્રા છે અને તેની મિશન લાઇફ 10 વર્ષ છે. સરળ ભાષામાં, આ ઉપગ્રહ 10 વર્ષ સુધી ઈસરોને હવામાનમાં થતા દરેક ફેરફારની સચોટ માહિતી આપતો રહેશે. ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવનાર આ સેટેલાઈટને તૈયાર કરવા માટે કુલ રૂ. 480 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

આ ઉપગ્રહ  એક વાર કાર્યરત થયા પછી જમીન અને સમુદ્ર બંને પર હવામાનની માહિતી પ્રદાન કરવામાં સક્ષમ હશે. તેના દ્વારા તોફાન જેવી ભારે હવામાનની ઘટનાઓ શોધી શકાશે. આ ઉપરાંત જંગલની આગ, બરફનું આવરણ, ધુમાડો અને બદલાતી આબોહવા વિશે પણ માહિતી મળશે.

 

 

 

 

 

 

 

પેટીએમને મળ્યો નવો બેન્કિંગ પાર્ટનરઃ હવે લેવડદેવડમાં નહીં થાય હેરાનગતિ

નવી દિલ્હીઃ RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેન્કને મોટી રાહત આપતાં એને કામગીરી બંધ કરવા માટે વધુ સમય આપ્યો છે. પેટીએમ લોકપ્રિય પ્રોડક્ટ્સને ચાલુ રાખવા માટે અને હાલના સંકટથી બચવા માટે એક નવો બેન્કિંગ પાર્ટનર મળી ગયો છે, એમ અહેવાલ કહે છે. રિઝર્વ બેન્કે જાન્યુઆરીમાં વન97 કોમ્યુનિકેશન્સની સહયોગી પેટીએમ પેમેન્ટ્સ બેન્કને આદેશ આપ્યો હતો કે કંપની 29 ફેબ્રુઆરીથી પોતાનાં ખાતાઓ અથવા વોલેટમાં કોઈ પણ નવી જમા રકમ ના લે. RBIએ શુક્રવારે કહ્યું હતું કે હવે આ સમયમર્યાદાને 15 માર્ચ સુધી વધારી દીધી છે.

પેટીએમે એક પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે કંપનીએ પહેલાંની જેમ વગર અવરોધે બિઝનેસ સેટલમેન્ટ જારી રાખવા માટે પોતાના નોડલ ખાતાં એક્સિસ બેન્કમાં ટ્રાન્સફર કરી દીધાં છે. કંપનીએ કહ્યું હતું કે પેટીએમ QR કોડ, સાઉન્ડબોક્સ અને કાર્ડ મશીનો 15 માર્ચ પછી પહેલાંની જેમ કામ કરતી રહેશે.જેથી હવે જો તમારું એકાઉન્ટ Paytm પેમેન્ટ્સ બેંકમાં છે તમે કોઈ પણ અવરોધ વિના ફંડ ટ્રાન્સફર કરી શકો છો. તમે તમારા ડેબિટ કાર્ડનો ઉપયોગ ઉપલબ્ધ બેલેન્સ સુધી ભંડોળ ઉપાડવા અથવા ટ્રાન્સફર કરવા માટે કરી શકો છો.

જોકે RBIના જણાવ્યાનુસાર તમે 15 માર્ચ પછી કોઈ પણ પ્રકારની ક્રેડિટ અથવા ડિપોઝિટ કરી શકશો નહીં. ભાગીદાર બેંકો તરફથી વ્યાજ, રિફંડ, કેશબેક, સ્વીપ-ઇનની મંજૂરી આપવામાં આવશે. ખાતા સંબંધિત બિલની ચુકવણીઓ, OTT સબસ્ક્રિપ્શન સહિતની અન્ય ચુકવણીઓ ઉપલબ્ધ બેલેન્સ ખતમ ન થાય ત્યાં સુધી જ કરી શકાય છે. આ સિવાય ખાતા દ્વારા EMI ચુકવણી 15 માર્ચ પહેલાં અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવી જોઈએ.