Home Blog Page 2089

કોરાનાના 157 નવા કેસો, બે જણનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 157 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે.  દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,26,542 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,87,937 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 371 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

 

દુનિયામાં સર્વ શ્રેષ્ઠ જગ્યા!

પર્યટકો સૌંદર્ય જોવા માટે વિવિધ સ્થળોએ જાય છે. પરંતુ તેઓ એ સ્થળનું સૌંદર્ય બગાડતા હોય છે અને પોતે થાકી જતા હોય છે અને શ્યામ થઈ જતા હોય છે. અરે, સૌથી સુંદર સ્થળ અહીં જ છે! તમે જ્યારે અહીં આવો છો ત્યારે તમને અનુભવાય છે કે તમે જ્યાં પણ હોવ દરેક વસ્તુ એકદમ સુંદર લાગે છે. આ સ્થળ ક્યાં છે? તેને માટે આમ તેમ શોધશો નહીં, તે તમારી અંદર જ છે!

તમારા અસ્તિત્વના એ સ્વસ્થ, રોચક, નિશ્ચલ, નિર્મળ ઊંડાણમાં વિશ્રામ કરો-એ અત્યંત બહુમૂલ્ય છે. સમસ્ત વિશ્વના આ સૌથી સૌંદર્યસભર સ્થળમાં પોતાની જાતને સ્થિત કરો. મન, જે બધે ભટકતું હોય છે, તેને તેના સ્રોતમાં પાછું લાવો. તમે જ્યારે તમે પોતાનામાં સ્થિત થાવ છો ત્યારે જ તમને દરેક સ્થળ સુંદર લાગે છે. તમે જ્યાં પણ જાવ છો ત્યાં તમે સૌંદર્યમાં ઉમેરો કરો છો અને અન્યોને અનુકૂળતા કરી આપો છો.

તમે દુખી હોવ છો ત્યારે મીઠાઈ પણ પસંદ નથી આવતી, સંગીત ખલેલ આપતું જણાય છે અને ચંદ્રથી પણ ચીડીયાપણું લાગે છે. જ્યારે તમે શાંત અને કેન્દ્રિત હોવ છો ત્યારે ઘોંઘાટ સંગીતમય, વાદળો નૈસર્ગિક અચરજ અને વરસાદ જાણે સૂર્યના ઓજસનું તરલ સ્વરુપ હોય એવું લાગે છે. વિશ્વની આ સૌથી આહ્લાદક જગ્યાની સફર પર જવા પોતાની જાતને નિશ્ચિત કરો. અને પછી તમને લાગશે કે દરેક દિવસ રજા માણતા હોઈએ તેવો અને ઉજવણીનો છે. જો તમે પાર્ટીઓમાં મજા માણવા માટે હંમેશાં ઉત્સુક હોવ છો તો એકલતા તમારી પાસે આવશે. જો તમે પોતાની જાતના એકાંતને માણી શકો છો તો તમારી આસપાસ પાર્ટી થઈ જાય છે!

જીવનમાં એ દ્વિધા છે કે દરેક વ્યક્તિ એક સંપૂર્ણ સમતોલન શોધતી હોય છે. જે લોકો હંમેશાં અન્યોના સહવાસમાં હોય છે તેઓ એકાંતનું સુખ ઝંખે છે. જે લોકો એકાંતમાં રહેતા હોય છે તેમને એકલું લાગતું હોય છે અને કોઈનો સહવાસ ઈચ્છે છે. સંપૂર્ણ સમતોલન તલવારની ધાર જેવું છે, તે પોતાની અંદર જ,પોતાની ચેતનામાં, મળી શકે છે.

લોકો મોટા ભાગે પોતાની ચેતનાને મન અને શરીરના સંઘટિત તરીકે સમજે છે. આ એક ભૂલભરેલી માન્યતા છે. શરીર કે મન-એ બેમાંથી એક પણ ચેતના નથી. તમે જે તમામ યોગ કરો છો તે શરીર માટે છે. જે તમામ ધ્યાન કરો છો તે મન માટે છે. શાંત હોય કે ડહોળાયેલું – તમારું મન,મન જ રહે છે. બીમાર હોય કે તંદુરસ્ત- તમારું શરીર શરીર જ રહે છે. ‘તમે’,તમારી ચેતના,સર્વ સમાવિષ્ટ છે.

સૌર મંડળના તમામ ગ્રહોમાં પૃથ્વીને એ વિશિષ્ટ લાભ છે કે તે વિવિધ જીવ સ્વરુપોને નિભાવી શકે છે.અને તમામ જીવસૃષ્ટિમાં મનુષ્યને એ વિશિષ્ટ લાભ છે કે તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.તમે વારંવાર યાદ કર્યા કરો કે તમે શાંતિ છો,તમે પ્રેમ છો,તમે આનંદ છો અને તમે સર્જકને તમારામાં સમાવેલો છે.એ લોકો કમનસીબ છે જેમને ખ્યાલ નથી આવતો કે તેઓ કેવા સદ્દભાગી છે.

આ શરીરના અસ્તિત્વનો એક માત્ર ઉદ્દેશ તમને સભાન કરવાનો છે કે તમે કેવા સુંદર છો અને તમે જે મુલ્યોને પુષ્ટિ આપો છો તેમની સાથે જીવી શકવું શક્ય છે. જ્યારે શરીરના કોઈ ભાગને ઉત્તેજિત કરવામાં આવે છે ત્યારે આનંદ ઉદ્ભવે છે.જ્યારે તમારા આત્માને ઉત્તેજિત કરવામાં આવે છે ત્યારે પ્રેમ ઉદ્ભવે છે.પ્રેમનો અંત હોતો નથી પરંતુ આનંદનો અંત આવે છે.લોકો ઘણી વાર એવું માને છે કે આનંદ એટલે પ્રેમ.

વ્યક્તિને માત્ર જેની જરૂર છે તે છે આત્માને ઉત્તેજના આપવાની. આત્માને ઉત્તેજિત કરવાથી ઊર્જા ઉદ્દભવે છે અને શરીરને ઉત્તેજિત કરવાથી થાક વર્તાય છે. દરેક ઉત્તેજના તમને ચેતના તરફ દોરી જવી જોઈએ જેથી જ્યારે તમે સંગીત સાંભળો છો ત્યારે તમે તેને પાર જાવ છો અને જ્યારે તમે જ્ઞાન સાંભળો છો ત્યારે તે તમને મૌન તરફ દોરી જાય છે.
ઝંખના,ચેતના પ્રત્યે જાગૃતિ અને ક્રિયા/કાર્ય આ તમામ એક જ ઊર્જાના એટલે કે તમારા પ્રગટીકરણ છે. જે તે સમયે આ ત્રણમાંથી એકનું પ્રભુત્વ હોય છે.જ્યારે તમને ઘણી ઈચ્છાઓ હોય છે ત્યારે તમે ચેતના પ્રત્યે જાગૃત નથી હોતા.જ્યારે ઈચ્છાનું પ્રભુત્વ હોય છે ત્યારે ચેતના વિશે જાગૃતિ સાવ ઓછી હોય છે.માટે જ,દુનિયાભરના તત્વચિંતકો હંમેશાં ઈચ્છાઓ ત્યજવા માટે સલાહ આપે છે. જ્યારે વ્યક્તિ ચેતના બાબતે જાગૃત હોય છે ત્યારે આનંદ ઉદ્ભવે છે. જ્યારે ઈચ્છાઓનો પ્રભાવ વ્યાપેલો હોય છે ત્યારે માનસિક તણાવ અને દુખ પરિણમે છે. જ્યારે ક્રિયા/કાર્યનો પ્રભાવ હોય છે ત્યારે અજંપો અને વ્યાધિ નીપજે છે.

તમારા કાર્યો અને ઈચ્છાઓ ઈશ્વર પ્રત્યે અથવા સમાજ કલ્યાણ માટે સન્નિષ્ઠતાથી દોરવાતા હોય છે ત્યારે આપોઆપ ચેતનાનું સ્તર ઊંચુ આવે છે આત્મસાક્ષાત્કાર અચૂક ઉપલબ્ધ થાય છે. તમને કશા માટે પ્રેમ હોય છે ત્યારે તમને તેના પ્રત્યે પોતીકાપણાંનો ભાવ હોય છે. જો કોઈ વસ્તુ તમારી હોય તો જ તમને તેના પ્રત્યે પ્રેમ થાય છે. પ્રેમ એ આત્માનો પડછાયો છે. આત્મા જેટલો મોટો,પડછાયો તેટલો મોટો અને પ્રેમ તેટલો વધુ.

સમસ્ત સર્જન માટે તમારો પ્રેમ વ્યક્ત થતો હોય છે ત્યારે તમે વૈશ્વિક ચેતના હોવ છો. એ જ ઈશ્વરી છે. ઈશ્વરી સત્તા ચેતના પર અવતરે છે ત્યારે નિરંતર ઉત્સવ હોય છે. ગુરુની ઉપસ્થિતિમાં ચેતના પ્રકાશિત થાય છે. પરંતુ તમે ગુરુની જે બધી લાક્ષણિકતાઓની પ્રશંસા કરો છો તે તમારા પોતાના સ્વભાવમાં હોય જ છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

નોટ આઉટ @ 97 : સુમંતલાલ જેલવાળા (ભાવસાર)

ખેલ-મહાકુંભની સુપર-સિનિયર કેટેગરીમાં, 2007ની તરણ સ્પર્ધામાં, ઓલ ઇન્ડિયા ચેમ્પિયન બની ત્રણ-ત્રણ મેડલ જીતનાર અને 90 વર્ષની ઉમર સુધી તરણ-સ્પર્ધામાં ભાગ લેનાર વડોદરાના તરણવીર સુમંતલાલ જેલવાળા (ભાવસાર)ની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ વડોદરામાં. ચાર ભાઈ અને ચાર બહેનનું બહોળું કુટુંબ હતું. પિતા વેપાર કરતા હતા. સુમંતભાઈની  પ્રાથમિક શાળાનો અભ્યાસ વડોદરાની સયાજી હાઇસ્કુલમાં થયો હતો. સ્વતંત્રતાની લડતની સભાઓમાં તેઓ હાજરી આપતા. આઝાદીની લડત દરમ્યાન કોલેજનો અભ્યાસ છોડી (ફિઝિક્સ તેમનો પ્રિય વિષય) પિતાની દુકાને બેસવાનું શરુ કર્યું.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

તેઓ સવારે છ વાગ્યે ઊઠે. ગરમ પાણી પીએ, રસાયણ ચૂર્ણ લે. યોગ અને કસરત કરે. 2022 સુધી તેઓ હલાસન કરી શકતા! પછી દૂધ, ડ્રાયફ્રુટ, નાસ્તો કરે. છાપા વાંચે. ઓનલાઇન ટ્રેડિંગ કરવાનું પણ તેમને ગમે છે! બપોરે 12:00 વાગે જમે. જમ્યા બાદ થોડો આરામ કરે. ચાર વાગ્યે ઊઠીને ચા નાસ્તો કરે. થોડું વાંચે. સાંજે 7:00 વાગે જમે. 12 વર્ષની ઉંમરે રાનીપરજના  અખાડામાં જતા ત્યારે તળાવમાં તરતા શીખ્યા હતા. તરવું એટલે એક્સરસાઇઝ વિથ પ્લેઝર! 1974ની સાલથી સ્વિમિંગ પૂલમાં તરે છે. રોજ સરદારબાગમાં તરવા જતા, કોરોના પછી ઓછું કરી નાખ્યું છે. 75 વર્ષના લાંબા લગ્નજીવન પછી 2020માં તેમની પત્નીનું અવસાન થયું.

શોખના વિષયો : 

તેમને તરવું બહુ ગમે. 2019ની સાલ સુધી તરણ-સ્પર્ધામાં ભાગ લેતા! વાંચનનો શોખ ખરો. લેપટોપ સારી રીતે વાપરે છે એટલે શેર માર્કેટમાં ઓનલાઇન ટ્રેડિંગ કરવાનું પણ ગમે છે! પહેલા બહુ બીઝી લાઈફ હતી, હવે નિવૃત્તિમાં શાંતિ છે. 90 વર્ષની ઉંમર સુધી જાતે કાર ચલાવતા! મળવા જેવા માણસ છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયતમાં કોઈ જ તકલીફ નથી! ૯૭ વર્ષે માથે ટાલ નથી પડી! યાદશક્તિ હજી પણ તેજ છે! બીપી, ડાયાબિટીસ કે અન્ય કોઈ જ તકલીફ નથી. આંખની થોડી તકલીફ નાની ઉમરથી છે. પોતાનું બધું કામ જાતે કરે છે. ઘરમાં વોકર વાપરે છે. સાત આઠ દાંત છે. બધું જ ખાઈ શકે છે. બદામ પણ ખાઈ શકે છે! એકદમ રૂટિન, ફિક્સ લાઈફ છે, કંટ્રોલ ડાયેટ છે, ભૂખ લાગે તો જ ખાય! દીકરી ડેન્ટિસ્ટ છે. ગયા વર્ષે તેને મળવા અમેરિકા પણ જઈ આવ્યા! 97 વર્ષે તેમની તબિયતનું રહસ્ય: ભૂખ લાગે ત્યારે જ ખાવું અને ભૂખ લાગી હોય તેના કરતા ઓછું ખાવું.

યાદગાર પ્રસંગ:  

30 માણસોનું બહોળું કુટુંબ હતું. એક જ રસોડે 30 માણસો જમતાં! દીકરો એમબીબીએસ થયો અને દીકરી ડેન્ટિસ્ટ થઈ તે બહુ ગમ્યું. મુંબઈમાં યોજએલ ઓલ ઇન્ડિયા સ્વિમિંગ કોમ્પિટિશનમાં ત્રણ મેડલ જીત્યા હતા તે યાદ છે. અને ખેલ મહાકુંભમાં પણ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા અને બહુમાન થયું તે પણ યાદ છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?:  

નવી ટેકનોલોજી સાથે એકદમ સુસંગત છે. લેપટોપ સારી રીતે વાપરે છે અને શેરનું ઓનલાઈન ટ્રેડિંગ પણ કરે છે! ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવી સોશિઅલ એપ્સ પર એક્ટિવ છે! યાદદાસ્તનું કામ ટેકનોલોજીની મદદથી ચાલે છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

હવે ફેસિલિટી ઘણી વધી ગઈ છે અને ઘણાં બધાં કામો સહેલાં થઈ ગયાં છે. ઓનલાઇન વ્યવસ્થાને લીધે સમય ઘણો બચી જાય છે. તેઓ પહેલાં જાતે બેંકમાં ચાલીને જતા, હવે બધું કામ ઓનલાઇન થઈ જાય છે! જો કે પહેલાં ચોખ્ખાં હવા-પાણી મળતાં. દૂધ-ઘી તાજાં મળતાં. હવે બધામાં ભેળસેળ હોય છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

કુટુંબ આખું, પુત્ર, પુત્રી, પૌત્ર-પૌત્રીઓ બધાં પરદેશ રહે છે. ઘરનાં અને કુટુંબનાં યુવાનો સાથે તો તેમને ફાવે જ છે, પણ સ્વિમિંગ પુલના યુવાનો અને બાળકો પણ તેમની સાથે હળી-મળી જાય છે, તેમનું બહુમાન કરે છે. બહુ હેલ્પફૂલ હોય છે. તેમનો હાથ દોરીને તેમને લઈ જાય છે. તેઓ “ચાલશે, ગમશે, ફાવશે”માં માને છે અને પોઝિટિવ વિચારે છે જેથી યુવાનો સાથે ફાવે છે.

સંદેશો :  

તેમના શબ્દોમાં: “Be Positive! કોઈને દુઃખ ના પહોંચાડો. કોઈ ખરાબ કરે અને સામે હું પણ ખરાબ કરું તો મારામાં અને તેનામાં ફેર શું? No Tit For Tat! No Complains In Life!”

૦૭ ફેબ્રુઆરી, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 07/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


: થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

પંચાંગ 07/02/2024

રાહુલ ગાંધીની ન્યાય યાત્રાઃ કૂતરાના બિસ્કિટ પર રાજકારણ

રાંચીઃ કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રા પર છે. તેમનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક કૂતરાને બિસ્કિટ ખવડાવી રહ્યા છે. થોડી વાર પછી તેઓ એ પેકેટમાંથી એક બિસ્કિટ સમર્થકને પણ આપે છે. એને લઈને વિવાદ થઈ રહ્યો છે. આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ કોંગ્રેસ નેતાને આડે હાથ લીધા છે.

સરમાએ કહ્યું હતું કે તેઓ અને તેમનો પરિવાર તેમને બિસ્કિટ ના ખવડાવી શક્યા. મને આસામિયા અને ભારતીય હોવા પર ગર્વ છે. મેં બિસ્કિટ ખાવાથી ઇનકાર કરી દીધો હતો અને કોંગ્રેસ પાર્ટીનો ત્યાગ કરી દીધો હતો. તેમણે આ પહેલાં એવો દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ તેમની સાથે એક મિટિંગમાં તેમના પાલતુ કૂતરાની એક પ્લેટમાંથી તેમને બિસ્કિટ આપ્યા હતા અને એ બેઠકમાં હાજર લોકોએ એ પ્લેટમાંથી બિસ્કિટ ખાધા હતા. આ વિડિયો પલ્લવી નામની એક મહિલાએ સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો.

ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયએ રાહુલ ગાંધી અને કોંગ્રેસઅધ્યક્ષ ખડગે પર તીખો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ખડગેએ પાર્ટીના બૂથ એજન્ટોની તુલના કૂતરાઓ સાથે કરી હતી અને હવે રાહુલ ગાંધી ન્યાય યાત્રામાં કૂતરાને બિસ્કિટ ખવડાવી રહ્યા છે અને જ્યારે કૂતરાએ નહીં ખાધા તો એ જ બિસ્કિટ કાર્યકર્તાને આપી દીધા હતા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

બોબી દેઓલે સસરાની રૂ. 300 કરોડની મિલકત હડપી હતી?

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર બોબી દેઓલ છેલ્લે સંદીપ રેડ્ડી વાંગાના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘એનિમલ’માં દેખાયો હતો. એ ફિલ્મ દ્વારા તેણે પડદા પર શાનદાર વાપસી કરી હતી. બોબી દેઓલની પ્રોફેશનલ લાઇફ તો પબ્લિક જ રહે છે, પણ તે પર્સનલ લાઇફને ઘણી વ્યક્તિગત રાખે છે. તેમ છતાં એક સમય એવો આવ્યો, જ્યારે એક્ટરની વ્યક્તિ લાઇફનો એક મોટો મામલો સૌની સામે આવ્યો છે.

બોબી દેઓલે પર તેના સસરાની મિલકત હડપવાનો આરોપ લાગ્યો છે. તેની પત્ની તાન્યાના ભાઈ અને તેના સાળા વિક્રમ આહુજાએ આરોપ લગાવ્યો હતો કે બોબી દેઓલે તેના પિતા દેવેન્દ્ર આહુજાની રૂ. 300 કરોડની મિલકત કબજો કરી લીધી છે. બોબી દેઓલ વ્યવસાયિક રીતે એક બિઝનેસમેન અને બેન્કર હતો.એક અહેવાલ મુજબ બોબી દેઓલના સસરાએ પોતાનાથી 20 વર્ષ નાની યુવતી સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. આવામાં બોબીનો સાળો વિક્રમ તેના પિતાનાં બીજાં લગ્નથી નારાજ થઈ ગયો હતો અને તેણે તેના પિતાથી અંતર રાખવા માંડ્યું હતું. જે પછી બોબી દેઓલના સસરાએ પુત્ર વિક્રમને મિલકતમાંથી બેદખલ કરી દીધો હતો.

આ મામલા પછી વર્ષ 2010માં બોબી દેઓલના સાળાએ તેના પર અને બહેન તાન્યા પર ગંભીર આરોપ લગાડ્યા હતા. તેણે કહ્યું હતું કે બોબી અને તાન્યાએ મળીને તેને તેના પિતાથી દૂર કર્યો હતો અને તેમની મિલકત હડપી દીધી હતી. જે પછી 15 વર્ષો સુધી આ મામલો કોર્ટમાં ચાલ્યો હતો. જોકે બોબીએ આરોપો નકારી કાઢ્યા હતા અને ખુલાસો કર્યો હતો કે આ કેસમાં તેના ઘણા પૈસા બરબાદ થયા હતા.

 

 

 

 

 

 

 

 

 

નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાની ૧૦૧મી જન્મજયંતી નિમિત્તે ઝરૂખોમાં રસપ્રદ ગોષ્ઠી

વીસમી સદીના છેલ્લા ચાર દાયકામાં અઢળક વંચાતા નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાની ૧૦૧મી જન્મજયંતી નિમિત્તે ઝરૂખોમાં રસપ્રદ ગોષ્ઠી યોજાઈ ગઈ.

કટારલેખક જય વસાવડાએ કહ્યું હતું કે ચાર દાયકા અગાઉ નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાના નવા પુસ્તકની ત્રણ ચાર નકલ લાયબ્રેરીમાં આવતી તો યે એ નવલકથા મેળવવી મુશ્કેલ રહેતી, એનું લાંબુ વેઈટીંગ લિસ્ટ રહેતું. ૧૯૭૦થી ૯૦ના દાયકામાં ‘ચિત્રલેખા ‘ના દિવાળી અંકમાં વિઠ્ઠલ પંડ્યાની ટૂંકી વાર્તા તો હોય જ! કાંદીવલીનું પરિવર્તન પુસ્તકાલય હોય ,હિતવર્ધક મંડળની લાયબ્રેરી હોય કે ગુજરાતના કોઈ પણ શહેરની લાયબ્રેરી હોય , નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાના પુસ્તકો વાંચનારો એક વર્ગ બધે જ મળી આવે છે. ગયા શનિવારે બોરીવલીમાં સાહિત્યિક સાંજ ઝરૂખોમાં નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાની ૧૦૧મી જન્મજયંતી નિમિત્તે એક ગોષ્ઠી યોજાઈ તો એમના ચાહકોથી હૉલ ભરાઈ ગયો.

સાબરકાંઠાના હિંમતનગર પાસેના નાના ગામ કાબોદરામાં જન્મેલા વિઠ્ઠલ પંડ્યા બાળપણમાં ખૂબ તોફાની હતા. ખેડૂતપુત્ર એવા વિઠ્ઠલભાઈની ,ગામ કાબોદરાથી મુંબઈના ફિલ્મ જગતની સંઘર્ષયાત્રા તથા લેખક બનવા સુધીની સફરનો ચિતાર ભાવકોને આ કાર્યક્રમમાં મળ્યો.ડૉ.સેજલ શાહે કહ્યું ‘ આપણે આજે વિઠ્ઠલભાઈ વિશે વાત કરીએ છીએ કારણ તેઓ હજી પણ વાચકોના દિલમાં જીવંત છે. કોઈ પણ લેખક માટે લોકપ્રિય થવું સરળ નથી ! ‘ વિઠ્ઠલભાઈની આત્મકથા ‘ ભીંત ફાડીને ઊગ્યો પીપળો ‘ માંથી એમના બાળપણના બે પ્રસંગો ડૉ.સેજલ શાહ અને વરિષ્ઠ કટારલેખક દીપક સોલિયાએ રજૂ કર્યા.

કવિ વાર્તાકાર સતીશ વ્યાસે પણ વિઠ્ઠલભાઈના જીવનના કેટલાક પ્રસંગો વર્ણવી ૯ વર્ષની ઉંમરે મુંબઈ જઈ જ્ઞાતિની ઓરડીમાં રહી ભણતરના સંઘર્ષની વાત કરી હતી. ડૉ. સેજલ ‌શાહ તથા દીપક સોલિયાએ ત્યાર બાદ ‘ અસલી નકલી ચહેરા ‘ સંસ્મરણકથાને આધારે વિઠ્ઠલભાઈના ફિલ્મ જગતના પ્રસંગોની રસપ્રદ રજૂઆત કરી. સજ્જ વાચક રાજન દેસાઈએ વિઠ્ઠલ પંડ્યાની ‘ નજરબંધી ‘ નવલકથાના પ્લોટની અને લેખન શૈલીની વિષદ છણાવટ કરી. વિવિધ મુદ્દાઓ ઉત્તમ રીતે ટાંકી એમણે સાબિત કરી બતાવ્યું કે શા માટે વિઠ્ઠલ પંડ્યા એમના સમયથી આગળનું જોતા લેખક હતા. વિઠ્ઠલભાઈના પરિવારનાં તૃપ્તિ રાજેશ પંડ્યાએ પણ પરિવાર માટે પપ્પાજી કેવા સહજ અને હૂંફભર્યા હતા એની હૃદયસ્પર્શી વાત કરી હતી.

વિઠ્ઠલ પંડ્યાના પુત્ર કવિ વાર્તાકાર સંજય પંડ્યાએ સંચાલનની સાથે હજીયે તું સાંભરે છે, સાત જનમના દરવાજા, આંખ ઝરે તો સાવન જેવી નવલકથાઓમાં પ્રણયની સમાંતર કેવા સામાજિક મુદ્દાઓ નવલકથાકારે સાંકળી લીધા છે એ વિશે રસ પડે એવી માહિતી આપી હતી.

૧૯૫૫ની સવિતા વાર્તા સ્પર્ધામાં પ્રથમ ઈનામ મેળવી નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાએ પોતાની લેખનયાત્રા આરંભી જે વર્ષ ૨૦૦૦ સુધી ચાલી. આટલાં વર્ષોમાં એમણે ૫૧ નવલકથા, ૧૦ વાર્તાસંગ્રહ, એક આત્મકથા, એક ફિલ્મ જગતનાં એમનાં સંસ્મરણો તથા અન્ય પુસ્તકો મળી ૬૮ પુસ્તકો આપ્યાં . એમનાં ત્રણ પુસ્તકોનો હિંદી ભાષામાં પણ અનુવાદ થયો છે .

૧૯૨૩ માં હિંમતનગર પાસે કાબોદરામાં જન્મેલા વિઠ્ઠલ પંડ્યાનું ૨૦૦૮ ની સાલમાં અવસાન થયું ત્યારે એમને ૮૬મું વર્ષ ચાલી રહ્યું હતું.

૩ ફેબ્રુઆરી શનિવાર સાંજે યોજાયેલા ‘ઝરૂખો’ના આ કાર્યક્રમમાં પત્રકાર જયેશ ચિતલિયા, કવિ દીનેશ પોપટ, કવિ સંચાલક રાજેન બ્રહ્મભટ્ટ, કટારલેખક વિકાસ નાયક, કવયિત્રી પ્રતિમા પંડ્યા, અભિનયક્ષેત્રની નવી પ્રતિભા પ્રીતા પંડ્યા, ‘અધ્યાત્મ ‘ ના તંત્રી જ્યોત્સના ત્રિવેદી,સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટી બિપીનભાઈ તથા કમિટી સભ્ય પ્રકાશ ભટ્ટ, ‘મુંબઈ ગુજરાતી’ તથા ઝરૂખોમાં સક્રિય દેવાંગ શાહ, વિઠ્ઠલભાઈના પુત્ર રાજેશ પંડ્યા તથા અનેક ભાવકો હાજર હતા. કાર્યક્રમની પરિકલ્પના કવિ વાર્તાકાર સતીશ વ્યાસની હતી.

ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટથી 11નાં મોતઃ 100થી વધુ ઘાયલ

હરદાઃ મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં થયેલા અનેક વિસ્ફોટ પછી લાગેલી આગમાં અત્યાર સુધી 11 લોકોનાં મોત થયાં છે. આ ઘટનામાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર જારી છે, પરંતુ પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર ફેક્ટરીમાં આશરે 1000 લોકો હાજર હતા. વિસ્ફોટ પછી લોકોમાં અફરાતફરીનો માહોલ હતો.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ફેક્ટરીની અંદર 1000 લોકો હાજર હતા. આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે દૂર સુધી લોકોને ઇજા થઈ છે. લોકોએ ભાગતાં-ભાગતાં જીવ બચાવ્યા છે. કેટલાય લોકો આ ઘટનામાં માર્યા ગયા છે. કેટલાક લોકો આગથી દાઝી જતાં ગંભીર રીતે ઘાયલ થયા છે. રસ્તા પર 200 મોટરસાઇકલ ફેલાઈ ગઈ છે.

મુખ્ય પ્રધાન મોહન યાદવે આ ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરી છે. આ ઘટનામાં મૃતકોના પરિવારોને રૂ. 4-4 લાખની આર્થિક મદદ કરવામાં આવશે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મફત સારવાર કરવાના નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. તેમણે મંત્રી પ્રદ્યુમન સિંહ તોમર, ઉદય પ્રતાપ સિંહ, એસીએસ અજિત કેસરી, ડીજી હોમગાર્ડ અરવિંદ કુમારને હેલિકોપ્ટરથી રવાના થવાનો નિર્દેશ આપ્યો હતો.

 આ દુર્ઘટના પર તેમણે કહ્યું હતું કે ફટાકડા ફેક્ટરીમાં થયેલી ઘટના દુખદ છે. જિલ્લા વહીવટી તંત્રની ટીમ સક્રિય કરવામાં આવી છે. 50થી વધુ એમ્યુલન્સને તત્કાળ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. આના માટે ઇન્દોર, ભોપાલ અને હોશંગાબાદથી ડોક્ટરોની ટીમ તહેનાત કરવામાં આવી છે.