હૈદરાબાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચના બીજા દિવસના અંત સુધીમાં ટીમ ઇન્ડિયાએ મેચમાં બેટિંગ કરીને બોર્ડ પર સાત વિકેટે 421 રન બનાવ્યા છે, જેની સાથે ભારતે 175 રનની લીડ મેળવી લીધી છે. આ દરમિયાન રવીન્દ્ર જાડેજા 81 અને અક્ષર પટેલ 35 ક્રીઝ પર છે.
ટીમ ઇન્ડિયા વતી જાડેજાએ 155 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 81 રન બનાવ્યા છે. આ સિવાય તેનો સાથ આપી રહેલા અક્ષર પટેલે 62 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 35 રન બનાવી નોટ આઉટ રહ્યો છે. બંનેએ આઠમી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી.
Stumps on Day 2 in Hyderabad! 🏟️#TeamIndia move to 421/7, lead by 175 runs 🙌
આ પહેલાં ભારત તરફથી ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા કેએલ રાહુલે 123 બોલમાં 8 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 86 રન બનાવ્યા હતા. આ સિવાય ઓપનિંગ કરવા આવેલ યશસ્વી જયસ્વાલ પણ બીજા દિવસે 74 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 80 રન બનાવીને આઉટ થયો હતો.
આ પહેલાં ભારતે બેટિંગ કરતાં બીજા દિવસની શરૂઆત 119/1 રનથી કરી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલના રૂપમાં ભારતને બીજા દિવસનો પહેલો ફટકો લાગ્યો હતો. ત્યાર પછી ભારતને બીજા દિવસનો બીજો અને ઈનિંગનો ત્રીજો ફટકો શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો, જે 35મી ઓવરમાં 23 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરે ચોથી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી જેને રેહાન અહેમદે 53મી ઓવરમાં અય્યરની વિકેટ સાથે તોડી હતી.
ત્યાર બાદ રાહુલે રવીન્દ્ર જાડેજા સાથે પાંચમી વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી, જે 65મી ઓવરમાં કેએલ રાહુલની વિકેટ સાથે પૂરી થઈ હતી.
નવી દિલ્હીઃ જ્ઞાનવાપી મસ્જિદ સર્વેનો અહેવાલ આવ્યા પછી નમાજ અદા કરવા મોટી સંખ્યામાં મુસ્લિમો પહોંચ્યા હતા. મસ્જિદમાંથી નીકળ્યા પછી અંજુમન ઇન્તેજામિયા કમિટીના સંયુક્ત સેક્રેટરીને સાથી નમાજીઓને બોલવાથી અટકાવ્યા હતા. આ નમાજીઓએ પત્રકારો સાથે ધક્કા-મુક્કી કરી હતી. આ નમાજીઓએ મિડિયા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. તેમણે મિડિયાને ચોર અને દલાલ કહ્યા હતા.
એક નમાજીએ કહ્યું હતું કે ASIના રિપોર્ટને અમે નથી માનતા. અમે 1991 પૂજા અધિનિયમને માનીશું અને એ આધારે નિર્ણય થવો જોઈએ. કેસ ફાઇલ કરવો જ ખોટું હતું. જ્ઞાનવાપી મસ્જિદના કોમ્પ્લેક્સ અંગે પુરાતત્વ ખાતાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ મસ્જિદ નીચે પણ અસલમાં એક હિંદુ મંદિર હતું. આ ઈમારતમાં ગુંજબ મસ્જિદનું છે પરંતુ તેની દીવાલોનો ઘણો ભાગ મંદિરોનો છે.
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવવાયું છે કે અહીં અગાઉથી જે સ્ટ્રક્ચર હતું તેને 17મી સદીમાં તોડી પાડવામાં આવ્યું હતું. હાલનું માળખું બનાવવામાં આવ્યું તે અગાઉ ત્યાં એક મંદિર હતું. અત્યાર સુધી ASIનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો ન હતો. હવે વારાણસીની જિલ્લા કોર્ટે બંને અરજકર્તાઓને જ્ઞાનવાપી મસ્જિદ અંગે ASIનો સર્વે સોંપવાનો નિર્ણય લીધો છે.ASIએ રિપોર્ટમાં નોંધ્યું છે કે મસ્જિદમાંથી અરેબિક પર્શિયન ભાષામાં લખાયેલું કોતરકામ મળી આવ્યું છે. તેમાં જણાવાયું છે કે ઔરંગઝેબના શાસનના 20મા વર્ષમાં મસ્જિદ બની હતી. તેથી અગાઉ અહીં જે માળખું હતું તે 17મી સદીમાં તોડવામાં આવ્યું હોય તેવી શક્યતા છે.
નવી દિલ્હીઃ કેનેડા અને અમેરિકા પછી પાકિસ્તાને પણ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારત પર પાકિસ્તાની નાગરિકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે બે પાકિસ્તાની નાગરિકોની હત્યાને મામલે હત્યારાઓ અને ભારતીય એજન્ટ્સની વચ્ચે સંબંધોના પુરાવા મળ્યા છે.
અમેરિકી વિદેશ મંત્રાલયના ઉપ મુખ્ય પ્રવક્તા વેદાંત પટેલે આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે કેનેડા અને અમેરિકા પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારત પર વિદેશી ધરતી પર હત્યાનો આરોપ લગાવ્યો છએ. આ પ્રકારની આ ત્રીજી ઘટના છે. જોકે આ વિશે મારી પાસે કોઈ વિશેષ માહિતી નથી. આવામાં પાકિસ્તાન અને ભારત સરકારને આ વિશે વધુ કહેવા દઈશ.
Media Briefing by FS @syrusqazi on India’s Extra-Judicial & Extra-Territorial Killings in Pakistan.
પાકિસ્તાનના વિદેશ સચિવ મોહમ્મદ સાઇરસ સજ્જાદ કાઝીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભારતીય જન્ટ્સે પાકિસ્તાનની ધરતી પર પાકિસ્તાની નાગરિક શાહિદ લતીફની હત્યા કરી છે. અમારી પાસે પૂરતા પુરાવા છે.
જોકે પાકિસ્તાનના આરોપો પર પલટવાર કરતાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે પાકિસ્તાનનો આ જૂઠ ફેલાવવાનો પેંતરો છે અને ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરવાનો પ્રકાર છે. પાકિસ્તાન આંતકવાદ, સંગઠિત ગુનાઓ અને ગેરકાયદે પ્રવૃત્તિઓનો અડ્ડો છે. ભારત અને કેટલાય અન્ય દેશોએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે એ આતંકવાદ અને હિંસાનો શિકાર થશે.
નવી દિલ્હીઃ બિહારના રાજકારણનો પારો ગરમ છે. RJD સાથે ચાલી રહેલા ટેન્શનની વચ્ચે નીતીશકુમાર ફરી એક વાર રાજ્યમાં નવી સરકારની કવાયત કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર નીતીશકુમાર NDAની સાથે સરકાર બનાવે એવી શક્યતા છે. તેઓ 28 જાન્યુઆરીએ નવમી વાર મુખ્ય મંત્રી પદના શપથ લેશે. તેમની સાથે ભાજપના બે ડેપ્યુટી મુખ્ય પ્રધાન બનશે, જેમાં તેમની સાથે સુશીલ મોદી ડેપ્યુટી CM બનાવવામાં આવે એવી શક્યતા છે. હાલના સમયે વિધાનસભા બંઘ નહીં કરવામાં આવે અને ચૂંટણી નહીં થાય. આમે બિહારમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે.
JDUએ પાર્ટીના બધા વિધાનસભ્યોને તરત પટના આવવાના નિર્દેશ આપ્યા છે. JDUએ પાર્ટીના બધા કાર્યક્રમો પણ રદ કરી દીધા છે.ભાજપના તમામ નેતાઓ દિલ્હી હાઇ કમાન્ડની સાથે બેઠકો યોઝી રહ્યા છે. NDAના સહયોગી પક્ષો સાથે વાતચીત પણ થઈ રહી છે. સુશીલ મોદી રાજ્યસભા સાંસદ છે. તેઓ 15 જુલાઈ, 2017થી 15 નવેમ્બર,2020 સુધી બિહારમાં ડેપ્યુટી CM રહ્યા છે. ત્યારે નીતીશકુમાર CM હતા.
સુશીલ મોદીએ નિવેદન કર્યું હતું કે જરૂર પડ્યે દરવાજા ખૂલી શકે છે. કંઈ કહી નહીં શકાય, કંઈ પણ થઈ શકે છે અને નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે. તેમના નિવેદન સંકેત આપી રહ્યા છે કે બિહારમાં ફરી એક વાર JDU-RJD સરકાર પડી શકે છે, પણ મુખ્ય મંત્રી નીતીશકુમાર મુખ્ય મંત્રી હશે. અટકળો ચાલી રહી છે કે નીતીશકુમાર ભાજપ સાથે મળીને ફરીથી સરકાર બનાવી શકે છે.
મુંબઈઃ ગેટવે ઓફ ઇન્ડિયાને 100 વર્ષ પૂરાં થવા પર મહારાષ્ટ્ર સરકારના ટુરિઝમ વિભાગ અને મુંબઈ ફેસ્ટિવલ કમિટી દ્વારા મુંબઈ ફેસ્ટિવલ-2024નું આયોજન 25 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ અંતર્ગત સાંજે છ કલાકથી રાત્રે 10 કલાક સુધી ગેટવે ઓફ ઇન્ડિયા પર મુંબઈ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેલિબ્રિટિઝ પણ મુંબઈકરો સાથે જોડાયા હતા.
મુંબઈ વોક-2024 વિરાસતની સાથે શહેરની સાથે પણ સંબંધ ગાઢ કરે છે. મુંબઈ વોક એકતાનું પ્રતીક છે, કેમ કે દૈનિક મુંબઈકરોની સાથે મશહૂર હસ્તીઓ પણ સાથે-સાથે ચાલે છે અને મુંબઈની સમાવેશી સ્પિરિટને દર્શાવે છે. જોકે મુંબઈ ફેસ્ટિવલ-2024 મુંબઈ વોકના માધ્યમથી શહેરીજનો-મુંબઈકર પર પ્રકાશ ફેંકે છે. આ કાર્યક્રમમાં મુંબઈવાસીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો, જેમણે મુંબઈના ઘડતરમાં ફાળો આપ્યો છે, જેમની અજાણી વાર્તાઓને શોધવાની યાત્રા શરૂ કરી છે.
મુંબઈ વોક થકી ગુમનામ નાયકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં પ્રત્યેકને કાર્યક્રમમાં સારી રીતે સન્માનવામાં આવ્યા હતા. એમાં સન્માનિત થનારા ઇન્ડિયન આર્મીના અધિકારીઓ, ભારતીય નેવીના અધિકારીઓ, મુંબઈ ટ્રાફિક પોલીસ અધિકારીઓ, ટેક્સી ડ્રાઇવરો, રિક્ષા ડ્રાઇવરો, મુંબઈના ડબ્બાવાળા, રેલવેના લોકોમોટિવ પાઇલટ્સ, ડોક્ટર્સ, નર્સીસ અને અન્ય લોકો સામેલ હતા.
મુંબઈ વોક્સ મુંબઈ ભૂતકાળને જીવંત કરવાના રૂપે ઊભરી છે, જેણે એ વ્યક્તિઓ પર પ્રકાશ ફેંક્યો હતો, જેમની દ્રઢતા, હિંમત અને નિઃસ્વાર્થ યોગદાને શહેરના આત્માને ઝીણવટથી ઢાળ્યો છે. આ વોકમાં ભાગ લેતા સહભાગીઓની વય અને પૃષ્ઠભૂમિ ભલે અલગ-અલગ હોય, પણ તેઓ ગુમનામ હીરોનું સન્માન કરવા એકજુટ થયા છે, એ મુંબઈનું ગૌરવ છે. આ કાર્યક્રમમાં મુંબઈકરોએ શહેરની સંસ્કૃતિ અને વિરાસતની સાથે ગાઢ સંબંધને ઉજાગર કર્યો છે અને એ દ્વારા મુંબઈના ગૌરવશાળી અતીતમાં નોંધપાત્ર યોગદાન આપનારા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.
મુંબઈના આ ગુમનામ નાયકોને સન્માનિત કરતાં રાજ્યના ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે મુંબઈનું સ્પિરિટ ક્યારે કથળ્યું નથી, ક્યારેય થાકતું નથી અને ક્યારેય ડરતું નથી. આ શહેરમાં લોકો સપનાં લઈને આવે છે અને મુંબઈ એ સપનાંને હકીકતમાં ફેરવી કાઢે છે. દરેક વ્યક્તિની સામૂહિક પ્રગતિનું ઉદાહરણ મુંબઈ ફેસ્ટિવલ દ્વારા મુંબઈ વોક જેવી પહેલ છે, જે શહેરને કંઈક ખાસ બનાવે છે. આવો, સાથે મળીને સૌના પ્રયાસોના માધ્યમથી આપણે મુંબઈને એક નવો આકાર આપીએ અને અદ્વિતીય ઓળખ બનાવીએ. આપણો સમાજ એ મુંબઈના હ્દયના ધબકારા છે, એમ તેમણે કહ્યું હતું.
આ ઇવેન્ટમાં રોહિત શેટ્ટી, શિલ્પા શેટ્ટી, સિદ્ધાર્થ મલ્હોત્રા, અમૃતા ફડનવીસ, પંકજ ત્રિપાઠી. કપિલ શર્મા, કબીર બેદી, વિવેક ઓબેરોય સહિત અને સેલિબ્રિટીઝે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ટુરિઝમ મંત્રી ગિરિશ મહાજન, સ્કૂલ ઓફ એજ્યકેશન અને મરાઠી ભાષાના મંત્રી દીપક કેસરકર અને સ્કિલ, એમપ્લોયમેન્ટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ પણ મુંબઈ વોકમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં પંકજ ત્રિપાઠી, અમૃતા ફડનવીસ, રિકી કેજ અને અન્ય પ્રતિભાશાળી કાલકારો દ્વારા અસાધારણ કૌશલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને દર્શકોને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતા.
મુંબઈ વોકનો અનુભવનો અનુભવ મુંબઈના આઇકોનિક રસ્તાઓ કરતાં ક્યાંય વધુ યાદગાર હતો. એ ગુમનામ હીરો પ્રત્યે કૃતજ્ઞતા અને શ્રદ્ધાંજલિની અભિવ્યક્તિ હતી, જેણે મુંબઈને સપનાંનું શહેર બનાવ્યું છે.
સુરતઃ કેન્દ્ર સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર વલસાડના ડો. યઝદી ઇટાલિયાને મેડિકલ ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. કોણ છે? આ પારસી ડોક્ટર અને શું છે એમની કામગીરી એ સાઉથ ગુજરાત અને દેશ માટે જાણવું જરૂરી છે.
દક્ષિણ ગુજરાતમાં નવસારી સમીપ ચીખલીમાં પારસી પરિવારમાં જન્મેલા ડો. યઝદી ઇટાલિયા (Ph.D.) ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (I.Sc.) મુંબઈના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અનુવાદક વૈજ્ઞાનિક છે. ડો. ઇટાલિયાએ ગુજરાત સરકાર માટે ભારતનો પ્રથમ સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ (SCACP) વિકસાવ્યો હતો. ડો. ઇટાલિયાએ 1978માં વલસાડમાં ગુજરાતના પ્રથમ સિકલ સેલ ડિસીઝ (SCD) દર્દીનું નિદાન કર્યું. બાદમાં થોડા જ સમયમાં તેમને સમજાયું કે આ દર્દ વિવિધ આદિવાસી વિસ્તારમાં સામાન્ય છે. તેમના પ્રથમ બે દર્દીઓ કાઉન્સેલિંગ અને નિયમિત ફોલો-અપને કારણે અનુક્રમે 76 અને 80 વર્ષનું દીર્ઘ જીવન જીવી શક્યા. આ વિસ્તારમાં એમણે વિનામૂલ્યે સ્ક્રીનિંગ શરૂ કર્યું. એ ચિત્રલેખાને કહે છે, ‘મારું દ્રઢપણે માનવું હતું કે આ વંચિત, ગરીબ અને અશિક્ષિત લોકો પોતાના પૈસા ખર્ચીને ક્યારેય કોઈ લેબોરેટરીમાં પોતાના લોહીની તપાસ માટે જશે નહીં અને ડૉક્ટરો દ્વારા નિદાન અને ખોટી સારવાર કરવામાં આવશે, એથી સરકારે આ જવાબદારી ઉપાડવી જોઈએ.’
ડૉ. ઇટાલિયાએ આદિવાસીઓના આરોગ્ય મુદ્દા વિશે જાગૃતિ લાવવા માટે ખૂબ મહેનત કરી છે. 1984માં આદિવાસી સમુદાયની સેવા કરવા માટે વલસાડ રક્તદાન કેન્દ્ર (VRK) નામે NGO શરૂ કર્યું. અહીં એક જ છત નીચે SCD સાથે બાળજન્મના નિદાન, કાઉન્સેલિંગ, સારવાર અને નિવારણ માટે ભારતનું પ્રથમ કોમ્પ્રિહેન્સિવ સિકલ સેલ ક્લિનિક શરૂ કર્યું. તમામ સેવાઓ જેમાં બ્લડ ટ્રાન્સફ્યુઝનનો સમાવેશ થાય એ બધું જ વિનામૂલ્યે.1988માં, ICMR સાથે મળીને આદિવાસી પરિવારોનો સર્વે કર્યો અને સિકલ જનીનની 15 ટકા ઘટનાઓ મળી. આ પુરાવાને આધારે એમણે જિલ્લા અને રાજ્ય સરકારના આરોગ્ય અધિકારીઓ સાથે એક વ્યાપક કાર્યક્રમ શરૂ કરવા હિમાયત કરી.
1991માં એમને SCA પર ટૂંકી ફેલોશિપ માટે અમેરિકાની વેક ફોરેસ્ટ યુનિવર્સિટીમાં બોમેન ગ્રે સ્કૂલ ઓફ મેડિસિન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ પૂર્ણ કર્યા પછી સીડીસી, એટલાન્ટામાં થોડા દિવસો વિતાવ્યા અને વિવિધ રાજ્યોમાં સિકલ સેલ સોસાયટીઓ વિશે જાણવા માટે અમેરિકાનાં 11 રાજ્યોની મુલાકાત લીધી.
ભારત આવ્યા પછી ડો. ઇટાલિયાએ ઉપલબ્ધ સંસાધનો સાથે અને ભારતીય પરિસ્થિતિઓ અનુસાર SCA પ્રોગ્રામ સ્થાપિત કરવા માટે પ્રયાસ કર્યો. એમણે શરૂ કરેલી પદ્ધતિઓ સામાન્ય રીતે સરળ, અસરકારક અને કરકસરયુક્ત ટેક્નિક હતી, જે મર્યાદિત સંસાધનો સાથે પણ ખૂબ જ ઉપયોગી છે.
ભારતની આદિમ જનજાતિઓમાં વારસાગત અને આયર્નની ઊણપની એનિમિયા પરના બહુકેન્દ્રીય પ્રોજેક્ટ અને પ્રાદેશિક સ્તરે પરમાણુ (Molecular) સ્તરની પ્રયોગશાળાઓ સ્થાપવા માટેના જય વિજ્ઞાન પ્રોજેક્ટમાં એમણે NIIH-મુંબઈ, NIRTH-જબલપુર, RMRC-ભુવનેશ્વર, SCIC-રાયપુર અને અન્ય NGO સાથે મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં કામ કર્યું.
ડૉ. ઇટાલિયાએ આશા કાર્યકરો સહિત આરોગ્ય કર્મચારીઓ માટે અસંખ્ય CMEનું સંચાલન કર્યું. તમામ આદિવાસી સગર્ભા બહેનોની તપાસ શરૂ કરી. 2012માં, ભારતમાં પ્રથમ વખત, ICMRના ભારત-યુએસ સહયોગી પ્રોજેક્ટ હેઠળ, વલસાડમાં હીલ પ્રિક ડ્રાય બ્લડ સેમ્પલ દ્વારા નવજાત શિશુની તપાસની સ્થાપના કરી. હાલમાં ડો. ઇટાલિયા વલસાડ જિલ્લામાં SCD અને થેલેસેમિયા સાથેના નવા જન્મોને રોકવા માટે સાર્વત્રિક પ્રસૂતિ પહેલાંની તપાસ પર વધુ ધ્યાન આપી રહ્યા છે.
એ SCA માટે તાજેતરમાં રજૂ કરાયેલ પોઇન્ટ-ઓફ-કેર ટેસ્ટ કીટની અસરકારકતા નક્કી કરવા માટે ICMR પ્રોજેક્ટના સહ-તપાસકર્તા પણ હતા.ટ્રાન્સલેશનલ સાયન્ટિસ્ટ હોવાના નાતે એમનું સૂત્ર છે- “વિજ્ઞાનને આદિવાસી સમુદાયના ઘર સુધી લાવવું”. એ ગ્રામીણ PHC સ્તરથી આધુનિક મોલેક્યુલર સ્તર PND તક્નિકો સુધીની સરળ નિદાન પ્રક્રિયાઓ સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. ડો. ઇટાલિયા ગુજરાતના અને આડકતરી રીતે NHM હેઠળ આધુનિક સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામના આર્કિટેક્ટ છે. ડો. ઇટાલિયા 2047 સુધીમાં સિકલ સેલ એનિમિયાને દૂર કરવાના મિશન હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં MOHFW, MOTA અને CAFPDની વિવિધ સમિતિઓના સભ્ય પણ છે.
નવી દિલ્હીઃ દેશના 75મા પ્રજાસત્તાકદિને કર્તવ્ય પથ પર સૌપ્રથમ વાર શંખ અને ઢોગ-નગારાની સાથે પરેડ થઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પર 75મા ગણતંત્ર દિવસના સમારોહમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. એ દરમ્યાન 21 તોપોની સલામી પણ આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રો પારંપરિક બગ્ગીમાં સવાર થઈને કર્તવ્ય પથ પર પહોંચી હતી. આ પહેલાં વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રીય સમર સ્મારક જઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પરેડમાં ફ્રાંસની 95 જવાનોની માર્ચિંગ ટીમ અને 33 સભ્યોના બેન્ડનું દળ પણ ભાગ લીધો હતો. આયોજન સ્થળે 77,000 લોકો પહોંચવાના છે. પરેડ આશરે 90 મિનિટ સુધી ચાલશે.
ભારતમહિલા સશક્તીકરણના ભવ્ય પ્રદર્શનની સાથે 75મા પ્રજાસત્તાકદિનને ઊજવવામાં આવી રહ્યો છે. મહિલા અગ્નિવીરોએ કર્તવ્ય પથ પર જોશભેર બરેડમાં ભાગ લીધો હતો. નારી શક્તિના હાથમાં ભારતનું શક્તિશાળી શસ્ત્ર પ્રથમ વખત કર્તવ્ય પથ પર તમામ ટુકડીઓ મહિલાઓની બનેલી છે, જેનું નેતૃત્વ લશ્કરી પોલીસની કેપ્ટન સંધ્યા કરી રહી છે.
At the spectacular Republic Day celebrations. Do watch, as India’s military prowess and cultural diversity are showcased during the parade. https://t.co/uERuG4uk5X
ત્રણ વધારાના અધિકારીઓ કેપ્ટન શરણ્યા રાવ, સબ લેફ્ટિનન્ટ અંશુ યાદવ અને ફ્લાઇટ લેફ્ટિનન્ટ સૃષ્ટિ રાવ છે. મહિલા આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીઝ ટીમનું નેતૃત્વ મેજર સૃષ્ટિ ખુલ્લર કરે છે અને તેમાં આર્મી ડેન્ટલ કોરમાં કેપ્ટન અંબા સામંત, ભારતીય નૌકાદળના સર્જન લેફ્ટિનન્ટ કંચના અને ભારતીય વાયુસેનાના ફ્લાઇટ લેફ્ટનન્ટ દિવ્યા પ્રિયાનો સમાવેશ થાય છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 189 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,24,548 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 12 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી સૌથી વધુ 512 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 483 કેસો નોંધાયા છે અને કેરળમાં 182 કેસ નોંધાયા છે. આ સાથે ગોવામાં 47, ગુજરાતમાં 36, મહારાષ્ટ્રમાં 139, તામિલનાડુમાં 26,આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં 30, દિલ્હીમાં 21 અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે.દેશમાં અત્યાર સુધી 5,33,442 લોકોનાં મોત થયાં છે.
દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,89,343 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 319 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1674 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,67,85,103 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 108 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
થોડા દિવસ પહેલાં એક બટકબોલા પત્રકારે અનિલ કપૂરને સવાલ કર્યો કે ‘ફાઈટર તો ટૉમ ક્રૂઝની વિદેશી ફિલ્મ ‘ટૉપ ગન’થી પ્રેરિત છેને? ત્યારે અનિલ કપૂરે જવાબ આપતાં કહ્યું કે ‘હું, રિતિક રોશન, દીપિકા પદુકોણ, દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ સાવ દેશી છીએ. આમાં વિદેશી ક્યાં આવ્યું?’
ભાઈ અનિલે મશ્કરી કરવા ભલે આવો જવાબ આપ્યો, હકીકત એ છે કે ફિલ્મની સરખામણી ‘ટૉપ ગન’થી, ‘ટૉપ ગન મેવેરિક’થી, ‘ઉરિ’થી અને સિદ્ધાર્થ આનંદની જ આગલી ફિલ્મો (વૉર, પઠાન, વગેરે)થી થયા વગરે રહેશે નહીં. કહો કે એ આ બધી ફિલ્મોની અથવા ભેળપૂરી છે. ‘ટૉપ ગન’માં ટૉમ ક્રૂઝ કહે છે કે ‘અમેરિકા વન્ડરફુલ કન્ટ્રી છે’ તો ‘ફાઈટર’ કહે છે કે ‘બાપ તો હિંદુસ્તાન જ છે.’ મુશ્કેલી એ છે કે ફિલ્મ બાપના લેવલ સુધી પહોંચવામાં જરીકમાં લક્ષ્ય ચૂકી ગઈ. ના ના, એનો અર્થ એ નથી કે ‘ફાઈટર’ બકવાસ છે. ફિલ્મ ઠીકઠાક છે. બલકે ‘પઠાન’ કરતાં બેટર છે.
વીસેક વર્ષ પહેલાં રિતિક રોશન ડિરેક્ટર ફરહાન અખ્તરની ‘લક્ષ્ય’માં બેફિકરો જુવાન હતો, જેને લશ્કરમાં જોડાયા પછી, કૅપ્ટન કરણ શેરગિલ બન્યા પછી જીવનનું ધ્યેય મળે છે. પાંચેક વર્ષ પહેલાં આવેલી ‘વૉર’માં એ સિક્રેટ એજન્ટ મેજર કબિર ઢાલીવાલ હતો, જે પછી એન્ટી ઈન્ડિયન બને છે. હવે એ સ્ક્વૉડ્રન લીડર શમશેર પઠાણિયા છે. ફ્રેન્કલી, ઝાઝો ફરક નથી આ ત્રણેમાં. હા, એક વાત પાકી કે, ‘ફાઈટર’માં ફૅન્સને જલસો પડી જાય એ રીતે રિતિકને રજૂ કરવામાં આવ્યો છે. એ ચાર્મર છે, એ નાચી શકે છે, ગાઈ શકે છે, ડેન્જર ઝોનમાં વિમાન ઉડાડી શકે છે. ઈન ફૅક્ટ, દેશને પ્યાર કરો એવો સંદેશ આપતી આ ફિલ્મ રિતિકને જ પ્યાર કરો એવો મેસેજ પણ આપે છે. થોડા જ સમય પહેલાં પચાસનો થયેલો રિતિક પણ પોતાની ભૂમિકામાં ઓતપ્રોત થઈ ગયો છે.
આશરે અઢી કલાકની ફાઈટરની કથાના નિર્માતા અને સહલેખક રમણ છિબ પોતે હવાઈ દળમાં ફરજ બજાવી ચૂક્યા છે. વાર્તા પુલવામા-ઍટેકની આસપાસ લખવામાં આવી છે. 2019ના ફેબ્રુઆરીમાં રોજ સીઆરપીએફની એક ટુકડી જમ્મુથી શ્રીનગર જઈ રહી હતી ત્યારે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ એમની પર હુમલો કર્યો. જેમાં આપણા જાંબાઝ સિપાહીઓ શહીદ થયેલા. આના વળતા જવાબમાં ભારતે પાકિસ્તાનના બાલાકોટ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદની છાવણી પર હવાઈ હુમલો કર્યો.
2019માં આદિત્ય ધરની ‘ઉરિઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં નેશનલ સિક્યોરિટી ઍડવાઈઝર અજિત ડોવલથી પ્રેરિત કૅરેક્ટર (પરેશ રાવલ) સર્જિકલ સ્ટ્રાઈક કરવાની ઍડવાઈસ આપતાં કહે છેઃ ‘યે નયા ભારત હૈ. ઘર મેં ઘુસેગા ભી ઔર મારેગા ભી.’ તો અહીં સંવાદ છેઃ ‘ઉનકો દીખા દેતે હૈં કિ પિતાશ્રી કૌન હૈ.’ અને સરહદની પેલે પાર એક ટેરરિસ્ટ છે અઝહર અખ્તર (રિશભ સાહની), જે ડાયલોગ પર ડાયલોગ માર્યા કરે છે- ઝેર ઑકતા ડાયલૉગ.
ફિલ્મમાં તમામ નાનામોટા કલાકારોનો અભિનય ઉમદા છે. દીપિકા પદુકોણે એને ભાગે આવેલા બે-ચાર સીન્સ પ્રામાણિકતાથી ભજવ્યા છે. ખાસ તો ઍરબેઝ પર એનાં માતા-પિતા સાથેનો સીન. ક્લાઈમૅક્સમાં પૅટ્ટી અને અઝહરની ફાઈટ સ-રસ શૂટ થઈ છે, ફિલ્મની સ્પેશિયલ ઈફેક્ટસ સાફસૂથરી છે, ખાસ કરીને હવાઈ હુમલાનાં, લડાઈનાં દશ્ય, બરફાચ્છાદિત પહાડોના એરિયલ શૉટ્સ, વગેરે.
પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ આવેલી ‘ફાઈટર’ એક ટિપિકલ મસાલા મનોરંજન છે. એક વણમાગી સલાહઃ છેલ્લા થોડા સમય દરમિયાન આવેલા આ જ શ્રેણીનાં, ભારતીય સૈનિકો પર આધારિત વેબ શોઝ-ફિલ્મ જેવાં કે, ‘બ્રેવહાર્ટ્સઃ ધ અનટોલ્ડ સ્ટોરીઝ ઑફ હીરોઝ,’ ‘મૅજર,’ ‘કોડ એમ-સીઝન 2,’ ‘શૂરવીર’ અને ‘અવરોધ’ પણ જોઈ શકો.