Home Blog Page 2153

IND vs AFG 1st T20 : ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન IS બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. યજમાન ભારત અહીં 15 મહિના પછી T20 મેચ રમી રહ્યું છે. બંને ટીમોની આ પ્રથમ T20 દ્વિપક્ષીય શ્રેણી છે. આ પહેલા બંને એશિયા કપ કે T20 વર્લ્ડ કપમાં એકબીજાનો સામનો કરી ચુક્યા છે. દરેક વખતે ભારતીય ટીમ જીતી છે. અફઘાનિસ્તાન હજુ પણ ટી-20માં ભારત સામેની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી 14 મહિના બાદ ભારતની T20 ટીમમાં પરત ફર્યા છે. અંગત કારણોસર વિરાટ પ્રથમ T20માં રમી રહ્યો નથી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.


ભારત છેલ્લે 2019માં મોહાલીમાં જીત્યું હતું

મોહાલીમાં ભારતે અત્યાર સુધી 4 T20 મેચ જીતી છે. ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે અત્યાર સુધીમાં 4 મેચ જીતી છે જ્યારે એક T20 અનિર્ણિત રહી છે. ભારત છેલ્લે 2019માં મોહાલીમાં જીત્યું હતું. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને T20માં 6 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાન સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાનની સેવાઓ મેળવી શકશે નહીં જે સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. મેચની પૂર્વ સંધ્યાએ, અફઘાનિસ્તાનના કેપ્ટન ઇબ્રાહિમ ઝદરાને રાશિદ ખાનને બાકાત રાખવાની પુષ્ટિ કરી હતી.  ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે વિરાટ કોહલીના પ્રથમ T20માંથી બહાર હોવાના સમાચાર આપ્યા હતા. વિરાટ શ્રેણીની બીજી અને ત્રીજી ટી20 મેચ માટે ઉપલબ્ધ રહેશે. અફઘાનિસ્તાન સામે વિરાટનો રેકોર્ડ ઘણો શાનદાર છે.

UP કોંગ્રેસના 100 નેતાઓ મકર સંક્રાંતિએ અયોધ્યા જશે

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ 22 જાન્યુઆરી થવાનો છે. નિમંત્રણ મળ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતા અધીર રંજન ચોધરીએ આ સમારંભમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે. જોકે તમામ ટીકાઓ પછી પણ UP કોંગ્રેસના 100 નેતાઓ અયોધ્યા જશે.

UP કોંગ્રેસના વડા અજય રાયે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના આશરે 100 નેતાઓ અયોધ્યા જશે. આ કાર્યક્રમમાં નિમંત્રણને કોંગ્રેસ નકાર્યા પછી પણ રાયે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડે અને અન્ય નેતાઓની સાથે નક્કી કાર્યક્રમના અનુસાર 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિએ અયોધ્યા જશે. આ કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં થાય. મારા સહિત રાજ્યની વિવિધ પાર્ટીના નેતા નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 15 જાન્યુઆરીએ અયોધ્યા જશે.

મારી સાથે પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે તથા વરિષ્ઠ નેતા પ્રમોજ તિવારી અને પી. એલ. પૂનિયા પણ અયોધ્યા જશે અને સાથે આશરે 100 કોંગ્રેસી પણ જશે. 15 જાન્યુઆરીએ અયોધ્યા જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ સવારે સૂર્ય ઉત્તરાયણ થઈ જશે અને નારિયેળ વધેર્યા પછી તેઓ અયોધ્યા માટે પ્રસ્થાન કરશે.કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ- ખડગે, સોનિયા ગાંધી અને ચૌધરી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ સન્માનપૂર્વ અસ્વીકાર કરી ચૂક્યા છે. કોંગ્રેસે ભાજપ પર ચૂંટણીનો લાભ લેવા માટે આ કાર્યક્રમને રાજકીય બનાવવાનો આક્ષેપ લગાવતાં કહ્યું હતું કે ધર્મ એક વ્યક્તિગત મામલો છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ભાજપ અને RSSના નેતાઓ પર મંદિરના ઉદઘાટન પાછળના હેતુ પર સવાલ ઊભો કર્યો હતો.

 

 

 

 

69મો ફિલ્મફેર એવોર્ડ ગિફ્ટ સિટીમાં યોજાશે

 અમદાવાદઃ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી ગ્લેમરસ અને સૌથી જૂના ફિલ્મ એવોર્ડમાંનો એક ફિલ્મફેર એવોર્ડ્સની 69મી આવૃત્તિ 28 જાન્યુઆરીએ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાશે. બોલીવૂડના ખ્યાતનામ કલાકારોનું ગુજરાતના ગિફ્ટ સિટીમાં આગમન થશે. આ પહેલાં ફિલ્મફેર એવોર્ડનું આયોજન મહાત્મા મંદિરમાં થવાનું હતું, પરંતુ હવે દારૂબંધીમાંથી મુક્તિ આપ્યા બાદ એવોર્ડનું આયોજન ગિફ્ટ સિટીમાં થવાની શક્યતા છે.

ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સંસ્કૃતિ વચ્ચેના આદાનપ્રદાનને વધુ સુદ્રઢ અને સરળ બનાવવાની સાથે ફિલ્મઉદ્યોગનું ગુજરાતમાં રોકાણ થાય હેતુસર ફિલ્મફેર એવોર્ડ સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં આ પ્રકારે ફિલ્મફેર એવોર્ડના આયોજનથી દેશ-દુનિયામાં માર્કેટિંગ કરવા ગુજરાત ટુરિઝમે પ્રયાસ કર્યો છે. ગિફ્ટ સિટીમાં બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ બુક કરાવ્યું છે. હજુ મોટા ભાગના ફિલ્મ કલાકારો પણ ગિફ્ટ સિટીમાં રોકાણ કરવામાં રસ દાખવે છે. રાજ્યમાં પ્રથમ વાર ફિલ્મફેર એવોર્ડના આયોજન માટેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર પ્રસંગે મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે  ઉદ્યોગ-વ્યાપાર માટે દેશ-વિદેશના રોકાણકારો માટે ‘બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ’ બનેલું ગુજરાત હવે ‘બેસ્ટ એન્ટરટેઇન્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ’ માટે પણ માનીતું ડેસ્ટિનેશન બનશે. તેમ જ ગુજરાતની ‘મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ’ તરીકેની છાપ મજબૂત થશે. ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોતાની વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી શકે તે માટે આ સમજૂતી કરાર મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. ફિલ્મફેર એવોર્ડના ઐતિહાસિક આયોજનથી ઇવેન્ટ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટેશન, સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન પણ થશે.

 

 

 

 

 

દિલ્હી-એનસીઆર, કાશ્મીર અને ચંદીગઢમાં ભૂકંપના આંચકા

અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં તેની તીવ્રતા ઘણી ઓછી હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હતું અને અહીં તેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. ગુરુવારે બપોરે 2.50 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર કાબુલથી 241 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં હતું. ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. દિલ્હી અને એનસીઆરના લોકોએ જણાવ્યું કે તેમને ભૂકંપના આંચકા અનુભવાયા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

ભૂકંપ દરમિયાન શું કરવું

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, ભૂકંપ દરમિયાન ગભરાશો નહીં, શાંત રહો. ટેબલની નીચે જાઓ અને તમારા માથાને એક હાથથી ઢાંકો. બહાર આવ્યા પછી ઇમારતો, વૃક્ષો અને થાંભલાઓથી દૂર રહો. આ સિવાય લિફ્ટનો ઉપયોગ ન કરો. જો તમે વાહનની અંદર હોવ, તો તેને રોકો અને ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી અંદર જ રહો. ભૂકંપ પછી ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં ન જશો અને સીડીનો ઉપયોગ કરશો નહીં. ભૂકંપના નુકસાનને ટાળવા માટે, દિવાલો અને છતની તિરાડોને સમયાંતરે રીપેર કરાવો.

શ્રીરામને માંસાહારી બતાવનારી ફિલ્મ Annapoorani ને નેટફ્લિક્સ પરથી હટાવી દેવાઈ

સાઉથ સિનેમાની લેડી સ્ટાર નયનતારાની ફિલ્મ ‘Annapoorani’ વિવાદોમાં છે, જેની સામે ઘણા લોકોએ વિરોધ કર્યો હતો. કારણ કે આમાં ભગવાન શ્રી રામને ‘માંસ ખાનાર’ તરીકે વર્ણવવામાં આવ્યા છે. નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મની વિરુદ્ધ લોકો સતત બોલતા હતા. પરંતુ હવે હિન્દુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને આ ફિલ્મને OTT પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે. સાઉથ ફિલ્મોના એક્સપર્ટ ક્રિસ્ટોફર કનાગરાજે પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર આ માહિતી પોસ્ટ કરી છે. તેણે એક પોસ્ટમાં લખ્યું, ‘એક અઠવાડિયા પહેલા નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ લેડી સુપરસ્ટારને હવે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે.

આ સિવાય VHP પ્રવક્તા શ્રીરાજ નાયરે તાજેતરમાં જ તેમના એકાઉન્ટ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘અમે ખુશ છીએ કે @ZeeStudios_ ને તેની ભૂલ સમજાઈ ગઈ છે અને કૃપા કરીને નોંધો કે અમે ક્યારેય કોઈ ફિલ્મની રચનાત્મક સ્વતંત્રતામાં દખલ નથી કરી, પરંતુ ટીકા કરી છે. અને હિન્દુઓની મજાક ક્યારેય સહન કરવામાં આવશે નહીં.

 

તમને જણાવી દઈએ કે હાલમાં જ શિવસેનાના પૂર્વ નેતા રમેશ સોલંકીએ ફિલ્મ મેકર્સ વિરુદ્ધ હિંદુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને FIR દાખલ કરી છે. તેણે X પર લખ્યું, ‘મેં હિંદુ વિરોધી અને હિંદુ વિરોધી Netflix વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સાથે તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ફિલ્મ મેકર્સે ભગવાન રામનું અપમાન કર્યું છે. તેણે ફિલ્મને હિંદુ વિરોધી ગણાવી અને તેના કેટલાક વિવાદાસ્પદ દ્રશ્યો તરફ ધ્યાન દોર્યું, જેમાંથી એક ભગવાન રામને ‘માંસાહારી’ તરીકે વર્ણવ્યા.

તેણે આગળ લખ્યું, ‘આખું વિશ્વ શ્રી રામ મંદિરના અભિષેક માટે ઉત્સુક છે. આ માત્ર આ સદીની જ નહીં પરંતુ આ યુગની પણ સૌથી મોટી ઉજવણી છે. તે પહેલા, આપણા આરાધ્ય ભગવાન શ્રી રામ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવી, લવ જેહાદ દર્શાવવો, પૂજારીની પુત્રીને નમાજ પઢાવવા માટે આ બધું જાણીજોઈને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. પોસ્ટમાં વધુમાં સોલંકીએ ફિલ્મ ‘Annapooran ‘ સામેની તેમની ફરિયાદમાં નિર્દેશક નિલેશ કૃષ્ણા, અભિનેત્રી નયનતારા, નિર્માતા જતીન સેઠી, આર રવિન્દ્રન અને પુનિત ગોએન્કા, ઝી સ્ટુડિયોના ચીફ બિઝનેસ ઓફિસર શારિક પટેલ અને નેટફ્લિક્સ ઈન્ડિયાના વડા મોનિકા વિરુદ્ધ FIR દાખલ કરવાની યોજના બનાવી છે. માંગણી કરી. મુંબઈ બાદ જબલપુરમાં પણ ફિલ્મ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

PM મોદી શું તામિલનાડુથી લડશે ચૂંટણી?

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીની ગયા સપ્તાહે તામિલનાડુના તિરુચિરાપલ્લીની યાત્રા પછી અટકળો તેજ થઈ રહી છે કે તેઓ દક્ષિણી રાજ્યની કોઈ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડે એવી શક્યતા છે. તામિલનાડુથી ભાજપના એક ભૂતપૂર્વ વિધાનસભા ઉમેદવારે જણાવ્યું હતું કે આ પગલાથી ભાજપ માટે દક્ષિણના રાજ્યમાં દ્વાર ખોલી શકે છે. જો વડા પ્રધાન તામિલનાડુની કોઈ સીટથી ચૂંટણી લડે છે તો તેમની જીતની ગેરંટી છે. તામિલનાડુના લોકો ભાવુક છે. તેઓ સકારાત્મક પ્રતિક્રિયા આપશે.

તામિલનાડુના ભાજપના ઉપાધ્યક્ષ નારાયણન તિરુપતિએ કહ્યું હતું કે જો તેઓ અહીંથી ચૂંટણી લડશે તો બહુ સારું થશે. અમે તેમનું સ્વાગત કરીશું અને એ અમારા માટે બહુ મોટી જીત હશે.

39 સાંસદો સાથે તામિલનાડુ લોકસભાની સીટો મામલે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ પછી ચોથું સૌથી મોટું રાજ્ય છે. વળી, દેશમાં ભાજપના સૌથી નબળાં રાજ્યોમાંનું પણ એક છે. છેલ્લાં 20 વર્ષોમાં ભાજપ તામિલનાડુમાં કેવળ એક લોકસભા સીટ-2014ની લોકસભાની ચૂંટણીમાં કન્યાકુમારી સીટ જીતવામાં સફળ રહી છે.  જોકે ભાજપ માટે રાજ્યમાં પક્ષની સ્થિતિમાં સુધારો કરવો સરળ નહીં હોય.

ચર્ચા એ થઈ રહી છે કે વડા પ્રધાન મોદી લોકસભાની ચૂંટણી ત્રણ ક્ષેત્રો- કોઇમ્બટુર, રામાનાથપુરમ અથવા કન્યાકુમારીમાં એક જગ્યાએ ચૂંટણી લડી શકે છે. તેઓ બીજી સીટ ઉત્તર પ્રદેશમાં વારાણસી કે અયોધ્યાથી પણ ચૂંટણી લડે એવી શક્યતા છે. જોકે તામિલનાડુના કોઇમ્બટુર, રામનાથપુરમ અને કન્યાકુમારી જ એવી સીટ છે, જ્યાં ભાજપનો જનાધાર છે.  

 

 

 

દેશની પહેલી મેક ઇન ઇન્ડીયા ચીપનું ગુજરાતમાં ઉત્પાદન થશે: અશ્વિની વૈષ્ણવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત સમિટની દસમી કડીનાં બીજા દિવસે સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં સંબોધન કરતાં ગુજરાતને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ’ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારુ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ભારતમાં ટેકનોલોજીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. હેલ્થ, એગ્રીકલ્ચર કે લોજીસ્ટીક્સ, માનવ જીવનને સ્પર્શતા તમામ સેક્ટરમાં સ્માર્ટ ટેકનોલોજી યુસેજ વધી રહ્યો છે. ઇન્ટરનેટ ઓફ થીંગ્ઝ અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ડે-ટુ-ડે લાઇફમાં સામેલ થઇ રહ્યું છે. આ તમામ અત્યાધુનિક ટેકનોલોજીના મૂળમાં સેમિકન્ડક્ટર ચિપ્સ અને ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ જ છે અને વિશ્વને રિલાયેબલ ચીપ સપ્લાય ચેઈનની જરૂર છે.

ગુજરાતને ગેટ વે ટુ ધી ફ્યુચર બનાવવાની સરકારની નેમ

વિશ્વની આ જરૂરીયાતને પૂરી કરવા વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ માટે વિશ્વને એક મજબૂત સપ્લાય ચેઈન પૂરી પાડવા સક્ષમ છે તેમાં ગુજરાત અગ્રીમ યોગદાન આપી શકે.આ માટે ગુજરાતનો રોડમેપ પ્રસ્તૂત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે એ.આઇ.,આઇ.ટી.,બાયોટેક, ફિનટેક, ડ્રોન, સેમિકન્ડક્ટર્સ વિશ્વના ઉભરતા દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહેવા ગુજરાત પ્રતિબદ્ધ છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉતરોત્તર સફળતાએ આજે ગુજરાતને નેટવર્કિંગ એન્ડ નોલેજ શેરિંગનું ગ્લોબલ પ્લેટફોર્મ બનાવ્યું છે અને હવે ભવિષ્યના વિશ્વ તરફ દૃષ્ટિ રાખીને રાજ્યને ગેટ વે ટુ ધી ફ્યુચર બનાવવાની સરકારની નેમ છે.સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ માટેનો આ સેમિનાર પણ તેને સુસંગત છે.

સીસ્કો અને નેનટેક વચ્ચે સહભાગીતા માટેનાં કરાર થયા

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, આ સમિટમાં જે પ્રકારનાં એમ.ઓ.યુ. અને એગ્રીમન્ટ થયાં છે તે વિકાસીત ભારત બનવાની શરૂઆત છે અને ગુજરાત પાસે વડાપ્રધાનનાં વિઝનને જમીન પર ઉતારવા માટેની સક્ષમ મશીનરી છે. તેમણે ઉત્સાહ પૂર્વક જણાવ્યું કે દેશની પહેલી મેક ઇન ઇન્ડીયા ચીપનું ગુજરાતમાં 2024માં ઉત્પાદન થશે. સેમિનારમાં માઇક્રોનનાં સી.ઇ.ઓ. સંજય મેહરોત્રાએ રાજ્ય સરકાર અને ભારત સરકારનાં અભૂતપૂર્વ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે ભારતમાં મજબૂત સેમીકન્ડક્ટર સપ્લાય ચેનનું નિર્માણ થશે તે દિવસો દૂર નથી. સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં ગુજરાત સરકાર અને કોરીયન કંપની સિન્ટેક વચ્ચે એમ.ઓ.યુ. થયાં હતા. આ સાથે માઇક્રોન અને નેનટેક તથા સીસ્કો અને નેનટેક વચ્ચે સહભાગીતા માટેનાં કરાર થયા હતા.

લુલુ ગ્રુપ અમદાવાદમાં સૌથી મોટો શોપિંગ મોલ ખોલશે

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો આજે બીજો દિવસ છે. આજે કેટલાય દેશોના સેમિનાર આયોજિત કરવામાં આવશે. ભારત- અમેરિકા અને ભારત-કેનેડા વ્યૂહાત્મક ભાગીદારી પર સેમિનાર થશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અનેક ઉદ્યોગપતિઓ અનેક મોટી જાહેરાતો કરી રહ્યા છે. સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલે ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ અને સુઝુકીએ મોટી જાહેરાત કર્યા બાદ યુનાઈટેડ આરબ અમીરાત (UAE) સ્થિત પીઢ ઉદ્યોગપતિ યુસુફ અલીનું લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલ ગુજરાતમાં આવવાની તૈયારી કરી દીધી છે. ગ્રુપ અમદાવાદમાં દેશનો સૌથી મોટો શોપિંગ મોલ સ્થાપવા માટે કંપની રૂ. 4000 કરોડનું મૂડીરોકાણ કરશે.

લુલુ ગ્રુપના માર્કેટિંગ અને રિલેશનશિપ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર વી નંદકુમારે વાઇબ્રન્ટ ગુજરાતમાં જણાવ્યું હતું અમે અમદાવાદમાં ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ બાંધીશું અને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ રૂ. 4000 કરોડના શોપિંગ મોલનું નિર્માણ આગામી વર્ષની શરૂઆતથી શરૂ થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે  કોચી, (કેરળ) અને લખનૌ (ઉત્તર પ્રદેશ) પછી દેશમાં લુલુ ગ્રુપનો આ ત્રીજો શોપિંગ મોલ હશે. આનાથી રાજ્યમાં 6000 લોકોને પરોક્ષ રીતે અને 12,000થી વધુ લોકોને રોજગારી મળશે. તેમણે કહ્યું હતું  કે આ પ્રોજેક્ટના નિર્માણ માટે જમીન સંપાદન અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે અને આ મેગા શોપિંગ મોલનો શિલાન્યાસ આવતા વર્ષની શરૂઆતમાં કરવામાં આવશે.

અમદાવાદ સ્થિત શોપિંગ મોલમાં 300થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ હશે. તેમાં 3,000 લોકોની ક્ષમતા સાથે મલ્ટી-કુઝિન રેસ્ટોરાં, બાળકો માટેનું દેશનું સૌથી મોટું મનોરંજન કેન્દ્ર, IMAX સાથેનું 15-સ્ક્રીન મલ્ટિપ્લેક્સ અને અન્ય ઘણાં આકર્ષણો હશે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાજેતરમાં યોજાયેલા યુએઈ રોડ શોમાં લુલુ ગ્રુપ અને ગુજરાત સરકાર દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અમારો ઉદ્દેશ અમદાવાદને ભારતમાં સૌથી વધુ લોકપ્રિય શોપિંગ ડેસ્ટિનેશન્સમાંનું એક બનાવવાનો છે અને તેમાં કોઈ શંકા નથી કે આ શોપિંગ મોલ ભારત અને વિદેશમાં દરેક માટે એક માઇલસ્ટોન ડેસ્ટિનેશન બની રહેશે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

નાણામંત્રી નિર્મલા સીતારમણ આ દિવસે રજૂ કરશે વચગાળાનું બજેટ

બજેટ 2024ની તારીખ જાહેર કરવામાં આવી છે. વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે અને નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. નાણામંત્રી સીતારમણ સંસદમાં બજેટ દરમિયાન માહિતી આપશે કે દેશ માટે છેલ્લા એક વર્ષનો આર્થિક હિસાબ કેવો રહ્યો અને આગામી નાણાકીય વર્ષમાં કયા કાર્યો માટે નાણાંની જરૂર પડશે.

જાણો ક્યારે આવશે આર્થિક સર્વે

બજેટ રજૂ કરવાના એક દિવસ પહેલા એટલે કે 31 જાન્યુઆરીએ દેશનો આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. નાણા મંત્રાલય સાથે જોડાયેલ મુખ્ય આર્થિક સલાહકાર અને તેમની ટીમ દ્વારા તૈયાર કરાયેલ આર્થિક સર્વે 31 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવશે. આને સંસદના બજેટ સત્ર દરમિયાન જાન્યુઆરીની છેલ્લી તારીખે સંસદ સમક્ષ મૂકવામાં આવશે.

શું આ વચગાળાનું બજેટ છે કે વોટ ઓન એકાઉન્ટ?

વચગાળાના બજેટમાં ચૂંટણી વર્ષમાં દેશના ખર્ચને પહોંચી વળવા માટે સરકાર પાસે કેટલા પૈસા છે અને તેનો ઉપયોગ કેવી રીતે થશે તેની ચર્ચા થાય છે અને તેને વોટ ઓન એકાઉન્ટ કહેવામાં આવે છે.

આ વર્ષનો હિસાબ ઘણો મહત્વનો છે

મોદી સરકારનો બીજો કાર્યકાળ પૂરો થવાના થોડા મહિના પહેલા આ બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તે પહેલા દેશની આર્થિક સ્થિતિ જણાવવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની રહેશે. ચૂંટણી વર્ષમાં દેશમાં બે બજેટ રજૂ કરવામાં આવે છે, જેમાંથી પ્રથમ બજેટ વર્તમાન સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે અને બીજું બજેટ નવી સરકારની રચના પછી રજૂ કરવામાં આવે છે.

સ્વચ્છ  સર્વેક્ષણ એવોર્ડ 2023: ઇન્દોર-સુરત દેશનાં સૌથી સ્વચ્છ શહેરો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોર અને સુરતને દેશનાં સૌથી સ્વચ્છ શહેર તરીકે ચૂંટી કાઢ્યાં છે. જ્યારે નવી મુંબઈ ત્રીજા સ્થાને રહ્યું છે. આ સર્વેક્ષણના પરિણામોમાં આ માહિતી આપવામાં આવી હતી. સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2023માં શાનદાર દેખાવ કરવાવાળાં રાજ્યોની શ્રેણીમાં મહારાષ્ટ્રે પહેલું સ્થાન હાંસલ કર્યું છે, જેના પછી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રહ્યાં છે. ઇન્દોરને સતત સાતમી વાર સૌથી સ્વચ્છ શહેર નો એવોર્ડ મળ્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલી વખત ઈન્દોરની સાથે-સાથે સુરત મહાનગર પાલિકા પણ સંયુક્ત રીતે દેશમાં પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું છે. અલગ-અલગ કેટેગરીમાં સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ભગીરથ અને પરિણામલક્ષી કામગીરીને પગલે જ આ વખત સુરત મહાનગરપાલિકા દેશભરનાં સૌથી સ્વચ્છ શહેરોમાં અવ્વલ નંબર મેળવવામાં સફળ રહ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા નવી દિલ્હીમાં ભારત મંડપમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની હાજરીમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લેનારાં તમામ શહેરોના રેન્ક જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પહેલી વખત સુરત મહાનગરપાલિકાને પણ પ્રથમ નંબર મળતાં સુરતીઓમાં પણ હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી. આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણી અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને હસ્તે એવોર્ડ સહિત સર્ટિફિકેટ્સ સ્વીકાર્યાં હતાં. સુરત શહેરનો પહેલો નંબર જાહેર થતાં જ સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર સહિત શહેરીજનોમાં પણ ઉત્સાહનો આનંદ છવાઈ ગયો હતો.

આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના સઘન પ્રયાસો અને સુરતીઓના સહયોગને કારણે સુરત આ વર્ષે પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું છે. તેમણે આ પ્રસંગે મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓથી માંડીને અધિકારીઓના પણ ભગીરથ પ્રયાસોની પ્રશંસા કરી હતી.