નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામેની ટીમ ઇન્ડિયાની બીજી ટેસ્ટ કેપટાઉનના ન્યુલેન્ડ્સ ગ્રાઉન્ડમાં આજથી શરૂ થઈ હતી. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, પણ ભારતે કાતિલ બોલિંગ કરીને યજમાન ટીમને માત્ર 55 રનમાં સમેટી દીધી હતી. દક્ષિણ આફ્રિકાની પહેલી ઇનિંગ્સ લંચ પહેલાં 23.2 ઓવરમાં માત્ર 55 રનમાં સમેટાઇ હતી, જે ભારતની સામે કોઈ પણ ટીમનો ટેસ્ટમાં સૌથી નીચો સ્કોર છે. આ પહેલાં ન્યૂઝીલેન્ડનો 62 રન હતો.
ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે આ ટેસ્ટમાં છ વિકેટ લીધી હતી. તેણે નવ ઓવરમાં 15 રન આપીને છ વિકેટ લીધી હતી. જસપ્રીત બુસરાહ અને મુકેશકુમારે બે-બે વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકા માટે કાઇલ વેરિને સૌથી વધુ 15 રન કર્યા હતા. ડેવિડ બેડિંઘમે 12 રનનું યોગદાન કર્યું હતું. દક્ષિણ આફ્રિકાના આઠ બેટર 10નો આંકડો પાર નહોતા કરી શક્યા.
Innings Break!
A stupendous outing for our bowlers in the first innings as South Africa are all out for 55 runs in the first session of the 2nd Test.
This is the lowest Test score by an opposition against India.
દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં મોહમ્મદ સિરાજની શાનદાર બોલિંગ સામે યજમાન ટીમ વેરવિખેર થઈ ગઈ હતી. બીજી ટેસ્ટ મેચમાં ડીન એલ્ગરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ મોહમ્મદ સિરાજે પ્રથમ દાવમાં છ વિકેટ લઈને યજમાન ટીમને રમતમાં પાછળ ધકેલી દીધી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પોતાની ટેસ્ટ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને સ્કોર 6-15 કર્યો. સિરાજે નવ ઓવરના સ્પેલમાં તેની લાઇન અને લેન્થ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ 55 રન પર સમેટાઈ ગયો હતો. સિરાજ સિવાય મુકેશ કુમાર અને જસપ્રિત બુમરાહે બે-બે વિકેટ લીધી હતી.
સિરાજે તેની ચોથી ઓવરમાં એડન માર્કરામને પ્રથમ વોક કર્યો હતો. આ પછી સિરાજે કેપ્ટન ડીન એલ્ગરને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ પછી સિરાજે ટોની ડીજ્યોર્જ, ડેવિડ બેડિંગહામ, કાયલ વોરેન, માર્કો જેન્સનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.
કેપટાઉનમાં ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ ઝડપનાર ભારતીય બોલરો
2011 એસ શ્રીસંત
2011 હરભજન સિંહ
2022 જસપ્રીત બુમરાહ
2024 મોહમ્મદ સિરાજ*
રોહિતની પલટન શ્રેણીમાં બરાબરી કરવા માટે બહાર છે
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ આ મેચ સિરીઝ 1-1થી બરાબર કરવાના ઈરાદા સાથે રમી રહી છે. સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમને ઇનિંગ્સ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
નવી દિલ્હી: ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક તાતા પાવરે કંપનીના રિન્યુએબલ બિઝનેસમાં સસ્ટેનેબિલિટી ચેમ્પિયન તરીકે જાણીતી પર્વતારોહક બલજિત કૌરને ઓનબોર્ડ કરી છે. આ પહેલ બિનપરંપરાગત ક્ષેત્રોમાં દેશની યુવા પ્રતિભાને ટેકો આપવાની કંપનીની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે.
પર્વતારોહણની પડકારજનક દુનિયામાં, 27 વર્ષની બલજિત કૌર તેની અસાધારણ સિદ્ધિઓ સાથે બધાથી અલગ તરી આવે છે. વર્ષ 2023માં તેણે ઈન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશન તરફથી પર્વતારોહણમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 8000 મીટરને વટાવીને સાત શિખરો સર કરનાર પ્રથમ ભારતીય તરીકે બલજિત અનેક નોંધપાત્ર પ્રથમ સ્થાનના રેકોર્ડ્સ ધરાવે છે. તે માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ લોત્સે અને માઉન્ટ મનાસ્લુ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા તરીકે છે, જે તેણે ઓક્સિજન વિના સર કર્યા હતા, જે તેની હિંમત, અતૂટ નિશ્ચય અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. આ એવાં લક્ષણો છે કે જેને તાતા પાવર ન કેવળ બિરદાવે છે, પણ તેના કર્મચારીઓ અને સમુદાયમાં પણ સ્થાપિત કરે છે.
હિમાચલ પ્રદેશની પહાડી વિસ્તારની બલજીત પ્રકૃતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને પર્વતોને તેનો “પ્રથમ પ્રેમ” કહે છે. તે ટકાઉ જીવનના મૂલ્યને ખરેખર સમજે છે અને તાતા પાવરની ‘સસ્ટેનેબલ ઇઝ એટેનેબલ’ ફિલસૂફીની હિમાયત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે જે સ્વચ્છ ઊર્જા સોલ્યુશન્સ અપનાવવા દ્વારા ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે. બલજિત દેશભરમાં તાતા પાવરના હજારો કર્મચારીઓને પ્રકૃતિ સાથે જોડાણ વધારવા અને કંપનીની પર્યાવરણીય સંભાળ અને સામુદાયિક વિકાસ પહેલને વધુ વિસ્તૃત કરવા પ્રેરણા આપશે.
કંપનીના CEO અને MD ડો. પ્રવીર સિંહાએ જણાવ્યું હતું કે મને કંપની પરિવારમાં બલજિતનું સ્વાગત કરતાં આનંદ થાય છે. તે ખરેખર કંપનીના સિદ્ધાંતોનું પ્રતીક છે. તેનું ઓનબોર્ડિંગ રમતગમતના ક્ષેત્રે મહિલાઓને આગળ લાવવા દેશમાં ઊભરતી પ્રતિભાને ઉછેરવા માટે કંપનીની પ્રતિબદ્ધતાના સમર્પણનો પુરાવો છે. તેની #Powerofcourage સાથે મને ખાતરી છે કે તે દેશના યુવાનો માટે રોલ મોડેલ બનશે. હું કંપનીની ટીમનો એક ભાગ બનવા અને ટકાઉ જીવનના ઉદ્દેશને પ્રોત્સાહન આપવા માટે ઉત્સાહિત છું. હું આના જેવું પ્લેટફોર્મ મેળવવા માટે રોમાંચિત છું, આ સમર્થન સાથે હું પર્વતારોહણમાં ટકાઉપણા અને મહિલાઓના સશક્તીકરણ બંનેમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે ઉત્સુક છું, એમ બલજિત કૌરે જણાવ્યું હતું.
દેશમાં નવા વર્ષે પેટ્રોલ અને ડિઝલમાં 10 રૂપિયા સુધીનો ભાવ ઘટાડો થઈ શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ હવે આજે સવારે ઈંઘણના ભાવમાં ફેરફાર થતાં ગુજરાતમાં પેટ્રોલનાં ભાવમાં વધારો થયો છે જ્યારે ડિઝલનો ભાવ યથાવત રહ્યો છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં સીધો 84 પૈસાનો વધારો થયો છે.
ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં સીધો 84 પૈસાનો વધારો
પ્રાપ્ત વિગતો પ્રમાણે દેશમાં સવારે 6 વાગ્યે ઈંઘણના ભાવમાં સુધારો વધારો થતો હોય છે. દેશમાં રોજ સવારે ઈંધણના ભાવ બદલાય છે અને નવા ભાવ જાહેર કરવામાં આવે છે. ત્યારે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. દેશના ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, કોલકાત્તા અને ચેન્નાઈ સાથે ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં સીધો 84 પૈસાનો વધારો થયો છે. ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. ઈઝરાયલ અને હમાસ તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતો પર પડી રહી છે અને તેમા મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઈંધણના નવા ભાવ જાહેર કર્યા
બુધવારે સવારે લગભગ 6 વાગ્યે WTI ક્રૂડ નજીવા વધારા સાથે 70.50 ડોલર પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું હતું. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ ઘટીને 75.89 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. જેની અસર ગુજરાતના માર્કેટ પર પણ પડી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલા મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.
પેટ્રોલ અને ડીઝલના દૈનિક દર આ રીતે જાણી શકાય છે
તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દર પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો 9224992249 નંબર પર RSP અને તેમનો સિટી કોડ લખીને માહિતી મેળવી શકે છે અને BPCL ગ્રાહકો RSP અને તેમનો સિટી કોડ લખીને 9223112222 નંબર પર SMS મોકલીને માહિતી મેળવી શકે છે. તે જ સમયે, HPCL ઉપભોક્તા HPPprice અને તેમનો સિટી કોડ ટાઈપ કરીને અને 9222201122 નંબર પર મોકલીને કિંમત જાણી શકે છે.
નવી દિલ્હીઃ ભારતીય કુશ્તીમાં જારી સંકટમાં નવો મોડ આવ્યો છે, જ્યારે સેંકડો જુનિયર પહેલવાનોએ કેરિયરમાં એક મહત્ત્વનું વર્ષ બરબાદ થવાની વિરુદ્ધ જંતર-મંતર પર જમા થયેલા બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટને દોષી ઠેરવ્યા છે. આ પહેલવાનોએ વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા અને સાક્ષી મલિક પર નકલી આંદોલન ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.
વાસ્તવમાં બસો ભરીને જુનિયર પહેલવાનો ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હીના વિવિધ ભાગોમાંથી જંતર-મંતર પહોંચ્યા હતા, પણ પોલીસને એ વાતની જાણ સુધ્ધાં નહોતી. તેમાંથી આશરે 300 લોકો છપરૌલી, બાગપતના આર્ય સમાજના અખાડામાં આવ્યા હતા, જ્યારે કેટલાય અન્ય નરેલામાં વીરેન્દ્ર કુશ્તી એકેડેમીમાંથી આવ્યા હતા. કેટલાય લોકો હજી બસોમાં બેઠા છે અને વધુમાં વધુ પહેલવાનો ઐતિહાસિક વિરોધ સ્થળે પહોંચી રહ્યા છે. બાકીના તેમના સહયોગીઓની સાથે સામેલ થવાની યોજના બનાવી રહ્યા છે.
સુરક્ષા કર્મચારીઓને જુનિયર પહેલવાનોને નિયંત્રિત કરવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે, કેમ કે તેમણે પૂનિયા, મલિક અને ફોગાટની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દેખાવકારોના હાથમાં બે બેનર હતાં, એના પર લખ્યું હતું. UWW અમારી કુશ્તીને આ ત્રણ પહેલવાનોથી બચાવો.
વિડંબના એ છે કે આશરે એક વર્ષ પહેલાં એ વિરોધ સ્થળે ટોચના ત્રણ પહેલવાનોને પોતાના ઉદ્દેશ માટે ભારે ટેકો સાંપડ્યો હતો, જ્યારે તેમણે ભૂતપૂર્વ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યા પછી તેમની ધરપકડની માગ કરી હતી. ખેડૂતોના જૂથો, સામાજિક કાર્યકર્તાઓ, રાજકારણીઓ, મહિલા જૂથો અને કુશ્તીના સભ્યો સહિત સમાજના વિવિધ વર્ગોના હજારો લોક મલિક, ફોગાટ અને પૂનિયાના ટેકામાં ઊતરી આવ્યા હતા.
હવે આ ત્રણે પહેલવાનોને પોતાના સમાજની અંદરથી વિરોધનો સામનો કરો પડી રહ્યો છે અને જંતર-મંતર પર એકત્ર થયેલા લોકોએ તેમના પર કેરિયર ખતમ કરવાનો આરોપ લગાવ્યો છે. જાન્યુઆરી, 2023થી રાષ્ટ્રીય શિબિર અને સ્પર્ધા અટકેલી છે, કેમ કે WFIને બે વાર સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને એક પેનલ રમતનું સંચાલન કરી રહી છે.
નવી દિલ્હીઃ અદાણી ગ્રુપની કંપનીઓની વિરુદ્ધ આવેલા હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને આશરે એક વર્ષ થઈ ગયું છે. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ કંપનીઓની વિરુદ્ધ છેતરપિંડીના આરોપ લગાવવામાં આવ્યા હતા. એની તપાસની માગ કરનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો.
અદાણી હિંડનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સેબીની તપાસમાં કોર્ટ દખલ નહીં કરે. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો.
શું છે ચુકાદો?
કોર્ટે કહ્યું હતું કે આ મામલે તપાસને સ્થાનાંતરિત કરવાનો કોઈ આધાર નથી અને એને માત્ર ત્યારે ઉઠાવી શકાય છે, જ્યારે જાણીબૂજીને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય. ભારત સરકાર અને સેબી ભારતીય રોકાણકારોના હિતને મજબૂત કરવા માટે સમિતિની ભલામણો પર વિચાર કરશે. ભારત અને સરકાર અને સેબી એના પર વિચાર કરશે કે શું શોર્ટ સેલિંગ પર હિંડનબર્ગ રિપોર્ટ દ્વારા કાયદાનું કોઈ ઉલ્લંઘન થયું છે અને જો એવું છે તો કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવે.
The Hon’ble Supreme Court’s judgement shows that:
Truth has prevailed.
Satyameva Jayate.
I am grateful to those who stood by us.
Our humble contribution to India’s growth story will continue.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ગૌતમ અદાણીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી માલૂમ પડે છે કે સત્યની જીત થઈ છે. સત્યમેવ જયતે. હું એ લોકોનો આભારી છું, જે અમારી સાથે ઊભા છે. ભારતની વિકાસ ગાથામાં અમારું યોગદાન જારી રહેશે.
સેબીએ 24માંથી 22 કેસોમાં તપાસ કરી છે. કોર્ટે કહ્યું હતું કે સેબીની તપાસ ઉચિત છે. કોર્ટે સેબીના તપાસ રિપોર્ટમાં દખલ દેવાથી ઇનકાર કર્યો હતો.
મુંબઈઃ બિટકોઇન એપ્રિલ, 2022 બાદ પહેલી વાર 45,000 ડોલરના ભાવને વટાવી ગયા બાદ વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે જોરદાર ઉછાળો આવ્યો હતો. બિટકોઇન ઈટીએફને મંજૂરી મળવાની આશા ફરી જાગી હોવાથી માર્કેટમાં માનસ સુધર્યું હતું.
ત્રણ વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 6.18 ટકા (3423 પોઇન્ટ) વધીને 58,776 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 55,353 ખૂલીને 59,091ની ઉપલી અને 55,274 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇનના ભાવ વધ્યા હતા, જેમાંથી સોલાના 11.20 ટકા સાથે ટોચનો વધનાર હતો. અવાલાંશ, બિટકોઇન અને પોલકાડોટમાં 6થી 8 ટકાની રેન્જમાં વધારો થયો હતો.
નાઇજિરિયાની કેન્દ્રીય બેન્કે ક્રિપ્ટોકરન્સીના વ્યવહારો પરનો પ્રતિબંધ હટાવી લેવાને લગતી માર્ગદર્શિકા જાહેર કરી હતી. બીજી બાજુ, ભારતના ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ – કોઇનડીસીએક્સના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોની સરેરાશ ઉંમર 25 વર્ષથી વધીને 30 વર્ષ થઈ ગઈ છે.
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સાંઈલીલા વેલફેર ટ્રસ્ટના ઝરુખોના સહયોગમાં ત્રણ સર્જકોની સ્મૃતિવંદના યોજાશે.
“જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે!”
ગની દહીંવાલાનો આ શેર સર્જકો અને કલાવંતો માટે સાવ સાચો છે, જેમને ચાહકો વર્ષો પછી પણ યાદ રાખે છે.
“અમે ચાલ્યા જશું પળમાં પરોઢી પ્હોર થાવા દો
પછી વિખરાશું ઝાકળમાં પરોઢી પ્હોર થાવા દો”
જેવી ઉત્તમ અને યાદગાર રચનાઓ લખનાર કવિ હરિહર જોષી હોય કે પછી પોતાનાં કાવ્યો, એકોક્તિ, ખગોળ શાસ્ત્રના જ્ઞાન તથા સ્નેહથી મિત્રોને ભીંજવનારાં કવયિત્રી મનોજ્ઞા દેસાઈ હોય, મુંબઈના ભાવકોના હૃદયમાં,એમની વિદાયનાં વર્ષો બાદ પણ એમનું એક નિશ્ચિત સ્થાન છે. વળી, તાજેતરમાં કવિ, વાર્તાકાર, નિબંધકાર ધર્મેશ ભટ્ટે પણ અચાનક એક્ઝિટ લીધી. આ ત્રણેય સર્જકોને એમની રચનાઓ દ્વારા યાદ કરવાનો ઉપક્રમ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તથા ઝરુખોએ યોજ્યો છે.
આ કાર્યક્રમ છઠ્ઠી જાન્યુઆરી શનિવાર સાંજે ૭.૪૫ વાગ્યે યોજાશે, આ યોજાનારા કાર્યક્રમમાં માલિની પંડિત નાયક હરિહર જોષી અને મનોજ્ઞા દેસાઈનાં ગીતોની રજૂઆત કરશે. કવિ સંદીપ ભાટિયા, ધર્મેશ ભટ્ટના સર્જન વિશે વાત કરશે. કટારલેખક રજની મહેતા હરિહર જોષીના સર્જન વિશે તથા એમની મૈત્રી વિશે વાત કરશે. વિભૂતિ દેસાઈ એમનાં પરિવારનાં જ મનોજ્ઞા દેસાઈનાં સર્જન અને ભાવસભર વ્યક્તિત્વની વાત કરશે. બીજે માળે, સાંઈબાબા મંદિર, સાંઈબાબા નગર, બોરીવલી પશ્ચિમને સરનામે યોજાયેલા આ જાહેર કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે.
તમે જીવનમાં બંધાઈ ગયેલા હોવ છો. વાસ્તવિકતા જેવી છે તેવી તમે કેમ જોઈ શકતા નથી? તમને શું રોકી રહ્યું છે? દરેક ક્ષણે તમે અંતિમ સમયની નજીક પહોંચી રહ્યા હોવ છો! દરેક ક્ષણ તમને ભસ્મની નજીક લઈ જઈ રહી છે! છતાં, વાસ્તવિકતા જે એકદમ સ્પષ્ટ છે તે તમે નથી જોઈ શકતા? તમારા સુખની ઝંખના અને દુખના ડરને લીધે આમ થાય છે. દરેક બાબતમાં તર્ક હોઈ શકે છે, પરંતુ શ્રધ્ધા તર્કથી પર છે. તમે ઈચ્છાને લીધે થતી બેચેનીથી પીડાવ છો અને કંઈક મેળવવા લોભી છો.
સુખ, દુખ, તર્ક અને વ્યાકુળતા-આ ચાર લગામ તમને પાછળ તરફ ખેંચે છે. તમે સુખના સ્વપ્ન જુઓ છો; આ એટલું અચંબો આપનાર છે!વિવિધ સુખ માણ્યા પછી પણ માણસ એવું વિચારે છે કે સુખ બીજે ક્યાંક છે. દરેક સુખ ક્ષણિક રહ્યું હોય છે, તેણે તમને ખાલી હાથ અને થાકેલા છોડ્યા હોય છે. છતાં વ્યક્તિ વધારે સુખની, કોઈક અજાણ્યા- અણદેખ્યા સુખની આશા રાખે છે.
તમને કયા દુખનો ડર લાગે છે? તમને શું થવાનું છે? તમે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ ચુક્યા છો. જે તમને અશક્ય લાગતા હતા એવા ઘણા વિઘ્નો તમે જીવનમાં પાર કર્યા છે. છતાં એ કોઈની તમારા પર અસર થઈ નથી. કોઈ બાબત તમને હંફાવી શકી નથી. જે તે ક્ષણે તમને હલાવી નાંખ્યા છે એવું લાગ્યું હશે, પરંતુ પાછળથી તમને જણાયું કે તમે પહેલાની જેમ જ સંપૂર્ણ છો.
માણસને વધુ ને વધુ મેળવવાની ઝંખના રહેતી હોય છે. આપણે ઈચ્છાથી સળગી જઈએ છીએ; અને એ જ્વાળા તમને શાંતિથી જંપવા દેતી નથી. તમે ઈચ્છામુક્ત નહીં થાવ તો તમને ક્યારેય શાંતિ નહીં મળે કે દિવ્ય પ્રેમમાં વિશ્રામ નહીં અનુભવી શકો. પ્રેમ એ વિલિન થઈ જવાની, આપવાની,અર્પણ કરવાની, સેવા કરવાની પ્રક્રિયા છે.
જો તમે કંઈક લાભ મેળવવા માટે સેવા કરી શકે તો તે સેવા નથી. ઘણા લોકો સેવા કરે છે અને પોતાનું નામ થાય એવી ઈચ્છા રાખે છે. આ વૃત્તિ પૈસા આપીને જાહેરાત છપાવવા જેવું છે! જો લોકો કહે છે,”અરે, આ સેવા હું કરીશ. બદલામાં મને શું મળશે?” તો તેમને જણાવો,”બદલામાં તમને કંઈ નહીં મળે!”. લાભ લેવાની ઈચ્છા તમને સેવા કરવા દેતી નથી. તમારા પ્રેમ અને ભક્તિ ખીલી શકતા નથી. તમે ઈશ્વરના છો; અને તમને એમ લાગે છે કે ઈશ્વર તમારા સુખ, કાળજી લેવા જેવી બાબતો કે ઈચ્છાઓની સંભાળ નહીં લે?
ઈચ્છાઓને ત્યજી દો, તો જ તમે ખીલી શકશો. ખીલવા માટે રાહ જુઓ. દરેક કળીને ખીલવા પોતાનો એક સમય હોય છે; કળીને ફૂલ બનવા દબાણ ના કરો. તમારામાં સંપૂર્ણ ખીલવાની પ્રક્રિયા માટે રાહ જુઓ, ધીરજ રાખો. આ એ ખાતર છે જેના દ્વારા પ્રેમનું ગુલાબ ખીલશે. જ્યારે તમે ખીલશો ત્યારે તમને સત્ય પ્રાપ્ત થશે.
સત્યને અનુસરો અને તેનું આચરણ કરો, તેની સાથે રહો. અસ્તિત્વની સાથે રહો. અસ્તિત્વ એ સત્ય છે. સંસ્કૃતમાં ‘સત્’ શબ્દ સત્ય અને અસ્તિત્વ બન્નેમાં છે. માત્ર સત્ય બોલવું એવું જ નહીં, પરંતુ તમારા આખા જીવનમાં સત્યની અભિવ્યક્તિ કરવી. તમે આ ક્ષણમાં છો, આ ક્ષણની અભિવ્યક્તિ કરો. ત્રણ બાબતો કહેવામાં આવે છે: સત્યમ્ બૃયાત્, સત્ય બોલો; પ્રિયમ્ બૃયાત્, મીઠું સત્ય બોલો; સત્યમ્ પ્રિયમ્ હિતમ્,લાભકારી છે તેવું સત્ય બોલો.
જો તમે એક અંધ વ્યક્તિને એવું કહો છો કે “તમે આંધળા છો” તો તમે તેમને ઠેસ પહોંચાડો છો. અપ્રિય સત્ય ના બોલો. હિતમ્ એટલે જે સારું છે તે. કોઈ દર્દી ખરેખર બહુ બિમાર છે. જો તમે તેમને એવું કહો કે “તમે આવતીકાલે ગુજરી જશો” તો તે કદાચ અત્યારે જ ગુજરી જશે! તેના હિતમાં ડોક્ટરે તેને કંઈક જુઠાણું કહેવું પડે. સત્યમ્ એટલે જે વાસ્તવિકતા છે તે કહેવી, પણ સન્નિષ્ઠતા સાથે.
શૌચ એટલે શુધ્ધિ. તમારા મન, વાણી અને શરીરની શુધ્ધિ જાળવો. જો ચોખાને ઘઉં અને સાબુની ભૂકી સાથે ભેળવી દેવામાં આવે તો તે બધું અશુધ્ધ થાય છે. જો આ ત્રણેને અલગ પાત્રમાં લેવામાં આવે તો તમે જણાવશો કે આ શુધ્ધ સાબુની ભૂકી છે, શુધ્ધ ચોખા છે અને શુધ્ધ ઘઉં છે. વસ્તુઓની ભેળસેળ ના કરવી એ શુધ્ધિ છે. અશુધ્ધ એટલે શું? જ્યારે એક પદાર્થને બીજો પદાર્થ, કે જે એવી જ ગુણવત્તા કે પ્રકારનો નથી, તેની સાથે ભેળવેલો છે તો તે અશુધ્ધ છે. શુધ્ધતા એટલે મિલાવટ ના કરવી.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર ગયા મહિનાથી કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને કેરળમાં. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 199 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 148 કેસો નોંધાયા છે અને રાજ્યમાં 1144 કેસ સક્રિય છે. મહારાષ્ટ્રમાં પોઝિટિવ રેટે ચિંતા વધારી દીધી છે. જે બે ટકાની ઉપર છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 602 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે પાંચ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,15,495 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,371 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,77,272 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 722 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4440 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,67,79,081 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
લોકોને નવા વર્ષની સલામત ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક પહેરવા અને હાથ સાફ કરવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ.