મુંબઈઃ એક ઉલ્લેખનીય ચુકાદામાં મુંબઈ હાઈકોર્ટે ઠેરવ્યું છે કે ઘરેલૂ હિંસા કાયદા અંતર્ગત નોંધાતા કેસની કાર્યવાહી હાથ ધરવા માટે અને રાહત આપવા માટે ફેમિલી કોર્ટ સક્ષમ છે. તેથી આવા કેસની કાર્યવાહી મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરી શકાય.
હાઈકોર્ટના ન્યાયમૂર્તિ કમલ ખતાએ એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે આવા કેસ ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરવાથી પક્ષકારોનો સમય, મહેનત અને પૈસાની બચત થશે, કારણ કે આનાથી કામકાજની બહુવિધતા ટાળી શકાશે.
વર્ષ 2023ને વિદાય આપવા માટે 31 ડિસેમ્બર, રવિવારે ભારતમાં ઠેરઠેર લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તસવીર જયપુરના ચાંદલાઈ સરોવરની છે, જ્યાં વર્ષ ઢળતી સાંજે 2023ના આખરી સૂર્યાસ્ત સમયનું દ્રશ્ય કેમેરામેને પોતાના કેમેરામાં ઝડપ્યું હતું.
કોલકાતામાં હુગલી નદી પરના આકાશમાં વર્ષના આખરી સૂર્યાસ્તનો નઝારો.
કોલકાતા
નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ ખાતે લોકો એકત્ર થયાં છે.
ઈન્ડિયા ગેટ, નવી દિલ્હી
નવા વર્ષને આવકાર આપતી અમૃતસરની કન્યાઓઃ શબ્દો અને રંગો વડે હથેળીઓ અને ચહેરાને કેવાં સરસ રીતે ચિતર્યાં છે
મુંબઈઃ નવા વર્ષ 2024ના રોશનીથી ઝળકતા આંકડા પાસે બેસીને તસવીર પડાવતા છોકરાઓ
વર્ષ 2024 આવતીકાલે એટલે કે 1લી જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે વર્ષ બદલાતાની સાથે દેશમાં ઘણા મોટા ફેરફારો પણ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. તેમાં તમારા બેંક લોકરથી લઈને UPI પેમેન્ટ.. ITR ફાઇલિંગથી લઈને સિમ કાર્ડ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. શું છે આ ફેરફાર ચાલો તેના વિશે વિગતવાર જાણીએ…
નવા વર્ષની શરુઆતમાં આ મોટા ફેરફારો
બેંક લોકર કરારમાં સુધારો
UPI યુઝર્સે જો છેલ્લા એક વર્ષથી ટ્રાન્ઝેક્શન નથી કર્યું તો UPI ID બંધ થઈ જશે
નવું સિમ કાર્ડ મેળવવા માટે E-KYC ફરજિયાત
અપડેટેડ ITR ફાઇલિંગ
1. બેંક લોકર કરારમાં સુધારો
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંક લોકર કરારમાં સુધારો કર્યો છે. આ અંતર્ગત યુઝર્સને નિર્ણય લેવા માટે 31મી ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે અને આ સમયમર્યાદા 1લી જાન્યુઆરીએ પૂરી થઈ રહી છે. આરબીઆઈએ તમામ બેંકોને તેમના ગ્રાહકોના લોકર કરારમાં સુધારો કરવા કહ્યું છે, જો આ કામ 31મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ નહીં થાય તો તમારે બેંક લોકર ખાલી કરવું પડી શકે છે. જો તમે પણ બેંક લોકર લીધું છે, તો આજે જ નવા લોકર કરારને પૂર્ણ કરો.
2. UPI યુઝર્સે જો છેલ્લા એક વર્ષથી ટ્રાન્ઝેક્શન નથી કર્યું તો UPI ID બંધ થઈ જશે
જાન્યુઆરીની 1 તારીખ UPI પેમેન્ટ કરનારા યુઝર્સ માટે પણ ખાસ છે. કેમકે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ Paytm, Google Pay, Phone Pay જેવી ઓનલાઈન પેમેન્ટ એપના UPI આઈડીને બ્લોક કરવાનો નિર્ણય લીધો છે, જેનો ઉપયોગ છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી થઈ રહ્યો નથી. તે UPI ID બંધ થઈ જશે. જો તમારી પાસે પણ આવું UPI ID છે, તો તમારે તરત જ ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ.
3. નવું સિમ કાર્ડ મેળવવા માટે E-KYC ફરજિયાત
1લી જાન્યુઆરીથી થવા જઈ રહેલા ફેરફારોની યાદીમાં આગળ ટેલિકોમ સેક્ટર સાથે સંબંધિત છે. ટેલિકોમ વિભાગ 1 જાન્યુઆરીથી સિમ કાર્ડ માટે પેપર આધારિત KYC પ્રક્રિયાને સમાપ્ત કરવા જઈ રહ્યું છે. આનો અર્થ એ છે કે ગ્રાહકોને નવું સિમ કાર્ડ ખરીદવા માટે કાગળના ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. તેના બદલે હવે માત્ર ડિજિટલ KYC એટલે કે E-KYC ફરજિયાત રહેશે.
4. અપડેટેડ ITR ફાઇલિંગ
ઇન્કમ ટેક્સ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ 2023 હતી, પરંતુ જેમણે નિયત તારીખ સુધી આ કર્યું નથી, તેઓને 31મી ડિસેમ્બર એટલે કે આજે છેલ્લો દિવસ છે. અપડેટેડ ITR આ સમયમર્યાદા સુધી લેટ ફી સાથે ફાઇલ કરી શકાય છે. દંડની વાત કરીએ તો, તે આવક પ્રમાણે બદલાય છે. જો કરદાતાની આવક 5,00,000 રૂપિયાથી વધુ હોય તો 5,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. જ્યારે આવક 5,00,000 રૂપિયાથી ઓછી હોય તો દંડની રકમ 1000 રૂપિયા હશે.
નવા વર્ષની સાથે વાહન ખરીદવું પણ મોંધુ
આ 5 મોટા ફેરફારો ઉપરાંત 1 જાન્યુઆરીથી આવા ઘણા ફેરફારો જોવા મળશે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. જેમાં વીમા કંપનીઓ માટે નવા નિયમોનો સમાવેશ થાય છે. વીમા નિયમનકાર IRDA એ વીમા કંપનીઓને ગ્રાહકોને અલગથી પોલિસી સંબંધિત મુખ્ય માહિતી પ્રદાન કરવા જણાવ્યું છે. આ સિવાય 1 જાન્યુઆરી, 2024થી દેશમાં વાહન ખરીદવું મોંઘું થઈ શકે છે. ટોયોટા સહિત કાર ઉત્પાદક કંપનીઓ મારુતિ, મહિન્દ્રા, કિયા, હ્યુન્ડાઈ, હોન્ડા અને ટાટાએ તેમના કોમર્શિયલ વાહનોના ભાવમાં 2 ટકા સુધીનો વધારો કરવાની તૈયારી કરી છે. આ સાથે જાન્યુઆરી મહિનામાં બેંકોમાં બમ્પર રજાઓ છે, જેના કારણે જાન્યુઆરી મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે.
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં આજે વર્ષ 2023ના આખરી એપિસોડમાં જનતાને સંબોધન કર્યું હતું. આ તેમનો 108મો એપિસોડ હતો. આજે એમણે અયોધ્યાસ્થિત રામ મંદિરમાં આવતી 22 જાન્યુઆરીએ નિર્ધારિત ‘પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવના આગામી પ્રસંગ વિશે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા. એમણે કહ્યું, ‘રામ મંદિરને લઈને આખા દેશમાં ઉત્સાહનું વાતાવરણ ફેલાયું છે. લોકો તે વિશે પોતપોતાની લાગણીને જુદી જુદી રીતે વ્યક્ત કરી રહ્યાં છે. તમે જોયું જ હશે કે ગત્ અમુક દિવસોમાં ભગવાન શ્રી રામ અને અયોધ્યા વિશે અનેક સરસ નવા ગીત અને ભજન બનાવવામાં આવ્યા છે. ઘણા લોકો એ વિશે નવી કવિતાઓ પણ લખી રહ્યાં છે. આમાં મોટા મોટા અનુભવી કલાકારો પણ છે તો ઉભરતા યુવા સાથીઓએ પણ મન ને મોહી લેતી ભજન રચનાઓનું સર્જન કર્યું છે. કેટલાક ગીતો અને ભજન તો મેં પણ મારા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. એવું લાગે છે કે કલા જગત પોતાની અનોખી શૈલીમાં ઐતિહાસિક ક્ષણનું ભાગીદાર બની રહ્યું છે.’
વડા પ્રધાને વધુમાં કહ્યું, ‘આ તબક્કે મારા મનમાં એક વાત આવી છે કે આપણે સહુ એવી બધી રચનાઓને એક સમાન હેશટેગ સાથે શેર કરીએ. મારો આપને અનુરોધ છે કે હેશટેગ ‘શ્રીરામભજન’ સાથે તમે તમારી રચનાઓને સોશિયલ મીડિયા પર શેર કરો. આ સંકલન લાગણીનો, ભક્તિનો એવો પ્રવાહ બનશે કે જેમાં દરેક જણ રામમય થઈ જશે.’
મોદીએ એક વિશેષ વાત કહી: ‘મારા કાર્યક્રમનો આજે આ 108મો એપિસોડ છે. જે એક રીતે વિશેષ છે, કારણ કે આપણા દેશમાં 108 અંકનું મહત્ત્વ, એની પવિત્રતા એક ગહન અધ્યયનનો વિષય રહ્યો છે. જેમ કે, માળામાં 108 મણકા હોય છે, ભગવાનના જાપ 108 વાર કરવાના હોય છે, આપણા દેશમાં 108 દિવ્ય ક્ષેત્ર છે, મંદિરોમાં 108 પગથિયાં હોય છે, 108 ઘંટડીઓ હોય છે. આમ 108નો આંકડો અસીમ આસ્થા સાથે જોડાયેલો છે.’
વડા પ્રધાન મોદીએ કરી જગદીશ ત્રિવેદીની મુક્તપણે પ્રશંસા
વડા પ્રધાન મોદીએ એમના આજના ‘મન કી બાત’ કાર્યક્રમમાં ગુજરાતમાં અવારનવાર યોજાતા ડાયરો કાર્યક્રમ ખાસ ઉલ્લેખ કર્યો હતો. એમણે કહ્યું, ‘ડાયરો એટલે લોકસંગીત, લોકસાહિત્ય અને હાસ્યનો ત્રિવેણી સંગમ.’ આ સાથે જ તેમણે ગુજરાતી ડાયરાના પ્રસિદ્ધ કલાકાર અને હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી વિશે વિગતવાર જાણકારી આપીને એમની પ્રશંસા કરી હતી. તો સાંભળો મોદીજીના સ્વરમાં…
નવી દિલ્હી ઓમાનના મસ્કતમાં યોજાનાર FIH હોકી ફાઇવ્સ વર્લ્ડ કપ માટે ભારતની પુરુષ અને મહિલા ટીમોની જાહેરાત કરવામાં આવી છે. પુરૂષ ટીમની કમાન સિમરનજીતને સોંપવામાં આવી છે, જ્યારે મહિલા ટીમની કમાન રજની ઇતિમાર્પુ સંભાળશે. મહિલા ટીમ 24 થી 27 જાન્યુઆરીની વચ્ચે ટુર્નામેન્ટમાં પોતાની મેચ રમશે જ્યારે પુરૂષ ટીમ 28 જાન્યુઆરીથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
The Squad for Indian Men’s and Women’s Team for The FIH Hockey5s World Cup Muscat, Oman 2024 are here with Simranjeet leading the Men’s team and Rajani Etimarpu leading the Women’s team.#HockeyIndia#IndiaKaGamepic.twitter.com/TsWo1FmMi4
ઓમાનની ધરતી પર યોજાનાર વર્લ્ડ કપ માટે પુરૂષ ટીમની કમાન ફોરવર્ડ ખેલાડી સિમરનજીત સિંહને સોંપવામાં આવી છે. જ્યારે ડિફેન્ડર મનદીપને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં સૂરજ અને પ્રશાંત ચૌહાણના રૂપમાં બે ગોલકીપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. મનદીપ અને મનજીતને ડિફેન્ડર તરીકે ટીમમાં જગ્યા મળી છે. રાહિલ મૌસિન અને મનિન્દર સિંહ મિડફિલ્ડરની ભૂમિકામાં જોવા મળશે. પવન, ગુરજોત સિંહ, સિમરનજીત અને ઉત્તમ સિંહને ફોરવર્ડ ખેલાડી તરીકે ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
રજની મહિલા ટીમની કેપ્ટન રહેશે
રજની ઇતિમાર્પુ વર્લ્ડ કપ માટે મહિલા ટીમની કેપ્ટનશીપ કરતી જોવા મળશે. મહિમા ચૌધરીને ટીમની વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે. અજમિના કુજુર, રૂતજા, દીપિકા સૌરંગનો ફોરવર્ડ ખેલાડી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. મહિમા, જ્યોતિ અને અક્ષતાને ડિફેન્ડરની ભૂમિકામાં મૂકવામાં આવી છે. ભારતીય મહિલા ટીમને પૂલ સીમાં રાખવામાં આવી છે, જ્યાં તેનો મુકાબલો નામિબિયા, પોલેન્ડ અને અમેરિકા સામે થશે.
પુરુષોની ટીમ આ ટીમો સામે ટકરાશે
ભારતીય પુરુષ હોકી ટીમને વર્લ્ડ કપ 2024માં પૂલ-બીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમને ગ્રુપ સ્ટેજમાં ઈજિપ્ત, જમૈકા અને સ્વિટ્ઝર્લેન્ડનો સામનો કરવો પડશે. નેધરલેન્ડ, પાકિસ્તાન, પોલેન્ડ અને નાઈજીરિયાને પૂલ-એમાં મૂકવામાં આવ્યા છે જ્યારે પૂલ-ડીમાં મલેશિયા, ફિજી, ઓમાન, અમેરિકા અને ફિજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ત્રિનિદાદ અને કેન્યાને પૂલ સીમાં રાખવામાં આવ્યા છે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટ અને સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે 29-31મી ડિસેમ્બર, 2023 દરમિયાન ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા “ROBOFEST-GUJARAT 3.0” એન્જિનિયરિંગ ધ ફ્યુચર કોમ્પિટિશનની ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રાન્ડ ફિનાલેમાં કુલ 67 ટીમો, 330 વિદ્યાર્થીઓ, 50 થી વધુ માર્ગદર્શકોએ ભાગ લીધો હતો. તે સાત અલગ અલગ કેટેગરીમાં કાર્યરત રોબોટ્સના પ્રોટોટાઈપનું પ્રદર્શન હતું. આ સ્પર્ધામાં કુલ ઈનામની રકમ રૂ. 5.00 કરોડ રાખવામાં આવી હતી. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય દેશના વિદ્યાર્થીઓમાં રોબોટિક્સની સંસ્કૃતિ કેળવવાનો છે.
રોબોટ્સના સફળ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા
ભારતની સૌથી મોટી રોબોટિક્સ કોમ્પિટિશનના ત્રણ દિવસીય એક્સ્ટ્રાવેગેન્ઝાના વેલેડિક્ટરી પ્રોગ્રામ દરમિયાન ગ્રાન્ડ ફિનાલેના તમામ સહભાગીઓ સાથે ટેકનિકલ એડવાઇઝરી કમિટીના સભ્યો સાથે ઇન્ટરેક્ટિવ સત્ર હતું. આ સમિતિનું નેતૃત્વ ડો. દેબનિક રોય, વૈજ્ઞાનિક, રિમોટ હેન્ડલિંગ એન્ડ રોબોટિક્સ વિભાગ, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતુ. તેઓએ તમામ સહભાગીઓને વધુ મજબૂત પ્રોટોટાઈપ તૈયાર કરવા અને તેમના નવીન વિચારને સ્ટાર્ટ-અપમાં રૂપાંતરિત કરવાની સલાહ પણ આપી. TAC સભ્યોએ પણ તમામ ટીમોને તેમના રોબોટ્સના સફળ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમનો પ્રાથમિક ઉદ્દેશ વિદ્યાર્થીઓને રોબોફેસ્ટ-ગુજરાત 3.0 પ્રોગ્રામ દ્વારા તેમના વિચારો અને નવીનતાઓ શોધવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ કાર્યક્રમ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટીની પહેલ છે.
રોબો મેકિંગ સ્પર્ધા “ROBOFEST-GUJARAT 3.0” નું આયોજન એ વિદ્યાર્થીઓમાં STEM એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સમાં શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટેની એક અસરકારક પહેલ છે. આ વર્ષે દેશભરમાંથી કુલ 629 નોંધણીઓ મળી હતી, તેમાંથી 151 ટીમોને લેવલ 1 સ્પર્ધાના વિજેતા તરીકે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. 151 પ્રોજેક્ટમાંથી રોબોટ બનાવવાની સ્પર્ધાની તમામ 7 કેટેગરીમાંથી 67 “પ્રૂફ ઓફ કોન્સેપ્ટ” લેવલ-3 પ્રોટોટાઈપ સ્ટેજ માટે પસંદ કરવામાં આવ્યા હતા. પસંદ કરાયેલી ટીમોમાંથી 59 ટીમો ગુજરાતની વિવિધ સંસ્થાઓની છે, 8 ટીમો દેશના અન્ય રાજ્યોમાંથી અને IIT મદ્રાસ, IIT કાનપુર, NIT તિરુચિરાપલ્લી, IIT ધનબાદ, IIT બોમ્બે સહિતની અગ્રણી વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી છે.
ગ્રાન્ડ ફિનાલેમાં પ્રોટોટાઇપ રોબોટ્સનું જીવંત પ્રદર્શન હતું જ્યાં મુલાકાતીઓએ રોબોટ્સને ટ્રેક પર દોડતા, પોતાની જાતને સંતુલિત કરતા, હવામાં ફરતા, બોલ ઉપાડતા, પુસ્તકોને સૉર્ટ કરતા અને વિવિધ કાર્યો કરતા જોવા મળ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ સાયન્સ સિટીની રોબોટિક્સ ગેલેરીમાં અને તેની આસપાસ આયોજિત કરવામાં આવ્યો હતો. દરેક કેટેગરીમાં ટોચના ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. પ્રથમ પુરસ્કાર રૂ. 10 લાખ, બીજુ રૂ. 7.5 લાખનું અને ત્રીજું ઇનામ રૂ. 5.00 લાખ આપવામાં આવ્યુ હતુ . આ ઉપરાંત આશ્વાસન ઈનામની રકમ રૂ. 2.50 લાખ રાખવામાં આવી હતી.
વર્ષ 2023માં ભારતમાં રમાયેલા ICC ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાની હારથી દરેક ભારતીય ચાહકો સ્તબ્ધ થઈ ગયા હતા. ભારત ઘરઆંગણે ખિતાબ જીતવાનો સૌથી મોટો દાવેદાર હતો અને અગાઉની ટુર્નામેન્ટમાં એકતરફી જીત સાથે ફાઇનલમાં પહોંચ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ચાહકોનું ICC ટ્રોફી જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું. નવા વર્ષમાં ભારતને એક નહીં પરંતુ ત્રણ વર્લ્ડ કપ ટ્રોફી મળી શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમનો ICC ટ્રોફી જીતવાનો દુકાળ નવા વર્ષમાં સમાપ્ત થઈ શકે છે. છેલ્લી વખત ટીમ ઈન્ડિયાએ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ વર્ષ 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં જીત્યો હતો. ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં મળેલી જીત એ કોઇપણ ICC ટ્રોફીની ફાઇનલમાં ભારતની છેલ્લી જીત બની હતી. 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં હારથી સમગ્ર દેશ અને ભારતીય ટીમના ચાહકો સંપૂર્ણ રીતે વ્યથિત હતા. હવે તેઓ નવા વર્ષમાં યોજાનારી ICC ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યા છે. જ્યાં ફરી એકવાર બધાની નજર ટ્રોફી પર રહેશે.
નવા વર્ષમાં ત્રણ વર્લ્ડ કપ
વર્ષ 2024માં ભારત પાસે ત્રણ વર્લ્ડ કપ ટ્રોફી જીતવાની તક હશે. આ તમામ ભારતની વિવિધ ક્રિકેટ ટીમો માટે છે. ICCનો પહેલો ખિતાબ ભારતની જુનિયર ટીમ એટલે કે અંડર-19 વર્લ્ડ કપમાં ભાગ લેનાર યુવાઓ પર રહેશે. અંડર-19 વર્લ્ડ કપનું આયોજન દક્ષિણ આફ્રિકામાં 19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 2024 દરમિયાન થવાનું છે. વર્ષનો બીજો વર્લ્ડ કપ જેમાં ભારતની સિનિયર ટીમ ભાગ લેશે તે યજમાન દેશ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં 4 જૂનથી 30 જૂન વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા આ T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમી શકે છે. વર્ષના છેલ્લા વર્લ્ડ કપની વાત કરીએ તો મહિલા ટીમ સપ્ટેમ્બરમાં ICC ટ્રોફી જીતવાના ઈરાદા સાથે T20 ફોર્મેટમાં પ્રવેશ કરશે. તે બાંગ્લાદેશમાં રમવાની છે.
કેપ ટાઉનઃ સેન્ચુરિયનમાં પહેલી ટેસ્ટ મેચ હારીને ભારતીય ટીમે સાઉથ આફ્રિકાની ધરતી પર પહેલી જ વાર ટેસ્ટ શ્રેણી જીતવાની તક ગુમાવી દીધી છે. હવે બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી અહીં સહારા પાર્ક, ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમે પહેલી ટેસ્ટ મેચ એક દાવ અને 32 રનથી અને માત્ર ત્રણ દિવસમાં જ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્મા આંચકાજનક રીતે બંને દાવમાં બેટિંગમાં નિષ્ફળ ગયો હતો. હવે બીજી ટેસ્ટ મેચ જીતીને કમસે કમ શ્રેણી બચાવવા માટે શર્મા અને તેના સાથીઓએ કમર કસી છે. તેઓ હાલ સ્ટેડિયમમાં સઘન તાલીમ લઈ રહ્યા છે. ખેલાડીઓ દરરોજ બે-કલાક આકરી મહેનતવાળી ટ્રેનિંગ લે છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ટીમના પ્રેક્ટિસ સત્રનો એક વીડિયો પોતાના X એકાઉન્ટ પર શેર કર્યો છે.
પહેલી ટેસ્ટમાં પહેલા દાવમાં 185 રન કરનાર અને ‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડ જીતનાર ઓપનર ડીન એલ્ગર બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકા ટીમનું સુકાન સંભાળશે. રેગ્યૂલર કેપ્ટન ટેમ્બા બવૂમા ઈજાગ્રસ્ત હોવાથી રમી શકવાનો નથી. કેપ ટાઉન એલ્ગરનું હોમગ્રાઉન્ડ છે. વળી, તેણે જાહેરાત કરી દીધી છે કે આ ટેસ્ટ મેચ તેની કારકિર્દીની આખરી મેચ હશે. ત્યારબાદ તે નિવૃત્તિ લેશે.
રવિન્દ્ર જાડેજા શારીરિક રીતે ફિટ ન હોવાથી પહેલી ટેસ્ટ મેચ ચૂકી ગયો હતો. બીજી ટેસ્ટમાં રમવા માટે તે સજ્જ થઈ ગયો છે. 7 જાન્યુઆરીએ બીજી ટેસ્ટ મેચ પૂરી થઈ ગયા બાદ ભારતીય ટેસ્ટ ટીમના ખેલાડીઓ 8 જાન્યુઆરીએ સ્વદેશ માટે રવાના થશે.
મુંબઈઃ ભારતમાં સ્ટાર્ટ-અપ કે ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓમાં કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાનું પ્રમાણ વર્ષ 2022ની સરખામણીમાં 2023માં 15 ટકા વધારે રહ્યું હતું. Layoffs.fyi વેબસાઈટ તરફથી મળેલી માહિતી મુજબ, આખા વર્ષમાં અંદાજે કુલ 16,000થી વધારે લોકોએ નોકરી ગુમાવી છે. આ વેબસાઈટે મીડિયા અહેવાલોના આધારે ડેટા તૈયાર કરી છે. ડેટા પરથી કહી શકાય કે સદ્ધર થઈ ગયેલી ટેક્નોલોજી કંપનીઓ કરતાં સ્ટાર્ટ-અપ કંપનીઓમાં છટણીનું પ્રમાણ વધારે હતું.
કર્મચારીઓની છટણીમાં બેંગલુરુ પહેલા નંબરે રહ્યું. આ શહેરને ભારતનું ટેક્નોલોજી પાટનગર કહેવામાં આવે છે. તે પછીના ક્રમે ગુરુગ્રામ, મુંબઈ અને નોઈડા આવે છે. દરરોજ સરેરાશ ઓછામાં ઓછા 45 જણે નોકરી ગુમાવી હતી. આ આંકડો વર્ષ 2022ની સરખામણીમાં 15.3 ટકા વધારે છે. ગયા વર્ષે આ આંકડો 14,224 હતો. Tracxn. In વેબસાઈટની માહિતી અનુસાર, વર્ષ 2023માં સ્ટાર્ટઅપ કંપનીઓને ફંડ મેળવવામાં મુશ્કેલી પડી હતી. આ વર્ષે તેમને કુલ અંદાજે 8.1 અબજ ડોલર જેટલું ફંડ મળ્યું હતું જ્યારે 2022માં આ આંકડો 25.9 અબજ ડોલર હતો. હાલમાં જ ફાઈનાન્શિયલ ટેક્નોલોજી (ફિનટેક) કંપની પેટીએમ એ 1,000 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા હતા. આ સેક્ટરમાં 2023માં 2,141 કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. એજ્યૂકેશન ટેક્નોલોજી સેક્ટરમાં આશરે 4,700 લોકોએ નોકરી ગુમાવી છે. તે પછીના ક્રમે ફૂડ (2,765), ફાઈનાન્સ (2,141), રીટેલ (1,772), કન્ઝ્યૂમર (1,488), હેલ્થકેર (991) આવે છે.
વિશ્વસ્તરે 2,61,847 લોકોએ નોકરી ગુમાવી છે. આમાં લગભગ 70 ટકા લોકોએ અમેરિકામાં નોકરી ગુમાવી છે. તે પછીના નંબરે ભારત, જર્મની, સ્વીડન અને બ્રિટન આવે છે.
મુંબઈઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત ‘કૌન બનેગા કરોડપતિ’ (કેબીસી) ટીવી શોની 15મી આવૃત્તિનું સમાપન થઈ ગયું છે. કેબીસીની 15મી સીઝનનો આખરી એપિસોડ ગઈ 29 ડિસેમ્બરે થયો. સૂત્ર-સંચાલક અમિતાભ શોમાંથી વિદાય લેવાની જાહેરાત કરતાં ભાવૂક થઈ ગયા હતા. એમણે કહ્યું હતું, ‘દેવી અને સજ્જનો… હવે હું જાઉં છું. આવતીકાલથી આ મંચ શણગાર સજશે નહીં. હું અમિતાભ બચ્ચન આ સીઝન માટે, આ મંચ પરથી આખરી વાર કહું છું – શુભ રાત્રી.’ અને એ બોલીને એમની આંખોમાં આંસુ આવી ગયા હતા.
શોનું પ્રસારણ કરનાર ટીવી ચેનલ સોનીએ આ એપિસોડનો પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે.
અમિતાભ સંચાલિત ‘કૌન બનેગા કરોડપતિ’ શો ટીવી દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થયો છે. આ શોમાં સ્પર્ધકોને એમની બુદ્ધિપ્રતિભાના જોરે લાખો-કરોડો રૂપિયા ઈનામમાં જીતવાની તક મળતી હતી. કેબીસી-15 શો 2023ની 15 એપ્રિલથી શરૂ થયો હતો. 29 ડિસેમ્બરે એનો આખરી શો પ્રસારિત કરાયો હતો. ‘કૌન બનેગા કરોડપતિ’ શોનો આરંભ 2000ની સાલમાં થયો હતો. અમિતાભ ત્યારથી એનું સંચાલન કરતા આવ્યા છે. માત્ર એક જ વાર, 2007ના વર્ષમાં શાહરૂખ ખાને તે શોનું સંચાલન કર્યું હતું.