૨૮ ડિસેમ્બર, ૨૦૨૩
૨૮ ડિસેમ્બર, ૨૦૨૩
રાશિ ભવિષ્ય 28/12/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.
આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.
આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે, વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.
સાચું સુખ એટલે શું?
2023નો આ છેલ્લો લેખ. થોડા જ દિવસમાં વર્ષ પૂરું થશે. અને એ શાંતિથી, ચૂપચાપ 2024ના હાથમાં બૅટન આપીને
જતું નહીં રહે. દેશ-દુનિયામાં નવા વર્ષને આવકારવા જાતજાતના સમારંભો થશો, પાર્ટીઓ થશે, દારૂની, વાઈનની નદીઓ વહેશે, રાતઆખી નાચગાન થશે. કદાચ પાર્ટી-પ્રેમીઓ માટે આ જ સાચું સુખ હશે.
ભલે, પણ સાચું સુખ આપણે કોને કહીશું?
સાવ નાની ઉંમરે, એક સામાન્ય, ગરીબ આફ્રિક્ન પરિવારનાં દસ બાળકોમાંનું આઠમું સંતાન માઈકલ જેક્સન… સતત અછતમાં ઉછરનારાં દુનિયાનાં લાખ્ખો બાળકોમાંના એક સામાન્ય બાળકમાંથી વિશ્વપ્રસિદ્ધ પૉપસિંગર તરીકેની યાત્રા કરનાર કલાકાર એટલે માઈકલ જેક્સન. એ માઈકલ જેક્સન, જેનાં અત્યાર સુધી બહાર પડેલાં આલબમ્સની ૭પ કરોડથી વધુ રેકર્ડ વેચાયેલી છે. એ માઈકલ જેક્સન, જેની પાસે સાડાપાંચસો કરોડ ડૉલરથી વધુ બૅન્ક બૅલેન્સ હતું. અઢી હજાર એકરમાં ફેલાયેલા એના નેવરલેન્ડ નામના નિવાસમાં 12 તો ડૉક્ટર્સ હતા, જે ખડેપગે માઈકલ જેક્સનની નાનીમોટી શારીરિક સમસ્યાનો ઉકેલ લાવતા. આટલાં બધાં સુખ, સંપત્તિ, સાધન અને સમૃદ્ધિ હોવા છતાં તેના ઉદગારો હતા, ઍક્ચ્યુઅલી આઈ ઍમ વન ઑફ ધ લોન્લિએસ્ટ પર્સન ઑન ધ અર્થ. અને 2009માં પચાસ વર્ષની વયે દવાના ઓવરડોઝથી માઈકલ જેક્સનનું મૃત્યુ થયું ત્યારે એની બાજુમાં એના પર્સનલ ફિઝિશિયન સિવાય કોઈ નહોતું.
દોમ દોમ સાહ્યબી, સફળતા જો કોઈ પોતીકા સાથે વહેંચી ન શકાય તો એ શા કામની? જીવનમાં સરિયામ નિષ્ળતાના સમયે પોતાના મજબૂત ખભા તમારી પાસે હોય તો માની લેજો કે તમે સૌથી સુખી છો. અને આપણે ફેસબુક ફ્રેન્ડની વાત નથી કરતા. કપરા સમયે પડખે ઊભા રહેનારા સાચા મિત્રની વાત કરીએ છીએ.

એટલે જ કોઈએ સાચું જ કહ્યું છે કે, ધ સુપ્રીમ હેપીનેસ ઓફ લાઈ ઈઝ ધ કન્વિક્શન ધૅટ વી આર લવ્ડ બાય અધર અર્થાત્ બીજા બધા મને ખૂબ ચાહે છે, પ્રેમ કરે છે, એની પ્રતીતિ થવી એ જ જીવનનું શ્રેષ્ઠ સુખ છે. બાકી સંબંધો વગરની ભૌતિક સવલતો સુગંધ વગરના ગુલાબ જેવી છે. બાહ્ય વૈભવ અને સુખ-સગવડ વ્યક્તિને આરામદાયક જીવન જરૂર પૂરું પાડશે, પરંતુ સાથે આંતરિક હૂંફ, સંતોષ અને શાંતિ માટે પોતાના કહી શકાય એવા માણસોનો સંગાથ મળે તો આપણું જીવન સોનામાં સુગંધ ભળ્યા જેવું બની જાય.
અમેરિકામાં કાર્નેગી ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી નામની એક પ્રખ્યાત શિક્ષણ સંસ્થા છે. તેના અધિકારીઓએ માણસની સફળતા-નિષ્ફળતા જેવા એક વિષય પર અભ્યાસ કરવાનું નક્કી કર્યું. આ માટે અધિકારીઓએ દસ હજાર વ્યક્તિઓની મુલાકાત લીધી અને તારણ આપતાં જણાવ્યું કે, વ્યક્તિની સફળતાનો પંદર ટકા આધાર તેની બુદ્ધિ, કામ કરવાની આવડત અને હુન્નર કે કૌશલ પર છે, પરંતુ પંચ્યાશી ટકા આધાર એ માનવીના અન્ય સાથેના લોકસંબંધો કેવા છે તેના પર નિર્ભર રહે છે, પરંતુ સંબંધોનું એક કડવું સત્ય એ છે કે જીવન-નૈયા સુખના પ્રદેશમાંથી પસાર થતી હોય ત્યારે તો સૌનો સાથ અવશ્ય મળી રહે, પણ દુઃખના દિવસોમાં સંગાથ આપે એ જ સાચો સંબંધ કહી શકાય.

અમરેલી જિલ્લાના ખડાધાર ગામમાં રહેતા રવજીભાઈના પરિવારમાં બીમારી અને ગરીબી અડીંગો જમાવીને બેઠેલી. પતિ-પત્ની બંને એ વખતે અસાધ્ય ગણાતા ટીબીનાં દર્દી. ઘરના રોટલા માંડ નીકળે ત્યાં ઈલાજના પૈસા ક્યાંથી હોય? બંનેએ સ્વીકારી લીધેલું કે દીકરા રમણીકને એ મોટો થતો જોઈ નહીં શકે. રવજીભાઈએ પોતાની વ્યથા પત્રમાં ઠાલવી પ્રમુખસ્વામી મહારાજને મોકલી. પત્ર વાંચતા જ તેમની પરિસ્થિતિથી વાકેફ સાચા સ્વજન સમા સ્વામીશ્રીનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે પતિ-પત્નીના ઉપચાર કરાવ્યા. થોડા સમયમાં તબિયત સારી થવા લાગી. પછી તો સુરત નજીક આવેલા કીમમાં એમણે રમકડાંનો વ્યવસાય શરૂ કર્યો, એમાં પણ પ્રમુખસ્વામીએ એમને સહાય કરી.
જે યુગમાં સ્વાર્થ સોળે કળાએ ખીલ્યો હોય, જે સમયમાં સગાં પણ વહાલાને બદલે દવલા બની જતા હોય, જ્યારે વ્યક્તિગત લાભ અને મહાત્ત્વાકાંક્ષાના કારણે રક્ષક પણ ભક્ષક બની જતા હોય, એવા યુગમાં પ્રમુખસ્વામી મહારાજ સુખમાં સંગાથ અને દુઃખમાં હાથ આપવાનું ક્યારેય ભૂલ્યા નથી. આવા મહાપુરુષોનાં જીવનથી પ્રેરિત થઈ આપણે આપણા સંબંધીનાં સુખદુઃખના સંગાથી બનીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
દિલ્હીથી પંજાબ સુધી ગાઢ ધુમ્મસઃ 20 જણનાં મોત
નવી દિલ્હીઃ ઉત્તર ભારતનાં રાજ્યોમાં ડિસેમ્બર પૂરો થતાં-થતાં ગાઢા ધુમ્મસનો પ્રારંભ થયો છે. નવી દિલ્હી સહિત કેટલાંય રાજ્યોમાં ધુમ્મસનો કહેર જોવા મળી રહ્યો છે. નવી દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે. ધુમ્મસને કારણે રસ્તો પર ટ્રાફિક ધીમો થઈ ગયો છે. ઉત્તર ભારતની સાથે મધ્ય ભારતમાં પણ ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે. આકરી ઠંડી અને ભારે ધુમ્મસને કારણે લોકોની મુશ્કેલી વધી છે.
દિલ્હી-એનસીઆરમાં ઠંડીની સાથે રોડ પર ધુમ્મસ પણ જોવા મળી હતી. સવારના સમયે યમુના નદીના કિનારે ધુમ્મસના સ્તર જોવા મળ્યા હતા. ઠંડી અને તેના કારણે થયેલા અકસ્માતોની ઘટનામાં છેલ્લા 24 કલાકમાં 20 લોકોના મોત થયાં છે.
દિલ્હી અને કાશ્મીરથી લઈને દક્ષિણ ભારતના તેલંગણા અને દક્ષિણ-પૂર્વના ઓડિશા સુધીનાં 11 રાજ્યોમાં ધુમ્મસને કારણે વાહનોની અવરજવરની ગતિ ધીમી પડી ગઈ હતી. ધુમ્મસ છવાઈ જવાથી જોવામાં તકલીફ પડતાં રોડથી લઈને રેલવે તથા વિમાનોની ઉડાણ પ્રભાવિત થઈ હતી. ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને તેલંગાણામાં માર્ગ અકસ્માતમાં 19 લોકોના મોત થયા છે. જમ્મુ-કાશ્મીરમાં કેટલીયે જગ્યાએ તાપમાનનો પારો શૂન્યથી નીચે(માઈનસમાં) પહોંચી ગયો છે. જમ્મુ-કાશ્મીરનું પહલગામ સૌથી ઠંડું રહ્યું છે.
હવામાન નિષ્ણાતોના કહેવા પ્રમાણે વર્ષના છેલ્લા દિવસોમાં હવામાનમાં પલટાને કારણે યુપી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને તમિલનાડુમાં વરસાદ પડી શકે છે. ઉત્તરપ્રદેશના હાપુડમાં ભારે ધુમમસને પગલે નેશનલ હાઈવે પર એક પછી એક 18 વાહનો અસરપરસ ટકરાયા હતા. જેના કારણે કેટલીક કારોને નુકસાન થયું હતું. દુર્ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. રાજ્યમાં ટ્રેનોની અવરજવર ધીમી પડી. હાથરસમાં પણ આઠ વાહનોની ટક્કરમાં 28 લોકો ઘાયલ થયા છે. ઝાંસીમાં ત્રણ વાહનો ટકરાયા હતા. પ્રવાસી બસની ટ્રક સાથે ટક્કર થતાં બે લોકોના મોત થયા છે, જ્યારે 15 ઘાયલ થયા છે.
કેન્દ્રએ મુસ્લિમ લીગ (JK) પર પ્રતિબંધ મૂક્યો
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રવિરોધી અને અલગાવવાદી કામકાજમાં સામેલ અને આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપનારી મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસર્રત આલમ જૂથ) (MLJK-MA)ને બુધવારે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું હતું. ગૃહપ્રધાન અમિત શાહે એક્સ (ટ્વિટર) પર લખ્યું કે આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રવિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપે છે અને જમ્મુ-કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે લોકોને ઉશ્કેરે છે.
ગૃહમંત્રી અમિત શાહે કારણ પણ જણાવતા લખ્યું કે આ સંગઠન ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ છે અને લોકોને જમ્મુ-કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે. ગૃહપ્રધાને લખ્યું છે કે સરકારનો સંદેશ જોરદાર અને સ્પષ્ટ છે કે આપણા રાષ્ટ્રની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતાની વિરુદ્ધ કામ કરનાર કોઈ પણ વ્યક્તિ કે સંગઠનને છોડવામાં નહીં આવે અને તેને કાનૂનના પૂર્ણ પ્રકોપનો સામનો કરવો પડશે. મસરત આલમ 2019થી જેલમાં બંધ છે.
The ‘Muslim League Jammu Kashmir (Masarat Alam faction)’/MLJK-MA is declared as an 'Unlawful Association' under UAPA.
This organization and its members are involved in anti-national and secessionist activities in J&K supporting terrorist activities and inciting people to…
— Amit Shah (@AmitShah) December 27, 2023
કોણ છે મસરત આલમ?
મસરત આલમ ભટ 2019થી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે, તેને 2021માં કાશ્મીરી કટ્ટરપંથી અલગાવવાદી જૂથ ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સ (APHC)નો અધ્યક્ષ બનાવવામાં આવ્યો હતો. NIAએ 50 ટેરર ફંડિંગ કેસમાં કેસ નોંધ્યો ત્યારથી તે તિહાડ જેલમાં છે. આ પહેલાં પણ મસરત આલમની 2010માં ધરપકડ કરવામાં આવી હતી.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આલમ સામે 27 FIR નોંધાયેલી છે અને 36 વખત PSA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
તેજીનો આખલો ભૂરાંટો થયોઃ સેન્સેક્સ, નિફ્ટીમાં રેકોર્ડતોડ તેજી
અમદાવાદઃ સ્થાનિક સ્ટોક માર્કેટમાં સતત ચોથા દિવસે આગઝરતી તેજી થઈ હતી. જેથી ઘરેલુ BSE સેન્સેક્સ, નિફ્ટી 50 અને બેન્ક નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે. ડિસેમ્બર એફ એન્ડ ઓ એક્સપાયરીથી ઠીક પહેલાં સ્ટોક માર્કેટ નવા શિખરે બંધ થયાં હતાં. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ધૂમ લેવાલી જોવા મળી હતી. સેન્સેક્સ સૌપ્રથમ વાર 72,000 અને નિફ્ટી 21,600ને પાર પહોંચ્યો છે.
BSE પર લિસ્ટેડ બધી કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 361 લાખ કરોડને પાર પહોંચ્યું છે. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 701.63 પોઇન્ટ ઊછળી 72,038.43 અને નિફ્ટી 213.50 પોઇન્ટના મથાળે બંધ રહ્યા હતા. રોકાણકારોએ બજારની તેજીમાં રૂ. 2.29 લાખ કરોડની કમાણી કરી હતી. જ્યારે ચાર દિવસમાં રોકાણકારોએ રૂ. 11 લાખ કરોડની કમાણી કરી હતી, જ્યારે ડિસેમ્બરમાં રોકાણકારોએ અત્યાર સુધી રૂ. 26 લાખ કરોડની કમાણી કરી હતી.
અમેરિકાની ફેડ બેન્કે વ્યાજદરોમાં કાપના સંકેત આપ્યા છે. એ સાથે અમેરિકામાં મોંઘવારી દરમાં નરમ વલણ છે. ફેડ રિઝર્વ આગામી વર્ષે માર્ચમાં વ્યાજદરોમાં કાપ મૂકે એવી શક્યતા છે. જેથી નાણાકીય સિસ્ટમમાં રોકડની તરલતામાં વધારો થશે. એનાથી કંપનીઓનો નફામાં પણ વધારો થવાની શક્યતા છે.

આ સાથે ભારતીય અર્થતંત્રનું આઉટલૂક મજબૂત રહેવાની સંભાવના છે. ફિચના અંદાજ અનુસાર ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં સામેલ થશે. વર્ષ 2024-25 સુધી ભારતનો GDP 6.5 ટકા રહેવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વર્ષમાં એ 6.9 ટકા રહેવાનો અંદાજ છે.
નવેમ્બરમાં FIIએ ભારતીય શેરબજારોમાં રૂ. 24,546 કરોડ ઠાલવ્યા પછી ડિસેમ્બરમાં અત્યાર સુધી FPIsએ રૂ. 78,903 કરોડનું મૂડીરોકાણ કર્યું છે. સ્મોલકેપ અને મિડકેપમાં સતત તેજી જારી છે, ત્યારે હવે લાર્જકેપ શેરોમાં પણ તેજીની આગેકૂચ થઈ રહી છે.
દેશમાં કોરોનાના JN.1 વેરિયન્ટના સૌથી વધુ કેસ ગુજરાતમાં
અમદાવાદઃ કોરોના રોગચાળાએ ફરી એક વાર રાજ્યમાં ચિંતા વધારી છે. દેશમાં JN.1ના સૌથી વધુ કેસ જોવા રાજ્યમાં જોવા મળ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટ રાજ્યમાં ઝડપથી પ્રસરી રહ્યો છે. રાજ્યમાં હાલ JN.1 વેરિયન્ટના 36 કેસ સક્રિય છે. કેરળ-રાજસ્થાન સહિત આઠ રાજ્યોમાં કુલ 109 કેસ છે, જેમાં ગુજરાત સૌથી ટોચ પર છે. જોકે કોરોનાના નવા વેરિયન્ટના એક પણ કેસ હોવાનો કોઈ જ સત્તાવાર રિપોર્ટ અમારી પાસે નથી, તેવું કોર્પોરેશનના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો ભાવિન સોલંકીએ જણાવ્યું હતું.
દેશમાં કોરોનાનો નવા JN.1. વેરિયન્ટના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 109 પર પહોંચી ગઈ છે, જ્યારે આંકડા અનુસાર રાજ્યમાં JN.1 વેરિયન્ટના સૌથી વધુ 36 કેસ ગુજરાતમાં છે. આ ઉપરાંત ગોવામાં 18 કેસ, કર્ણાટકમાં 8 કેસ, મહારાષ્ટ્રમાં 7, કેરળ અને રાજસ્થાનમાં 5-5, તામિલનાડુમાં 4 અને તેલંગાનામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે.દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 529 કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 4093 પાર થઈ ગઈ છે. તો ત્રણ સંક્રમિત દર્દીઓના મોત થયા છે. જેમાં બે કર્ણાટકના દર્દી અને એક દર્દી ગુજરાતનો છે.
અમદાવાદમાં ૩૫ કુલ કોરોના એક્ટિવ કેસ નવા ઉમેરાયા હતા. આ સાથે જ શહેરમાં હાલ કોવિડના 42 એક્ટિવ કેસ થયા છે. નવા કેસ નવરંગપુરા, નારણપુરા , જોધપુર, થલતેજ, સરખેજ અને ગોતામાં નોંધાયા છે. જેમાં એક દર્દી હોસ્પિટલમાં જયારે 41 દર્દી હોમ આસોલેશનમાં સારવાર હેઠળ છે. સંક્રમિત થયેલા બે દર્દી USથી દુબઈથી આવ્યા હતા.
ફ્રાન્સથી પરત ફરેલા પેસેન્જરો સાથે ગુજરાત પોલીસ કરશે સમન્વય
અમદાવાદઃ ગુજરાત પોલીસે એજન્ટોથી જોડાયેલા એક સંદિગ્ધ ગેરકાયદે ઇમિગ્રેશન નેટવર્કની તપાસ કરવા માટે ટીમોની રચના કરી છે અને ફ્રાન્સથી મુંબઈમાં ઊતરનારા વિમાનના પ્રવાસીઓની સાથે સમન્વય કરશે, એમ એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી. આ વિમાનમાં કેટલાય પ્રવાસી ગુજરાતથી છે.
એરબસ A340માં 276 પેસેન્જરો હતા, જેમાં મોટા ભાગના ભારતીય હતા. તેમને માનવ દાણચોરીના સંદેહમાં ચાર દિવસો માટે ફ્રાંસમાં અટકાવવામાં આવ્યા હતા. તેમને મંગળવારે સવારે મુંબઈમાં ઉતારવામાં આવ્યા હતા.
CID ક્રાઇમ એ એજન્ટોની વિરુદ્ધ કાર્યવાહી કરવા ઇચ્છે છે, જેમણે પીડિતોને અમેરિકા અને અન્ય દેશોમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરવામાં મદદ કરવાનાં વચનો આપ્યાં હતા. અમે ચાર ટીમો બનાવી છે, જે પીડિતોથી એ એજન્ટો દ્વારા તેમને કરવામાં આવેલાં વચનો વિશે માહિતી એકત્ર કરે એમ CID ક્રાઇમના સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ સંજય ખરાતે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ફ્રાંસથી પરત પરત ફરેલા ચાર્ટર્ડ પ્લેનમાં મોટા ભાગના પેસેન્જરો ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને આણંદ જિલ્લાના હતા. પેસેન્જરો જ્યારે મુંબઈથી ગુજરાત પહોંચશે તો પોલીસ તેમની સાથે સમન્વય કરશે, જેથી એમાં સામેલ એજન્ટો અને એજન્સીઓ વિશે માહિતી મળી શકે અને એ પણ માલૂમ પડે કે શું તેમને અમેરિકા અને અન્ય દેશોમાં પ્રવાસ માટે આપવામાં આવેલા દસ્તાવેજો નકલી છે? વળી, કેટલા લોકોને આ રીતે વિદેસ મોકલવામાં આવ્યા છે અને કોણ લોકો છે, જે આ પ્રકારે પ્રવાસ કરવાનું ઇચ્છે છે, એમ તેમણે કહ્યું હતું.






