Home Blog Page 220

BSP MLA, સહયોગીઓનાં ઘરથી રૂ. 10 કરોડ રોકડ જપ્ત

લખનૌઃ ઉત્તર પ્રદેશના એકમાત્ર BSP ધારાસભ્ય ઉમાશંકર સિંહ અને તેમના નજીકના લોકોનાં નિવાસસ્થાનો પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. બુધવારે શરૂ થયેલી કાર્યવાહી ગુરુવારે પણ ચાલુ રહી. ઉમાશંકર સિંહ અને તેમના નજીકના લોકોનાં ઘરોમાંથી અંદાજે 10 કરોડ રૂપિયા રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. લખનૌના વિપુલખંડ સ્થિત ઉમાશંકર સિંહના નિવાસસ્થાને દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે અન્ય કેટલાંક સ્થળોએ હજુ કાર્યવાહી ચાલુ છે.

30થી વધુ સ્થાનોઓ પર એકસાથે દરોડા

આવકવેરા વિભાગે લખનૌ, બલિયા, સોનભદ્ર, કૌશાંબી, મિરઝાપુર અને પ્રયાગરાજ સહિત 30થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. 50થી વધુ અધિકારીઓની ટીમ સવારે 11 વાગ્યે આ સ્થળોએ પહોંચી હતી અને મોડી રાત સુધી તપાસ ચાલુ રાખી હતી.

CAG રિપોર્ટમાં થયો હતો ખુલાસો

ઉમાશંકર સિંહ પીડબ્લ્યુડી અને ખનન સંબંધિત કાર્યો માટે જાણીતા છે. તેમની બે કંપનીઓ — વિદ્યાર્થી શક્તિ કન્સ્ટ્રક્શન કંપની અને સાંઈ રામ એન્ટરપ્રાઇઝિસ — કાર્યરત છે. ગયા વર્ષે CAGની રિપોર્ટમાં જણાવાયું હતું કે સોનભદ્રમાં ગેરકાયદે ખનનને કારણે અંદાજે 60 કરોડ રૂપિયાનું આવકનું નુકસાન થયું હતું. આ જ રિપોર્ટને આધારે આવકવેરા વિભાગે ઉમાશંકર સિંહ અને તેમના નજીકના લોકોના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા હતા.

 જાનૈયા બનીને પહોંચ્યા અધિકારીઓ

પ્રાપ્ત માહિતી મુજબ આવકવેરા વિભાગના અધિકારીઓ ઉમાશંકર સિંહના નિવાસસ્થાને જાનૈયા બનીને પહોંચ્યા હતા. ગાડીઓ પર “મહેન્દ્ર કુમાર સાથે સંગીતા કુમારી” નામનાં સ્ટિકર લગાવવામાં આવ્યાં હતાં જેથી કોઈને શંકા ન જાય. આ વ્યૂહરચના હેઠળ અધિકારીઓ સીધા નિવાસસ્થાને પહોંચી ગયા અને અચાનક કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

આ દરોડા દરમિયાન ગેરકાયદે ખનન સંબંધિત મહત્વના દસ્તાવેજો પણ મળ્યા હોવાનું કહેવાય છે. તેમાં દર મહિને નક્કી રકમ મેળવનારા અધિકારીઓનાં નામ પણ સામેલ હોવાનું જણાવાય છે. કહેવામાં આવે છે કે ખનન વ્યવસાયમાં કેટલાક બ્યુરોક્રેટ્સની પણ સંડોવણી છે અને તેમણે પોતાની કાળી કમાણીનું તેમાં રોકાણ કર્યું છે. જોકે ઉમાશંકર સિંહના લખનૌ અને બલિયાનાં નિવાસસ્થાનો તેમજ સોનભદ્ર સ્થિત તેમની કંપનીના કચેરી પર થયેલા દરોડા અંગે યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહે અસંતોષ વ્યક્ત કર્યો છે.

ગૌહત્યા અટકાવવા ગયેલા ગૌરક્ષકો, પોલીસ પર ટોળાનો હુમલો

સુરત: માંગરોળ તાલુકાના હથોડા ગામે ગૌહત્યા અટકાવવા ગયેલી પોલીસ ટીમ અને ગૌરક્ષકો પર અસામાજિક તત્ત્વોએ હિંસક હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે તંગદિલી સર્જાઈ છે. આ હુમલામાં એક ગૌરક્ષકને માથાના ભાગે તલવારના ઘા વાગ્યા છે, જ્યારે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.25મી ફેબ્રુઆરીએ મોડી રાત્રે કોસંબા પોલીસને હથોડા ગામમાં ગૌહત્યા થવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ સ્ટાફ અને ગૌરક્ષકોની ટીમ ગામમાં તપાસ માટે પહોંચી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન છ જેટલા શખસો બાઈક પર આવ્યા અને બોલાચાલી શરૂ કરી હતી. જોતજોતામાં આ શખસોએ ફોન કરીને 50 જેટલા લોકોનું ટોળું ભેગું કરી લીધું હતું અને પોલીસ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે હુમલામાં બે પોલીસ જવાનો ઘાયલ થયા છે, જેમાં એક કર્મચારીનો હાથ તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા સુરત જિલ્લા પોલીસ વડા (SP) રાજેશ ગઢિયાના આદેશથી હથોડા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. DySP બી.કે. વનારની આગેવાનીમાં કુલ 15 પોલીસ ટીમો દ્વારા ગામમાં કોમ્બિંગ હાથ ધરાયું છે. તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ શખસોની અટકાયત કરવામાં આવી છે. FSLની મદદથી પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

કેરળ હાઈકોર્ટે ધ કેરલા સ્ટોરી 2ના રિલીઝ પર મૂક્યો પ્રતિબંધ

ધ કેરલા સ્ટોરી 2 ના નિર્માતાઓને મોટો ઝટકો લાગ્યો છે. કેરળ હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો છે. સીબીએફસીના પ્રમાણપત્ર અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

કેરળ હાઈકોર્ટે વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ની સિક્વલ ‘ધ કેરલા સ્ટોરી 2 – ગોઝ બિયોન્ડ’ની રિલીઝ પર વચગાળાનો સ્ટે લગાવી દીધો છે. જસ્ટિસ બેચુ કુરિયન થોમસની આગેવાની હેઠળની બેન્ચે ફિલ્મના સેન્સર બોર્ડ (CBFC)ના પ્રમાણપત્રને પડકારતી અરજીઓની સુનાવણી કરતી વખતે આ કડક નિર્દેશ આપ્યો હતો. કોર્ટે મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ ફિલ્મને પ્રમાણપત્ર આપતી વખતે યોગ્ય ગંભીરતા અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો નથી. કોર્ટે સેન્સર બોર્ડના કામ પર સીધા જ પ્રશ્ન ઉઠાવ્યા અને તેમને ફિલ્મની ફરીથી તપાસ કરવાનો નિર્દેશ આપ્યો.

કેરળની છબી અને સાંપ્રદાયિક સંવાદિતાનો મુદ્દો

શ્રીદેવી નંબુદિરી અને ફ્રેડી વી. ફ્રાન્સિસ દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓ ફિલ્મના શીર્ષક અને વાર્તા પર ગંભીર વાંધો ઉઠાવે છે. અરજદારોનો દલીલ છે કે ફિલ્મનું શીર્ષક અને પ્લોટ વૈશ્વિક સ્તરે રાજ્યની છબીને કલંકિત કરે છે. વધુમાં, તેઓ ભય વ્યક્ત કરે છે કે ફિલ્મની સામગ્રી રાજ્યની સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડી શકે છે. ન્યાયાધીશ થોમસે, આ ચિંતાઓને વાસ્તવિક માનીને ચુકાદો આપ્યો કે જ્યાં સુધી વિગતવાર ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી ફિલ્મ થિયેટરોમાં રિલીઝ ન થવી જોઈએ.

સેન્સર બોર્ડને બે અઠવાડિયાનું અલ્ટીમેટમ

અદાલતે અરજીઓ સ્વીકારીને, CBFC ને અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અને ફિલ્મની સામગ્રી પર પુનર્વિચાર કરવાનો આદેશ આપ્યો. કોર્ટે બોર્ડને બે અઠવાડિયામાં આ બાબતે અંતિમ નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો. જ્યાં સુધી CBFCનો નિર્ણય ન આવે ત્યાં સુધી ફિલ્મની રિલીઝ પર રોક રહેશે. જો કે, કોર્ટે વકીલ અતુલ રોય દ્વારા દાખલ કરાયેલી બીજી રિટ અરજીને જાળવી શકાય તેવી ન હોવાથી ફગાવી દીધી.

નિર્માતાઓની દલીલો નકારી કાઢવામાં આવી

સુનાવણી દરમિયાન, ફિલ્મના નિર્માતાઓએ અરજીઓનો સખત વિરોધ કર્યો. તેમણે દલીલ કરી હતી કે અરજદારોની ફરિયાદો “જાહેર પ્રકૃતિ” ની હતી અને તેનાથી કોઈ વ્યક્તિગત કાનૂની નુકસાન થતું ન હતું. નિર્માતાઓએ અરજદારોના અધિકારક્ષેત્ર પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. જો કે, કોર્ટે આ દલીલોને ફગાવી દીધી, વધારાના દસ્તાવેજો રેકોર્ડ પર લેવાની મંજૂરી આપી અને વિરોધીઓના વાંધાઓને ફગાવી દીધા. આ નિર્ણય “ધ કેરલા સ્ટોરી 2” ની ટીમ માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. હવે બધાની નજર સેન્સર બોર્ડની સમીક્ષા અને કોર્ટના અંતિમ નિર્ણય પર છે, જે બે અઠવાડિયામાં અપેક્ષિત છે.

NCERTના ધોરણ આઠના ‘ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર’ ચેપ્ટર મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે NCERTના ધોરણ 8ના સોશિયલ સાયન્સના પાઠ્યપુસ્તકમાં સમાવાયેલ “ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર” સંબંધિત અધ્યાય મુદ્દે આકરું વલણ અપનાવ્યું છે. ગુરુવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને આ પુસ્તકની ઓનલાઇન ઉપલબ્ધ PDF નકલ તાત્કાલિક દૂર કરવાની સૂચના આપી હતી.

શું છે સમગ્ર મામલો?

આ વિવાદ NCERT દ્વારા પ્રકાશિત ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના પુસ્તક સાથે જોડાયેલો છે. આ પુસ્તકના એક ચેપ્ટર — અમારા સમાજમાં ન્યાયપાલિકાની ભૂમિકા — હેઠળ “ન્યાયપાલિકાનો ભ્રષ્ટાચાર” નામનું ચેપ્ટર સામેલ કરવામાં આવ્યું હતું. આ જ મુદ્દાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે, જેને કારણે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો.

 સુપ્રીમ કોર્ટે સુઓ મોટો કેમ લીધો?

NCERTના ધોરણ 8ના પુસ્તકમાં “ન્યાયપાલિકાનો ભ્રષ્ટાચાર” વિષય સામેલ કરવામાં આવતાં વરિષ્ઠ વકીલ કપિલ સિબલ અને અભિષેક મનુ સિંઘવીએ આ મુદ્દો કોર્ટ સમક્ષ ઉઠાવ્યો હતો. ત્યાર બાદ મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી પીઠે સંકેત આપ્યો કે કોર્ટ પહેલેથી જ આ મામલે સુઓ મોટો (સ્વતઃ સંજ્ઞાન) લીધું છે.

આ સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું હતું કે તેઓ જાણવા માગે છે કે આ ચેપ્ટરના પ્રકાશન માટે જવાબદાર વ્યક્તિ કોણ છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ન્યાયપાલિકાના ગૌરવને ઠેસ પહોંચાડતી કોઈ પણ સામગ્રી સહન કરવામાં આવશે નહીં.

કેન્દ્ર સરકારનો અભિગમ શો રહ્યો?

સુનાવણી દરમિયાન ભારત સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને ખાતરી આપી છએ કે કેન્દ્ર સરકાર ન્યાયપાલિકાની સાથે છે અને સુપ્રીમ કોર્ટ જે પણ આદેશ આપશે તેનું પાલન કરવામાં આવશે.  ત્યારબાદ કોર્ટે સરકારને સૂચના આપી કે પુસ્તકની ઓનલાઇન ઉપલબ્ધ PDF નકલ તાત્કાલિક દૂર કરવા માટે જરૂરી આદેશો જારી કરવામાં આવે.

આગળ શું થઈ શકે?

કોર્ટ આ મામલે જવાબદાર અધિકારીઓની ઓળખ કરી શકે છે અને તેમની પાસેથી સ્પષ્ટીકરણ માગવામાં આવી શકે છે. તેમ જ ભવિષ્યમાં પાઠ્યપુસ્તકોની સામગ્રીની સમીક્ષા પ્રક્રિયા વધુ કડક બનાવવાના આદેશો પણ સુપ્રીમ કોર્ટ તરફથી આવી શકે છે.

ઘડિયાળના ટિક્ ટિકમાં છુપાયેલું જીવનનું સત્ય

માનવજાતને કુદરતે અમૂલ્ય સંપત્તિની ભેટ આપી છે. સમાજના કોઈ પણ વર્ગમાંથી આવતો માનવી હોય- આ સંપત્તિ એની પાસે હોય હોય ને હોય જ. આ સંપત્તિની ગમ્મત એ છે કે એ આપણે ન તો કોઈને દાન, ભેટ નથી આપી શકતા કે વારસામાં નથી આપી શકતા. આ સંપત્તિ ઉછીની મળતી નથી અને એ ખરીદી કે વેચી પણ નથી શકાતી. એને બૅંકમાં પણ સાચવી નથી શકાતી. આનો માત્ર ઉપયોગ જ કરવો પડે. જો ન કરીએ તો આપમેળે ખર્ચાઈ જાય.

આ અતિ મૂલ્યવાન સંપત્તિ એટલે સમય. હા, કુદરતે માનવીને બુદ્ધિ, લાગણી, સંબંધો અને સપનાં જેવી અનેક ભેટ આપી છે, પરંતુ આ બધામાં સૌથી અમૂલ્ય ભેટ છે સમય. માણસ પૈસા ગુમાવે ત્યારે દુઃખી થાય, સંબંધો તૂટે ત્યારે વ્યથિત થાય, પરંતુ દરરોજ હાથમાંથી સરકતો સમય એને દેખાતો નથી. હકીકતમાં, જીવનમાં મળેલી દરેક તક, દરેક સફળતા અને દરેક યાદો સમયના યોગ્ય ઉપયોગ પર આધારિત છે.

મહામનીષી ચાણક્ય કહેતા કે, જિંદગીની વીતી ગયેલી પળ એક કરોડ સોનામહોર આપવાથી પણ પાછી મળતી નથી. ખરેખર, સમયનું મૂલ્ય સમજી વિશ્વના સર્વે મહાપુરુષોએ ટાણે તેનો યોગ્ય વિનિમય કરી મહત્તમ લાભ પ્રાપ્ત કરવાની અનુભવપૂર્ણ શિખામણ સમાજને આપી છે. જે વ્યક્તિના જીવનઘડતરમાં પ્રગતિનો પથ અજવાળે છે.

સમય રૂપી મૂડી દરેક પાસે સરખી જ છે. તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરનાર જિંદગીમાં બાજી મારી ગયા. આ જ ભેદ છે સામાન્ય અને અસામાન્ય વ્યક્તિ વચ્ચેનો. મહાન વ્યક્તિઓએ સમયને સંપત્તિ ગણી તેનો આયોજનપૂર્વક અને સમજદારીથી ઉપયોગ કર્યો, જેના ફ્ળસ્વરૂપે તેઓ સફ્ળતાનાં શિખર સર કરે છે. સમયનો સદુપયોગ એટલે ચોકસાઈ અને પ્રામાણિકતાથી ખટકો રાખી ખંતપૂર્વક કાર્ય કરવામાં ખર્ચેલો સમય, જેનું પરિણામ અકલ્પનીય હોય છે.

હેન્રી વર્ડ્સવર્થ લોંગફેલો નામના પ્રસિદ્ધ અમેરિકન કવિ અને શિક્ષણશાસ્ત્રીને કૉફી બનાવતાં દસ મિનિટ થતી. ચૂલા ઉપર કૉફી મૂકી તેઓ પુસ્તકનું ભાષાંતર કરવા માંડે. કૉફી તૈયાર થાય ત્યાં સુધીમાં અડધા પાનાનું ભાષાંતર થઈ જાય. આવી જ રીતે સમયનો ઉપયોગ કરીને લોંગફેલોએ ‘ઈન્ફર્નો’ નામના પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કરેલો.

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ નાના-નાના સમયનો ઉપયોગ કરવામાં કુશળ હતા. મૉર્નિંગ વૉક લેતાં એ સંતો-ભક્તોને સાથે રાખીને ચાલતાં-ચાલતાં તેમના પ્રશ્નો કે વાત સાંભળી લેતા. ક્યારેક ભોજન સમયે જ સત્સંગ સંબંધી રિપોર્ટ કે વિશિષ્ટ પ્રસંગોની વાત સંતો પાસેથી સાંભળી લેતા. આવું કરવામાં તેમને ભ્રમણ કે ભોજનના કાર્યમાં સહેજ પણ વિક્ષેપ થતો નહીં.

એક ઉક્તિ છેઃ સમય અને ભરતી કોઈની રાહ જોતાં નથી. જો આપણે સમય નહીં વાપરીએ તો તે સ્વયં વપરાઈ જઈશતું. અ સ્ટિચ ઈન ટાઈમ, સેવ્સ નાઈન અર્થાત્ યોગ્ય સમયે લેવામાં આવેલો એક ટાંકો બીજા નવ ટાંકા બચાવે છે, અને ટાણે ન થયેલું કામ ઘણા પ્રશ્નોની ભેટ આપે છે. વર્તમાન સમયમાં પ્રત્યેક વ્યક્તિ ખૂબ વ્યસ્ત હોવાની માનસિક ભ્રમણામાં ઘેરાયેલા જોવા મળે છે. તેના દૈનિક જીવનમાં કાંઈક અલગ કે વિશેષ કામ માટે વાત આવશે તો કહેશે મને સમય જ ક્યાં મળે છે? પરંતુ, આ જ મહાશયના ઘણા કલાકો મોબાઈલ, વૉટ્સઍપ, ઈન્ટરનેટ, ટીવી જોવામાં વેડફાઈ જતા હોય છે. આ જ બતાવે છે કે સમય નથી મળતો એ દલીલ બોદી છે.

વેડફાતા સમય માટે આધુનિક માનવ સભાન નથી. તે એક પ્રકારની જાત સાથેની છેતરપિંડી છે. વાસ્તવમાં તો દાનતનો અભાવ હોય છે. પ્રબળ ઈચ્છાશક્તિ અને દાનત હોય તો સમયનો અભાવ આડે આવતો નથી. શેક્સપિયર કહેતા કે જે સમયને બરબાદ કરે છે તેને સમય બરબાદ કરે છે. ઘડિયાળના કાંટાને ક્યારેય અટકાવી શકાય નહીં માટે સમયરૂપી સંપત્તિનો મહત્તમ લાભ મળે તે માટે વ્યવસ્થિત ઢબે આયોજન કરવું જોઈએ. આ આયોજન એટલે જ ટાઈમ મૅનેજમેન્ટ. સફ્ળતા માટે વર્તમાન સમયની આ એક ગુરુચાવી છે.

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ‘ઘીની તાવણી અને અષાઢી બીજની વાવણીમાં મુહૂર્ત જોવાનું ન હોય.’ તો આવો, તેજીને ટકોરો તેમ જીવનઘડતર અને સુખી ભવિષ્ય માટે સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો દૃઢ સંકલ્પ કરીએ. મોબાઈલ, ઈન્ટરનેટ અને ટીવીના સકંજામાંથી સમયનું રક્ષણ કરીને કારકિર્દીનું શ્રેષ્ઠ આયોજન કરીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

PM મોદીએ ઇઝરાયેલમાં કરી મોટી જાહેરાતો

ઈઝરાયલની મુલાકાતે રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કર્યા બાદ અનેક મોટી જાહેરાતો કરી. આમાં બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર, સંરક્ષણ કરાર અને ટેકનોલોજી ટ્રાન્સફરનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત અને ઇઝરાયલ વચ્ચે મુક્ત વેપાર કરાર ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, જે બંને માટે ફાયદાકારક રહેશે. તાજેતરમાં, ભારતે યુરોપિયન યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે FTA કરારો પર હસ્તાક્ષર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું, “અમે ઇઝરાયલ સાથે સંરક્ષણ ક્ષેત્રમાં સંયુક્ત વિકાસ, ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફર તરફ આગળ વધીશું.”

પીએમ મોદીએ કહ્યું, “અમારા સંબંધો ઊંડા વિશ્વાસ, વહેંચાયેલ લોકશાહી મૂલ્યો અને માનવીય સંવેદનશીલતાના પાયા પર આધારિત છે. અમારા સંબંધો સમયની કસોટી પર ખરા ઉતર્યા છે. આજે, અમે આ સમય-પરીક્ષિત ભાગીદારીને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે.” આ નિર્ણય બંને દેશોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારતનો અભિપ્રાય સ્પષ્ટ છે: માનવતા ક્યારેય સંઘર્ષનો ભોગ ન બને. ગાઝા શાંતિ યોજનાએ શાંતિનો માર્ગ મોકળો કર્યો છે, અને ભારત આ પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે. ભારતના સુરક્ષા હિતો મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા સાથે જોડાયેલા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત અને ઇઝરાયલ આતંકવાદ અને તેના સમર્થકોનો વિરોધ કરવામાં ખભે ખભો મિલાવીને ઉભા રહ્યા છે, અને આમ કરતા રહેશે.

તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયલમાં UPI ના ઉપયોગ માટે એક કરાર થયો છે. ભારત-ઇઝરાયલ સંબંધ ઊંડા વિશ્વાસ, સહિયારા લોકશાહી મૂલ્યો અને માનવીય સંવેદનશીલતાના મજબૂત પાયા પર બંધાયેલ છે. પીએમએ એમ પણ કહ્યું હતું કે ભારત પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે તમામ ભાગીદારો સાથે સલાહ અને સહયોગ કરવાનું ચાલુ રાખશે.

‘લાલન-પાલન’ યોજના હેઠળ ગર્ભવતી સ્ત્રીઓના સ્વાસ્થ્યમાં સુધારો

સાબરકાંઠા: જિલ્લા સ્તરીય પોષણ પહેલમાં ઓછા વજનવાળી સગર્ભા સ્ત્રીઓ માટે એક વર્ષ સુધી લક્ષિત સહાય બાદ માતાના સ્વાસ્થ્ય અને જન્મ સમયે બાળકના વજનમાં સુધારો થયો છે. કુપોષણને દૂર કરવાના ગુજરાત સરકારના પ્રયાસોના ભાગ રૂપે જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં “લાલન પાલન” પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ યોજના 42 કિલોથી ઓછા વજનવાળી સગર્ભા સ્ત્રીઓને દર બે અઠવાડિયે મફત પોષણ કીટ પૂરી પાડે છે.આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે કે ઘણી સગર્ભા માતાઓમાં હિમોગ્લોબિનનું સ્તર છ કિલોથી નીચે હતું અને તેમાં આયર્ન અને આયોડિનની ઉણપ હતી. નબળા માતૃત્વ પોષણને કારણે બાળકનું જન્મ સમયે વજન ઓછું, કુપોષિત શિશુઓ અને કેટલાક કિસ્સાઓમાં બાળજન્મ દરમિયાન માતાના મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. પ્રોજેક્ટ હેઠળ, પાત્ર મહિલાઓને તેમના ઘરે ચણા, ખજૂર, પ્રોટીન પાવડર અને આયર્ન સીરપ ધરાવતી કીટ મળે છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક વર્ષ પહેલા આ યોજના શરૂ થઈ ત્યારથી 2,200થી વધુ મહિલાઓને લાભ મળ્યો છે. જિલ્લામાં આ પહેલ પર 14 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે અને એક ખાનગી કંપનીના સહયોગથી તેને અમલમાં મૂકવામાં મદદ મળી છે.

સાબરકાંઠાના જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માતાના મૃત્યુ દર ઘટાડવા માટે બનાવવામાં આવ્યો છે. “સાબરકાંઠા જિલ્લામાં ઘણી ગર્ભવતી માતાઓ એવી છે જેમનું હિમોગ્લોબિન છ કરતા ઓછું છે. આરોગ્ય વિભાગની મદદથી, અમે આ મહિલાઓને મલ્ટીવિટામિન, નારિયેળ, આયર્ન સીરપ, ગોળ અને મગફળી પૂરી પાડીએ છીએ. છેલ્લા એક વર્ષમાં આ યોજના હેઠળ જન્મેલા બાળકોનું વજન 2.5 કિલોથી વધુ છે. કુપોષણનો અર્થ ખોરાકનો અભાવ નથી, પરંતુ અયોગ્ય ખાવાની ટેવ છે. ઘણા બાળકો પૂરતો પૌષ્ટિક ખોરાક લેતા નથી, જે કુપોષણ તરફ દોરી જાય છે,” તેમણે કહ્યું.

હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં રહેતા આરોગ્ય કાર્યકર હેપ્પીબેન પરમાર જણાવે છે કે તેઓ 70 થી 80 પ્રસૂતિ પહેલાના કેસોનું નિરીક્ષણ કરે છે, જેમાંથી ઘણાને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. “42 કિલોથી ઓછું વજન ધરાવતી મહિલાઓને ખજૂર, ચણા, આયર્ન સીરપ અને પ્રોટીન પાવડરનો સમાવેશ કરતી કેર કીટ મળે છે. તેઓ નિયમિતપણે બે ચમચી પ્રોટીન પાવડર અને 7.5 મિલી આયર્ન સીરપ લે છે. જો તેમને ભૂખ લાગે છે, તો તેઓ ખજૂર અને ચણા ખાય છે. લાભાર્થીઓએ વજન, શક્તિ અને હિમોગ્લોબિનના સ્તરમાં સુધારો દર્શાવ્યો હતો.”

છાપરિયાની સાત મહિનાની ગર્ભવતી રહેવાસી આરતીબેન મકવાણાએ જણાવ્યું હતું કે સહાયથી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. “મને આયર્ન સીરપ, પ્રોટીન પાવડર, ચણા અને ખજૂરવાળી કીટ મળી છે. મારું વજન 42 કિલોથી વધીને 55 કિલો થઈ ગયું છે,” તેમણે જણાવ્યું હતું.

PM મોદી-નેતન્યાહુની ભારતીય બાઈક સાથેની તસવીરો થઈ વાયરલ

રોયલ એનફિલ્ડ એક ભારતીય મોટરસાઇકલ બ્રાન્ડ છે જેણે યુરોપિયન, ઉત્તર અમેરિકન અને દક્ષિણ એશિયાઈ બજારોમાં મજબૂત હાજરી સ્થાપિત કરી છે. જોકે, કંપની હજુ સુધી મધ્ય એશિયાઈ અને મધ્ય પૂર્વીય બજારોમાં ઊંડાણપૂર્વક પ્રવેશ કરી શકી નથી. રોયલ એનફિલ્ડે જેરુસલેમમાં એક ટેક પ્રદર્શનમાં ગોઆન ક્લાસિક 350નું પ્રદર્શન કર્યું હતું. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

બંને વડા પ્રધાનોએ આ મોટરસાઇકલ સાથે ફોટો પડાવવાનું નક્કી કર્યું. પીએમ મોદી ઇઝરાયલની બે દિવસની મુલાકાતે છે, કારણ કે બંને દેશો તેમના વેપાર અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવાના માર્ગો શોધી રહ્યા છે. ચાલો રોયલ એનફિલ્ડ ગોઆન ક્લાસિક 350 વિશે વધુ જાણીએ.

રોયલ એનફિલ્ડ ગોઆન ક્લાસિક 350 એ ક્લાસિક 350 નું બોબર-શૈલીનું જીવનશૈલી સંસ્કરણ છે, જે મુખ્ય ઘટકો શેર કરે છે. તેની મુખ્ય વિશેષતાઓમાં ટિયરડ્રોપ-આકારની ઇંધણ ટાંકી, વક્ર ફેન્ડર્સ, ફ્લોટિંગ સીટ અને સૌથી અગત્યનું, લાંબા એપ-હેંગર હેન્ડલબારનો સમાવેશ થાય છે. આ બાઇક 349 cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે જે 20.2 bhp અને 27 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. તે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે.

નગર દેવી ભદ્રકાળીની નગરયાત્રા

અમદાવાદ: હેરિટેજ સિટી અમદાવાદનો 615મો જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે. આ શહેરના ઐતિહાસિક કિલ્લામાં બિરાજમાન ભદ્રકાળી માતાજી આખાય શહેરના નગરદેવી છે. ફાગણ સુદ દશમ, ગુરુવાર સવારે ભદ્રકાળી માતાના મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં નીકળી હતી.ઢોલ નગારા, વાજિંત્રો, ભજન મંડળીઓ સાથે આ નગરયાત્રા જુદા-જુદા વિસ્તારોમાં ફરી હતી. શહેરના જમાલપુર જગન્નાથ મંદિર, મહાલક્ષ્મી મંદિર જેવા સુપ્રસિદ્ધ સ્થળોએ નગરયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

ચૂંટણી ખર્ચની મર્યાદા મુદ્દે કેન્દ્ર, ચૂંટણી પંચને ‘સુપ્રીમ’ નોટિસ

નવી દિલ્હીઃ ચૂંટણી ખર્ચની મર્યાદા નક્કી કરવાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય ચૂંટણી પંચને નોટિસ જારી કરી છે. રાજકીય પક્ષોના ચૂંટણી ખર્ચ પર મર્યાદા નક્કી કરવાની માગ સાથે દાખલ કરાયેલી જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને જવાબ આપવા જણાવ્યું છે. આ જનહિત અરજી બિનસરકારી સંસ્થા  કોમન કોઝ દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા મની પાવરના બેફામ ઉપયોગને પડકારવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે આ મામલાને છ સપ્તાહ બાદ સુનાવણી માટે મૂકી હતી અને સંબંધિત પક્ષોને પોતાનો જવાબ રજૂ કરવા કહ્યું છે. અરજદાર પક્ષ તરફથી વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા મની પાવરનો અનિયંત્રિત ઉપયોગ લોકશાહીની પાયાને અસર કરે છે અને ચૂંટણી પ્રક્રિયાને અસંતુલિત બનાવે છે. તેમણે કોર્ટને યાદ અપાવ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ મામલામાં સુપ્રીમ કોર્ટે પહેલેથી જ માન્ય રાખ્યું છે કે અનિયંત્રિત મની પાવર લોકતંત્રની પ્રક્રિયાને વિકૃત કરે છે અને મતદાતાઓના માહિતીના અધિકારને અસર કરે છે.

આ સુનાવણી દરમિયાન જસ્ટિસ જોય માલ્યા બાગચીએ મની પાવરના દુરુપયોગને અટકાવવા સંબંધિત વ્યવહારુ પડકારો પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા જેવા દેશોમાં પણ ચૂંટણી ખર્ચ પર મર્યાદાઓ છે, પરંતુ ત્યાં પણ ઉમેદવારોના મિત્રો, સહયોગીઓ અથવા તૃતીય પક્ષ મારફતે ખર્ચ થવા જેવી સમસ્યાઓ સામે આવી છે.