અમદાવાદઃ અનંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ લેહમાં આવેલા હેમયા ગામમાંથી રોંગ (Rong) જનજાતિ પાસેથી હેન્ડ સ્પિનિંગ, બેકસ્ટ્રેપ અને લૂમ વીવિંગ પરની પાંચ દિવસની વર્કશોપમાં સમૃદ્ધ અને પરંપરાગત ક્રાફ્ટમેનશિપની શોધી કાઢી હતી.
આ વર્કશોપમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ મહિલા કલાકારો પાસેથી કલાત્મક કારીગરીને વિકસિત કરી હતી અને તેમની પાસેથી યુનિક ટેક્નિક શીખી હતી અને સુંદર ગાલીચો બનાવવાની કલા શીખી હતી. તેમણે ફ્લોર અને તકિયાના રૂપે કવરના રૂપે ઉપયોગ કરવામાં આવતા કવર પરની કારીગરી પણ શીખી હતી.
આ વર્કશોપમાં વિદ્યાર્થીઓ રોંગ જનજાતિની પરંપરાગત હાથથી થતા વણાટકામનો અનુભવ મેળવ્યો હતો. આ વિદ્યાર્થીઓએ આ વર્કશોપમાં કારીગરો પાસેથી હાથથી બારીક વણાટકામ શીખ્યું હતું. અનુભવી તાલીમ શિક્ષકો પાસેથી ભાગ લેતા વિદ્યાર્થીઓએ બે સેલ્ફ મહિલા ગ્રુપો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. આ વર્કશોપના માધ્યમથી વિદ્યાર્થીઓએ ત્યાંના સ્ટોરી ટેલિંગ (લોકગીત, વાર્તા અને સંવાદ) તેમ જ અવનવી કૂકિંગ રેસિપી પણ શીખી હતી. આ વિદ્યાર્થીઓએ આ મહિલાઓ પાસેથી આ ક્રાફ્ટની તાલીમનું ડોક્યુમેન્ટેશન પણ કર્યું હતું.
મુંબઈઃ પડોશના ઠાણે જિલ્લાના મીરા-ભાયંદર મતવિસ્તારનાં ભારતીય જનતા પાર્ટીનાં વિધાનસભ્ય અને મીરા-ભાયંદર શહેરનાં ભૂતપૂર્વ મેયર ગીતા જૈન નાગપુરમાં રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રમાં હાજરી આપીને ગઈ કાલે ભાયંદર પાછાં ફર્યાં ત્યાં જ એમને મોટો આંચકો લાગ્યો હતો. એમનાં અનેક ઓળખીતાંઓએ એમને ધડાધડ ફોન કર્યાં હતાં અને પૂછ્યું હતું કે એવું તે શું કારણ આવી પડ્યું છે કે તમારે પૈસાની ઓચિંતી જરૂર પડી છે? જૈનને આંચકો લાગ્યો હતો કે એમણે તો કોઈની પાસેથી પૈસા માગ્યાં નથી. તપાસ કરતાં એમને જાણવા મળ્યું હતું કે કોઈક સાઈબર ઠગે એમનું વોટ્સએપ એકાઉન્ટ હેક કર્યું હતું અને એમનાં ઓળખીતાઓને ફોન કર્યા હતા અને પોતાને એક કૂરિયર કંપનીના એક્ઝિક્યૂટિવ તરીકે ઓળખાવ્યો હતો.
જૈને તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જૈનનાં અંગત સહાયક રાજેશ બરકડેએ પોલીસને કહ્યું કે જૈનનાં નંબર પરથી પોતાને એક અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે પોતે એક કૂરિયર કંપનીમાંથી બોલે છે અને ગીતા જૈનને માટે એક પાર્સલ આવ્યું છે, પણ ડિલિવરી બોયને સરનામું શોધવામાં તકલીફ પડી છે. શખ્સે બરકડેને એક ફોન નંબર આપ્યો હતો અને કહ્યું હતું કે તમે જૈનનાં ફોન પરથી *401* કોડ ટાઈપ કરીને ડાયલ કરો. (વાસ્તવમાં, *401* કોડ વોટ્સએપ છેતરપિંડી માટે વપરાતો હોય છે)
બરકડેએ પેલા શખ્સે કહ્યું એમ કર્યું અને 15 મિનિટમાં જ ગીતા જૈન એમનાં મોબાઈલ ફોન પર એમનાં વોટ્સએપ એકાઉન્ટમાંથી લોગ-આઉટ થયાં હતાં અને સાઈબર ઠગે તે એકાઉન્ટને એક્સેસ કરી જૈનનાં ઓળખીતાંઓને ફોન કર્યા હતા અને QR કોડ મોકલી 40,000-50,000 રૂપિયા મોકલવા એમને કહ્યું હતું. પોતે જ ગીતા જૈન છે એવી છાપ તે શખ્સે ઊભી કરી હતી. એણે એવો દાવો કર્યો હતો કે, હું (ગીતા જૈન) એક મુસીબતમાં ફસાઈ ગઈ છું. પરંતુ, એકેય ઓળખીતા એ ઠગની ચાલાકીથી છેતરાયા નહોતા. બરકડેએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદા-2000 હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ગીતા જૈને તરત જ એક વીડિયો મેસેજ તૈયાર કરી એમનાં તમામ ઓળખીતાઓને હેકિંગ પ્રકરણથી વાકેફ કર્યાં હતાં.
નવી દિલ્હીઃ વર્ષ 2023 IPO માર્કેટ માટે શાનદાર રહ્યું હતું. મેનબોર્ડ ઇશ્યુને બમ્પર રિસ્પોન્સ મળવાની સાથે રોકાણકારોને પણ નોંધપાત્ર રિટર્ન એક દિવસમાં મળ્યું હતું.જોકે વર્ષ 2023માં રોકાણકારોની નજરોમાં SME કંપનીઓના ઇશ્યુ સ્ટાર સાબિત થયા.
વર્ષ 2023માં આવેલા SME ઇશ્યુએ બજારથી આશરે રૂ. 4500 કરોડ એકત્ર કરવા અરજી આપી હતી, પરંતુ રોકાણકારોના બિડનું કુલ મૂલ્ય આશરે રૂ. ત્રણ લાખ કરોડે પહોંચ્યું હતું. આટલું નહીં, SME પ્લેટફોર્મ પર લિસ્ટ કંપનીઓનું કુલ માર્કેટ કેપ આ વર્ષે રૂ. એક લાખ કરોડને પાર પહોંચ્યું હતું. આ વર્ષ અત્યાર સુધી SME પ્લેટફોર્મ પર 164 ઇશ્યુ આવ્યા અને કંપનીઓ લિસ્ટ થઈ છે. આ આંકડો ગયા વર્ષની તુલનાએ 51 ટકા વધુ છે અને ત્યારે 108 કંપનીઓ લિસ્ટ થઈ હતી.
વર્ષ 2023માં આવેલા 164 ઇશ્યુ દ્વારા SMEએ બજારમાંથી રૂ. 4425 કરોડ એકઠા કર્યા હતા. આ કંપનીઓમાં રોકાણકારો દ્વારા આપવામાં આવેલી અરજીઓ 2.8 લાખ કરોડ જેટલી હતી. વર્ષ 2023માં પહેલો SME ઇશ્યુ ચમન મેટાલિક્સનો હતો, કંપનીએ બજારમાંથી રૂ. 24 કરોડ એકત્ર કર્યા હતા. રોકાણકારોએ આ ઇશ્યુમાં રૂ. 4800 કરોડના મૂલ્યની બિડ કરી હતી. જોક્ તેમ છતાં ઇશ્યુ ટોચના 10 SMEમાં જગ્યા ના બનાવી શક્યો. વર્ષમાં સૌથી વધુ સબસ્ક્રાઇબ થનારો SME ઇશ્યુ કહાન પેકેજિંગનો હતો, જે 450 ગણો ભરાયો હતો.
ગાંધીનગરઃ રાજ્ય સરકારે સરકારી સ્કૂલોમાં ભગવદ્ ગીતાના સારનું શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. સ્કૂલનાં બાળકો માટે રાજ્યના શિક્ષણપ્રધાન કુબેર ડિંડોરે એનો અભ્યાસક્રમ જારી કરી દીધો છે. તેમણે દાવો કર્યો હતો કે નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 હેઠળ એનો અમલ કરવામાં આવશે. આ વર્ષે 22 ડિસેમ્બરે, 2023એ માગશરના શુક્લ પક્ષે મોક્ષદા અગિયારસે ગીતા જયંતી ઊજવવામાં આવે છે, એ પ્રસંગે રાજ્ય સરકારે ધોરણ 6થી 8ના અભ્યાસક્રમમાં ગીતાને સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગીતા જંયતીના અવસરે આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયાએ આ મુદે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે શ્રીમદભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે ભગવદ્ ગીતાને અભ્યાસ ક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી તમામ સરકારી શાળાઓમાં ધોરણ 6થી 8માં આ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે. જેની કાયદેસર પરીક્ષા પણ લેવાશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ અંતર્ગત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો વધુ એક શિક્ષણલક્ષી નિર્ણય
શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે એનાથી બાળકોના સ્કૂલના જીવનથી જ ભગવદ્ ગીતાના પાઠ શીખશે, જેનાથી જીવન જીવવાનો નવો પ્રકાર શીખશે. ભગવદ્ ગીતા માત્ર એક ધર્મ નહીં, પણ બધા ધર્મોનો સાર છે. એ જીવન જીવવાની એક કલા છે અને 700 શ્લોકોનો સાર બાળકો શીખશે.
ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે, જે દરેક યુગમાં એટલો જ ઉપયોગી અને સાત્વત છે. જીવન મૂલ્યોના પાઠ ભણાવતા આ ગ્રંથને અભ્યાસ ક્રમમાં સામેલ કરીને બાળકોમાં જીવનના મૂલ્યો અને કર્મના સિધ્ધાતને દ્રઢ કરવોનો ઉદેશ છે. બાળકના સર્વાગી વિકાસ માટે ગીતાનું આ પુસ્તક 2024 નવા શૈક્ષણિક સત્રથી શાળાઓમાં પૂરક પુસ્તક તરીકે મુકાશે.
નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ મામલે જેલમાં કેદ આપ સાંસદ સંજય સિંહને નવા વર્ષની પહેલાં જ મોટો આંચકો લાગ્યો છે. શુક્રવારે દિલ્હીની કોર્ટે આપ સાંસદની જામીન અરજી ફગાવી દીધી હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી દિલ્હી લિકર કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન અરજી ફગાવવામાં આવી હતી.
કોર્ટે દિલ્હીની દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં AAP નેતા સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 10 જાન્યુઆરી સુધી લંબાવી હતી. અગાઉ 11 ડિસેમ્બરે કોર્ટે સિંહની ન્યાયિક કસ્ટડી 10 દિવસ માટે વધારી હતી. કેટલાક કલાકોના દરોડા અને પૂછપરછ બાદ EDએ 4 ઓક્ટોબરે AAP નેતા સંજય સિંહની ધરપકડ કરી હતી.
EDનો આરોપ છે કે દિલ્હીની દારૂની નીતિમાં ઘણી ગેરરીતિઓ હતી. લિકર પોલિસી દ્વારા પૈસા લઈને દારૂના વેપારીઓને કથિત રીતે ફાયદો થતો હતો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ ચોથી ઓક્ટોબરે આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સંજય સિંહના ઘરે પહોંચી હતી. EDની ટીમ દ્વારા તેમના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. આ અગાઉ આ વર્ષના મે મહિનામાં પણ EDએ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. તે સમયે તેના સહયોગીઓના ઘર અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ મામલે કહ્યું હતું કે જેમ-જેમ ચૂંટણી નજીક આવશે તેમ-ED, CBI, આવકવેરા વિભાગ અને પોલીસ જેવી તમામ એજન્સીઓ સક્રિય થશે.
મુંબઈઃ ટીમ ઈન્ડિયાનો વરિષ્ઠ અને સ્ટાર બેટર વિરાટ કોહલી કોઈક કૌટુંબિક સંકટને લીધે સાઉથ આફ્રિકાથી મુંબઈ પાછો ફર્યો છે, પરંતુ સાઉથ આફ્રિકા સામે આવતા અઠવાડિયાથી પહેલી ટેસ્ટ મેચ શરૂ થાય એ પહેલાં તે સાઉથ આફ્રિકા સમયસર પાછો પહોંચી જશે.
ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં બે-મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. પહેલી ટેસ્ટ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયન શહેરના સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રમાવાની છે. બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. કોહલી તે માટેની ભારતીય ટીમની સાથે જ ત્યાં ગયો હતો, પરંતુ મુંબઈમાં એના પરિવારની કોઈક ઈમરજન્સીને કારણે એ ગુરુવારે મુંબઈ પાછો આવ્યો છે, પરંતુ પહેલી ટેસ્ટ મેચના આરંભ પહેલા, 24 ડિસેમ્બરે એ સાઉથ આફ્રિકા પાછો પહોંચી જશે, એમ બીસીસીઆઈના એક સૂત્રનું કહેવું છે. આ ટૂંકી રજા માટે કોહલીએ ક્રિકેટ બોર્ડની પરવાનગી લીધી છે.
કોહલીના પરિવારમાં કયું સંકટ આવ્યું છે તે વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી. ગયા વખતે જ્યારે ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે આવી હતી ત્યારે કોહલી પીઠના દુખાવાને કારણે ટેસ્ટ મેચ ચૂકી ગયો હતો.
ઋતુરાજ ગાયકવાડને આંગળીમાં ફ્રેક્ચર થયું
દરમિયાન, બેટર ઋતુરાજ ગાયકવાડને હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હોવાથી તે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં રમી નહીં શકે. આ અઠવાડિયાના આરંભમાં સાઉથ આફ્રિકા સામેની બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ વખતે એક કેચ પકડવા જતાં ગાયકવાડને આંગળીમાં ઈજા થઈ હતી.
જાણીતા ફિલ્મ નિર્માતા, ફિલ્મ વિતરક અને રિયલ એસ્ટેટ ડેવલપર આનંદ પંડિતે પોતાના 60મા જન્મદિવસ અને એમની કંપની ‘લોટસ ડેવલપર્સ’ની સ્થાપનાનાં 20 વર્ષની સમાપ્તિની ઉજવણી નિમિત્તે 21 ડિસેમ્બર, ગુરુવારે મુંબઈમાં ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમાં બોલીવુડની અનેક ટોચની સેલિબ્રિટીએ હાજરી આપી હતી. અમિતાભ બચ્ચનને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના ભાગરૂપે આયોજિત મહેફિલમાં સંગીતકાર વિશાલ શેખરે સંગીત પીરસ્યું હતું જ્યારે કાર્યક્રમનું સંચાલન સોનૂ નિગમે કર્યું હતું. આનંદ પંડિત દ્વારા નિર્મિત ફિલ્મો છેઃ ‘થેંક ગોડ’, ‘ધ બિગ બુલ’, ‘ચેહરે’, ‘ટોટલ ધમાલ’, ‘સરકાર 3’, ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ વગેરે. એમણે ગયા વર્ષે એક ગુજરાતી ફિલ્મનું પણ નિર્માણ કર્યું હતું – ‘ફક્ત મહિલાઓ માટે’. ઉપરની તસવીરમાં શાહરૂખ ખાન અને યજમાન આનંદ પંડિત છે. (તસવીરકાર અને વીડિયોગ્રાફીઃ માનસ સોમપુરા)
નવી દિલ્હીઃ સરકારે LICને 10 વર્ષની અંદર 25 ટકા મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ (MPS) હાંસલ કરવાની છૂટ આપી છે, એમ જાહેર ક્ષેત્રની વીમા કંપનીએ માહિતી આપી હતી. દેશની સૌથી મોટી ઇન્સ્યોરન્સ કંપની LIC મે, 2022માં શેરબજારમાં લિસ્ટેડ થઈ હતી.
કેન્દ્ર સરકારે LICના શેરો IPOના માધ્યમથી 22.13 કરોડથી વધુ શેર એટલે કે 3.5 ટકા હિસ્સો વેચ્યો હતો. કંપનીમાં હાલ સરકારનો 96.5 ટકા હિસ્સો છે. કંપનીએ શેરબજારને યાદીમાં જણાવ્યું છે કે આર્થુક બાબતોના વિભાગે LICને લિસ્ટેડ થયો ત્યારથી 10 વર્ષની અંદર એટલે કે મે, 2032 સુધી 25 ટકા MPS હાંસલ કરવા માટે છૂટ આપી છે.
સરકારે આ વર્ષના પ્રારંભમાં રેગ્યુલેશનમાં સુધારા કર્યા હતા, જેથી જાહેર ક્ષેત્રની કંપનીઓ અને બેન્કોના ખાનગીકરણ પછી જરૂરિયાત અનુસાર જનહિતમાં 25 ટકા MPS હાંસલ કરવામાંથી છૂટ મળી શકે. જોકે LICને આ છૂટ સરકાર નિયંત્રિત કંપનીઓ પૂરતી મર્યાદિત છે. સરકારે આ સુધારો જાન્યુઆરીમાં કર્યો હતો અને એને સરકારનો હિસ્સો વેચ્યા પછી પણ એમાં લાગુ પડશએ., જેથી રોકાણકારો જાહેર ક્ષેત્રની કંપનીમાં હિસ્સો હસ્તગત કરી શકે.
જોકે સરકારે જુલાઈ, 2021માં બધી જાહેર ક્ષેત્રની લિસ્ટેડ કંપનીઓને MPS હેઠળ છૂટ આપેલી છે. કંપનીનો શેર ચાર ટકા વધીને રૂ. 792ની આસપાસ ટ્રેડ કરતો હતો.
રાજસ્થાનની ફેમસ પારંપરિક મકાઈ-મેથીની ઢોકળી દાળ સાથે જમવાના મેનુ માટે સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી વેરાયટી બની રહેશે! જો નાસ્તા માટે બનાવવી હોય તો પણ આ ગરમાગરમ સ્વાદિષ્ટ નાસ્તો બધાને ભાવશે!
સામગ્રીઃ
લીલા વટાણા ½ કપ
લીલાં મરચાં 2-3
આદુનો ટુકડો 2 ઈંચ
લીલી મેથી ઝુડી નાની 1
મકાઈનો લોટ 2 કપ
હીંગ ½ ટી.સ્પૂન
અજમો ½ ટી.સ્પૂન
કરકરો દળેલો વરિયાળીનો ભૂકો 1 ટી.સ્પૂન
હળદર પાઉડર ½ ટી.સ્પૂન
લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
ધાણાજીરુ પાઉડર 2 ટી.સ્પૂન
બેકીંગ પાઉડર અથવા બેકીંગ સોડા ½ ટી.સ્પૂન
ઘી અથવા તેલ 1 ટે.સ્પૂન
ખાટું દહીં 1 કપ
કોથમીર ધોઈને સુધારેલી 1 કપ
દેશી ઘી ઢોકળી ઉપર રેડવા માટે
દાળ તેમજ વઘાર માટેઃ
ફોતરાવાળી મગની દાળ 1 કપ
ચણા દાળ 1 ટે.સ્પૂન
જીરુ 1 ટી.સ્પૂન
તેલ 1 ટે.સ્પૂન
હીંગ ½ ટી.સ્પૂન
સૂકાં લાલ મરચાં 2
લીલા મરચાં 2
લસણ કળી 3-4
આદુનો ટુકડો 1 ઈંચ
ગરમ મસાલો 1 ટી.સ્પૂન
સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન
ઢોકળીના વઘાર માટેઃ
તેલ 1 ટે.સ્પૂન
હીંગ ½ ટી.સ્પૂન
લીલા મરચાં 2
રાઈ ½ ટી.સ્પૂન
જીરુ 1 ટી.સ્પૂન
સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન
સફેદ તલ 1 ટે.સ્પૂન
રીતઃ મગની દાળ તેમજ ચણા દાળને ધોઈને કૂકરમાં 4-5 સીટી કરીને બાફી લો. ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુ તતડાવો, હીંગ નાખીને લાલ મરચાંના બે ટુકડા કરીને ઉમેરી દો. આદુ તેમજ લસણને ઝીણાં સમારીને નાખી દો. હવે તેમાં દાળ નાખીને લીલા મરચાંના બે ટુકડા નાખીને દાળને ઉકળવા દો. દાળ ઉકળે એટલે તેમાં ગરમ મસાલો નાખી 1 મિનિટ બાદ સમારેલી કોથમીર ઉમેરીને ગેસ બંધ કરી દો.
લીલા વટાણા એક મિક્સી બાઉલમાં લઈ તેમાં લીલાં મરચાં તેમજ આદુને સુધારીને કરકરું પીસી લો.
લીલી મેથીના પાન તેની કુણી દાંડી સાથે તોડી લો. પાનને 2-3 પાણીએથી ધોઈને પાણી નિતારીને બારીક સમારી લો.
એક બાઉલમાં મકાઈનો લોટ, અજમો, હીંગ, વરિયાળીનો ભૂકો, હળદર, ધાણાજીરુ તેમજ લાલ મરચાં પાઉડર, બેકીંગ પાઉડર અથવા બેકીંગ સોડા મેળવીને આ કોરો લોટ સાથેનો મસાલો મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ઘી અથવા તેલ, ખાટું દહીં, કોથમીર ધોઈને સુધારેલી, સમારેલી મેથીના પાન, વટાણાનું દળેલું પેસ્ટ મેળવીને લોટ બાંધી લો. આ લોટમાંથી નાના લૂવા લઈ ગોળ કરીને ચપટા કરી લો. તેમાં મેંદૂવડાની જેમ હોલ પાડી દો. એક ઈડલી સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો. ઈડલી સ્ટેન્ડમાં તેલ લગાડીને આ મકાઈ-મેથી ઢોકળીને દરેક ખાનામાં ગોઠવીને ઈડલી કૂકર ઢાંકીને 20 મિનિટ સુધી ઢોકળી થવા દો. ત્યારબાદ ટૂથ-પીક અથવા ચપ્પૂને એક ઢોકળીમાં નાખીને બહાર કાઢો. જો તે ચોખ્ખું બહાર આવે એટલે ઢોકળી ચઢી ગઈ છે.
આ ગરમાગરમ ઢોકળી ઉપર ઘી રેડીને દાળ સાથે પીરસો.
જો ઢોકળી નાસ્તામાં ખાવી હોય તો દાળને skip કરી દો. દરેક ઢોકળીના બે ટુકડા કરીને એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ તતડાવી, હીંગ નાખી દો. લીલાં મરચાંના ટુકડા તેમજ કળી પત્તાના પાન ઉમેરીને સફેદ તલ નાખીને તરત જ ઢોકળીના ટુકડા વઘારમાં નાખીને 3-4 મિનિટ સાંતડી લો. ત્યારબાદ તેમાં કોથમીર સમારેલી નાખીને ગેસ બંધ કરીને આ ઢોકળી લીલી ચટણી સાથે નાસ્તામાં પીરસો.
લોકસભાની ચૂંટણી પહેલા સેમિફાઇનલ ગણાતા ચાર રાજ્યોના ચૂંટણી જંગમાં ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ સફળતા મળી છે ત્યારે 2024 પહેલા આ પરિણામો શું સૂચવે છે? રસપ્રદ વિશ્લેષણ…