Home Blog Page 2216

વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ જાહેરઃ 25 દેશો બનશે પાર્ટનર

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મેપ પર અગ્રિમ સ્થાન અપાવવા 2003થી શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી સમિટ આગામી 10થી 12 જાન્યુઆરી 2024માં યોજાશે. PM મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ કરાવશે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાઇબ્રન્ટ સમિટને બે દાયકાની ‘સમિટ ઓફ સક્સેસ’ તરીકે આયોજિત કરીને જ્વલંત સફળતા અપાવવા માટે રાજ્ય સરકારે કરેલા આયોજનને ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું હતું કે  કોરોનાના નવા વેરિયંટથી વાયબ્રન્ટ સમિટને અસર નહીં થાય. કોરોનાના નવા વેરિયંટથી સતર્ક રહેવું જરૂરી છે. કોરોનાનો નવો વેરિયંટ માઇલ્ડ પ્રકારનો છે, ચિંતાજનક નથી. રાજ્યમાં છેલ્લા છ મહિનામાં દર મહિને 20 જેટલા કેસ મળ્યા છે. તેમણે કહ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટમાં 25 દેશ જોડાશે. 72 દેશમાંથી 75,000 ડેલિગેટ સામેલ થશે. સરકારે 11 દેશમાં રોડ-શો કર્યા છે. વાઇબ્રન્ટ સમિટમાં 25 દેશ પાર્ટનર તરીકે જોડાશે.

આ ઉપરાંત તેમણે કહ્યું MOU પ્લસની નીતિ લાવ્યા છીએ. રૂ. 1.56 લાખ કરોડના આજે 147 MOU થયા છે. કુલ 2747 MOUમાં 3.37 લાખ કરોડના MOU થયા છે. 12 લાખથી પણ વધુને રોજગારી મળે તેવા MOU થયા છે. ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. ક્વિઝમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. તાલુકા અને જિલ્લા લેવલે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા, કોલેજ અને અન્ય નાગરિકો ક્વિઝમાં ભાગ લઈ શકશે. ક્વિઝ સરકાર સાથે જોડાવવાનું શ્રેષ્ઠ માધ્યમ બનશે.

 

 

 

 

 

ભારત-અમેરિકા નહીં, આપણે પોતે જ પોતાના પગ પર કુહાડી મારી : નવાઝ શરીફ

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે દેશમાં પ્રવર્તી રહેલી કટોકટી માટે સૈન્ય સંસ્થાન પર નિશાન સાધતા કહ્યું કે, રોકડની તંગીનો સામનો કરી રહેલા દેશની સમસ્યાઓ માટે ન તો ભારત જવાબદાર છે કે ન તો અમેરિકા, બલ્કે આપણે પોતાને પગમાં જાતે જ કુહાડી મારી છે. ચોથી વખત પાકિસ્તાનના વડા પ્રધાન બનવાનું સપનું જોઈ રહેલા 73 વર્ષીય શરીફે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ટિકિટના દાવેદારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેમને ત્રણ વખત સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા.

પાકિસ્તાનની સ્થિતિ માટે ખુદ પાકિસ્તાન જ જવાબદાર

તેઓએ કહ્યું કે, પાકિસ્તાન આજે જે પરિસ્થિતિમાં છે તેના માટે ભારત, અમેરિકા કે અફઘાનિસ્તાન જવાબદાર નથી. હકીકતમાં અમે પોતાને પગમાં કુહાડી મારી છે. તેમણે લશ્કરી સરમુખત્યારોને કાયદેસર બનાવવા માટે ન્યાયાધીશોની ટીકા કરી હતી. કહ્યું કે ન્યાયાધીશો લશ્કરી સરમુખત્યારોને પ્રોત્સાહન આપે છે અને જ્યારે તેઓ બંધારણ તોડે છે ત્યારે તેમના શાસનને કાયદેસર બનાવે છે. જ્યારે વડા પ્રધાનની વાત આવે છે, ત્યારે ન્યાયાધીશો તેમને પદ પરથી દૂર કરવાની મંજૂરી આપે છે. ન્યાયાધીશો સંસદને વિસર્જન કરવાના કાર્યને પણ મંજૂરી આપે છે.

સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોને લોકસભામાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

સસ્પેન્ડેડ સાંસદો સામે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મંગળવારે લોકસભા સચિવાલયે એક પરિપત્ર બહાર પાડ્યો છે. તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સસ્પેન્ડ કરાયેલા 141 સાંસદોને સંસદની ચેમ્બર, લોબી અને ગેલેરીમાં પ્રવેશવા પર રોક લગાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે લોકસભામાંથી કુલ 95 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે 46 સભ્યોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદો પર સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ છે. સંસદીય કાર્યવાહી બાદ INDIA ગઠબંધન દ્વારા શુક્રવારે દેશવ્યાપી સરકાર વિરોધી વિરોધની જાહેરાત કરવામાં આવી છે. વાસ્તવમાં વિપક્ષી નેતાઓ સંસદની સુરક્ષા ભંગની ઘટના પર ગૃહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગણી પર અડગ છે અને હંગામો મચાવી રહ્યા છે.

13 ડિસેમ્બરે સંસદમાં હંગામો મચી ગયો હતો, જ્યારે બે યુવકોએ ઓડિયન્સ ગેલેરીમાંથી કૂદીને હંગામો મચાવ્યો હતો. આ યુવાનોએ હવામાં કલર સ્પ્રે પણ છોડ્યા હતા. એક યુવક અને એક મહિલા સંસદની બહાર નારા લગાવતા અને હવામાં રંગનો છંટકાવ કરતા પકડાયા હતા. આ ચાર આરોપીઓ સામે UAPA સહિત અન્ય કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. 2001માં 13 ડિસેમ્બરે સંસદ પર હુમલો થયો હતો. 22 વર્ષ બાદ ફરી એકવાર વિપક્ષ ઘૂસણખોરીના કારણે સતત હુમલામાં છે.

વિપક્ષ દેશભરમાં વિરોધ કરશે

વિપક્ષી જૂથે સાંસદોના સસ્પેન્શનને ‘અલોકતાંત્રિક’ ગણાવ્યું છે. જ્યારે સરકારે કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે. ભાજપે સસ્પેન્ડ કરાયેલા સાંસદો પર લોકસભા અધ્યક્ષ, રાજ્યસભા અધ્યક્ષ અને સંસદની સંસ્થાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 141 સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ 22 ડિસેમ્બરે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ખડગેએ કહ્યું, અમે ઘણા નિર્ણયો લીધા છે, જેમાંથી એક સસ્પેન્ડેડ સાંસદો પર છે. અમે આની સામે લડીશું. આ ખોટું છે. અમે તેની સામે લડવા માટે એક થયા છીએ. અમે 22 ડિસેમ્બરે સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. અમે ઠરાવ પસાર કર્યો છે કે સસ્પેન્શન અલોકતાંત્રિક છે. લોકશાહી બચાવવા માટે આપણે સૌએ લડવું પડશે. અમે બધા આ કરવા માટે તૈયાર છીએ. અમે સંસદમાં સુરક્ષા ભંગનો મુદ્દો ઉઠાવ્યો છે. અમે ઘણા સમયથી કહી રહ્યા છીએ કે અમિત શાહ અથવા પીએમ મોદીએ સંસદમાં આવીને સંસદની સુરક્ષા ભંગના મુદ્દે લોકસભા અને રાજ્યસભામાં બોલવું જોઈએ, પરંતુ તેઓ આમ કરવાનો ઈન્કાર કરી રહ્યા છે.

મંગળવારે વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરાયા

અગાઉ મંગળવારે, 49 વધુ વિપક્ષી સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેનાથી સંસદના બંને ગૃહોમાં કાર્યવાહીનો સામનો કરી રહેલા સાંસદોની કુલ સંખ્યા 141 થઈ ગઈ હતી. સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ લોકસભા સચિવાલયે એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોને સંસદની ચેમ્બર, લોબી અને ગેલેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મંગળવારે સસ્પેન્ડ કરાયેલા 49 સભ્યોમાં નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા, કોંગ્રેસના સભ્યો શશિ થરૂર અને મનીષ તિવારી, NCP નેતા સુપ્રિયા સુલે અને SP સભ્ય ડિમ્પલ યાદવનો સમાવેશ થાય છે.

લોકસભા સચિવાલયે પરિપત્રમાં શું કહ્યું ?

આજે સભ્યોને નિયમ 374 હેઠળ ગૃહની સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ છે વૈથિલિંગમ, ગુરજીત સિંહ ઔજલા, સુપ્રિયા સુલે, સપ્તગિરી શંકર ઉલાકા, એડવોકેટ અદૂર પ્રકાશ, ડૉ. સાંસદ અબ્દુસમદ સમદાની, મનીષ તિવારી, પ્રદ્યુત બોરદોલોઈ, ગિરિધારી યાદવ, ગીતા કોરા, ફ્રાન્સિસ્કો સરડિન્હા, એસ. જગતરક્ષા, ડૉ. જગતરક્ષક, ડૉ. અબ્દુલ્લા, દ્યોત્સના ચરણદાસ મહંત, એ ગણેશમૂર્તિ, માલા રોય, વેલુસામી પી, ડૉ. એ ચેલ્લાકુમાર, ડૉ. શશિ થરૂર, મોહમ્મદ સાદિક, ડૉ. એમ. કે. વિષ્ણુ પ્રસાદ, મોહમ્મદ ફૈઝલ પીપી, સજદા અહેમદ, જસબીર સિંહ ગિલ, કાર્તિ પી. ચિદમ્બરમ, ડૉ. સુદીપ બંદોપાધ્યાય., ડિમ્પલ યાદવ, હસનૈન મસૂદી, કુંવર દાનિશ અલી, ખલીલુર રહેમાન, રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહ, ડૉ. ડીએનવી સેંથિલકુમાર એસ, સંતોષ કુમાર, દુલાલ ચંદ્ર ગોસ્વામી, રણીત સિંહ બિટ્ટુ, દિનેશ ચંદ્ર યાદવ, કુમકરભા, ડૉ. અમોલ રામસિંહ કોલ્હે, સુશીલ કુમાર રિંકુ, મહાબલી સિંહ, સુનિલ કુમાર, ડૉ. એસ.ટી. હસન, ધનુષ એમ કુમાર, પ્રતિભા સિંહ, ડૉ. થોલ થિરુમાવલવન, ચંડેશ્વર પ્રસાદ, ડૉ. આલોક કુમાર સુમન અને દિલેશ્વર કામૈતના નામ સામેલ છે. આ સભ્યોને શિયાળુ સત્રના બાકીના સમયગાળા માટે ગૃહની સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

નફારૂપી વેચવાલીએ સેન્સેક્સમાં 931, નિફ્ટીમાં 300 પોઇન્ટનો કડાકો

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં રેકોર્ડ તેજી પછી જોરદાર નફારૂપી વેચવાલી થી હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટીને બંધ આવ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધુ ઘટ્યો હતો. BSEના બધા સેક્ટર તૂટીને બંધ રહ્યા હતા. સેક્ટોરલની દ્રષ્ટિએ મેટલ, પાવર અને ઓટો ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.

વૈશ્વિક સંકેતોએ બજારનો પ્રારંભ તેજી સાથે થયો હતો, પરંતુ ટ્રેડિંગ સેશનના છેલ્લા એક કલાકમાં નફારૂપી વેચવાલીનું દબામ જોવા મળ્યું હતું. જેથી નિફ્ટી 21,200ની નીચે બંધ થયું હતું. 23 ઓક્ટોબર, 2022 પછી નિફ્ટી મિડકેપમાં ઇન્ટ્રા-ડેનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. BSEની લિસ્ટેડ બધી કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. 9 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

BSE સેન્સેક્સ 931 પોઇન્ટ તૂટીને 70,506ના સ્તરે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 303 પોઇન્ટ તૂટીને 21,150ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી બેન્કમાં 426 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી મિડકેપ 1488 પોઇન્ટ તૂટીને 44,,025ના સ્તરે બંધ આવ્યો હતો. રોકાણકારોએ સાર્વત્રિક વેચવાલીએ રૂ. 9.32 લાખ કરોડ ગુમાવ્યા હતા. સૌથી વધુ ઘટાડો પાવર, યુટિલિટી, ટેલિકોમ અને સર્વિસિઝ સેક્ટરના શેરોમાં જોવા મળી હતી.શેરબજારના નિષ્ણાતોના જણાવ્યાનુસાર શેરબજાર ઊંચા લેવલ પરથી પ્રોફિટ બુકિંગને કારણે બજારમાં વેચવાલી ફરી વળી હતી. રોકાણકારોએ શેરોમાં નફારૂપી વેચવાલી કરી હતી. BSEમાં કુલ 3921 શેરોમાં કામકાજ જોવા મળ્યાં હતાં. એમાં 661 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 3175 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 85 શેરો સપાટ બંધ રહ્યા હતા.

 

 

 

 

 

ગિલ પર ભરોસો છે એટલે જ એને કેપ્ટન બનાવ્યો છેઃ નેહરા (ગુજરાત ટાઈટન્સના કોચ)

અમદાવાદઃ આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની ગુજરાત ટાઈટન્સ ટીમના વડા કોચ આશિષ નેહરાએ કહ્યું છે કે ફ્રેન્ચાઈઝીને ઓપનર શુભમન ગિલની નેતૃત્ત્વ ગુણવત્તામાં પૂરો ભરોસો હોવાથી જ એને ટીમનો કેપ્ટન બનાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગિલને હાર્દિક પંડ્યાની જગ્યાએ ગુજરાત ટાઈટન્સ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં જોડાઈ ગયો છે અને તેનો કેપ્ટન નિમાયો છે.

નેહરાએ કહ્યું કે, ‘આઈપીએલ એક આક્રમક રમત છે અને આ સ્પર્ધા તમામ ખેલાડીઓ માટે પડકારો લાવનારી છે. સર્વશ્રેષ્ઠ કેપ્ટન માટે પણ. અમે શુભમન ગિલને ત્રણ-ચાર વર્ષથી રમતો જોયો છે અને એણે પણ પોતાને ઘણો સુસજ્જ કર્યો છે. એ યુવાન વયનો છે. અમે એનું સમર્થન કરીએ છીએ. અમને એની પર પૂરો ભરોસો છે, માટે જ અમે એને કેપ્ટન બનાવ્યો છે. હું એવા લોકો જેવો નથી જેઓ કાયમ પરિણામો પર જ આધાર રાખીને ચાલે છે. બીજી પણ ઘણી બાબતો હોય છે. એટલું ખરું કે દરેક ખેલાડી સારો પ્રયત્ન કરતો હોય છે અને પરિણામની તલાશમાં રહેતો હોય છે. પરંતુ જ્યારે વાત સુકાનીપદની આવે ત્યારે તમારે બીજી ઘણી બાબતો પણ જોવી જોઈએ. અમને પૂરો વિશ્વાસ છે કે ગિલ ગુજરાત ટાઈટન્સની આગેવાની માટે યોગ્ય ખેલાડી છે.’

INDIA એલાયન્સનો ચહેરો બની શકે છે મલ્લિકાર્જુન ખડગે

નવી દિલ્હીઃ આગામી વર્ષે થનારી લોકસભાની ચૂંટણીની વ્યૂહરચના બનાવવા માટે વિરોધ પક્ષોના ગઠબંધન I.N.D.I.A.ના નેતાઓની ગઈ કાલે બેઠક થઈ હતી.દિલ્હીમાં થયેલી બેઠકમાં વિપક્ષના વડા પ્રધાન ઉમેદવારને લઈને ચર્ચા કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી અને દિલ્હીના cm અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેથી INDIA એલાયન્સનો ચહેરો બની શકે છે મલ્લિકાર્જુન ખડગે, પરંતુ ખડગેએ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.

તેમણે કહ્યું હતું કે અત્યારથી આ સૂચનની કોઈ જરૂર નથી.ચૂંટણી પછી આપણે નક્કી કરી શકીએ કે આગામી વડા પ્રધાન કોણ હશે.પહેલા આપણ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે જીત પર. મલ્લિકાર્જુન ખડગે સતત નવ વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓ હાલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓ આટલી સફળતા પછી પણ કર્ણાટકના CM ના બની શક્યા. તેઓ ત્રણ વાર કર્ણાટકના CM બનતાં-બનતાં રહી ગયા હતા. સૌપ્રથમ વાર 1999માં, એ પછી 2004માં અને ત્રીજી વાર 2013માં મુખ્ય પ્રધાન બનતાં-બનતાં રહી ગયા છે.

80 વર્ષના ખડગે અત્યાર સુધીમાં 12 ચૂંટણી લડી ચૂક્યા છે.તેમાંથી તેમને એક વાર 1999માં હારનો સામનો કરવો પડ્યો હતો. જે તેમના ચૂંટણી એજન્ટ હતા અને પછીછી વિધાનસભ્ય બની ગયા હતા.  જોકે એ પછી તેઓ ભાજપમાં સામેલ થઈ ગયાહતા. ખડગે 1972થી 2008ની વચ્ચે સતત નવ વખત કર્ણાટક વિધાનસભા માટે ચૂંટાઈ આવ્યા હતા.તેમણે આઠ વાર મુરમિતકલ ચૂંટણી વિસ્તાર અને એક વાર ચિતાપુરથી જીત નોંધાવી હતી.

 

 

 

 

 

ભારતમાં ડ્રાઈવરલેસ કાર માટે હું ક્યારેય પરવાનગી નહીં આપું: ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે તેઓ ભારતમાં ડ્રાઈવર-વિહોણી કાર લાવવાની ક્યારેય પરવાનગી નહીં આપે.

ગડકરીએ આ માટે એવું કારણ આપ્યું છે કે આનાથી અનેક ડ્રાઈવરોની નોકરીઓ છીનવાઈ જશે. હું એવું થવા નહીં દઉં. ડ્રાઈવરલેસ કાર તો એવા દેશ માટે યોગ્ય છે જ્યાં લોકોની વસ્તી ઓછી હોય.

દિલ્હી મેટ્રો સ્ટેશન પર મૃત્યુ પામેલી મહિલાનાં સ્વજનોને રૂ.15 લાખનું વળતર

નવી દિલ્હીઃ અહીંના એક મેટ્રો સ્ટેશન ખાતે બનેલા એક અકસ્માતમાં મૃત્યુ પામેલી એક મહિલા પ્રવાસીનાં નિકટનાં સ્વજનને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) કંપની વળતર રૂપે રૂ. 15 લાખ ચૂકવશે. તે બનાવ ગઈ 14 ડિસેમ્બરે ઈન્દરલોક મેટ્રો સ્ટેશન ખાતે બન્યો હતો. મહિલા પેસેન્જરની સાડી ટ્રેનના દરવાજામાં ફસાઈ ગઈ હતી. એને કારણે તે ઘણા કિલોમીટર સુધી ઘસડાઈ હતી. એને ઈજા થઈ હતી અને તેને લીધે ગયા શનિવારે એનું મૃત્યુ નિપજ્યું હતું.

મેટ્રો રેલવે સેફ્ટી વિભાગના કમિશનરે તે બનાવમાં તપાસનો આદેશ આપ્યો છે. મૃતક મહિલાનાં બે સંતાન છે અને તે બંને સગીર વયનાં છે. એમને રૂ. 15 લાખનું વળતર આપવામાં આવશે. તેમજ એ બંનેનાં શિક્ષણનો ખર્ચ પણ ડીએમઆરસી ઉઠાવશે.

અંબાણી, અદાણી કરતાં પણ સૌથી શ્રીમંત મહિલાની વધી નેટવર્થ

નવી દિલ્હીઃ દેશનાં સૌથી શ્રીમંત મહિલા સાવિત્રી જિંદાલે દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને માત આપી છે. વર્ષ 2023માં જિંદાલની અસ્ક્યામતોમાં વધારો થયો છે કે તેમણે અંબાણી અને અદાણી સહિત અનેક બિઝનેસમેનોને પાછળ ધકેલ્યા છે.

બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ સાવિત્રી જિંદાલની અસ્ક્યામતો એક વર્ષમાં 9.6 અબજ ડોલર વધી ગઈ છે. હવે તેમની કુલ અસ્ક્યામતો 25 અબજ ડડોલરને પાર પહોંચી છે. જેથી તે દેશના ટોચના પાંચ શ્રીમંતોમાં સામેલ થયાં છે. તેમણે વિપ્રોના અઝીમ પ્રેમજીને પાછળ છોડતાં પાંચમું સ્થાન હાંસલ કર્યું હતું. અઝીમ પ્રેમજીની સંપત્તિ 24 અબજ ડોલર છે. છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં પાંચ બિલિયન ડોલરનો વધારો થયો છે અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની મિલકત 35.4 અબજ ડોલર ઘટી છે.

જિંદાલ પછી બીજા ક્રમાંકે HCL ટેક્નોલોજીસના સ્થાપક અને ચેરમેન એમેરિટ્સ શિવ નાદર છે, જેમની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં આઠ અબજ ડોલર વધી છે. DLFના કેપી સિંહની સંપત્તિ આ દરમ્યાન સાત અબજ ડોલર સુધી વધી ગઈ છે. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા અને શાપુરજી પાલનજી ગ્રુપના શપૂર મિસ્ત્રીની સંપત્તિમાં 6.5 અબજ ડોલરનો વધારો નોંધાયો છે. એ સિવાય સુનીલ મિત્તલ, એમપી લોઢા, રવિ જયપુરિયા, દિલીપ સંઘવી સહિત અનેક બિઝનેસમેનોની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.

કોણ છે સાવિત્રી જિંદાલ?

સાવિત્રી જિંદાલ ઓપી જિંદાલ ગ્રુપના ચેરપર્સન એમિરેટ્સ છે. આ કંપનીનો પ્રારંભ તેમના પતિ ઓમ પ્રકાશ જિંદાલે કરી હતી. તેમની કંપની JSWની સ્ટીલ ઇન્ડસ્ટ્રી પર સારીએવી પકડ છે.

 

 

 

 

 

ટ્રમ્પને ચૂંટણી લડવા અટકાવાથી વિવેક રામાસ્વામી ભડક્યા

કોલોરાડોઃ US કેપિટલ હિંસા મામલે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને કોલોરાડો સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિપદ માટે અયોગ્ય ઠેરવ્યા છે. ટ્રમ્પને અયોગ્ય ઠેરવાતાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિપદની ઉમેદવાર વિવેક રામારાસ્વામીએ કોલોરાડોમાં GOPના પ્રાથમિક મતદાનથી દૂર હટવાનો સંકલ્પ લીધો છે.

ભારતીય મૂળના બિઝનેસમેન અને રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા વિવેક રામાસ્વામી ભડકી ગયા હતા. તેમણે ચેતવણી આપી હતી કે જો ચુકાદો પરત લેવામાં નહીં આવે તો તેઓ કોલોરાડોથી તરત હટી જશે. તેમણે સમર્થકોને પણ આગળ આવવા અપીલ કરી હતી. તેમણે આ ચુકાદાને ગેરકાયદે ગણાવતાં અમેરિકા માટે વિનાશકારી પરિણામ સામે આવવાની ચેતવણી ઉચ્ચારી હતી.

જાન્યુઆરી, 2021ની કેપિટલ હિંસામાં સામેલ હોવાને કારણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. કોલોરાડો સુપ્રીમ કોર્ટે 4-3ના બહુમતથી એ ચુકાદો આપ્યો છે. એ સાથે કોર્ટે ટ્રમ્પને અયોગ્ય ઠેરવવા બદલ અમેરિકી બંધારણના 14મા સંશોધનની કલમ ત્રણ વિદ્રોહને લાગુ કરી છે.

કોલોરાડોના છ મતદારોના જૂથે સપ્ટેમ્બરમાં ડોનાલ્ડ ટ્રમ્પને 2024માં રાજ્યમાં મતદાન કરવાથી અવરોધવા માટે દાવો દાખલ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે બંધારણીય જોગવાઈને કારણે તેમને રોકવામાં આવ્યા હતા. કલમ ત્રણ જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ યુનાઈટેડ સ્ટેટ્સના અધિકારી તરીકે સેવા આપી શકશે નહીં, જેણે અગાઉ યુનાઈટેડ સ્ટેટ્સ સામે બળવો કરીને સંઘીય કાર્યાલયના શપથ લીધા હોય. મુકદ્દમામાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પે તેમના સમર્થકોના ટોળા દ્વારા US કેપિટોલમાં હુલ્લડ અને વિદ્રોહને ઉશ્કેર્યો હતો.