Home Blog Page 2217

વડા પ્રધાન મોદીએ ઉપરાષ્ટ્રપતિની નકલને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રીની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મિડિયા X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.  તેમણે કહ્યું હતું કે તેઓ છેલ્લાં 20 વર્ષથી આ પ્રકારનું અપમાન સહન કરી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિએ X પર કહ્યું હતું કે  તેમણે પવિત્ર સંસદના પ્રાંગણમાં કેટલાક સાંસદોએ જે નાટકીય કાર્ય કર્યું છે, એના પર દુઃખ વ્યક્ત કર્યું છે.  

 રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ સોશિયલ મિડિયા પર પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે  સંસદ પ્રાંગણમાં ઉપરાષ્ટ્રપતિને જે રીતે અપમાનિત કરવામાં આવ્યા તે જોઈને હું નિરાશ છું. ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છે, પણ તેમણે અભિવ્યક્તિની ગરિમા અને શિષ્ટાચાર જાળવવા જોઈએ.

સંસદના શિયાળુ સત્રમાં સાંસદોને સસ્પેન્ડ કરવાનો વિવાદ વકરી રહ્યો છે. સસ્પેન્ડ થયેલા સાંસદો સંસદ સંકુલમાં જ ધરણા પર બેઠા છે. આ સમયે NDA સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી વખતે તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનરજીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની નકલ ઉતારી  હતી.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ ઘટનાને શરમજનક ગણાવતા કહ્યું કે, આ હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય છે કે એક સાંસદ રાજ્યસભાના અધ્યક્ષની મજાક ઊડાવી રહ્યા છે અને બીજા સાંસદ આ ઘટનાનો વિડિયો બનાવી રહ્યા છે. વિપક્ષના નેતાઓના પતનની કોઈ હદ નથી. મેં એક વિડિયો જોયો છે. ટીવી પર એક મોટા નેતા વિડિયો બનાવી રહ્યા હતા જ્યારે બીજા સાંસદ નકલ કરી રહ્યા હતા. ભગવાન તેમને સદબુદ્ધિ આપે. તેમણે ઉમેર્યું કે આ પ્રકારની મજાક ઉડાવીને સાંસદોએ મારું અપમાન કર્યું છે. મારી કૃષિ પૃષ્ઠભૂમિ, મારા પદની મજાક ઊડાવી છે.

 

 

 

 

 

ધ્યાન એ જતું કરવાની કળા છે

આપણે સુખદ લાગણીઓને વિસરી જતા હોઈએ છીએ અને દુખદને વળગી રહેતા હોઈએ છીએ. 99% દુનિયા આવું કરે છે. પરંતુ જ્યારે ચેતના ધ્યાનને લીધે મુક્ત થાય છે અને કેળવાય છે ત્યારે આપણી નકારાત્મક લાગણીઓને પકડી રાખવાની વૃત્તિ અદ્રશ્ય જ થઈ જાય છે. આપણે વર્તમાન ક્ષણમાં જીવવા માંડીએ છીએ અને ભૂતકાળને વિસરી શકીએ છીએ. માણસો ગમે તેટલા સારા હોય તો પણ કોઈ પણ સંબંધમાં ગેરસમજ થતી હોય છે.

એક નાની ગેરસમજ પણ આપણી લાગણીઓને વિકૃત કરી શકે છે અને નકારાત્મકતા તરફ દોરી શકે છે. પરંતુ જો આપણે જતું કરી શકીએ અને દરેક ક્ષણમાં આનંદમાં રહેવાની ચેતનાની ક્ષમતા પર ધ્યાન આપીએ તો આપણે એમાંથી બચી શકીએ છીએ. દરેક ક્ષણ આપણા વિકાસમાં સહાયક છે એ સત્ય આપણને સમજાય છે. ચેતનાના ઉચ્ચતર સ્તરોને પામવા કોઈ જટિલ વ્યૂહરચનાની જરૂર નથી. વ્યક્તિએ માત્ર જતું કરવાની કળા શીખવાની જરૂર હોય છે અને તે કળા છે ધ્યાન.

ધ્યાન એટલે ભૂતકાળ અને ભૂતકાળની ઘટનાઓને લીધે થતા ગુસ્સાને જતો કરવો અને ભવિષ્ય માટેની તમામ યોજનાઓને જતી કરવી. યોજનાઓ તમને તમારી અંદર ઊંડાણમાં ડૂબકી લગાવતા અટકાવી શકે છે. ધ્યાન એટલે આ ક્ષણનો સ્વીકાર કરવો અને દરેક ક્ષણને સંપૂર્ણપણે ગહેરાઈથી જીવવી. માત્ર આ સમજ અને થોડા દિવસ સતત ધ્યાન કરવાથી તમારા જીવનની ગુણવત્તા બદલાઈ શકે છે.

ધ્યાનથી ખુશી અને સંતોષ પ્રાપ્ત થાય છે તથા આંર્તજ્ઞાનમાં વધારો થાય છે.ધ્યાન આપણને દુનિયા આપણો એક હિસ્સો છે તે સમજવામાં સહાય કરે છે અને આપણી તથા દુનિયાની વચ્ચે પ્રખર પ્રેમ વહે છે. આ પ્રેમ આપણને આપણા જીવનમાં પ્રતિકૂળ પરિબળો તથા વિક્ષેપો ઝીલવા સશકત બનાવે છે. ગુસ્સો અને નિરાશા અલોપ થઈ જાય છે.
જ્ઞાન,સમજણ અને સ્વાધ્યાયનો સંગમ જીવનને સંપૂર્ણ બનાવે છે. જ્યારે તમે ચેતનાની ઉચ્ચતર અવસ્થાઓમાં પહોંચો છો ત્યારે તમે જુઓ છો કે વિવિધ પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓથી હવે ડગમગી જતા નથી. તમે સુંદર અને છતાં મજબૂત બનો છો-એક મૃદુ,કોમળ અને સુંદર ખીલેલી હસ્તી,જે જીવનમાં વિવિધ મુલ્યોનો બિનશરતી સમાવેશ કરે છે.

ધ્યાન એક બીજ જેવું છે. બીજને જેટલું સારી રીતે રોપવામાં આવે, તેટલું તે વધારે વિકસે છે. એ જ રીતે, આપણે જેટલું ધ્યાન વધારે કરીએ તેટલો તે સમગ્ર ચેતાતંત્ર અને શરીરનો વધારે સારો વિકાસ કરે છે. આપણા શરીરના તંત્રમાં પરિવર્તન આવે છે અને શરીરનો દરેક કોશ પ્રાણઊર્જાથી સંતૃપ્ત થાય છે. શરીરમાં પ્રાણ શક્તિ વધતાં આપણા મનની અવસ્થા ખુશ રહે છે.

ધ્યાન કરતી વખતે મનમાં ત્રણ નિયમો યાદ રાખો-હું કંઈ નથી(અકિંચન), મારે કંઈ જોઈતું નથી(અચાહ) અને હું કંઈ કરવાનો નથી(અપ્રયત્ન).જો તમારામાં આ ત્રણ ગુણ હોય તો તમે ધ્યાન કરી શકશો.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

નોટ આઉટ @ 81: મેજર સુબોધ દેસાઈ

1971ની બાંગ્લાદેશની લડાઈમાં મુક્તિ-વાહિનીમાં રહી લુંગી-કુરતો પહેરી લડ્યા અને ગંગાસાગર રેલ્વે-સ્ટેશન કેપ્ચર કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો એવા મેજર સુબોધ દેસાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ વલસાડમાં, ત્રણ ભાઈ, એક બહેનનું કુટુંબ, તેઓ સૌથી નાના. પિતા રેલવેમાં ક્લાર્ક હતા. ચાર વર્ષની ઉંમરે તેમણે પિતા ગુમાવ્યા. વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ નજીકના કુટુંબી. પારસી-સ્કૂલ વલસાડમાં અભ્યાસ કર્યો. કોલેજ વડોદરાથી કરી. “જીવનમાં કંઈક કરવું હતું” એટલે 1962માં ઘેરથી ભાગી ગયા! એરમેન તરીકે એરફોર્સ જોઈન કર્યું. 1965ની લડાઈમાં રડાર-યુનિટમાં હતા. 1967માં યુપીએસસીની પરીક્ષા આપી આર્મી(ભારતીય-સેના) જોઈન કરી, 1969માં ક્લાસ-વન ઓફિસર બન્યા. 1971ની વોર મુક્તિ-વાહીની જોઈન કરીને લડ્યા. ગંગાસાગર સ્ટેશન એટેકમાં પગને ગોળી ઘસાઈને ગઈ(ગ્રેસ-પાસ), આજે પણ ઘસરકો દેખાય છે! મેઘના(બ્રહ્મપુત્રા) નદીને કિનારે ચાર કલાક કબ્રસ્તાનમાં સુતા! ધનમંડી જઈ તેમની ટીમે  બેગમને (મુજીબુર રહેમાનના પત્નીને) છોડાવ્યા! ધાંગધ્રા, દેવલાલી, તિબેટ-બોર્ડર, સિયાચીન-ગ્લેશિયર  વગેરે જગ્યાઓએ  પોસ્ટિંગ થયા. રિટાયર થઈ, વડોદરામાં કોર્પોરેટ સેક્ટરમાં(રોયલ કુશન, એલેમ્બિક કેમિકલ્સ વગેરે કંપનીઓમાં) કામ કર્યું, બે સ્કૂલો ઊભી કરી તથા  વિજય-વલ્લભ સાર્વજનિક હોસ્પિટલમાં સેવાઓ આપી.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

એકદમ નિયમિત જીવન! સાડા-પાંચે ઊઠે, જાતે ચા બનાવે અને તૈયાર થઈ બે-અઢી કલાક (6.00:8:30) ચાલે. 9:00-10.00 બગીચામાં મન-ગમતું કામ કરે. બારેમાસ ખીલેલો બગીચો તેમની માવજતનું પરિણામ! ત્યારબાદ ઘરમાં, સોશિયલ કે કોર્પોરેટ્સમાં, જરૂર હોય ત્યાં મદદ કરે. જમીને  બપોરે થોડો આરામ કરે. સાંજે મિત્રો તથા સગાં સંબંધીઓને હળવા-મળવાનું ચાલે. ઘણાં કુટુંબીઓ અને મિત્રો વડોદરામાં નજીકમાં રહે છે અને સોશિયલ-સર્કલ મોટું છે!

શોખના વિષયો : 

બાગકામ કરવું બહુ ગમે. ૧૩ ઇંચના દહાલીયા ઉગાડવા માટે ઇનામ મળ્યું છે! ‘બાગકામ’ વિષય ઉપર ઘણા આર્ટીકલ લખ્યા છે. વાંચન-લેખનમાં સારી રૂચી. મિત્રો માટે સુંદર-તંદુરસ્ત છોડવા ભેટમાં આપવાનો શોખ! સ્પોર્ટ્સનો બાળપણથી શોખ. ટીવી ઉપર ક્રિકેટ અને સ્પોર્ટ્સ-ન્યૂઝ જરૂર જુએ.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત ઘણી સારી છે. રોજના 12-13 કિલોમીટર ચાલે! બીપીનો સામાન્ય પ્રોબ્લેમ છે પણ એકંદરે કોઈ તકલીફ નથી. પત્ની ઇલાબહેન સારું ધ્યાન રાખે છે! એક પુત્ર (બ્રિગેડિયર દેસાઈ, હાલ કોટા) અને એક પુત્રી(હાલ ન્યુઝીલેન્ડ, પૌત્રી રેડીઓલોજીસ્ટ) છે. ત્રણ પૌત્રીઓમાંથી એક પૌત્રી હમણાં સાથે રહે છે.

યાદગાર પ્રસંગ:  

ગંગાસાગર રેલવે-સ્ટેશન પર ઓબ્ઝર્વેશન-ઓફિસર એસેમ્બલી-એરિયામાં લાઉડ-થીંકીંગ કરી રહ્યા હતા. સુબોધભાઈને સિગારેટ પીવાનું મન થયું. એમણે બ્લેન્કેટ કાઢી દીવાસળીથી સિગારેટ સળગાવી. નજીકમાં દીવાસળીના પ્રકાશમાં કંઈક રેડિયમ જેવું ચમકતું દેખાયું. કોઈ પ્રાણી એમની નજીકમાં બેઠ્યું હોય તેવું તેમને લાગ્યું. સુબોધભાઈએ તેને થપથપાવ્યું. થોડી વારે ફરી આંખો દેખાઈ, ત્રીજી વાર પણ એવું થયું… ચોથી વાર એવું થયું એટલે સુબોધભાઈએ દીવાસળી સળગાવી ધ્યાનથી જોયું…..મોટો નાગ ગૂંચળું વાળીને પડ્યો હતો! ફેણ ઊંચી કરીને આંખોની કીકીઓ ફેરવતો હતો! ગભરાય તો સુબોધભાઈ કેવા! જરાય અવાજ ન થાય તેવી રીતે એમણે હિંમત અને સિફતથી કામ લીધું!

એકવાર દેવલાલીની ટેમ્પલ-હિલ-ક્લબમાં ફિલ્ડ-માર્શલ માણેકશા આવ્યા હતા. સોશિયલ ઇવનિંગમાં સુબોધભાઈ સાથે ઓળખાણ થઈ. બંને ગુજરાતીમાં વાતો કરતા હતા  ત્યાં સુબોધભાઈના પત્ની ઈલાબહેન આવ્યાં. તેમની સાથે પણ વાતો થઈ. માણેકશા  ખુશ થઈ ગયા અને કહ્યું : “દીકરી, તારે ઘેર જમવા આવીશ!”

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ડ્રાઇવિંગનો ખૂબ શોખ છે એ પણ નવી-ટેકનોલોજી જ થઈ ને? કોમ્પ્યુટર ઉપર ઘણું કામ કર્યું. હવે આંખો ખેંચાય છે એટલે ફોન્ટ મોટા કરીને કામ કરવું પડે છે. મોબાઇલનો સારો એવો ઉપયોગ કરે છે. તેમનો WHATS’APP તથા સોશિયલ-મીડિયામાં ઘણો સમય જાય છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ઘણો પોઝીટીવ ફેર છે. આર્મીમાં હવે તો ઘણા સારા વેપન્સ આવી ગયા છે, નવી-ટેકનોલોજીનો ઉપયોગ ઘણો સારો થાય છે એટલે ઘણી સગવડો થઈ છે, ત્યાં પ્રમોશનના પ્રોસ્પેક્ટસ પણ ઘણા સારા છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

યુવાનો સાથે બહુ ફાવે! પૌત્રી ઘરમાં રહે છે, કોલેજમાં ભણે છે એટલે તેનાં મિત્રો સાથે પણ ટચમાં છે! કુટુંબનાં અને સગાં-સંબંધીઓનાં બાળકોમાં સુબોધભાઈ પોપ્યુલર છે! યુવાનો સાથે યુવાનો જેવી વાત કરે એટલે બધાંને તેમની સાથે વાતો કરવી ગમે!

સંદેશો :  

આર્મી બહુ સરસ ઓર્ગેનાઇઝેશન છે. યુવાનોએ કેરિયર માટે તેનો ચોક્કસ વિચાર કરવો જોઈએ. ત્યાંથી રિટાયર થયા પછી પણ નોકરી માટે ઘણા સારા ચાન્સ છે.

‘પ્રતિઘાત’ માં વિજયાને બદલે સુજાતા આવી

નિર્દેશક એન. ચંદ્રાને ‘અંકુશ’ (૧૯૮૬) ને કારણે જ રીમેક ‘પ્રતિઘાત’ (૧૯૮૭) મળી હતી. બાકી મૂળ તેલુગુ ફિલ્મ ‘પ્રતિઘાતન’ ના જે નિર્દેશક હતા એ ટી. કૃષ્ણા જાતે નિર્દેશિત કરવા માગતા હતા. એન. ચંદ્રાની એક મુલાકાતમાં આ વાત જાણ્યા પછી એમ ચોક્કસ કહેવું પડે કે ‘પ્રતિઘાત’ એમના જ નસીબમાં હતી. ફિલ્મ ‘અંકુશ’ ની સફળતા પછી ઘણા નિર્માતાઓ એમને પોતાની ફિલ્મો ઓફર કરી રહ્યા હતા. મનમોહન દેસાઇએ તો પહેલી વખત પોતાના બેનરની કોઈ ફિલ્મ બહારના નિર્દેશકને આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ એન. ચંદ્રાએ કોઈ નિર્માતાની ફિલ્મ કરી નહીં. કેમકે ‘પ્રતિઘાત’ મળી ગઈ હતી. અસલમાં વાત એવી બની કે એ. પૂર્ણચંદ્ર રાવ ‘અંકુશ’ જોઈને એન. ચંદ્રાને મળ્યા અને પોતાની સાથે એક ફિલ્મ બનાવવા જણાવ્યું. એમણે કહ્યું કે ‘પ્રતિઘાતન’ નામની એક તેલુગુ ફિલ્મ હિટ થઈ ગઈ છે.

મને લાગે છે કે એને હિન્દીમાં તમે જ બનાવી શકો છો. એન. ચંદ્રાને એ ગમી ગઈ અને હા પાડી દીધી. એમણે ઘરે આવીને પરિવારમાં વાત પણ કરી કે આવી ફિલ્મ મળે તો બહુ સારું કહેવાય. પછી એમને જાણવા મળ્યું કે તેલુગુના નિર્દેશક ટી. કૃષ્ણા જ હિન્દીમાં નિર્દેશિત કરવા માગે છે. એટલે આશા છોડી દીધી હતી. દરમ્યાનમાં ‘પ્રતિઘાત’ ફ્લોર પર જાય અને શૂટિંગ શરૂ થાય એ પહેલાં ટી. કૃષ્ણાને બ્લડ કેન્સર થયું. નિર્માતા રામોજી રાવે એમને અમેરિકા મોકલીને સારવાર અપાવી. સારવાર લઈને પાછા આવ્યા અને ફરી હિન્દીમાં ફિલ્મ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી. એમની તબિયત જોતાં રામોજી રાવ ગૂંચવાતા હતા. ત્યારે એક દિવસ ‘રાજશ્રી પ્રોડકશન’ ના તારચંદ બડજાત્યાએ એન. ચંદ્રાને મળવા બોલાવ્યા.

એ વિતરક હતા અને કહ્યું કે ‘પ્રતિઘાતન’ નામની ફિલ્મ પરથી ‘પ્રતિઘાત’ બનાવવા જઈ રહ્યા છે એનું નિર્દેશન તમે કરો! એન. ચંદ્રાને આનંદ થવા સાથે નવાઈ લાગી. કેમકે ટી. કૃષ્ણા નિર્દેશન કરવાના હતા. બન્યું એવું કે ટી. કૃષ્ણાએ ‘અંકુશ’ જોઈ અને એમણે સામે ચાલીને નિર્માતા રામોજી રાવ અને વિતરક તારચંદ બડજાત્યાને કહ્યું કે જો એન. ચંદ્રા ‘પ્રતિઘાત’ નું નિર્દેશન કરશે તો એ છોડવા તૈયાર છે. અને એન. ચંદ્રા પાસે આખરે ‘પ્રતિઘાત’ આવી ગઈ. ફિલ્મની પટકથા એમણે ટી. કૃષ્ણા સાથે મળીને હિન્દીમાં તૈયાર કરી દીધી. જ્યારે હીરોઈનની પસંદગીની વાત આવી ત્યારે નિર્માતા અને વિતરકને એન. ચંદ્રાએ કહ્યું કે ‘પ્રતિઘાતન’ ની વિજયા શાંતિને હિન્દી બિલકુલ આવડતું નથી. એને શીખવવું અને સમજાવવું પડશે.

એમ કરવાથી પાત્રના જે ઇમોશન છે એ બહાર લાવી શકાશે નહીં. વિજયાને હિન્દી ભાષા આવડતી નથી એટલે એ સારી અભિનેત્રી હોવા છતાં પાત્રને ન્યાય આપી શકશે નહીં. રામોજી રાવે એમની વાત માની લીધી. એન. ચંદ્રાએ સુજાતા મહેતાનું ‘ચિત્કાર’ નાટક જોયું હતું. ‘પ્રતિઘાત’ ની ‘લક્ષ્મી જોશી’ ની ભૂમિકા માટે એ યોગ્ય લાગી હતી. ફિલ્મમાં નાના પાટેકર સાથે બીજા ઘણા નવા કલાકારોને લઈને એન. ચંદ્રાએ ‘પ્રતિઘાત’ બનાવી હતી. ‘રાજશ્રી પિક્ચર્સ’એ ‘પ્રતિઘાત’ ના નિર્માણ અને વિતરણ ઉપરાંત સંગીતના અધિકાર મેળવ્યા હતા. એ સાથે રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં એન. ચંદ્રાના સહાયક તરીકે એમ. રામાકોટી ઉપરાંત સૂરજ બડજાત્યા પણ હતા.

કોરાનાના 341 નવા કેસો, ત્રણનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કેરળમાં 292 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કોરોનાના 341 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,04,142 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,321 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,70,346 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 270 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2311 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,206,779,081 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોનું દૈનિક ભથ્થું પણ કાપી લેવાશે

નવી દિલ્હીઃ અતિશય ઘોંઘાટ કરીને અને ખલેલ પહોંચાડીને ગૃહની કાર્યવાહીને ખોરવી નાખવાના ગુનાસર લોકસભામાંથી 95 અને રાજ્યસભામાંથી 46 વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

 

લોકસભા સચિવાલય તરફથી બહાર પાડવામાં આવેલા એક સર્ક્યૂલરમાં આ સભ્યોનાં નામ આપવામાં આવ્યા છે.

સર્ક્યૂલરમાં જણાવવામાં આવ્યું છે કે આ સભ્યો જ્યાં સુધી સસ્પેન્ડ કરાયેલાં રહેશે ત્યાં સુધી સંસદભવનની ચેમ્બરોમાં, લોબીમાં કે ગેલેરીમાં પ્રવેશ કરી શકશે નહીં. તેઓ સંસદીય સમિતિઓમાં સભ્ય તરીકે નિયુક્ત કરાયા હશે તો પણ તેઓ એની બેઠકમાં હાજરી આપી શકશે નહીં. સર્ક્યૂલરમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે સસ્પેન્ડ કરાયેલાં સભ્યો કોઈ પણ પ્રકારનું ભથ્થું મેળવવાને પાત્ર રહેશે નહીં.

આ 141 વિપક્ષી સંસદસભ્યોને સંસદના શિયાળુ સત્રના બાકી રહેલા હિસ્સામાં ભાગ લેવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. સંસદભવનમાં સુરક્ષા વ્યવસ્થામાં કરાયેલા ભંગના મુદ્દે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ નિવેદન કરે એવી વિપક્ષની માગણીની રજૂઆત વખતે અતિશય ઘોંઘાટ, શોરબકોર કરીને ગૃહની કાર્યવાહી ખોરવી નાખવા બદલ આ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

કલંકિત: અમેરિકાની કોર્ટે ચૂંટણી લડવાનો ટ્રમ્પ પર પ્રતિબંધ મૂક્યો

વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના એવા પ્રથમ ભૂતપૂર્વ કે સક્રિય પ્રમુખ બન્યા છે જેમને વિદ્રોહ કરવાના ગુનાસર પુનઃ ચૂંટણી લડવાની મનાઈ ફરમાવાઈ હોય. બીજા શબ્દોમાં કહીએ તો, ટ્રમ્પ ચૂંટણી લડવા માટે યોગ્ય નથી રહ્યા.

ટ્રમ્પ પર આ એક વધુ કલંક લાગ્યું છે. તેઓ બીજી કેટલીક બાબતે પણ બદનામ થયા છે. જેમ કે, તેઓ અમેરિકાના એવા પ્રથમ પ્રમુખ છે જેમને પર બે વાર ઈમ્પીચ કરવામાં આવ્યા હોય (તહોમતનામું મૂકાયું હોય) – પ્રમુખપદે હતા ત્યારે અને તે પછી. દેશના સંરક્ષણને લગતા ગુપ્ત દસ્તાવેજોની ગેરસંભાળ લેવાનો પણ એમની પર ગુનાઈત આરોપ મૂકાયો છે. તદુપરાંત, ચૂંટણીના પરિણામને પલટાવી નાખવા માટે સત્તાનો દુરુપયોગ કરવાનો પણ એમની પર આરોપ છે.

કોલોરાડો રાજ્યની સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને પગલે ટ્રમ્પ ફરી ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠર્યા છે. તે કોર્ટે ચુકાદો આપ્યો છે કે ટ્રમ્પ દેશના પ્રમુખપદની ચૂંટણીનો પ્રાથમિક તબક્કો રાજ્યમાંથી લડી શકશે નહીં, કારણ કે 2021ની 6 જાન્યુઆરીએ કરાયેલા એક બળવામાં તેઓ સંડોવાયેલા હતા. તે દિવસે ટ્રમ્પના સમર્થકોના એક મોટા ટોળાએ અમેરિકાની સંસદ (અમેરિકન કોંગ્રેસ) પર હલ્લો કર્યો હતો. તે બળવો કરાવવા પાછળનો ઈરાદો જો બાઈડનને દેશના નવા પ્રમુખ બનતા અટકાવવાનો અને ચૂંટણી પ્રક્રિયાને ખોરવી નાખવાનો હતો. ટ્રમ્પ સામે ફેડરલ (કેન્દ્રીય) અને રાજ્યના સત્તાવાળાઓએ અનેક કેસોમાં 90 આરોપ મૂક્યા છે.

લીલા લસણની ચટણી

શિયાળામાં લીલું લસણ મળતું હોય છે. લીલા લસણની ચટણી કાઠિયાવાડી રીતથી બનાવો તો કોઈવાર શાક ના બનાવ્યું હોય તો આ ચટણી રોટલી, રોટલા કે ભાખરી સાથે પણ ખાઈ શકાય છે!

સામગ્રીઃ

  • લીલું લસણ 150 ગ્રામ
  • કોથમીર ધોઈને સુધારેલી 250 ગ્રામ
  • લીલાં મરચાં 10
  • લીલાં તીખા મરચાં 6-7
  • લીંબુનો રસ 2 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ,
  • 2 ચપટી હીંગ
  • તેલ 4 ટે.સ્પૂન
  • સાકર 1 ટે.સ્પૂન  (optional)
  • લાલ મરચાં પાઉડર 2 ટી.સ્પૂન

રીતઃ લીલું લસણ તેમજ કોથમીર અલગ અલગ ધોઈને સમારી લો. લીલા લસણના પાન અલગ રાખીને લસણની કળીઓ અલગ કરી લો

લીલા મરચાંના ટુકડા કરી લો. મિક્સી જારમાં પહેલાં લીલા મરચાં, લસણની કળીઓ  તેમજ સાકર અને મીઠું ઉમેરીને મિક્સીને 1-1 વાર ફેરવીને ચટણી અધકચરી પીસી લો. હવે તેમાં કોથમીરના પાન, લીલા લસણના પાન ઉમેરીને મિક્સીને ફરીથી 1-1 વાર ફેરવીને આ ચટણી અધકચરી પીસી લો. હવે તેમાં લીંબુનો રસ ઉમેરીને ચમચી વડે મેળવી લો.

એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી હીંગ નાખીને ચટણી ઉમેરીને ધીમા તાપે સાંતડો. જ્યાં સુધી તેમાંનું પાણી સૂકાય ના જાય. હવે તેમાં 2 ટી.સ્પૂન લાલ મરચાં પાઉડર મેળવીને 2 મિનિટ સાંતડીને ગેસ બંધ કરી દો.

આ ચટણી ઠંડી થાય એટલે કાચની બરણીમાં ભરીને ફ્રીજમાં મૂકી દો. અઠવાડિયા સુધી આ ચટણી સારી રહે છે.

૨૦ ડિસેમ્બર, ૨૦૨૩

૨૦ ડિસેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 20/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમાં નાનું અને અનુભવ મુજબનુજ કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસે સાવચેતી રાખવી તેમાં પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, વણમાંગી સલાહકે સુચન આજના દિવસેના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, યુવાવર્ગે કોઈની સાથે અર્થહીન વાર્તાલાપના થાય તેનુંધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમાં સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે,ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવું, ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, ઉતાવળિયા નિર્ણયથી બચવું.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિક અશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો દુરવ્યય થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવું, નોકરી-ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે , કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે,યુવાવર્ગને ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં કોઈ મોટા જોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં કોઈ લાભની તક દેખાઈ શકે છે.


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બની શકે છે  તેમજ જો નસીબ સાથ આપે,તો ઘણું બધું કાર્ય થઇ શકશે. મુસાફરી થઈ શકે છે, વેપારમાં લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમાં મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવું બની શકે છે, વેપારમાં નાનું કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમાં કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતી કે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.