Home Blog Page 2230

ચીઝ પનીર ગોટાળા

શિયાળો એટલે ખાવાનું પચી જાય ભૂખ પણ લાગે અને તીખું ચટપટું મસાલેદાર ગરમાગરમ ખાવાનું પણ ગમે. તો એ માટે સુરતનું પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ ચીઝ પનીર ગોટાળા શાક બનાવો તો ફરી ફરીથી એ જ શાક ખાવાનું ગમે અને વળી બહુ જ જલ્દી બની પણ જાય છે!

સામગ્રીઃ

  • પનીર 200 ગ્રામ
  • ચીઝ ક્યુબ્સ 2-3
  • ટામેટાં 4-5
  • સિમલા મરચાં 2-3
  • લીલાં મરચાં 3-4
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • જીરુ ½ ટી.સ્પૂન
  • બટર 2 ટે.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
  • પાઉંભાજી મસાલો 2 ટી.સ્પૂન
  • ગરમ મસાલો 1 ટી.સ્પૂન
  • કસૂરી મેથી 1 ટી.સ્પૂન
  • ટોમેટો કેચ-અપ 2 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સુધારેલી 1 કપ
  • તેલ 2 ટે.સ્પૂન

રીતઃ સિમલા મરચાં, લીલાં મરચાં, 4 ટામેટાંને અલગ અલગ ઝીણાં ચોરસ ટુકડામાં સમારી લો. 2 ટામેટાંની મિક્સરમાં ગ્રેવી કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં 1 ટે.સ્પૂન બટર ગરમ કરી તેમાં જીરુ તતડાવો. ચપટી હીંગ ઉમેરીને સમારેલાં લીલા મરચાં તેમજ સિમલા મરચાં ઉમેરીને 3-4 મિનિટ સાંતડો. હવે તેમાં ટામેટાં ઉમેરીને બધાં મસાલા પણ મેળવી દો. ગેસની મધ્યમ આંચે 2-3 મિનિટ સાંતડો. ત્યારબાદ તેમાં ટામેટાંની પ્યુરી મેળવીને ફરી 2-3 સાંતડો. કઢાઈ ઢાંકીને ગેસની ધીમી આંચે શાક સાંતડો. ત્યાંસુધીમાં પનીરને છીણી લો.

હવે શાકને મેશરની મદદથી મેશ કરી લો. ત્યારબાદ કસૂરી મેથીને મસળીને ઉમેરો

અને સમારેલી કોથમીર પણ મેળવી દો. એક કપ જેટલું ગરમ પાણી ઉમેરો. મેશર વડે મેશ કરતા રહો. 2 મિનિટ બાદ તેમાં છીણેલું પનીર મેળવીને ટોમેટો કેચ-અપ પણ મેળવીને ગેસની મધ્યમ આંચે ઢાંક્યા વગર આ શાક થવા દો. તવેથા વડે શાકને હલાવતાં રહો. શાકમાં તેલ ઉપર આવે એટલે તેમાં ચીઝને પણ ખમણીને મિક્સ કરી દો. 1 મિનિટ બાદ ગેસ બંધ કરીને શાક ઉતારી લો.

આ શાક મસાલા પાઉં કે પરોઠા સાથે સારું લાગશે.

મસાલા પાઉં બનાવવા માટે નોન-સ્ટીક પેનમાં 1 ટી.સ્પૂન બટર ગરમ કરી તેમાં ½ ટી.સ્પૂન સમારેલી કોથમીર નાખી તેની ઉપર પાઉંભાજી મસાલો નાખીને તરત જ (મસાલો નાખ્યા બાદ તરત જ તેની ઉપર પાઉં શેકાવા મૂકી દો. કેમ કે, મસાલો તરત ગરમ થઈને કાળો થઈ જાય છે.) કટ કરેલા પાઉંને તવામાં મસાલામાં ફેરવીને ½ મિનિટ ગરમ કરી તરત જ ઉથલાવીને બીજી સાઈડ ગરમ કરીને ઉતારી લો.

૧૬ ડિસેમ્બર, ૨૦૨૩

૧૬ ડિસેમ્બર, ૨૦૨૩

ઘરમાંથી અપવિત્ર ધન જશે તો જ પવિત્ર ધન સ્થિર થશે

આદિત્યવર્ણે તપસોऽધિજાતો વનસ્પતિસ્તવ વૃક્ષોऽથ બિલ્વઃ ।

તસ્ય ફલાનિ તપસાનુદન્તુ માયાન્તરાયાશ્ચ બાહ્યા અલક્ષ્મીઃ ।।6।।

ગયા વખતથી આપણે ઋગ્વેદમાં વર્ણિત શ્રીસૂક્તને કેન્દ્રમાં રાખીને લક્ષ્મી વિશેના આપણા સંવાદને આગળ વધાર્યો છે. ઉક્ત શ્લોક ક્રમાંક 6માં કહેવામાં આવ્યું છે કે આપણે કયા પ્રકારની લક્ષ્મીની મનોકામના રાખવી જોઈએ.

તેમાં કહેવાયું છે, ”હે અગ્નિદેવ (સૂર્યદેવ, ભગવાન), મને એવી લક્ષ્મીની પ્રાપ્તિ થવા દે, જેનો વર્ણ સૂર્ય જેવો હોય, જે વિશાળ બિલિવૃક્ષ સમાન તપ કરીને પ્રાપ્ત થઈ હોય. હે પ્રભુ, એ તપના બળથી મારો અંધકાર અને ભ્રમણાઓ તથા અલક્ષ્મી દૂર થઈ જાય એવું કર.”

લક્ષ્મી વિશે બીજી અનેક જગ્યાની જેમ અહીં પણ કહેવાયું છે કે પરિશ્રમ કરીને અને પવિત્ર રીતે લક્ષ્મીની પ્રાપ્તિ કરવી જોઈએ. તેનો અર્થ એવો પણ થાય છે કે આપણે પોતાનો હક ન હોય એવી સંપત્તિ પર પણ હક જમાવવો જોઈએ નહીં કે તેને પચાવી કે છિનવી લેવી જોઈએ નહીં. આપણા ઘરમાં આવતી એકેએક પાઈ નૈતિક રસ્તે મેળવાયેલી પરસેવાની કમાણી હોવી જોઈએ. આ રીતે પ્રાપ્ત કરેલું ધન આપણી ભ્રમણાઓ અને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે.

આ ભ્રમણાઓ અને અજ્ઞાન આપણામાં અહંકાર, ઈર્ષ્યા, હતાશા, ગુસ્સો, ચિંતા અને લાલચના સ્વરૂપે અસ્તિત્વમાન હોય છે.

કોઈની પાસે ધન જોઈને એવો વિચાર આવે કે એ માણસે અનૈતિક રીતે ધન ભેગું કર્યું હશે, તો તેનો અર્થ એવો થયો કે આવું વિચારનાર વ્યક્તિમાં ક્યાંક ને ક્યાંક ઈર્ષ્યાભાવ રહેલો છે. ”એણે મોંઘા ભાવનો મોબાઇલ તો લીધો, પણ એમાંની એકેય ઍપ તો વાપરતાં આવડતું નથી,” એવું બોલવામાં આવે એ પણ એક પ્રકારની ઈર્ષ્યા જ છે.

આ જ રીતે, ”હું તો ફલાણી જ બ્રાન્ડનાં શર્ટ પહેરું” એમ કહેવું એ અહમ્ છે. કોઈ નવું ગેજેટ લીધું હોય અને એ દેખાડ્યા કરવાની ઈચ્છા થાય એ અહમને સંતોષવા માટે જ હોય છે. આપણું અસ્તિત્વ જાણે એ શર્ટ પહેરવામાત્રથી જ ઓળખાય કે કોઈ સ્થળે જવાથી જ આપણું મહત્ત્વ દેખાય એ એક પ્રકારનો ઘમંડ છે. ખરી રીતે તો આંતરિક શાંતિ મળે એવી સંપત્તિ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ. એ ધનથી આપણો આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધવાં જોઈએ.

આપણે અજંપો ધરાવીએ એ એક પ્રકારનું અજ્ઞાન છે. પૈસાથી જ આપણી મોટાભાગની સમસ્યાઓનો અંત આવી જશે એવું જ્યારે આપણને એમ લાગવા માંડે ત્યારે સમજવું કે આપણે પૈસાની બાબતે અજંપો ધરાવીએ છીએ. અજંપો આવવાથી અસલામતી અને લાલચ જન્મે છે.

આથી એવી લક્ષ્મીની પ્રાપ્તિ માટે ઈશ્વરને કહેવું જોઈએ જેનાથી ઈર્ષ્યા, અહમ, અજંપો, લાલચ જેવી લાગણીરૂપી આપણો અંધકાર દૂર થાય.

ઉક્ત શ્લોકમાં અલક્ષ્મીની વાત પણ કરવામાં આવી છે. આપણે આ કટારમાં અગાઉ કહી ગયા છીએ કે સાધુ-સંતોની ભૂમિમાં આપણો જન્મ થયો એ બદલ આપણે પ્રભુનો પાડ માનવો જોઈએ.  એ સાધુ-સંતોએ આપણને ધન-સંપત્તિ વિશે સાચું જ્ઞાન આપ્યું છે. આધુનિક જગતના મહાન અર્થશાસ્ત્રીઓ પણ પવિત્ર અને અપવિત્ર ધન વચ્ચેનો તફાવત જાણી શક્યા નથી. આપણા ઘરમાંથી અપવિત્ર ધન જશે નહીં ત્યાં સુધી પવિત્ર ધન ઝાઝું નહીં ટકી શકે.

આપણા ઘરમાં કામવાળી કચરો કાઢતી હોય ત્યારે આપણે તેના પર નજર રાખતા હોઈએ છીએ કે એ બરોબર કચરો કાઢે છે કે નહીં. આપણે તેની પાસે કારપેટ, કબાટ અને પલંગની નીચેથી, ખૂણાઓમાંથી કચરો સાફ કરાવીએ છીએ. જો ઘર આખેઆખું બરોબર સાફ થાય નહીં તો એ કચરો ઘરમાં ને ઘરમાં ઉડ્યા કરે.

આ જ રીતે જો અપવિત્ર ધનને બરોબર વાળીને ઘરમાંથી નહીં કાઢીએ તો પવિત્ર ધન ટકી નહીં શકે. ઘણી વાર આપણે જાણ્યે-અજાણ્યે અપવિત્ર ધન મેળવીએ છીએ. આપણું ઘર બંધાતું હોય ત્યારે ઘણા જીવો નાશ પામ્યા હોઈ શકે છે, આપણે વ્યવસાયની સ્પર્ધામાં ટકી રહેવા માટે કર્મચારીઓ કે અન્ય ગરીબ લોકો સાથે અન્યાય કર્યો હોઈ શકે છે, ધન કમાતી વખતે પર્યાવરણને નુકસાન કર્યું હોઈ શકે છે. આ બધી રીતે આવેલું ધન અપવિત્ર હોય છે. સંપત્તિસર્જન કરતી વખતે ઈર્ષ્યાનો ભાવ જાગે તો એ ધન પણ અપવિત્ર બની જાય છે.

આથી, પ્રભુને પ્રાર્થના કરો કે ”હે પ્રભુ મારા ઘરમાંથી અપવિત્ર ધન જતું રહે અને માત્ર પવિત્ર ધન મને પ્રાપ્ત થાય.”

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

વાત ‘તેજાબ’ ના કલાકારોની પસંદગીની

નિર્દેશક એન. ચંદ્રાએ જ્યારે ફિલ્મ ‘તેજાબ’ (૧૯૮૮) ની વાર્તા તૈયાર કરાવી ત્યારે એમાં ‘મુન્ના’ તરીકે અનિલ કપૂરને લેવાનું નક્કી કરી બોની કપૂરને વાત કરી હતી. ત્યારે બોનીએ સ્પષ્ટ કહી દીધું હતું કે અનિલ પાસે અત્યારે ૮-૧૦ ફિલ્મો છે અને બધાના શૂટિંગ પ્રગતિ પર હોવાથી બે વર્ષ સુધી એ કોઈ નવી ફિલ્મ કરી શકે એમ નથી. એન. ચંદ્રાએ સમજાવ્યું કે બે વર્ષમાં તો આ વાર્તા જાણીને બીજા કોઈ ફિલ્મ બનાવી નાખશે. બોની તૈયાર ન હતા ત્યારે અનિલ કપૂરે વાર્તા સાંભળીને જીદ કરી કે એ કોઈપણ સંજોગોમાં આ ફિલ્મ કરવા માગે છે.

આખરે બોનીએ રસ્તો કાઢ્યો અને શરત કરી કે અનિલ પાસે અત્યારે જે ફિલ્મો છે એના શૂટિંગ રદ થાય એ તારીખોમાં જ એન. ચંદ્રા ‘તેજાબ’ નું શૂટિંગ કરી શકશે. તારીખો મળવામાં જોખમ હતું અને બીજી મોટી સમસ્યા એ હતી કે કોઈપણ ફિલ્મનું શૂટિંગ બે-ત્રણ દિવસ પહેલાં રદ થતું હોવાથી બહુ ઝડપથી એન. ચંદ્રાએ અનિલ સાથે પોતાનું શૂટિંગ કરવા ઓછા સમયમાં તૈયારી કરવાની થતી હતી. છતાં શરત સ્વીકારી લીધી. હવે બાકીના કલાકારોની પસંદગી એવી રીતે કરવાની હતી કે એ પણ ટૂંકી નોટિસમાં શૂટિંગ પર હાજર થઈ જાય. મુખ્ય પ્રશ્ન હીરોઇનનો હતો. એન. ચંદ્રાએ ‘મોહિની’ ના પાત્ર માટે હીરોઈન તરીકે માધુરી દીક્ષિતને લેવાનું નક્કી કર્યું એની પાછળ મુખ્ય કારણ એ હતું કે અનિલ અને માધુરીના સેક્રેટરી એક જ હતા.

રિક્કુ રાકેશનાથ બંનેની ડાયરી સંભાળતા હોવાથી તારીખો ગોઠવી શકે એમ હતા. જ્યારે ‘બબન’ ના પાત્રની પસંદગી કરી રહ્યા હતા ત્યારે એન. ચંદ્રાએ સૌથી પહેલાં ચંકી પાંડેને પૂછ્યું હતું. કેમકે એ એમની સાથે કામ કરવા ઘણા સમયથી ઉત્સુક હતો. અસલમાં જ્યારે ‘પ્રતિઘાત’ (૧૯૮૭) ના પાત્રોની પસંદગી થઈ રહી હતી ત્યારે એક પાત્ર માટે ચંકીનું ઓડિશન લીધું હતું. એણે તો હા પાડી દીધી હતી પણ એન. ચંદ્રાએ સલાહ આપી હતી કે તારી ‘આગ હી આગ’ (૧૯૮૭) જેવી હીરો તરીકેની ફિલ્મ રજૂ થઈ હોવાથી સાઈડ રોલમાં કામ કરવાનું કારકિર્દી માટે અત્યારે યોગ્ય રહેશે નહીં. આમ કરવાથી સાઈડ હીરોનો થપ્પો લાગી જશે. ચંકી માની ગયો હતો અને ‘તેજાબ’ ની ઓફર કરી ત્યારે એણે ઝડપી લીધી હતી.

જોની લીવર ત્યારે સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે કામ કરતો હતો. એને પહેલી વખત મહત્વની હાસ્ય ભૂમિકામાં ચમકાવ્યો હતો. એ જ રીતે અનુ કપૂરને પણ અબ્બાસ અલી (ગુલદસ્તા) ની યાદગાર ભૂમિકા આપી હતી. અનુએ સ્વીકાર્યું છે કે એને ‘ગુલદસ્તા’ તરીકે લાંબા સમય સુધી યાદ કરવામાં આવતા રહ્યા હતા. ફિલ્મમાં એક ભૂમિકા માટે પહેલાં નાના પાટેકરની પસંદગી પણ થઈ હોવાની વાત છે. ફિલ્મના મહુરતમાં પણ નાનાનું નામ હતું અને થોડું શૂટિંગ કર્યું હતું. પરંતુ પાછળથી રહસ્યમય રીતે નાના નીકળી ગયા હતા.

રાશિ ભવિષ્ય 16/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય..


આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

પંચાંગ 16/12/2023

શાહરૂખ, પુત્રી સુહાનાએ શિર્ડી સાઈબાબા મંદિરમાં દર્શન કર્યાં

શિર્ડી: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન અને તેની પુત્રી સુહાના ખાને ગુરુવારે મહારાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડી જઈને સાઈ બાબા મંદિરમાં દર્શન કર્યા હતા.

શાહરૂખની નવી ફિલ્મ આવી રહી છે ‘ડંકી’. તેની સફળતા માટે સાઈબાબાના આશીર્વાદ મેળવવા તે શિર્ડી મંદિરે ગયો હતો. આ પહેલાં તે માતા વૈષ્ણોદેવી અને તિરુપતિ બાલાજી મંદિરે પણ ગયો હતો. ગણેશચતુર્થી વખતે એ મુંબઈમાં લાલબાગચા રાજા ગણપતિ મંડળની મુલાકાતે ગયો હતો.

શાહરૂખની પુત્રી સુહાનાની પહેલી ફિલ્મ હાલમાં જ રિલીઝ થઈ હતી – ‘ધ આર્ચિસ’. આ ફિલ્મ ગઈ 7 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. સુહાનાનાં અભિનય વિશે મિશ્ર પ્રતિભાવ આવ્યા છે. કેટલાકે સ્ક્રીન પર એની હાજરીને પસંદ કરી છે તો કેટલાકને એની એક્ટિંગ દમ વગરની લાગી છે.

આઇસી15 ઇન્ડેક્સમાં 21 પોઇન્ટની મામૂલી વૃદ્ધિ

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટ શુક્રવારે ફ્લેટ રહી હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0-04 ટકા (21 પોઇન્ટ) વધીને 54,491 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 54,470 ખૂલીને 55,077ની ઉપલી અને 52,725 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના કોઇનમાંથી સોલાના અને અવાલાંશમાં અનુક્રમે 8.74 અને 6.57 ટકાનો વધારો થયો હતો. ટોચના ઘટેલા કોઇન યુનિસ્વોપ, પોલીગોન, શિબા ઇનુ અને લાઇટકોઇન હતા.

ભારતમાં બનેલી મહત્ત્વપૂર્ણ ઘટનામાં તેલંગાણા સરકારે વેબ3 ઉદ્યોગની અગ્રણી કંપની પોલીગોન લેબ્સ, ભારત વેબ3 એસોસિયેશન અને યુરોપિયન ક્રીપ્ટો ઇનિશિયેટિવ સહિતની સંસ્થાઓ સાથે સહકાર સાધ્યો છે. એના મારફતે બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તથા સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન આપવામાં આવશે. બીજી બાજુ, યુનાઇટેડ કિંગડમના સંસદસભ્ય નાતાલી એલફિકે સરકારને અનુરોધ કર્યો છે કે એણે બ્લોકચેઇન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે વધુ પગલાં ભરવાં.

હાલનો સમય ‘કરુણા’ને વૈશ્વિક બનાવવાનો સમયઃ કૈલાશ સત્યાર્થી

અમદાવાદઃ ગુજરાતમાં સોશિયલ વેન્ચર પાર્ટનર્સ ઇન્ડિયા( SVP ઇન્ડિયા)ની પાંચમી એનિવર્સિરીના કાર્યક્રમમાં નોબેલ શાંતિ એવોર્ડવિજેતા કૈલાશ સત્યાર્થી ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થાની વર્ષગાંઠે રાજ્યમાંથી અને દેશમાંથી 200થી વધુ લોકો ઉપસ્થિત હતા.

આ ઉજવણી પર સંબોધન કરતાં સત્યાર્થીએ કહ્યું હતું કે આપણે એક ઝડપથી બદલાતા વિશ્વમાં રહી રહ્યા છીએ. આપણે બિઝેનસ, ટ્રેડ, નોલેજ, મેન્યુફેક્ચરિંગ, ડેટા અને કેપિટાલિઝમનું વૈશ્વિકરણ કર્યું છે.  મહાત્મા ગાંધીની ભૂમિથી હું આદરપૂર્વક કહું છે કે હાલનો સમય કરુણાને વૈશ્વિય બનાવવાનો સમય છે અને એ સરકાર કે કોઈ સંસ્થાની જવાબદારી નથી, બલકે આપણી જવાબદારી છે. આ સાથે બાળકો અને ખાસ કરી મહિલાઓની વિરુદ્ધ ગુનાઓ પર અંકુશ લગાવવાનો અને બાળકોના હિતમાં સમાજ નિર્માણ કરવાની આપણી જવાબદારી છે.

આ પ્રસંગે સંસ્થાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે આ વર્ષગાંઠની ઉજવણીમાં કૈલાશ સત્યાર્થી અમારી સાથે સામેલ થવાથી અપાર આનંદની લાગણી થાય છે. તેમની કરુણાને વૈશ્વિક કરવાની પ્રતિબદ્ધતા સંસ્થાના મૂળ મૂલ્યો અને મિશનને અનુરૂપ છે. આ કાર્યક્રમમાં બધા કાર્યકરો વચ્ચે પરોપકાર, વ્યૂહાત્મક દાન અને સાર્થક સંદેશવ્યવહાર થયો હતો.

SVP ઇન્ડિયા દેશનાં આઠ શહેરોમાં ફેલાયેલા 550 પરોપકારી લોકો, ઉદ્યોગ સાહસિકો, શિક્ષણવિદો અને ગૃહિણોની સાથેનું એક સહયોગી પરોપકારી સંગઠન (NGO) છે. સંસ્થા નાના અને મધ્યમ કદના NGOsની ઓળખ કરે છે અને નેટવર્ક, અનુભવ અને સમયનો ઉપયોગ કરીને ક્ષમતા અનુસાર મદદ કરે છે. છેલ્લાં પાંચ વર્ષમાં અમદાવાદ અને સુરતના 43 SVP ભાગીદારોએ NGOsને સલાહ આપવા માટે 5000થી વધુ કલાકોનો સમય ફાળવ્યો હતો અને એમને ત્રણથી પાંચ ગણા વિકાસ કરતા જોયા હતા.

સંસ્થાએ દેશના 120 NGOsની સાથે ખભેખભા મેળવીને કામ કર્યું છે અને  રૂ. 25 કરોડથી વધુનું વિતરણ કર્યું છે. એ સાથે એના ભાગીદારોએ પણ સમય અને કૌશલના 25,000 કલાકથી વધુનું યોગદાન આપ્યું છે. કૈલાશ સત્યાર્થીને વર્ષ 2014માં નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું હતું. અને તેમના સહયોગીઓ દ્વારા ‘બચપન બચાવો આંદોલન’ દ્વારા અત્યાર સુધીમાં 80 હજારથી વધુ બાળકોના જીવનમાં સુધારો કરવામાં આવ્યો છે. આ બાળકોને વધુ સારા શિક્ષણ અને જીવનનિર્વાહમાં ટેકો મળ્યો હતો.

 

આઈપીએલઃ રોહિતની જગ્યાએ હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી, 2024ની મોસમ માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે. તે રોહિત શર્માનો અનુગામી બન્યો છે. શર્માના સુકાનીપદ હેઠળ મુંબઈ ટીમે પાંચ વખત વિજેતાપદ જીત્યું છે. શર્માને 2013ની મોસમમાં અધવચ્ચે મુંબઈ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

મુંબઈ ટીમના ગ્લોબલ હેડ મહેલા જયવર્દનેએ કહ્યું કે, ‘મુંબઈ ઈન્ડિયન્સને પહેલેથી જ અસાધારણ નેતૃત્ત્વ પ્રાપ્ત થયું છે. સચીન તેંડુલકર, હરભજન સિંહ, રિકી પોન્ટિંગ અને રોહિત શર્મા. અસાધારણ નેતૃત્ત્વ પૂરું પાડવા બદલ અમે રોહિત શર્માના આભારી છીએ. અમે નવા કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને આવકારીએ છીએ અને એને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ.’

હાર્દિક પંડ્યાએ 2013માં આઈપીએલમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધીમાં તે મુંબઈ ઈન્ડિયન્સ વતી 92 મેચ રમી ચૂક્યો છે. 2022માં તે ગુજરાત ટાઈટન્સ ટીમમાં જોડાયો હતો. 2022 અને 2023ની મોસમમાં એણે ગુજરાત ટીમનું નેતૃત્ત્વ સંભાળ્યું હતું. તેની ટીમ બંને આવૃત્તિમાં ફાઈનલમાં પહોંચી હતી. 2022માં વિજેતા બની હતી જ્યારે આ વર્ષે તેને રનર્સ-અપ ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો હતો.