Home Blog Page 2232

સંસ્કૃતિ જોશી-ચિંતન નાઇકનો લેખ વૈશ્વિક સેમિનારમાં રજૂ કરાશે

મુંબઈઃ એશિયા નામની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત EMDR (Eye Movement Desensitization and Reprocessing)  સંસ્થા દર વર્ષે મનોચિકિત્સકોનું સંમેલન યોજે છે. આ વર્ષે કમ્બોડિયાના સીમ રીપ શહેરમાં 17 ડિસેમ્બરે સંસ્થાનું પાંચમું સંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં મુંબઈના કાંદિવલીનિવાસી યુવતી સંસ્કૃતિ અખિલ જોશી પોતાનો અભ્યાસ-લેખ રજૂ કરવાનાં છે.

સંસ્કૃતિ વ્યવસાયે કાઉન્સેલિંગ સાઇકોલોજિસ્ટ છે. સંસ્કૃતિએ આ અભ્યાસ-લેખ એમના માર્ગદર્શક અને કો-ઓથર સિનિયર મનોચિકિત્સક ચિંતન નાઇકના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો છે. EMDR એશિયાના આ સંમેલનમાં સંસ્કૃતિ EMDR-ઇન્ડિયાનાં પ્રતિનિધિ તરીકે હાજરી આપવાનાં છે અને પોતાનું પેપર રજૂ કરવાનાં છે. ચિંતન નાઇક પણ પેપરની રજૂઆતમાં એમના સહભાગી થશે. કોઈ માનવીય કે કુદરતી ઘટના કે દુર્ઘટના બને ત્યારે સંબંધિત વ્યક્તિઓને આઘાત લાગતો હોય છે. ખાસ કરીને સગીર વયનાં લોકોનાં મન પર એની ઊંડી અસર પડતી હોય છે. એવી સ્થિતિમાંથી પસાર થયેલાં તરુણ વયનાં કિશોર-કિશોરીઓને આઘાત (ટ્રોમા)માંથી બહાર લાવવા માટે મનોચિકિત્સાની મદદ લેવી પડે છે. EMDR વિશે જાણકારી આપતાં સંસ્કૃતિ કહે છે કે ઘણી વખત દુર્ઘટના વખતે ટ્રોમાનો અનુભવ કરતી વ્યક્તિ માટે EMDR ઉપયોગમાં લેવાય છે. તેને ‘EMDR ટ્રોમા ઈનફોર્મ થેરપી અપ્રોચ’ કહેવાય છે.

આ વર્ષના માર્ચ મહિનામાં મુંબઈના મલાડ (પૂર્વ) ઉપનગરના કુરાર વિલેજ વિસ્તારના અપ્પાપાડા મોહલ્લામાં રાંધણગેસના લગભગ 50 સિલિન્ડરો ફાટ્યાં હતાં જેને કારણે 2000 જેટલા ઝૂંપડાં નાશ પામ્યાં હતાં. આ મોહલ્લામાં નીચલા વર્ગના લોકો રહે છે. સિલિન્ડર દુર્ઘટનાને કારણે આસપાસ રહેતા ટીનેજર્સ-વિદ્યાર્થીઓની માનસિક હાલત વિશે સંસ્કૃતિએ સંશોધન કર્યું. વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે ભણવામાં એમનું ધ્યાન રહેતું નથી, એકાગ્રતા કેળવી શકતા નથી, માર્ક્સ ઓછા આવવા લાગ્યા છે, નાના-મોટા અવાજથી પણ તેઓ ગભરાઈ જાય છે, તેમને ખરાબ સપનાં પણ સતાવે છે. સંસ્કૃતિએ એમાંથી અમુક યુવાનો પર EMDR થેરપીનો ઉપયોગ કર્યો હતો. વિદ્યાર્થીઓની ચિંતા, તાણ અને એમનાં મન પર થયેલી અસર ટેસ્ટ દ્વારા માપી હતી. તેઓ સ્ટ્રેસ-લેવલ જાતે સંભાળી શકે એ માટે એમને અમુક ટેક્નિક અને કસરત શીખવી હતી. ચોથા સત્રમાં માલૂમ પડ્યું હતું કે વિદ્યાર્થીઓની તાણ અને ચિંતાના સ્તરમાં ઘટાડો થયો હતો.

આ પ્રોજેક્ટ સંસ્કૃતિએ એના મેન્ટોર, મનોચિકિત્સક ચિંતન નાઇકના માર્ગદર્શન હેઠળ પાર પાડ્યો હતો. સંસ્કૃતિએ નવી પેઢીની માનસિકતા પર કરેલો આ સંશોધન-અભ્યાસ અને વર્તમાન ચિકિત્સા પદ્ધતિમાં વધારે અસરકારક રીતે શું થઈ શકે એનો અભ્યાસ-લેખ સૂચિત સંમેલનમાં મોકલાવ્યો હતો. જેને આંતરરાષ્ટ્રીય બોર્ડે મંજૂર કર્યો છે અને હવે 17 ડિસેમ્બરે કમ્બોડિયામાં યોજાનાર સંમેલનમાં તે રજૂ કરવામાં આવશે. સંસ્કૃતિ વરિષ્ઠ ગુજરાતી સાહિત્યકાર દિનકર જોશીનાં પૌત્રી છે.

 

 

 

 

 

સ્ટેજ પર ગીત ગાતી વખતે હાર્ટએટેક આવતાં ગાયક પેડ્રો હેનરિકનું મૃત્યુ

ફેઈરા ડી સેન્ટાના (બ્રાઝિલ): બ્રાઝિલના વિખ્યાત 30 વર્ષીય ગોસ્પેલ ગાયક પેડ્રો હેનરિકનું એક લાઈવ કાર્યક્રમ વખતે સ્ટેજ પર હાર્ટ એટેક આવતાં નિધન થયું છે. અહીં ગયા બુધવારે રાતે એક કોન્સર્ટ હોલમાં એક ધાર્મિક સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પેડ્રો હેનરિક સ્ટેજ પર ગીત ગાઈ રહ્યા હતા. એ કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું હતું. અચાનક જ પેડ્રો સ્ટેજ પર પડી ગયા હતા. પેડ્રોના રેકર્ડ લેબલ ‘ટોડાહ મ્યુઝિક’ તરફથી રેડિયો 93 ચેનલને જણાવવામાં આવ્યું હતું કે પેડ્રો હેનરિકને પ્રચંડ હાર્ટ એટેક આવ્યો હતો.

કાર્યક્રમમાં પેડ્રો એમના સંગીત બેન્ડના તાલ પર ગીત ગાઈ રહ્યા હતા. વચ્ચે વચ્ચે તેઓ સ્ટેજની નજીક ઊભેલા દર્શકો સાથે હાથ પણ મિલાવતા હતા. અચાનક તેઓ સંતુલન ગુમાવી બેઠા હતા અને સ્ટેજ પર ચત્તાપાટ પડી ગયા હતા. તે દ્રશ્ય અનેક જણના મોબાઈલ ફોનમાં ઝડપાઈ ગયું હતું અને ઈન્ટરનેટ પર, સોશિયલ મીડિયા પર વાઈરલ થયું છે.

પેડ્રોને ફસડાઈ પડતા જોઈને એમના બેન્ડના સાથીઓ ગભરાઈ ગયા હતા. કાર્યક્રમના સહાયકો તરત જ  પેડ્રોની મદદે દોડી ગયા હતા. દર્શકો સ્તબ્ધ થઈને એ દ્રશ્ય જોતા રહ્યા હતા. પેડ્રોને તરત જ નજીકના એક ક્લિનિકમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ એમને મૃત ઘોષિત કર્યા હતા. ડોક્ટરોએ સમર્થન આપ્યું હતું કે પેડ્રોને હૃદયરોગનો પ્રચંડ હુમલો આવ્યો હતો.

પેડ્રો હેનરિકને બ્રાઝિલના એક ઉભરતા ગાયક તરીકે ગણવામાં આવતા હતા. ‘ટોડાહ મ્યુઝિક’ તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ‘પેડ્રોનું નિધન હૃદયરોગના હુમલો આવવાને કારણે થયાનું જણાવવામાં આવ્યું છે. પેડ્રો હેનરિક ખૂબ જ આનંદી સ્વભાવના યુવક, જવાબદાર પતિ અને પિતા તેમજ અમારા સહુના ઉમદા મિત્ર હતા. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે.’

મથુરા ઇદગાહ મસ્જિદમાં સર્વે પર સ્ટે મૂકવાનો ‘સુપ્રીમ’ ઇનકાર

નવી દિલ્હીઃ મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદ વિવાદને લઈને મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટે આંચકો આપ્યો છે. કોર્ટે અલાહાબાદ હાઇકોર્ટના 14 ડિસેમ્બરના આદેશ પર સ્ટે આપવાથી ઇનકાર કરી દીધો છે, જેમાં ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિથી અડીને આવેલી શાહી ઇદગાહ મસ્જિદમાં ત્રણ સભ્યોની ટીમ દ્વારા પ્રાથમિક સર્વેનો આદેશ આપ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટમાં નવ જાન્યુઆરીએ આગામી સુનાવણી કરશે.

અલાહાબાદ હાઇકોર્ટે શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ વિવાદ મામલે ચુકાદો આપ્યો હતો. કોર્ટે શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં વિવાદિત વિસ્તારમાં સર્વે કરાવવાનો આદેશ આપ્યો હતો. એ આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આજે થયેલી સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે અરજીકર્તાઓ રજાઓ દરમ્યાન પણ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી શકે છે.એ અરજી ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન છે, ત્યાં સાત અન્ય લોકો દ્વારા એડવોકેટ હરિશંકર જૈન, વિષ્ણુશંકર જૈન, પ્રભાષ પાંડેય અને દેવકી નંદન દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થળ એ મસ્જિદની નીચે છે અને એવા કેટલાય પુરાવા છે, જે એ સાબિત કરે છે કે એ મસ્જિદ એક હિન્દુ મંદિર છે.જસ્ટિસ મયંકકુમાર જૈનની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટમાં શ્રીકૃષ્ણ વિરાજમાન છે- એને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં એડવોક્ટ કમિશનર દ્વારા સર્વે કરાવવાની માગ કરાવવામાં આવી હતી.આ અરજી પર સુનાવણી થયા પછી જસ્ટિસ મયંકકુમાર જૈને 16 નવેમ્બરે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

 

 

 

 

 

હીરો મોટોકોર્પ કંપનીએ એથર એનર્જીમાં રૂ. 140 કરોડમાં 3% હિસ્સો ખરીદ્યો

મુંબઈઃ નવી દિલ્હીસ્થિત ભારતની મલ્ટીનેશનલ મોટરસાઈકલ અને સ્કૂટર ઉત્પાદક કંપની હીરો મોટોકોર્પ લિમિટેડે ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી એથર એનર્જી કંપનીમાં રૂ. 140 કરોડના ખર્ચે અધિક 3 ટકા હિસ્સો ખરીદ્યો છે. એથર એનર્જી કર્ણાટકના બેંગલુરુસ્થિત ટુ-વ્હીલર ઈલેક્ટ્રિક ઉત્પાદક કંપની છે. તેની સ્થાપના તરુણ મહેતા અને સ્વપ્નીલ જૈને 2013માં કરી હતી.

વધુ 3 ટકા હિસ્સો ખરીદવા સાથે એથર એનર્જીમાં હીરો મોટોકોર્પનો કુલ હિસ્સો વધીને 39.7 ટકા થયો છે.

સૂર્યકુમારની ચોથી સદીઃ રોહિત શર્મા, મેક્સવેલની બરાબરી

જોહાનિસબર્ગઃ ભારતે દક્ષિણ આફ્રિકા (SA) પર જીત હાંસલ કરીને સિરીઝ 1-1થી બરાબરી કરી છે. આ પહેલાં ટીમ ઇન્ડિયાએ ગયા વર્ષે  SAને રાજકોટમાં 82 રનથી શિકસ્ત આપી હતી. ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે સાત ફોર અને આઠ સિક્સની મદદથી T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં SA ચોથી સદી ફટકારી હતી. મિ. 360એ 56 બોલમાં સદી ફટકારી હતી, જેથી તેણ હિટમેન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયન ઓલ આઉન્ડર ગ્લેન મેક્સવેલના T20Iના રેકોર્ડની બરોબરી કરી હતી.

 ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને મેક્સવેલે T20Iમાં ચાર સદી ફટકારી છે. જોકે સૂર્યકુમારે આ રેકોર્ડ માત્ર 57 ઇનિંગ્સમાં બનાવ્યો હતો અને એ સૌથી ઝડપી પ્લેયર છે. તેણે આ સદી માત્ર બે વર્ષમાં બનાવી છે.તેણે આ સદી ઇંગ્લેન્ડ, ન્યુ ઝીલેન્ડ, ભારત અને હવે દક્ષિણ આફ્રિકામાં બનાવી છે.આ સાથે T20Iની MRF ટાયર્સ ICC મેન્સ રેન્કિંગમાં તે નંબર વન બેટર બન્યો હતો. આ સાથે તેણે વિરાટ કોહલીને T20 સિક્સને મામલે પાછળ છોડ્યો હતો. વિરાટ કોહલીએ T20Iમાં અત્યાર સુધી 117 સિક્સ ફટકારી છે, જ્યારે સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં 123 સિક્સ ફટકારી છે.

આ સાથે દક્ષિણ આફ્રિકા ગઈ કાલની મેચમાં 755 રનના સ્કોરે અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા છેલ્લે 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે પછીની મેચ બંને દેશો વચ્ચે 17 ડિસેમ્બરે રમાવાની છે.

 

 

દિલ્હીમાં વિધાનસભ્ય મતવિસ્તાર વિકાસ ફંડની રકમ વધારીને ૭ કરોડ કરાઈ

નવી દિલ્હી: દિલ્હીમાં પ્રત્યેક વિધાનસભ્યને એમના સંબંધિત મતવિસ્તારમાં વિકાસકાર્યો હાથ ધરવા માટે MLA લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ (MLALAD) રૂપે આપવામાં આવતી રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ આ રકમ ચાર કરોડ રૂપિયા છે, તે વધારીને રૂ. સાત કરોડ કરવામાં આવી છે.

દિલ્હીના શહેરી વિકાસ ખાતાના પ્રધાન સૌરભ ભારદ્વાજે આજે દિલ્હી વિધાનસભામાં આ જાહેરાત કરી હતી.

PM મોદીના આવતાં પહેલાં વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચાઈ

સુરતઃ શહેરમાં આજે સ્વચ્છતાને અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સુરતની જુદી-જુદી સ્કૂલના 25,000થી વધુ વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા હતા. જેમાં 15 કિલોમીટરથી વધુ લાંબી વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી હતી. આ કાર્યક્રમ સુરત પોલીસ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેક્ટર વિભાગના સંયુક્ત ઉપક્રમે કરાયો હતો.

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવવાના હોવાથી સ્વચ્છતાના ભાગરૂપે “માનવ સાંકળ” કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સ્વચ્છતાની નાનપણથી જ આદત પડશે તો પ્રધાન મંત્રીએ શરૂ કરેલી ઝુંબેશ ખરા અર્થમાં સફળ થશે. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી મુકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયા પણ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, સુરત શહેરના પ્રમુખ  નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પરેશભાઈ પટેલ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ માનવ સાંકળ ટ્રાય કલર બેન્ડ બાંધી ગ્રીન સિટી, ક્લીન સિટી અને સેફ સિટીનો મેસેજ આપશે. સુરત શહેર પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત રૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  વડા પ્રધાનના આગમન પહેલા સ્વચ્છતા સહિત મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંક્શન અને વાયજંક્શનથી ચોસઠ જોગણી મંદિર સુધી ‘માનવ સાંકળ’ રચવામાં આવશે. 15 કિમીની ‘માનવ સાંકળ’ 30 બ્લોકમાં રચવામાં આવશે.

 

 

 

કેમ વિસાવદરની આ બેઠક રાજકીય ઊથલપાથલ માટે પંકાયેલી છે?

વિસાવદરઃ દેશભરમાં ગુજરાત ભાજપની પ્રયોગશાળા તરીકે જાણીતું છે તો સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ ગણાય છે. ભાજપને વર્ષ ૧૯૯૫માં ગાંધીનગરની ગાદી સુધી પહોંચાડવામાં સૌરાષ્ટ્રની મહત્વની ભૂમિકા રહેલી છે. આ સૌરાષ્ટ્રની વિસાવદર વિધાનસભા બેઠક પણ દાયકાઓથી  કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહી છે.  ૧૩ ડિસેમ્બર, ૨૦૨૩એ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ભૂપતભાઈ ભાયાણીએ ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દેતાં વિસાવદરની બેઠક ફરી એક વાર ચર્ચામાં આવી છે.

વિસાવદરથી જીતી કેશુભાઈ મુખ્ય મંત્રી બન્યા

ભાજપે ૧૯૯૫માં ગુજરાતમાં સંપૂર્ણ બહુમતી સાથે પ્રથમ વખત સત્તા મેળવી ત્યારે મુખ્ય મંત્રીપદે કેશુભાઈ પટેલે સુકાન સંભાળ્યું હતું તેઓ પણ વિસાવદર બેઠક ઉપરથી ચૂંટાયા હતા. જૂનાગઢ જિલ્લામાં આવેલી આ બેઠક ઉપરથી કેશુભાઈ પટેલ ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ૧૯૯૮માં ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડ્યા પણ વર્ષ ૨૦૦૧માં રાજકીય સમીકરણો બદલાયા અને કેશુભાઈએ ભાજપ સામે બળવો કરીને ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી ( જીપીપી). વર્ષ ૨૦૧૨માં કેશુભાઈ વિસાવદરથી ફરી લડ્યા અને ભાજપને હંફાવી નવી પાર્ટીમાંથી ધારાસભાની ચૂંટણી જીત્યા ત્યારે પણ આ બેઠકે ચર્ચા જગાવી હતી.

વિસાવદર બેઠક પર કોણ ક્યારે જીત્યું ?

૧૯૯૫   કેશુભાઈ પટેલ ( ભાજપ )

૧૯૯૮   કેશુભાઈ પટેલ ( ભાજપ )

૨૦૦૨   કનુભાઈ ભાલાળા ( ભાજપ )

૨૦૦૭   કનુભાઈ ભાલાળા ( ભાજપ )

૨૦૧૨   કેશુભાઈ પટેલ ( જીપીપી )

૨૦૧૪   હર્ષદ રિબડીયા   ( કોંગ્રેસ )

૨૦૧૭  હર્ષદ રિબડીયા   ( કોંગ્રેસ )

૨૦૨૨  ભૂપત ભાયાણી ( આપ )

 

કોંગ્રેસના ઉમેદવારનો મેન્ડેડ ફાડ્યો

વર્ષ ૨૦૧૨ની આ ચૂંટણીમાં એક એવી ઘટના બની જે હજુ લોકો ભૂલ્યા નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસે સ્થાનિક આગેવાન હર્ષદ રિબડિયાને બદલે અન્યને ટિકિટ આપતાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવારનો મેન્ડેડ ફાડી નાખવાની ઘટનાએ માત્ર કોંગ્રેસમાં નહીં ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી હતી. સ્થિતિ એવી સર્જાઇ કે કોંગ્રેસનો ઉમેદવાર મેદાનમાં જ ન રહ્યો અને કેશુભાઈ પટેલ ( જીપીપી ) ભાજપને હરાવી આ બેઠક જીતી ગયા હતા. જોકે સૌરાષ્ટ્રમાં કેશુભાઈ પટેલ પછી વિઠ્ઠલભાઈ રાદડિયા બાદ હર્ષદ રિબડિયા લેઉવા પટેલના એક નેતા તરીકે ઊપસી રહ્યા હતા, પણ તેમણે કોંગ્રેસ છોડી પછી સમીકરણો બદલાઈ ગયાં. પૂર્વ ધારાસભ્ય રિબડિયા ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે “હું કોઈ પણ રાજકીય પક્ષમાં હોઉં હોદો હોય કે નહીં, પણ હમેંશાં ખેડૂતોના મુદે લડતો આવ્યો છે મારા માટે સ્થાનિક લોકો અને ખેડૂતોની સમસ્યા હાલ કરવાના પ્રયત્નો એ પ્રાથમિકતા છે“

કેશુભાઈના પુત્ર ભરત પટેલ હાર્યા

લગભગ બે વર્ષ બાદ કેશુભાઈએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી સાથે જ વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણી યોજાઈ. હવે આ ચૂંટણીમાં કેશુભાઈના પુત્ર ભરત પટેલ ભાજપમાંથી ચૂંટણી લડ્યા પણ તેઓ કોંગ્રેસના હર્ષદ રિબડિયા સામે હારી ગયા. આ એ સમય હતો જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ભાજપમાંથી ચૂંટણી હારી જતાં આ બેઠકના પરિણામે ખાસ્સી ચર્ચા જગાવી હતી. ભરત પટેલ ચિત્રલેખા. કોમ સાથેની વાતચીતમાં કહે છે “નરેન્દ્રભાઈ મોદી એ જ મને વિસાવદરથી ચૂંટણી લડવા કહ્યું હતું, પરંતુ કેટલાક લોકોના કુપ્રચારને કારણે હું ચૂંટણી હારી ગયો હતો. જોકે આ મતવિસ્તારમાં કેશુભાઈએ ખૂબ કામ કર્યું હોવાથી લોકોમાં આદર છે. પક્ષ છોડ્યા બાદ એક માત્ર કેશુભાઈ એવા હતા કે લોકોએ તેમને ૨૦૧૨માં ચૂંટયા હતા. વિસાવદર બેઠકની રાજકીય તાસીર રહી છે કે પક્ષ પલટુને સ્વીકારતા નથી તેમાં કેશુભાઈ અપવાદ હતા. હર્ષદ રિબડિયા કોંગ્રેસ છોડી ભાજપમાંથી ૨૦૨૨માં ચૂંટણી લડ્યા તો હારી ગયા. “

એક દાયકા બાદ ફરી લોકસભા સાથે પેટાચૂંટણી આવશે

વિસાવદરની બેઠક ઉપર લેઉવા પટેલ સમાજનું વર્ચસ્વ છે. છેલ્લા ચાર દાયકાનો ઇતિહાસ જોઈએ તો લેઉવા પટેલના આગેવાન જ ચૂંટાયા છે. આશરે ૨.૭૦ લાખ મતદારોમાં ૫૦ ટકાથી વધુ લેઉવા પટેલ છે. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાનાં ૧૭૦થી વધુ ગામો આ મત વિસ્તારમાં આવે છે. છેલ્લા એક દાયકામાં ત્રણ ધારાસભ્યો કેશુભાઈ, હર્ષદ રિબડીયા અને ભૂપત ભાયાણીએ ચાલુ ટર્મ દરમિયાન રાજીનામું આપ્યું છે. હવે વર્ષ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી વખતે વિસાવદરની પણ પેટા ચૂંટણી આવશે આમ એક દાયકા બાદ યોગાનુયોગ ફરી લોકસભાની સાથે આ બેઠકની ચૂંટણીનું પુનરાવર્તન થશે.

(દેવેન્દ્ર  જાની – રાજકોટ)

 

 

કહાં રે હિમાલય જૈસા, કહાં ઐસા પાની…

જના માગશર સુદ ત્રીજ ને શુક્રવારના મંગળ પ્રભાતે કૉફીના કપમાં વસંત જેવા સમાચાર વાંચવા મળે છે કે મેઘના ગુલઝારની સૅમ બહાદુર એક-દો-એક, એક-દો-એક કરતી 100 કરોડ રૂપિયાના બિઝનેસ તરફ કૂચ કરી રહી છે. હવે, આ ફિલ્મની પોતાની મુશ્કેલી છે, પણ જેમને કશુંક સારું, સ્તરીય જોવું છે એ લોકો સૅમ બહાદુર જોવા જાય છે એ પણ હકીકત છે. ગુડ.

વસ્તુ એવી છે કે આ ફિલ્મ ફિલ્ડ માર્શલ સૅમ માણેકશૉના જીવન, એમનાં શૌર્ય, એમની યુદ્ધનીતિ, ઈન્ડિયન મિલિટરીમાં એમનાં કાર્યો પર આધારિત છે, અને એમાં ભારત-ચીન અને ભારત-પાકિસ્તાનની વૉરનો ઉલ્લેખ છે.  

હાલ જેમની જન્મશતાબ્દી ઊજવાઈ રહી છે એ દેવ આનંદની, 1970માં આવેલી ફિલ્મ પ્રેમ પૂજારીમાં પણ આ લડાઈનો ઉલ્લેખ હતો. ફિલ્મમાં દેવઆનંદે અહિંસાપ્રેમી ફૌજી લેફ્ટનન્ટ રામદેવ બક્ષીની ભૂમિકા ભજવેલી. રામદેવના પિતા વૉર હીરો હતા. પિતાના કહેવાથી એ ફૌજમાં ભરતી તો થાય છે, પણ પ્રકૃતિપ્રેમી રામદેવને હિંસા ગમતી નથી. યુદ્ધમાં લડવાને બદલે એ પ્રેમિકા સુમન મેહરા (વહીદા રહેમાન) સાથે સંસાર માંડવાનાં સપનાં જોતો હોય છે ત્યાં એને પત્ર મળે છેઃ તાબડતોબ ઈન્ડિયા-ચાઈના બોર્ડર પર પહોંચો. સરહદ પર હાજર થવાના ફરમાનને રામદેવ તાબે તો થાય છેપરંતુ લડવાની ના પાડી દે છે. આ માટે એને બે વર્ષની સજા સંભળાવવામાં આવે છે, પણ કોર્ટમાર્શલથી બચવા રામદેવ સૈન્ય છોડીને ભાગી જાય છે. વાટમાં એને ચીની જાસૂસ રાની (ઝાહીદા) મળે છે. રાનીને રામદેવ ગમી જાય છે, પણ દેશ માટે એણે ફરજ પણ બજાવવાની છે. (ટાઈગર અને ઝોયા જેવો સીન).

દિગ્દર્શક તરીકે દેવસાહેબની આ પહેલી ફિલ્મ હતી, જે દેશભક્તિની વાત તો માંડે છે, પણ એ બીજી ટિપિકલ ફિલ્મો જેવી બલિદાન અને દેશભક્ત શૂરવીર સિપાહીની ફિલ્મ નહોતી. એક મચ્છર મારતાં પણ જેનો જીવ ન ચાલે એવો રામદેવ ફિલ્મના પૂર્વાર્ધમાં નિરર્થક હિંસાનો શું અર્થ છે? જેને આપણે ઓળખતા સુધ્ધાં નથી એવા લોકોના જીવ શું કામ લેવાના? એવી સુફિયાણી વાતો કર્યા કરે છે. આગળ જતાં એ દેશ માટે જાસૂસી કરે છે અને 1965ની ઈન્ડિયા-પાકિસ્તાન વૉરનો હીરો બની જાય છે. આમ એન્ટી-વૉર તરીકે શરૂ થયેલી ફિલ્મ પ્રો-વૉર એટલે લડાઈ જરૂરી છે એવા મુદ્દા પર આવે છે.

કમનસીબે ફિલ્મ ચાલી નહોતી. યુદ્ધ અને દેશભક્તિના જુવાળ વચ્ચે આવેલી ફિલ્મ લોકોને પસંદ પડી નહીં. યુદ્ધની નિરર્થકતા વિશે બોલતો હીરો દેશવાસીઓને એન્ટી-નૅશનલ લાગ્યો. કોલકાતામાં નક્સલવાદીઓએ પ્રેમ પુજારી’  બતાવતાં થિએટરો પર હુમલા કરેલા. ડરીને થિએટરમાલિકોએ લગભગ આખા પૂર્વ ભારતમાંથી ફિલ્મ ઉતારી લીધી. એમાંય, પહેલી વાર ડિરેક્ટ કરી રહેલા દેવસાહેબે ફિલ્મને લાંબી કરી નાખી. તો કથા-પટકથા વૉર અને લવસ્ટોરી વચ્ચે ગૂંચવાઈ ગઈ. આ બધાં કારણસર ફિલ્મ ફ્લૉપ થઈ.

સ્વિત્ઝરલેન્ડમાં શૂટ થયેલી પ્રેમ પુજારીનું થોડુંક શૂટિંગ શિરડી નજીકના એક ગામમાં થયેલું. એમાં વહિદા રેહમાન ઉપરાંત ઝાહીદાની અસરદાર ભૂમિકા હતી. શત્રુઘ્ન સિંહા પણ એક નાનકડી, પરંતુ મહત્વની ભૂમિકામાં હતા. એક લેબનીઝ ઍક્ટ્રેસ નાદિયા ગમાલનો કમાલનો બેલી ડાન્સ હતો. અમરીશ પુરીએ પણ એકાદ દૃશ્ય પૂરતી હાજરી આપી હતી. આ બધું ધોવાઈ ગયું.

-પણ પ્રેમ પુજારી યાદ રહેશે એનાં ગીત-સંગીત માટે. દેવઆનંદની જેમ, સાહિત્યકાર ગોપાલદાસ નીરજ સાહેબે પહેલી વાર ફિલ્મગીતો લખ્યાં. શુદ્ધ, નિર્ભેળ હિંદી અને ઉર્દૂમિશ્રિત આ કાવ્યો સમાં ગીતનાં સચીન દેવ બર્મને, ઓહોહોહો કેવાં સ્વરાંકન રચ્યાં? ફૂલો કે રંગ સેરંગીલા રેશોખિયોં મેં ઘોલા જાયેતાકત વતન કી હમસે હૈ, વગેરે. અને શીર્ષકગીત? “…કહાં રે હિમાલય જૈસા, કહાં ઐસા પાની, યહી વો જમીન જિસકી દુનિયા દીવાની… સુંદરી ન કોઈ જૈસે હૈ ધરતી હમારી, પ્રેમ કે પુજારી હમ હૈ

તો, આજ પ્રભાતે સૅમ બહાદુરની સફળતા વિશે વાંચી આ અફસાનો રચી બેઠા. એ કેવો છે એ તો તમે જ કહી શકો.

જો વિધાતાના લેખની વાત સાચી હોય તો જ્યોતિષ કે વાસ્તુની શું જરૂર છે?

વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. વેદ , પુરાણો, ઉપનીશદો અને અનેક સંહિતાઓ ઉપરાંત વિવધ ગ્રંથોમાં એના મૂળ સચવાયેલા છે. આ સંસ્કૃતિમાં દરેક જીવને સન્માન આપવા ઉપરાંત કુદરતના તત્વોની સાધનાની વાત હતી. જ્ઞાનને સર્વોપરી માનવામાં આવતું અને જ્ઞાનીજનો પૂજાતા. આજે આપણે એક એવા યુગમાં જીવીએ છીએ જ્યાં શિક્ષણને વેપાર અને શિક્ષકને પગારદાર સમજવામાં આવે છે ત્યારે જ્ઞાન શબ્દનો અપભ્રંશ થાય તે સ્વાભાવિક છે. કદાચ તેથી જ આપણા નિયમો વિષે નવી પેઢીને શંકાઓ જાગી રહી છે. પશ્ચિમ તરફની આંધળી દોટમાં ક્યાંક સંસ્કૃતિના મૂળ ખવાઈ ન જાય એ આપણે સભાનતા પૂર્વક વિચારવાનો સમય આવી ગયો છે. વળી જે વિચારધારા પરથી વિશ્વાસ જતો રહે ત્યાં નવી વિચારધારા તરફ પ્રયાણ કરવાની ઈચ્છા પણ થવાની. આપણી સમૃદ્ધ સંસ્કૃતિ આપણી ધરોહર છે. એને સાચવવી એ આપણા સહુની નૈતિક ફરજ છે.

સવાલ: હું તમને ફોલો કરું છું. તમે સર્વ ગુણ સંપન્ન અને મહા જ્ઞાની છો. એ વાતને પડકાર આપે એવો એક સવાલ મારી પાસે છે. મને ખાતરી છે કે મારો સવાલ તમને ગૂંચવી દેશે. આ સવાલ મેં ઘણા બધા લોકોને પૂછીને ચુપ કરી દીધા છે. સવાલ જ એવો છે જે ભલ ભલા ગૂંચવાઈ જાય.

આપણે ત્યાં વિધાતાના લેખની વાત કરી છે કે જે લખાયું હોય એ જ થાય છે. તો પછી કર્મ કરવાની જરૂર જ ક્યાં છે? જે આપણે કરીએ છીએ એ તો વિધાતા કરાવે છે. જો વિધાતા નથી અને માત્ર કર્મ છે તો પછી જ્યોતિષ, વાસ્તુ એ બધા વિષયોની ક્યાં જરૂર છે? જો ઉર્જાનું વિજ્ઞાન કામ કરે છે તો પછી સરસ મકાન બનાવી અને એની ઉર્જાથી કોઈ પણ કામ કરી અને એની સજા માફ થઇ જાય એવું જીવન મળવું જોઈએ. અને આ બધા ઉપરાંત ઈશ્વરની પણ વાત છે. જો ઉર્જા કામ કરે છે તો ઈશ્વરની ભક્તિનું સ્થાન ક્યાં છે? જો ઈશ્વર છે તો એ ખોટું કરનારને રોકતા કેમ નથી? જો ઈશ્વર સંચાલન કરે છે તો કોર્ટની ક્યાં જરૂર છે? આવા તો ઘણા સવાલો મારી પાસે છે. પણ માત્ર આનો જવાબ મળશે તો પણ હું માની જઈશ.

જવાબ: જયારે કશુક સમજવાની ઈચ્છા હોય ત્યારે જ સવાલ ઉદ્ભવે. સવાલ ઉદ્ભવવા જ જોઈએ. તોજ સાચી વાત સુધી પહોંચી શકાય. મોટા ભાગે આપણે સ્વીકારી લઈએ છીએ. મેં ક્યારેય સર્વગુણ સંપન્ન કે અતિ જ્ઞાની હોવાનો દાવો નથી કર્યો. એ માત્ર આપની સમજણ હોઈ શકે.

આપણે ત્યાં સંચિત કર્મની વાત કરવામાં આવી છે. પૂર્વજન્મમાં વ્યક્તિ એ જે કાઈ કર્યું છે એના આધારે વિધાતા એના જીવન વિશેની રૂપરેખા તૈયાર કરે છે. ત્યાર બાદ વ્યક્તિ જે કર્મ કરે છે એના આધારે એની દિશા નક્કી થાય છે. એ હવે પછીના જીવન માટે પણ પોતાના કર્મ ભેગા કરે છે. જ્યોતિષ શાસ્ત્ર યોગ દર્શાવે છે. ઉદાહરણ સ્વરૂપે બંધન યોગ હોય તો જેલમાં પણ જવાય અને બાથરૂમમાં પણ પૂરી દેવાય. વ્યક્તિ સારી ઉર્જામાં રહેતી હોય ત્યારે એને સકારાત્મક વિચારો આવે છે. અને એ સત્કર્મ કરવા પ્રેરાય છે. તમારા મનમાં ઈશ્વર માટેની સમજણ શું છે એ મને નથી ખબર પણ ઈશ્વર જગતના કણ કણ માં છે. એ વ્યક્તિનું આત્મબળ વધારવામાં મદદ કરે છે. આપણે તેને બ્રહ્માંડની ઉર્જાનો સ્ત્રોત પણ કહી શકીએ. જયારે વ્યક્તિ પોતાના આત્મા સુધી પહોંચે ત્યારે તેને ઈશ્વરની અનુભૂતિ થઇ શકે છે. પ્રયત્ન કરી જુઓ. વાસ્તુ આધારિત મકાનમાં તમને સુખ ચોક્કસ મળશે. ઈશ્વરની સાધના મનને બળ આપશે જ. તમે દર્શાવેલા બધાજ પરિબળો જીવનની ઉર્જા અને ગતિ સાથે જોડાયેલા છે. માત્ર એની રજૂઆત અલગ રીતે થઇ છે એટલે સવાલો થઇ શકે. ભારતમાં ન્યાયની વ્યવસ્થા અલગ હતી. જેની સમજણ ફરી ક્યારેક લઈશું. આ સવાલના જવાબ માટે એક પુસ્તક પણ લખી શકાય. અહી પ્રાથમિક સમજણ આપી છે.

સુચન: ભારતીય વિચારધારામાં દરેક જીવો સાથે સંતુલનની વાત છે. એવું કરવાથી પણ સકારાત્મકતા વધે છે.

(આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com)