Home Blog Page 2240

‘ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમેચમાં અમે આક્રમક ક્રિકેટ રમીશું’: હરમનપ્રીત કૌર

નવી મુંબઈઃ ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટરો આવતીકાલથી અહીંના ડો. ડી.વાઈ. પાટીલ સ્પોર્ટ્સ એકેડેમી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમશે. બંને ટીમ વચ્ચે આ એકમાત્ર ટેસ્ટ મેચ હશે. આ પહેલાં બંને ટીમ વચ્ચે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમાઈ ગઈ છે. એમાં ઈંગ્લેન્ડે ભારતને 2-1થી પરાજય આપ્યો હતો. ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે આજે ટેસ્ટ મેચની પૂર્વસંધ્યાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘અમારી અમુક મર્યાદાઓ છે તે છતાં અમે ઈંગ્લેન્ડ સામે આક્રમક રમત રમીશું અને જીતવાની કોશિશ કરીશું.’

ભારતીય મહિલા ટીમ 9 વર્ષ પહેલાં ઘરઆંગણે ટેસ્ટ મેચ રમી હતી. એનો છેલ્લો ટેસ્ટ મુકાબલો બે વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે કેરારામાં થયો હતો. હરમનપ્રીત કૌર તે મેચ ચૂકી ગઈ હતી. કેપ્ટન તરીકે તેની આ પહેલી મેચ હશે. ઓપનર સ્મૃતિ મંધાના તેની ડેપ્યૂટી છે.

ભારતીય ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમા રોડ્રિગ્સ, દિપ્તી શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા ઠાકુર સિંહ, હરલીન દેઓલ, સાઈકા ઈશાક, શુભા સતીષ, તિતાસ સાધુ અને મેઘના સિંહ.

ઈંગ્લેન્ડ ટીમઃ હીધર નાઈટ (કેપ્ટન), ડેનિયલ વાયેટ, ટેમી બ્યોમોન્ટ, માયા બાઉચીર, નેટ શીવર-બ્રન્ટ, સોફિયા ડન્ક્લી, એમી જોન્સ (વિકેટકીપર), સોફી એકલ્સટોન, કેટ ક્રોસ, લૌરીન ફાઈલર, લૌરીન બેલ, શાર્લોટી ડીન, બેસ હીથ, એલિસ કેપ્સી, ક્રિસ્ટી ગોર્ડન.

સ્મોક બોમ્બ શું છે? જેના કારણે વિરોધીઓએ સંસદમાં હંગામો મચાવ્યો

સંસદના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન બુધવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સંસદની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે અજાણ્યા લોકો કૂદીને સંસદની ગેલેરીમાં પહોંચ્યા, આ બધું ત્યારે થયું જ્યારે ત્યાં ઘણા સાંસદો હાજર હતા અને અહીં સુરક્ષામાં આટલી મોટી ભૂલ થઈ. તેમના હોબાળા દરમિયાન, બંને વિરોધીઓએ સંસદમાં સ્મોક બોમ્બનો ઉપયોગ કર્યો અને સમગ્ર સંસદમાં હંગામો મચાવી દીધો હતો.

સ્મોક બોમ્બ શું છે?

નામ સૂચવે છે તેમ તે એક ફટાકડા છે જે ઘણો ધુમાડો ઉત્પન્ન કરે છે. તમે દિવાળી કે કોઈ પણ પાર્ટી વખતે આવા સ્મોક બોમ્બ જોયા હશે. તે ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેન્ડમાં છે અને આજે તેનો ઉપયોગ સંસદમાં પ્રદર્શન તરીકે કરવામાં આવે છે. જો આપણે સ્મોક બોમ્બના ઇતિહાસમાં જઈએ તો તે મૂળ જાપાનના ઇતિહાસમાંથી આવે છે. પરંતુ જો આપણે આધુનિક સમયની વાત કરીએ તો 1848માં બ્રિટિશ શોધક રોબર્ટ યેલે સ્મોક બોમ્બની શોધ કરી હતી. આમાં ચાઈનીઝ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, કેટલાક ફેરફારોની સાથે એવી વસ્તુઓ ઉમેરવામાં આવી હતી કે જેથી ધુમાડો લાંબો સમય ટકે. હાલમાં વિવિધ પ્રકારના સ્મોક બોમ્બ જોવા મળે છે જે રંગબેરંગી ધુમાડો બહાર કાઢે છે. બુધવારે સંસદમાં થયેલા સ્મોક બોમ્બ હુમલામાં પીળો અને લાલ રંગનો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જે ત્યારે દેખાતું હતું જ્યારે વિરોધકર્તાઓને પકડીને સંસદ ભવનની અંદર અને પછી બહાર લઈ જવામાં આવ્યા હતા.

બુધવારે સંસદમાં શું થયું?

બુધવારે જ્યારે સંસદની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે લગભગ 1.15 વાગ્યે એક વ્યક્તિ લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદી ગયો હતો. અને તે કૂદીને સ્પીકરની ખુરશી તરફ આગળ વધી રહ્યો હતો.જેવો જ આ વ્યક્તિ સાંસદોની સીટ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં હાજર સાંસદોએ આ વ્યક્તિને પકડી લીધો હતો. સંસદની સુરક્ષામાં આ એક મોટી ખોટ છે, કારણ કે જે રીતે હુમલાખોર સાંસદના મહેમાન બનીને ગૃહમાં ઘૂસ્યો અને એવું કામ કર્યું, જેનાથી સાંસદો અને ત્યાં હાજર લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે.

સોશિયલ સ્ટોક એકસચેંજીસ પર પ્રથમ NGO ઉન્નતિ ફાઉન્ડેશનનું લિસ્ટિંગ

મુંબઈઃ દેશમાં સૌપ્રથમ વાર એક અતિ નોખી ઐતિહાસિક ઘટના આકાર લઈ રહી છે, જેની લાંબા સમયથી ચર્ચા સાથે રાહ જોવાતી હતી એ સોશિયલ સ્ટોક એકસચેંજ કાર્યરત થવા સાથે તેના પર પ્રથમ નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન સ્વરૂપે SGBS ઉન્નતિ ફાઉન્ડેશનનું ૧૩ ડિસેમ્બરે લિસ્ટિંગ થઈ રહ્યું છે.

આ ફાઉન્ડેશન BSE અને NSE બંનેના સોશ્યલ સ્ટોક એકસચેંજ સેગમેન્ટ પર લિસ્ટેડ થશે. આ NGOનો પ્લાન માર્કેટમાંથી રૂ. બે કરોડ ઊભા કરવાનો હતો, જેનું લક્ષ્ય સરકારી કોલેજીસના ૧૦,૦૦૦ ગ્રેજ્યુએટસ (ફાઇનલ વરસના) ને UNXT પ્રોગ્રેમ હેઠળ નોકરી મેળવવામાં સહાય કરવાનું છે. આ કોલેજો વિવિધ રાજયોની હશે. જોકે ઉન્નતિને રૂ.૧.૮૦ કરોડનું ભંડોળ પ્રાપ્ત થયું છે, જેનાથી તેને સંતોષ હોવાનું તેના ટ્રસ્ટી રમેશ સ્વામી જણાવે છે. હવે પછી આ NGOના લિસ્ટેડ યુનિટસમાં સ્ટોક એક્સચેન્જ મારફત રોકાણ થઈ શકશે.

એકસચેંજ અધિકારીઓના કહેવાનુસાર આને પગલે વધુ NGO આગળ આવશે અને સ્ટોક એકસચેંજીસ સામાજિક સેવાના સ્તરે મોટી અસર ઊભી કરશે. એકસચેંજ અધિકારીઓના કહેવાનુસાર આને પગલે વધુ NGO આગળ આવશે અને સ્ટોક એકસચેંજીસ સામાજિક સેવાના સ્તરે મોટી અસર કરશે. બેંગલુરુ સ્થિત ઉન્નતિ ફાઉન્ડેશને ૨૦૦૩થી ૨૦૦૮ દરમ્યાન ૩૨૦ યુવાનોને તાલીમ આપી હતી અને અત્યાર સુધીમાં ૪૫,૦૦૦ યુવાનોને તાલીમ આપી છે, જેમાંથી ૩૫,૦૦૦ને પ્લેસમેન્ટ પ્રાપ્ત થયું છે. ઉન્નતિનું સૂત્ર છે, લર્ન, અર્ન એન્ડ સ્ટેન્ડ ટોલ.

ઉન્નતિને જાણીતા બ્રોકિંગ પ્લેટફોર્મ ઝેરોધા તરફથી રૂ. એક કરોડનું, નાબાર્ડ તરફથી રૂ. ૩૦ લાખ, ગોવિંદ ઐયર તરફથી રૂ.૨૦ લાખ અને આશિષ કચોલિયા તરફથી રૂ.૩૦ લાખ પ્રાપ્ત થયા છે.

 

 

 

 

ત્રણ રાજયોની ચૂંટણીમાં ભાજપની જીતનો જશ્ન વિદેશમાં પણ

અમદાવાદઃ ત્રણ રાજ્યોની વિધાનસભામાં ભાજપની જીતને લઈ વિદેશના લોકોએ પણ પ્રશંસા કરી હતી. આ દરમ્યાન ત્યાંના લોકોએ એ પણ જણાવ્યું હતું કે અમેરિકાના ‘મોર્નિંગ કન્સલ્ટ’ ના સર્વે રિપોર્ટમાં પણ 76 ટકા એપ્રુઅલ રેટિંગ સાથે પીએમ મોદી વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા જાહેર થયા છે, જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે.

હાલ યોજાયેલી ચૂંટણીમાં ‘મોદી ગેરંટી’ શબ્દ ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે અને હવે તે ભાજપના પ્રચાર અભિયાનનો પણ મુખ્ય આધાર બની ગયો છે. હાલમાં જ યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં અભૂતપૂર્વ જીત એ PM મોદીની રેકોર્ડ લોકપ્રિયતાનું પરિણામ છે. આ અગાઉ ગયા વર્ષે ગુજરાત વિધાનસભામાં પણ 156 બેઠકોમાં જીત એ ઐતિહાસિક ઘટના બની રહી છે. ભારતીય રાજકારણમાં મોદીનો શાસનકાળ મોદી યુગ તરીકે પ્રસિદ્ધ થશે.

ખાસ કરીને ભારતીય રાજકારણમાં જ્ઞાતિ જાતિના રાજકારણને બાજુ ઉપર રાખીને વિકસિત ભારતની વિચારધારા સાથે વિકાસની રાજનીતિની શરૂઆત કરી. આજે વિશ્વના રાજકારણમાં ‘modi the boss’નો સિક્કો ચાલી રહ્યો છે. આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ મોદી ગેરંટીનો કરંટ વિપક્ષને હચમચાવી રહ્યો છે.

મોદીનું નામ ચોક્કસ પણે આજે વિશ્વ ફલક પર છે ત્યારે આ વાતની ઉજવણી ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ થઈ રહી છે. લોસ એન્જેલસમાં આ વાતને લઈ ભારતીય મૂળના લોકો ભેગા થયા હતા. જેમાં ખાસ કરીને ઇન્ડો અમેરિકનના કલ્ચર સોસાયટીના પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે રહી ચૂકેલા યોગી પટેલ જોડાયા હતા. સાથે આર્ટેશિયા ચેમ્બરના સ્થાપક અને સેરીટોસ કોલેજ ફાઉન્ડેશનના અધ્યક્ષ પરિમલ શાહ હજાર રહ્યા હતા. BJP પશ્ચિમ ઝોનના પ્રમુખના વિદેશી મિત્ર પી.કે. નાયક પણ આ કાર્યક્ર્મમમાં ખાસ હાજર રહ્યા હતા.

 

કુર્લામાં લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશનમાં મોટી આગ લાગી

મુંબઈઃ અહીંના કુર્લા ઉપનગરના લોકમાન્ય તિલક ટર્મિનસ રેલવે સ્ટેશનની એક કેન્ટિનમાં આજે બપોરે મોટી આગ લાગતાં નાસભાગ મચી ગઈ હતી. આગ પ્લેટફોર્મ નંબર 1 પર ‘જન આહાર’ કેન્ટિન પાસે લાગી હતી. બનાવમાં સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા થઈ નથી.

આગના ધૂમાડાના ગોટેગોટા દૂરના અંતરે પણ જોઈ શકાતા હતા. તેની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે. આગ બપોરે 3 વાગ્યાની આસપાસ લાગી હતી. અગ્નિશામક દળના જવાનોએ તરત જ ત્યાં પહોંચી જઈને અડધા કલાકની અંદર આગ બુઝાવી દીધી હતી.

વિઘ્નો પાર કરવા તમારી કુશળતાઓને યાદ કરો

જ્યારે પણ તમે આ દુનિયામાં કંઈક મોટું કામ કરવા પ્રયત્ન કરો છો, ભલે તે બીજા માટે હોય તો પણ, વિઘ્નો આવે છે. વિઘ્નો ખૂબ ટૂંકા સમય માટે જ હોઈ શકે છે,પરંતુ તે આવે જરૂર. કંઈક વિશિષ્ટ મેળવવા માટે પ્રયત્ન કરતા હોઈએ ત્યારે માર્ગમાં આવતા વિઘ્નોને કેવી રીતે પાર કરવા?

મનને સકારાત્મક રાખવું અગત્યનું છે. થોડી રખીયા એકઠી થાય અને અગ્નિને ઢાંકી શકે છે. પરંતુ એક વાર તેને ઉડાડી દઈએ તો અગ્નિ વધુ પ્રજ્વલિત થાય છે અને પ્રકાશમય પણ. તમે એ અગ્નિ જેવા છો. તમારે તમારામાંનો ઉત્સાહ ટકાવી રાખવો પડે. તમારે ભૂતકાળમાં કેટલી સમસ્યાઓ આવી હતી તે યાદ કરો–કેવી રીતે તે બધી આવી અને પછી જતી રહી. એવો સમય પણ હતો જ્યારે તમને લાગતું કે તમે ટકી નહીં શકો,પરંતુ તમે ટકી ગયા હતા! ભરોસો રાખો કે આ સમય પણ નીકળી જશે અને તમારામાં સમસ્યાને પાર પડવા માટેની શક્તિ અને ક્ષમતા છે. તમારા પોતાના ભૂતકાળ તરફ જોતાં અને સમજણથી વિચારતા તમારામાં વિશ્વાસ જાગશે.

ધારો કે તમને શ્રધ્ધા નથી કે આ સમસ્યાઓ સમયસર ઉકેલાશે, તો સમર્પણ કરો, તેનાથી સહાય મળશે. સમર્પણ નબળાઈ નથી દર્શાવતું. હકીકતમાં જે લોકો ખરેખર મજબૂત છે તેઓ જ સમર્પણ કરી શકે છે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો કે તે તમને પાર પડવામાં સહાય કરશે. આપણે ઘણી વાર ગુસ્સા અને હતાશામાં કહીએ છીએ કે ‘હું છોડી દઉં છું!’પરંતુ જો તમે ગુસ્સા કે હતાશા વગર અને પ્રાર્થનામય થઈને કહી શકો કે ‘હું આ સમસ્યાને છોડી રહ્યો છું, હું તે ઉકેલી શકું તેમ નથી, ઈશ્વર મને મદદ કરશે’ તો સમજી લો કે તમને હંમેશા સહાય મળશે. વિશ્વાસ રાખો કે તમારા કરતાં ઘણી મોટી શક્તિ તમારી સંભાળ લઈ રહી છે અને તમને મદદ કરવાની છે.

ધારો કે તમે ભગવાનમાં પણ માનતા નથી-“મેં ભગવાનને જોયા નથી. જેને જોયા નથી એમના પર કેવી રીતે વિશ્વાસ કરું?”તો પછી તમારું મન શાંત રાખવા માટે રસ્તા શોધો.એક રીત એ છે કે ચંદ્રને યાદ કરીને કેવી રીતે તેના કિરણો તમારા પર પડી રહ્યા છે તેવું વિચારો.થોડી વાર માટે ચંદ્રને જુઓ. મન ઉપર શાંતિ છવાઈ જશે. તમારે મનને શાંત અને વિસ્તૃત રાખવું જોઈએ જેથી ઉપાયો અને ઉકેલ સુઝે. તમે જોશે કે જો તમે મુશ્કેલીમાં છો તો મન તરત જ ગરમ થવા માંડે છે.પહેલા ગરમ થાય છે અને પછી ગુસ્સો અને હતાશા લાગે છે. ખાતરી કરો કે મનમાં ઠંડક(શાંતિ) છે,તથા પ્રકાશ છે પણ ગરમી નથી.

જો તમને મનને ઠંડુ અને ઉત્સાહી રાખવાનું અઘરું લાગતું હોય તો અન્ય રસ્તો એ છે કે તમે ખૂબ કુશળ છો એવું યાદ રાખો.તમે ઘણી બધી સમસ્યાઓ કુશળતાથી ઉકેલી છે તે યાદ કરો. જ્યારે મન કુશળતાથી કામ કરે છે ત્યારે સમસ્યાઓ સમસ્યા જેવી નથી લાગતી. અવલોકન કરો કે કેવી રીતે એક બાળક જ્યારે તેના પિતા તેનું સાંભળતા નથી ત્યારે કુશળતાથી તેમને સાંભળતા કરી દે છે અને પોતાનું ઈચ્છિત કરાવે છે.

માની લો કે કોઈ કુશળતા નથી.તો કોઈ શાંત સ્વભાવની વ્યક્તિને યાદ કરો, એવી વ્યક્તિ કે જેને જોતાં તમે ખુશ થાવ છો.જ્યારે આપણે દુખી અને ગુસ્સામાં હોય એવી અથવા આપણા જેવી જ ચિંતામાં હોય એવી વ્યક્તિને યાદ કરીએ છીએ ત્યારે આપણે એ પ્રકારના સ્પંદનો ઝીલીએ છીએ અને આપણી સમસ્યાઓ વિશે વધારે ચિંતિત થઈએ છીએ. માટે જ કહેવાય છે કે- ‘પ્રસન્ન વદનમ્ ધ્યાયેત,સર્વ વિઘ્નોપ શાંતયે’

શાંત અને ખુશમિજાજ લોકોને યાદ કરશો તો વિઘ્નો શમી જશે. તમે ખુશ થતા બાળકોને પણ યાદ કરી શકો છો.માટે જ દરેક પૂજામાં સર્વ પ્રથમ ભગવાન ગણેશજીનું આહ્વાન કરવામાં આવે છે. તે ખુશમિજાજ તરીકે જાણીતા છે. જો તમને તેમનામાં શ્રધ્ધા હોય તો તેમને યાદ કરો. નહીંતર તમે શાંત મનવાળા કોઈને પણ યાદ કરો.

જ્યારે નદીના માર્ગમાં પથ્થરો હોય છે ત્યારે નદી વહેવાનું બંધ કરીને ચિંતા કરવા નથી માંડતી. તે તેમના પરથી વહે છે. તે તેના માર્ગમાં આવતા ખડકો પરથી ખળખળ વહે છે ત્યારે વધારે સુંદર લાગે છે. જ્યારે બધું બરોબર હોય અને બધું તમારી અનુકૂળતા પ્રમાણે થતું હોય ત્યારે હસવું એમાં કોઈ વિશિષ્ટતા નથી. પરંતુ જો તમે તમારામાંનું શૌર્ય જાગૃત કરો અને કહો કે,”ગમે તે થાય પણ હું હસતો રહીશ”,તો તમે જોશો કે તમારી પોતાની અંદરથી પુષ્કળ ઊર્જા ઉદ્ભવે છે. અને સમસ્યાનું કોઈ મહત્વ રહેતું નથી; તે બસ આવે છે અને જતી રહે છે.

જીવનનો સમગ્રપણે સ્વીકાર કરો. કેટલાક સારા તો કેટલાક નરસા અનુભવો-એ બધા આવે અને પછી જતા રહે. એ વિશ્વાસ રાખીને આગળ ધપો કે, ‘મને બધા આશીર્વાદ મળતા રહે છે, મારા પર કૃપા વરસી રહી છે,જે શ્રેષ્ઠ છે તે જ મારી સાથે થશે.’

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

ગાઝામાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ UNમાં પસારઃ 153 દેશોનું તરફેણમાં મતદાન

જિનિવાઃ  સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીએ મંગળવારે ભારે બહુમતથી એક પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેમાં ગાઝામાં યુદ્ધવિરામની માગ કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રના બધા 193 સભ્ય રાષ્ટ્રોમાંથી આ પ્રસ્તાવની તરફેણમાં 153 મત આપ્યા હતા, એમાં ભારત પણ સામેલ રહ્યું હતું. જ્યારે અમેરિકા અને ઇઝરાયેલ સહિત 10 દેશોએ વિરોધમાં મતદાન કર્યું હતું, જ્યારે 23 દેશોએ મતદાન નહોતું કર્યું.

 જોકે હમાસ આતંકવાદી ગ્રુપે ગાઝામાં ભીષણ યુદ્ધમાં તત્કાળ યુદ્ધવિરામના UNના આહવાનનું સ્વાગત કર્યું હતું. એસેમ્બલીમાં મતદાન વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે જવાબદાર સુરક્ષા પરિષદમાં યુદ્ધવિરામ માટે આહવાનમાં નિષ્ફળ રહ્યા બાદ મતદાન થયું છે. ઇઝરાયેલના સૌથી શક્તિશાળી સહયોગી અને સુરક્ષા પરિષદના માત્ર પાંચ સ્થાયી સભ્યોમાંના એક અમેરિકાએ યુદ્ધવિરામ માટે વીટોનો ઉપયોગ કર્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રમાં ઇજિપ્તના એમ્બેસેડર ઓસામા મહેમૂદ અબ્લેલખલેક મહમૂદે મતદાનથી પહેલાં ઇઝરાયેલને કવર કરવા માટે વોશિંગ્ટનના પ્રયાસોને લઈને કહ્યું હતું કે બંને વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી UN પરિષદે બોલવામાં એક મહિનાથી વધુનો સમય લાગ્યો છે અને એણે નબળાઓની સાથે આવું કર્યું છે. ચાર અસ્વીકાર પછી માનવીય વિરામ માટે આહવાન કરવામાં આવ્યું છે. આ દુખદ પ્રયાસના બેવડા માપંદડો છે.

બીજી બાજુ, પેલેસ્ટાઇન લોકોની વિરુદ્ધ નરસંહાર અને યુદ્ધની પણ હમાસે નિંદા કરી છે. ઇઝરાયેલના બોમ્બમારાના હુમલામાં 18,400થી વધુ પેલેસ્ટાઇન લોકોનાં મોત અત્યાર સુધી થયાં છે.

 

 

 

 

 

ચારધામ ક્ષેત્રમાં હિમવર્ષા; કેદારનાથમાં તાપમાન માઈનસ 7

દેહરાદૂનઃ ઉત્તરાખંડ રાજ્યના પવિત્ર એવા ચારધામ ક્ષેત્રમાં શિયાળો ખૂબ જ તીવ્ર બન્યો છે. પહાડો પર જોરદાર બરફવર્ષા થઈ રહી છે. આને કારણે મેદાન વિસ્તારોમાં ગાત્રો થીજાવી દે એવી ઠંડી પડી રહી છે. આખો દિવસ જોરદાર ઠંડી પડે છે. મેદાન વિસ્તારોમાં દિવસના ભાગમાં ક્યારેક તડકો નીકળે છે, પણ વહેલી સવારે અને સાંજે ધૂમ્મસ છવાઈ જાય છે.

ચારધામ ક્ષેત્રમાં ગઈ કાલથી હિમવર્ષા થઈ રહી છે. ફૂલોં કી ઘાટી, હેમકુંડ સાહિબ, તુંગનાથ, મદ્મહેશ્વર, હર્ષલ, ઉત્તરકાશી, ઔલી આ તમામ વિસ્તારો બરફથી ઢંકાઈ ગયા છે. પહાડી વિસ્તારોમાં વરસાદ પડવાની પણ હવામાન વિભાગની આગાહી છે. કેદારનાથ ધામમાં તો તાપમાન માઈનસ 7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ગંગોત્રી, યમુનોત્રીમાં પણ પારો ઝીરોથી નીચે ગયો છે. નીચલા વિસ્તારોમાં વાદળો છવાઈ જવાને કારણે કાતિલ ઠંડી પડે છે.

સંસદભવનની બહાર બે દેખાવકારની ધરપકડ

નવી દિલ્હીઃ આજે લોકસભામાં મુલાકાતીઓની ગેલરીમાંથી કૂદીને બે શખ્સે સ્પીકરના મંચ પાસે પહોંચીને પીળા રંગનો ધૂમાડો છોડનાર સ્મોક સ્ટિક ફેંકી ફેંક્યાની અમુક જ મિનિટો બાદ સંસદભવનની બહાર, ટ્રાન્સપોર્ટ ભવનની નજીક પોલીસે બીજા બે જણની ધરપકડ કરી હતી. આમાં એક પુરુષ છે અને એક મહિલા છે. આ બંને જણ નારા લગાવતા હતાઃ ‘સરમુખત્યારશાહી, મહિલાઓ વિરુદ્ધ ગુનાઓને સાંખી નહીં લેવાય.’

મહિલા દેખાવકારને 42 વર્ષીય નીલમ અને પુરુષ દેખાવકારને 25 વર્ષીય અમોલ શિંદે તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે. મહિલા હરિયાણાના હિસ્સારની વતની છે જ્યારે પુરુષ દેખાવકાર મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે.

આ બંને જણ રંગીન ધૂમાડો છોડીને વિરોધ દર્શાવતા હતા. આ બંનેની ધરપકડ વખતે સાગર નામના શખ્સે લોકસભાની અંદર સ્મોક સ્ટીક ફેંકી હતી જેમાંથી રંગીન ધૂમાડો છૂટ્યો હતો.

સંસદ પર હુમલાની વરસીએ લોકસભાની સુરક્ષામાં છીંડાં

નવી દિલ્હીઃ સંસદ પર હુમલાની 22મી વરસીના દિને સંસદની સુરક્ષામાં ભારે ચૂક થઈ છે. લોકસભામાં બે લોકો દર્શક ગેલેરીથી કૂદી પડ્યા હતા અને તેમણે યલો ગેસ છોડ્યો હતો, જ્યારે સંસદ ભવનની બહાર પણ બે લોકોએ ધુમાડો કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યો હતો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે આ ઘટનાની તપાસ થઈ રહી છે. બંને યુવકોને પકડી લેવામાં આવ્યા છે અને તેમની પાસેની સામગ્રી જપ્ત કરી લેવામાં આવી છે. જ્યારે સંસદની બહાર ઘટનાને અંજામ આપતાં એક મહિલા અને યુવકની પણ દિલ્હી પોલીસે હિરાસતમાં લઈ લીધા છે., જ્યારે અંદરવાળા શખસને સંસદની સિક્યોરિટીએ પકડી લીધા હતા. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.

 આ શખસોએ ફ્લોરોસેન્ટ ગેસનો છંટકાવ કર્યો હતો. ભાજપના સાંસદ સત્યપાલ સિંહને કહ્યું હતું કે લોકસભામાં શૂન્યકાળની કાર્યવાહી દરમ્યાન અચાનક બે યુવકો વિઝિટર્સ ગેલેરીમાંથી નીચે કૂદી ગયા હતા. તેમણે પીળી ગેસ છોડ્યો હતો.

સંસદના શિયાળુ સત્રનો આજે આઠમો દિવસ છે ત્યારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થવાનો મામલો સામે આવ્યો છે જેમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો અચાનક પ્રેક્ષક ગેલેરીમાંથી કુદ્યા હતા અને વેલમાં ઘસી ગયા હતા. આ કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

આ બાદ સાંસદોએ તેને પકડી લીધા હતા અને બાદમાં સુરક્ષા કર્મચારી તેને બહાર લઈ ગયા હતા. આ કારણે ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.